Home Blog Page 231

૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬

પંચાંગ 21/02/2026

AMAમાં “ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એઝ અ બિઝનેસ એસેટ” સમિટ

અમદાવાદ: AMA ખાતે “ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એઝ અ બિઝનેસ એસેટ” વિષય પર ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સમિટ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. મેનેજમેન્ટ ફેસ્ટ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે, AMA દ્રારા “વાય.જે. ત્રિવેદી – AMA એકેડેમી ફોર ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ”નાં નેજા હેઠળ આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિટમાં AMAના ઉપપ્રમુખ મોહલ સારાભાઈએ સ્વાગત પ્રવચનમાં બિઝનેસ લીડરશિપમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના વધતા વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો. વાય.જે. ત્રિવેદી એન્ડ કંપનીના મેનેજિંગ પાર્ટનર જતીન ત્રિવેદીએ વિષયલક્ષી સંબોધન રજૂ કર્યું હતું.

ડો. હેમાંગ શાહ, પીએચડી (સિનિયર ડિરેક્ટર, ગવર્નમેન્ટ અફેર્સ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ, એપ્લાઇડ મટિરિયલ્સ); શ્રી રાજીવ મલિક (લીગલ લીડર, એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા); સંધ્યા વાસુદેવન (સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કેટાલિસ્ટ અને થોમસન રોઇટર્સ અને Deutsche બેંકના ભૂતપૂર્વ એમડી) દ્રારા “ફ્યુચર-રેડી બિઝનેસીસ વિન ઓન ઓનરશીપ: આઇપી, ટેકનોલોજી એન્ડ ધ નેક્સ્ટ ડીકેડ” વિષય પર પેનલ ડિસ્કશનને સંબોધિત કરવામાં આવ્યું હતું. ડો. નીરવ જમનાપારા (ડિરેક્ટર, પ્લાઝ્માટેક ઇનોવેશન ફાઉન્ડેશન; સિનિયર સાયન્ટિસ્ટ, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ) દ્રારા આ સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું. અનુભવ કપૂર (જનરલ કાઉન્સેલ અને ઈવીપી-COSA, સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડ); સરિતા જોગલેકર (વીપી, લીગલ અને ચીફ આઈપી કાઉન્સેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ); ડૉ. ટીનુ નંદકિશોર ઉબાલે (ડિરેક્ટર – યુઆઈઆઈસી , રેવા યુનિવર્સિટી) દ્રારા “પ્રોટેકટીન્ગ વ્હોટ સેટ્સ બિઝનેસ અપાર્ટ: બ્રાન્ડ્સ, રેપ્યુટેશન એન્ડ બિઝનેસ વેલ્યુ” વિષય પર પેનલ ડિસ્કશનને સંબોધિત કરવામાં આવ્યું હતું અને  હરપ્રીત સિંહ બેંકર (ભારતીય પેટન્ટ એજન્ટ) દ્રારા આ સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું. AMAના માનદ મંત્રી અને વાય.જે. ત્રિવેદી એન્ડ કંપનીના સીનિયર પાર્ટનર અને હેડ – પેટન્ટ ડિવિઝન, ગોપી જતીન ત્રિવેદીએ આભાર દર્શન કર્યું હતું.

