Home Blog Page 2303

ચીનના રહસ્યમય રોગને કારણે ભારતમાં એલર્ટ! કેન્દ્ર સરકારે આપી સલાહ

ચીનના લોકો, ખાસ કરીને બાળકોમાં માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસ ઝડપથી નોંધાઈ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. ભારત સરકાર પણ આ અંગે સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કડક સૂચનાઓ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ કહ્યું છે કે સ્વાસ્થ્ય મંત્રાલય ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારીના કેસોમાં વધારા પર નજીકથી નજર રાખી રહ્યું છે.

ઈન્ફલ્યુએન્ઝા અને શિયાળાની ઋતુમાં વધુ સાવચેત રહેવાની સલાહ

પત્રમાં મંત્રાલયે તમામ રાજ્યોને હોસ્પિટલોમાં હાલની આરોગ્ય સેવાઓનું નજીકથી નિરીક્ષણ કરવા માટે વિશેષ સૂચનાઓ આપી છે. આ ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા અને શિયાળાની ઋતુમાં વધુ સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

 

હોસ્પિટલોમાં પથારી, દવાઓ અને અન્યની ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચનાઓ

મંત્રાલયે ખાસ કરીને રાજ્યોને તેમના હોસ્પિટલની તૈયારીના પગલાં જેમ કે હોસ્પિટલના પથારી, ઈન્ફલ્યુએન્ઝા માટે દવાઓ અને રસીઓ, મેડિકલ ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, PPE વગેરેની ઉપલબ્ધતાની તપાસ કરવા જણાવ્યું છે.

સરકાર દરેક પ્રકારની કટોકટીનો સામનો કરવા તૈયાર છે

આ પહેલા મંત્રાલયે કહ્યું હતું કે રહસ્યમય ન્યુમોનિયાથી ભારતને ખતરો ઓછો છે પરંતુ સરકાર દરેક પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર છે. બાળકો અને કિશોરોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારીના તમામ કેસોનું નિરીક્ષણ કરવું જોઈએ. પત્રમાં પેથોજેન્સના પરીક્ષણ માટે ગળાના સ્વેબના નમૂના મોકલવાની જરૂરિયાત પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

કોઈપણ પ્રકારની ચેતવણીના કોઈ કેસ નોંધાયા નથી

મંત્રાલયે એ પણ પુનરોચ્ચાર કર્યો કે હાલમાં કોઈપણ પ્રકારની ચેતવણીનો કોઈ કેસ નથી. વાસ્તવમાં, ચીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ને જાણ કરી છે કે કોઈ નવો રોગાણુ મળ્યો નથી.

ચીનના દક્ષિણ અને ઉત્તરીય પ્રાંતોમાં આવા કેસ વધી રહ્યા છે

દરમિયાન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે (24 નવેમ્બર) એક નિવેદનમાં કહ્યું હતું કે સરકાર ચીનના બાળકોમાં H9N2 ના પ્રકોપ અને તેમના શ્વાસ સંબંધી વિવિધ રોગોની ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહી છે. તેના દક્ષિણ અને ઉત્તરીય પ્રાંતોમાં લોકોમાં, ખાસ કરીને બાળકોમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના વધતા જતા કેસો અંગેની વૈશ્વિક ચિંતાઓ વચ્ચે, ચીને દાવો કર્યો છે કે મોસમી બિમારી સિવાય અન્ય કોઈ અસામાન્ય અથવા નવા રોગકારક કારણ હોવાનું જણાયું નથી.

કેસ વધવાને કારણે ચીનના ઉત્તરીય ભાગમાં શાળાઓ બંધ છે

આ રોગના વધતા જતા પ્રકોપને કારણે ચીનના ઉત્તરીય ભાગમાં શાળાઓ બંધ કરવી પડી છે. ચીનના આરોગ્ય આયોગે જણાવ્યું હતું કે પેથોજેન્સના સંયોજનથી તીવ્ર શ્વસન ચેપમાં વધારો થઈ રહ્યો છે. નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેંગનું કહેવું છે કે ઈન્ફલ્યુએન્ઝા કેસ વધવાનું મુખ્ય કારણ છે. તેમનું કહેવું છે કે રાઈનોવાઈરસ, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસ પણ ફેલાઈ રહ્યા છે.

