રાયપુર: 90-સભ્યોની છત્તીસગઢ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં 70 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં મતદાન પ્રક્રિયા ગઈ 7 નવેમ્બરે હાથ ધરવામાં આવી હતી. આજે છત્તીસગઢની સાથે મધ્ય પ્રદેશમાં 230 બેઠકોની વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન યોજવામાં આવી રહ્યું છે. આ રાજ્યમાં ચૂંટણી એક જ તબક્કામાં યોજાઈ રહી છે. બંને રાજ્યમાં મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.
છત્તીસગઢમાં રાજધાની શહેર રાયપુરમાં ઉત્તર મતવિસ્તાર એક વિશિષ્ટતા ધરાવે છે. અહીંના તમામ 201 મતદાન કેન્દ્રોમાં ચૂંટણી પંચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માત્ર મહિલાઓને જ સોંપી છે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ પગલું પહેલી જ વાર ભરવામાં આવ્યું છે. આ બેઠક પરના તમામ મતદાન કેન્દ્રોમાં પ્રીસાઈડિંગ ઓફિસરથી લઈને મતદાન અધિકારીઓ અને કર્મચારીઓ – તમામ મહિલાઓ જ છે. જિલ્લા વહીવટીતંત્રએ આ જાણકારી આપી છે.
ચૂંટણી પંચે 804 મહિલાઓને આ પ્રક્રિયા માટે સેવામાં ઉતારી છે. એટલું જ નહીં, બીજી 200 જેટલી મહિલાઓને અનામત રાખવામાં આવી છે જેમને જરૂર પડશે તો સેવામાં સામેલ કરવામાં આવશે. આ બેઠક પર ચૂંટણી નિરીક્ષક અધિકારી પણ મહિલા છે – વિમલા આર. એવી જ રીતે, એમનાં સંપર્ક અધિકારી પણ મહિલા જ છે. તમામ પોલિંગ બૂથમાં સુરક્ષા બંદોબસ્ત પણ મહિલા પોલીસ કર્મચારીઓ જ સંભાળી રહી છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢનાં વડા ચૂંટણી અધિકારી પણ આઈએએસ અધિકારી છે – રીના બાબાસાહેબ કાંગળે.
આજના ભૌતિકતાથી ભરેલ આ યુગમાં વ્યસન પ્રધાન વાતાવરણના પ્રભાવમાં એવા બાળકો પણ છે કે જેઓ વધુ પૈસાની આશા એટલા માટે રાખે છે કે પોતાના મોજ મસ્તીના શોખ પૂરા કરી શકાય. વડીલો ટકોર કરે તો તેઓ કહે છે કે અમે જમા કરેલ પૈસા થી મોજ મજા કરીએ છીએ. આનું કારણ છે અશ્લીલ જાહેરાતો, નૈતિકતા વગરનો પહેરવેશ, મોબાઈલનો દૂર ઉપયોગ વિગેરે. આ બાબતો બાળકોના મનને ખરાબ અસર કરે છે. જે બાળપણને યાદ કરીને મોટી વ્યક્તિઓના રુવાટા ઉભા થઈ જાય છે, જેને ઈશ્વરની અમૂલ્ય ભેટ ગણવામાં આવે છે તે બાળપણ જ આજે ખરાબ રસ્તે જઈ રહ્યું છે. સરકારે બાળ કલ્યાણના અનેક કાર્યક્રમો બનાવ્યા છે. સામાજિક સંસ્થાઓ, મજુર સંગઠનો, મીડિયા વગેરે આ વિષય અંગે કાર્યરત છે. આ અંગે કોર્ટ કાર્યવાહીને પણ સરળ બનાવવામાં આવી છે. પરંતુ દરેક કાનુની મદદની પોતાની મર્યાદા હોય છે. બાળ મજૂરીની સમસ્યાનો સીધો સંબંધ મનુષ્યના ચરિત્ર નૈતિકતા, પવિત્રતા તથા આત્મ- નિયંત્રણ સાથે છે. જ્યાં સુધી મનુષ્ય પોતે ઈશ્વર સાથેનો પ્રેમ, કરુણા ભાવ, શ્રેષ્ઠ ચરિત્રવાન જીવન, ત્યાગ, તપસ્યા, નિ:સ્વાર્થ ભાવનાને નહીં અપનાવે ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવી શકે.