અભિવ્યક્તિનું ચાર અવિસ્મરણીય પ્રસ્તુતિઓ સાથે ભુજમાં પુનરાગમન

ભુજ: ટોરેન્ટ ગ્રુપ પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની કલા અને સંસ્કૃતિની પહેલઅભિવ્યક્તિધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટગુજરાતના વિવિધ શહેરોમાં યોજાય છે. જેમાં આ વખતે કચ્છની ખમીરવંતી ધરાના કેન્દ્ર સમાન ભૂજ શહેરમાં બીજી વખત યોજાવા જઈ રહ્યો છે. તમામ પ્રસ્તુતિઓ ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય ખાતે રજૂ કરવામાં આવશે. જેને માણવા માટે તમામ લોકો માટે પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક રહેશે.૨૧ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નાટ્યકાર અક્ષય દવે પોતાનું સાયન્સફિક્શન નાટક રસાંતરજૂ કરશે. ત્યાર બાદ મુંબઈના કલાકાર મોહન સાગર પોતાની સુફી લોકસંગીત ઉપર આધારીત પ્રસુતિધ હાર્મોનિયમ બેન્ડરજૂ કરશે.૨૨ ફેબ્રુઆરીના રોજ કોલકાતા અને મુંબઈની ભારતીય શાસ્ત્રીય નર્તક બેલડી નીલવા અને નિકિતા પોતાની કથક અને ભરતનાટ્યમ આધારિત સુંદર પ્રસ્તુતિબિચિત્રઅ ટેલ ઓફ અ ફ્લાવરરજૂ કરશે. ત્યાર બાદ મુંબઈના કલાકાર શોભિત દેસાઈ ગુજરાતી ગઝલ ઉપર આધારિત પોતાની પ્રસ્તુતિતરન્નુમથી નાદબ્રહ્મ સુધીરજૂ કરશે. પ્રતિષ્ઠિત ક્યુરેટર્સ ગોપાલ અગરવાલ (નૃત્ય), તપસ રેલિયા (સંગીત) અને ગુરલીન જજ (નાટ્ય) દ્વારા તમામ પ્રસ્તુતિઓનું ક્યુરેશન થયું છે. આ કલાકારોને કૃતિ મહેશ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્ય જોશી (નાટ્ય) જેવા નામી મેન્ટર્સ તરફથી મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત થયું છે.

ધોલેરા SIRમાં 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ માટે MoU

ગાંધીનગર: નવી દિલ્હીમાં યોજાઇ રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 અંતર્ગત ગુજરાતે AI ક્ષેત્રે એક મહત્વપૂર્ણ એમ.ઓ.યુ. કર્યા છે. આ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટી અન્વયે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમા વચ્ચે આ એમ.ઓ.યુ. ધોલેરા SIR ખાતે 250 મેગા વોટના હાઇ પર સ્કેલ, ગ્રીન AI રેડી ડેટા સેન્ટરની સ્થાપના માટે કરવામાં આવ્યા છે.

વન, પર્યાવરણ અને સાયન્સ -ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા એમ.ઓ.યુ. દ્વારા L&T વ્યોમા રૂ. 25 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે. જે સંભવત: 2028 સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે. આ એમ.ઓ.યુ. ગુજરાતને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ એનાલિટિક્સ અને સસ્ટેનેબલ ડિજિટલ ઇકોસિસ્ટમ માટે અગ્રણી હબ તરીકે સ્થાપિત કરવાના સહિયારા વિઝન તથા ગુજરાત IT/ITeS નીતિ (2022-27) સાથે સુસંગત છે.

આ એમઓયુ મુજબ, L&T વ્યોમા જમીનની યોગ્યતા, માળખાગત સુવિધાઓની સજ્જતા, ઉપલબ્ધતા ક્ષેત્રો (અવેલેબિલિટી ઝોન્સ) અને ટકાઉપણાના પરિમાણોને આવરી લઇને સંભાવનાઓનું વિગતવાર મૂલ્યાંકન કરશે, ગુજરાત સરકાર પોતાના સંબંધિત વિભાગો મારફતે એક સક્ષમ માળખા સાથે પ્રોજેક્ટને સરળ બનાવશે. આ એમઓયુ હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટરની સજ્જતાને સક્ષમ કરીને ભવિષ્યના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતના નેતૃત્વને વેગ આપશે. તેમજ ગ્લોબલ ક્લાઉડ અને AI કંપનીઓને આકર્ષિત કરવાની રાજ્યની ક્ષમતામાં વધારો કરશે, AI ટ્રેનિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ જેવા ઉભરતા કાર્યબોજને સહયોગ તેમજ નવીનીકરણ, ઉચ્ચ મૂલ્યની નોકરીઓ અને ટકાઉ આર્થિક વિકાસ માટે એક સ્થિતિસ્થાપક પણ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે.

મુંબઈ: ‘ઉડત અબીલ ગુલાલ’ કાર્યક્રમનું આયોજન, સંગીત વાદ્ય કરશે મંત્રમુગ્ધ

મુંબઈમાં પ્રસંગોપાત્ત વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ સપ્તાહમાં શહેરમાં બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જાણીતા સંતુરવાદક સ્નેહલ મુઝુમદાર છેલ્લા 32 વર્ષથી “ઉડત અબીલ ગુલાલ” કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમ મુંબઈ ઉપરાંત કોલકતા. શાંતિનિકેતન, વડોદરા, અમદાવાદ, ખાટુ શ્યામ સહિતના શહેરોમાં યોજાઈ ચૂક્યો છે.

