Home Blog Page 2449

મુશ્કેલ સમયમાં અમે ઈઝરાયલ સાથે ઉભા છીએ : PM મોદી

શનિવારે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર રોકેટ હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે નિર્દોષ પીડિતોની સાથે છીએ. તેણે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું, ઈઝરાયલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત. અમારી પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.

બેન્જામિન નેતન્યાહુએ શું કહ્યું?

હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આમાં તેણે દેશની જનતાને કહ્યું કે, અમે યુદ્ધમાં છીએ.

ઈઝરાયલે શું કહ્યું?

એસોસિએટ પ્રેસ (એપી) અનુસાર ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે કહ્યું કે હમાસે અમારી વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. આમાં ફક્ત અમે જ જીતીશું. એપીએ અન્ય એક અહેવાલમાં જણાવ્યું છે કે ઇઝરાયેલના બચાવ સેવા વિભાગે જણાવ્યું હતું કે હમાસના હુમલાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. વધુમાં ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીની નજીકના શહેરોના રહેવાસીઓને તેમના ઘરોમાં રહેવા અને બાકીના લોકોને બોમ્બ આશ્રયસ્થાનોની નજીક રહેવા સૂચનાઓ જારી કરી છે. આ સિવાય ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ પણ કહ્યું કે હમાસને તેની કિંમત ચૂકવવી પડશે. અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

મફત ડિજિટલ ટ્રાન્ઝેક્શન છતાં બેન્કોને 5.31 લાખ કરોડની કમાણી

નવી દિલ્હીઃ દેશમાં મોટા ભારે ડિજિટલ-ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મફત છે. એપ્રિલ, 2023 પછી રૂ. 2000થી વધુના પેમેન્ટ મોબાઇલ –ફોન વોલેટ કરવા પર 1.1 ટકા ચાર્જ લાગવા માંડ્યો છે, પણ એ ત્યારે લાગુ થશે, જ્યારે કોઈ અન્ય પ્લેટફોર્મના QR કોડને સ્કેન કરીને પેમેન્ટ કરવામાં આવશે. જો મોબાઇલ વોલેટ-પેમેન્ટ એપ વાળા પ્લેટફોર્મનો જ QR કોડ છે કો ચાર્જ નહીં લાગે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI), લોકો માટે વિવિધ બેન્કોનાં ખાતાંમાં પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે મફત છે. મફતમાં ઓનલાઇન ડિજિટલ/ કેશલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા છતાં ભારતની પેમેન્ટ રેવેન્યુ ગયા વર્ષે વધીને 64 અબજ ડોલર થઈ ગઈ છે. એ ભારતીય કરન્સીમાં આશરે રૂ. 5.31 લાખ કરોડ થાય છે. એમ મેકિન્સી એન્ડ કંપનીનો તાજો વૈશ્વિક સર્વેમાં કહે છે.

સર્વે મુજબ પેમેન્ટ રેવેન્યુને મામલે હવે ભારત ચીન, અમેરિકા અને બ્રાઝિલ અને જાપાનથી પાછળ છે. ઓનલાઇન લેવડદેવડના વધતા ચલણને કારણે ડિજિટલ કોમર્સમાં વધારો થયો છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી ગયો છે. દેશમાં આ વર્ષે ઓગસ્ટમાં 10 અબજ ડોલરથી વધુની કેશલેસ લેવડદેવડ થઈ હતી.

આ બધાં ટ્રાન્ઝેક્શન ઓનલાઇન છે. અંદાજ છે કે લેવડદેવડના ભારે વોલ્યુમને કારણે પેમેન્ટ્સથી ભારતને લાભ થશે. ગયા વર્ષે દેશમાં થયેલા 620 અબજ લેવડદેવડનો પાંચમો હિસ્સો ડિજિટલ પ્રકારનો હતો. 2027 સુધીમાં ટ્રાન્ઝેક્શનનો આંકડો વધીને 765 અબજ ડોલર થઈ જશે અને એમાંથી દરેક ત્રણમાંથી આશરે બે લેવડદેવડ ઓનલાઇન થશે.

