Home Blog Page 2292

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૯ નવેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૯ નવેમ્બર, ૨૦૨૩

CMનું જાપાનના રોકાણકારોને વાઇબ્રન્‍ટ સમિટમાં જોડાવા નિમંત્રણ

અમદાવાદઃ વડા પ્રધાન મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી, ૨૦૨૪માં યોજાઈ રહેલી ૧૦મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગિતા પ્રેરિત કરવા મુખ્ય મંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઇલેવલ ડેલિગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે. મુખ્ય મંત્રીએ આ સંદર્ભે જાપાનના ૨૦૦થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ-શોમાં કરી હતી.

મુખ્ય મંત્રીએ ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ, પ્રો-એક્ટિવ અપ્રોચ, પ્રોત્સાહક અભિગમવાળા રાજ્ય તરીકેની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતાં જાપાનીઝ ઉદ્યોગ રોકાણકારોને વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું. વિકસિત ભારત@૨૦૪૭ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને જાપાનના ઉદ્યોગ રોકાણકારોની સહભાગિતા પણ તેમાં જોડાશે.

ભારત અને જાપાન બેઉ દેશો માનવતા અને આધુનિકતાના સિદ્ધાંતમાં માને છે. એટલું જ નહીં, ગુજરાતે તો વિકાસના રોલ મોડલ અને પોલિસી ડ્રિવન સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે G20ની સફળ પ્રેસિડેન્સીથી ક્લાયમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા સામે ગ્રીનર સસ્ટેઇનેબલ ફ્યુચરનો રોડ મેપ આપ્યો છે. વડા પ્રધાનની વિઝનરી લીડરશિપમાં લેવાયેલા ઇનિશિયેટિવ્ઝને કારણે ભારત આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહ્યું છે અને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે.

તેમણે કહ્યું હતું કે  ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે આગામી વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત આ નવા ઊભરતા ક્ષેત્રમાં લીડ લેવા સજ્જ છે.

 

 

 

 

 

 

 

વોલ્માર્ટે ચીન કરતાં ભારતમાંથી આયાત વધારી; એને માલ સસ્તો પડે છે

ન્યૂયોર્કઃ વિશ્વની સૌથી મોટી રીટેલ કંપની વોલ્માર્ટે ભારતમાંથી વધારે માલની અમેરિકામાં આયાત કરવાનું નક્કી કર્યું છે. આમ કરીને આ અમેરિકન કંપનીએ ચીન ઉપર પોતાની નિર્ભરતાને ઘટાડી દીધી છે. વોલ્માર્ટે આ નિર્ણય ખર્ચમાં કાપ મૂકવા અને સપ્લાઈ ચેનમાં વિવિધતા લાવવા માટે લીધો છે.  ભારતમાંથી આયાત કરેલો માલ એને ચીન કરતાં સસ્તો પડ્યો છે.

વોલ્માર્ટે આ વર્ષના જાન્યુઆરી અને ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં તેની કુલ અમેરિકન આયાતનો એક-ચતુર્થાંશ ભાગ ભારતમાંથી મગાવ્યો હતો. સમાચાર સંસ્થા રોઈટર્સે ડેટા કંપની ઈમ્પોર્ટ યેટી પાસેથી મેળવેલા બિલ ઓફ લેન્ડિંગમાંની વિગતના આધારે આ અહેવાલ આપ્યો છે. 2018માં વોલ્માર્ટે ચીનમાંથી 80 ટકા માલ આયાત કર્યો હતો. આ વર્ષના જાન્યુઆરી-ઓગસ્ટના સમયગાળામાં આ આયાતમાં તેણે 20 ટકાનો કાપ મૂક્યો છે અને ભારતમાં વધારી દીધો છે. આમ છતાં ચીન આજે પણ વોલ્માર્ટના સૌથી મોટા આયાતકાર દેશ તરીકે ચાલુ રહ્યો છે.

