Home Blog Page 243

પાકિસ્તાની કેપ્ટને અભિષેક શર્માને લઈને આપ્યું એક મોટું નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા રોમાંચક સાબિત થાય છે. 2026 ના T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને-સામને થવાની તૈયારીમાં છે. તેઓ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ટકરાશે. આ મોટી મેચ માટે ફક્ત એક દિવસ બાકી હોવાથી, ચાહકોમાં ઉત્સાહ વધી રહ્યો છે.

T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ આઠ મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયા સાત વખત જીતી છે, જ્યારે પાકિસ્તાન ફક્ત એક જ વાર જીત્યું છે. ભારત આ રેકોર્ડ સુધારવાના ઈરાદા સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે.

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ એશિયા કપમાં પાકિસ્તાનને ઘણી મુશ્કેલીમાં મુકી હતી. હવે, મોટી મેચ પહેલા, પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ તેમના વિશે એક મોટું નિવેદન આપતા કહ્યું, “મને આશા છે કે અભિષેક શર્મા કાલે રમશે. મને આશા છે કે તે સ્વસ્થ થઈ રહ્યો છે.” અમે શ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમવા માંગીએ છીએ.

હાથ મિલાવવાના વિવાદ પર પ્રતિક્રિયા આપતા, પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મારો અંગત અભિપ્રાય મહત્વનો ન હોઈ શકે, પરંતુ ક્રિકેટ હંમેશા જે રીતે રમાય છે તે રીતે રમવું જોઈએ. તેઓ શું કરવા માંગે છે તે નક્કી કરવાનું તેમનું કામ છે.

પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાને ભારત સામેની મેચ વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું, “મને લાગે છે કે અમે ગયા એશિયા કપમાં જે રીતે રમ્યા હતા. અમે મેચને એકતરફી બનવા દીધી ન હતી. અમે અંત સુધી લડ્યા. અમે અંત સુધી એકતરફી મેચ રમી ન હતી, અને આશા છે કે, અમે આ વખતે એક શાનદાર મેચ રમીશું.”

પાકિસ્તાની બોલર ઉસ્માન તારિકની એક્શન અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ પોતે જ જવાબ આપ્યો છે, બધા ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે. મેચ પહેલા, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ માને છે કે સ્પિનરો કોલંબોની પીચ પર પ્રભુત્વ મેળવશે. છેલ્લી કેટલીક મેચોમાં પણ, સ્પિનરોએ આ પીચ પર પ્રભુત્વ મેળવ્યું છે.

ભારત-પાકિસ્તાન મેચ: ફ્લાઇટ ટિકિટ રૂ. 1.5 લાખ સુધી, હોટેલ માલિકોને પણ ચાંદી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતી કાલે શ્રીલંકાના કોલંબોમાં સાંજે સાત વાગ્યાથી T20 વર્લ્ડ કપ 2026નો મેચ રમાવાની છે. જો તમે આ મેચ જોવા જવાનું પ્લાન કરી રહ્યા છો, તો ફ્લાઇટ ટિકિટ માટે લાખો રૂપિયા ચૂકવવા પડી શકે છે.

14 ફેબ્રુઆરીએ તપાસ કરતાં 15 ફેબ્રુઆરીની દિલ્હી અને મુંબઈથી કોલંબો જતી ડિરેક્ટ ફ્લાઇટનું ભાડું એક મુસાફર માટે રૂ. 1.45 લાખ સુધી છે. 16 ફેબ્રુઆરીની સરખામણીએ આ ભાડું 40–50 ટકા વધારે છે.

દિલ્હીથી કોલંબો ફ્લાઇટ ભાડું

દિલ્હીથી કોલંબો ડિરેક્ટ ફ્લાઇટ દ્વારા પહોંચવા અંદાજે 4 કલાક લાગે છે. મેચના દિવસે સાંજે 7 વાગ્યા પહેલાં એર ઇન્ડિયાની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું રૂ. 1,09,339 સુધી છે. જ્યારે શ્રીલંકન એરલાઇન્સનું ભાડું રૂ. 65,914 થી રૂ. 1,45,219 સુધી દર્શાવવામાં આવી રહ્યું છે.

