Home Blog Page 2485

વિઝા-મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવો: ભારતીય ઉદ્યોગપતિઓની અમેરિકાને વિનંતી

નવીદિલ્હીઃ ભારતના ઉદ્યોગજગતના મહારથીઓએ એવી ઈચ્છા દર્શાવી છે કે અમેરિકામાં વ્યાપાર કરવા અને મૂડીરોકાણ કરવા માટેની તકોની ખોજ કરવા માટે અમેરિકાની મુલાકાતે આવવા ઈચ્છતા ઉદ્યોગપતિઓ-વેપારીઓને વિઝા ઈસ્યૂ કરવાની પ્રક્રિયાને અમેરિકાની સરકારે ઝડપી બનાવવાની જરૂર છે. આ વિનંતી ઈન્ડો-અમેરિકન ચેંબર ઓફ કોમર્સના પ્રમુખ લલિત ભાસિને દિલ્હીમાં ભારત-અમેરિકા વ્યાપાર-ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ઉચ્ચારી હતી.

તે કાર્યક્રમમાં ભારત ખાતે અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટી પણ ઉપસ્થિત હતા.

ભાસિને કહ્યું કે, વ્યાપાર અને મૂડીરોકાણના અવસર માટે અમેરિકાની મુલાકાત લેવા ઈચ્છે છે તે ભારતીય ઉદ્યોગપતિઓ વિઝા મંજૂરીમાં ઘણો બધો વિલંબ થવાની તકલીફથી પરેશાન રહે છે. તેથી વિઝા-મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થવાની અમે રાજદૂત ગાર્સેટીને વિનંતી કરીએ છીએ.

(તસવીર સૌજન્યઃ @iaccindia)

ગાર્સેટીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત અને અમેરિકાએ ઘર્ષણરહિત સંબંધ બનાવવા માટે એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ, જેને કારણે માત્ર આપણા બંને દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સમૃદ્ધિ વધશે.

PM મોદીએ મનમોહન સિંહ સાથે ફોન પર વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સાથે ફોન પર વાત કરી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ પહેલા પીએમ મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને તેમના જન્મદિવસ પર સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું, પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ જીને જન્મદિવસની શુભેચ્છા” હું તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. મનમોહન સિંહ મંગળવારે 91 વર્ષના થયા. તેમનો જન્મ 1932માં પંજાબના ગાહ ગામમાં થયો હતો, જે હવે પાકિસ્તાનનો ભાગ છે.

દસ વર્ષ સુધી પીએમ રહ્યા

મનમોહન સિંહ, જેઓ દસ વર્ષ (2004 થી 2014) સુધી દેશના વડા પ્રધાન હતા, તેમને 1990 ના દાયકામાં આર્થિક સુધારામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર તરીકે ઓળખવામાં આવે છે.

 

દૂધી મેથીના મુઠિયા

આ મુઠીયા નાસ્તામાં અથવા રાત્રે હળવા ડિનર માટે પણ સારો અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. મુઠીયા બાફીને રાખ્યા હોય તો 2-3 કલાક બાદ તેને વઘારીને ગરમ કરીને પીરસી શકાય છે. અથવા ફ્રીજમાં થોડ કલાક માટે પણ રાખીને ફરીથી થોડાં ગરમ કર્યા બાદ વઘારીને પીરસી શકાય છે.

સામગ્રીઃ

  • દૂધી છીણેલી 2 કપ
  • લીલી મેથીના પાન 1 કપ
  • કોથમીર 1 કપ
  • તીખાં લીલાં મરચાં 2
  • લસણની કળી 4-5
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • અજમો 1 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ 2 ટી.સ્પૂન
  • ગરમ મસાલો,
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • 1 લીંબુનો રસ
  • સાકર અથવા ગોળ 1 ટી.સ્પૂન (અથવા તમને જોઈએ તે પ્રમાણે)
  • ઘઉંનો લોટ ¼ કપ
  • ઘઉંનો કરકરો લોટ ¼ કપ
  • ચણાનો લોટ ¼ કપ
  • જુવાર અથવા બાજરીનો લોટ ¼ કપ

વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • સફેદ તલ 1 ટે.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • મીઠા લીમડાના પાન 6-7
  • ધોઈને ઝીણી સમારેલી કોથમીર

રીતઃ દૂધીને છોલીને ધોઈને છીણી લો. મેથીના પાન તેમજ કોથમીર અલગ અલગ 2-3 પાણીએથી ધોઈને સમારી લો. એક બાઉલમાં છીણેલી દૂધી, મેથી, કોથમીર, તલ, બધાં સૂકા મસાલા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, તેમજ અજમો હાથેથી થોડો મસડીને નાખી દો.