આ ભારત દેશનો એક સમય એવો પણ હતો કે જ્યારે અહીં દરેક બાળક રાધા અને મોહન સમાન અને દિવ્ય ગુણોથી સંપન્ન હતા. તે દુનિયામાં ન તો બાળ મજૂરી હતી, ન લડાઈ ઝગડા, ન માનસિક તણાવ, ન નાણાકીય તંગી કે ન તો બીમારીઓ હતી. સમયે બાળકો જન્મથી જ સતોપ્રધાન બુદ્ધિ વાળા હતા. તે સમયે અભ્યાસ રમત-રમતમાં થતો હતો. તે દૈવી બાળકોના માતા-પિતા પણ દૈવી હતા. તેઓ કર્મેન્દ્રિય જીત, પ્રકૃતિ જીત, માયા જીત દેવતા હતા. એ સમયે યોગબળથી જ એક છોકરો અને એક છોકરીનો જન્મ થતો હતો તથા પિતાની સંપૂર્ણ સંપત્તિ ભાગ પાડ્યા વગર એક એક જ વારસદાર ( છોકરા) ને મળી જતી હતી. પવિત્ર તથા યોગી જીવનની પદ્ધતિ અપનાવીને આજે પણ તે યુગનો અનુભવ કરી શકાય છે. પવિત્રતા તથા યોગબળની ધારણા માટેનું શિક્ષણ વિનામૂલ્યે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દરેકને આપી રહેલ છે. આજે યોગી તથા દૈવી ગુણ સંપન્ન બનીને આપણે આપણા બાળકોને ઉજવળ ભવિષ્ય આપી શકીએ છીએ.
વર્તમાન સમયે ભૂખમરો અને અભાવ થી દુનિયા પીડાઈ રહી છે. સાધનો મેળવવાની મનુષ્યની આશા વર્ષો સુધી અધૂરી રહી જાય છે. જૈન ધર્મના પ્રસિદ્ધ વ્યાખ્યાતા આચાર્ય મહાપ્રજ્ઞ એ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સંસારમાં સાધનોની પ્રાપ્તિની મર્યાદા છે પરંતુ મનુષ્યની ઈચ્છાઓની કોઈ મર્યાદા નથી. જન સંખ્યાનો વધારો અને ઉપલબ્ધ સાધનોની પ્રાપ્તિની મર્યાદા જોતા મનુષ્યની ઈચ્છાઓ ઓછી થવી જોઈતી હતી પરંતુ થઈ રહ્યું છે તેનાથી ઊલટું. આજે મનુષ્યની ઈચ્છા પ્રાપ્તિ થયા વગર તેનું ખાવું-પીવું, ઉઠવું-બેસવું, પ્રેમ સંબંધોને જાળવવા વિગેરે મુશ્કેલ બની રહેલ છે. ઈચ્છાઓની આગમાં સળગતો મનુષ્ય અંદરથી અસહનશીલ તથા બહારથી આસલામત છે. આ સ્થિતિમાં મન તથા આંખો સમાધાન શૉધી રહ્યા છે. પ્રશ્ન એ થાય છે કે શું ઈચ્છાઓને પૂરી કરવાના પ્રયત્નમાં જીવનની તમામ શક્તિઓ લગાવી દઈએ કે ઈચ્છાઓને સમાપ્ત કરી દઈએ. કયો રસ્તો યોગ્ય છે?
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
2023 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટથી હરાવ્યું. ફરી એકવાર દક્ષિણ આફ્રિકાની ટીમ ચોકર સાબિત થઈ. બોલરોના જોરદાર પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયાએ 213 રનના લક્ષ્યાંકનો પીછો 47.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ 8મી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. હવે 19મી નવેમ્બરે ફાઇનલમાં કાંગારૂનો સામનો ભારત સાથે થશે. ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
1975, 1987, 1996, 1999, 2003, 2007, 2015 AND 2️⃣0️⃣2️⃣3️⃣!