‘12th ફેલ’ ફિલ્મને ઓસ્કર-2024 માટે સ્વતંત્ર એન્ટ્રી તરીકે મોકલાઈ

મુંબઈઃ બોલીવુડ નિર્માતા-દિગ્દર્શક વિધૂ વિનોદ ચોપરા નિર્મિત નવી હિન્દી ફિલ્મ ‘12th ફેલ’ને 96મા ઓસ્કર એવોર્ડ (2024)માં સ્વતંત્ર નામાંકન તરીકે મોકલવામાં આવી છે. ફિલ્મના અભિનેતા વિક્રાંત મેસ્સીએ આ સમાચારને સમર્થન આપ્યું છે. આ ફિલ્મ ગઈ 27 ઓક્ટોબરે દેશભરમાં થિયેટરોમાં રિલીઝ કરાઈ હતી. આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી અને મેધા શંકરની જોડી છે.

કમલ હાસન, રિષભ શેટ્ટી, સંજય દત્ત, ફરહાન અખ્તર, અનિલ કપૂર તથા બોલીવુડના બીજા ઘણા નામાંકિત વ્યક્તિઓએ આ ફિલ્મની પ્રશંસા કરી છે.

આ ફિલ્મ UPSC (યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષા આપવા ઈચ્છનારાઓ અને સત્યઘટનાઓ પર આધારિત છે. UPSC એન્ટ્રન્સ પરીક્ષા પહેલી જ વાર આપનાર લાખો ઉમેદવાર વિદ્યાર્થીઓને જીવનમાં કેવા સંઘર્ષનો સામનો કરવો પડે છે તે અનુભવો અને ઘટનાઓને ‘12th ફેલ’ ફિલ્મ રૂપે રજૂ કરવામાં આવ્યા છે. વિધૂ વિનોદ ચોપરા હંમેશાં કડવી વાસ્તવિક્તા પર આધારિત ફિલ્મો બનાવતા આવ્યા છે. ‘12th ફેલ’ એવી જ એક છે. એમણે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ દિલ્હીના મુખરજી નગરમાં કર્યું હતું. આ ફિલ્મ 27 ઓક્ટોબરે કંગના રણૌતની ‘તેજસ’ સાથે થિયેટરોમાં રિલીઝ કરાઈ હતી.

UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘અભિવ્યક્તિ’ની 5મી આવૃત્તિની શાનદાર શરૂઆત

અમદાવાદ : અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત UNM ફાઉન્ડેશનની એક પહેલ છે, જેમાં અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી તેમને સમર્થન આપવું અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. અભિવ્યક્તિની પાંચમી આવૃત્તિ 24મી નવેમ્બરથી 10મી ડિસેમ્બર-2023 દરમિયાન અમદાવાદ ખાતે યોજાઈ રહી છે. ટોરેન્ટ ગૃપના UNM ફાઉન્ડેશન દ્વારા આયોજિત અઅભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ કલા રસીકોને એક સ્થળ ઉપર ભારતીય ક્લાસિકલ ફ્યુઝન, કથક,  કન્ટેમ્પરરીથી લઈને સેમી ક્લાસિકલ અને સોલિલોકીઝ થિયેટ્રિકલ પર્ફોર્મન્સ સુધીની વિવિધ કલાઓ અલગ અલગ કલાકારોના માધ્યમથી ઉપલબ્ધ બનાવી રહ્યો છે. 15 દિવસના આ અભિવ્યક્તિ આર્ટ ફેસ્ટિવલમાં કલા રસીકો પાસે પ્રતિભાશાળી કલાકારો દ્વારા પ્રસ્તુત નૃત્ય, સંગીત અને થિયેટર જેવા વિવિધ કલા સ્વરૂપોમાંથી પોતાની પસંદગીની કલા માણવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. સાથે જ વિચાર પ્રેરક વાર્તાઓમાં આત્મખોજ કરવાનો અને વિવિધ વર્કશોપમાં હાજરી આપવાના વિકલ્પો ઉપલબ્ધ છે.

ગુજરાતી ભાષા સહિત્ય, થિયેટર અને ફિલ્મો સાથે જોડાયેલ ભારતીય કવિ, લેખક, નાટ્યકાર, ડાયરેક્ટર અને કલાકાર સૌમ્યા જોશીએ અભિવ્યક્તિ ખાતે ગીત, નાટક અને સ્ક્રીન રાઈટીંગ ઉપર આધારીત એક લેખન વર્કશોપનું આયોજન કર્યું, બે કલાક સુધી ચાલેલ આ વર્કશોપ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ઉપાસના ઇન્ડોર ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.

