મુંબઈઃ અમેરિકામાં એફઓએમસી (ફેડરલ ઓપન માર્કેટ કમિટી)ની બેઠક થવા પહેલાં રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.07 ટકા (34 પોઇન્ટ) ઘટીને 47,296 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,330 ખૂલીને 47,988ની ઉપલી અને 46,620 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી પોલીગોન, ચેઇનલિંક, સોલાના અને પોલકાડોટ 5થી 8 ટકાની રેન્જમાં ઘટ્યા હતા. બીએનબી અને બિટકોઇન અનુક્રમે 4.96 ટકા અને 0.60 ટકા વધ્યા હતા.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સીમાં એક્સપોઝર ધરાવતી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પોતાના રોકાણ બાબતે માહિતી જાહેર કરે એવા પ્રસ્તાવ સંબંધે કેનેડાની ઓફિસ ઓફ ધ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સે પ્રતિભાવ મગાવ્યા છે.
અન્ય મહત્ત્વપૂર્ણ ઘટનામાં કંબોડિયાએ ક્યુઆર કોડની મદદથી સ્થાનિક ડિજિટલ કરન્સી – બાકોંગના સરહદ પારના વ્યવહારો કરવા સંબંધે ચીનની ફિનટેક કંપની અલીપે સાથે સમજૂતી કરી છે.
બેંગલુરુઃ રાજ્યના મંત્રી બળવંત સિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરુમાં વાઇબ્રન્ટ ગુજરાતના 10મા આયોજનના પ્રમોશન માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન આગામી 10થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવશે.
રાજ્યના ઓદ્યૌગિક મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સતત પ્રગતિને પંથે છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, ડ્રીમ સિટી અને ગ્રીનફીલ્ડ પોર્ટસ એલએનજી ટર્મિનલ્સ અને હાઇ સ્પીડ રેલ નેટવર્ક જેવા પ્રોજેક્ટ રાજ્યના વિકાસમાં સહાયક છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) નાણાકીય સેવાઓ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ બજારની સુવિધા ઉપલબ્ધ કરાવશે. દેશમાં ઉત્પાદન મામલે ગુજરાતનો હિસ્સો 18 ટકા છે. એ સાથે રાજ્ય સ્ટાર્ટઅપના મામલે પણ અગ્રણી છે.
દેશની 11 ટકા ફેક્ટરી ગુજરાતમાં છે. ગુજરાત લોજિસ્ટિક્સ રેન્કિંગમાં પહેલા ક્રમાંકે છે. રાજ્યએ નિકાસમાં 33 ટકા હિસ્સાનું યોગદાન આપ્યું છે અને રોજગારીની તકો ઊભી કરવામાં અગ્રેસર છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં GSDPમાં 15 ટકા વધારો થયો છે, જે રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. રાજ્ય GDPમાં 8.4 ટકાનું યોગદાન આપે છે.
રાજ્ય સરકારે મુંબઈ, ચંડીગઢ, કોલકાતા, ચેન્નઇ અને લખનઉમાં રોડ શો આયોજિત કર્યા છે. આ સાથે વિશ્વ સ્તરે પણ વાઇબ્રન્ટ ગુજરાતને પ્રદર્શિત કર્યું છે.
મુંબઈઃ દેશના સંરક્ષણને લગતી સંવેદનશીલ ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના માધ્યમથી લીક કરવાને લગતા વિશાખાપટનમ જાસૂસી કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ એક વધુ શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સનું નામ છે અમાન સલીમ શેખ. એને મુંબઈના કુર્લા ઉપનગરમાંથી પકડવામાં આવ્યો છે.