મુંબઈથી કોલંબો ફ્લાઇટ ભાડું

મુંબઈથી કોલંબો ડિરેક્ટ ફ્લાઇટમાં લગભગ ત્રણ કલાક લાગે છે. 14 ફેબ્રુઆરીએ શ્રીલંકન એરલાઇન્સની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું રૂ. 66,122 સુધી છે. 15 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યા પહેલાં એર ઇન્ડિયાની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું રૂ. 60,030 છે.

હોટેલ ભાડું રૂ. 1.14 લાખ સુધી પહોંચ્યું

14 અને 15 ફેબ્રુઆરી માટે કોલંબોમાં 3થી 5 સ્ટાર હોટેલોમાં 2 લોકો માટે એક રાતનું રૂમ ભાડું રૂ. 1.14 લાખ સુધી પહોંચી ગયું છે. જોકે નાની હોટેલોમાં રૂ.2000-રૂ. 3000માં પણ રૂમ મળી શકે છે.

ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહીં?

કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આ મોટો મુકાબલો રમાશે. મેચ પહેલાં પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ભારત સામે પોતાના “ટ્રમ્પ કાર્ડ” તરીકે ઉસ્માન તારિકનું નામ લીધું. તેમણે કહ્યું કે મેચ ખૂબ મોટી છે અને ટીમ સારી તૈયારી કરી રહી છે. સ્પિનરો હાવી રહી શકે છે, પરંતુ પેસરોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે. ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે તે બાબતે પછી વિચારશે. ‘બોયકોટ ડ્રામા’ પછી આ મેચનું મહત્વ વધુ વધી ગયું છે.

DyCM હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં ભાવનગરમાં 50 ઈ-બસોનું લોકાર્પણ

ભાવનગર જિલ્લાના પાલીતાણાના નાનીમાળ ગામે આવેલા પવિત્ર કૈલાસધામ મંદિર ખાતે ભવ્ય જીર્ણોદ્ધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં નાયબ મુખ્યમંત્રીના હસ્તે ભાવનગર મનપાના 35 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ મહોત્સવમાં DyCM હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કૈલાસધામમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આવા ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા અને શ્રદ્ધાને મજબૂત બનાવે છે. તેમણે નાનીમાળ ગામ અને કૈલાસધામના વિકાસની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હર્ષભાઈ સંઘવીના હસ્તે 50 નવી ઇ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ભાવનગર છેલ્લા ઘણા સમયથી સિટી બસ સેવાથી વંચિત હતું. આ નવી બસો શરૂ થવાથી શહેરીજનોની પરિવહન સમસ્યા હળવી થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.

મુલુંડમાં બાંધકામ હેઠળના મેટ્રો પિલરનો ભાગ તૂટયોઃ અનેક લોકો ઘાયલ

મુંબઈઃ મુંબઈમાં મેટ્રોના બાંધકામ હેઠળની સાઇટ પર સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. આ મોટો અકસ્માત મુલુંડ વિસ્તારમાં જોન્સન ગાર્ડન વિસ્તાર પાસે થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મેટ્રો પિલરનો ભાગ તૂટી પડતાં ઓટો રિક્ષામાં બેઠેલા ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. કહેવામાં આવે છે કે જોન્સન એન્ડ જોન્સન કંપની પાસે ઘણી ગાડીઓ પાર્ક હતી અને મેટ્રો પિલરનો ભાગ તે ગાડીઓ પર પડ્યો હતો. ઓટોમાં સવાર તમામ લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

ગાડીઓ ઉપર તૂટી પડ્યો મેટ્રો પિલરનો ભાગ

આ ઘટના શનિવારે બપોરે બની હતી. બીએમસી અનુસાર બાંધકામ દરમિયાન સિમેન્ટથી બનેલા મેટ્રો પિલરનો એક ભાગ તૂટી નીચે રસ્તા પર જઈ રહેલી ઓટો રિક્ષા પર પડ્યો હતો. અકસ્માતમાં ઓટોમાં સવાર ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મુજબ એક ખાનગી કાર પણ આ અકસ્માતની ઝપેટમાં આવી છે. ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડ, પોલીસ, મેટ્રો સ્ટાફ, વોર્ડ કર્મચારીઓ અને 108 એમ્બ્યુલન્સ સેવા સ્થળ પર પહોંચી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા.

