ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત બધા પક્ષોના દિગ્ગજ ચૂંટણીપ્રચારમાં લાગેલા છે. બંને પક્ષોનો દાવો છે કે સરકાર તેમની જ બનશે.
મધ્ય પ્રદેશમાં 1952થી 2013 સુધી સરકાર કોઈ પણ પક્ષની બની હોય, પણ ક્યારેય ત્રિશંકુ વિધાનસભા નથી બની. 2018માં કોંગ્રેસને બહુમતથી માત્ર બે સીટનું છેટું હતું, સામે પક્ષે ભાજપને મતની ટકાવારી વધુ હતી. રાજ્યમાં 2018માં કોંગ્રેસના CM રહેલા કમલનાથની આગેવાની ફરી ચૂંટણી લડી રહી છે, જ્યારે ભાજપે CM પદે કોઈને આગળ નથી કર્યા, પણ સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ અને કૈલાશ વિજયવર્ગીય જેવાં નામો ઊછળી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ 2005થી મુખ્ય પ્રધાન છે.રાજ્યમાં અત્યાર સુધી 15 વિધાનસભાની ચૂંટણી થઈ ચૂકી છે. 71 વર્ષમાં 40 વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું છે, જ્યારે ભાજપનું શાસન આશરે 21 વર્ષનું રહ્યું છે. 1977થી 1980 સુધી જનતા પાર્ટીનું શાસન હતું. જ્યારે પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થઈ છે, તેમાં જનતાએ 2018 સિવાય જેતે પાર્ટીને બહુમતથી જિતાડી છે.
CM કોણ બનશે? એનો નિર્ણય તો રાજ્યની જનતા ત્રીજી ડિસેમ્બરે કરશે, પણ એટલું નક્કી છે કે મધ્ય પ્રદેશમાં ત્રિશંકુ એસેમ્બલીનો ઇતિહાસ નથી રહ્યો, એટલે જનતા સ્પષ્ટ જનાદેશ આપશે.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘે રાજ્ય સરકાર સમક્ષ અનેક માંગણીઓના નિરાકરણ માટે રજૂઆતો કરી હતી. આ રજૂઆતોનો સુખદ અંત આવ્યો છે એટલે કે ગુજરાત સરકાર અને એસટીના કર્મચારીઓ વચ્ચે સમાધાન થઇ ગયુ છે. દિવાળી પહેલા જ હજારો કર્મચારીઓને ભેટ મળી ગઇ છે. આ મામલે કર્મચારીઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ફટાકડા ફોડીને સ્વાગત કર્યું છે. એસટી વિભાગના કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. તેમજ પડતર એરિયર્સ, મોંઘવારી ભથ્થા અને એચઆરએ જેવા મુખ્ય ત્રણ પ્રશ્નોનાના નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારે કર્મચારીઓના પ્રશ્નોનું સમાધાન કર્યું છે. જેમા મુખ્ય ત્રણ પ્રશ્નો મહત્ત્વના છે. સરકાર કર્મીઓને ત્રણ હપ્તામાં એરિયર્સ ચૂકવશે. દિવાળી પહેલા પ્રથમ એરિયર્સનો હપ્તો ચૂકવાશે જે બાદ બીજો હપ્તો ચૂકવાશે. એસટી યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે. આ મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા સરકાર પાસે મંજૂરી માંગવામાં આવશે. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર-જુનિયર પગારધોરણ સહિતની બાબતો પર ચર્ચા થશે. એસટી કર્મચારીઓને સુધારેલા એચઆરએ નવેમ્બરથી ચૂકવવામાં આવશે.