અમેરિકા ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરશે, નાસા ચીફની જાહેરાત

અમેરિકા ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરવા તૈયાર છે. ભારતની પ્રથમ મુલાકાતે આવેલા નાસાના વડા બિલ નેલ્સને મંગળવારે આ વાત કહી. નેલ્સનની મુલાકાત NASA અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાના હેતુથી શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક ચર્ચાઓને ચિહ્નિત કરશે. નેલ્સને X પર એક પોસ્ટમાં લખ્યું, ભારતમાં ટચડાઉન… ISRO સાથે નાસાની ભાગીદારીને વધારવા માટે એક સપ્તાહની રોમાંચક મીટિંગ્સ અને ઇવેન્ટ્સની રાહ જોઈ રહ્યા છીએ. ભારત અવકાશમાં અગ્રેસર છે અને અમે અર્થપૂર્ણ પ્રવાસની રાહ જોઈ રહ્યા છીએ. મીડિયા સાથે વાત કરતા તેમણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા બદલ ભારતને અભિનંદન આપ્યા અને કહ્યું કે ‘અમેરિકા 2024માં દક્ષિણ ધ્રુવ પર ખાનગી લેન્ડર મોકલશે, પરંતુ ભારત પહેલેથી જ તે કરી ચૂક્યું છે’.

સ્પેસ સ્ટેશન બનાવવાના ભારતના વિઝનમાં મદદ કરશે

તેમણે કહ્યું કે ભારત નાસા માટે એક મહાન ભાગીદાર છે અને યુએસ સ્પેસ એજન્સી 2040 સુધીમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાના ભારતના વિઝનમાં મદદ કરશે. નેલ્સને જણાવ્યું હતું કે, વાણિજ્યિક અવકાશ મથકો ફાર્માસ્યુટિકલ સંશોધન સહિત શૂન્ય ગુરુત્વાકર્ષણમાં સંશોધન માટે ઘણા માર્ગો ખોલી શકે છે. જો ભારત ઈચ્છે તો અમે સહયોગ કરી શકીએ છીએ અને અમારા અનુભવને શેર કરી શકીએ છીએ.

NISAR 2024 માં લોન્ચ કરવામાં આવશે

નેલ્સન બેંગલુરુમાં NISAR અવકાશયાન સુવિધાઓની મુલાકાત લે તેવી અપેક્ષા છે, જે પૃથ્વી અવલોકન મિશન માટે હાર્ડવેર વિકાસ પર NASA અને ISTO વચ્ચે પ્રથમ સહયોગ પહેલ છે. NISAR (NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર) 2024 માં લોન્ચ કરવામાં આવશે, તે પૃથ્વીની ઇકોસિસ્ટમ્સ, કુદરતી જોખમો અને આબોહવા પરિવર્તનના વિવિધ પાસાઓને સમજવા માટે મહત્વપૂર્ણ છે.

ભારત આવતા વર્ષે અવકાશયાત્રી પણ મોકલશે

નાસા 2024માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવા માટે ભારતીય અવકાશયાત્રીને પણ તાલીમ આપશે. નાસાના વડા સ્પેસ સેક્ટરમાં કામ કરતી ભારતીય ખાનગી કંપનીઓ, વિદ્યાર્થીઓને પણ મળવાની અને STEM વિશે ચર્ચા કરે તેવી અપેક્ષા છે, જેથી અવકાશ સંશોધકોની આગામી પેઢીને પ્રેરણા મળે. જેને આર્ટેમિસ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે.

‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’માં કલાકારો દ્વારા પાવર-પેક્ડ પર્ફોર્મન્સ

અમદાવાદઃ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવારના UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ની પાંચમી આવૃતિનો 24મી નવેમ્બરથી અમદાવાદમાં પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ 10મી ડિસેમ્બર, 2023 સુધી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં યોજવામાં આવશે. અમદાવાદમાં ચાર સફળ આવૃત્તિઓ પૂર્ણ કર્યા પછી ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ની આ પાંચમી આવૃત્તિમાં કલા, નૃત્ય, સંગીત, થિયેટર અને વિઝ્યુઅલ આર્ટ્સના ક્ષેત્રનાં જાણીતાં નામો અને આશાસ્પદ પ્રતિભાઓ દ્વારા પાવર-પેક્ડ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે.

અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, સ્થાપન અને થિયેટરથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની કલાને લોકો સુધી પહોંચાડવાનો છે.

‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’ એ ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સ્થાપિત UNM ફાઉન્ડેશનની એક પહેલ છે, જેમાં અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઊભરતી પ્રતિભાઓની ઓળખ કરવી તેમને સમર્થન આપવું અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે.

અભિવ્યક્તિના આ 15 દિવસના આર્ટ ફેસ્ટિવલમાં કલારસિકો પાસે પ્રતિભાશાળી કલાકારો દ્વારા પ્રસ્તુત નૃત્ય, સંગીત અને થિયેટર જેવા વિવિધ કલા સ્વરૂપોમાંથી પોતાની પસંદગીની કલા માણવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. એ સાથે જ વિચાર પ્રેરક વાર્તાઓમાં આત્મખોજ કરવાનો અને વિવિધ વર્કશોપમાં હાજરી આપવાના વિકલ્પો ઉપલબ્ધ છે.

અમદાવાદમાં ચાર સફળ આવૃત્તિઓ પૂર્ણ કર્યા પછી ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ’ની આ પાંચમી આવૃત્તિમાં કલા, નૃત્ય, સંગીત, થિયેટર અને વિઝ્યુઅલ આર્ટ્સના ક્ષેત્રનાં જાણીતાં નામો અને આશાસ્પદ પ્રતિભાઓ દ્વારા પાવર-પેક્ડ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે.

અભિવ્યક્તિની 5મી આવૃત્તિમાં 43 કલાકારો અને પ્રસ્તુતકર્તાઓ સ્ટેજ પર પદાર્પણ કરી રહ્યા છે. પાંચમી આવૃત્તિ માટે પણ કલાકારો તરફથી ખૂબ જ ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે, જેના પરિણામે ગુજરાત સહિત ભારતભરમાંથી 775થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે.

 આ કાર્યક્રમ વિવિધ સંવેદનાને આપણી સામે લાવશે, જે માનવ સંવેદનાની વાર્તાઓ સ્વરૂપે આપણી સામે એક મંચ ઉપર રજૂ થશે. ચારેય કલા સેગમેન્ટ – વિઝ્યુયલ આર્ટ, મ્યુઝિક, ડાન્સ અને થિયેટર સાથે સંકળાયેલા 87 કલાકારોને એક પખવાડિયા સુધી હોસ્ટ કરશે અને અગાઉ ક્યારેય ન થઈ હોય તેવી કલાની સાધના રજૂ કરશે.

દરેક વાર્તા એક અનન્ય પ્રતિબિંબ છે કે જે આપણેને વ્યક્તિગત અને સામૂહિક રીતે આપણે કોણ છીએ તે સમજાવશે. તે આપણા અનુભવો, માન્યતાઓ અને મૂલ્યોની જટિલતાઓની એક ઝલક તથા વિવિધતામાં એક્તાની સુંદરતાને રજૂ કરે છે અને આપણી દુનિયાને સમૃદ્ધ બનાવનાર અસંખ્ય દ્રષ્ટિકોણની ઉજવણી કરે છે. વાર્તાઓમાં સમાયેલાં અનેક સ્વરૂપો માનવતાના જટિલ સ્તરોને ઉજાગર કરે છે, એમ UNM ફાઉન્ડેશનનાં ડિરેક્ટર સપના મહેતાએ જણાવ્યું હતું.

અભિવ્યક્તિ ફેસ્ટિવલમાં પ્રેક્ષકો વહેલા તે પહેલાના ધોરણે ફ્રી પ્રવેશ મેળવી શકે છે. અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટમાં તમામ સ્તરના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે.

 

 

 

મોદીના જીવન-વિઝન ઉપર કલાકૃતિ પ્રદર્શન યોજાશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને દ્રષ્ટિ વિશે દેશ-વિદેશના લોકોને ચિત્રો- શિલ્પના માધ્યમથી માહિતગાર કરવાના આશયે “મોદી@20” નામે એક વિશાળ કલા પ્રદર્શન શુક્રવારે, પહેલી ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી રાજધાની નવી દિલ્હીમાં રવીન્દ્ર ભવન મંડી હાઉસ સ્થિત લલિત કલા અકાદમીમાં યોજાઈ રહ્યું છે.

