Home Blog Page 250

ભારતની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક શરૂ

નવી દિલ્હી: ભારતની બ્રિક્સની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ (BRICS) શેરપા/સોસ-શેરપા બેઠક 9 ફેબ્રુઆરીના રોજ શરૂ કરવામા આવી છે. ત્રણ દિવસ ચાલાનારી આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત છે, જેઓ 11 ફેબ્રુઆરી સુધી મુખ્ય પ્રાથમિકતાઓ, સંકલન અને સભ્ય દેશો વચ્ચેના સહયોગ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરશે.આ મહત્વપૂર્ણ બેઠક અંગે વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જાયસ્વાલે એક્સ પોસ્ટ પર જણાવ્યું હતું કે સચિવ (આર્થિક સંબંધો) અને ભારતના બ્રિક્સ શેરપા, સુધાકર દલેલા આ બેઠકમાં જોડાયા છે. આ ચર્ચામાં ચીનના ઉપવિદેશપ્રધાન મા ઝાઓક્સુ અને ભારતમાં બેલારુસના રાજદૂત એમ. કાસ્કો પણ હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં, રાજદૂત કાસ્કોએ બેલારુસને આમંત્રણ આપવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. કારણ કે આ પ્રથમ વખત છે જ્યારે  BRICS ભાગીદાર દેશોના પ્રતિનિધિઓએ આવી બેઠકોમાં સામેલ થઇ રહ્યા છે.રણધીર જાયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે શેરપા દલેલાએ ભારતની અધ્યક્ષતાની મુખ્ય પ્રાથમિકતાઓ રજૂ કરી, જે બ્રિક્સ માટે વડાપ્રધાનના ‘પીપલ-સેન્ટ્રિક’ અને ‘હ્યૂમેનિટી-ફર્સ્ટ’ અપ્રોચના વિઝન પર સ્થિત છે અને ‘બિલ્ડિંગ ફોર રેઝિલ્યન્સ, ઇનોવેશન,કોઓપરેશન તથા સસ્ટેનેબિલીટી’ની થીમ સાથે સંરેખિત છે.આ બેઠક દ્વારા આ વર્ષના અંતમાં થનારી બ્રિક્સની ઘણી બેઠકો માટે ગ્રાઉન્ડવર્ક તૈયાર કરવાની અપેક્ષા છે, જેમાં મંત્રી સ્તરની બેઠકો તેમજ બ્રિક્સ સમિટ સામેલ છે. બેઠકનો ઉદ્દેશ્ય આર્થિક, વિકાસલક્ષી અને વૈશ્વિક ગવર્નન્સના મુદ્દાઓ પર સહયોગને મજબૂત બનાવવાનો છે. ખાસ બાબત એ છે કે આ ચોથી વાર છે જ્યારે ભારતે બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે. આ પહેલા ભારતે 2012, 2016 અને 2021માં આ જવાબદારી નિભાવી છે.

રોહિત શેટ્ટી ફાયરિંગ કેસ: 5 આરોપીઓ સામે MCOCA હેઠળ કેસ દાખલ

મુંબઈ પોલીસે જુહુ, મુંબઈમાં ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ગોળીબારના કેસમાં એક મોટું પગલું ભર્યું છે. આ સનસનાટીભર્યા ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA) લાગુ કરવામાં આવ્યો છે. આ સનસનાટીભર્યા ઘટનામાં સામેલ તમામ આરોપીઓને આજે સાંજે ખાસ કોર્ટમાં હાજર થવાનું છે.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો એન્ટી-એક્સટોર્શન સેલ સમગ્ર કેસની તપાસ કરી રહ્યો છે. જુહુમાં રોહિત શેટ્ટીના નવ માળના મકાનમાં થયેલા ગોળીબારના સંદર્ભમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની કસ્ટડી બુધવારે પૂરી થઈ રહી છે, તેથી તેમને આજે સાંજે ખાસ MCOCA કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક આરોપીઓ અગાઉ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. તેના આધારે, ક્રાઇમ બ્રાન્ચે કેસમાં કડક MCOCA કલમો ઉમેરી છે. આ ઘટના 1 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12:45 વાગ્યે બની હતી. જુહુ વિસ્તારમાં રોહિત શેટ્ટીના મકાનના પહેલા માળે ઓછામાં ઓછા પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન, એક ગોળી બિલ્ડિંગની અંદરના જીમના કાચ પર વાગી. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો. પોલીસે અત્યાર સુધીમાં આદિત્ય ગાયકી (19), સિદ્ધાર્થ યેનપુરે (20), સમર્થ પોમાજી (18), સ્વપ્નિલ સકત (23) અને આસારામ ફસાલેની ધરપકડ કરી છે. બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર કાવતરાની તપાસ કરી રહી છે.