ઉદયન, ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશન અને ભવન્સ કલ્ચરલ સેન્ટરના ઉપક્રમે આ સપ્તાહે બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 20મી ફેબ્રુઆરીએ આયોજીત કાર્યક્રમમાં સંતુર, સરસ્વતી વીણા, શરણાઈ અને વાયોલિનની ચતુર્બંદીમાં ડૉ. મૈથિલી , સ્નેહલ મુઝુમદાર,  નારાયણ મણિ, કિરણ શિંદે અને સતીષ શેષાદ્રિ ભાગ લેશે. ત્યાર બાદ નિધિ પ્રભુ અને પ્રાચી જરીવાળા કથક અને ઓડિસી નૃત્ય જુગલબંદી રજુ કરશે.

બીજા કાર્યક્રમની વાત કરીએ તો એ આગામી 28 ફેબ્રુઆરી, શનિવારે સાંજે ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી ખાતે યોજાશે. જેમાં ઉપરોક્ત કલાકારો દ્વારા સંતુર, સરસ્વતી વીણા, શરણાઈ અને વાયોલિનની ચતુર્બંદી પછી આયેશા મુખર્જી, શૈલેષ શ્રીવાસ્તવ, શ્રદ્ધા શ્રીધરાણી અને નુપૂર જોષી હોરી, રસિયા અને વસંતગીતો રજુ કરશે.

કાર્યક્રમમાં તાલ સંગત કાલીનાથ મિશ્રા, સતીષ કૃષ્ણમૂર્તિ, તૃપ્તરાજ પંડ્યા, એલ નાથ, અરુણ શિંદે અને શેખરની ખાસ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમનું સમગ્ર સંચાલન મિહિર શેઠ અને શૈલી મુઝુમદાર કરશે. આ કાર્યક્રમ નિ:શુલ્ક છે.

એડટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા શિક્ષણ મજબૂત કરવા પ્રયત્ન

નવી દિલ્હી: વંચિત સમુદાયના બાળકો માટે શિક્ષણના પરિણામો સુધારવાના ઉદ્દેશ્ય સાથે ‘શિક્ષાનેક્સ્ટ’ પહેલ બુધવારે લોન્ચ કરવામાં આવી હતી. એજ્યુકેશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ આ બાળકો કરી શકે તે માટે વિવિધ દાતાઓએ આ પહેલમાં સહાય આપી છે. ત્રણ વર્ષની આ ₹170 કરોડની પહેલ નવી દિલ્હીમાં ‘ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ’ દરમિયાન લોન્ચ કરવામાં આવી. ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમાર (આઇએએસ)ની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવી હતી. શિક્ષાનેક્સ્ટનો ઉદ્દેશ્ય 2029 સુધીમાં સમગ્ર ભારતના 1.3 કરોડથી વધુ બાળકોને અર્થપૂર્ણ, ટેકનોલોજી અને એઆઇ-આધારિત શિક્ષણની તકો પૂરી પાડવાનો છે.

શિક્ષાનેક્સ્ટ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણના પરિણામોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પહેલ રિલાયન્સ ફાઉન્ડેશન અને ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ‘સ્થાપક વ્યૂહાત્મક ભાગીદારો’ તરીકે સંચાલિત કરવામાં આવી રહી છે, જેમાં સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન ‘મેનેજિંગ પાર્ટનર’ તરીકે કાર્યરત છે અને તેને માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન દ્વારા પણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે. શિક્ષાનેક્સ્ટ પરોપકાર અને ઊંડા અનુભવનો સમન્વય કરે છે, જે આ પહેલના અમલીકરણ અને અસરો પર સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પ્રસંગે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણની ગુણવત્તા સુધારવા, શિક્ષકોને સશક્ત બનાવવા અને યુવાનોને ભવિષ્યના કાર્યક્ષેત્ર માટે તૈયાર કરવામાં ટેકનોલોજી અને એઆઇની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આ પહેલના લોન્ચિંગ પ્રસંગે બોલતા તેમણે કહ્યું હતું કે, “આ એક મહત્વપૂર્ણ મંચ છે જ્યાં સરકાર, સમાજ અને સંસ્થા ‘એડટેક’ને સાચા અર્થમાં ‘સબકા એડટેક’ બનાવવા માટે એકસાથે આવ્યા છે. હવે પછીનું પગલું આને એક ‘જન આંદોલન’માં પરિવર્તિત કરવાનું છે, જે એ સુનિશ્ચિત કરે કે ટેકનોલોજીનો લાભ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે. ભારત ગ્લોબલ સાઉથ સમક્ષ એક એવું મોડેલ રજૂ કરશે જે ગુણવત્તાયુક્ત એડટેકને દરેક માટે સસ્તું અને સુલભ બનાવશે.”