આ દેશવ્યાપી રાષ્ટ્રીય કલા પ્રદર્શનમાં વડા પ્રધાન મોદીના જીવન, કાર્ય અને દૂરદ્રષ્ટિને ચિત્રિત કરતાં ચિત્રો અને શિલ્પકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ કલાકૃતિઓ દેશનાં વિવિધ રાજ્યોના બસોથી વધુ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. આ ભવ્ય પ્રદર્શનમાં દેશના પીઢ નામાંકિત અને અગ્રણી તથા યુવા નવોદિત કલાકારો ભાગ લઈ રહ્યા છે.

ગુજરાતમાંથી ભાવના રાજપૂત, ડો. પૂજા અસ્નાની, ખુશ્બૂ પટેલ, નીલેશ સિધપુરા, રાજેન્દ્ર શ્રીમાળી અને રાજેશ વી. બારૈયા – એમ છ કલાકારોની કૃતિઓ આ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવી છે. સુભદ્રા આર્ટ ગેલેરી જે સુભદ્રા ટ્રસ્ટનું એક એકમ છે એમણે ખાનગી ક્ષેત્રો વ્યવસાયિક ક્ષેત્રો રાજ્યો અને કેન્દ્ર સરકારના સક્રિય સહયોગ દ્વારા આ આયોજનની આગેવાની કરી છે. આ વિશાળ પ્રદર્શનને રંગટા આર્ટ્સ સહિત અનેક એકમોનો સહકાર મળ્યો છે.

દિલ્હીનાં જાણીતા ચિત્રકાર અને આ અવસરનાં સંયોજક મધુ ધીરે જણાવ્યું છે કે “મોદી એટ ટવેન્ટી” શીર્ષક હેઠળ સુભદ્રા આર્ટ ગેલેરી દ્વારા આ અગાઉ ઓડિશામાં ભુવનેશ્વર, ઇશાન પ્રાંતમાં ગુવાહાટી, માંડ્ય પ્રદેશમાં ભોપાલ, મહારાષ્ટ્રમાં નાગપુર, ઉત્તર પ્રદેશમાં વારાણસી તેમ જ ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા વગેરે સ્થળોએ સ્થાનિક આર્ટ ગેલેરીઓ અને સંસ્થાઓના સહયોગથી આવાં ત્રિ-દિવસીય પ્રદર્શન યોજાઈ ચૂક્યાં છે, જેને ભારે પ્રતિસાદ મળ્યો છે.

 

 

 

 

 

 

હરિયાણાના 12 વર્ષના છોકરાએ ‘KBC 15’માં જીત્યું રૂ.1 કરોડનું જેકપોટ

મુંબઈઃ હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢમાં 8મા ધોરણમાં ભણતા છોકરા મયંકે અમિતાભ બચ્ચન દ્વારા સંચાલિત ક્વિઝ-આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ જૂનિયર’માં રૂ. એક કરોડનું ઈનામ જીત્યું છે. આ ગેમ શોમાં આટલું મોટું ઈનામ જીતનાર મયંક સૌથી યુવાન વયનો બાળક બન્યો છે. મયંક 12 વર્ષનો છે. હન્ડાઈ કંપની તરફથી મયંકને એક કાર પણ ઈનામ રૂપે આપવામાં આવી છે.

શો દરમિયાન મયંકની બુદ્ધિપ્રતિભાથી અમિતાભ ખૂબ જ પ્રભાવિત થયા હતા. રૂ. એક કરોડની રકમના ઈનામ માટે અમિતાભે મયંકને સવાલ પૂછ્યો હતોઃ ‘નવા શોધાયેલા ખંડ, જેને ‘અમેરિકા’ નામ આપવામાં આવ્યું હતું, તેના સમાવેશવાળો વિશ્વનો નકશો તૈયાર કરવાની સિદ્ધિ કયા યૂરોપીયન કાર્ટોગ્રાફર (નકશાકાર)ના નામે લખાઈ છે?’

અમિતાભે આ માટે મયંકને આ 4 વિકલ્પ આપ્યા હતાઃ

A: અબ્રાહમ ઓર્ટેલિયસ, B: જેરાર્ડસ મર્કેટર, C: ગિયોવાની બેટિસ્ટા એગ્નેસી અને D: માર્ટિન વોલ્ડસીમ્યૂલર.

