Home Blog Page 2321

કોમેડિયન વીર દાસ, નિર્માત્રી એક્તા કપૂરે જીત્યો ‘ઈન્ટરનેશનલ એમી એવોર્ડ’

ન્યૂયોર્કઃ અભિનેતા અને કોમેડિયન વીર દાસે ઈતિહાસ રચ્યો છે. એમણે નેટફ્લિક્સ પર પ્રસારિત એમના ટીવી શો ‘વીર દાસઃ લેન્ડિંગ’ માટે પ્રતિષ્ઠિત ‘ઈન્ટરનેશનલ એમી એવોર્ડ’ જીત્યો છે. આ એવોર્ડ એમને બેસ્ટ યૂનિક કોમેડી સ્પેશિયલ કેટેગરીમાં આપવામાં આવ્યો છે. ગઈ કાલે અહીં યોજવામાં આવેલા 51મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ-2023 કાર્યક્રમમાં એમને આ ટ્રોફી આપવામાં આવી હતી. ‘વીર દાસઃ લેન્ડિંગ’ શોએ ફ્રાન્સ, આર્જેન્ટિના અને બ્રિટનના કોમેડી શોને પરાજય આપ્યો છે. આ જ કાર્યક્રમમાં ટીવી સિરિયલ નિર્માત્રી એકતા કપૂરને ‘ઈન્ટરનેશનલ એમી ડાઈરેક્ટોરેટ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ જીતનાર એકતા પહેલાં જ ભારતીય મહિલા છે. વર્ષ 2022 માટેના ટીવી શો માટે કલાકારો-કસબીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

દુનિયાભરમાં રજૂ કરાતા શ્રેષ્ઠ ટીવી શો અને તેમના કલાકાર-કસબીઓને ઈન્ટરનેશનલ એકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સીસ સંસ્થા દ્વારા એવોર્ડ આપવામાં આવે છે.

શેફાલી શાહ એવોર્ડ જીતવામાં નિષ્ફળ

અભિનેત્રી શેફાલી શાહ ઈન્ટરનેશનલ એમી એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહ્યાં છે. નેટફ્લિક્સ દ્વારા પ્રસારિત ટીવી સીરિઝ ‘દિલ્હી ક્રાઈમ સીઝન 2’માં કરેલા અભિનય બદલ શેફાલીને બેસ્ટ એક્ટ્રેસ માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં, પરંતુ આ એવોર્ડ જીતવામાં મેક્સિકન અભિનેત્રી કાર્લા સુઝા સફળ થઈ છે, ફિલ્મ ‘ડાઈવ’માં કરેલા અભિનય માટે.

હાઈવે કંઈ લોકો માટે ફરવાનું સ્થળ નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ હાઈવે પર લોકોને ફરવાની પરવાનગી નથી, આવું સર્વોચ્ચ અદાલતે કહ્યું છે અને હાઈવે પર રાહદારીઓની સલામતી અને રક્ષણના મુદ્દો ઉઠાવતી એક પીટિશન સાંભળવાનો ઈનકાર કરી દીધો છે. આ પીટિશન ગુજરાત હાઈકોર્ટે આપેલા એક ચુકાદાને પડકારવા માટે નોંધવામાં આવી હતી. પીટિશનને ફગાવી દેતાં ન્યાયમૂર્તિઓ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે કહ્યું કે આ મામલે ન્યાયતંત્ર કોઈ આદેશ આપી ન શકે, કારણ કે પીટિશનમાં રાહત માટે જે દાવો કરવામાં આવ્યો છે તે નીતિવિષયક બાબત છે.