આ પહેલ ત્રણ પરસ્પર જોડાયેલા કાર્યક્રમો દ્વારા સંચાલિત થશે:

  • એડટેક સ્કેલ-એક્સ: આ પહેલ એવા એડટેક અને એઆઇ સોલ્યુશન્સને મોટા પાયે વિસ્તારવા માટે છે જેણે રાજ્યની શિક્ષણ પ્રણાલીઓ અને સમુદાય આધારિત કાર્યક્રમો સાથે જોડાઈને શિક્ષણમાં ચોક્કસ માપ કાઢી શકાય તેવો સુધારો દર્શાવ્યો છે.
  • એડટેક એક્સિલરેટર: ભારતની વિવિધ વર્ગખંડની જરૂરિયાતોને અનુરૂપ ઉચ્ચ ગુણવત્તાવાળા એડટેક અને એઆઇ સોલ્યુશન્સના વિકાસ અને વૃદ્ધિને મદદ પહોંચાડવા માટેનો એક કાર્યક્રમ.
  • એડટેક એન્ડ એઆઇ ઇનોવેશન હબ: ઉભરતા એડટેક અને એઆઇ સંશોધનોને શોધવા, તેનું પરીક્ષણ કરવા અને તેને પ્રમાણિત કરવા માટેનો એક સહયોગી મંચ, જે વિવિધ ભાષાઓ, ધોરણો અને શૈક્ષણિક સંદર્ભોમાં ભારત કેન્દ્રિત ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

તમામ કાર્યક્રમો સચોટ પુરાવાઓ એકત્રિત કરવાની મજબૂત પ્રતિબદ્ધતા પર આધારિત છે, જે એ સુનિશ્ચિત કરે છે કે – શું કારગત છે, કોના માટે છે અને કયા સંજોગોમાં છે – તેની ઊંડી સમજ જ શિક્ષણ પ્રણાલીમાં ટેકનોલોજીને કેવી રીતે જોડવી તેનો પાયો બને.

એઆઇ યુગમાં પ્રવેશતા ભારત એક દાયકાના શિક્ષણ સુધારા, મજબૂત પ્રારંભિક શિક્ષણ અને વર્ગખંડોમાં પરિણામ આપતા સાધનોના પાયા પર આગળ વધી રહ્યું છે. શિક્ષાનેક્સ્ટ સાબિત થયેલા ઉકેલોને ટેકો આપીને અને સરકારી શાળાઓને તેનો વ્યાપક ઉપયોગ કરવામાં મદદ કરીને આ દિશામાં આગળનું પગલું ભરે છે, જેથી વધુ બાળકો શાળામાં અને જીવનમાં સફળ થઈ શકે.” – પ્રાચી જૈન વિન્ડલેસ, હેડ ઓફ ઈન્ડિયા, માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન, ભારત.

“રિલાયન્સ ફાઉન્ડેશનનું વિઝન સરળ છતાં ગહન છે – ભારતના દરેક બાળકને તેમની ક્ષમતાઓને ખીલવવાની અને તેમના સપના સાકાર કરવાની તક મળવી જોઈએ. છેલ્લા દાયકામાં ડિજિટલ કનેક્ટિવિટી અને 5Gના ઝડપી વિસ્તરણ દ્વારા આપણા દેશના દરેક ખૂણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા માટે અભૂતપૂર્વ સંભાવનાઓના દ્વાર ખુલ્યા છે.” – બી શ્રીનિવાસન, એક્ઝિક્યુટિવ લીડ, રિલાયન્સ ફાઉન્ડેશન.

“જે રીતે જનરેટિવ એઆઇ નવો વેગ આપી રહ્યું છે, તે જોતા ‘શિક્ષાનેક્સ્ટ’ જેવી પહેલો પ્રેરક ભંડોળ અને ભાગીદારીને એ સુનિશ્ચિત કરવા તરફ વાળી શકે છે કે આ ટેકનોલોજી માત્ર તકનીકી શક્યતાઓ પર નહીં, પરંતુ શિક્ષણના યોગ્ય સિદ્ધાંતો અને ઓછી સુવિધા ધરાવતા વર્ગખંડોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે.” – બેન્જામિન પાઈપર, ડાયરેક્ટર, ગ્લોબલ એજ્યુકેશન, ગેટ્સ ફાઉન્ડેશન.

