મુંબઈઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ફર્સ્ટ લેડી બ્રિજિટ મેક્રોન તેમના નિર્ધારિત ભારત પ્રવાસ માટે સોમવારે રાત્રે મુંબઈ પહોંચ્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મુંબઈમાં ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને નેતાઓ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.
વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસવાલે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુંબઈ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. આ પ્રવાસ દરમિયાન PM નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષી બેઠક કરશે. બંને નેતાઓ ઇન્ડિયા-ફ્રાન્સ યર ઓફ ઇનોવેશન 2026 લોન્ચ કરશે.
સત્તાવાર નિવેદન મુજબ બંને નેતાઓ વચ્ચેની ચર્ચા વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને નવા તથા ઊભરતાં ક્ષેત્રોમાં વિસ્તૃત કરવા પર કેન્દ્રિત રહેશે. PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કરશે. PM મોદીના આમંત્રણ પર મેક્રોન 17થી 19 ફેબ્રુઆરી દરમિયાન ભારત પ્રવાસે રહેશે. તેઓ નવી દિલ્હીમાં યોજાનાર ‘AI ઇમ્પેક્ટ સમિટ 2026’માં પણ ભાગ લેશે. 16થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભારત મંડપમમાં યોજાતો આ કાર્યક્રમ ગ્લોબલ સાઉથની પહેલી વૈશ્વિક AI સમિટ ગણાય છે.
▪️PM @narendramodi has expressed confidence that his meeting with French President @EmmanuelMacron will further strengthen cooperation across sectors and contribute to global progress.
મુંબઈમાં તેઓ PM મોદી સાથે સાંજે લગભગ 5:15 વાગ્યે ‘ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર 2026’નું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન બંને દેશોના ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધકોને સંબોધિત કરશે.
મેક્રોનનો આ પ્રવાસ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીમાં વધતી ગતિનો સંકેત આપે છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી ટેકનોલોજી ક્ષેત્રે સહકાર પર ભાર મૂકવામાં આવશે. ફ્રેન્ચ દૂતાવાસ મુજબ, આ જોડાણ નવી દિલ્હી અને પેરિસ વચ્ચે વધતા સંબંધોમાં એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય છે. આ પ્રવાસ રક્ષણ, અંતરિક્ષ, નાગરિક પરમાણુ ઊર્જા, હવામાન કાર્યવાહી અને શિક્ષણ ક્ષેત્રે મજબૂત બનેલી ભાગીદારીની પૃષ્ઠભૂમિમાં થઈ રહ્યો છે.
નવી દિલ્હી: અભિનેત્રી તેમજ UNFPA Indiaની એડવોકેટ સોહા અલી ખાને ભારત મંડપમમાં યોજાયેલા AI Impact Summit 2026માં સંબોધન કર્યું. તેમણે કહ્યું, ડિજિટલ દુનિયામાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે નૈતિક અને જેન્ડર-સંવેદનશીલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અત્યંત જરૂરી છે. તેમણે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું કે ટેક્નોલોજીએ મહિલાઓને શીખવા, કામ કરવા અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક આપી છે. પરંતુ ઓનલાઇન સુરક્ષા વિના આ તકો અધૂરી રહે છે.
16વધુમાં સોહા અલી ખાને જણાવ્યું, “જો મહિલાઓ ઓનલાઇન સુરક્ષિત અનુભવ કરશે, તો જ તેઓ સંપૂર્ણ રીતે આગળ વધી શકશે. આપણે એવું AI બનાવવું જોઈએ જે મહિલાઓની સુરક્ષા કરે અને તેમને આત્મવિશ્વાસ સાથે ડિજિટલ દુનિયામાં આગળ આવવામાં મદદ કરે.”