હવે તેમાં બધા સૂકા લોટ મેળવી દો અને પાણી નાખ્યા વગર કણક બાંધી દો. કેમ કે, દૂધીમાં તેમજ મેથી કોથમીરમાં રહેલાં પાણી વડે લોટ બંધાઈ જશે.

મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો અને મુઠીયા મૂકવા માટેની ડીશ અથવા થાળીને તેલ ચોપડી દો. હાથમાં તેલ ચોપડી લો. મુઠીયાના લોટમાંથી નાના લૂવા હાથમાં લઈ લંબગોળ રોલ વાળીને તેલ ચોપડેલી થાળીમાં મુઠીયા ગોઠવી દો. મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ થઈ જાય એટલે તૈયાર થાળી તેમાં ગોઠવી દો. વાસણને ઢાંકીને 20 મિનિટ સુધી મુઠીયા બફાવા દો.

ત્યારબાદ ગેસ બંધ કરીને મુઠીયા ઉતારી લો. પાંચેક મિનિટ બાદ મુઠીયાને તેમાંથી કાઢી લઈ તેના કટકા કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તતડાવો. તેમાં મીઠો લીમડો વઘારીને ગેસ ધીમો કરીને તલનો વઘાર હળવેથી કરી તરત જ કટ કરેલા મુઠીયા તેમાં ઉમેરી દો. જેથી ગરમ તેલમાંના તલ ઉડે નહીં. ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો.

આ મુઠીયા લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસો.

સરકારની મધ્યમ વર્ગને સસ્તા આવાસ આપવાની યોજના

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર મધ્યમ વર્ગ માટે એક મોટી યોજના લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પહેલાં સરકારે મધ્યમ વર્ગને રાહત આપવા માટે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં રૂ. 200નો કાપ મૂક્યો હતો. કેન્દ્ર સરકારે મોંઘવારી દરમાં કાબૂ મેળવવાના ઉદ્ધેશથી રાંધણ ગેસની કિંમતોમાં 18 ટકાનો ઘટાડો કર્યો હતો.

કેન્દ્ર સરકાર શહેરી મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના લોન્ચ કરવાની છે. વડા પ્રધાને 15 ઓગસ્ટે કરેલા ભાષણમાં આ યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સરકાર આ નવી આવાસ યોજનામાં આગામી પાંચ વર્ષમાં રૂ. 600 અબજ (7.2 અબજ ડોલર) ખર્ચ કરશે. આ યોજના હેઠળ રૂ. નવ લાખની લોન પર સરકાર 3-6.5 ટકાના દરથી વ્યાજ સબસિડી આપશે. આ યોજનામાં 20 વર્ષના સમયગાળા માટે લેવામાં આવેલી રૂ. 50 લાખ કે તેથી ઓછી હોમ લોનવાળી વ્યક્તિ પાત્ર હશે. હોમ લોન લાભાર્થીઓના ખાતામાં એડવાન્સ જમા કરવામાં આવશે. આ યોજના 2028 સુધી લાગુ કરવામાં આવશે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે વ્યાજ સબસિડી હોમ લોનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળશે એ પછી લાગુ કરવામાં આવશે. આ યોજનાને અંતિમ રૂપ આપવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ શહેરી વિસ્તારોમાં ઓછી આવકવાળા એ લોકોને મળશે, જે લોન લેવા ઇચ્છે છે. જોકે સબસિડી કેટલી મળશે એ એવાં ઘરોની માગ પર નિર્ભર રહેશે.