“શિક્ષાનેક્સ્ટ દ્વારા, CSF પ્રતિબદ્ધ ભાગીદારો, સચોટ પુરાવાઓ અને શિક્ષણ-કેન્દ્રિત મૂડીને એકસાથે લાવી રહ્યું છે જેથી એડટેક અને એઆઇ માત્ર કાગળ પરના વચનો બનીને ન રહેતા, વર્ગખંડોમાં વાસ્તવિક અને માપી શકાય તેવા પરિણામોમાં પરિવર્તિત થાય.” – ઈશમીત સિંઘ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન.

આ લોન્ચિંગ પ્રસંગે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણી પરોપકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, એડટેક સંશોધકો, શિક્ષણશાસ્ત્રીઓ અને દેશભરના ભાગીદારો એકઠા થયા હતા, જે ભારતના દરેક બાળક માટે શિક્ષણના પરિણામોને મજબૂત કરવા માટે એઆઇ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને 150 કરોડના બિટકોઈન કેસમાં જામીન

શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને શુક્રવારે 150 કરોડના બિટકોઈન કૌભાંડ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ખાસ કોર્ટે જામીન આપ્યા હતા.

શુક્રવારે ઉદ્યોગપતિથી અભિનેતા બનેલા રાજ કુન્દ્રાને રૂ. 150 કરોડના બિટકોઈન કૌભાંડ કેસમાં જામીન આપવામાં આવ્યા છે. ખાસ કોર્ટે તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જામીન આપ્યા હતા જ્યારે આ કેસમાં તપાસ ચાલી રહી હતી. કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી ન હતી, અને તેથી, તેમની કસ્ટોડિયલ પૂછપરછની કોઈ જરૂર નથી. પાટીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે તેમણે તપાસકર્તાઓને સહકાર આપ્યો છે અને તપાસના સંદર્ભમાં 2021 થી છ વખત ED ઓફિસની મુલાકાત લીધી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ED પાસે બધા દસ્તાવેજો છે. કોર્ટે આ આધારો પર કુંદ્રાને જામીન આપ્યા છે. તેમની જામીન શરતોની વિગતો હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 91 અને ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 88 હેઠળ જામીન આપવામાં આવ્યા હતા. આ જોગવાઈઓ હેઠળ, કોર્ટને વળતરની માંગ કરવાની સત્તા છે જેથી આરોપી આગળની કાર્યવાહી દરમિયાન કોર્ટમાં હાજર રહે.

શું છે આખો મામલો?

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ED એ ₹150 કરોડના બિટકોઈન કેસમાં રાજ કુન્દ્રા સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ED ના જણાવ્યા મુજબ, કુન્દ્રા પાસે 285 બિટકોઈન છે, જેની કિંમત હાલમાં ₹150.47 કરોડ છે. તેમણે આ બિટકોઈન ક્રિપ્ટો કૌભાંડના માસ્ટરમાઇન્ડ અમિત ભારદ્વાજ પાસેથી મેળવ્યા હતા. તાજેતરમાં જ સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં જણાવાયું છે કે કુન્દ્રાએ જાણી જોઈને બિટકોઈન વોલેટ સરનામાં સહિત મહત્વપૂર્ણ પુરાવા છુપાવ્યા હતા અને ભારદ્વાજ પાસેથી મળેલા બિટકોઈન પરત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે કુન્દ્રા ગુનામાંથી મળેલી રકમ (બિટકોઈન) જાળવી રાખતો હતો અને તેનો ઉપયોગ કરતો હતો. ED એ વધુમાં જણાવ્યું હતું કે તેણે ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલા ભંડોળના સ્ત્રોતને છુપાવવા માટે તેની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટી સાથે બજાર દરથી ઘણા ઓછા દરે વાસ્તવિક વ્યવહારો કર્યા હતા. ED એ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, ગુનામાંથી મળેલી રકમ છુપાવીને અને તેને નિર્દોષ તરીકે રજૂ કરીને, તેઓએ PMLA હેઠળ કાર્યવાહીને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી, એવું તારણ કાઢી શકાય છે કે રાજ કુન્દ્રા અને અમિત ભારદ્વાજ (તેમના પિતા મહેન્દ્ર ભારદ્વાજ) વચ્ચે ખરેખર કરાર થયો હતો, અને કુન્દ્રાની દલીલ કે તેમણે ફક્ત મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું તે માન્ય નથી. રાજ કુન્દ્રાને હવે 20 ફેબ્રુઆરી, 2026 ના રોજ આ કેસમાં જામીન આપવામાં આવ્યા છે.

