Home Blog Page 2241

કુર્લામાં લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશનમાં મોટી આગ લાગી

મુંબઈઃ અહીંના કુર્લા ઉપનગરના લોકમાન્ય તિલક ટર્મિનસ રેલવે સ્ટેશનની એક કેન્ટિનમાં આજે બપોરે મોટી આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. આગ પ્લેટફોર્મ નંબર 1 પર ‘જન આહાર’ કેન્ટિન પાસે લાગી હતી. બનાવમાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી.

આગના ધૂમાડાના ગોટેગોટા દૂરના અંતરે પણ જોઈ શકાતા હતા. તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. આગ બપોરે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. અગ્નિશામક દળના જવાનોએ તરત જ ત્યાં પહોંચી જઈને અડધા કલાકની અંદર આગ બુઝાવી દીધી હતી.

વિઘ્નો પાર કરવા તમારી કુશળતાઓને યાદ કરો

જ્યારે પણ તમે આ દુનિયામાં કંઈક મોટું કામ કરવા પ્રયત્ન કરો છો, ભલે તે બીજા માટે હોય તો પણ, વિઘ્નો આવે છે. વિઘ્નો ખૂબ ટૂંકા સમય માટે જ હોઈ શકે છે,પરંતુ તે આવે જરૂર. કંઈક વિશિષ્ટ મેળવવા માટે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે માર્ગમાં આવતા વિઘ્નોને કેવી રીતે પાર કરવા?

મનને સકારાત્મક રાખવું અગત્યનું છે. થોડી રખીયા એકઠી થાય અને અગ્નિને ઢાંકી શકે છે. પરંતુ એક વાર તેને ઉડાડી દઈએ તો અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે અને પ્રકાશમય પણ. તમે એ અગ્નિ જેવા છો. તમારે તમારામાંનો ઉત્સાહ ટકાવી રાખવો પડે. તમારે ભૂતકાળમાં કેટલી સમસ્યાઓ આવી હતી તે યાદ કરો–કેવી રીતે તે બધી આવી અને પછી જતી રહી. એવો સમય પણ હતો જ્યારે તમને લાગતું કે તમે ટકી નહીં શકો,પરંતુ તમે ટકી ગયા હતા! ભરોસો રાખો કે આ સમય પણ નીકળી જશે અને તમારામાં સમસ્યાને પાર પડવા માટેની શક્તિ અને ક્ષમતા છે. તમારા પોતાના ભૂતકાળ તરફ જોતાં અને સમજણથી વિચારતા તમારામાં વિશ્વાસ જાગશે.

ધારો કે તમને શ્રધ્ધા નથી કે આ સમસ્યાઓ સમયસર ઉકેલાશે, તો સમર્પણ કરો, તેનાથી સહાય મળશે. સમર્પણ નબળાઈ નથી દર્શાવતું. હકીકતમાં જે લોકો ખરેખર મજબૂત છે તેઓ જ સમર્પણ કરી શકે છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો કે તે તમને પાર પડવામાં સહાય કરશે. આપણે ઘણી વાર ગુસ્સા અને હતાશામાં કહીએ છીએ કે ‘હું છોડી દઉં છું!’પરંતુ જો તમે ગુસ્સા કે હતાશા વગર અને પ્રાર્થનામય થઈને કહી શકો કે ‘હું આ સમસ્યાને છોડી રહ્યો છું, હું તે ઉકેલી શકું તેમ નથી, ઈશ્વર મને મદદ કરશે’ તો સમજી લો કે તમને હંમેશા સહાય મળશે. વિશ્વાસ રાખો કે તમારા કરતાં ઘણી મોટી શક્તિ તમારી સંભાળ લઈ રહી છે અને તમને મદદ કરવાની છે.