નોંધનીય છે કે, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘે રાજ્ય સરકાર સમક્ષ પડતર માંગણીઓના નિરાકરણ માટે રજૂઆતો કરી હતી. કર્મચારીઓએ આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. ત્રણ દિવસ આ વિરોધ કાર્યક્રમ બાદ તા. 28થી 4 દિવસ માટે કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવશે તેવી પણ જાહેરાત કરી હતી. એસટીના ફિક્સ પગારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબનો લાભ આપવા, ચડત મોંઘવારી ભથ્થાની 11 ટકાની અસર અને ચડત એરિયર્સની પ્રથમ હપ્તાની રકમ ઓછી હોવાથી, ત્રણ હપ્તાને બદલે એક જ હપ્તે એરિયર્સ ચૂકવી આપવા તથા દિવાળી પહેલા આ રકમ આપવા, રાજ્ય સરકારના ઠરાવ મુજબ એચ.આર.એ.-સીએલએનો લાભ 8, 16 અને 24 ટકાના સુધારેલ દરે ચૂકવી આપવા, વર્ગ 4ના પાર્ટ ટાઈમ કર્મચારીઓને 2022ના વર્ષના બોનસનો લાભ મળેલ નથી, તે ચડત બોનસનો લાભ આપવા સહિતની 19 માંગણીઓ પડતર હતી.
રાજ્યના રેવન્યૂ વિભાગમાં પણ ગઈકાલે અચાનક 55 મામલતદારની બદલીના આદેશ છૂટ્યા હતાં. તે ઉપરાંત 162 જેટલા નાયબ મામલતદારોને પ્રમોશન આપવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સરકારના વિભાગ દ્વારા સાગમટે બદલીના આદેશ થતાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે. સરકારના સબંધિત વિભાગ દ્વારા મોડી રાત્રે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. જેમાં વર્ગ-2 ના 55 મામલતદારોની બદલી કરી નાખવામાં આવી છે. જ્યારે 161 નાયબ મામલતદાર (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2) ની બઢતી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાં જ અધિકારીઓને પ્રમોશન અને બદલીના નિર્ણયો થતાં ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
PM મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સરદાર પટેલ જયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવશે.
આ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપીને ઓફિસર તાલીમાર્થીઓને વડાપ્રધાન સંબોધિત કરશે. આરંભ કાર્યક્રમનું આ પાંચમું સંસ્કરણ હશે, જેની આ વર્ષની થીમ છે, ‘હારનેસિંગ ધ પાવર ઑફ ડિસરપ્શન’. આ સાથે જ વડાપ્રધાનના હસ્તે વિવિધ વિકાસકામો અને પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ 5 પ્રોજેક્ટ્સ, 3 પ્રવાસન આકર્ષણો અને 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે.સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA) પ્રકૃતિ, સંસ્કૃતિ અને પાણી (નેચર, વોટર એન્ડ કલ્ચર)ના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ પ્રોજેક્ટ્સ
સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીએ પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર પટેલ જયંતીના અવસરે આ પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 30 ઇ-બસો, પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટિ ગેસનું વિતરણ અને એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કાર્ટ્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઑફ યુનિટીના પરિસરમાં પ્રવાસીઓના હરવા ફરવા માટે ગ્રીન ઇનિશિયેટીવના ભાગરૂપે ઓથોરિટી દ્વારા ડીઝલથી ચાલતી બસોના સ્થાને હવે ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. આ સાથે જ, પ્રવાસીઓને એકતાનગરનો સર્વાંગી અનુભવ પ્રદાન કરવા માટે તેમજ તેઓને ટ્રાન્સપોર્ટેશન માટે એક હરિત