 

 

 

 

 

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષનું કારણ શું છે?

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષની આગ ફરી એકવાર ભડકી છે. શનિવારે સવારે ગાઝા પટ્ટી પર કબજો મેળવનાર હમાસના લડવૈયાઓએ દાવો કર્યો હતો કે તેઓએ 20 મિનિટમાં ઇઝરાયેલના શહેરો પર સતત 5 હજાર રોકેટ છોડ્યા હતા. હમાસના વડા દૈફે હુમલાની જવાબદારી લીધી છે અને ‘ઓપરેશન’ને અલ અક્સા સ્ટોર્મ નામ આપ્યું છે. મોહમ્મદ દૈફે કહ્યું, અમે પહેલાથી જ દુશ્મનને ચેતવણી આપી દીધી છે. ઇઝરાયલીઓએ અમારા લોકો વિરુદ્ધ સેંકડો નરસંહાર કર્યા છે. તેમણે આગળ કહ્યું, અમે ઓપરેશન અલ અક્સા ફ્લડની શરૂઆતની જાહેરાત કરીએ છીએ. અમે જાહેરાત કરીએ છીએ કે દુશ્મનના લક્ષ્યો, એરપોર્ટ, સૈન્ય ઠેકાણાઓ પર અમારા પ્રથમ હુમલામાં પાંચ હજારથી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને પણ હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ દ્વારા કહ્યું, “ઈઝરાયેલ યહૂદી તહેવારોના દિવસે બેવડા હુમલાની ઝપેટમાં છે. હમાસના ઉગ્રવાદીઓ અને રોકેટ બંને હુમલાઓ કરી રહ્યા છે.

સંઘર્ષનું કારણ?

વર્ષ 1947માં સંયુક્ત રાષ્ટ્રએ પેલેસ્ટાઈનને બે ભાગમાં વહેંચી દીધું. તેનો એક ભાગ યહૂદીઓને આપવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગ આરબ સમુદાયના લોકોને આપવામાં આવ્યો હતો, જેમાંથી મોટાભાગના ઇસ્લામનું પાલન કરે છે. 14 મે, 1948 ના રોજ, યહૂદીઓએ તેમના ભાગને એક અલગ દેશ જાહેર કર્યો, જેનું નામ ઇઝરાયેલ હતું. આરબ સમુદાય આ નિર્ણયથી ખુશ ન હતો, તેથી યુદ્ધની ઘોષણા કરવામાં આવી અને લાખો પેલેસ્ટિનિયનો બેઘર બન્યા.

યુદ્ધ પછી, સમગ્ર વિસ્તાર (ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન) ત્રણ ભાગમાં વહેંચાયેલો હતો. પેલેસ્ટાઈનને વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટીનો વિસ્તાર મળ્યો. ગાઝા પટ્ટી ઇઝરાયેલ અને ઇજિપ્તની વચ્ચે છે. આ પટ્ટી એક નાનો પેલેસ્ટિનિયન વિસ્તાર છે. તે ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે ભૂમધ્ય સમુદ્ર કિનારે સ્થિત છે. પેલેસ્ટાઈન એ આરબ અને બહુમતી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. આ તમામ લોકો પ્રથમ આરબ-ઇઝરાયેલ યુદ્ધના શરણાર્થી અને તેમના વંશજો છે.

સપ્ટેમ્બર 2005 માં, ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લીધું. 2007માં ઈઝરાયેલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદ્યા હતા. પેલેસ્ટાઈનનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના થવી જોઈએ. ગાઝા વિસ્તાર પર પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસનો કબજો છે, જ્યારે પશ્ચિમ કાંઠા પર ઈઝરાયેલનો કબજો છે. ઇઝરાયેલે યુદ્ધમાં જેરુસલેમ શહેર પણ કબજે કર્યું અને શહેરના પશ્ચિમ ભાગમાં વિસ્તાર્યું.

