Home Blog Page 2320

‘માસ્ટર ઑફ ડ્રામા’ : જયરામ રમેશે PM મોદી પર નિશાન સાધ્યું

કોંગ્રેસના નેતા જયરામ રમેશે આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ક્રિકેટરોને સાંત્વના આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને પીએમ મોદીને ‘નાટકના માસ્ટર’ ગણાવ્યા. કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે ભારતના યુવાનો આ ભયાવહ કૃત્યોથી મૂર્ખ નહીં બને.

પીએમ મોદી ભારતીય ટીમને સાંત્વના આપવા પહોંચ્યા હતા

નોંધનીય છે કે એક વાયરલ વીડિયોમાં, પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ સામે ભારતીય ક્રિકેટ ટીમ છ વિકેટે હાર્યા બાદ વડાપ્રધાન ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. આ વીડિયો બીજેપીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

શમીને ગળે લગાડ્યો

વીડિયોમાં ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહોંચેલા પીએમ મોદી પણ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ગળે લગાવતા જોવા મળ્યા હતા. વીડિયોમાં વડાપ્રધાનને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો હાથ પકડીને કહેતા સાંભળી શકાય છે કે, “તમે 10 મેચ જીતીને અહીં પહોંચ્યા છો. આવી ઘટનાઓ બનતી રહે છે. આ દરમિયાન તેણે અન્ય ખેલાડીઓ અને ટીમના કોચ રાહુલ દ્રવિડ સાથે પણ વાત કરી અને જ્યારે તે દિલ્હી આવ્યો ત્યારે તેમને મળવાનું આમંત્રણ આપ્યું.

ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે રોહિત શર્માના નેતૃત્વમાં વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સતત 10 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે, રવિવારે (19 નવેમ્બર) રમાયેલી ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

ભારતીય શેરબજાર આખો દિવસ મજબૂત બુલિશ રેન્જમાં રહ્યું હતું અને તેનું બંધ પણ ખૂબ જ શાનદાર રહ્યું હતું. સેન્સેક્સ ફરી એકવાર 66000 ના સ્તરની નજીક આવી ગયો છે. તે દિવસના ટ્રેડિંગમાં પણ આ સ્તરને પાર કરી ગયો હતો. આજે બંધ થવાના સમયે નિફ્ટી 19800 ની નજીક જવામાં સફળ રહ્યો હતો. BSE સેન્સેક્સ 275.62 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 65,930 ના સ્તર પર બંધ થયો. NSE નો નિફ્ટી 89.40 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 19,783 ના સ્તર પર બંધ થયો.

 

સેન્સેક્સના શેરની સ્થિતિ કેવી હતી?

આજે સેન્સેક્સના 30માંથી 18 શેરો ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 12 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના ટોચના શેરોમાં JSW સ્ટીલ 1.76 ટકા, ટાટા સ્ટીલ 1.45 ટકા, ટાઇટન 1.44 ટકા વધીને બંધ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.24 ટકા અને સન ફાર્મા 1.18 ટકા વધીને બંધ થયા હતા. ટાટા મોટર્સ 1.02 ટકાના વધારા સાથે રહ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરોમાં વધારો નોંધાયો હતો અને 20 શેરો ઘટાડા શ્રેણીમાં બંધ થયા હતા. ટોપ ગેઇનર્સમાં SBI લાઇફ 2.72 ટકા, HDFC લાઇફ 2.24 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 2.22 ટકા, હિન્દાલ્કો 1.86 ટકા અને JSW સ્ટીલ 1.75 ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહી હતી.

બજારના વેપારની વિશેષ વિશેષતાઓ શું હતી?

સારા વૈશ્વિક સંકેતોના આધારે શેરબજાર સવારે જોરદાર ખુલ્યું હતું. ઈન્ટ્રાડેમાં તેની મજબૂતાઈ અકબંધ રહી અને ઈન્ટ્રાડેમાં મિડકેપ-સ્મોલકેપની સાથે રિયલ્ટી ઈન્ડેક્સના મજબૂત ઉછાળાથી બજારને ટેકો મળ્યો. આજના કારોબારમાં નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં પણ જબરદસ્ત વધારો નોંધાયો હતો.