અનિરુદ્ધ વર્માના નેતૃત્વમાં નવી દિલ્હીના જાણીતા ભારતીય શાસ્ત્રીય ગૃપ અનિરુદ્ધ વર્મા કલેક્ટિવ દ્વારા “ક્લાસિકલ રી-ઇમેજ્ડ” પ્રસ્તુતિ દ્વારા પોતાની વાર્તા રજૂ કરવામાં આવી. આ સમકાલીન અને આધુનિક દ્રષ્ટિકોણથી ભારતીય શાસ્ત્રીય સંગીત હતું. આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય શાસ્ત્રીય સંગીતને તમામ પુષ્ઠભૂમિના શ્રોતાઓ સુધી સુલભ બનાવવાનો અને આ કલાના આ સુંદર સ્વરૂપની પવિત્રતા અને ભાવનાત્મક ગુણવત્તા જાળવી રાખવાનો છે. સાથે જ તેમનો ઉદ્દેશ્ય ક્લાસિકલ મ્યુઝિકને આધુનિક્તા સાથે પરંતુ તેના મુળ સ્વરૂપમાં રજુ કરીને તમામ વર્ગના શ્રોતાઓ માટે ભારતીય ક્લાસિકલ ફ્યુઝન સુલભ બનાવવાનો છે.

કથક નૃત્યાંગના શ્રદ્ધા બ્રહ્મભટ્ટે તેમના અભિનય “હસલી” ના માધ્યમથી યૌન શોષણનો ભોગ બનેલ પીડિતોના આંતરિક સંઘર્ષને રજુ કર્યો. તેમણે પોતાની બે પુત્રીઓ પંખી અને સાથે યૌન શોષણના કેસમાં મૌન તોડવાના મહત્વ પર ભાર મુકવાની સાથે પિડીતોના આંતરરિક ઉથલ પાથલને પડદા ઉપર રજુ કરવાનો પ્રયત્ન કર્યો. જિગ્નેશ બ્રહ્મભટ્ટની 1994 માં લખવામાં આવેલ ગુજરાતી કવિતાથી પ્રેરિત થઈને પ્રોડક્શને સમકાલીન અને શાસ્ત્રીય કથક નૃત્યના માધ્યમથી આ કરુણ વર્ણનને અસરકાર રીતે અભિવ્યક્ત કર્યું.

બહુમુખી પ્રતિભાના ધણી પ્રખ્યાત સાહિત્યકાર કાજલ ઓઝા વૈદ્ય એ પોતાની પ્રસ્તુતિ “સંવાદ જે થયા નહિ” રજુ કરી. અભિવ્યક્તિ સિટી આર્ટસ પ્રોજેક્ટની આ 5મી આવૃત્તિમાં તેમણે ઐતિહાસિક અને સાહિત્યિક પાત્રો વચ્ચે અદ્વિતીય સંવાદ સ્થાપિત કર્યો. આ પ્રસ્તુતિમાં તેમણે કલાપીના જીવનને પ્રતિબિંબિત કરતી શોભના અને રામ, યશોધરાને સિદ્ધાર્થના વણ કહેલા શબ્દો, દ્રોપદીની ઘટના બાદ દુર્યોધન અને ભાનુમનતી વચ્ચે પીડાદાયક સંવાદ, રવીન્દ્રનાથ ટાગોર અને વિક્ટોરિયા ઓકામ્પો વચ્ચેનો ભાવુક પત્રવ્યવહારને ટાગોની યુવાન પત્ની મૃણાલિનીદેવીની મૂંગી વેદના સાથે વિરોધાભાસી રીતે રજુ કર્યો. આ અનન્ય પ્રસ્તુતિ દ્વારા તેમણે ઇતિહાસના તથ્યો અને કલ્પનાને વિચાર-પ્રેરક રીતે વર્ણીને રજુ કરી.