પેલેસ્ટાઈન જેરુસલેમને રાજધાની બનાવવા માંગે છે, આ સિવાય અરબ સમુદાયના લોકો જેરુસલેમને પવિત્ર સ્થળ માને છે કારણ કે અહીં અલ-અક્સા મસ્જિદ આવેલી છે. આ શહેર યહૂદીઓમાં પણ પવિત્ર માનવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી આ મુદ્દે શાંતિ મંત્રણા ચાલી રહી છે પરંતુ આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

 

અક્ષરધામના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજને અપાઈ ભવ્ય અંજલિ  

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની પ્રત્યેની વિરલ ભક્તિનું દર્શન, તેઓના BAPS સ્વામિનારાયણ અક્ષરધામરૂપી સંકલ્પ અને સર્જન દ્વારા થઈ રહ્યું છે, તેની ઝાંખી કરાવતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાઇ ગયો. તા:8 ઓક્ટોબર, 2023ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન નિમિત્તે યોજાઈ રહેલા નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રમુખસ્વામી મહારાજનું જીવન એ વાતની ગવાહી પૂરે છે કે નિઃસ્વાર્થ સેવા અને ભક્તિ અસંખ્ય લોકોના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે. BAPS ના અનેક સંતોએ તેઓના આધ્યાત્મિક જીવન પર પ્રમુખસ્વામી મહારાજના ઊંડા પ્રભાવની સ્વાનુભૂતિઓ રજૂ કરી.

BAPS ના પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામીએ તેમના સંબોધનમાં જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજને ‘માસ્ટર બિલ્ડર’ તરીકે સન્માનવામાં આવ્યા, તે એટલા માટે નહીં કે તેમના હસ્તે આ મંદિરોના ઉદ્ઘાટન થયા, પરંતુ એટલા માટે કે તેઓ પ્રત્યેક મંદિરની શરૂઆતથી લઈને, તેના સમગ્ર સર્જનમાં છેક અંત સુધી સંકળાયેલા રહેતા. જે-તે સમુદાયોની જરૂરિયાત અનુસાર મંદિરોના નિર્માણની સાથે-સાથે તેઓએ આ મંદિરોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરતાં અસંખ્ય લોકોના જીવનઘડતરમાં સક્રિય રસ લીધો.”

અનેક સંતોએ આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના અગાધ સ્નેહ, નમ્રતા, નિસ્વાર્થ સેવા જેવા અનેક દિવ્ય ગુણોનું સ્મરણ કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના અનેક  કલ્યાણકારી અને પ્રેરણાદાયી ગુણોનું રહસ્ય હતું: પરમાત્મા સાથે નિરંતર અનુસંધાન.

શ્રીમદ રાજચંદ્ર મિશનના આધ્યાત્મિક વડા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ તેઓના સંબોધનમાં જણાવ્યું,

“મને પ્રમુખસ્વામી મહારાજની સૌથી વધારે જો કોઈ વાત સ્પર્શી ગઈ હોય તો તે હતી આધ્યાત્મિક નિયમપાલન પ્રત્યે તેઓની મક્કમતા. તેમણે ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ ન કરી, જે મને સૌથી વધુ સ્પર્શે છે.”

અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને મૂલ્યોના વૈશ્વિક પ્રભાવ, માનવસેવા પ્રત્યે તેઓની પ્રતિબદ્ધતા અને અક્ષરધામના ભવ્ય વિઝન વિષયક તેઓના ઉદ્ગારો વ્યક્ત કર્યા.

વૉશિંગ્ટન ડીસીમાં બાહરીન કિંગડમની એમ્બેસીના ડેપ્યુટી એમ્બેસેડર યુસુફ અહેમદે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ વિશે જણાવ્યું, “આ અક્ષરધામ સુંદર સફેદ કમળની જેમ અહીં ગાર્ડન સ્ટેટ એવા ન્યૂજર્સીમાં ખીલી ઉઠ્યું છે, તે અદભૂત છે! હું બાહરીન તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને હું આપ સૌના આનંદમાં સહભાગી થવાને મારો આનંદ સમજુ છું.”