વોર્નર ભારત સામે T20I શ્રેણીમાં નહીં રમે; ઓસ્ટ્રેલિયા પાછો જતો રહ્યો

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાનો અનુભવી સ્ટાર બેટર અને ઓપનર ડેવિડ વોર્નર ભારત સામેની આગામી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણીમાં નહીં રમે. તે ઉનાળાની મોસમની ટેસ્ટ શ્રેણીની તૈયારી કરવા માટે સ્વદેશ પાછો જતો રહ્યો છે. તે ટેસ્ટ શ્રેણી નિવૃત્તિ પૂર્વે, એની કારકિર્દીની આખરી હશે એવી તે પોતે જ જાહેરાત કરી ચૂક્યો છે. હાલમાં જ સમાપ્ત થયેલી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં વોર્નર ઓસ્ટ્રેલિયાનો નંબર-1 સ્કોરર રહ્યો હતો. એણે 11 મેચોમાં 48.63ની સરેરાશ સાથે 535 રન કર્યા હતા. વોર્નરની જગ્યાએ ઓલરાઉન્ડર આરોન હાર્ડીને પસંદ કરવામાં આવ્યો છે.

વોર્નર સ્વદેશ જતો રહેતાં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી હવે માત્ર સાત જ ખેલાડી ભારત સામેની ટ્વેન્ટી-20 શ્રેણી રમવા માટે ભારતમાં રોકાયા છે. આ ખેલાડીઓ છેઃ ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિશ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, એડમ ઝેમ્પા અને શોન એબટ. રિઝર્વ સ્પિનર તનવીર સાંઘા પણ ભારતમાં રોકાયો છે. વોર્નરની જગ્યાએ ટ્રેવિસ હેડ સાથે સ્મિથ દાવનો આરંભ કરે એવી ધારણા છે.

15-સભ્યોની ઓસ્ટ્રેલિયન ટીમઃ

મેથ્યૂ વેડ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, ગ્લેન મેક્સવેલ, ટીમ ડેવિડ, નેથન એલિસ, આરોન હાર્ડી,  જોશ ઈંગ્લિશ (વિકેટકીપર), કેન રિચર્ડસન, મેટ શોર્ટ, જેસન બેહરનડોર્ફ, શોન એબટ, એડમ ઝેમ્પા, તનવીર સાંઘા.

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે પાંચ T20I મેચો રમાશે. કાર્યક્રમ નીચે મુજબ છેઃ

પહેલી T20I મેચ – 23 નવેમ્બર – વિશાખાપટન

બીજી T20I મેચ – 26 નવેમ્બર – તિરુવનંતપુરમ

ત્રીજી T20I મેચ – 28 નવેમ્બર – ગુવાહાટી

ચોથી T20I મેચ – 1 ડિસેમ્બર – રાયપુર

પાંચમી T20I મેચ – 3 ડિસેમ્બર – બેંગલુરુ

‘વાઇબ્રન્ટ ગુજરાત’ થકી ટેસ્લાની ભારતમાં મૂડીરોકાણની યોજના

વોશિંગ્ટનઃ ઇલેક્ટ્રિક વેહિકલ (EV) બનાવતી એલન મસ્કની કંપની ટેસ્લા ઇન્ક.નો આગામી વર્ષે ભારતમાં પ્રવેશ થશે. ભારતની સાથે ટેસ્લાનો સોદો અંતિમ તબક્કામાં છે. એલન મસ્કે કહ્યું હતું કે તેઓ આગામી વર્ષે ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે, એમ બ્લુમબર્ગનો અહેવાલ કહે છે.

ભારત આગામી વર્ષે અમેરિકન કંપનીને ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરવાની અને બે વર્ષના સમયગાળાની અંદર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપશે. જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એની સત્તાવાર ઘોષણા થવાની અપેક્ષા છે. ગુજરાત, મહારાષ્ટ્ર ને તામિલનાડુમાં ટેસ્લા ઉત્પાદન પ્રક્રિયા વિસકાવે એવી શક્યતા છે.

અહેવાલ કહે છે કે કંપની ભારતમાં નવા પ્લાન્ટ માટે પ્રારંભમાં આશરે બે અબજ ડોલર- આશરે રૂ. 16,000 કરોડના મૂડીરોકાણની યોજના બનાવી રહી છે. આ સાથે કંપનીની ભારત પાસેથી 1.2 અબજ ડોલર એટલે કે આશરે 1.2 લાખ કરોડ સુધીના ઓટો પાર્ટ્સ ખરીદવની યોજના બનાવી રહી છે. કંપની પડતર ખર્ચ કરવા માટે ભારતમાં કેટલીક બેટરીઓનું ઉત્પાદન કરવાની યોજના છે.