213 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે તોફાની શરૂઆત અપાવી હતી. ટ્રેવિસ હેડે માત્ર 48 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેડે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વોર્નરે પણ 18 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 29 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ બંનેએ માત્ર 38 બોલમાં 60 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ઓસ્ટ્રેલિયા માટે રન ચેઝને સરળ બનાવી દીધો હતો. જો કે, ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ અધવચ્ચે જ ખોરવાઈ ગઈ હતી અને એવું લાગી રહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાની ટીમ ટેબલ ફેરવી લેશે. પરંતુ અંતે પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે ટીમને જીત તરફ દોરી હતી. સ્ટાર્ક 38 બોલમાં 16 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને કમિન્સ 29 બોલમાં 14 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો.
પરંતુ એક સમયે તબરેઝ શમ્સીએ લેબુશેન અને ગ્લેન મેક્સવેલને આઉટ કરીને આફ્રિકાને લગભગ મેચમાં પરત લાવી દીધું હતું. શમ્સીએ પહેલા 21મી ઓવરમાં માર્નસ લાબુશેન (18)ને આઉટ કર્યો હતો. ત્યારબાદ ગ્લેન મેક્સવેલ (01) 24મી ઓવરમાં આઉટ થયો હતો. મેક્સવેલની વિકેટથી ઓસ્ટ્રેલિયાએ 174 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. સતત વિકેટો પડતી રહી અને લગભગ તમામ બેટ્સમેન આઉટ થયા પછી, કેપ્ટન પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે આઠમી વિકેટ માટે 22 રનની અણનમ ભાગીદારી કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી. બંને અણનમ પરત ફર્યા હતા. કેપ્ટન પેટ કમિન્સે ફોર ફટકારીને ઓસ્ટ્રેલિયાને ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચાડ્યું હતું.
લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી. પરંતુ ટીમ હજુ પણ ડગમગતી જણાતી હતી. 60 રનના સ્કોર પર વોર્નર (29)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાને 61 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. આ વખતે મિશેલ માર્શ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી 15મી ઓવરમાં ટ્રેવિસ હેડ 62 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. હેડની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.
ત્યાર બાદ 22મી ઓવરમાં માર્નસ લાબુશેન 18 રન બનાવીને આઉટ થયો હતો, 24મી ઓવરમાં ગ્લેન મેક્સવેલ 01 રન પર આઉટ થયો હતો, 34મી ઓવરમાં સ્ટીવ સ્મિથ 30 રન બનાવીને આઉટ થયો હતો અને 40મી ઓવરમાં જોશ ઈંગ્લિસ આઉટ થયો હતો. 28 રન. જ્યારે સુકાની કમિન્સ અને મિચેલ સ્ટાર્ક અણનમ પરત ફર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી સ્પિનર તબરેઝ શમ્સી અને ઝડપી બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય કેશવ મહારાજ, એડન માર્કર અને કાગીસો રબાડાએ 1-1 વિકેટ લીધી હતી.
યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં અંબાના દર્શન કરી ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે. જેનો લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વસતા વન બંધુઓને મળશે.
વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, આદિવાસીઓના ભૂલાયેલા ઇતિહાસને ઉજાગર કરવા તથા આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુન: સ્થાપિત કરવા માટે વડાપ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જો માનવ શરીરનું પ્રત્યેક અંગ સારુ હોય તો જ માણસ સારી રીતે જીવન જીવી શકે એવી જ રીતે સમાજના તમામ લોકો શિક્ષિત હોય, સમૃદ્ધ હોય તો જ રાષ્ટ્રનો વિકાસ થઇ શકે. આદિવાસી ભાઈઓએ આઝાદીના સંગ્રામમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
સુરાજ્ય માટે યોગદાન આપવાનો અમૃતકાળ
તેમણે ઉમેર્યું હતું કે, પંજાબના જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો જ નરસંહાર ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં થયો હતો જેમાં 1200 જેટલાં આદિવાસી ભાઈ- બહેનો શહીદ થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્વરાજની લડાઈ બાદ હવે આ સુરાજ્ય માટે યોગદાન આપવાનો અમૃતકાળ – કર્તવ્યકાળ ચાલી રહ્યો છે. આદિવાસી સમુદાય હવે વિકસિત ભારતના નિર્માણમાં પણ અગ્રેસર બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ સેવી છે ત્યારે આદિવાસીઓના કલ્યાણ અને વિકાસ વિના વિકસિત ભારતનો સંકલ્પ પરિપૂર્ણ ન થઈ શકે.