અકસાન્ત બાદ પોલીસે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી ટ્રાફિક ડાયવર્ટ કર્યો અને કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરી. હાલ પોલીસ અને સંબંધિત એજન્સીઓ અકસ્માતનાં કારણોની તપાસ કરી રહી છે. જ્યાં મેટ્રો પિલરનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓ અનુસાર સ્લેબ તૂટતા જ સ્થળ પર ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવામાં આવે છે અને તેમને તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બંનેની સારવાર ચાલી રહી છે.

વેલેન્ટાઇન ડેઃ ઈ-કોમર્સ વેચાણમાં 60 ટકા સુધીનો વધારો

નવી દિલ્હીઃ વેલેન્ટાઇન ડે પહેલાં ઈ-કોમર્સ અને ગિફ્ટિંગ પ્લેટફોર્મ પર વેચાણમાં ગયા વર્ષની સમાન સમયગાળાની સરખામણીએ 60 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આ વર્ષે ગ્રાહકો ફૂલ, ચોકલેટ, વ્યક્તિગત સામાન અને અનુભવને વધુ સારો બનાવવા ગિફ્ટ પર વધુ ખર્ચ કરી રહ્યા છે.

ઉદ્યોગના અધિકારીઓ મુજબ આ વૃદ્ધિને ડિજિટલ પ્લેટફોર્મ, ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ક્વિક ડિલિવરીની પહોંચ, પ્રીમિયમ ઉત્પાદનોની વધતી માગ અને આક્રમક પ્રચારપ્રસારથી ગતિ મળી રહી છે.ફ્લિપકાર્ટ ના ઉપાધ્યક્ષ (વૃદ્ધિ અને માર્કેટિંગ) પ્રતીક શેટ્ટીએ કહ્યું હતું કે આ સીઝનમાં વેલેન્ટાઇન ડે સંબંધિત કેટેગરીમાં ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં 58 ટકા વૃદ્ધિ જોવા મળી છે. એ સાથે જ ગ્રાહકોની સંખ્યામાં 44 ટકા વધારો થયો છે, જે મજબૂત જોડાણ અને નવા ગ્રાહકોની ભાગીદારી દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે માગની દૃષ્ટિએ કેક અને પેસ્ટ્રીમાં 7.7 ગણો, નમકીનમાં 6.6 ગણો, કૂકીઝ અને બિસ્કિટમાં 6.5 ગણો, ચોકલેટમાં 6 ગણો અને હાઇલાઇટર જેવાં બ્યુટી ઉત્પાદનોમાં 2.7 ગણો વધારો નોંધાયો છે.

એમેઝોન ઇન્ડિયાના ઉપાધ્યક્ષ સૌરભ શ્રીવાસ્તવે કહ્યું હતું કે પ્લેટફોર્મ પર પ્રીમિયમ ઉત્પાદનોની માગ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડે હવે વર્ષના મહત્વપૂર્ણ ગિફ્ટિંગ અવસર તરીકે વિકસ્યો છે. આ સમયગાળા દરમિયાન અમે ચોકલેટ, તાજા ફૂલ, સુગંધ (ફ્રેગ્રન્સ), જ્વેલરી, બ્યુટી, ફેશન, ઇલેક્ટ્રોનિક્સ અને ગિફ્ટ કાર્ડ જેવી કેટેગરીમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે આ ખાસ અવસર ઊજવવા માટે ગ્રાહકોમાં વધતા ઉત્સાહ અને પ્રીમિયમ તથા ક્યુરેટેડ ગિફ્ટ વિકલ્પોની વધતી પસંદગી દર્શાવે છે.