ઇલિનોઇસના કોંગ્રેસમેન, જોનાથન જેક્સને જણાવ્યું, “અક્ષરધામ શ્રદ્ધાનું મૂર્ત સ્વરૂપ છે. તમારી શ્રદ્ધા અને આ મંદિર શુભ છે, જીવંત છે, સમૃદ્ધ છે.”

ન્યુ જર્સીના કોંગ્રેસમેન જેફ વેન ડ્રુ તરફથી અક્ષરધામ તેમજ મહંત સ્વામી મહારાજ માટે ઘોષણપત્ર રજૂ કરતાં જણાવવામાં આવ્યું, “તમે અહીં જે  કાર્ય કર્યું છે તેનું હું સન્માન કરું છું. આ સન્માન માત્ર ન્યૂજર્સી માટે જ નહીં, પરંતુ સમગ્ર અમેરિકા માટે બેહદ ગૌરવની વાત છે.”

BAPS ના વડા મહંતસ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજ આજીવન નિરંતર સેવા કરતા રહ્યા અને સૌને સુલભ બનીને માર્ગદર્શન આપતા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ સરળ, છતાં ગહન હતો, ‘બીજાના આનંદમાં આપણો આનંદ છે.’ કેટલું સરળ વાક્ય! છતાં એટલું શક્તિશાળી કે તે વિશ્વને બદલી શકે. અક્ષરધામ આપણને નિઃસ્વાર્થપણે બીજાની સેવા કરવાનું અને મદદ કરવાનું શીખવે છે. તે આપણને શીખવે છે – સારા માનવી  બનવાનું, ભગવાનના આદર્શ ભક્ત બનવાનું અને અક્ષરધામ જેવું શુદ્ધ હૃદય બનાવવાનું,  જ્યાં ભગવાન કાયમ નિવાસ કરી શકે.”

અક્ષરધામ અનુભૂતિ છે –  પ્રમુખ સ્વામી મહારાજની દીર્ઘદ્રષ્ટિની. તે શાંતિ અને પ્રેરણાનું ધામ છે. વિશ્વભરમાંથી સ્વયંસેવકોએ તેઓના આ સંકલ્પને સાકાર કરવા ભગીરથ પુરુષાર્થ આદરી તેઓને મહાન અંજલિ આપી છે. પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ, શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવાનો મૂલ્યવારસો અક્ષરધામ દ્વારા ચિરંતન કાળ સુધી જીવંત રહેશે.

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ પુરુષ ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

હાંગજોઉઃ અફઘાનિસ્તાનની વિરુદ્ધ ફાઇનલ મેચમાં વરસાદને કારણે રદ થવાથી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. એ સાથે હવે ભારતના 27 ગોલ્ડ મેડલ થયા છે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી છે.

એશિયન ગેમ્સ 2023ની ફાઇનલ મેચમાં ભારત (IND vs AFG)નો સામનો અફઘાનિસ્તાન સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં અફઘાનિસ્તાને 18.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. આ પછી વરસાદને કારણે આગળની રમત રમાઈ શકી ન હતી અને વધુ સારી રેન્કિંગના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ સાથે જ અફઘાનિસ્તાને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે ભારત પાસે 27 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે.

અફઘાનિસ્તાનનો પ્રારંભ ઘણો ખરાબ રહ્યો હતો. ટીમે પ્રારંભમાં ચાર ઓવરમાં 12 રને ત્રણ વિકેટ ગુમાવી હતી. અફઘાનિસ્તાનના ઓપનર ઝુબેદ અકબરીએ પાંચ રન, મોહમ્મદ શહઝાદે ચાર રન બનાવ્યા હતા, આ સિવાય નૂર અલી ઝદરાન એક રન બનાવીને રનઆઉટ થયો હતો. આ મેચમાં માત્ર શાહિદુલ્લા કમાલ 49 રન બનાવીને અણનમ રહ્યો હતો.