ધારો કે તમે ભગવાનમાં પણ માનતા નથી-“મેં ભગવાનને જોયા નથી. જેને જોયા નથી એમના પર કેવી રીતે વિશ્વાસ કરું?”તો પછી તમારું મન શાંત રાખવા માટે રસ્તા શોધો.એક રીત એ છે કે ચંદ્રને યાદ કરીને કેવી રીતે તેના કિરણો તમારા પર પડી રહ્યા છે તેવું વિચારો.થોડી વાર માટે ચંદ્રને જુઓ. મન ઉપર શાંતિ છવાઈ જશે. તમારે મનને શાંત અને વિસ્તૃત રાખવું જોઈએ જેથી ઉપાયો અને ઉકેલ સુઝે. તમે જોશે કે જો તમે મુશ્કેલીમાં છો તો મન તરત જ ગરમ થવા માંડે છે.પહેલા ગરમ થાય છે અને પછી ગુસ્સો અને હતાશા લાગે છે. ખાતરી કરો કે મનમાં ઠંડક(શાંતિ) છે,તથા પ્રકાશ છે પણ ગરમી નથી.

જો તમને મનને ઠંડુ અને ઉત્સાહી રાખવાનું અઘરું લાગતું હોય તો અન્ય રસ્તો એ છે કે તમે ખૂબ કુશળ છો એવું યાદ રાખો.તમે ઘણી બધી સમસ્યાઓ કુશળતાથી ઉકેલી છે તે યાદ કરો. જ્યારે મન કુશળતાથી કામ કરે છે ત્યારે સમસ્યાઓ સમસ્યા જેવી નથી લાગતી. અવલોકન કરો કે કેવી રીતે એક બાળક જ્યારે તેના પિતા તેનું સાંભળતા નથી ત્યારે કુશળતાથી તેમને સાંભળતા કરી દે છે અને પોતાનું ઈચ્છિત કરાવે છે.

માની લો કે કોઈ કુશળતા નથી.તો કોઈ શાંત સ્વભાવની વ્યક્તિને યાદ કરો, એવી વ્યક્તિ કે જેને જોતાં તમે ખુશ થાવ છો.જ્યારે આપણે દુખી અને ગુસ્સામાં હોય એવી અથવા આપણા જેવી જ ચિંતામાં હોય એવી વ્યક્તિને યાદ કરીએ છીએ ત્યારે આપણે એ પ્રકારના સ્પંદનો ઝીલીએ છીએ અને આપણી સમસ્યાઓ વિશે વધારે ચિંતિત થઈએ છીએ. માટે જ કહેવાય છે કે- ‘પ્રસન્ન વદનમ્ ધ્યાયેત,સર્વ વિઘ્નોપ શાંતયે’

શાંત અને ખુશમિજાજ લોકોને યાદ કરશો તો વિઘ્નો શમી જશે. તમે ખુશ થતા બાળકોને પણ યાદ કરી શકો છો.માટે જ દરેક પૂજામાં સર્વ પ્રથમ ભગવાન ગણેશજીનું આહ્વાન કરવામાં આવે છે. તે ખુશમિજાજ તરીકે જાણીતા છે. જો તમને તેમનામાં શ્રધ્ધા હોય તો તેમને યાદ કરો. નહીંતર તમે શાંત મનવાળા કોઈને પણ યાદ કરો.

જ્યારે નદીના માર્ગમાં પથ્થરો હોય છે ત્યારે નદી વહેવાનું બંધ કરીને ચિંતા કરવા નથી માંડતી. તે તેમના પરથી વહે છે. તે તેના માર્ગમાં આવતા ખડકો પરથી ખળખળ વહે છે ત્યારે વધારે સુંદર લાગે છે. જ્યારે બધું બરોબર હોય અને બધું તમારી અનુકૂળતા પ્રમાણે થતું હોય ત્યારે હસવું એમાં કોઈ વિશિષ્ટતા નથી. પરંતુ જો તમે તમારામાંનું શૌર્ય જાગૃત કરો અને કહો કે,”ગમે તે થાય પણ હું હસતો રહીશ”,તો તમે જોશો કે તમારી પોતાની અંદરથી પુષ્કળ ઊર્જા ઉદ્ભવે છે. અને સમસ્યાનું કોઈ મહત્વ રહેતું નથી; તે બસ આવે છે અને જતી રહે છે.