મયંકે ‘આસ્ક ધ એક્સપર્ટ’ લાઈફલાઈનનો સહારો લીધો હતો અને સાચો જવાબ આપ્યો હતો ‘માર્ટિન વોલ્ડસીમ્યૂલર’.

એક કરોડનું ઈનામ જીતીને મયંક રડી પડ્યો હતો અને ત્યાં હાજર એના માતાપિતા તથા અમિતાભને ભેટ્યો હતો.

અમિતાભે ત્યારે કહ્યું હતું, ‘દર્શકોને હું જણાવી દઉં કે આ સૌથી યુવાન વયનો કરોડપતિ વિજેતા છે.’

મયંકને બાદમાં અમિતાભે રૂ. સાત કરોડના ઈનામવાળો સવાલ પૂછ્યો હતો.

‘દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે રશિયાએ કયા શહેરને પુરવઠો મોકલવા બદલ સુબેદાર એન.આર. નિક્કમ અને હવાલદાર ગજેન્દ્રસિંહને ‘ઓર્ડર ઓફ ધ રેડ સ્ટાર’ એવોર્ડ આપ્યો હતો?’

તે માટે આ 4 વિકલ્પ આપવામાં આવ્યા હતાઃ

A: તબરીઝ, B: સિડોન, C: બતુમી અને D: અલમટ્ટી.

પરંતુ મયંકે ગેમ શોને ક્વિટ કરવાનું અને રૂ. 1 કરોડનું ઈનામ લેવાનું પસંદ કર્યું હતું.

આ શો સોની ચેનલ પર પ્રસારિત કરવામાં આવે છે.

ગિફ્ટ નિફ્ટીમાં ટર્નઓવર 16.76 અબજ $ની ઓલટાઇમ હાઇ સપાટીએ

ગાંધીનગરઃ ભારતીય શેરબજારોમાં ગિફ્ટ નિફ્ટીએ નવો મુકામ હાંસલ કર્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ રેકોર્ડ ટ્રેડિંગ કામકાજ નોંધાયાં છે. ગિફ્ટ નિફ્ટીમાં સૌપ્રથમ વાર 28 નવેમ્બરે ટ્રેડિગ કામકાજ ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યાં હતાં, જેમાં 4,27925 કોન્ટ્રેક્ટ થકી કુલ ટર્નઓવર 16.76 અબજ અમેરિકી ડોલર (રૂ. 1,39,766 કરોડ) નોંધાયાં હતાં અને ઓપન ઇન્ટરેસ્ટ 27 નવેમ્બરના 12.75 અબજની તુલનાએ 28 નવેમ્બરે 13.51 અબજ ડોલરે પહોંચ્યું હતું. આ પહેલાં ગિફ્ટ નિફ્ટીમાં 26 સપ્ટેમ્બરે ટર્નઓવર 15.25 અબજ ડોલર નોંધાયાં હતાં. ગિફ્ટ નિફ્ટી કોન્ટ્રેક્ટમાં આમ સૌપ્રથમ વાર રેકોર્ડ કામકાજ નોંધાયાં હતાં.

ગિફ્ટ નિફ્ટી ત્રીજી જુલાઈ, 2023એ કામગીરીનો પ્રારંભ કર્યા બાદથી NSE IXનું ટ્રેડિંગ ટર્નઓવર સતત વધતું રહ્યું છે. સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી ગિફ્ટ નિફ્ટીમાં કુલ એકત્રિત વોલ્યુમ 78.7 લાખ કોન્ટ્રેક્ટથી થકી ટર્નઓવર 304.07 અબજ અમેરિકી ડોલરે પહોંચ્યું હતું. અમને ગિફ્ટ નિફ્ટીની સફળતા જોઈને ખુશી થઈ રહી છે અને અમે બધા પાર્ટિસિપન્ટોને તેમના જબરબદસ્ત ટેકા અને ગિફ્ટી નિફ્ટીને આટલી ઊંચાઈએ પહોંચાડવા માટે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ, એમ યાદી જણાવે છે.