નીલિમા શર્મા, આર્ચિત ભાસ્કર અને સુષ્મેન્દ્રએ તેમનું સમકાલીન નૃત્ય પ્રસ્તુતિ “મેઘ” રજૂ કર્યું, જે લાગણીઓ, વિકલ્પો અને માનવ સ્થિતિસ્થાપકતાની વાર્તા સમાન હતું. આ ત્રીપુટી દ્વારા રજુ કરવામાં આવેલ “મેઘ” પ્રસ્તુતિ અંબર, સાહિલ અને ઈમરોજ નામના ત્રણ પાત્રો વચ્ચેના સબંધોની આજુ બાજુ વણાયેલી હતી. આ પ્રસ્તુતિ પ્રેમની ગૂંચવણો અને આપણા દ્વારા પસંદ કરવામાં આવતા વિકલ્પો ઉપર પ્રકાશ નાંખે છે. આ એક એવી વાર્તા હતી કે જેમાં પાત્રો જીવનની ઉથલ પાથલ વચ્ચે પ્રેમ, લાગણીઓ અને માનવ સંવેદનાને જીવીજાણી શાંતિ પ્રાપ્ત કરે છે.

 

જયપુર અને ગ્વાલિયર રાજઘરાનાની પરંપરા સાથે જોડાયેલ યુવા ગાયક હુલ્લાસ પુરોહિતે પોતાની અર્ધ શાસ્ત્રીય સંગીત પ્રસ્તૃતિ “રેત રાગ” રજુ કરીને રાજસ્થાનના પ્રતિષ્ઠિત લોક સંતોની કાવ્ય રચનાઓને જીવંત કરી. આ મનમોહક પ્રસ્તૃતિમાં તેમણે ગુજરાતમાં જન્મેલ અને પોતાની સંગીત સાધનાથી જયપુર રાજઘરાનાને ગૌરવાન્તિત કરનાર નિર્ગુણ સંત દાદુ દયાલના દુહા રજુ કરી તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. દાદુ દયાલની કવિતાઓ નિર્ગુણ ભક્તિ અને સામાજિક બાબતો પર વ્યાવહારિક ટિપ્પણીના સુમેળભર્યા મિશ્રણ સમાન છે.

 

રુપિન શાહે ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર જયશંકર સુંદરીના જીવનચરિત્ર સમાન સંગીતમય નાટક “રંગ રંગ સુંદરી” રજૂ કર્યું. આ નાટકના માધ્યમથી તેઓ જયશંકર સુંદરીના નામથી ઓળખાતા ગુજરાતી રંગભૂમિના અગ્રણી કલાકાર જશંકર ભોજકની સુંદર યાત્રાને જીવંત કરે છે. બે ગાયકો સાથે તબલા, પખાવજ, હાર્મોનિયમ, સિતાર અને સારંગી જેવા વાદ્યો સાથે લાઈવ સંગીતની આ પ્રસ્તૃતિ “થોડા આંસુ, થોડું ફૂલ” પુસ્તક અને “સૌભાગ્ય સુંદરી”, “જુગલ જુગારી” જેવા નાટકો ઉપર આધારીત છે.

 

નૈનિતાલમાં કાર અકસ્માતનો ભોગ બનેલાને શામીએ બચાવ્યો

નૈનિતાલ (ઉત્તરાખંડ): અહીંના પહાડી વિસ્તારમાં ગઈ કાલે પોતાની નજર સામે એક કારને રસ્તા પરથી સરકીને પહાડી ઝાડી-ઝાંખરામાં ગબડતી જોયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ તરત ત્યાં દોડી જઈને કારમાં ફસાઈ ગયેલા માણસને બચાવી લીધો હતો.

આ અકસ્માતનો એક અન્ય વ્યક્તિએ તેના મોબાઈલ ફોન પર ઉતારેલો વીડિયો શામીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. અકસ્માતનો ભોગ બનેલી કારમાં બેઠેલા માણસનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. તેની કાર રસ્તા પરથી સરકીને પહાડ પરના ઢોળાવ પરથી નીચેની તરફ ગબડવા માંડી હતી, પણ એક ઝાડ વચ્ચે આવી જતાં તે અટકી ગઈ હતી. આ દ્રશ્ય જોતાં જ શમી તરત પોતાની કારમાંથી ઉતરીને અકસ્માતવાળી કાર પાસે ગયો હતો અને અંદર બેઠેલા માણસને સલામત રીતે બહાર કાઢ્યો હતો અને એનો પ્રાથમિક ઉપચાર પણ કર્યો હતો.

