
Chitralekha Gujarati – 02 March, 2026
કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તકનું 23 વર્ષ બાદ પુન:વિમોચન
ગાંધીનગર: પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું 23 વર્ષ બાદ પુન:વિમોચન થશે. રાજ્યનાં માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવશે.
ગુજરાતી લોકસાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તેમના વતન મજાદર(કાગધામ) ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. ઉપરાંત કાગવાણીના ભક્તિ, શૌર્ય તથા બીજા અનેક વૈવિધ્યસભર અમર કાવ્યોને યાદ કરવામાં આવે છે. આગામી તારીખ 21 ફેબ્રુઆરીના રોજ કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે યોજાનારા કાર્યક્રમ ‘કાગના ફળિયે કાગની વાતું’ કાર્યક્રમમાં આ નવસંસ્કરિત પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.
કવિ કાગની જન્મ શતાબ્દી નિમિત્તે માહિતી ખાતા દ્વારા ‘વાણી તો અમરત વદાં’ ગ્રંથનુ પ્રકાશન વર્ષ 2003માં કરવામાં આવ્યું હતું. હાલ આ ગ્રંથ અપ્રાપ્ય હોવાથી ગ્રંથના સંપાદક અંબાદાન રોહડિયાના પ્રયત્નોથી આ ગ્રંથનું નવું સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૨૧મી ફેબ્રુઆરીના રોજ મજાદર ખાતે યોજનારા કાર્યક્રમમાં કાગબાપુના કાવ્યોની સંગીતમય પ્રસ્તુતિ સાથે વિવિધ લેખકો, સાહિત્યકારો અને લોકકલાકારોને મળી ૨૫ જેટલા સર્જકોને લોકસાહિત્ય એવોર્ડ આપવામાં આવશે. મોરારીબાપુના હસ્તે આ એવોર્ડનુ વિતરણ કરવામાં આવશે.


આ નવસંસ્કરિત પુસ્તકમાં જૂના લેખોની સાથે નવા કેટલાક લેખોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં કવિ કાગના સમગ્ર કર્તૃત્વ અને જીવનદર્શનને પાંચ ખંડોમાં સમાવિષ્ટ કરાયા છે. જેમાં વ્યક્તિત્વ અને વાઙ્મય સંસ્કૃતિ અને સમાજ, પ્રાચીન અને અર્વાચીનનો સમન્વય, કાગવાણી વિશેષ પરિપ્રેક્ષ્યમાં અને કાગવાણીના બહુવિધ પરિમાણોનો સમાવેશ થાય છે. આ ગ્રંથને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરીને વધુ લોકસ્વીકૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રંથમાં મુકાયેલ QR કોડ મોબાઇલની મદદથી સ્કેન કરવાથી કાગબાપુના કંઠે રજૂ થયેલ લોકરામાયણ, મહાભારત અને અન્ય કૃતિઓ આકાશવાણીના પ્રસંગો સાંભળી શકાશે. કવિ કાગની કહેણીની શૈલી અને કંઠની ઋજુતાને જન જન સુધી પંહોચાડવાનો આ આવકારદાયક પ્રયાસ છે. કવિ શ્રી કાગ વિષયક સ્વાધ્યાય લેખોને સમાવતો આ દળદાર ગ્રંથ વાચકો, સાહિત્યકારો અને લોક કલાકારોને કવિ કાગ અને તેમણે સર્જેલા સાહિત્યનો વિશેષ પરિચય આપશે અને અત્યંત ઉપયોગી બની રહેશે
મધ્ય-પૂર્વમાં યુદ્ધની આશંકાએ સેન્સેક્સ 1236 પોઇન્ટ તૂટ્યો
અમદાવાદઃ એશિયાઈ બજારોમાં તેજી હોવા છતાં ઘરેલુ શેરબજાર સપાટ શરૂઆત બાદ મોટા ઘટાડા સાથે બંધ થયાં હતાં. ભૂ-રાજકીય ચિંતાઓને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી હતી અને બજારમાં બે સપ્તાહથી વધુ સમય બાદ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સતત ત્રણ ટ્રેડિંગ સેશનના વધારા બાદ પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં ચારેય તરફ વેચવાલી જોવા મળી. એ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ICICI બેંક જેવા ઇન્ડેક્સ હેવી વેઇટ શેરોમાં વેચવાલીએ ઘટાડાને વધુ વેગ આપ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
શેરબજારમાં બધા સેક્ટોરલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. બજારમાં સૌથી વધુ ઘટાડો રિયલ્ટી, પાવર ઓટો અને યુટિલિટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ટ્રેડિંગ સેશનને અંતે 1236.11 અંક અથવા 1.48 ટકાના ઘટાડા સાથે 82,498.14 પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી-50 પણ 365 પોઇન્ટ અથવા 1.41 ટકાના ઘટાડા સાથે 25,454.35 પર બંધ થયો હતો.નિફ્ટી-50માં ટેક્નિકલ દૃષ્ટિએ ઇન્ડેક્સ 25,645–25,660ના ટૂંકા ગાળાના સપોર્ટ લેવલથી નીચે ગયો હતો. આ સ્તરે 20-દિવસના EMA (મૂવિંગ એવરેજ) નજીક હતું. જેમ જ આ સપોર્ટ તૂટ્યો, વેચવાલી થોડી તેજ બની હતી અને નિફ્ટી 25,350–25,400ના સપોર્ટ ક્ષેત્ર તરફ સરક્યો હતો.