આ કાર્યક્રમ United Nations Population Fund (UNFPA) દ્વારા Ikigai Law અને University of Melbourneના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. તેમાં નીતિ-નિર્માતાઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં UNFPA ઇન્ડિયાના પ્રતિનિધિ એન્ડ્રિયા એમ. વોજનારે જણાવ્યું કે ભારતનું AI ક્ષેત્રમાં નેતૃત્વ એક મોટી તક છે. આપણે એવી ટેક્નોલોજી બનાવવી જોઈએ, જે મહિલાઓના અધિકારો અને સન્માનનું રક્ષણ કરે. કાર્યક્રમમાં એક પેનલ ચર્ચા પણ યોજાઈ હતી, જેનું સંચાલન ટેક વિશેષજ્ઞ રાજીવ મખાનીએ કર્યું હતું. ચર્ચામાં એ વાત સામે આવી કે ભારતમાં લાખો મહિલાઓ પહેલી વખત ઇન્ટરનેટથી જોડાઈ રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષિત અને જવાબદાર AI સિસ્ટમ બનાવવી અત્યંત મહત્વપૂર્ણ છે. કાર્યક્રમના અંતે વિશેષજ્ઞોએ સરકાર, ટેક કંપનીઓ અને સમાજને મળીને કામ કરવાની અપીલ કરી, જેથી ડિજિટલ દુનિયા મહિલાઓ માટે સુરક્ષિત અને સમાન તકો આપનારી બને.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમમાં ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ એન્ડ એક્સ્પો 2026’નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રના વૈશ્વિક નેતાઓ, નીતિનિર્માતાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ભાગ લેશે. વડા પ્રધાન મોદી 16 ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગ્યે ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026’નું ઉદ્ઘાટન કરશે. આ સમિટ 16થી 20 ફેબ્રુઆરી સુધી યોજાશે.
આ એક્સ્પો AIના પ્રેક્ટિકલ ડેમો માટે રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ બનશે. અહીં નીતિ અને પ્રયોગનો સમન્વય જોવા મળશે. નવીનતાનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. આ સમિટ દ્વારા ટેક્નોલોજી સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનો હેતુ છે. એક્સ્પો 70,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેમાં 10 ઝોન હશે. તેમાં વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ, એકેડેમિયા અને સંશોધન સંસ્થાઓ, કેન્દ્ર મંત્રાલયો, રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો ભાગ લેશે.એક્સ્પોમાં 13 દેશોના પેવિલિયન પણ હશે, જે AI સિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય સહકાર દર્શાવશે. તેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તાજિકિસ્તાન અને આફ્રિકા પ્રદેશના પેવિલિયન સામેલ છે. એક્સ્પોમાં 300થી વધુ વિશેષ પ્રદર્શન પેવિલિયન અને લાઇવ ડેમો જોવા મળશે. એક્સ્પોમાં 600થી વધુ હાઇ-પોટેન્શિયલ સ્ટાર્ટઅપ ભાગ લેશે, જેમાંથી ઘણા વૈશ્વિક સ્તરે અને મોટી વસ્તી માટે ઉપયોગી સોલ્યુશન વિકસાવી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ એવાં ઉપયોગી સોલ્યુશન રજૂ કરશે જે પહેલેથી જ વાસ્તવિક દુનિયામાં અમલમાં છે.
ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026માં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહિત 25 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની સંભાવના છે. આ કાર્યક્રમનો હેતુ વૈશ્વિક AI ઇકોસિસ્ટમમાં નવી ભાગીદારી વધારવાનો અને વ્યાપારિક તકો ઊભી કરવાનો છે.
આ સમિટમાં 500થી વધુ સેશન્સ યોજાશે, જેમાં 3250થી વધુ દ્રષ્ટાવાન વક્તાઓ અને ચર્ચાકારો જોડાશે. આ સત્રોનો મુખ્ય હેતુ વિવિધ ક્ષેત્રોમાં AI દ્વારા આવતા પરિવર્તનોને સમજવો અને ભવિષ્યના માર્ગ પર ચર્ચા કરવાનો રહેશે, જેથી AIનો લાભ વિશ્વના દરેક નાગરિક સુધી પહોંચી શકે.
સદગુરુ: ભારતીય સંસ્કૃતિમાં મંદિરો પુજા કે પ્રાર્થના કરવા માટેનાં સ્થળ નહોતા. તેઓ ઊર્જા કેન્દ્રો હતા જેનો તમારે ઉપયોગ કરવો રહ્યો. મંદિરો, જેને અગમ શાસ્ત્ર કહેવાય છે – પાંચ મૂળભૂત સિધ્ધાંતો કે જે અનુસાર તમે એક ચોક્કસ ઊર્જાનું પરિમાણ ઉત્પન્ન કરી શકો – તે અનુસાર બનાવવામાં આવતા હતા. આ પ્રાણપતિષ્ઠાનું વિજ્ઞાન છે. જો તમે માટીને અન્નમાં પરિવર્તિત કરો છો, તો તેને ખેતી કહેવાય છે. જો તમે અન્નને માંસ અને હાડકાંમાં પરિવર્તિત કરો છો, તો તેને પાચન કહેવાય છે. જો તમે આ માંસ અને હાડકાં ફરીવાર માટીમાં પરિવર્તિત કરો છો, તો તે અંતિમસંસ્કાર કહેવાય છે. તે જ રીતે જો તમે એક પથ્થર કે એક ખાલી જગ્યાને પણ દિવ્ય પ્રક્રિયામાં પરિવર્તિત કરો છો, જો તમે તેને સૌથી ઊંચા સ્તરની તીવ્રતાથી કંપિત કરાવો છો, તો તે પ્રાણપ્રતિષ્ઠા કહેવાય છે. એક પ્રાણપ્રતિષ્ઠિત જગ્યા ખૂબ જ કીમતી હોય છે કારણ કે તે એક માણસ માટે પરમ સંભવનામાં ખીલી ઊઠવાનું એક ઉછેર સ્થાન બની રહે છે.