એક વિશ્લેષણ મુજબ 1થી 10 ફેબ્રુઆરી દરમિયાન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ, માર્કેટપ્લેસ અને બ્રાન્ડ વેબસાઇટ્સ પર 1.5 કરોડથી વધુ ઓર્ડર પ્રોસેસ થયા હતા. વર્ષ 2023ની સમાન અવધિની તુલનામાં ઈ-કોમર્સની માત્રાત્મક વેચાણમાં લગભગ 17 ટકા વૃદ્ધિ નોંધાઈ. આ દરમ્યાન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર ઓર્ડરની સંખ્યામાં 48 ટકા વધારો થયો.ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સ્વિગીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વર્ષે વેલેન્ટાઇન ગિફ્ટિંગમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે, જેમાં જ્વેલરી, ગ્રીટિંગ કાર્ડ અને રમકડાં જેવી મુખ્ય કેટેગરીમાં ગયા વર્ષની તુલનામાં 10 ગણો વધારો નોંધાયો છે. આથી ગ્રાહકોનો પ્રીમિયમ ઉત્પાદનો અને ક્યુરેટેડ હેમ્પર્સ તરફ વધતો ઝોક સ્પષ્ટ થાય છે.

ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બની ધમકી, ટોયલેટમાંથી પત્ર મળ્યો

કોલકાતા એરપોર્ટ પર શિલોંગ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 7304 ના ટોયલેટમાંથી બોમ્બની ધમકીવાળી એક હાથથી લખેલી નોટ મળી આવી હતી. સુરક્ષા એજન્સીઓએ વિમાનની સઘન તપાસ શરૂ કરી પરંતુ અત્યાર સુધીમાં કંઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

શનિવારે સવારે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર શિલોંગ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 7304 માં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હોબાળો મચી ગયો હતો. મુસાફરો વિમાનમાં ચઢે એ પહેલા ટોયલેયમાંથી એક હાથથી લખેલી નોંધ મળી આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બોર્ડમાં બોમ્બ છે.

વિમાનને આઇસોલેશન બેમાં મોકલવામાં આવ્યું હતું

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જણાવ્યા અનુસાર સવારે એક ક્રૂ મેમ્બર દ્વારા આ નોટ ધ્યાનમાં આવી હતી, જેના પગલે સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક એલર્ટ કરવામાં આવી હતી. સાવચેતી રૂપે વિમાનને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું અને માનક સંચાલન પ્રક્રિયાઓ અનુસાર તમામ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ વિમાનની સંપૂર્ણ તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હાલમાં સુરક્ષા તપાસ ચાલી રહી છે, અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે.

બોમ્બ ધમકીઓ ચાલુ જ છે

દેશમાં સ્થાનિક ફ્લાઇટ્સમાં બોમ્બ ધમકીઓના વારંવાર અહેવાલો આવ્યા છે. 18 જાન્યુઆરીએ દિલ્હીથી બાગડોગરા જતી ઇન્ડિગો ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર લખેલી બોમ્બ ધમકીની નોટ મળી આવી હતી, જેના પગલે સાવચેતી રૂપે ફ્લાઇટને લખનૌ વાળવામાં આવી હતી.

ત્યારબાદ દિલ્હીથી પુણે જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 2608 ના ટોઇલેટમાંથી એક હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી, જેમાં બોમ્બ હોવાનો વાત કરવામાં આવી હતી. આ ચિઠ્ઠીએ ફ્લાઇટમાં હંગામો મચાવ્યો હતો ત્યારબાદ વિમાન પુણે એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ અને નિરીક્ષણ પછી બોર્ડ પર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી અને ધમકી એક છેતરપિંડી સાબિત થઈ હતી.