સરકારે પોતાના સ્તરે લાભાર્થીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે. આ વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. જ્યારે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે.

 

 

 

 

એશિયન ગેમ્સ-2023: ઘોડેસવારીમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

હાંગ્ઝોઃ અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં આજે ઘોડેસવારીની રમતમાં ભારતને ટીમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ડ્રેસેજ ટીમ ફાઈનલ હરીફાઈમાં ભારતને પ્રથમ સ્થાન અપાવીને સુવર્ણ ચંદ્રક જિતાડનાર ઘોડેસવારો છેઃ સુદીપ્તી હાજેલા, દિવ્યાકૃતિ સિંહ, અનુષ અગ્રવાલા અને હૃદય વિપુલ છેડા. આ ચારેય રમતવીરોએ ઈતિહાસ સર્જ્યો છે. ભારતને આ રમતમાં 41 વર્ષ પછી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે.

ભારતના રમતવીરોએ કુલ 209.205 પોઈન્ટ્સ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજા ક્રમે ચીન (204.882 પોઈન્ટ) અને ત્રીજા ક્રમે હોંગકોંગ (204.852 પોઈન્ટ) છે.

આ વર્ષની એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં આ ચોથો સુવર્ણ ચંદ્રક મળ્યો છે.

ઘોડેસવારીની રમતને 1900ની સાલમાં ઓલિમ્પિક રમત તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એશિયન ગેમ્સમાં આ રમતને 1982માં દિલ્હી ગેમ્સ વખતે સામેલ કરવામાં આવી હતી. છેલ્લા અમુક વર્ષોથી આ રમત પર જાપાનનું વર્ચસ્વ રહ્યું છે. એણે અત્યાર સુધીમાં 18 સુવર્ણ સહિત 43 ચંદ્રક જીત્યા છે. દક્ષિણ કોરિયાએ 15 સુવર્ણ ચંદ્રક જીત્યા છે. ભારત ભૂતકાળમાં આ રમતમાં ત્રણ સુવર્ણ ચંદ્રક, ત્રણ રજત અને છ કાંસ્ય ચંદ્રક જીત્યું હતું. ત્રણેય સુવર્ણ ચંદ્રક 1982ની ગેમ્સમાં મળ્યા હતા. એ વખતે રઘુબીર સિંહ વ્યક્તિગત હરીફાઈમાં ચેમ્પિયન બન્યા હતા. એ પછી તેમણે ગુલામ મોહમ્મદ ખાન, વિશાલ સિંહ અને મિલ્ખા સિંહ સાથે ટીમ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ જ ગેમ્સમાં રુપિન્દર સિંહ બરાડે વ્યક્તિગત ટેન્ટ પેગિંગ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતના ફવાદ મિર્ઝાએ વ્યક્તિગત હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો હતો. જ્યારે ટીમ હરીફાઈમાં રાકેશ કુમાર, આશિષ મલિક, જિતેન્દર સિંહ અને ફવાદ મિર્ઝાની ટીમે રજત ચંદ્રક જીત્યો હતો.

નૌકાયન રમતમાં નેહા ઠાકૂરે જિત્યો સિલ્વર, ઈબાદ અલીને કાંસ્ય

નૌકાયન (સેલિંગ) રમતમાં ભારતને મેડલ મળવાનું ચાલુ રહ્યું છે. આજે 17 વર્ષની નાવિક નેહા ઠાકૂરે ડિંગી – ILCA4 હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો છે. આ જ રમતમાં, પુરુષોની વિન્ડસર્ફર હરીફાઈમાં ભારતને ઈબાદ અલીએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

જાણો.. વહીદા રહેમાનની ફિલ્મી સફર અને અંગત જીવન વિશે

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સિનેમા જગતનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. હાલમાં આ એવોર્ડ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે વહીદા રહેમાનને 53મા ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. ત્યારે જાણીએ એમની ફિલ્મી સફર અને અંગત જીવન વિશે..