 

 

 

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ જ રહેશે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના હેડ કોચને લઈને ચાલી રહેલું સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. રાહુલ દ્વવિડ જ ટીમ ઇન્ડિયાના કોચ રહેશે. BCCIએ ચીમ ઇન્ડિયાના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રેક્ટ વધારી દીધો છે. રાહુલ દ્રવિડ હેડ કોચ, વિક્રમ રાઠોડ બેટિંગ કોચ, પારસ મ્હામ્બ્રે –બોલર કોચઅને ટી. દિલીપ ફિલ્ડિંગ કોચ રહશે. વર્લ્ડ કપ 2023ની ફાઇનલ સુધી દ્રવિડની આગેવાવાળા સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પૂરો થયો હતો.

BCCIના એલાન પછી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે દ્રવિડ કોચ તરીકે સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે. ટીમ ત્યાં T20, વનડે અને ટેસ્ટ સિરીઝ રમાવાની છે. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પાંચ મેચોની T20 સિરીઝમાં વીવીએસ લક્ષ્મણ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પહેલાં લક્ષ્મણ ટીમ ઇન્ડિયાનો કોચ બને એવી શક્યતા હતી.

આ પહેલાં આશિષ નેહરાને T20માં કોચ બનવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પણ તેણે ઓફર ફગાવી દીધી હતી. જે પછી BCCIએ રાહુલ દ્રવિડનો કાર્યકાળ વિસ્તારવા માટે સંપર્ક કર્યો હતો. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત આગરકરનું માનવું છે કે દ્રવિડને આગામી T20 વિશ્વ કપ સુધી બની રહેવું જોઈએ.

BCCIના અધ્યક્ષ રોજર બિન્નીએ કહ્યું હતું કે રાહુલ દ્રવિડની દૂરદર્શિતા અને દ્રઢ પ્રયાસ ટીમ ઇન્ડિયાની સફળથામાં મહત્ત્વના સ્તંભ છે. દ્રવિડ માત્ર પડકારોનો સ્વીકાર કરવા માટે જ નહીં બલકે તેનામાં આગળ વધવા માટે પણ પ્રશંસા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના દેખાવ અને માર્ગદર્શન તેનું પ્રમાણ છે. મને ખુશી છે કે તેણે હેડ કોચ તરીકેનો પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે.

 

 

 

 

 

મુંબઈમાં હિન્દૂજા ગ્રુપની ઓફિસો પર આવકવેરા વિભાગ દ્વારા તલાશી કાર્યવાહી

મુંબઈઃ આવકવેરા વિભાગના અધિકારીઓએ હિન્દૂજા ગ્રુપની મુંબઈમાંની ઓફિસો તથા કંપનીના ભારતમાંના બિઝનેસનું સંચાલન કરતા ચેરમેન અશોક હિન્દૂજાના નિવાસસ્થાને તલાશી કાર્યવાહી હાથ ધરી છે. આ સર્ચ કામગીરી જનરલ એન્ટી-અવોઈડન્સ રૂલ્સ સંબંધિત કરચોરી વિશે હાથ ધરવામાં આવેલી તપાસનો એક ભાગ છે. આ કાર્યવાહીમાં કંપનીની મુંબઈ તથા અન્ય શહેરોમાંની ઓફિસોને પણ આવરી લેવામાં આવી છે.

આવકવેરા વિભાગે આજે મુખ્યત્વે હિન્દૂજા ગ્રુપની હિન્દૂજા ગ્લોબલ સોલ્યૂશન્સ કંપનીની ઓફિસો પર સર્ચ કામગીરી હાથ ધરી છે.

1914માં સ્થાપવામાં આવેલું હિન્દૂજા ગ્રુપ મલ્ટીનેશનલ બિઝનેસ સમૂહ છે. તે ઓટોમોટિવ, બેન્કિંગ અને ફાઈનાન્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, મીડિયા, તેલ અને ગેસ, પાવર, રિયલ એસ્ટેટ, હેલ્થકેર સહિત અનેક ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. આ ગ્રુપ ઈન્ડસઈન્ડ બેન્ક, ગલ્ફ ઓઈલ, હિન્દૂજા લેલેન્ડ ફાઈનાન્સ, હિન્દૂજા બેન્ક (સ્વિટ્ઝરલેન્ડ), અશોક લેલેન્ડ સહિતની કંપનીઓમાં મોટો હિસ્સો ધરાવે છે.