આવી ફરિયાદ માટે અરજદારોએ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય પાસે જવું જોઈએ. અરજદારોના વકીલે જ્યારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે ન્યાયાધીશોએ ટકોર કરી, ‘હાઈવે કંઈ રાહદારીઓ માટે નથી. શિસ્ત તો હોવી જ જોઈએ.’ દેશમાં રાહદારીઓને હાનિ કરતા રોડ અકસ્માતોની સંખ્યા ખૂબ વધી ગઈ છે એવું જ્યારે વકીલે કહ્યું ત્યારે ન્યાયાધીશોએ કહ્યું, ‘રાહદારીઓએ જ્યાં જવાનું ન હોય ત્યાં તેઓ જશે તો અકસ્માત જેવા બનાવો બનવાના જ. રાજમાર્ગો (ધોરીમાર્ગો)ની સંકલ્પના એવી છે કે એમને અલગ ગણવા જોઈએ. હાઈવે કંઈ લોકો માટે હરવા-ફરવા માટે નથી. આ શિસ્ત જળવાવી જ જોઈએ. કાલે ઉઠીને તમે કહેશો કે લોકોને હાઈવે પર ફરવા દેવા જોઈએ અને વાહનો અટકી જવા જોઈએ. એવું કઈ રીતે બની શકે? હાઈવેની સંખ્યા વધી છે, પણ એની સામે આપણી શિસ્ત વધી નથી.’

૨૧ નવેમ્બર, ૨૦૨૩

૨૧ નવેમ્બર, ૨૦૨૩

રાતે પાણીએ રોવું

       

        રાતે પાણીએ રોવું

 

લોહીનો રંગ લાલ એટલે કે રાતો હોય છે. આ અર્થમાં માણસ રાતા પાણીએ રોવે એટલે કે લોહીના આંસુએ રોવે તેવું સમજાય.

અત્યંત કષ્ટદાયક પરિસ્થિતી અને લોભ અથવા છેતરામણીને કારણે જ્યારે ખૂબ પીડાપૂર્વક માણસની આંખમાંથી આંસુ નીકળતા હોય એ પરિસ્થિતીને રાતા પાણીએ રોવું એટલે કે લોહીનાં આંસુ પાડવાં એવું કહી શકાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 21/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય છે.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને  કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું,  વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો,  યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય  વેપારના કામકાજમાં ધીરજ રાખવી.

બીરબલને ‘રાજા’ માં નાની તક મળી

હાસ્ય કલાકાર તરીકે અનેક ફિલ્મો કરનાર બીરબલનું અવસાન થયું ત્યારે એમને ‘શોલે’ (૧૯૭૫) ની અડધી મૂછવાળા કેદીની ભૂમિકાને કારણે વધારે ઓળખવામાં આવ્યા હતા. નાની ભૂમિકાઓ કરીને પણ ફિલ્મોમાં મોટી ઇનિંગ રમી ગયા હતા. ફિલ્મોમાં પ્રવેશ માટે ઘણો સંઘર્ષ કર્યો હતો અને કડવા અનુભવો પણ થયા હતા. બીરબલે પરિવારના આગ્રહથી બીએ સુધીનો અભ્યાસ કર્યો એ પહેલાંથી અભિનયની ખંજવાળ ઉપડી ચૂકી હતી. કિશોરકુમાર અને ઓમપ્રકાશના દિવાના હતા. એમની ફિલ્મો જોઈને અભિનયનો શોખ જાગ્યો હતો અને વારંવાર એમની ફિલ્મો જોઈને દ્રશ્યોની નકલ પણ કરતા હતા, પિતાનો પ્રિન્ટિંગ પ્રેસનો ધંધો હતો અને ડાયરીઓ બનાવતા હતા.

પિતાએ પોતાની સાથે જ કામ કરવા કહ્યું હતું અને ફિલ્મની લાઇન સારી ન હોવાની સલાહ આપી હતી. પરંતુ બીરબલ જીદ કરીને ફિલ્મોમાં કામ કરવા મુંબઈ પહોંચી ગયા હતા. ત્યારે દિલ્હીના પંજાબબાગમાં રહેતા બીરબલ નખકળાના એક કલાકાર પાસેથી મુંબઈના નિર્માતા રામદયાળ પર ભલામણ પત્ર લઈને ગયા હતા. એ પત્ર છતાં મુશ્કેલીથી સ્ટુડિયોમાં પ્રવેશ મેળવી એમની સાથે મુલાકાત કરી અને પોતાને આવડતી કોમેડીનો નમૂનો રજૂ કર્યો. ‘સંસદ ટીવી’ ના ‘ગુફ્તગૂ’ માં આપેલી મુલાકાત મુજબ થોડા દિવસો પછી બીરબલને સૌપ્રથમ એમની ફિલ્મ ‘રાજા’ માં જગદીપ સાથે માત્ર ઊભા રહેવાની તક મળી હતી. એક વર્ષ સુધી નિર્માતાઓના દરવાજે ચક્કર કાપતા રહ્યા. પરિવારે શરૂઆતમાં ખર્ચના પૈસા મોકલ્યા પછી એમ કહી દીધું હતું કે તું પાછો ઘરે આવવાનો હોય ત્યારે કહેજે. અમે ટિકિટના પૈસા મોકલી આપીશું. કામ મળતું ન હોવાથી ખાવાના પૈસા ન હતા ત્યારે ફિલ્મીસ્તાન સ્ટુડિયો સામે એક હોટલમાં ઉધાર મળતું હતું એટલે દૂરથી ટ્રેનમાં મુસાફરી કરીને ત્યાં જમવા જતા હતા. કોઈ જગ્યાએ કામ મળતું ત્યારે ચાલતા જ જવું પડતું હતું.