1950થી 1970 સુધીનો સમયગાળો હિન્દી સિનેમાનો સુવર્ણકાળ ગણાય છે. આ સમયગાળા દરમિયાન, જ્યારે સિનેમામાં ઘણા પ્રયોગો થયા હતા, ત્યારે આ વખતે ઘણા શ્રેષ્ઠ કલાકારોની દમદાર અભિનય પણ જોવા મળ્યો હતો. જેમાંની એક અભિનેત્રી છે વહીદા રહેમાન.

અભિનયના જાદુથી સિનેમાના દર્શકોને મોહિત કર્યા

ફિલ્મ જગત પર વહીદા રહેમાને લાંબા સમય રાજ કર્યુ. એમણે નિર્દોષતા, સુંદરતા અને ઉત્તમ અભિનયના જાદુથી હિન્દી સિનેમાના દર્શકોને મોહિત કર્યા. વહીદા રહેમાનના અભિનયને કારણે જ એ સમયના મોટાભાગના કલાકારો એમની સાથે કામ કરવા માંગતા હતા. વર્ષ 1955માં તેલુગુ સિનેમા ‘જયસિમ્હા’થી શરૂ થયેલી વહીદા રહેમાનની ફિલ્મી સફર ‘રંગ દે બસંતી’ અને ‘દિલ્હી 6’માં સુધી અવરિત છે.

વહીદા રહેમાનનો જન્મ 3 ફેબ્રુઆરી 1938ના રોજ તમિલનાડુ રાજ્યના ચેંગલપટ્ટુમાં એક સુશિક્ષિત તમિલ-મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જિલ્લા મેજિસ્ટ્રેટ જેવી ઉચ્ચ પોસ્ટ પર તૈનાત હતા. પરંતુ વહીદાના પિતાનું મૃત્યુ તેમના જન્મના 9 વર્ષ પછી એટલે કે વર્ષ 1948માં થયું હતું. પિતાના મૃત્યુના સાત વર્ષ બાદ તેમની માતાનું પણ અવસાન થયું હતું. તેમના પિતાના મૃત્યુના એક વર્ષ પછી, વહીદાએ તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મારાઈ’માં બાળ કલાકારની ભૂમિકા સાથે સિનેમા જગતમાં પ્રવેશ કર્યો. આ સમય સુધીમાં એ ભરત નાટ્યમની ઉત્તમ નૃત્યાંગના બની ગયા હતા. હવે એમણે ભારતીય સિનેમાના મુખ્ય પ્રવાહમાં પ્રવેશવાનો પ્રયાસ શરૂ કર્યો. આ સમય દરમિયાન, એ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા-નિર્દેશક ગુરુ દત્તના સંપર્કમાં આવ્યા અને સિનેમાના સિલ્વર સ્ક્રીન પર છવાઈ ગયા.

વહીદા રહેમાનની અભિનય યાત્રા

વર્ષ 1956માં, ગુરુ દત્તે દેવ આનંદની સામે ‘સીઆઈડી’માં વહીદા રહેમાનને વિલનની ભૂમિકામાં કાસ્ટ કર્યા હતા અને આ ફિલ્મ બોક્સ-ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ પછી વર્ષ 1957માં ગુરુ દત્ત અને વહીદા રહેમાનની ક્લાસિક ફિલ્મ ‘પ્યાસા’ રીલિઝ થઈ હતી. ગુરુ દત્ત અને વહીદા વચ્ચેના પ્રેમ સંબંધને કારણે આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ હતી. કહેવાય છે કે 1959માં રિલીઝ થયેલી ગુરુ દત્તની ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ તેમની નિષ્ફળ પ્રેમ કહાની પર આધારિત હતી. જો કે, પછીના વર્ષોમાં પણ વહીદા રહેમાને ગુરુ દત્ત સાથે બીજી બે ફિલ્મો કરી. તેમાં 1960ની ‘ચૌધવીન કા ચાંદ’ અને 1962ની ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ મુખ્ય હતી. આ સિવાય વહીદા પાસે ગુરુ દત્ત સાથે બે અન્ય ક્લાસિક ફિલ્મો પણ છે, ’12 ઓ’ ક્લોક’ (1958) અને ‘ફુલ મૂન’ (1961).