FY26માં શહેરી ભારત આપશે GDPમાં 70 ટકા યોગદાન

નવી દિલ્હીઃ દેશના અર્થતંત્રમાં શહેરી વિસ્તારોની ભૂમિકા સતત મજબૂત બની રહી છે. નાણાકીય વર્ષ 2025-26 સુધી દેશમાં કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં શહેરી ભારતનો હિસ્સો વધીને અંદાજે 70 ટકા સુધી પહોંચી શકે છે. 1990ના દાયકામાં આ આંકડો લગભગ 45 ટકા હતો, જે દર્શાવે છે કે છેલ્લા ત્રણ દાયકામાં શહેરી અર્થતંત્રે ઝડપી વૃદ્ધિ નોંધાવી છે, એમ અહેવાલ કહે છે.

ભારત ઝડપી શહેરીકરણ તરફ આગળ વધી રહ્યું છે. અંદાજ છે કે વર્ષ 2036 સુધી દેશમાં શહેરી વસ્તી લગભગ 60 કરોડ સુધી પહોંચી જશે, જે તે સમયે કુલ વસ્તીના અંદાજે 40 ટકા જેટલી થશે. તુલનાત્મક રીતે, વર્ષ 2011માં શહેરી વસ્તીનો હિસ્સો લગભગ 31 ટકા હતો. આ પરિવર્તન દર્શાવે છે કે રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને સારા માળખાકીય શોધમાં મોટી સંખ્યામાં લોકો શહેરો તરફ આગળ વધી રહ્યા છે.આવનારાં વર્ષોમાં શહેરીકરણની ગતિ વધુ તેજ બની શકે છે. દેશમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2016માં જ્યાં તેમની સંખ્યા 4567 હતી, ત્યાં 2025 સુધીમાં તે વધીને 4958 થઈ ગઈ છે. આઠ વર્ષમાં લગભગ 8.5 ટકાનો આ વધારો દર્શાવે છે કે વહીવટી માળખું પણ વધતા શહેરી વિસ્તારને અનુરૂપ વિકસિત થઈ રહ્યું છે.

ક્લાસ Y એટલે કે ટિયર-2 અને ટિયર-3 શહેરો હવે રોકાણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિના નવાં કેન્દ્ર તરીકે ઊભરી રહ્યાં છે. આ શહેરો વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો સ્થાપવા માટે મહત્વપૂર્ણ વિકલ્પ બની રહ્યાં છે. તેનાથી મોટાં શહેરો પરનું દબાણ ઘટશે અને નાનાં તથા મધ્યમ શહેરોમાં રોજગારની તકો વધશે. આથી પ્રાદેશિક સંતુલન મજબૂત થવાની આશા છે.

વિશેષજ્ઞોના મતે જો માળખાકીય માળખું, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, ડિજિટલ કનેક્ટિવિટી અને શહેરી વહીવટમાં સુધારાની ગતિ યથાવત્ રહેશે તો શહેરી અર્થતંત્ર દેશની વિકાસદરને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. જોકે, સાથે સાથે આવાસ, ટ્રાફિક, પ્રદૂષણ અને સંસાધનોના સંચાલન જેવી પડકારોને ઉકેલવા પણ એટલા જ જરૂરી રહેશે.

કેન્દ્ર સરકારના બજેટ 2026-27માં શહેર આધારિત વિકાસને પ્રાથમિકતા આપવામાં આવતાં દેશનાં ઘણાં મોટાં અને ઊભરતાં શહેરોની આર્થિક ગતિ પર નવી ચર્ચા શરૂ થઈ છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે દરેક સિટી ઇકોનોમિક રિજિયનને આવતાં પાંચ વર્ષમાં 5000 કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ રકમ ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરો તથા મુખ્ય તીર્થ નગરોના વિકાસ માટે નક્કી કરવામાં આવી છે. સરકારનો હેતુ છે કે મહાનગરો સાથે નાના અને મધ્યમ શહેરો પણ આર્થિક પ્રવૃત્તિના મજબૂત કેન્દ્ર બની શકે.