જીવનનો સમગ્રપણે સ્વીકાર કરો. કેટલાક સારા તો કેટલાક નરસા અનુભવો-એ બધા આવે અને પછી જતા રહે. એ વિશ્વાસ રાખીને આગળ ધપો કે, ‘મને બધા આશીર્વાદ મળતા રહે છે, મારા પર કૃપા વરસી રહી છે,જે શ્રેષ્ઠ છે તે જ મારી સાથે થશે.’

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ UNમાં પસારઃ 153 દેશોનું તરફેણમાં મતદાન

જિનિવાઃ  સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીએ મંગળવારે ભારે બહુમતથી એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં ગાઝામાં યુદ્ધવિરામની માગ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના બધા 193 સભ્ય રાષ્ટ્રોમાંથી આ પ્રસ્તાવની તરફેણમાં 153 મત આપ્યા હતા, એમાં ભારત પણ સામેલ રહ્યું હતું. જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ સહિત 10 દેશોએ વિરોધમાં મતદાન કર્યું હતું, જ્યારે 23 દેશોએ મતદાન નહોતું કર્યું.

 જોકે હમાસ આતંકવાદી ગ્રુપે ગાઝામાં ભીષણ યુદ્ધમાં તત્કાળ યુદ્ધવિરામના UNના આહવાનનું સ્વાગત કર્યું હતું. એસેમ્બલીમાં મતદાન વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે જવાબદાર સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામ માટે આહવાનમાં નિષ્ફળ રહ્યા બાદ મતદાન થયું છે. ઇઝરાયેલના સૌથી શક્તિશાળી સહયોગી અને સુરક્ષા પરિષદના માત્ર પાંચ સ્થાયી સભ્યોમાંના એક અમેરિકાએ યુદ્ધવિરામ માટે વીટોનો ઉપયોગ કર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં ઇજિપ્તના એમ્બેસેડર ઓસામા મહેમૂદ અબ્લેલખલેક મહમૂદે મતદાનથી પહેલાં ઇઝરાયેલને કવર કરવા માટે વોશિંગ્ટનના પ્રયાસોને લઈને કહ્યું હતું કે બંને વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી UN પરિષદે બોલવામાં એક મહિનાથી વધુનો સમય લાગ્યો છે અને એણે નબળાઓની સાથે આવું કર્યું છે. ચાર અસ્વીકાર પછી માનવીય વિરામ માટે આહવાન કરવામાં આવ્યું છે. આ દુખદ પ્રયાસના બેવડા માપંદડો છે.

બીજી બાજુ, પેલેસ્ટાઇન લોકોની વિરુદ્ધ નરસંહાર અને યુદ્ધની પણ હમાસે નિંદા કરી છે. ઇઝરાયેલના બોમ્બમારાના હુમલામાં 18,400થી વધુ પેલેસ્ટાઇન લોકોનાં મોત અત્યાર સુધી થયાં છે.

 

 

 

 

 

ચારધામ ક્ષેત્રમાં હિમવર્ષા; કેદારનાથમાં તાપમાન માઈનસ 7

દેહરાદૂનઃ ઉત્તરાખંડ રાજ્યના પવિત્ર એવા ચારધામ ક્ષેત્રમાં શિયાળો ખૂબ જ તીવ્ર બન્યો છે. પહાડો પર જોરદાર બરફવર્ષા થઈ રહી છે. આને કારણે મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજાવી દે એવી ઠંડી પડી રહી છે. આખો દિવસ જોરદાર ઠંડી પડે છે. મેદાન વિસ્તારોમાં દિવસના ભાગમાં ક્યારેક તડકો નીકળે છે, પણ વહેલી સવારે અને સાંજે ધૂમ્મસ છવાઈ જાય છે.