ભારતીય બજારમાં વેચવાલી હાવી રહી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક માહોલ નબળો બન્યો. બ્રેન્ટ ક્રૂડની કિંમત આ વર્ષે સૌથી ઊંચા સ્તરે પહોંચી. જેના કારણે મોંઘવારી વધવાની ચિંતા વધી. સાથે જ હોર્મુઝ જળસંધિમાં અવરોધની આશંકાથી બજારમાં અસ્થિરતા વધી ગઈ હતી, એમ બજારના વિશ્લેષકે જણાવ્યું હતું.
BSE પર કુલ 4367 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1275 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2927 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 165 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 110 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 146 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 170 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 158 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
માતૃભાષા દિવસે ‘મનની મોજનીશી’ના એક વર્ષની ઉજવણી
અમદાવાદ: પ્રખ્યાત કલાકાર બેલડી શ્યામલ-સૌમિલ મુનશી દ્વારા આગામી 21મી ફેબ્રુઆરીના રોજ એક વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ ‘મનની મોજનીશી’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત ‘પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ – કલાધામ’ પણ તેમાં સહઆયોજક છે. આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ છે, જે આ આયોજનને વધુ ગૌરવપ્રદ બનાવે છે.
![]()
માર્ચ 2025માં શરૂ થયેલી ‘મનની મોજનીશી’ શ્રેણી દર મહિને અવિરતપણે યોજાતી રહી છે. ફેબ્રુઆરીમાં યોજાનારો આ કાર્યક્રમ આ શ્રેણીનો 12મો મણકો છે, જેની સાથે આ ઉપક્રમ સફળતાપૂર્વક પોતાનું એક વર્ષ પૂર્ણ કરશે. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદના હોલ ખાતે યોજાશે, જે સંસ્થા દ્વારા આ ઉમદા હેતુ માટે નિઃશુલ્ક ફાળવવામાં આવ્યો છે.
આ અંગે કલાત્મક અને સંગીત સંબંધી પાસાઓની ચર્ચા માટે પ્રખ્યાત કલાકારો આરતી મુનશી તથા શ્યામલ અને સૌમિલ મુનશીએ માહિતી આપી હતી. તેમની સાથે પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી માલવભાઈ ટેકનિકલ અને CSR ફંડિંગ અંગેની માહિતી આપી. આ અનોખી શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ વધારવાનો અને વિસરાતા જતા સાહિત્યને પુનઃજીવિત કરવાનો છે. આ ઉપક્રમ અંતર્ગત દર મહિને જે સાહિત્યકારો કે કવિઓનો જન્મ અથવા નિર્વાણ થયો હોય, તેમની કૃતિઓનું ગાયન અને પઠન કરીને તેમને અનોખી સ્મરણ વંદના કરવામાં આવે છે.
આગામી 21મી ફેબ્રુઆરીના વિશેષ કાર્યક્રમમાં પણ પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે જેથી કવિઓ, કલાકારો અને સામાન્ય જનતા આ સાહિત્યિક વારસાનો લાભ લઈ શકે. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં નામાંકિત કલાકારો કોઈપણ વ્યાવસાયિક ફી લીધા વગર પોતાનું કલાત્મક યોગદાન આપે છે. આગામી વર્ષના મણકાઓના આયોજન માટે પ્રુડન્ટ ફાઇનાન્શિયલ સર્વિસીઝ દ્વારા તેમના સીએસઆર (CSR) ફંડ અંતર્ગત ઉદારતાપૂર્વક સહયોગ આપવામાં આવ્યો છે, જે આ સાહિત્યિક અભિયાનને સતત વેગવંતું રાખવામાં મહત્વનું યોગદાન આપશે.