પરંપરાગત રીતે જ્યારે તમે એક મંદિરે જતાં હતા, ત્યારે કોઈ પણ વ્યક્તિએ તમને ભગવાનને તમારા ધંધાર્થે કે કુટુંબ માટે પ્રાર્થના કે આજીજી કરવા ન કહેતા. જ્યારે તમે એક મંદિરે જાવ ત્યારે ત્યાં થોડા સમય માટે તમારે બેસવાનું હોય છે. આજકાલ, ઘણાં ખરા લોકો ત્યાં ઘડીક બેસીને જતાં રહે છે. તે વાત જ નથી. વાત એ છે કે તે લોકોને ઊર્જિત કરવા માટેની એક જાહેર જગ્યા છે.
વિશ્વની પ્રકૃતિ એવી છે કે પ્રત્યેક વ્યવહારમાં એક સંઘર્ષ હોય છે – જે મારો નફો છે, તે તમારી ખોટ છે, જે તમારો નફો છે, તે મારી ખોટ છે. જો આ પરિસ્થિતિને કૃપાદ્રષ્ટિથી ન જોવામાં આવે, તો પ્રત્યેક વ્યવહાર – ભલે તે પરિવારમાં હોય કે બહાર બજારમાં – તે સંઘર્ષપૂર્ણ બની રહેશે. તો બહારની દુનિયામાં જતાં પહેલા સવારમાં સૌ પ્રથમ તમે એક ચોક્કસ ઊર્જાને ગ્રહણ કરો છો. એ જ સમયે, સૂચના પણ તે જ હતી કે જો તમે આધ્યાત્મિક માર્ગ પર હોવ, તો તમારે મંદિર જવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે તમારી જોડે એક સ્વ-ઊર્જિત સિસ્ટમ છે. તમારે લોકોને ઊર્જિત કરતી જાહેર જગ્યા પર જવાની જરૂર નથી.
આ તેના જેવું છે કે એક સમય હતો જ્યારે એક જાહેર પાણીનો નળ રહેતો. દરેક વ્યક્તિ ત્યાં જઈને ઊભી રહેતી. પણ એકવાર તમારો પોતાનો નળ તમને ઘરે મળી જાય પછી તમારે હવે જાહેર સુધી જવાની જરૂર નથી. તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમે આંતરિક દ્રષ્ટિકોણ કેળવો કારણ કે એકવાર તમે આંતરિક દ્રષ્ટિકોણ કેળવો છો, તો તમારે કોઈ બાહ્ય મદદની જરૂર રહેતી નથી. તે ઠીક છે કે એક સહાયક અને ઉછેરકારક વાતાવરણ બનાવવામાં આવે, જેથી દરેક વ્યક્તિ તે ઊર્જાને મેળવી શકે. પરંતુ વ્યક્તિગત રીતે એક માણસ માટે બાહ્ય પરિસ્થિતી ગમે તે હોય, એકવાર તમે આંતરિક દ્રષ્ટિકોણ કેળવો છો, તો તેને બાહ્ય સહાયની જરૂર પડતી નથી. જો તમે એકવાર આંતરિક દ્રષ્ટિકોણ કેળવ્યો, તો તમારે જઈને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. પરંતુ જો તમે આંતરિક દ્રષ્ટિકોણ કેળવ્યો નથી, તો કોઈ વ્યક્તિએ બનાવેલા સ્થાન પર તમે અનુભવ મેળવી શકો છો.