આ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગનું નામ પણ સામે આવ્યું છે. તેની ગેંગનો સભ્ય શુભમ લોંકર આ કેસમાં વોન્ટેડ આરોપીઓમાં સામેલ છે. તેણે રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. શુભમ લોંકર પહેલાથી જ બાબા સિદ્દીકી હત્યા કેસ અને સલમાન ખાનના ઘરે ગોળીબારમાં વોન્ટેડ છે.

દરમિયાન, પોલીસે ખુલાસો કર્યો કે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહને વોટ્સએપ પર અજાણ્યા વ્યક્તિઓ તરફથી ધમકીઓ મળી હતી. પોલીસને શંકા છે કે ખંડણી માટે આ ધમકીઓ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોનો હાથ હોઈ શકે છે. રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર અને રણવીર સિંહ સામે ધમકી બાદ, પોલીસ હાઈ એલર્ટ પર છે.

ધમકી બાદ રણવીર સિંહ અને દીપિકાના ઘરની સુરક્ષા વધારાઈ

રણવીર સિંહને મળેલી ધમકી બાદ તેમની સોસાયટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેના કારણે સોસાયટીના સભ્યો ચિંતિત છે અને સશસ્ત્ર સુરક્ષા તૈનાત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને પોલીસ પાસેથી સ્પષ્ટતા માંગી રહ્યા છે.

 

રોહિત શેટ્ટી બાદ હવે રણવીર સિંહને પણ ધમકી આપવામાં આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ વોટ્સએપ પર વોઇસ નોટ દ્વારા અભિનેતા પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરી છે. એક તરફ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે, તો બીજી તરફ અભિનેતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. અભિનેતાના એપાર્ટમેન્ટની બહાર સશસ્ત્ર દળો તૈનાત કરવામાં આવ્યા છે, જેના કારણે સમાજના અન્ય લોકો ચિંતિત છે. મળતી માહિતી મુજબ, મુંબઈના પ્રભાદેવી સ્થિત BEAU MONDE એપાર્ટમેન્ટમાં અભિનેતાને મળેલી ધમકીભરી નોટ બાદ, જ્યાં સુરક્ષા અને મકાન વિસ્તારમાં સશસ્ત્ર સુરક્ષા તૈનાત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને સોસાયટી કમિટીએ સ્થાનિક પોલીસને એક મેમોરેન્ડમ આપ્યું છે અને સ્પષ્ટતા માંગી છે.

સોસાયટીના સભ્યોએ સશસ્ત્ર સુરક્ષા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો

સોસાયટીએ સ્થાનિક પોલીસ સ્ટેશનને એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે બિલ્ડિંગના જીમ અને કોમન એરિયામાં છ સશસ્ત્ર ગાર્ડ અને પોલીસ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સોસાયટીએ સ્થાનિક પોલીસ પાસેથી ત્રણ મુદ્દાઓ પર જવાબો માંગ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સુરક્ષા તૈનાત કરતા પહેલા સોસાયટી પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી, જેના કારણે સોસાયટીના સભ્યોમાં ચિંતા ફેલાઈ છે.

સોસાયટી તરફથી કોઈ પરવાનગી નથી

સોસાયટીની સમિતિએ સોસાયટીમાં સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓની તૈનાત અંગે પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં ત્રણ પ્રશ્નો ઉભા થયા હતા: 1. શું તૈનાત ખાનગી સુરક્ષા ગાર્ડ રહેણાંક સંકુલમાં લાઇસન્સ પ્રાપ્ત હથિયારો ધરાવે છે? 2. શું તેઓએ દાદર પોલીસ સ્ટેશન પાસેથી પરવાનગી લીધી છે? 3. ફ્લેટમાં તૈનાત પોલીસ કર્મચારીઓની વિગતો, જેમાં વિભાગ અને તૈનાતીની પ્રકૃતિનો સમાવેશ થાય છે.

રણવીરને ધમકીભર્યો વોઇસ મેસેજ મળ્યો

પ્રાથમિક માહિતી સૂચવે છે કે આ ધમકીભરી ઘટનામાં રણવીર સિંહના આસિસ્ટન્ટને વોઇસ નોટ મોકલવામાં આવી હતી. ઓડિયો મેસેજ દ્વારા ધમકી મોકલવામાં આવી હતી. એવી શંકા છે કે લગભગ 8 થી 10 અન્ય ફિલ્મ હસ્તીઓને ધમકીઓ મોકલવામાં આવી હશે. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ, દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી. મુંબઈ પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે.