ચારધામ ક્ષેત્રમાં ગઈ કાલથી હિમવર્ષા થઈ રહી છે. ફૂલોં કી ઘાટી, હેમકુંડ સાહિબ, તુંગનાથ, મદ્મહેશ્વર, હર્ષલ, ઉત્તરકાશી, ઔલી આ તમામ વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા છે. પહાડી વિસ્તારોમાં વરસાદ પડવાની પણ હવામાન વિભાગની આગાહી છે. કેદારનાથ ધામમાં તો તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ગંગોત્રી, યમુનોત્રીમાં પણ પારો ઝીરોથી નીચે ગયો છે. નીચલા વિસ્તારોમાં વાદળો છવાઈ જવાને કારણે કાતિલ ઠંડી પડે છે.

સંસદભવનની બહાર બે દેખાવકારની ધરપકડ

નવી દિલ્હીઃ આજે લોકસભામાં મુલાકાતીઓની ગેલરીમાંથી કૂદીને બે શખ્સે સ્પીકરના મંચ પાસે પહોંચીને પીળા રંગનો ધૂમાડો છોડનાર સ્મોક સ્ટિક ફેંકી ફેંક્યાની અમુક જ મિનિટો બાદ સંસદભવનની બહાર, ટ્રાન્સપોર્ટ ભવનની નજીક પોલીસે બીજા બે જણની ધરપકડ કરી હતી. આમાં એક પુરુષ છે અને એક મહિલા છે. આ બંને જણ નારા લગાવતા હતાઃ ‘સરમુખત્યારશાહી, મહિલાઓ વિરુદ્ધ ગુનાઓને સાંખી નહીં લેવાય.’

મહિલા દેખાવકારને 42 વર્ષીય નીલમ અને પુરુષ દેખાવકારને 25 વર્ષીય અમોલ શિંદે તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. મહિલા હરિયાણાના હિસ્સારની વતની છે જ્યારે પુરુષ દેખાવકાર મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે.

આ બંને જણ રંગીન ધૂમાડો છોડીને વિરોધ દર્શાવતા હતા. આ બંનેની ધરપકડ વખતે સાગર નામના શખ્સે લોકસભાની અંદર સ્મોક સ્ટીક ફેંકી હતી જેમાંથી રંગીન ધૂમાડો છૂટ્યો હતો.

સંસદ પર હુમલાની વરસીએ લોકસભાની સુરક્ષામાં છીંડાં

નવી દિલ્હીઃ સંસદ પર હુમલાની 22મી વરસીના દિને સંસદની સુરક્ષામાં ભારે ચૂક થઈ છે. લોકસભામાં બે લોકો દર્શક ગેલેરીથી કૂદી પડ્યા હતા અને તેમણે યલો ગેસ છોડ્યો હતો, જ્યારે સંસદ ભવનની બહાર પણ બે લોકોએ ધુમાડો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે આ ઘટનાની તપાસ થઈ રહી છે. બંને યુવકોને પકડી લેવામાં આવ્યા છે અને તેમની પાસેની સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે સંસદની બહાર ઘટનાને અંજામ આપતાં એક મહિલા અને યુવકની પણ દિલ્હી પોલીસે હિરાસતમાં લઈ લીધા છે., જ્યારે અંદરવાળા શખસને સંસદની સિક્યોરિટીએ પકડી લીધા હતા. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

 આ શખસોએ ફ્લોરોસેન્ટ ગેસનો છંટકાવ કર્યો હતો. ભાજપના સાંસદ સત્યપાલ સિંહને કહ્યું હતું કે લોકસભામાં શૂન્યકાળની કાર્યવાહી દરમ્યાન અચાનક બે યુવકો વિઝિટર્સ ગેલેરીમાંથી નીચે કૂદી ગયા હતા. તેમણે પીળી ગેસ છોડ્યો હતો.

સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને વેલમાં ઘસી ગયા હતા. આ કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

આ બાદ સાંસદોએ તેને પકડી લીધા હતા અને બાદમાં સુરક્ષા કર્મચારી તેને બહાર લઈ ગયા હતા. આ કારણે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

 

 

 

 

 

‘સિંઘમ’ ફિલ્મના કલાકાર રવિન્દ્ર બેર્ડેનું મુંબઈમાં હાર્ટએટેકથી અવસાન

મુંબઈઃ હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા કલાકાર રવિન્દ્ર બેર્ડેનું આજે સવારે અહીં અવસાન થયું છે. એમને ગળાનું કેન્સર હતું અને એ માટે તેઓ ટાટા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. એમને બે દિવસ પહેલાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે હાર્ટ એટેક આવતાં એમનં નિધન થયું હતું. તેઓ 78 વર્ષના હતા.