શમી નૈનિતાલમાં વેકેશન માણવા આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું છે, ‘કોઈકને બચાવવાનો ખરેખર બહુ જ આનંદ થયો. એ માણસ ખૂબ જ નસીબદાર હતો. ઈશ્વરે એને જીવતદાન આપ્યું છે. એની કાર મારી કારની આગળ જ જતી હતી. નૈનિકાલ નજીક અચાનક એ કાર રસ્તા પરથી સરકીને ઢોળાવમાં ગબડી ગઈ હતી. અમે એ નજરોનજર જોયું અને અમારી કાર રોકીને એને સુરક્ષિત રીતે બચાવી લીધો.’

અનેક ઈન્સ્ટાગ્રામ યૂઝર્સે આ કાર્ય કરવા બદલ શામીની પ્રશંસા કરી છે. એક જણે લખ્યું છે, ‘પિચ પર ભારતીય ટીમને બચાવી અને અહીંયા ભારતીય નાગરિકને.’ બીજા એક યૂઝરે લખ્યું છે, ‘શામી હીરો છે – મેદાનમાં અને મેદાનની બહાર પણ.’

 

વાતાવરણમાં ગજબનો પલટો; સૌરાષ્ટ્રમાં હિમવર્ષા થઈ; રાજકોટ જાણે મનાલી બની ગયું

રાજકોટઃ અમદાવાદ, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં અનેક ઠેકાણે અને મુંબઈમાં આજે સવારે ગાજવીજ, વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ તૂટી પડતાં ગરમીથી પીડાતા લોકોને રાહત થઈ હતી, પણ સૌરાષ્ટ્રનાં લોકોને તો જબરી મજા પડી ગઈ. ધોધમાર વરસાદ તો તૂટી પડ્યો, પણ રાજકોટમાં તો હિમવર્ષા થઈ. બરફનાં કરા પડ્યા. લોકો એમના ઘરની બહાર નીકળી પડ્યા હતા અને હાથમાં બરફના કરા લઈને ઉછાળીને આનંદ માણતા હતા.

બરફથી છવાઈ ગયેલા રસ્તાઓ પર એકત્ર થયેલા લોકોએ એમના મોબાઈલ ફોન પરથી ફોટા અને વીડિયો ક્લિપ્સથી સોશિયલ મીડિયાને છલકાવી દીધું. રાજકોટમાં તો જાણે શિમલા-મનાલી જેવો માહોલ ઊભો થયો હતો. રાજકોટના માલિયાસણમાં બરફવર્ષા થવાના કારણે શિમલા જેવો માહોલ સર્જાયો હતો. બરફના મોટા કરાઓનો વરસાદ થતાં રસ્તાઓ તેમજ ખેતરો પર બરફની ચાદર પથરાઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

દરમિયાન, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે કે, ગુજરાતમાં હજી વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર માટે 24 કલાક ભારે છે.

 

વીજળી પડવાથી ત્રણનાં મોત

કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી માવઠાનો આજે માર પડ્યો છે. સોમનાથના મેળામાં ઘણી તારાજી થઈ છે. ત્યાં ભારે પવન ફૂંકાતા અનેક સ્ટોલ જમીનદોસ્ત થઈ ગયા છે. રાજ્યના 212 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વીજળી પડવાથી ત્રણ જણનાં કરૂણ મોત થયાનો પણ અહેવાલ છે.

સિલક્યારા ટનલમાં ફસાયેલા કામદારો માટે ફોન, વાઈ-ફાઈ, બેટ, બોલ મોકલાયા

ઉત્તરકાશી (ઉત્તરાખંડ): અહીંની સિલક્યારા ટનલમાં બે અઠવાડિયાથી ફસાઈ ગયેલા 41 કામદારોને જીવતા બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. અંદર તેઓ માનસિક રીતે હતાશ ન થઈ જાય એટલા માટે અને એમને ઉગારવાના પ્રયાસો ચાલુ છે એની તેમને ખાતરી આપવા માટે પાઈપ વાટે ખોરાકના પેકેટ્સ અને પાણીની બોટલ્સ તો મોકલવામાં આવે જ છે, પણ કામદારોને રાહત મળી રહે એ માટે તેમને એક લેન્ડલાઈન ફોન, થોડાક મોબાઈલ ફોન, રમવા માટે બેટ અને બોલ મોકલવામાં આવ્યા છે, જેથી તેઓ ટનલના પહોળા રસ્તા પર ક્રિકેટ રમીને સમય પસાર કરી શકે અને માનસિક તાણનો સામનો કરી શકે.