હાલમાં કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલે કેલિફોર્નિયામાં ટેસ્લાના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી. જોકે એ વખતે મસ્ક હાજર નહોતો. તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે તમારું ટેસ્લામાં આવવું સન્માનની વાત છે, આજે મને કેલિફોર્નિયામાં નહીં આવવા ખેદ છે, પણ ભવિષ્યમાં મિટિંગ કરવાની આશા રાખું છું.

જૂનમાં PM સાથે મુલાકાત

આ વર્ષે જૂનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ન્યુ યોર્કમાં ટેસ્લાના CEO એલન મસ્કે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી મસ્કે કહ્યું હતું કે ભારતમાં વિશ્વના કોઈ પણ મોટા દેશની તુલનામાં વધુ સંભાવનાઓ છે.

 

 

 

 

 

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે ‘દાસ્તાનગોઈ’

મુંબઈઃ ‘દાસ્તાનગોઈ’નાં મૂળ આમ તો અરબસ્તાનમાં મુસ્લિમ ધર્મ આવ્યો એ અગાઉનો ગણાય છે, પણ સદીઓ અગાઉ વાયા ઇરાન થઈને મુઘલ શાસનમાં એણે ભારતમાં પ્રવેશ કર્યો. ઉર્દૂ અને ફારસી પરંપરામાં ‘દાસ્તાનગોઈ’ એટલે વાર્તા કહેવી.  ‘દાસ્તાન’ એટલે વાર્તા અને ‘ગોઈ’ એટલે કહેવું. ‘દાસ્તાનગો’ એટલે વાર્તા કહેનાર.

ગુજરાતી સાહિત્યની કેટલીક ઉત્તમ વાર્તાઓ મુંબઈનાં નાટ્ય કલાકારો દ્વારા દાસ્તાનગોઈની પરંપરા મુજબ રજૂ કરવામાં આવશે. જાણીતા નાટ્યકર્મી પ્રીતેશ સોઢા તથા કવિ હિતેન આનંદપરાએ દાસ્તાનગોઈના આ સ્વરૂપનું ગુજરાતીમાં અવતરણ કર્યું છે અને કેટલાક કાર્યક્રમો મુંબઈમાં તથા મુંબઈ બહાર પણ કર્યા છે.

મુંબઈના કાંદિવલીમાં ૨૫ નવેમ્બર શનિવારે સાંજે  ૫ વાગ્યે યોજાયેલા ‘દાસ્તાનગોઈ ‘કાર્યક્રમમાં જાણીતા વરિષ્ઠ કલાકાર પ્રતાપ સચદેવ, મંજાયેલા કલાકારો અલ્પેશ દીક્ષિત, રિન્કુ પટેલ, યુવાન પ્રતિભા પ્રીતા પંડ્યા તથા પ્રિયમ જાની જે ટૂંકી વાર્તાઓ રજૂ કરશે, એના લેખક ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, દિનકર જોષી તથા મીનલ દવે છે. કવિ સંજય પંડ્યા સંચાલકની ભૂમિકામાં છે.      

આ કાર્યક્રમ લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ વી રોડ, કાંદિવલીના સરનામે યોજાશે. અકાદમી કાર્યાધ્યક્ષ સ્નેહલ મઝુમદાર, નિદેશક સચિન નિંબાલકર તથા પ્રગતિ મિત્ર મંડળના પ્રમુખ મુકેશ દોશી, સંયોજક અનંતરાય મહેતા, સાહિત્ય વિભાગ અધ્યક્ષ પ્રતિમા પંડ્યા, આ અનોખી પ્રસ્તુતિ માણવા સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.

 

 

 

 

 

 

મિસ યૂનિવર્સ-2023: બિકિની રાઉન્ડમાં પાકિસ્તાની મોડેલે પહેરેલો ડ્રેસ જોયો?

સેન સેલ્વાડોર (એલ સેલ્વાડોર): હાલમાં જ આ શહેરમાં 72મી ‘મિસ યૂનિવર્સ-2023’ સૌંદર્ય સ્પર્ધા યોજાઈ ગઈ. એમાં નિકારાગ્વાની શેન્નિસ પલાસિયોસ વિજેતા બની. દુનિયાભરની સુંદર યુવતીઓને હરાવીને શેન્નિસ તાજ જીતી ગઈ. આ સ્પર્ધામાં પહેલી જ વાર પાકિસ્તાનની મોડેલે ભાગ લીધો હતો. સ્વિમસૂટ રાઉન્ડમાં બિકિનીને બદલે તેણે પહેરેલો ડ્રેસ સૌનું ધ્યાન આકર્ષિત કરી ગયો હતો.