કોઈપણ સંસ્કૃતિનો પાયો તેની ભાષામાં રહેલો હોય છે, અને ગુજરાતી ભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી પરંતુ આપણા ભવ્ય વારસા, સંસ્કારો અને અસ્મિતાનું પ્રતિબિંબ છે. વર્તમાન સમયમાં જ્યારે નવી પેઢી વૈશ્વિકરણના પ્રવાહમાં પોતાની મૂળ ભાષાથી દૂર થઈ રહી છે, ત્યારે ‘મનની મોજનીશી’ જેવા કાર્યક્રમો સમાજમાં એક નવી ચેતના જગાવવાનું કાર્ય કરે છે. સાહિત્યિક કૃતિઓના ગાયન અને પઠન દ્વારા યુવા પેઢીને માતૃભાષાના માધુર્ય અને શબ્દોની શક્તિથી પરિચિત કરાવવા એ સમયની માંગ છે. આ પ્રકારના આયોજનો સમાજમાં એવો સંદેશ વહેતો કરે છે કે જો આપણે આપણી ભાષાને સાચવીશું, તો જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારો જીવંત રહેશે. સાહિત્યના આ સમૃદ્ધ વારસાને જન-જન સુધી પહોંચાડીને ગુજરાતી ભાષા પ્રત્યે આદર અને ગૌરવની લાગણી જન્માવવી એ જ આ સમગ્ર અભિયાનનો મૂળભૂત મંત્ર છે.
AMC દ્વારા શહેરના મોબિલિટી પર અનોખા જાહેર પ્રદર્શનું આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની ગતિશીલતા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આગામી 21થી 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન રિવરફ્રન્ટ હાઉસ ખાતે ‘AmdavadNXT’ નામના એક અનોખા ત્રિ-દિવસીય જાહેર પ્રદર્શન અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે શહેરની સજ્જતા અને વૈશ્વિક સ્તરે અમદાવાદનું સ્થાન મજબૂત કરવાના લક્ષ્ય સાથે આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 50થી વધુ સંસ્થાઓ, 35થી વધુ શાળાઓ અને 18થી વધુ યુનિવર્સિટીઓ સહભાગી થઈ રહી છે, જેનો મુખ્ય હેતુ જાહેર પરિવહનને વધુ લોક-કેન્દ્રિત, સમાવિષ્ટ અને ક્લાઇમેટ રેસિલિયન્ટ બનાવવાનો છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની એ આ આયોજન વિશે માહિતી આપતા કહ્યું કે, “અમદાવાદ એક આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે ત્યારે તેની મોબિલીટી વ્યવસ્થા પણ તેટલી જ અત્યાધુનિક હોવી જોઈએ. AmdavadNXT દ્વારા નિષ્ણાંતો, સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને એક મંચ પર લાવીને સુરક્ષિત અને ટકાઉ પરિવહન વ્યવસ્થાની કલ્પના કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે જેથી તેઓ ઇન્ટરેક્ટિવ સત્રો અને રમતો દ્વારા શહેરી આયોજન અને પરિવહન વિશે નવીનતમ જાણકારી મેળવી શકે. આ પહેલ AMC દ્વારા SHIFT ટ્રાન્સપોર્ટ ગઠબંધન હેઠળ WRI ઇન્ડિયા, TUL ફાઉન્ડેશન અને CEPT યુનિવર્સિટી જેવી અનેક સંસ્થાઓના સહયોગથી યોજાઈ રહી છે.”
આ પ્રદર્શનમાં મુલાકાતીઓ માટે અમદાવાદની પરિવહન યાત્રાને નકશા, ઇન્ફોગ્રાફિક્સ, અને મલ્ટીમીડિયા ઇન્સ્ટોલેશન દ્વારા રજૂ કરવામાં આવશે. વધુમાં, ગુજરાતના અન્ય શહેરો જેવા કે નવસારી, ગાંધીનગર અને મહેસાણાની શ્રેષ્ઠ પરિવહન પ્રથાઓ તેમજ અમદાવાદના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વોલ્ડ સિટીનું લાઈફ-સાઈઝ મોડેલ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સંમેલન નીતિ ઘડનારાઓ, ડિઝાઇનર્સ, સ્ટાર્ટઅપ્સ અને નાગરિકોને એકસાથે લાવીને AMTS, BRTS અને મેટ્રોના ભાવિ વિકાસ તેમજ પડકારો પર ચર્ચા કરવા માટેનું મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે. તમામ નાગરિકો માટે આ પ્રદર્શન વિનામૂલ્યે ખુલ્લું રહેશે.