એશિયન ગેમ્સ 2023ના 14 દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે એશિયન ગેમ્સના ઇતિહાસમાં આજે પ્રથમ વખત 100 મેડલનો આંકડો પાર કરી લીધો છે. ભારત માટે 101મો મેડલ ગોલ્ડના રૂપમાં આવ્યો હતો. ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ ભારત માટે બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

 

 

ફ્લાઇટ ટિકિટ બુક કરવા વખતે પૈસા બચાવવાનો આ રહ્યો ઉપાય…

નવી દિલ્હીઃ શું તમે ફ્લાઇટ બુક કરવા માટે ગૂગલ પર Flights to delhi  જેવું લખો છો, ત્યારે તમે સર્ચ રિઝલ્ટના ઉપર એક કાર્ડ જરૂર જોયું હશે. સામાન્ય રીતે લોકો આ કાર્ડને સ્ક્રોલ કરીને આગળ વધી જાય છે અને પસંદગીની વેબસાઇટ પર જતા રહે છે, પરંતુ શું તમને માલૂમ છે કે આવું કરવાથી તમે તમારા ડેસ્ટિનેશન માટે સૌથી સસ્તી ફ્લાઇટ મળવાનો ચાન્સ ગુમાવી દો છો.

જે કાર્ડને તમે સ્ક્રોલ કરીને આગળ વધી જાઓ છે એ કાર્ડ Google Flights નામની વેબસાઇટને રિડિરેક્ટ કરે છે. એ સાઇટ તમને ટ્રાવેલ દરમ્યાન બુકિંગમાં ઘણી બચત કરાવી શકે છે.

ગૂગલ ફ્લાઇટ્સ ગૂગલ ટ્રાવેલને ભાગ છે અને એક ઓનલાઇન સર્વિસ છે. આ વેબસાઇટથી યુઝર્સ થર્ડ પાર્ટી બુકિંગ વેબસાઇટ દ્વારા ફ્લાઇટ બુક કરી શકે છે. આ ગૂગલ ફ્લાઇટ્સ પર એક ફીચર સૌથી શાનદાર છે અને એ છે Explore ફીચર, એ ફીચર એક મેપ દર્શાવે છે, જેના પર વિશ્વના લોકપ્રિય ટ્રાવેલ ડેસ્ટિનેશન અને એ ટ્રિપના ખર્ચની માહિતી જોઈ શકાય છે.

જ્યારે તમે ગૂગલ પર ફ્લાઇટ સર્ચ કરો છે, ત્યારે ગૂગલ ફ્લાઇટ્સનો વિકલ્પ ઓટોમેટિકલી તમને સામે દેશાશે. એ સાથે એક કાર્ડ પણ જનરેટ થાય છે, જે વેબ રિઝલ્ટ્સની ઉપર રહે છે. આ કાર્ડ પર ટેપ કરવાથી તમે ગૂગલ ફ્લાઇટ્સ પેડ પર રિડિરેક્ટ થઈ જશો. અહીં તમને ફ્લાઇટ્સથી જોડાયેલી વધુ માહિતી મળશે.

 

 

 

 

 

PM મોદીને હસ્તે 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદઘાટન

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત શિખર સમિટ 10થી 12 જાન્યુઆરી રાજ્યના ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાવાની છે. એ આયોજન રોકાણકારોને ગુજરાત સાથે જોડાવા અને વિકાસ અને સમૃદ્ધિ માટે એક સોનેરી તક છે. વડા પ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિનું ઉદઘાટન 10 જાન્યુઆરીએ કરશે. આ મૂડીરોકાણની સમિટનું આયોજન મહત્ત્વનું છે, કેમ કે એ દેશના વિકાસ પર ભાર આપતાં પ્રધાન મંત્રીના વિકસિત ભારત @2047ના દ્રષ્ટિકોણને સુસંગત છે. વળી, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યને આદર્શ મૂડીરોકાણ સ્થળ તરીકે સ્થાન આપ્યું છે. ગુજરાત ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય –બંને રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ છે.

10મી વાઇબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનની થિમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ રાખવામાં આવી છે. આ વિષય ભવિષ્ય માટે રાજ્યની દ્રષ્ટિ અને મૂડીરોકાણ અને વિકાસની તકોના પ્રવેશદ્વાર તરીકેની ભૂમિકા દર્શાવે છે.