માહિતગાર વર્તુળોના જણાવ્યા મુજબ, અમાન સલીમ કુર્લામાં અનેક ફૂડ ડિલિવરી કંપનીઓ માટે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. એ અમુક વર્ષ પહેલાં પાકિસ્તાન જઈ આવ્યો હોવાની શંકા છે. ત્યાં એના સગાંઓ રહે છે. એવું મનાય છે કે એ પાકિસ્તાનમાંથી સક્રિય આતંકવાદીઓના સંપર્કમાં હતો. મુંબઈમાંથી સહાયતા કરવાના બદલામાં એણે પાકિસ્તાનમાંથી પૈસા મેળવ્યા હોવાનું પણ કહેવાય છે. એની ધરપકડ સાથે જાસૂસીના કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા 3 થઈ છે. એનઆઈએ એજન્સીએ કુલ ચાર જણ સામે આરોપનામું નોંધ્યું છે. આમાં બે ફરાર પાકિસ્તાની આતંકીનો સમાવેશ થાય છે. એમાંનો એક છે, પાકિસ્તાની નાગરિક મીર બલાજ ખાન.
એનઆઈએના અમલદારોએ અમાનને જ્યાંથી પકડ્યો હતો ત્યાંથી બે મોબાઈલ ફોન અને ઘણા બધા સંવેદનશીલ દસ્તાવેજો પણ કબજે કર્યા છે. અમાને એવા સીમ કાર્ડ એક્ટિવ કર્યા હતા જેનો ઉપયોગ પાકિસ્તાની જાસૂસી અધિકારીઓ કરતા હતા. બલાજ અને પકડાયેલા આકાશ સોલંકી જાસૂસીકાંડમાં સામેલ હતા. એમણે ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ માહિતી મેળવી હતી અને પાકિસ્તાનસ્થિત સંચાલકોને લીક કરી હતી. અન્ય આરોપી છે – મનમોહન સુરેન્દ્ર પાંડા અને એલ્વેન. પાંડાની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે એલ્વેન, જે પાકિસ્તાની જાસૂસ છે, તે ફરાર છે. એ પાકિસ્તાનનો નાગરિક છે.
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ED કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયા અને અન્યોની ન્યાયિક કસ્ટડી 11 ડિસેમ્બર સુધી લંબાવી છે. હાલમાં તે તિહાર જેલમાં બંધ છે. રોઝ એવન્યુ કોર્ટની પરવાનગી બાદ છોટી દિવાળીના દિવસે દિલ્હી પોલીસ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને તેમની બીમાર પત્નીને મળવા લાવી હતી. સિસોદિયા તેમની બીમાર પત્નીને મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટે કેસની વિગતવાર સુનાવણી કરી અને કહ્યું કે ED દ્વારા આરોપીઓ વિરુદ્ધ ઘણા દસ્તાવેજો દાખલ કરવાના બાકી છે. દરમિયાન, કોર્ટે વકીલો સાથે નારાજગી વ્યક્ત કરી અને તેમને 207 સીઆરપીસીનું પાલન શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા કહ્યું જેથી સુનાવણી શરૂ થઈ શકે. કોર્ટે EDને પણ નોટિસ પાઠવી છે. બેનય બાબુની વચગાળાની જામીન અરજી પર ચર્ચા માટે 24 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.
એક દિવસ માટે તેની પત્નીને મળવાની છૂટ હતી
દિલ્હી કોર્ટે સિસોદિયાને છોટી દિવાળીના દિવસે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી મળવાની મંજૂરી આપી હતી. પત્નીને મળ્યા બાદ તેઓ ફરી પોલીસ વાહનમાં તિહાર ગયા હતા. અગાઉ જૂન મહિનામાં પણ હાઈકોર્ટે તેમને પત્ની સીમાને મળવાની પરવાનગી આપી હતી, પરંતુ તેઓ મળી શક્યા ન હતા. ત્યારે તેમની પત્નીની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીમા મલ્ટિપલ સ્ક્લેરોસિસથી પીડિત છે.