એક નિર્માતાએ એક મહિના પછી મળવાની વાત કરી હતી. અને ત્રણ મહિના ધક્કા ખવડાવ્યા પછી નાનકડી ભૂમિકા આપી. બીરબલે જ્યારે પૈસા માગ્યા ત્યારે એમ કહીને ના આપ્યા કે અમે ક્યાં કહ્યું હતું કે પૈસા આપીશું? તે કામ માગ્યું એટલે આપ્યું હતું. જો અમારે પૈસા આપવા હોત તો મોહન ચોટીને બોલાવ્યો હોત. એક વર્ષના સંઘર્ષ પછી મનોજકુમારની ફિલ્મ ‘દો બદન’ (૧૯૬૬) માં થોડી ઉલ્લેખનીય ભૂમિકા મળી. કલાકારો પૂરા પાડતો એક માણસ કોલેજના વિદ્યાર્થિની ભૂમિકા માટે બીરબલને એમની પાસે લઈ ગયો હતો. ત્યાં બીજા વિદ્યાર્થીઓની જેમ હાથમાં પુસ્તક લઈને ઊભા રહેવાનું હતું. એ ચાર્લી ચેપ્લીન જેવી મૂછ લગાવી હાથમાં બહુ મોટા પુસ્તક સાથે ઊભો રહી ગયો હતો. ત્યારે રાજ ખોસલાએ મનોજકુમારને કહ્યું કે એક દ્રશ્યમાં ગધેડો લાગે એવો અભિનેતા જોઈએ છે. એમણે ગીતકાર ગુલશન બાવરાને અજમાવી જોયો પણ મજા ના આવી. એમની નજર ચશ્મા અને મૂછ લગાવેલા બીરબલ પર પડી અને પસંદ કરી લીધો.

બીરબલની કારકિર્દીની મહત્વની ભૂમિકાઓ સાથેની ખરી શરૂઆત વી. શાંતારામની ‘બૂંદ જો બન ગઈ મોતી’ (૧૯૬૭) થી થઈ હતી. બીરબલનું અસલ નામ સત્યેન્દ્ર ખોસલા હતું. એ નિર્દેશક રાજ ખોસલાની ફિલ્મ ‘અનિતા’ (૧૯૬૭) માં કામ કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે આ કેવું નામ છે? સત્યેન્દ્ર નામ તો જીતેન્દ્ર, ધર્મેન્દ્ર અને રાજેન્દ્ર જેવું છે પણ તારો ચહેરો કહે છે કે તું હીરો બનવાનો નથી. તારે કોમેડીયન લાગે એવું નામ રાખવું જોઈએ. સત્યેન્દ્રએ કેટલાક નામોનું સૂચન કર્યું ત્યારે રાજ ખોસલા અને મનોજકુમારે ચર્ચા કરીને ‘બીરબલ’ પર પસંદગી ઉતારી હતી. મનોજકુમારે હસીને કહ્યું પણ હતું કે તારામાં એટલી અક્કલ નથી પણ અમે ‘બીરબલ’ નામ રાખ્યું છે! બીરબલની યાદગાર ફિલ્મોમાં મનોજકુમારની ઉપકાર, ક્રાંતિ વગેરે સાથે ‘અનુરોધ’ અને ‘અમીર ગરીબ’ પણ રહી છે.