તે પહેલા પણ જેલમાં જઈ ચૂક્યા છે

ઉદ્યોગપતિથી અભિનેતા બનેલા રાજ કુન્દ્રા ઘણીવાર વિવાદોમાં ફસાયેલા રહે છે. 2021 માં, રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી પ્રોડક્શન કેસમાં પણ જેલમાં મોકલવામાં આવ્યા હતા. 19 જુલાઈ, 2021 ના ​​રોજ પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે મુંબઈની આર્થર રોડ જેલમાં લગભગ 63 દિવસ વિતાવ્યા હતા. ત્યારબાદ 20 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ તેમને જામીન આપવામાં આવ્યા હતા. હવે 150 કરોડ રૂપિયાના બિટકોઈનનો મામલો હેડલાઇન્સમાં ચમકી રહ્યો છે.

દિલ્હી AI સમિટમાં યુથ કોંગ્રેસનો હંગામો, ટી-શર્ટ કાઢીને પીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર…

દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસે હોબાળો મચાવ્યો. યુથ કોંગ્રેસે ભારત-અમેરિકા વેપાર સોદા અંગે કેન્દ્ર સરકાર સામે વિરોધ દર્શાવ્યો. પોલીસે તમામ વિરોધીઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. ભારતીય યુથ કોંગ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું, જેમાં તેમની સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

યુથ કોંગ્રેસે કહ્યું કે, “જ્યારે પક્ષપાત, કોર્પોરેટ દબાણ અને મૌન વિદેશ નીતિ પર પ્રભુત્વ ધરાવે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે પીએમ મોદી સાથે સમાધાન કરવામાં આવ્યું છે. આ સત્યને ઉજાગર કરવા માટે, ભારતીય યુથ કોંગ્રેસના બહાદુર કાર્યકરો AI સમિટમાં પહોંચ્યા અને સમાધાન કરાયેલા પીએમ સામે વિરોધ દર્શાવ્યો. રાષ્ટ્રની ઓળખ સાથે કોઈ સમાધાન નથી. ક્રાંતિ અમર રહે.”

ભારત મંડપમ ખાતે વિરોધ પ્રદર્શન કરતી વખતે ચાર યુવા કોંગ્રેસના કાર્યકરોને નગ્ન હાલતમાં ઉતારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની ઓળખ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ કૃષ્ણ હરિ, ભારતીય યુવા કોંગ્રેસના બિહાર રાજ્ય સચિવ કુંદન યાદવ, ભારતીય યુવા કોંગ્રેસના ઉત્તર પ્રદેશ રાજ્ય ઉપાધ્યક્ષ અજય કુમાર અને ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક નરસિંહ યાદવ તરીકે થઈ છે. તે બધા QR કોડ દ્વારા પ્રવેશ્યા હતા.

ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “જ્યારે ભારત એક પ્રતિષ્ઠિત વૈશ્વિક AI સમિટનું આયોજન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેનું સન્માન કરવાને બદલે તેને વિક્ષેપિત કરવાનું પસંદ કર્યું. રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ સમિટ સ્થળ પર અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ કર્યો, જે સ્પષ્ટપણે વૈશ્વિક મંચ પર ભારતને શરમજનક બનાવવાનો હેતુ ધરાવે છે. રાજકીય વિરોધ એ લોકશાહી અધિકાર છે, પરંતુ ભારતની વૈશ્વિક છબીને કલંકિત કરવી એ યોગ્ય નથી.”

આ એક રાષ્ટ્રવિરોધી કૃત્ય છે: ભાજપ
ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું, “કોંગ્રેસે દુનિયા સમક્ષ દેશનું અપમાન કર્યું છે. આ લોકો શહેરી નક્સલીઓની જેમ વર્તી રહ્યા છે. ભારતના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ સાબિત કર્યું છે કે તેઓ દેશની વિરુદ્ધ ઉભા છે. આ એક રાષ્ટ્રવિરોધી કૃત્ય છે. કોંગ્રેસ દેશના વિકાસને ધિક્કારે છે.”