સિસોદિયાએ કસ્ટડીમાં પાંચ દિવસ સુધી તેની બીમાર પત્નીને મળવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. સ્પેશિયલ જજ એમકે નાગપાલે ગઈ કાલે સિસોદિયાની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટ દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત સીબીઆઈ અને ઈડીના કેસોની સુનાવણી કરી રહી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સીબીઆઈની સાથે મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. બંને કેસમાં સિસોદિયા અને અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
તાજેતરમાં, ભારતની સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. તેમની અગાઉની જામીન અરજી હાઈકોર્ટ તેમજ ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે, જૂનમાં હાઈકોર્ટે તેને કસ્ટડીમાં પત્નીને મળવાની મંજૂરી આપી હતી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં AAP સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. તે ન્યાયિક કસ્ટડીમાં છે અને સિસોદિયાને શુક્રવારે સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ઈડીએ 9 માર્ચે સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં 25 અને 26 નવેમ્બરે કમોસમી વરસાદ પડી શકે છે. તેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. તેમજ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ પાંચ દિવસમાં વરસાદ થવાની શક્યતા નથી. પરંતુ છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
આગામી દિવસોમાં તાપમાનમાં નીચુ રહેવાની શક્યતા
5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. તેમજ આગામી દિવસોમાં તાપમાનમાં નીચુ રહેવાની સંભાવના છે. ત્યારે નલિયામાં સૌથી નીચુ 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તથા ગાંધીનગરમાં 19, વડોદરામાં 20 ડિગ્રી તાપમાન, કચ્છ ભુજમાં 17.7, ડીસામાં 19 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરત 23.6, ડીસા 19 તથા દ્વારકા 20.6 તેમજ ઓખા 24.8માં તાપમાન રહ્યું છે.
કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડીનો પારો ગગડવાની આગાહી
ગુજરાચતમાં ઠંડીની જગ્યાએ માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, રાજ્યમાં ભેજનું પ્રમાણ વધશે. કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડીનો પારો ગગડવાની આગાહી પણ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદને જાહેરાતને મામલે આકરી ફટકાર લગાવી છે. કોર્ટે આકરી ટિપ્પણી કરી અને ભારે દંડ ફટકારવાની ચેતવણી ઉચ્ચારી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને પતંજલિની જાહેરાતોને ભ્રામક જણાવતાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે કંપનીના ખોટા દાવા કરવાના અને ભ્રામક જાહેરાતથી બચવા માટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે અમે એલોપથી વિરુદ્ધ આયુર્વેદની દલીલમાં તબદિલ નથી કરવા ઇચ્છતા, પરંતુ મેડિકલથી જોડાયેલી ભ્રામક જાહેરાતોની સમસ્યાનું સમાધાન લાવવાનું રહેશે. કોર્ટે કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદ એની બધી ખોટી અને ભ્રામક જાહેરાતોને તત્કાળ અટકાવે. કોર્ટ એવાં કોઈ પણ ઉલ્લંઘનને ઘણી ગંભીરતાથી લેશે અને જો જાહેરાતમાં કોઈ ખાસ બીમારીને ઠીક કરવાનો ખોટો દાવો કરવામાં આવશે તો કોર્ટ પ્રતિ જાહેરાત રૂ. એક કરોડ સુધીનો દંડ ફટકારવા પર વિચાર કરશે.ખંડપીઠે આ સમયસ્યાને ગંભીર જણાવતાં એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજને કહ્યું હતું કે કેન્દ્ર સરકારને સમસ્યાથી નીપટવા માટે સમાધાન શોધવું પડશે. સરકાર સાથે વિચારવિમર્શ પછી ભાલમણો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ મામલે આગામી સુનાવણી હવે પાંચ ફેબ્રુઆરી, 2024એ થશે.