ફિલ્મ ‘દસ’ નું ‘દસ બહાને’ ગીત અકસ્માતે આવ્યું હતું!

ફિલ્મ ‘દસ’ નું ‘દસ બહાને કરકે લે ગયે દિલ’ ગીત ખરેખર એક અકસ્માત જેવું હતું. આ ગીતની રચના ગીતકાર પંછી જાલોનવીએ કરી હતી. જેમનું મૂળ નામ સૈયદ હસન છે. એમણે પહેલું ગીત લખ્યું એ અનુભવ સિંહાને બહુ પસંદ આવ્યું હતું અને એ પછી બધા જ ગીતો લખવાની જવાબદારી સોંપી હતી.

એમાં રસપ્રદ વાત એ છે કે જે પહેલું ગીત લખ્યું હતું એને અનુભવે ફિલ્મમાં લીધું ન હતું અને ફિલ્મનું શુટિંગ તથા અન્ય તમામ કામ પૂરું થઈ ચૂક્યું હતું ત્યાં સુધી ‘દસ બહાને’ ગીત હતું જ નહીં! અનુભવને વિશાલ – શેખરની પ્રોમો માટેની ધૂન પસંદ આવ્યા પછી એને ફિલ્મના ટાઇટલ ગીત તરીકે રાખવાનો વિચાર આવ્યો હતો.

અસલમાં નિર્દેશક અનુભવ સિંહાએ સંગીતકાર વિશાલ -શેખરને ફિલ્મ ‘દસ’ નો થીમ ટ્રેક તૈયાર કરવા કહ્યું હતું. એ માટે જેમ્સ બોન્ડની કોઈ ફિલ્મના સંગીતનું ઉદાહરણ આપ્યું હતું. બંનેએ કહ્યું કે તમે જે ઉદાહરણ આપ્યું છે એ પ્રકારનું સંગીત જૂનું લાગશે. એમણે પૂછ્યું કે અમે હિપ-હોપ પ્રકારનું કશુંક નવું કરીએ? ત્યારે અનુભવે હા પાડી. એ સમય પર અનુભવે ફિલ્મ માટે આ ગીત વિચાર્યું ન હતું. માત્ર પ્રચાર માટે જ આશય હતો. બે દિવસ પછી વિશાલ-શેખરે દેશી હાર્મોનિયમ પર આધુનિક હિપ-હોપની બે ધૂન છેડી હતી. બંને ધૂન સરસ હતી. પણ અનુભવને ‘દસ બહાને’ વાળી વધુ ગમી હતી.

થોડા સમય પછી અનુભવે જ્યારે બીજી ધૂન યાદ કરીને વિશાલ- શેખર પાસે માંગી ત્યારે એમણે એને કાઢી નાખી હતી. તેઓ એક નિર્દેશકને જે ધૂન પસંદ ના આવી હોય એ રાખતા ન હતા કે બીજાને સંભળાવતા ન હતા. થીમ ટ્રેક એટલો પસંદ આવ્યો હતો કે અનુભવે એને એક ગીત તરીકે લેવાનો નિર્ણય કરી લીધો હતો. આ વધારાના ગીતનું ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું ત્યારે ઝાયેદ ખાન અને અભિષેકની તારીખો મળી રહી ન હતી. બહુ મુશ્કેલીથી તારીખો મેળવીને અનુભવે માત્ર 6 કલાકમાં એનું શુટિંગ કરી લીધું હતું.