દેવ આનંદ સાથે વહીદા રહેમાનની જોડી ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિય હતી. આ બંનેએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પાંચ સુપરહિટ ફિલ્મો આપી હતી. આ ફિલ્મો છે C.I.D., સોલવાસાલ, કાલા બજાર, બાત એક રાત કી અને ગાઈડ કરી હતી. આ સિવાય બંનેએ વધુ બે ફિલ્મો ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ અને ‘પ્રેમ પૂજારી’ કરી હતી, પરંતુ કમનસીબે, સમીક્ષકોની પ્રશંસા છતાં, બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ.

1962માં ગુરુ દત્તની ટીમથી અલગ થયા બાદ વહીદા રહેમાને નિર્માતા-નિર્દેશક સત્યજીત રેની ફિલ્મ ‘અભિજાન’માં કામ કર્યું હતું. તે જ વર્ષે એમની બીજી સુપરહિટ ફિલ્મ ‘બીસ સાલ બાદ’ રિલીઝ થઈ. ત્યારબાદ વર્ષ 1964માં આવેલી ‘કોહરા’એ પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી. વહીદા રહેમાનની કારકિર્દી માટે 1960નું દશક ખૂબ જ સફળ રહ્યું. આ સમયગાળા દરમિયાન, એમણે હિટ ફિલ્મો આપવામાં એમની સમકાલીન અભિનેત્રીઓમાં મોખરે હતા. આ ઉપરાંત અન્ય હિટ ફિલ્મોમાં વર્ષ 1967માં રિલીઝ થયેલી ‘રામ ઔર શ્યામ’ અને ‘પત્થર કે સનમ’, પ્રખ્યાત અભિનેતા સુનીલ દત્ત અભિનીત એક ફૂલ ચાર કાંટે, મુઝે જીને દો, મેરી ભાભી અને દર્પણનો સમાવેશ થાય છે.

એવું નથી કે વહીદાની ફિલ્મોએ આ સમયગાળામાં નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો ન હતો. ફિલ્મ વિવેચકોની મજબૂત સ્ટોરી અને વખાણ હોવા છતાં, 1966માં ‘તીસરી કસમ’ અને 1971માં ‘રેશ્મા ઔર શેરા’ની બોક્સ-ઓફિસ નિષ્ફળતા દરેકની સમજની બહાર હતી. એટલું જ નહીં, 1974માં તત્કાલિન સુપરસ્ટાર અભિનેતા રાજેશ ખન્ના સાથે વહીદાની ફિલ્મ ‘ખામોશી’ આવી, જે બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી. વર્ષ 1959 થી 1964 દરમિયાન, વહીદા રહેમાન સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં ત્રીજા સ્થાને હતી અને વર્ષ 1966 થી 1969 દરમિયાન, તે સમકાલીન અભિનેત્રીઓ નંદા અને નૂતન સાથે આ યાદીમાં બીજા સ્થાને હતી. અભિનેત્રી નંદા વહીદાની સૌથી નજીકની મિત્રોમાંની એક હતી. આ બંનેએ 1960માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાલા બજાર’માં કો-સ્ટારની ભૂમિકા ભજવી હતી.

1974 માં લગ્ન કર્યા પછી, વહીદા રહેમાને ફિલ્મોમાં કામ કરવાનું ઓછુ કરી દીધું. 1976 થી 1994 ની વચ્ચે, એમણે લગભગ 24 ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી. જેમાં મુખ્ય ફિલ્મો હતી – અદાલત, કભી કભી, ત્રિશુલ, નમક હલાલ, હિમ્મતવાલા, કુલી, મશાલ, અલ્લાહ રખા, ચાંદની અને લમ્હેં. ત્યારબાદ વર્ષ 2000માં એમના પતિના અવસાન બાદ એ ફરી એકવાર અભિનયની દુનિયામાં પરત ફર્યા. ‘રંગ દે બસંતી’ અને ‘દિલ્હી 6’ જેવી સફળ ફિલ્મો સહિત 9 ફિલ્મોમાં પાત્ર અભિનેત્રીની ભૂમિકા ભજવી છે.