કેન્દ્ર સરકાર હસ્તકની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) કંપનીએ કામદારો માટે પાઈપ વાટે એક નાનકડો લેન્ડલાઈન ફોન મોકલાવ્યો છે જેથી તેઓ એમના પરિવારજનો સાથે વાતચીત કરી શકે. કંપનીએ ટનલના સ્થળે એક નાનકડું ટેલીફોન એક્સચેન્જ પણ તાબડતોબ ઊભું કરી દીધું છે અને કામદારોને મોકલાવાયેલો ફોન આ લાઈન મારફત કનેક્ટ થયેલો રહેશે. પાઈપ વાટે કેટલાક મોબાઈલ ફોન પણ મોકલવામાં આવ્યા છે. જેથી તેઓ અંદર ગેમ રહી શકે. અંદર મોબાઈલ નેટવર્ક નથી, પરંતુ એમને વાઈ-ફાઈ કનેક્ટિવિટી પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે.

આ કામદારો 13 દિવસથી ટનલમાં ફસાઈ ગયા છે, જેના બંને પ્રવેશદ્વાર ભેખડો ધસી પડવાને કારણે બંધ થઈ ગયા છે. ડ્રિલિંગ કરીને બાકોરાં પાડીને કામદારોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

કોણ છે આ 26/11 ના રીયલ હીરો?

26 નવેમ્બર 2023 એટલે કે આજે મુંબઈમાં થયેલા ભયાનક હુમલાને 15 વર્ષ પૂર્ણ થયા. આજના દિવસે જ પાકિસ્તાન સ્થિત જેહાદી સંગઠન લશ્કર-એ-તૈયબના 10 લોકોએ મુંબઈની તાજ હોટલ પર હુમલો કરીને માયાનગરીને હચમચાવી નાખી હતી. તાજ હોટલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત અન્ય સ્થળો પરના હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ખેર, આજે તો આપણે વાત કરવી છે એ વીર જવાનની, જેમણે છાતી પર ચાર-ચાર ગોળીઓના જખમ સહીને દેશના 150થી વઘુ લોકોના જીવ બચાવ્યા હતા.

‘આજે પણ દેશ માટે શહીદ થવુ પડે તો એ મારા માટે ગર્વની વાત છે…’ આ શબ્દો છે ઉત્તરપ્રદેશ બુલંદશહેરના નાનકડા એવા ગામ ભટૌનાના રહેવાસી અને મરીન કમાન્ડો રહી ચૂકેલા પ્રવીણકુમાર તેવતિયાના. 26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર હુમલો કરનારા આતંકવાદીઓને હરાવવામાં પ્રવીણ કુમારે મોટી ભૂમિકા ભજવી હતી અને અદભુત સાહસ અને પરાક્રમના દર્શન કરાવ્યા હતા. તાજ હોટલમાંથી 150 થી વધુ લોકોના જીવ બચાવનાર આ બહાદુર જવાનને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. મુંબઈ તાજની અકલ્પનીય ઘટનામાં પ્રવીણ કુમારને ચાર ગોળી વાગી હતી.

અમદાવાદની મુલાકાતે આવેલા પ્રવીણ કુમાર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, ‘લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા. બાદ યોગ, પ્રાણાયામ અને પ્રબળ ઈચ્છા શક્તિની મદદથી મારી જાતને સંપૂર્ણ સ્વસ્થ બનાવી છે. વિશ્વની સૌથી અઘરી સ્પર્ધા ગણાતી આયર્નમેનમાં સફળતાપૂર્વક ભાગ લેવાનું શરૂ કર્યું.’ 2017 માં નેવીમાંથી નિવૃત્ત થયા પછી‌પ્રવીણ તેવતિયા દેશની સેવા કરવા માટે બીજા મિશન પર નીકળ્યા. શક્ય એટલા વધુ લોકોને, ખાસ કરીને યુવાનોને સ્વસ્થ બનાવવાનું એ એમનું લક્ષ્ય છે.