બીજી બાજુ, પ્રોએક્ટિવ પોલિસિઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડી રોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દુનિયાભરના મૂડી રોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે.’

આગામી 10 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડા પ્રધાનના હસ્તે પ્રારંભ થનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ અંતર્ગત ગુજરાત સરકારે નવી દિલ્હીમાં ડિપ્લોમેટ્સ મીટનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના 119 જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.

તેમણે કહ્યું હતું કે પાછલા બે દાયકામાં ગુજરાતે 55 બિલિયન યુ.એસ. ડોલરની ક્યુમ્યુલેટિવ FDI મેળવ્યું છે. વર્લ્ડ ક્લાસ રોડ, રેલવે, પોર્ટ અને એરપોર્ટ કનેક્ટિવિટીને કારણે ગુજરાતની પહોંચ દેશમાં જ નહીં પરંતુ એશિયા, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને યુરોપીય દેશોની બજારો સુધી છે. ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંથી ૧૦૦ જેટલી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે.

 

અહીં માત્ર પુરુષો જ રમે છે ગરબા !

કહેવાય છે કે બાર ગામે બોલી બદલાય એવું કઇંક નવરાત્રિનું પણ છે. જુદા-જુદા શહેરો નવરાત્રિને લઈને જુદી-જુદી પરંપરાઓ જોવા મળે છે. ત્યારે આજે વાત કરીએ અમદાવાદમાં આવેલી કોઠની પોળ વિશે..

કોઠની પોળમાં વર્ષોથી નવરાત્રિમાં એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે. આ પરંપરા મુજબ અહીંના સ્થાનિક પુરુષો ગરબે ગરબે ઘૂમે છે. આ પરંપરાનું નાવીન્ય અને શ્રદ્ધાને લઇને અનેરું મહત્ત્વ ધરાવે છે.

હકીકતમામાં અમદાવાદની ભૂતની આંબલી પાસે આવેલી કોઠની પોળની માંડવી 200 વર્ષ કરતાંયે વધારે જૂની હોવાનું માનવામાં આવે છે. આ માંડવીની આસપાસ ફક્ત પુરુષો જ ગરબા રમે છે.

નવરાત્રિમાં રોજ રાત્રે આ પોળમાં પુરુષોના ગરબા યોજાય છે. જેમાં પુરુષો પોતે જ ગરબા ગાય છે અને ગરબે પણ ધૂમે છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિતલભાઈ ભાવસાર કહે છે, અમારા ઘરેથી જ બધુ સંચાલન કરવામાં આવે છે. જેમાં એકમથી પાંચમ સુધી સિંગલ માંડવી હોય છે, પછી દિવાવાળી માંડવી હોય છે અને આઠમથી લઈ દસમ સુધી ફુલવાળી માંડવી હોય છે. આ માંડવીને ફરતે માત્ર પુરુષો જ ગરબા રમે છે. માંડવીને ખસેડી લીધા બાદ જ સ્ત્રીઓ ગરબે ધૂમી શકે છે.

 

દર વર્ષે શારદીય નવરાત્રિના સાતમથી દશેરા સુધી માંડવીને સુંદર રીતે શણગારવામાં આવે છે. આ શણગાર તથા સુંદર ફુલોની રંગોળી બનાવવાનું કામ પુરુષોજ કરે છે. અહીંયા દશેરાની આખી રાત ગરબા થાય છે. અને અગિયારસના દિવસે માંડવીને વળાવવામાં આવે છે. કહેવાય છે કે માંડવીની આસપાસ મહિલાઓ ગરબે રમે કે નહીં એ માટે માતાજીના ફોટા આગળ ચારથી પાંચ વખત ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે. જેમાં વધુ વખતે ચિઠ્ઠીમાં ના જ લખેલી હોય છે. જો કે માતાની માંડવીને ક્રોસ કરીને કે પછી માંડવી ઉઠાવી લીધા પછી મહિલાઓ ગરબે ઘુમી શકે છે. પરંતુ જ્યાં સુધી માંડવી હોય ત્યાં સુધી મહિલાઓ ગરબા નથી રમતી.