માધ્યમ એટલે કે ગ્રીન મોડ ઉપલબ્ધ કરાવવા માટે ઓથોરિટીએ સાયકલ શેરિંગ સિસ્ટમ (પબ્લિક બાઇક શેરિંગ)નું આયોજન કર્યું છે, જે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ફરવા માટે ઓછા ખર્ચે પર્યાવરણને અનુકૂળ મોબિલીટી પ્રદાન કરશે. એકતાનગરમાં પર્યાવરણીય ટકાઉપણાને તેમજ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી તમામ ઘરોમાં ‘પાઇપ્ડ નેચરલ ગેસ’ સપ્લાય કરવા માટે ગુજરાત ગેસ લિમિટેડ (GGL) દ્વારા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે પરંપરાગત ઈંધણ સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડશે. સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેતા મુલાકાતીઓને કુદરતી વાતાવરણ અને સુંદર લેન્ડસ્કેપ્સનો આરોગ્યપ્રદ અનુભવ આપવા એકતાનગરમાં પ્રવાસીઓ માટે પર્યાવરણને અનુકૂળ પરિવહન ઉકેલ તરીકે ઇ-ગોલ્ફ કાર્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ સાથે જ, ગ્રીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સસ્ટેનેબલ સોલ્યુશન્સના ભાગરૂપે તેમજ 1.4 મેગાવોટની સોલાર પાવર ઉત્પાદનની હાલની ક્ષમતામાં વધારો કરવા માટે પાર્કિંગ 1, પાર્કિંગ 2 અને પાર્કિંગ 3 પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાની યોજના છે, જે 4 મેગાવોટ સોલાર પાવર જનરેટ કરશે. આમ, પ્રકૃતિના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
₹ 100 કરોડના ખર્ચે બનશે વિઝિટર્સ સેન્ટર
પ્રવાસીઓ માટે લગભગ ₹100 કરોડના ખર્ચે એક વિઝિટર્સ સેન્ટર નિર્માણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ વિઝિટર્સ સેન્ટર એક રિસેપ્શન સેન્ટર તરીકે કાર્ય કરશે, જે પ્રવાસીઓને માહિતી અને દિશા પ્રદાન કરશે. તેમાં પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડતી દુકાનો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, આરામ અને મનોરંજનની જગ્યાઓ પણ બનાવવામાં આવશે. આ સાથે જ, ₹7.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું પણ લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરાશે. આ પ્રોજેક્ટમાં એકતાનગર ખાતે નર્મદા નદીના ડાબા કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ભારતમાં ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર આવેલું છે, તેમજ તેમને વિતરણ માટે 910,00 કમલમના છોડ પણ રાખવામાં આવ્યા છે. નર્સરીનું એકંદર વાતાવરણ અને કેક્ટસ ગાર્ડનની નજીકમાં તે આવેલો હોવાથી કમલમ પાર્ક એકતા નગરના મુલાકાતીઓ માટે એક રસપ્રદ આકર્ષણ બનશે.
અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધી નકલી CMO અધિકારી, નકલી પોલીસ અને નકલી ચલણ વિશે તો સાંભળ્યું જ છે પરંતુ હવે તો આખે આખી નકલી સરકારી ઓફિસ પણ ખૂલી ગઈ છે અને એ ઓફિસેને નામે સરકારી ગ્રાંટ પણ લેવાનો ખુલાસો થયો છે.
રાજ્યમાં નકલી અધિકારીઓ બાદ હવે નકલી કચેરીનું કૌભાંડ સામે આવ્યું છે. છોટા ઉદેપુરના બોડેલી તાલુકાની કાગળ પર સિંચાઇ વિભાગના અધિકારી બનીને બે આરોપીઓએ દરખાસ્તો મોકલીને સરકારી આદિવાસી ગ્રાંટ મેળવી હતી.
આ જિલ્લામાં પહોંચેલા નવા IAS અધિકારીએ નકલી અધિકારી મીટિંગમાં નહીં પહોંચવા પર એ વિભાગના અધિકારીથી પૂછપરછ કરી, ત્યારે માલૂમ પડ્યું હતું કે આ નામના કોઈ અધિકારી જ નથી. ત્યાર બાદ એ પણ માલૂમ પડ્યું હતું કે બોડેલીમાં એવી કોઈ ઓફિસ જ નથી.ત્યાર બાદ IAS અધિકારીએ પોલીસ કેસ નોંધાવ્યો હતો, તેમાં આખી વિગતો બહાર આવી હતી.