જિયો અને રિલાયન્સ AI ક્ષેત્રમાં ૧૦ લાખ કરોડનું રોકાણ કરશે
નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગુરુવારે AI ક્ષેત્રમાં 10 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી. આ પ્રસંગે તેમણે મોબાઇલ ડેટાની જેમ AIના ક્ષેત્રમાં પણ ક્રાંતિ લાવવાનું વચન આપ્યું.
નવી દિલ્હીમાં ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં બોલતા, મુકેશ અંબાણીએ કહ્યું કે શ્રેષ્ઠ AI હજુ આવવાનું બાકી છે અને AI સુપર વિપુલતાના યુગની શરૂઆત કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, દુનિયા AIના ક્ષેત્રમાં ક્રાંતિના વળાંક પર ઉભું છે, એક રસ્તો દુર્લભ, ખર્ચાળ AI અને નિયંત્રિત ડેટા તરફ દોરી જાય છે. જ્યારે બીજો સસ્તું અને સુલભ AI સુનિશ્ચિત કરે છે.
“આ વર્ષથી શરૂ થતા આગામી સાત વર્ષમાં જિયો અને રિલાયન્સ ₹૧૦ લાખ કરોડનું રોકાણ કરશે,” તેમણે કહ્યું. “આ સટ્ટાકીય રોકાણ નથી. તે મૂલ્યાંકનનો પીછો કરવા માટે નથી. આ ધીરજવાન, શિસ્તબદ્ધ રાષ્ટ્રનિર્માણ મૂડી છે.”
એઆઈમાં સૌથી મોટો અવરોધ પ્રતિભાની અછત નથી, પરંતુ કમ્પ્યુટનો ઊંચો ખર્ચ છે, એમ તેમણે ઉમેર્યું. “જીઓ ઇન્ટેલિજન્સ ભારતમાં કમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે.” આમાં ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટર્સનો સમાવેશ થાય છે.
“જિઓએ ભારતને ઇન્ટરનેટ યુગ સાથે જોડ્યું હતું, અને હવે તે તેને ગુપ્તચર યુગ સાથે જોડશે.” “અમે દરેક નાગરિક, અર્થતંત્રના દરેક ક્ષેત્ર અને સામાજિક વિકાસના દરેક પાસાને ગુપ્ત માહિતી પહોંચાડીશું. જિઓ તે જ વિશ્વસનીયતા, સ્કેલ અને અત્યંત પોષણક્ષમતા સાથે આવું કરશે.”
ગૌ માતાને ‘રાજ્ય માતા’ જાહેર કરવા શંકરાચાર્યનું યોગી સરકારને અલ્ટિમેટમ
વારાણસી: જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ યોગી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. વારાણસીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ગૌ સંરક્ષણને મુદ્દે ખુલ્લો પડકાર ફેંક્યો. શંકરાચાર્યએ સ્પષ્ટ કર્યું કે જો તેમની માગો પૂર્ણ નહીં થાય, તો તેઓ પોતાના સમર્થકો સાથે લખનૌ તરફ કૂચ કરશે.
20 દિવસનો સમય બાકી, પહેલી માર્ચે આગળની વ્યૂહરચના
શંકરાચાર્યએ યાદ અપાવ્યું હતું કે તેમણે સરકારને 40 દિવસનો સમય આપ્યો હતો, જેમાંથી હવે માત્ર 20 દિવસ બાકી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમે સરકારને યાદ અપાવી રહ્યા છીએ કે ગૌ માતાને ‘રાજ્ય માતા’નો દરજ્જો આપવા માટે સમય ઓછો રહ્યો છે. પહેલી માર્ચે અમે ફરી પત્રકારો સાથે મુલાકાત કરી આગળની સ્થિતિ સ્પષ્ટ કરીશું.