પાકિસ્તાનની મોડેલ એરિકા રોબિન બિકિની રાઉન્ડમાં બિકિનીને બદલે એક લાંબોલચક ડ્રેસ પહેરીને રેમ્પ પર હાજર હતી. આ ડ્રેસને બુર્કિની કહે છે. આ બુરખા ટાઈપની બિકિની છે. એટલે કે બુરખા અને બિકિનીનું કોમ્બિનેશન છે. એરિકાની બુર્કિની આછા ગુલાબી રંગની હતી. રેમ્પ પર તે જેવી આ ડ્રેસ પહેરીને ઉતરી કે એને જોઈને જજીસને આઘાત લાગ્યો હતો, પણ એરિકાએ જે આત્મવિશ્વાસપૂર્વક શો કર્યો હતો તે જોઈને જજીસ અને આમંત્રિત દર્શકોને આશ્ચર્ય થયું હતું. એરિકા રોબિન પાકિસ્તાનની ખ્રિસ્તી સમુદાયની યુવતી છે. વસ્તી ગણતરી અનુસાર, પાકિસ્તાનમાં માત્ર 1 ટકો જ ખ્રિસ્તી લોકો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ઈસ્લામ ધર્મને વરેલો દેશ છે. અહીં જાહેરમાં બિકિની પહેરવાની મુસ્લિમ સ્ત્રીઓને પરવાનગી નથી. બુર્કિની ડ્રેસમાં સ્ત્રીનું આખું શરીર ઢંકાયેલું રહે છે. માત્ર ચહેરો, હાથ અને પગ જ દેખાય છે.

‘મિસ યૂનિવર્સ-2023’માં ભારતની શ્વેતા શારદાએ ભાગ લીધો હતો. તે ચંડીગઢની રહેવાસી છે.

સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોની હાલત ખરાબ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા સુરંગનો એક ભાગ ધસી જવાથી એમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની જહેમત હજી જારી છે. આ દરમ્યાન સુરંગમાં ફસાયેલા મજૂરોનો પહેલો ફોટો સામે આવ્યો છે. આ ફોટોમાં મજૂર સેફ્ટી હેલ્મેટ લગાવેલા નજરે ચઢી રહ્યા છે.

આ મજૂરો સાથે ઉત્તર પ્રદેશ સરકારના પ્રતિનિધિ અરુણકુમારની સાથે વાતચીત થઈ હતી. આ મજૂરોએ તેમને કહ્યું હતું કે અમને અહીંથી જલદી બહાર કાઢો, અમારી હાલત સ્થિતિ બહુ ખરાબ છે.  જેથી તેમણે તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે ચિંતા ના કરો, ભરોસો રાખો, રેસ્ક્યુ ઓપરેશન જલદી સફળ થશે અને આપણે બધા એકસાથે ઘરે જઈશું.

​​​​​ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 10 દિવસથી ફસાયેલા 41 મજૂરોના પ્રથમ વિડિયો સામે આવ્યા છે. રવિવારે નવી છ ઇંચ પહોળી પાઇપલાઇન દ્વારા એંડોસ્કોપિક કેમેરાને અંદર મોકલવામાં આવ્યો હતો. જેના દ્વારા મજૂરો સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. આ સાથે મજૂરોની ગણતરી પણ કરવામાં આવી હતી. હાલ તમામ મજૂરો સુરક્ષિત છે.

મજૂરોને ભોજન પહોંચાડવાના કેટલાક વિડિયો પણ સામે આવ્યા છે. એક વિડિયોમાં રેસ્ક્યુ ટીમ ગરમ ખીચડી બનાવીને બોટલોમાં ભરતા જોવા મળે છે. અન્ય એક વિડિયોમાં આ બોટલોને પાઇપ દ્વારા મોકલવામાં આવતી જોઈ શકાય છે. મંગળવાર બપોર સુધીમાં ટનલમાં ત્રણ જગ્યાએથી ડ્રિલિંગ શરૂ થવાની ધારણા છે.સોમવારે બચાવ કામગીરીમાં બે મહત્ત્વની સફળતાઓ મળી હતી. પ્રથમ, નવી છ ઇંચ પહોળી પાઇપલાઇન નાખવામાં આવી હતી. બીજું, ઓગર મશીન સાથે કામ કરતા મજૂરોને કોઈ પણ અનિચ્છનીય ઘટનાથી બચાવવા માટે એક બચાવ ટનલ બનાવવામાં આવી છે.