વહીદા રહેમાનનું અંગત જીવન

અભિનેતા અને નિર્માતા-નિર્દેશક ગુરુ દત્ત સાથેના નિષ્ફળ પ્રેમ સંબંધ પછી અને એમની ટીમ છોડીને, વહીદા રહેમાને વર્ષ 1964માં ‘શગુન’ નામની ફિલ્મ કરી. આ ફિલ્મમાં એમનો કો-સ્ટાર કમલજીત સિંહ હતો. આ ફિલ્મ ચાલી નહીં પણ એમના દિલ મળ્યા. ત્યારબાદ વર્ષ 1974માં બંનેએ લગ્ન કરી લીધા અને મુંબઈ છોડીને બેંગ્લોર પાસે એક ફાર્મ હાઉસ બનાવી લીધું. કમલજીત સિંહનું સાચું નામ શશી રેઠી હતું. 1960ના દાયકામાં તેઓ ફિલ્મોમાં સફળતા મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ એ નિષ્ફળ ગયો અને આખરે બિઝનેશની દુનિયામાં એ પરત ફર્યા. બેંગ્લોરમાં ફાર્મ હાઉસમાં રહેતાં એમની પુત્રી કાશવી રેખી અને પુત્ર સોહેલ રેઠીનો જન્મ થયો હતો. વર્ષ 2000 દરમિયાન, કમલજીતની માંદગીને કારણે, વહીદા રહેમાન એમના પરિવાર સાથે મુંબઈ પરત ફર્યા અને ફરીથી મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ સ્થિત ‘સાહિલ’માં પોતાનું ઘર બનાવ્યું. અહીં 21 નવેમ્બર 2000ના રોજ કમલજીતનું અવસાન થયું હતું. વહીદા રહેમાનનો દીકરો સોહેલ રેખી એમબીએ કર્યા પછી બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરે છે, જ્યારે એમની પુત્રી કાશવી રેખી જ્વેલરી ડિઝાઈનર છે. કાશવીએ વર્ષ 2005માં બનેલી ફિલ્મ ‘મંગલ પાંડે’માં ‘સ્ક્રીપ્ટ સુપરવાઈઝર’ના રોલથી ફિલ્મી દુનિયામાં આવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આ ફિલ્મ પછી એ ઈન્ડસ્ટ્રીથી દૂર રહી.

એવોર્ડ અને સન્માન

  • એવોર્ડ્સ અને ઓનર્સ                                ફિલ્મ                       વર્ષ
  • ફિલ્મફેર                                               ગાઈડ                      1966
  • બંગાળી ફિલ્મ સંઘ એવોર્ડ                           તીસરી કસમ              1967
  • ફિલ્મફેર                                               નીલકમલ                 1968
  • રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર                               રેશ્મા ઔર શેરા           1971
  • નાગરિક પુરસ્કાર – પદ્મશ્રી                            –                        1972
  • ફિલ્મફેર – લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ          –                         1994
  • NTR રાષ્ટ્રીય પુરસ્કાર – આંધ્ર પ્રદેશ સરકાર         –                       2006
  • નાગરિક પુરસ્કાર – પદ્મ ભૂષણ                         –                       2011

‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું રાજ્યપાલ દેવવ્રતને હસ્તે લોકાર્પણ

ગાંધીનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ પુસ્તકનું રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હસ્તે રાજભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અતિથિ-વિશેષ તરીકેની ઉપસ્થિતિએ આ ગ્રંથપ્રાગટ્ય સમારંભને ગરિમાપૂર્ણ બનાવ્યો હતો. ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ નવભારત પબ્લિકેશન દ્વારા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તકમાં ધીરુભાઈના અવસાન બાદ સમયાંતરે પરિમલ નથવાણીએ ધીરુભાઈ વિશે વિભિન્ન અખબારો વગેરેમાં લખેલા લેખોનું સંપાદન છે.

પરિમલ નથવાણીએ ઘણા લાંબા સમય સુધી કંપનીના સ્થાપક-ચેરમેન ધીરુભાઈ અંબાણી સાથે કામ કર્યું હતું. તેઓ ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેક્નોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ વગેરેથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ધીરુભાઈ અંબાણીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને સુપેરે આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.

આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં આ પુસ્તકના લેખકે જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણી સાથેનો મારો નાતો જગજાહેર છે. ફલતઃ આ પુસ્તકની વિગતોમાં મારા આદર્શ પુરુષ ધીરુભાઈ અંબાણીની મારા મન પર પડેલી અસર, મારાં અવલોકનો અને મને થયેલી વિવિધ અનુભૂતિ વગેરે પ્રતિબિંબિત થઈ છે અને તે સ્વાભાવિક પણ છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું છે કે આ પુસ્તક લોકોને વાંચવું ગમે, પ્રેરણાદાયી બને એવું લાગે છે. અંબાણી પરિવાર તેમ જ રિલાયન્સ ઉદ્યોગ ગૃહની ઝીણી-ઝીણી કેટલીય ઘટનાઓનું સંકલન આ પુસ્તકમાં છે, જે મને લાગે છે કે પરિમલભાઈ સિવાય બીજું કોઈ સમાવી ન શક્યું હોત.આ પુસ્તક વિમોચન પ્રસંગે મંત્રી રાઘવજી પટેલ, મંત્રી મુળૂભાઈ બેરા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદો પૂનમબહેન માડમ, રાજેશ ચુડાસમા, ધારાસભ્ય શૈલેશ મહેતા, વિવિધ ઉદ્યોગ ગૃહોના વડાઓ, રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ, પ્રતિનિધિઓ અને અખબારી જગતના મહાનુભાવો સહિતના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

કેનેડા કેવીરીતે બન્યું મિની પંજાબ? ત્યાં શીખ, હિન્દૂઓની સંખ્યા કેટલી છે?

ઓટ્ટાવાઃ કેનેડામાં ભારતીયો ઘણી મોટી સંખ્યામાં રહે છે. ત્યાંની સંસદમાં હાઉસ ઓફ કોમન્સ ગૃહમાં ભારતીય વંશના 19 જણ ચૂંટાઈને આવ્યા છે. એમાંના 17 જણ શીખ છે અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારની લિબરલ પાર્ટીના છે.

દુનિયામાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેનેડા બીજા નંબરનો દેશ છે. ખાલિસ્તાનવાદી અલગતાવાદી, ભારત-વિરોધી તત્ત્વો, આતંકવાદીઓને આશ્રય અને સહાનુભૂતિ આપવાના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે.

2021ની વસ્તી ગણતરી અનુસાર, કેનેડામાં લોકોની કુલ વસ્તી 3 કરોડ 70 લાખ છે. એમાંના 16 લાખ એટલે કે લગભગ 4 ટકા લોકો ભારતીય મૂળનાં છે. કેનેડામાં શીખ લોકોની સંખ્યા આશરે 7 લાખ 70 હજાર છે. છેલ્લા 20 વર્ષમાં કેનેડામાં શીખ લોકોની સંખ્યા બમણી થઈ છે. એમાંના મોટા ભાગનાં શીખ ભારતના પંજાબમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અથવા નોકરી કરવાના હેતુસર સ્થળાંતર કરનારા છે. શીખ લોકોની વસ્તીની ગણતરીએ પંજાબ રાજ્ય બાદ બીજા નંબરે કેનેડા આવે છે.

કેનેડામાં ઘણા શીખ લોકો ખાલિસ્તાની ચળવળને ટેકો આપે છે. કેનેડાની સરકાર ઉપર પણ શીખધર્મીઓનો ખાસ્સો એવો પ્રભાવ છે. જસ્ટિન ટ્રુડો 2015માં પહેલી વાર વડા પ્રધાન બન્યા હતા ત્યારે એમણે શીખ સમાજના ચાર જણને પોતાની સરકારમાં પ્રધાન બનાવ્યા હતા. 1981માં કેનેડાની કુલ વસ્તીના માત્ર 4.7 ટકા નાગરિકો જ અલ્પસંખ્યક હતા. પરંતુ, એક અહેવાલ અનુસાર, 2035 સુધીમાં કેનેડામાં હિન્દૂ, મુસ્લિમ અને શીખ અલ્પસંખ્યકોની વસ્તી કેનેડાની કુલ વસ્તીનો 33 ટકા હિસ્સો બની જશે.