ગયા વર્ષે બાબા રામદેવે મોર્ડન મેડિસિન સિસ્ટમની વિરુદ્ધ નિવેદન આપ્યા હતા. IMAની અરજી પર નોટિસ જારી કરતાં કોર્ટે બાબાને આવા નિવેદનોથી બચવાના નિર્દેશો આપ્યા હતા.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા એક વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જે અભ્યાસ બાદ ICMR દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ -19 રસીકરણ ભારતીય યુવાનોમાં અચાનક મૃત્યુ માટે જવાબદાર નથી. રસીનો ઓછામાં ઓછો એક ડોઝ પણ આવા મૃત્યુની સંભાવના ઘટાડી શકે છે. આ અભ્યાસમાં અમુક કારણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે યુવાનોમાં અચાનક મૃત્યુનું કારણ હોઈ શકે છે. લોકપ્રિય મલયાલમ ટીવી અભિનેતા ડૉ. પ્રિયા સહિતના યુવાનોના અચાનક કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુના અહેવાલો વચ્ચે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. ભારતમાં તંદુરસ્ત પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુના સમાન અહેવાલોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે, તેઓ કોવિડ-19 અથવા રોગ સામે રસીકરણ સાથે સંબંધિત હોઈ શકે છે જેણે સંશોધકોને અભ્યાસ હાથ ધરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
(1/2) •COVID19 vaccination didn’t increase risk of sudden deaths; it actually reduced the risk.
• Past COVID-19 hospitalization, family history of sudden deaths, binge alcohol drinking, intense unaccustomed activity was associated with higher risk of sudden death. pic.twitter.com/j0ZnLTJvBb
ICMR એ ‘ભારતમાં 18-45 વર્ષની ઉંમરના પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો – એક મલ્ટિસેન્ટ્રિક મેચ્ડ કેસ-કંટ્રોલ સ્ટડી’ના શીર્ષક હેઠળ કરેલા આ અભ્યાસમાં કેટલાક પરિબળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારી શકે છે. આ કારણો પૈકી, ગંભીર કોવિડ-19 ચેપનો ઇતિહાસ, અતિશય પીણું, મનોરંજક દવાઓનો ઉપયોગ અથવા પદાર્થોનો ઉપયોગ 48 કલાકની અંદર મૃત્યુ માટે જવાબદાર છે. આ મહિનાની શરૂઆતમાં પૂર્ણ થયેલો અભ્યાસ હજુ બહાર પડવાનો બાકી છે.
(1/2) ICMR’s research study exploring the causes of the anecdotal reports of sudden deaths in healthy young adults is now published.
અભ્યાસ દરમિયાન, મૃત્યુના 729 કેસ જોવામાં આવ્યા હતા અને એવા કેસોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમને ગંભીર કોવિડ હતો અને તેઓ જીવિત હતા. આ તમામ લોકોનો તબીબી ઇતિહાસ, ધૂમ્રપાન, દારૂનો ઉપયોગ અને વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ જેવી વર્તણૂક, શું તેઓ કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને શું તેમને રસી આપવામાં આવી હતી? આ તમામ પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રસીકરણથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી, પરંતુ પુખ્ત વયના લોકોમાં આ જોખમ ઓછું થયું છે.
લક્ષ્ય વર્ગ પર ICMR દ્વારા કરવામાં આવ્યો અભ્યાસ
આ અભ્યાસમાં એવા 18-45 વર્ષની ઉંમરના દેખીતી રીતે સ્વસ્થ વ્યક્તિઓના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેઓને શરીરની અંદર કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ન હોય અને જેઓ 1 ઓક્ટોબર, 2021 અને માર્ચ 31, 2023 વચ્ચે અસ્પષ્ટ કારણોથી અચાનક મૃત્યુ પામ્યા હોય.
કોવિડથી ગંભીર રીતે પીડાયેલાઓએ વધુ મહેનત કરવી ન જોઈએ : મનસુખ માંડવિયા
અગાઉ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ICMR અભ્યાસને ટાંકીને જણાવ્યું હતું કે, જે લોકો કોરોનાથી ગંભીર રીતે પીડિત છે તેઓએ એક કે બે વર્ષ સુધી વધુ પડતી મહેનત કરવાનું ટાળવું જોઈએ. નિષ્ણાતો એમ પણ કહે છે કે, કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ કસરત કરવી જોઈએ. તમારે તમારા આહાર પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. હાર્ટ એટેકથી બચવા માટે, વ્યક્તિએ તે જ સમયે વધુ પડતી અને સખત કસરત કરવાનું ટાળવું જોઈએ.