 

 

 

 

 

ઈઝરાયલનું મોટું પગલું: લશ્કર-એ-તૈબાને આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કર્યું

મુંબઈઃ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાઓની 15મી વરસી આવતા રવિવારે છે. તે પૂર્વે ઈઝરાયલ દેશે એક મોટું પગલું ભર્યું છે.  ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરનાર લશ્કર-એ-તૈબા સંગઠનને આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કર્યું છે. 2008ની 26 નવેમ્બરની રાતે મુંબઈમાં 10 જગ્યાઓએ લશ્કર-એ-તૈબાના આતંકવાદીઓએ હુમલા કર્યા હતા. એમાં 238 વિદેશી નાગરિકો સહિત 166 જણના મરણ થયા હતા. તેમજ 300થી વધારે લોકો ઘાયલ થયા હતા.

ઈઝરાયલની ભારતસ્થિત દૂતાવાસ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકારે અમને કોઈ વિનંતી કરી નથી, પણ અમે સ્વયં નિર્ણય લઈને લશ્કર-એ-તૈબાને ઘાતક અને નિંદનીય આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કર્યું છે જે સેંકડો ભારતીય નાગરિકો તેમજ અન્ય લોકોની હત્યા માટે જવાબદાર છે.

RRTS પ્રોજેક્ટ પર દિલ્હી સરકારને કોર્ટનું ‘સુપ્રીમ’ અલ્ટિમેટમ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દિલ્હી-મેરઠ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટના મામલે દિલ્હી સરકારથી ખફા છે. કોર્ટે દિલ્હી સરકારને એક સપ્તાહની અંદર રૂ. 415 કરોડ આપવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. કોર્ટે એ પણ આદેશ આપ્યો હતો કે જો ફંડ ચૂકવવાના નહીં આવે તો દિલ્હી સરકારના જાહેરાતના બજેટને અટકાવવામાં આવશે અને એ ફંડમાંથી ફન્ડિંગ આપવામાં આવશે. કોર્ટે એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ મામલાની આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે.

કોર્ટે 24 જુલાઈએ રૂ. 415 કરોડ ના આપવા પર દિલ્હી સરકારને ઠમઠોરતાં કહ્યું હતું કે જો આ રકમ નહીં આપવામાં આવે તો અમે દિલ્હી સરકારના જાહેરાત બજેટ પર પ્રતિબંધ લગાવીને જપ્ત કરી લઈશું. કોર્ટે કહ્યું હતું કે પ્રદૂષણને રોકવા માટેના પ્રોજેક્ટ્સ પણ જરૂરી છે. છેલ્લા ત્રણ વર્ષનું દિલ્હી સરકારનું જાહેરાતનું બજેટ રૂ. 1100 કરોડ હતું. જ્યારે આ વર્ષે બજેટ રૂ. 550 કરોડ છે. 24 જુલાઈએ કોર્ટે કહ્યું હતું કે જો દિલ્હી સરકાર ત્રણ વર્ષોમાં જાહેરાત માટે રૂ. 1100 કરોડની ફાળવણી કરી શકે છે તો પાયાના પ્રોજેક્ટો માટે ફંડ જરૂરી છે.

કોર્ટે અલ્ટિમેટમ આપતાં કહ્યું હતું કે પ્રોજેક્ટ માટે ચુકવણી કરો અથવા કોર્ટ ફંડને જપ્ત કરશે. કોર્ટની ફટકાર અને ચેતવણી પછી દિલ્હી સરકાર બે મહિનામાં રૂ. 415 કરોડનાં બાકી લેણાં આપવા રાજી થઈ હતી. કોર્ટે દિલ્હી સરકારને પાછલાં ત્રણ વર્ષોમાં જાહેરાત પર કરેલા ખર્ચની વિગતો માગી હતી. કેજરીવાલ સરકારે કોર્ટમાં પ્રોજેક્ટ માટે ફંડ ના હોવાની રજૂઆત કરી હતી. કોર્ટે આ મહિનાના પ્રારંભે પ્રોજેક્ટ માટે ફંડમાં વિલંબ માટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી.

 

 

 

 

 

 

 

કોરાનાના 13 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,606 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,126 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 14 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 185 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,76,793 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 105 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.