ઉપરાંત માતાજીની માંડવી શણગારવાથી લઇને તમામ કાર્ય પુરુષો દ્ધારા જ કરવામાં આવે છે. અમદાવાદની પોળમાં થતી આ યુનિક નવરાત્રિને જોવા લોકો દૂર દૂરથી આવે છે.

(હેતલ રાવ-અમદાવાદ)

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

વિડીયો જોવા માટે કરો ક્લિક:

નવરાત્રિ સ્પેશ્યલઃ પ્રોટીન શેક અને ગુંદર લાડુ

નવરાત્રિ સ્પેશ્યલ રેસિપી

 

આ નવરાત્રિ માટે સ્વાસ્થ્યપ્રદ એનર્જી પીણું તેમજ લાડુની ખાસ રેસિપીઃ

ફ્રુટ્સ એન્ડ નટ્સ પ્રોટીન શેક

સામગ્રીઃ

કેળા 1, એપલ ½, ખજૂર 2, અંજીર 1, કાજુ 4-5, બદામ 5, અખરોટ 3-4, કિસમિસ 10, મિક્સ બિયાં 1 ટે.સ્પૂન, પ્રોટીન પાઉડર (optional) / ઓટ્સ 1 ટે.સ્પૂન, દૂધ/દહીં/નાળિયેરનું દૂધ, વેનિલા એસેન્સ 3-4 ડ્રોપ્સ (optional), ચિયા સિડ્સ 1 ટે.સ્પૂન

રીતઃ ખજૂર, અંજીર, નટ્સ અને સિડ્સને આખી રાત માટે પાણીમાં ભીંજવી રાખો. ચિયા સિડ્સને ફક્ત 1 કલાક માટે પ્રોટીન શેક બનાવવા અગાઉ પાણીમાં પલાળી રાખો.

હવે ચિયા સિડ્સ સિવાયની બધી સામગ્રીને મિક્સીમાં ફેરવીને જાડું શેક બનાવી લો. જો તમે ઈચ્છો તો તેમાં બરફના ટુકડા તેમજ મધ પણ મેળવી શકો છો. તૈયાર થયેલા શેકમાં ચિયા સિડ્સ મેળવી દો અને આ શક્તિદાયક પીણું પીને નવરાત્રિમાં આખી રાત ગરબાની રમઝટ જમાવો.

શિંગોડાનો લોટ અને ગુંદરના લાડુ

સામગ્રીઃ શિંગોડાનો લોટ 250 ગ્રા., મિસરી પાવડર 250 ગ્રા., મખાણાના ફૂલ 1 કપ, સૂકા નાળિયેરની છીણ 1 કપ, ગુંદર 4 ટે.સ્પૂન, બદામ ¼ કપ, કાજુ ¼ કપ, પિસ્તા ¼ કપ, એલચી પાવડર 1 ટી.સ્પૂન, મગજતરીના બીજ 2 ટે.સ્પૂન, ઘી 200 ગ્રા.,

રીતઃ બધા ડ્રાય ફ્રુટ્સ તેમજ મખાણાના ફૂલને થોડા ઘીમાં તળી લો.

ત્યારબાદ બાકી રહેલા ઘીમાં ગુંદરને પણ તળીને ફુલાવી લો. આ ફુલેલા ગુંદરને ખાંડણીમાં નાના નાના ટુકડામાં તોડી લો અથવા મિક્સીમાં પલ્સ મોડમાં બારીક ટુકડા કરી લો.

હવે શિંગોડાનો લોટ શેકી લો. અડધો શેકાઈ ગયા બાદ તેમાં નાળિયેરની છીણ ભેળવી દો. લોટ તેમજ છીણ ગોલ્ડન રંગના શેકાઈ જાય એટલે નીચે ઉતારીને એક વાસણમાં કાઢી લો.

ડ્રાય ફ્રુટ્સને ટુકડામાં કટ કરી લો. મખાણાને પણ ખાંડણીમાં નાના ટુકડા કરી લો.