રવિન્દ્ર બેર્ડેએ 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. અજય દેવગન અભિનીત ‘સિંઘમ’ ફિલ્મમાં એમણે જમીનદાર ચંદ્રકાંતની ભૂમિકા ભજવી હતી. 2001માં અનિલ કપૂર અભિનીત ‘નાયકઃ ધ રીયલ હીરો’ ફિલ્મમાં પણ એમણે કરેલા અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. રવિન્દ્ર બેર્ડે મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં વધારે જાણીતા હતા. ત્યાં એમની ફિલ્મી કારકિર્દી 6 દાયકા લાંબી રહી હતી.

રવિન્દ્ર બેર્ડેના પરિવારમાં એમના પત્ની, બે સંતાન, પુત્રવધૂ અને પૌત્ર છે. તેઓ જાણીતા અભિનેતા સ્વ. લક્ષ્મીકાંત બેર્ડેના ભાઈ હતા.

આ છે ગુજરાતનું એકમાત્ર ગાય બજાર!

રાજય સહિત દેશભરમાં જુદી-જુદી જાતના પ્રાણીઓ અને પક્ષીઓના બજાર ભરાય છે. જેમાં વ્યક્તિ દામ આપી ઉચ્ચ કોટીના જાનવરોની ખરીદી કરે છે. ગધેડાઓથી લઈને ઘોડા સુધી અનેક જાનવરોની બોલી પણ લાગે છે. જોકે આજે આપણે વાત કઈંક જુદી જ કરવાની છે. અહીં અમે તમને ગાયોના બજારમાં લટાર મારવા લઈ જઈશું.

જી, હા ગુજરાતમાં એક એવી પણ જગ્યા છે જ્યાં ગાયોનું બજાર ભરાય છે. મજાની વાત એ છે કે અહીં વેચાણ માટે લવાતી ગાયો મોટાભાગે પંજાબથી આવે છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની ગાયો જોવા મળે છે. જેમાં કાંકરેજ, ગીર અને ડાંગી નસલની ગાયો જોવા મળે અને સંવર્ધન પણ થાય. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્યની ગીર સહિતની ઉત્કૃષ્ટ ગાયો બહારના રાજ્યો અને દેશોમાં ઉછેર વેપાર થઈ રહ્યો છે. જ્યારે બહારના રાજ્યો અને દેશોની મિક્સ બ્રીડ, જર્સી, એચ એફ, સાયવાલ પાકિસ્તાની જેવી અનેક ગાયોનું ધૂમ વેચાણ ગુજરાતમાં થઈ રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અરવલ્લી જિલ્લાના બાયડના મુખ્ય માર્ગ ઉપર પંજાબથી લાવવામાં આવતી ગાયોનું વેચાણ વધ્યુ છે.

પંજાબથી જુદી જુદી નસલની ગાયો લાવવામાં આવે છે. જેના વેચાણ અને ઉછેર જાળવણી માટે મોટી સંખ્યામાં બિહાર પ્રાંતના લોકો અહીં જોવા મળે છે. બાયડ જતા માર્ગ પર બંન્ને તરફ વિશાળ ટેન્ટની આસપાસ નાની મોટી વિવિધ જાતની ગાયોનું બજાર લાગ્યુ છે. પંજાબથી આવતી ગાયોના વેચાણને કારણે આસપાસના ગામડાંઓમાં એચ એફ, જર્સી, મિક્સ બ્રીડની ગાયોની વધતી સંખ્યા ઉડીને આંખે વળગે એવી છે.