તાજ હોટલમાં 26/11ના ઓપરેશન દરમિયાન એમને ચાર ગોળી વાગી હતી. એક ફેફસાને નુકસાન થયું હતું. એમની સારવાર ઘણા વર્ષો સુધી ચાલુ રહી. સારવારની સાથે એમણે યોગ અને પ્રાણાયામ અપનાવ્યા. આનાથી એ શારીરિક અને માનસિક રીતે મજબૂત બન્યા. લાંબા ગાળાની દવાઓ અને ઘણી શારીરિક સમસ્યાઓ હોવા છતાં, એમણે પોતાને વિશ્વની સૌથી મુશ્કેલ આયર્નમેન ઇવેન્ટ માટે તૈયાર કર્યા. જેમાં 3.8 કિલોમીટર દરિયાઈ સ્વિમિંગ, 180 કિલોમીટર સાયકલિંગ અને એક પછી એક 42.2 કિલોમીટર દોડવાનું સામેલ છે.

આ માટેની તૈયારીઓ વર્ષ 2012માં શરૂ થઈ હતી. ઘણી મેરેથોન સ્પર્ધાઓમાં ભાગ લીધો. 2015માં મુંબઈમાં મેરેથોન, 2016માં મુંબઈમાં હાફ મેરેથોન, 2017માં જયપુર અને ગોવા ટ્રાયથ્લોન પૂર્ણ કરી. સપ્ટેમ્બર 2017માં લદ્દાખમાં અત્યંત કઠિન 72 કિમી લાંબી ખારદુંગલા મેરેથોન પૂર્ણ કરી. ખારદુંગલામાં ઓક્સિજનનું સ્તર ઘણું નીચું છે અને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત હતા કે નબળા ફેફસાંને એ કેવી રીતે સપ્લાય કરી શકાય!

વિશ્વમાં તેઓ કદાચ એકમાત્ર એવી વ્યક્તિ છે જેમના ફેફસાંને નુકસાન થયેલું છે અને છતાં જીવિત છે. એમના કેસને મેડિકલ સાયન્સમાં એક ચમત્કાર તરીકે જોવામાં આવે છે. પ્રવીણકુમારે હાર ન માનવાનું નક્કી કરી લીધું હતું. એમણે 26/11ના આતંકવાદી હુમલા વખતે હતા એના કરતા વધારે સક્ષમ બનાવવાનો નિર્ધાર કરી લીધેલો. એમણે રનિંગ, સ્વિમિંગ, સાઈકલિંગ શરૂ કર્યું અને એપ્રિલ 2018માં સાઉથ આફ્રિકામાં યોજાયેલી પ્રતિષ્ઠિત આયર્નમેન ટ્રાઈથ્લોન ચેમ્પિયનશિપ જીતી. જેમાં 3.8 કિમી સ્વિમિંગ, 180.25 કિમી સાઈકલ રાઈડ અને 42.2 કિમી રનિંગ કરવાનું હોય છે. એમણે આ સ્પર્ધા 14 કલાક, 19 મિનિટ અને 38 સેકન્ડમાં પૂરી કરી હતી. આ ઉપરાંત ખારદુંગલા ચેલેન્જમાં ભાગ લીધો. લદ્દાખમાં યોજાતી આ 72 કિમીની મેરેથોન સ્પર્ધા છે. આ મેરેથોન વિશ્વમાં સૌથી અઘરી મનાય છે.

આજે 26/11નો એ ગોજારો દિવસ છે ત્યારે આવા શુરવીરને એક સલામ તો કરવી જ રહી, જેમણે પોતાના જીવની પરવા કર્યા વગર માત્રને માત્ર પોતાની ફરજ માટે છાતી પર ગોળીના ઘા ઝીલ્યા. જો કે અફસોસની વાત એ પણ છે કે આવા વીરોનો માત્ર શોર્યચક્ર આપીને દેખીતી રીતે સન્માન આપવામાં આવે છે. હકીકતમાં આવા વીર એ દરેક સન્માનને હકદાર છે જે આજે એમને નથી મળતું.

ચિત્રલેખા.કોમ સાથે પોતાના દિલની વાત કરતા પ્રવિણકુમારે કહ્યું કે, ‘મારુ સન્માન કરવા સ્ટેજ પર બોલાવી સાલ ઓઢાડવામાં આવે છે પરંતુ બે મિનીટ માટે હાથમાં માઈક આપવામાં નથી આવતું. સરકાર કલાકારોને જેટલું મહત્વ આપે છે, એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. એની સાથે દેશના સંનિષ્ઠ શુરવીર સૈનિકોને પણ મહત્વ આપવું જોઇએ.’