પંચાંગ 21/11/2023

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 T20 મેચોની શ્રેણી રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. જો કે આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ વાઇસ કેપ્ટનની ભૂમિકામાં હશે. આ સિવાય રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. વિશાખાપટ્ટનમ સિવાય આ શ્રેણીની મેચ તિરુવનંતપુરમ, ગુવાહાટી, નાગપુર અને હૈદરાબાદમાં રમાશે. ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીની મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી રમાશે.

 

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને મુકેશ કુમાર

ભારત સામેની ટી20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

મેથ્યુ વેડ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, જોશ ઈંગ્લિસ, તનવીર સંઘા, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, સ્પેન્સર જોન્સન, એડમ ઝમ્પા.

NIAએ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ સામે કેસ દાખલ કર્યો

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, NIA એ સોમવાર (20 નવેમ્બર) ના રોજ શીખ ફોર જસ્ટિસ (SFJ) ના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ એર ઈન્ડિયામાં ઉડતા મુસાફરોને ધમકી આપવા બદલ કેસ નોંધ્યો હતો. NI એ ઘોષિત આતંકવાદી પન્નુ વિરુદ્ધ IPCની કલમ 120B, 153A અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. આ સિવાય ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની કલમ 10, 13, 16, 17, 18, 18B અને 20 હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ પન્નુનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે 19મી નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી આવતા મુસાફરોને ધમકી આપી હતી.

NIAએ શું કહ્યું?

NIAએ એક નિવેદન જારી કરીને કહ્યું કે પન્નુએ 4 નવેમ્બરે એક વીડિયો જાહેર કર્યો હતો. આમાં તે શીખોને કહી રહ્યો છે કે તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરે કારણ કે તેમનો જીવ જોખમમાં હશે. NIAએ વધુમાં જણાવ્યું હતું કે પન્નુ ભારતમાં આતંકવાદી ઘટનાઓને પ્રોત્સાહન આપવા માટે ખોટા નિવેદનો ફેલાવી રહ્યો છે. તે શીખો અને અન્ય ધાર્મિક જૂથો વચ્ચે નફરત વધારવાનો પણ સતત પ્રયાસ કરી રહ્યો છે.

સરકારે શું કહ્યું?

ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટૂ મંત્રી સ્તરીય વાટાઘાટો બાદ વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કેનેડાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અમારી મુખ્ય ચિંતા સુરક્ષા છે. તમે તાજેતરમાં ગુરપતવંત સિંહ પન્નુનો વીડિયો જોયો જ હશે. આ ગંભીર સુરક્ષા ચિંતાઓ ઉભી કરે છે. અમે અમારી સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ કરી છે. અમને લાગે છે કે તેઓ તે સમજે છે. તમને જણાવી દઈએ કે ભારત કેનેડા સરકાર પાસે પન્નુ અને અન્ય ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં કોઈ ભારતીય એજન્ટ સામેલ હોઈ શકે છે. ભારત સરકારે આ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે ટ્રુડો રાજકીય રીતે પ્રેરિત આવા નિવેદનો કરી રહ્યા છે. ટ્રુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

અનુષ્કા સાથે મુંબઈ પરત ફર્યો વિરાટ કોહલી, રોહિત શર્મા એરપોર્ટ પર જોવા મળ્યો

વર્લ્ડ કપ 2023 હાર્યા બાદ વિરાટ કોહલી તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે મુંબઈ પરત ફર્યો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ તેની પુત્રી સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યો હતો. બંને અમદાવાદથી મુંબઈ પરત ફર્યા છે. વિરાટની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ તેની સાથે જોવા મળી હતી. જે આ દરમિયાન એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી.

 

આ દરમિયાન અનુષ્કા શર્મા ઓફ-વ્હાઈટ સૂટમાં જોવા મળી હતી અને ટીમ ઈન્ડિયાની હારનું દર્દ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વિરાટ-અનુષ્કા ઉપરાંત ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પણ એરપોર્ટ પર જોવા મળ્યા છે.

એરપોર્ટ પર રોહિત શર્મા તેની નાની દીકરીને ખોળામાં બેસાડી બેઠો જોવા મળ્યો હતો. તેની આ તસવીરો પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.આ દરમિયાન તેની પત્ની રિતિકા સજદેહ પણ રોહિત શર્મા સાથે જોવા મળી હતી, જે સફેદ શર્ટ પહેરેલી જોવા મળી હતી.