મૂળ પંજાબ અમૃતસરના અને હાલમાં બાયડમાં ગાયોનું વેચાણ કરતા કસ્તુરીલાલ શર્મા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, હું 1983માં ગાયોનું વેચાણ કરવા અર્થે ગુજરાતમાં આવ્યો હતો. ત્યારથી અહીં જ વસી ગયો છું. પરિવારને મળવા ક્યારેક ક્યારેક અમૃતસર જવાનું થાય છે. હકીકતમાં ગાયોનું બજાર પહેલા માણસા, આણંદ, પણસોરા, બાપુદરા અને કપવંજમાં ભરાતું હતુ. પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી અમે બાયડમાં જ વેચાણ કરીએ છીએ.
વધુમાં કસ્તુરીલાલ કહે છે, વર્ષ દરમિયાન મે અને જૂન બે મહિના દરમિયાન આ બજાર બંધ રહે છે બાકી દસ મહિના માર્કેટ ધમધમે છે. આસપાસના ગામના લોકો ઉપરાંત ગુજરાતભરમાંથી લોકો ઉચ્ચ નસલની ગાયો લેવા માટે આ માર્કેટમાં આવે છે.

જ્યારે 1987થી આ માર્કેટમાં કસ્તુરીલાલની સાથે ગાયોનું વેચાણ કરતા બિહારના બિટ્ટુભાઈ યાદવ ચિત્રલેખા.કોમને કહે છે.. ગીરથી લઈને પાકિસ્તાનની ખાસ કહેવાતી સાયવાલ ગાય આ બજારમાં મળી રહે છે. નાનામાં નાની ગાય રોજનું 8થી 10 લીટર દૂધ આપે છે. જ્યારે મોટી ગાયો 15 લીટર સુધી રોજનું દૂધ આપે છે.

નવાઈની વાત તો એ છે કે આ બજારમાં બધી જ ગાયો પંજાબથી લાવવામાં આવે છે. એટલુ જ નહીં અહીં ગાયોનું વેચાણ કરનાર વેપારીઓ મોટાભાગે બિહારના કે પંજાબના જ છે. જયારે ગાયોની ખરીદી કરનાર ગુજરાતી.

છેલ્લા 15 વર્ષથી આ માર્કેટમાં ગાયો લઈને આવતા ગુડ્ડુકુમાર યાદવ ચિત્રલેખા.કોમને કહે છે, અહીંની બધી જ ગાયો પંજાબના ગંગાનગરમાંથી લાવવામાં આવે છે. 45 હજારથી લઈને 90 હજાર અને ક્યારેક ખરીદદાર સારો હોય તો ઉંચી નસલની ગાયના લાખ રૂપિયા પણ મળી રહે છે. હું દસ મહિના ગુજરાતમાં આવીને ગાયોનું વેચાણ કરું છુ અને બે મહિના પરિવાર પાસે બિહાર જવુ છુ. પરત ફરતા પંજાબથી ગાયો લઈને આવુ છું.

અરવલ્લી જિલ્લાના બાયડ આસપાસના વિસ્તારમાં જ્યારે ખેતીમાંથી ઉપજ નહોતી થતી ત્યારે પશુપાલને જ પરિવારોને સહારો આપ્યો હતો. હાલ ગામડાંઓમાં ઠેર ઠેર ગાયોનું સંવર્ધન થતું જોવા મળે છે.

(હેતલ રાવ)

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

હાઇકોર્ટે રખડતા ઢોરોનાં મોત મામલે સરકારને ફટકાર લગાવી

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોરના અને બિસ્માર રસ્તાઓ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નિર્દોષ પશુઓના મૃત્યુ બાબતે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. એ સાથે જ નડિયાદ અને અમદાવાદમાં ગાયોનાં મોતના મુદ્દા અંગે પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લેતાં ચિંતા વ્યક્ત કરી હતી.

રાજ્યભરમાં રખડતાં ઢોર અને બિસ્માર રોડ રસ્તા મામલે થયેલી જાહેર હિતની અરજી પર આજે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીની શરૂઆત દરમિયાન નિર્દોષ પશુઓનાં મોત મામલે હાઇકોર્ટ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. જેમાં હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે કે માણસોના સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓનાં મોત ચલાવી લેવાશે નહીં.