હેતલ રાવ

તસવીરો: પ્રજ્ઞેશ વ્યાસ

મુંબઈવાસીઓને સવારે મેઘગર્જના, કમોસમી વરસાદે વહેલા જગાડી દીધા

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારો, ગરમીનો અનુભવ કરતા મુંબઈગરાઓને આજે વહેલી સવારે લગભગ સાડા પાંચ વાગ્યાના સુમારે વરસાદી વાતાવરણનો અનુભવ મળ્યો હતો. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી જ હતી કે 25-27 નવેમ્બર દરમિયાન મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તે મુજબ, આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયા બાદ પહેલા ધીમી ધારે અને પછી ધોધમાર રીતે વરસાદ શરૂ થયો હતો. તેની સાથે વીજળીના જોરદાર કડકાભડાકા પણ થયા હતા. કમોસમી વરસાદ અને મેઘગર્જનાએ શહેરીજનોને ઊંઘમાંથી વહેલા જગાડી દીધા હતા.

ઓચિંતા પડેલા વરસાદને કારણે વાતાવરણમાં સહેજ ઠંડક પ્રસરી ગઈ છે. હવાનું પ્રદૂષણ પણ ઘટી ગયું છે. લોકોને રાહત થઈ છે, આનંદ પ્રસરી ગયો છે. ઘણા લોકોએ વરસાદ અને વીજળીના ચમકારાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. નવેમ્બર મહિનામાં મુંબઈમાં વરસાદ ભાગ્યે જ પડતો હોય છે. સામાન્ય રીતે, નવેમ્બરના પહેલા જ અઠવાડિયાથી શિયાળાની ઋતુ જોર પકડવા લાગતી હોય છે, પરંતુ આ વખતે નવેમ્બર પૂરો થવાને આરે છે તે છતાં ઠંડીનું નામોનિશાન નથી. ઉલટાનું, બફારો પરેશાન કરી રહ્યો છે.

પડદા પર ઓશો બનવા માગે છે નવાઝુદ્દીન સિદ્દિકી

પણજીઃ બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી અભિનીત નવી ફિલ્મ ‘રૌતૂ કી બેલી’ને ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં પ્રદર્શિત કરવામાં આવી છે. એ માટે તેઓ પણજી આવ્યા છે. ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એમણે કહ્યું, ‘હું કોઈ ચોક્કસ પ્રકારના પાત્રો ભજવવા પૂરતો સ્વયંને સીમિત રાખતો નથી. હું મારા દિગ્દર્શકોનો આભાર માનું છું કે એમણે મને વિવિધ પ્રકારની ભૂમિકાઓમાં ચમકાવ્યો છે. તેઓ જાણે છે કે તેઓ મને કોઈ પણ પાત્રમાં રજૂ કરી શકે છે. મને આ ગમે છે, કારણ કે જો હું એક જ પ્રકારના રોલ કરું તો કંટાળી જાઉં.’

‘ભવિષ્યમાં તમે રૂપેરી પડદા પર કયું નવું પાત્ર ભજવવાનું પસંદ કરશો?’ એવા એક સવાલના જવાબમાં સિદ્દિકીએ કહ્યું, ‘જો તક મળશે તો હું આધ્યાત્મિક ગુરુ ઓશો (આચાર્ય રજનીશ)નું પાત્ર ભજવવાનું પસંદ કરીશ.’

‘રૌતૂ કી બેલી’ ફિલ્મ ઉત્તર ભારતના પહાડી વિસ્તારના એક ગામડા, જેનું નામ રૌતૂ કી બેલી છે, ત્યાં સેટ કરવામાં આવી છે. એની વાર્તામાં, એક શાળાનો કર્મચારી મૃત હાલતમાં મળી આવ્યા બાદ ઈન્સ્પેક્ટર નેગી તે વિશે તપાસ હાથ ધરે છે. આ ગામમાં અવારનવાર રહસ્યપૂર્ણ ઘટનાઓ બનતી રહેતી હોય છે. ઈન્સ્પેક્ટર નેગી હત્યાનો મામલો કેવી અનોખી સ્ટાઈલમાં રીતે ઉકેલે છે તે આ ફિલ્મમાં જોવા મળશે. નવાઝુદ્દીન સિદ્દિકીએ ઈન્સ્પેક્ટર નેગીનો રોલ કર્યો છે.

વાહ ભાઈ વાહ! – ૨૬ નવેમ્બર, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૨૬ નવેમ્બર, ૨૦૨૩