આ તપાસમાં ખુલાસો થયો છે કે વડોદરામાં રહેતા બે જણ સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદે ભેગા મળીને રાજ્ય સરકારની 93 કામો રૂ. માટે 4.15 કરોડની ગ્રાંટ મેળવીને ઠગાઇ કરી છે. આ લોકોએ બોડેલી તાલુકાની કાગળ પર ઓફિસ બનાવી સરકારી ગ્રાંટ મેળવી હતી. પોલીસે આ બંને જણની ધરપકડ કરી છે. આ લોકોએ નકલી દસ્તાવેજ અને મહોરની સાથે હસ્તાક્ષરનો પણ ઉપયોગ કર્યો છે. આ બે જણે રૂ 4,15,54,615 કરોડનું કૌભાંડ કર્યું છે. કોર્ટે તેમના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનોના સન્માન માટે શરૂ કરાયું હતું અભિયાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો સંબોધન ‘મન કી બાત’ના એક એપિસોડ દરમિયાન ‘મેરી માટી મેરા દેશ’ ઝુંબેશની જાહેરાત કરી હતી. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર યુનિફોર્મમાં સજ્જ પુરુષો અને મહિલાઓના સન્માન માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેથી આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાંથી એકત્રિત કરેલી માટી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક તૈયાર થનારી અમૃત વાટિકામાં ઉપયોગમાં લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી નિર્માણ પામનાર આ અમૃત વાટીકા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતિક બનશે. આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ‘અમૃત વાટિકા’ (બગીચો) બનાવવા માટે દેશના 6 લાખથી વધુ ગામોમાં 25 કરોડથી વધુ ઘરોમાંથી માટી એકત્રિત કરવામાં આવી રહી છે, જેને ‘એક ભારત’ના ભવ્ય પ્રતીક તરીકે કલ્પના કરવામાં આવી છે.
ગાઝામાં હમાસનો ખાત્મો કરવા આવેલી ઈઝરાયેલની સેના તબાહી મચાવી રહી છે. ઈઝરાયલી સેનાના સતત હવાઈ હુમલાના કારણે ગાઝામાં પહેલાથી જ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે, હવે ગ્રાઉન્ડ આર્મીના ઉતરાણને કારણે અરાજકતા સર્જાઈ છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને જડમૂળથી ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
ઇઝરાયેલી સેના ઉત્તર ગાઝામાં પ્રવેશી છે અને હમાસના સ્થાનો પર પસંદગીપૂર્વક હુમલો કરી રહી છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ સરહદ પાર કરીને 1,400 લોકો માર્યા ગયા અને 220થી વધુ લોકોને બંધક બનાવ્યા ત્યારથી ઇઝરાયેલી સેના ગાઝા પર સતત હવાઈ હુમલાઓ કરી રહી છે.
ઇઝરાયેલી સૈન્ય કહે છે કે હમાસનું નેતૃત્વ અને તેનું મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરમાં કેન્દ્રિત છે, જ્યાં અમે હવે સતત હુમલા શરૂ કર્યા છે. થોડા દિવસ પહેલા જ ઈઝરાયેલે ઉત્તરી ગાઝાના સામાન્ય લોકોને દક્ષિણ ગાઝા તરફ આગળ વધવા વિનંતી કરી હતી.
શુક્રવારે રાત્રે ગાઝા પર તીવ્ર હુમલા થયા હતા, જેમાં ઇઝરાયેલી સેનાએ હમાસના ટોચના કમાન્ડર અને હવાઈ હુમલામાં અનેક આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો. ઈઝરાયેલે કહ્યું કે તેઓએ હમાસના 150 “અંડરગ્રાઉન્ડ બેઝ” ને નિશાન બનાવ્યા છે.
હમાસ માટે ઘણા ઓપરેશનો કરનાર અસમ અબુ રકાબા ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા. આસેમ અબુ રકાબાએ 7 ઓક્ટોબરના હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેણે વર્તમાન યુદ્ધને વેગ આપ્યો હતો.
ઇઝરાયેલના સંરક્ષણ પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે સૈનિકો “હજુ પણ મેદાનમાં છે” અને દાવો કર્યો હતો કે તેઓ નબળા દુશ્મન સામે લડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ખોરાક અને પાણી વહન કરતી સહાય ટ્રકોને આજે ગાઝામાં જવા દેવામાં આવશે. ઇઝરાયેલના હુમલાથી આ વિસ્તાર પ્રભાવિત થયો છે એટલું જ નહીં, પરંતુ તેઓ ખોરાક, ઇંધણ અને દવાઓની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે.