એક નાનકડી ટ્યુનમાંથી જન્મેલું ‘દસ બહાને કરકે લે ગયે દિલ’ ગીત બોલિવૂડનું સૌથી મોટું ચાર્ટબસ્ટર બન્યું હતું. અને આટલું હાઈ-ફાઈ અને પશ્ચિમી શૈલીનું ગીત સૌપ્રથમ હાર્મોનિયમ પર કમ્પોઝ કરવામાં આવ્યું હતું. ગીતને તૈયાર કરવામાં કોઈ કસર છોડવામાં આવી નહોતી. શાન અને કેકે જેવા દિગ્ગજ ગાયકોએ એમાં એવો જીવ પૂર્યો કે આજે પણ ગીત વાગતાની સાથે જ પગ આપોઆપ થિરકવા લાગે છે. ગીતની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 2005માં જ્યારે ‘બંટી ઔર બબલી‘ નું ‘કજરા રે’ ધૂમ મચાવી રહ્યું હતું ત્યારે તેની સામે એકમાત્ર ‘દસ બહાને કરકે લે ગયે દિલ’ એવું ગીત હતું જેણે ટક્કર આપી હતી. આ ગીતે વિશાલ-શેખરની જોડીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

આ ગીતની લોકપ્રિયતા એટલી હદે હતી કે વર્ષો પછી 2020માં ‘બાગી 3’ માં તેને રીમિક્સ કરવામાં આવ્યું હતું છતાં જૂના ચાહકો માટે તો અસલ ગીતનો જાદુ આજે પણ અકબંધ છે. ‘દસ બહાને’ ગીત માત્ર એક ગીત નથી પણ બોલિવૂડના એક્શન અને સ્ટાઇલના એ યુગની ઓળખ છે.

 

 

ઈરાનમાં સત્તા પરિવર્તન જ શ્રેષ્ઠ વિકલ્પઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી એક વખત વધ્યો છે. ઓમાનની રાજધાની મસ્કતમાં બંને દેશો વચ્ચે પરમાણુ સમજૂતી મુદ્દે યોજાયેલી બેઠક નિષ્કર્ષ વિના પૂર્ણ થઈ છે. આ કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ  છે. જાહેર નિવેદનમાં તેમણે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે છેલ્લા 47 વર્ષથી ઈરાન માત્ર વાતચીતને ટાળતો આવ્યો છે અને તેને કારણે ઘણા લોકોના જીવ ગયા છે.

ટ્રમ્પની ઈરાનને ચેતવણી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડિયા સાથે વાતચીત દરમિયાન સ્પષ્ટ કહ્યું છે કે હવે અમે આ મુદ્દાને હંમેશ માટે ઉકેલી દઈશું. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા વિશ્વનો સૌથી મોટું વિમાનવાહક એરક્રાફ્ટ પશ્ચિમ એશિયા તરફ મોકલી રહ્યો છે. આ એરક્રાફ્ટ અંગે ટ્રમ્પે કહ્યું કે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અમને ઈરાન તરફ મોટું વિમાનવાહક એરક્રાફ્ટ મોકલવું પડ્યું છે. હવે હું માત્ર એ જોવા માગું છું કે કોઈ સમજૂતી શક્ય બને છે કે નહીં. હાલ તો મને કોઈ સમજૂતી થવાની શક્યતા ઓછી લાગે છે. અગાઉ એક વખત સમજૂતી થઈ હતી.

અમેરિકન એરક્રાફ્ટ અને વધતો તણાવ
ટ્રમ્પે આગળ કહ્યું હતું કે જો આ વખતે સમજૂતી નહીં થાય તો આ વિમાનવાહક એરક્રાફ્ટોની જરૂર પડી શકે છે. તેમણે દાવો કર્યો કે છેલ્લા આઠ મહિનામાં તેમણે વિશ્વમાં ચાલી રહેલાં 10 યુદ્ધો અટકાવ્યાં છે. તેમણે કહ્યું હતું કે અમે હાલમાં વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મેં 10 મહિનામાં આઠ યુદ્ધો અટકાવ્યાં છે. હજી થોડાં બાકી છે, પરંતુ મારી સૌથી મોટી પ્રાથમિકતા રશિયા અને યુક્રેનનો મુદ્દો છે. ત્યાં ભારે વિનાશ થયો છે અને સ્થિતિ ખૂબ ખરાબ છે. છતાં મને લાગે છે કે ત્યાં પણ અમે ઉકેલની નજીક પહોંચી ગયા છીએ.

ગુલકંદ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