કેનેડામાં 388 સંસદસભ્યોમાં 18 શીખ છે. આઠ સીટ પર શીખ લોકોનું સંપૂર્ણ નિયંત્રણ છે. જ્યારે બીજા 15 મતવિસ્તારોમાં શીખ લોકોનો વોટ નિર્ણાટક બને છે. તેથી એક પણ રાજકીય પક્ષ શીખ સમાજને નારાજ કરવાનું પસંદ કરતા નથી.

દિલ્હીમાં સૌથી મોટી આશરે રૂ. 25 કરોડનાં ઘરેણાંની ચોરી

નવી દિલ્હીઃ શહેરના ભોગલ  વિસ્તારમાં આવેલા જ્વેલર્સને મોડી રાતે ચોરોની ટોળકી ત્રાટકી હતી. અહેવાલ અનુસાર આશરે રૂ. 25 કરોડ રૂપિયાની કિંમતનાં આભૂષણો પર ચોરોએ હાથ સાફ કર્યો હતો.   આ ઘટનામાં ચોરો આ ચોરી માટે જ્વેલરીના શોરૂમની છત અને દીવાલ તોડીને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચ્યા હતા. ચોરોએ ચોથા માળેથી છતનું તાળું તોડીને નીચે આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સ્ટ્રોન્ગ રૂમની દીવાલમાં બાકોરું પાડ્યું હતું અને CCTVનાં કનેક્શન કાપી દીધાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર શોરૂમના માલિકે રવિવારે સાંજે શોરૂમ બંધ કર્યો હતો. બીજા દિવસે પણ સોમવારે શોરૂમ બંધ રહે છે. આજે સવારે શોરૂમ ખોલ્યો, ત્યારે ચોરીની ઘટના માલૂમ પડી હતી. જે પછી એની સૂચના પોલીસને આપવામાં આવી હતી.  પોલીસ સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચ્યી હતી. નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનને શક છે કે ચોરોએ રવિવારે મોડી રાતે શોરૂમમાં બાકોરું પાડ્યું હતું. પોલીસ આસપાસના લોકોને પણ પૂછપરછ કરી રહી છે.  

ઉમરાવ સિંહ જ્વલેરી શોરૂમના માલિક સંજીવ જૈને કહ્યું હતું કે આશરે રૂ. 20થી 25 કરોડની કિંમતનાં ઘરેણાં અને ઝવેરાતની ચોરી થઈ હતી. તેમણે અને કર્મચારીઓએ શોરૂમમા સ્ટ્રોન્ગ રૂમની પાસે દીવાલમાં બાકોરું જોયું હતું. તેમણે કહ્યું હતું કે ચોરો અંદર પહોંચીને શાંતિથી ચોરને ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરો સોના-ચાંદીની મોટા ભાગની કીમતી સામાન ઉઠાવીને લઈ ગયા હતા.

 

 

 

 

 

 

‘દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ માટે વહીદા રેહમાનની પસંદગી

નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી વહીદા રેહમાનની પસંદગી આ વર્ષના ‘દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ માટે કરવામાં આવી છે. ભારતીય સિનેમાને આપેલા અપ્રતિમ યોગદાનની કદરરૂપે વહીદાને આ એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીદા રેહમાન ‘પ્યાસા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘કાગઝ કે ફૂલ’, ‘ગાઈડ’ સહિત અનેક ફિલ્મોમાં કરેલા અભિનય માટે લોકપ્રિય બન્યાં છે.

સાત દાયકા લાંબી કારકિર્દીમાં વહીદાજીએ અસંખ્ય ફિલ્મોમાં વિવિધ પ્રકારની યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. ‘રેશમા ઔર શેરા’ ફિલ્મમાં એમણે ભજવેલી કબીલા જાતિની મહિલાની ભૂમિકા માટે એમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારત સરકાર આ પૂર્વે વહીદાજીને ‘પદ્મશ્રી’ અને ‘પદ્મભૂષણ’ ખિતાબોથી સમ્માનિત કરી ચૂકી છે.