શુક્રવારે રાત્રે થયેલા હુમલાઓ વચ્ચે ઈન્ટરનેટ અને ફોન સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી. હ્યુમન રાઇટ્સ વોચ, એક એનજીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે સંદેશાવ્યવહાર બ્લેકઆઉટ મોટા પાયે હુમલાની અસરને જાણી શકવાથી અટકાવશે, જેનાથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવામાં સહાયને અવરોધે છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કવર કરી રહેલા પત્રકારોના જણાવ્યા અનુસાર, રાત્રે ભારે બોમ્બમારો બાદ ગાઝા અને દક્ષિણ ઇઝરાયેલને ધુમાડાના ગાઢ ઝાકળથી ઘેરી લીધા હતા.
ગાઝામાં અત્યારે ગભરાટ છે. ગાઝા પટ્ટીના ઉત્તરમાં આટલા મોટા પાયે બોમ્બ વિસ્ફોટ થયો હતો જે આપણે પહેલાં ક્યારેય જોયો ન હતો. અહીં હોસ્પિટલમાં, એમ્બ્યુલન્સ ડ્રાઇવરોએ મને કહ્યું કે તેઓ કોઈની સાથે વાતચીત કરી શકતા નથી, તેથી તેઓ બોમ્બ વિસ્ફોટનો અવાજ સાંભળ્યા પછી જ તે દિશામાં ડ્રાઇવિંગ કરી રહ્યા હતા.
હમાસ કહે છે કે તેના લડવૈયાઓ ગાઝામાં “સંપૂર્ણ બળ” સાથે ઇઝરાયેલના હુમલાનો સામનો કરવા તૈયાર છે. ગાઝા પર શાસન કરનારા પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથે જણાવ્યું હતું કે તેના સભ્યો ઇઝરાયેલી સરહદ નજીકના વિસ્તારોમાં ઇઝરાયેલી સૈનિકો સામે લડી રહ્યા હતા.• ઇઝરાયેલે હમાસ જૂથ પર ગાઝાની સૌથી મોટી હોસ્પિટલનો તેના મુખ્ય મથક તરીકે ઉપયોગ કરવાનો અને લશ્કરી હેતુઓ માટે અન્ય હોસ્પિટલોનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે, જે આરોપને જૂથ નકારે છે.
હાંગજોઉઃ ભારતીય પેરા ખેલાડીઓએ હાંગજોઉ પેરા એશિયન ગેમ્સમાં 111 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય પેરા ખેલાડીઓએ 29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ જીત્યા છે. ભારત મેડલ જીતવાની દ્રષ્ટિએ પાંચમા ક્રમાંકે છે. પહેલી પેરા એશિયન ગેમ્સ 2010માં ગ્વાંગઝુમાં થઈ હતી. પેરા એશિયન ગેમ્સની પહેલી એડિશનમાં ભારત 14 મેડલ જીતીને 15મા સ્થાને રહ્યું હતું. ત્યાર બાદ 2014માં ભારત 15મા અને 2018માં નવમા સ્થાને રહ્યું હતું.
હાંગજોઉ પેરા એશિયન ગેમ્સમાં 521 મેડલ (214 ગોલ્ડ, 167 સિલ્વર અને 140 બ્રોન્ઝ)ની સાથે ચીન મેડલની યાદીમાં પહેલા ક્રમાંકે છે. જ્યારે ઇરાન 44 ગોલ્ડ, 46 સિલ્વર અને 41 બ્રોન્ઝની સાથે બીજા ક્રમાંકે છે. આ યાદીમાં જાપાન કુલ 150 (42 ગોલ્ડ, 49 સિલ્વર અને 59 બ્રોન્ઝ) સાથે ત્રીજા અને સાઉથ કોરિયા કુલ 103 (30 ગોલ્ડ, 33 સિલ્વર અને 40 બ્રોન્ઝ)ની સાથે ચોથા ક્રમાંકે રહ્યું હતું.