ODI વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ ફાઇનલિસ્ટ અને યજમાન ટીમ ભારત મેચ માટે અમદાવાદ પહોંચી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ટીમ અમદાવાદ પહોંચતા જ હોટલની બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી.
ટીમ ઈન્ડિયાનો અમદાવાદ પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચાહકોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને ટીમની બસ એક બાજુથી આવતી દેખાઈ રહી છે. ટીમ બસને જોઈને ચાહકોમાં એક અલગ જ ઉત્તેજના જોવા મળી હતી. વીડિયોમાં ચાહકોની અધીરાઈ સ્પષ્ટપણે જોઈ શકાય છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે અમદાવાદ પહોંચી છે.
ચાહકો 12 વર્ષ પછી ફરી એકવાર ODI વર્લ્ડ કપની ટ્રોફી ધરાવતો મેન ઇન બ્લુ જોવા માટે ઉત્સુક છે. ભારતીય ટીમે છેલ્લે 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે ચાહકો ચોક્કસપણે ટીમ ઈન્ડિયાને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનતા જોવા ઈચ્છશે.
સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું
તમને જણાવી દઈએ કે ટૂર્નામેન્ટના લીગ તબક્કામાં અપરાજિત રહેલી ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં, ભારતે પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં બોર્ડ પર કુલ 397/4 રન બનાવ્યા. ટીમ માટે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ભારતીય બોલરોએ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી હતી.
મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરનાં રહેવાસીઓની મેટ્રો ટ્રેનમાં સફર કરવાનું સપનું આવતીકાલથી સાકાર થશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યની આયોજન સંસ્થા સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સીડકો) ને આદેશ આપ્યો છે કે નવી મુંબઈમાં મેટ્રો ટ્રેન સેવા 17 નવેમ્બરથી શરૂ કરી દેવી.
આ મેટ્રો ટ્રેન લાઈન નંબર-1 કહેવાશે. તે બેલાપુર અને પેંઢાર વચ્ચેની છે અને 11 કિ.મી.ની છે. આ લાઈન પર સેવા શરૂ કરવાનું પ્રમાણપત્ર ગઈ 21 જૂને મળી ગયું હતું, પરંતુ કોઈક અજ્ઞાત કારણસર સેવા આરંભમાં વિલંબ થયો છે. આ લાઈન પર બેલાપુર, આરબીઆઈ કોલોની, બેલાપાડા, ઉત્સવ ચોક, કેન્દ્રીય વિહાર, ખારઘર વિલેજ, સેન્ટ્રલ પાર્ક, પેઠાપાડા, અમનદૂત, પેથાલી તલોજા અને પેંઢાર ટર્મિનલ સ્ટેશનો છે.
છત્તીસગઢ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા અને આખરી તબક્કાના મતદાનની પૂર્વસંધ્યાએ, 16 નવેમ્બર, ગુરુવારે ધમતરી જિલ્લામાં ચૂંટણી પંચના કર્મચારીઓ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન તથા અન્ય ચૂંટણી સામગ્રીઓ સાથે એમની ચૂંટણી ફરજ પર હાજર થયાં હતાં તેની આ તસવીરી ઝલક છે. 90-સભ્યોની છત્તીસગઢ વિધાનસભાની 70 બેઠકોનું મતદાન 16 નવેમ્બરે થશે. પહેલા તબક્કામાં 20 બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. 230-સભ્યોની મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પણ 17 નવેમ્બર, શુક્રવારે મતદાન નિર્ધારિત છે. આ રાજ્યમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. બંને રાજ્યમાં મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 3 ડિસેમ્બરની તારીખ નિશ્ચિત કરવામાં આવી છે.