યુપીમાં વધી ગૌહત્યા?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પશુ ગણતરીનો ઉલ્લેખ કરીને ઉત્તર પ્રદેશ સરકારના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશમાં ગાયોની કતલની સંખ્યા વધી છે, જ્યારે પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં તે ઘટી છે. તેમણે કહ્યું હતું કે બંગાળમાં તેમના પ્રયાસોથી પશુ મેળાઓ પર પ્રતિબંધ લાગ્યો છે અને ત્યાં ગાયોની સંખ્યામાં 15 ટકા વધારો નોંધાયો છે. શંકરાચાર્યએ જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથ હિંદુત્વની વાત કરે છે અને યુપીમાં સંખ્યાબળ વધુ હોવાથી તેઓ પહેલા અહીં જવાબદારી નક્કી કરી રહ્યા છે.

ભગવા પહેરીને માંસનો વેપાર સહન નહીં
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પર સીધો પ્રહાર કરતા શંકરાચાર્યએ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે લોકો ભગવા વસ્ત્ર પહેરીને ગૌ માંસના વેપારને સમર્થન આપે છે અથવા ચૂપ રહે છે, તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે. તેમણે જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથ અહંકારગ્રસ્ત થઈ ગયા છે. વિધાનસભાની આડ લઈને શંકરાચાર્યની ગૌરવ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. જનતા વચ્ચે આવીને વાત કરો. ભાજપને પણ હવે લાગવા લાગ્યું છે કે તેમણે ભસ્માસૂર પાળી લીધો છે.
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ડિજિટલ વિશ્વમાં દેશની શક્તિશાળી સ્થિતિ દર્શાવે છે: જીત અદાણી
નવી દિલ્હી: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 એ ડિજિટલ વિશ્વમાં ભારતના વધતા પ્રભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સમિટ દરમિયાન વાત કરતા જીત અદાણીએ કહ્યું હતું કે વિશ્વભરના વૈશ્વિક નેતાઓ, નવીનતાઓ અને નિષ્ણાતોને એક છત નીચે ભેગા કરવાથી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં ભારતની વધતી જતી સ્થિતિ પ્રકાશિત થાય છે. “મને લાગે છે કે આ સમિટ પોતે જ આજના ડિજિટલ વિશ્વમાં ભારતની શક્તિશાળી સ્થિતિનું ઉદાહરણ છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે, “વિશ્વના તમામ ભાગોમાંથી આટલા બધા લોકોને એક જ જગ્યાએ લાવવામાં સક્ષમ થવું એ ભારતની પરાક્રમનું ઉદાહરણ છે.”

જીત અદાણીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત વિઝન – બધા માટે AI, સમાવેશ અને જવાબદાર AIપર ધ્યાન કેન્દ્રિત કરવું – દેશ માટે યોગ્ય દિશા છે. “અમે ભારતના માળખાગત સુવિધાને આગળ વધારવામાં અને એ સુનિશ્ચિત કરવામાં અમારો ભાગ ભજવી રહ્યા છીએ કે ભારત AI માટે વિશ્વમાં અગ્રણી દેશોમાંનું એક બને.” તેમણે ભાર મૂક્યો કે મજબૂત ડિજિટલ અને ભૌતિક માળખાગત સુવિધાનું નિર્માણ એ AIમાં ભારતનું નેતૃત્વ સુનિશ્ચિત કરવા માટે ચાવીરૂપ છે. જીત અદાણીએ એમ પણ નોંધ્યું કે જ્યારે AIનો ઉપયોગ મહત્વપૂર્ણ છે, ત્યારે AI કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર સમાન ધ્યાન આપવું જોઈએ. “ભવિષ્ય AI અપનાવવાના વિસ્તરણ અને AI વિકાસ માટે યોગ્ય ઇકોસિસ્ટમ બનાવવા બંનેમાં રહેલું છે,” તેમણે ઉલ્લેખ કર્યો.
તેમણે ભારતના મોટા IT કાર્યબળને AI પ્રતિભામાં ઉન્નત કરવાની અને ગામડાઓમાં લોકો પણ તેમની ઉત્પાદકતા અને આજીવિકા સુધારવા માટે AI નો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. “મને લાગે છે કે ભારતમાં વૈશ્વિક AI હબ બનવા માટે તમામ ઘટકો છે, અને તમે જાણો છો, આજે કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓ સાથે, મને લાગે છે કે તે બનાવવા માટે ઘણો લાંબો રસ્તો છે,” જીત અદાણીએ નોંધ્યું.