100 MEDALS at the Asian Para Games! A moment of unparalleled joy. This success is a result of the sheer talent, hard work, and determination of our athletes.
This remarkable milestone fills our hearts with immense pride. I extend my deepest appreciation and gratitude to our… pic.twitter.com/UYQD0F9veM
હાંગજોઉ પેરા એશિયન ગેમ્સમાં 111 મેડલ જીતીને ભારત મેડલોની યાદીમાં પાંચમા ક્રમાંકે રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ગેમ્સ ટુર્નામેન્ટમાં ભારતનો આ સર્વશ્રેષ્ઠ દેખાવ છે. આ પહેલાં 23 સપ્ટેમ્બરથી આઠ ઓક્ટોબરની વચ્ચે હાંગજોઉ એશિયન ગેમ્સમાં ભારતે 107 મેડલ જીત્યા હતા. ભારતે 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં પહેલી વાર 100થી વધુ મેડલ જીત્યા હતા.
ભારતીય ખેલાડીઓએ સૌથી વધુ 55 મેડલ એથ્લેટિક્સમાં જીત્યા હતા, જ્યારે બેડમિન્ટન ખેલાડીઓએ ચાર ગોલ્ડ સહિત 21 મેડલ જીત્યા હતા. ચેસમાં આઠ અને આર્ચરીમાં સાત મેડલ મળ્યા હતા. શનિવારે ભારતે ચાર ગોલ્ડ સહિત 12 મેડલ જીત્યા હતા.
ગાંધીનગરઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા 27 ઓક્ટોબરે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય, “સર્વ ધર્મ પ્રાર્થના” અને “સરસ્વતી વંદના”થી થઈ. પ્રો. ડો. સમીર સૂદ, કેમ્પસ ડિરેક્ટરે સ્વાગત પ્રવચન કર્યું તથા શૈક્ષણિક અહેવાલ રજૂ કર્યો હતો.
પ્રો. ડો. સમીર સૂદે તેમના શૈક્ષણિક અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે 2023ના વર્ગમાં 184 સ્નાતક વિદ્યાર્થીઓ અને 82 અનુસ્નાતક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમણે તેમની શૈક્ષણિક સફર પૂર્ણ કરી છે અને તેઓ ઉદ્યોગ જગતના પડકારોનો સામનો કરવા તથા તેની વૃદ્ધિમાં યોગદાન આપવા તૈયાર છે.
નિફ્ટ-ગાંધીનગરના નિયામક, પ્રો. ડો. સમીર સૂદે જણાવ્યું હતું કે શૈક્ષણિક કાર્યોની સાથે-સાથે કેમ્પસે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરી છે. નિફ્ટ-ગાંધીનગર કેમ્પસના કેટલાક નોંધપાત્ર પ્રયાસો અને સિદ્ધિઓ અહીં નીચે પ્રમાણે છે,
(a) નિફ્ટ-ગાંધીનગર કેમ્પસને ET એસેન્ટ દ્વારા વર્ષ 2023 માટે “એજ્યુકેશન લીડરશિપ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યું.
(b) કેમ્પસે બંને સંસ્થાઓ માટે નવી શક્યતાઓ માટે દ્વાર ખોલીને, શૈક્ષણિક સહયોગ અને સંયુક્ત સંશોધન પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થા સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા.
આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદવી અને એવોર્ડ વિતરણ સમારોહનો પ્રારંભ થયો હતો. ફેશન ડિઝાઇન, ફેશન કોમ્યુનિકેશન, ટેક્સટાઇલ ડિઝાઇન, એસેસરી ડિઝાઇન, ફેશન મેનેજમેન્ટ અને ફેશન ટેક્નોલોજી અને માસ્ટર ઓફ ડિઝાઇનના સ્ટ્રીમમાંથી કુલ 266 વિદ્યાર્થીઓએ સ્નાતક થયા. કુલ 184 વિદ્યાર્થીઓને તેમની સ્નાતકની ડિગ્રી આપવામાં આવી હતી અને 82 વિદ્યાર્થીઓએ તેમની માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 2023ના વર્ગની વિભાગવાર વિગતો નીચે મુજબ છે:
ડિપાર્ટમેંટ
વિદ્યાર્થીઓની સંખ્યા
સ્નાતક પ્રોગ્રામ
એક્સેસરી ડિઝાઇન (Accessory Design)
37
ફેશન કમ્યુનિકેશન (Fashion Communication)
40
ફેશન ડિઝાઇન (Fashion Design)
37
ટેક્સટાઇલ ડિઝાઇન (Textile Design)
38
ફેશન ટેક્નોલોજી (Fashion Technology(Bachelors))
32
માસ્ટર પ્રોગ્રામ
–
ફેશન મેનેજમેંટ (Fashion Management
36
ફેશન ટેક્નોલોજી Fashion Technology (Masters)
13
માસ્ટર ઓફ ડિઝાઇન Master of Design
33
કુલ
266
આ દીક્ષાંત સમારોહ અને ખાદી મહોત્સવ પ્રદર્શન NIFT ગાંધીનગર અને ખાદી મહોત્સવ માટે સીમાચિહ્નરૂપ વર્ષગાંઠનું પ્રતિનિધિત્વ કરે છે, જે મહાત્મા ગાંધીના કાયમી વારસા અને ભારતની સ્વતંત્રતાની લડાઈના પ્રતીક તરીકે ખાદીના તેમના વિઝનને આદર આપે છે.
નવી દિલ્હીઃ તૃણમૂલ સાંસદ મહુઆ મોઉત્રાએ પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાનો મામલો સ્વીકાર કરી લીધો છે. તેમણે બિઝનેસમેન દર્શન હીરીનંદાનીને લોકસભા વેબસાઇટનો પોતાનો લોગઇન ID અને પાસવર્ડ શેર કર્યા હોવાનું પણ કબૂલ્યું હતું. જેથી બિઝનેસમેન તેમની તરફથી સવાલ કરી શકે.
તેમણે કહ્યું હતું કે તેમણે હીરાનંદાની ગ્રુપના CEO દર્શન હીરાનંદાની પાસેથી ગિફ્ટ સ્વરૂપે માત્ર એક સ્કાર્ફ, કેટલીક લિપસ્ટિક અને આઇશેડો સહિત અન્ય મેકઅપનો સામાન મળ્યો હતો. તેમણે સ્વીકાર કર્યો હતો કે તેમણે તેમને ઉપયોગ કરવા દીધો હતો.
જોકે તેમણે સવાલ પૂછવા માટે પૈસા લેવાના આરોપોનું અને હીરાનંદાનીથી લાંચ લેવાના આરોપોનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મેં અન્યોની સાથે પણ મારા લોગઇન ID અને પાસવર્ડ શેર કર્યા છે, કેમ કે હું રિમોટ એરિયામાં કામ કરું છું, એટલે હું ઘણી વ્યસ્ત રહું છું. તેમણે કહ્યું હતું કે સવાલ ટાઇપ કર્યા પછી મને મોકલવામાં આવતા હતા. હું સવાલોનું વાંચતી હતી. આ સવાલોને ટાઇપ કર્યા પછી મારા મોબાઇલ પર એક OTP આવે છે. જે એ OTP તેમને આપતી હતી. એ પછી સવાલ નોંધાતા હતા.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મહુઆ પૈસા અને મોંઘી ગિફ્ટ લઈને સંસદમાં સવાલ પૂછતાં હતાં, જેને તેમણે લોકસભાની એથિક્સ કમિટીની પાસે મોકલી દીધા છે. હવે મહુઆ મોઇત્રાએ 31 ઓક્ટોબરે એથિક્સ કમિટીની સામે હાજર થવાનું છે. આ પહેલાં એથિક્સ કમિટીએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને વકીલ જય અનંતથી પૂછપરછ કરી હતી.