મુંબઈઃ નોકરી શોધી રહેલા કે નોકરી બદલવા માગતા ટેલેન્ટેડ પ્રોફેશનલ લોકો માટે સારા સમાચાર છે. ઉદ્યોગપતિ રતન ટાટાના સમર્થનવાળી કંપની, ટાઈટન કંપની આવતા પાંચ વર્ષમાં 3,000થી વધારે કર્મચારીઓની ભરતી કરવા ધારે છે. આ કંપની જ્વેલરી અને કાંડાઘડિયાળ જેવી લક્ઝરી ફેશન એક્સેસરીઝ બનાવે છે. તે એન્જિનીયરિંગ, ડિઝાઈન, લક્ઝરી, ડિજિટલ, ડેટા એનાલિટિક્સ, માર્કેટિંગ, સેલ્સ તથા અન્ય વિભાગો માટે નવા લોકોની ભરતી કરવા ધારે છે.
કંપની સાઈબર સુરક્ષા, ડેટા એનાલિટિક્સ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ તથા અન્ય આધુનિક જમાનાને અનુરૂપ વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સને નોકરીએ રાખવા માગે છે, એમ ટાઈટનના એચઆર-કોર્પોરેટ અને રીટેલ વિભાગના વડા પ્રિયા પિલ્લાઈએ એક નિવેદનમાં કહ્યું છે.
ટાઈટન કંપની ટાટા ગ્રુપ અને તામિલનાડુ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ટીડકો)નું સંયુક્ત સાહસ છે. કંપની આવતા પાંચ વર્ષમાં એક લાખ કરોડના બિઝનેસનું લક્ષ્યાંક સિદ્ધ કરવા ધારે છે.
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 15.89 લાખ કરોડ કરતાં વધુ છે. રિલાયન્સે હાલમાં જ સ્થાપેલી જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસને ઓગસ્ટમાં શેરરબજારમાં લિસ્ટ કરી હતી. કંપની લાઇફ, હેલ્થ અને જનરલ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે હાજરી ધરાવે છે. હરીફ બજાજ ઓટોની સાથે હરીફાઇ કરવા માટે કંપનીની ઓટો અને હોમ લોન ક્ષેત્રે પણ પ્રવેશવાની યોજના છે.
રિલાયન્સે હાલમાં જ એના બિઝનેસનું ડીમર્જર કર્યું છે. કંપનીએ એની નાણાકીય સર્વિસિસ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસને અલગ કરવાની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ પુત્રી ઇશા અંબાણીને અલગ કરવામાં આવેલી નાણાકીય સર્વિસિસના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સામેલ કરવાની ઘોષણા કરી હતી. આ નવી કંપનીનું માર્કેટ કેપ પણ રૂ. 1.5 લાખ કરોડથી વધુ છે, એમ અહેવાલ કહે છે.કંપની હાલમાં મર્ચન્ટ બેન્કરો સાથે બોન્ડ ઇસ્યુ માટે વાટાઘાટ કરી રહી છે. કંપનીનો આ બોન્ડ ઇશ્યુ રૂ. 5000 કરોડથી રૂ. 10,000 કરોડનો હોવાની શક્યતા છે. કંપની આ બોન્ડ ઇશ્યુ માર્કેટમાં આ વર્ષના અંતમાં લાવે એવી શક્યતા છે.
કંપનીની યોજના નજીકના ભવિષ્યમાં સંપૂર્ણ નાણાકીય સર્વિસિસ તરીકેની કંપની સ્થાપિત કરવાની છે. કંપનીએ હાલમાં જ એની કમાણીનો રિપોર્ટ બહાર પાડ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બરે પૂરા થતા ત્રિમાસિક ગાળામાં એની અગાઉના ત્રિમાસિકના રૂ. 331.92 કરોડથી વધીને રૂ. 668.18 કરોડ થયો હતો.