નડિયાદ અને અમદાવાદમાં ગાયોનાં મોતના મુદ્દાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે, જેમાં ઢોર વાડાઓમાં પશુઓને રાખવાની ક્ષમતા ઉપરાંત તેમને અપાતા ચારા અને મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની વિગતો તાત્કાલિક ધોરણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મગાવવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર ઉપરાંત નડિયાદ કલેકટર અને જવાબદાર પક્ષકારોને આ તમામ મુદ્દે 24 કલાક એટલે કે એક જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે અને આ મામલે હવે હાઇકોર્ટમાં વિગતવાર સુનવણી હાથ ધરાશે.

હાઇકોર્ટ દ્વારા કડક ટકોર બાદ રાજ્યભરમાં રખડતા ઢોરને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં પશુઓનાં મોત થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. આજની સુનાવણી દરમિયાન પશુમાલિકો દ્વારા ઢોરના મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને જે બાદ હાઇકોર્ટ આ મામલે વિગતવાર અહેવાલ મગાવ્યો છે.

 

 

 

એવિયેશન મંત્રી સિંધિયાનો એરલાઇન્સ કંપનીઓને વાજબી ભાડાં રાખવા નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કામકાજ અને ગ્રાહકોને લગતી સેવાઓથી સંબંધિત મુદ્દાઓના સમાધાન માટે એરલાઇન ઉદ્યોગના મુખ્ય પ્રતિનિધિઓની સાથે સલાહકાર ગ્રુપની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકનું પ્રાથમિક ફોકસ પ્રત્યેક એરલાઇન માટે ઓન-ટાઇમ પ્રદર્શન (OTP)માં સુધારો કરવાનો હતો.

સિંધિયાએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને VFR- સુસજ્જિત (વિઝ્યુઅલ ફ્લાઇટ રુલ્સ) એરપોર્ટો પર ટેક્નિકલ વિશિષ્ટતાઓનું પુનર્મૂલ્યાંકન કરવાના નિર્દેશ આપ્યા હતા, જેનો ઉદ્દેશ એરલાઇન્સના OTPને વધારવાનો અને પેસેન્જરો માટે વધુ કુશળ પ્રવાસનો અનુભવ કરાવવાનો હતો. તેમણે OTPની તપાસ કરવા સિવાય પ્રત્યેક એરલાઇન દ્વારા કાર્યાન્વિત ફ્લાઇટ્સના ભાડા સંબંધિત સ્વ-નિગરાની તંત્ર પર ચર્ચા કરી હતી. તેમણે એરલાઇન્સને વિશિષ્ટ માર્ગો પર વાજબી ભાડાં જાળવી રાખવાનો આગ્રહ કર્યો હતો.

એક અધિકારીએ કહ્યું હતું કે DGCA ટેરિફ મોનિટરિંગ યુનિટને પસંદગીના માર્ગો પર ફ્લાઇટ્સના ભાડાં પર નિયમિત દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. સિંધિયાએ ટિયર 2 અને ટિયર 3 શહેરો અને આંતરરાષ્ટ્રીય સ્થાનો વચ્ચે કનેક્ટિવિટી વધારવાની દ્રષ્ટિએ એરલાઇન્સને આગામી છ મહિનાઓમાં યોજનાઓ શરૂ કરવા આહવાન કર્યું હતું. તેમણે પોઇન્ટ-ટુ-પોઇન્ટ સીધી ક્નેક્ટિવિટીને પ્રાથમિકતા આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે એરલાઇન્સને પહોળી બોડી અને નેરો બોડી- લાંબા અંતર માટેનાં વિમાનોનો ઉપયોગ કરવા પર ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહિત કરી હતી. તેમણે એરોસ્પેસ નિર્માતાઓ અને MROના સલાહકાર ગ્રુપથી પણ મુલાકાત કરી હતી અને નિયામકના મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો હતો.