આ સ્થાનોને સામાન્ય રીતે તીર્થો કહેવાય છે. તીર્થ એટલે એક પ્રાણપ્રતિષ્ઠિત અથવા ઊર્જિત જગ્યા, જળ ક્ષેત્ર કે બીજી કોઈ વસ્તુ. જે લોકો આને બનાવે છે, તેમને તીર્થંકરો કહેવાય છે. આ ભૂમિ પર શક્તિશાળી તીર્થો બનાવવામાં આવેલા છે, જેનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. પરંતુ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે – આંતરિક દ્રષ્ટિકોણ કેળવવો, કારણ કે છેવટે એ વસ્તુ જેને તમે જીવનનો સ્ત્રોત કહો છો – ભલે તમે એને સર્જનહાર કહો અથવા કોઈ અન્ય નામ આપો – તે તમારી અંદર જ છે. જ્યારે જીવનનો સ્ત્રોત તમારી અંદર હોય, ત્યારે તમારે બીજી કોઈ વ્યક્તિની સલાહ લેવાની જરૂર રહેતી નથી. જો તમારે જીવનને જાણવું હોય, તો તમારે આંતરિક દ્રષ્ટિકોણ કેળવવો રહ્યો. પરંતુ ત્યાં સુધી, તમે બાહ્ય સહાયકો જે બનાવવામાં આવેલા છે, તેમનો ઉપયોગ કરી શકો છો.
અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે, ધાર્યા કરતા વધુ ખર્ચા થાય.
માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર મળવા જોગ છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.
ભારતે T20 વર્લ્ડ કપ 2026 મેચમાં પાકિસ્તાનને એકતરફી રીતે હરાવ્યું. આ જીત સાથે, ટીમ ઈન્ડિયા સુપર 8 માં પ્રવેશી ગઈ છે. પહેલા બેટિંગ કરતા, ભારતીય ટીમે 20 ઓવરમાં 175 રન બનાવ્યા. કોલંબોની મુશ્કેલ પીચ પર પાકિસ્તાન માટે આ સ્કોર ખૂબ ઊંચો સાબિત થયો. પાકિસ્તાનના બેટ્સમેનોએ ભારતીય બોલિંગ સામે શરણાગતિ સ્વીકારી લીધી, અને હવે ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે ગ્રુપ A માં પોઈન્ટ ટેબલ કેવી રીતે છે.
ભારતે ગ્રુપ A માં શાનદાર પ્રદર્શન કર્યું છે, સતત ત્રણ મેચ જીતી છે. આ જીત સાથે, ટીમ ઈન્ડિયા ઉત્તમ નેટ રન રેટ સાથે સુપર 8 માં પહોંચી ગઈ છે. બીજી તરફ, પાકિસ્તાન આ T20 વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ હારી ગયું હતું અને હવે બહાર થવાનું જોખમ છે. જો પાકિસ્તાન નામિબિયા સામેની છેલ્લી મેચ હારી જાય છે, તો તે બહાર થઈ જશે કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સે બે મેચ જીતી છે અને તેનો નેટ રન રેટ સારો છે. યુનાઇટેડ સ્ટેટ્સ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે પાકિસ્તાન ત્રીજા સ્થાને સરકી ગયું છે.
A special knock to guide a big victory ✨
Ishan Kishan wins the Player of the Match award in Colombo 🫡
ભારતીય ટીમે કોલંબોમાં પાકિસ્તાનને 61 રનથી કચડી નાખ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન ફક્ત 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને સૌથી વધુ 34 બોલમાં 44 રન બનાવ્યા હતા. અન્ય કોઈ ખેલાડીએ સારું પ્રદર્શન કર્યું ન હતું. પાકિસ્તાનના સાત બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. ભારત તરફથી ઇશાન કિશને 40 બોલમાં 77 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. બોલિંગમાં, પંડ્યા, બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ અને તિલક વર્માએ એક-એક વિકેટ લીધી હતી.
ICC T20 વર્લ્ડ કપનો 27મો મુકાબલો આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. કુલદીપ યાદવ અને અભિષેક પરત ફર્યા છે, જ્યારે અર્શદીપ અને સંજુ બહાર છે. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી છે.
બંને ટીમો અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય છે. ભારતે વર્લ્ડ કપ ટુર્નામેન્ટની પહેલી મેચમાં યુનાઇટેડ સ્ટેટ્સને 29 રનથી હરાવ્યું અને પછી નામિબિયાને 93 રનથી હરાવ્યું. ભારત ચાર પોઈન્ટ અને +3.050 ના નેટ રન રેટ સાથે ટેબલમાં આગળ છે.
જોકે, પાકિસ્તાને પહેલા નેધરલેન્ડ્સને રોમાંચક મેચમાં હરાવ્યું, પછી યુનાઇટેડ સ્ટેટ્સ સામે મોટી જીત નોંધાવી અને +0.932 ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે.
ભારત અને પાકિસ્તાને અત્યાર સુધીમાં 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં ભારત 13-3 થી આગળ છે. T20 વર્લ્ડ કપમાં આ અંતર વધુ છે – ભારત આઠ મેચમાં 7-1 થી આગળ છે.