એક બાજુ ભારતમાં સમિટ તો બીજી બાજુ એલન મસ્ક અને સત્યા નડેલાએ કર્યા AI કરાર

એલોન મસ્કની કંપની xAI અને માઇક્રોસોફ્ટે એક નવી ભાગીદારી બનાવી છે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ આ સોદાની સત્તાવાર જાહેરાત કરી. આ સોદામાં બંને કંપનીઓ વચ્ચે AI એજન્ટોનો ઉપયોગ સામેલ છે.

નવી દિલ્હીમાં યોજાઈ રહેલા AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા માટે વિશ્વભરના ટેક લીડર્સ હાલમાં ભારતમાં છે. ગુગલના CEO સુંદર પિચાઈથી લઈને સેમ ઓલ્ટમેન સુધી, દરેક વ્યક્તિ આ વૈશ્વિક AI સમિટમાં ભાગ લેવા માટે ભારતમાં પહોંચ્યા છે. આ દરમિયાન, એલોન મસ્ક અને સત્ય નડેલા વચ્ચે એક મોટો AI સોદો થયો છે. માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ તેમના સત્તાવાર X હેન્ડલ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. એલોન મસ્કે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

માઈક્રોસોફ્ટ અને xAI એ ડીલ પર હસ્તાક્ષર કર્યા

સત્ય નડેલાએ તેમના X હેન્ડલ દ્વારા પુષ્ટિ આપી કે માઈક્રોસોફ્ટ કોપાયલટ સ્ટુડિયો હવે ગ્રોક 4.1 ફાસ્ટને સપોર્ટ કરશે, જે તેને વધુ ફ્લેક્સિબલ બનાવશે. આ ટૂલ્સ ડેવલપર્સને AI એજન્ટ બનાવવામાં મદદ કરશે. યુએસમાં ઓર્ગેનાઈઝેશન એડમિનિસ્ટ્રેશનને હવે કોપાયલટ સ્ટુડિયોમાં ગ્રોક 4.1 ફાસ્ટ સપોર્ટ મળશે.

એલોન મસ્કે પણ સત્યા નડેલાની પોસ્ટનો જવાબ આપ્યો. આ ઉપરાંત મસ્કે પુષ્ટિ આપી કે Grok 4.20 ટૂંક સમયમાં આવી રહ્યું છે, એટલે કે Copilot Studio ટૂંક સમયમાં Grok 4.2 સપોર્ટ મેળવશે.

માઇક્રોસોફ્ટે તેના બ્લોગમાં જણાવ્યું હતું કે xAI માઇક્રોસોફ્ટ કોપાયલોટ સ્ટુડિયોના વધતા મોડેલ પ્રદાતા લાઇનઅપમાં જોડાયું છે. એકવાર સંસ્થાના વહીવટ દ્વારા સક્ષમ થયા પછી Grok 4.1 ફાસ્ટનો ઉપયોગ કરીને ફ્લેક્સિબલ એજન્ટો વિકસાવવામાં આવી શકે છે. કોપાયલોટ સ્ટુડિયો એજન્ટ નિર્માતાઓને મોડેલોનો વધુ સારી રીતે ઉપયોગ અને મૂલ્યાંકન કરવાની મંજૂરી આપશે, જે જટિલ વર્કફ્લોનું વિશ્લેષણ સક્ષમ બનાવશે.

મસ્કે OpenAI વિશે નાડેલાને ચેતવણી આપી છે

ગયા વર્ષે, એલોન મસ્કે OpenAI ના ChatGPT વિશે માઇક્રોસોફ્ટના CEO સત્યા નાડેલાને ચેતવણી આપી હતી. મસ્કે નાડેલાને ચેતવણી આપી હતી કે સેમ ઓલ્ટમેનની કંપની માઇક્રોસોફ્ટનો નાશ કરી શકે છે. જો કે, નાડેલાએ જવાબ આપ્યો કે GPT-5 માઇક્રોસોફ્ટના પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું છે. GPT-5 ને Microsoft 365 Copilot, Copilot, GitHub Copilot અને Azure AI Foundry માં સપોર્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે માઇક્રોસોફ્ટે OpenAI ને ChatGPT વિકસાવવામાં મદદ કરી હતી.