લોટ થોડો ઠંડો થયા બાદ તેમાં મિસરી પાવડર, ડ્રાય ફ્રુટ્સ, મખાણા તેમજ ગુંદરના ટુકડા, એલચી પાવડર તેમજ ઘી ઉમેરીને લાડુ બનાવી લો.

નવરાત્રીમાં રોજ એક લાડુ ગરબા રમવા જવા પહેલાં ખાઈ લો. તમારે કોઈ જંક ફુડ ખાવાની ભૂખ નહીં લાગે અને એનર્જી પણ ભરપૂર મળશે.

(રીના મોહનોત)

(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા!  જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાપી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)

રાસ ગરબાની તાલીમ સાથે વિવિધ ડે ની ઉજવણી

નવરાત્રિ મહોત્સવના આગમનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાસ ગરબાની રમઝટ માણવા ખેલૈયા જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે.

નવરાત્રિ પહેલા ગરબા રમવાનો ક્લાસિસમાં જોડાઈ ટ્રેઈનિંગ લેવાનો ટ્રેન્ડ સતત વધતો જાય છે. હવે નોરતા પહેલા ગરબાની તાલીમ દરમિયાન પણ જુદા જુદા ડે ની ઉજવણી થઈ રહી છે.

શહેરના રમઝટ ખેલૈયા રીલોડેડના હિમાંશુ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે અમારા ત્યાં જુદી જુદી વય જુથ ના ચારસો જેટલા લોકો રાસ ગરબાની તાલીમ લેવા માટે આવે છે. જુદા જુદા ઉદ્દેશ સાથે ગરબાની તાલીમ લેવા લોકો જોડાય છે. કેટલાક શારિરીક સૌષ્ઠવ માટે આવે છે. તો કેટલાક પધ્ધતિસર ગરબાની તાલીમ લઈ અવનવી સ્ટાઈલ શીખવા માટે આવે છે.

અહીં તમામ વય જુથના અને જુદા જુદા પ્રોફેશનના લોકો આવતા હોવાથી અમે નવરાત્રિ પહેલાં જુદા જુદા ડે ઉજવી એમને જોડવાનો પ્રયાસ કરીએ છીએ. જે દિવસની ઉજવણી કરવામાં આવે એ મુજબના  પોશાકમાં સજ્જ થઈને લોકો આવે છે.

ગરબામાં તાલીમ લીધા પછી એક સરસ ગૃપ તૈયાર થઈ જાય છે. એ તાલીમબધ્ધ ગૃપના લોકો જ્યારે ગરબે રમે ત્યારે સૌ અચંબિત થઈ જાય છે. આ વર્ષે અમે રેડ ડે, બ્લ્યુ ડે, શહીદ દિવસ, ટ્વિન્સ ડે, ગૃપ ડે , સિગ્નેચર ડે રાખ્યા છે.

પરંપરાગત વસ્ત્રો સાથે પણ સૌને પરફોર્મ કરાવી સ્પર્ધા પણ રાખીએ. જેથી સૌ તાલીમાર્થી માં નવું કરવાની ભાવના અને ઉત્સાહ જળવાઈ રહે. એક વર્ગ એવો છે જેમણે કદી પણ શૈક્ષણિક કાર્ય દરમિયાન કે જીવનમાં ક્યારેય ડે ની ઉજવણી કરી નથી. એ લોકો ખૂબ જ એન્જોય કરે છે.

ગરબાની તાલીમ લેતાં પ્રિયંકા ચિત્રલેખા.કોમને કહે છે જુદા જુદા ડે ની ઉજવણી પછી એક મજબુત ગૃપ બને છે. અહીં રાસ ગરબાની સાથે અનેક સ્ટાઈલ શીખવા મળે છે.

સાદા ગરબા સૌને આવડી જાય પરંતુ પરફેક્શન સાથેના ગરબા તાલીમથી જ આવડે. આ સાથે આંખોના હાવભાવ અને એક્સક્લુઝિવ પર્ફોર્મન્સ માટે ગરબાની તાલીમથી ખેલૈયા બધાથી અલગ જ તરી આવે.

(પ્રજ્ઞેશ વ્યાસ)