US ટ્રેડ ડીલ એ હોલસેલ સરન્ડર છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમના ભાષણ દરમિયાન સત્તાપક્ષ તરફથી સતત હંગામો થઈ રહ્યો હતો. રાહુલ ગાંધીએ બજેટ અંગે પણ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા અને પોતાની વાત સમજાવવા માટે માર્શલ આર્ટ્સનું ઉદાહરણ આપ્યું હતું.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ડીલ અંગે પણ વાત કરી. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારે ભારતની જનતાને અમેરિકાના હાથમાં વેચી દીધી છે. તેમના મુજબ આ ડીલને કારણે ભારતનો મોટો ડેટા અમેરિકા સુધી જઈ રહ્યો છે.તેઓ આર્થિક સર્વેક્ષણ જોઈ રહ્યા હતા ત્યારે તેમને બે મહત્વની બાબતો સમજાઈ. પહેલી એ કે દુનિયામાં ભૂરાજકીય ટકરાવ વધી રહ્યો છે. અમેરિકાના પ્રભુત્વને હવે ચીન, રશિયા અને અન્ય શક્તિઓ પડકાર આપી રહી છે. બીજી બાબત એ છે કે આપણે ઊર્જા અને નાણાકીય હથિયારકરણના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. દુનિયા સ્થિરતાથી અસ્થિરતાની દિશામાં જઈ રહી છે.

વડા પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કહે છે કે યુદ્ધનો યુગ સમાપ્ત થઈ ગયો છે, પરંતુ હકીકતમાં દુનિયા યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશી રહી છે. ડોલરને પડકાર મળી રહ્યો છે અને અમેરિકાનું પ્રભુત્વ પણ સવાલ હેઠળ છે. આપણે એક મહાશક્તિ કેન્દ્રિત દુનિયામાંથી એક નવી અને અનિશ્ચિત વૈશ્વિક વ્યવસ્થાની તરફ જઈ રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે માર્શલ આર્ટ્સમાં જ્યારે ચોક લાગે છે ત્યારે પકડાયેલી વ્યક્તિની આંખોમાં ડર દેખાય છે. તેવી જ રીતે અહીં નરેન્દ્ર મોદીની આંખોમાં ડર દેખાય છે, તેઓ આંખમાં આંખ મેળવીને વાત કરતા નથી. એપ્સ્ટિન કેસની 3 મિલિયન ફાઇલો હજુ બહાર આવવાની બાકી છે. રશિયન તેલના વિવાદ અંગે પણ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ એવી ડીલ કરી છે જે કદાચ દેશનો કોઈ પણ વડા પ્રધાન ન કરતો. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે દેશના નાગરિકોના ભવિષ્યને સરન્ડર કરી દીધું છે.

કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ રાહુલ ગાંધીના તમામ આરોપોને બિનઆધારભૂત ગણાવ્યા. તેમણે કહ્યું હતું કે ભારતને કોઈ વેચી પણ શકતું નથી અને ખરીદી પણ શકતું નથી. તેમણે ઉમેર્યું હતું કે દેશને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી પ્રધાનમંત્રી મળ્યો હોય તો તે નરેન્દ્ર મોદી છે.

યોગી સરકારનું બજેટઃ 10 લાખ યુવાનોને મળશે રોજગાર

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે આજે વિધાનસભામાં આર્થિક વર્ષ 2026-27 માટે રૂ. 9,12,696 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. નાણાપ્રધાન સુરેશ ખન્ના દ્વારા રજૂ કરાયેલા આ બજેટ ગયા વર્ષ કરતાં ઘણું મોટું છે અને રાજ્યના અર્થતંત્રને ‘વન ટ્રિલિયન ડોલર’ સુધી પહોંચાડવાના માર્ગમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. CM યોગી આદિત્યનાથે આ બજેટને ‘નવા ભારતનું નવું ઉત્તર પ્રદેશ’નો આધારસ્તંભ ગણાવ્યું છે. આ બજેટમાં ખેડૂત, યુવા, મહિલા અને ગરીબ સહિત સમાજના દરેક વર્ગની આશાઓને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.

મુખ્ય આંકડા:* અંદાજિત આવક: રૂ. 3,53,315 કરોડ

* પ્રતિ વ્યક્તિ આવક: રૂ. 1,09,844 (2016-17ની સરખામણીએ બમણાથી પણ વધુ)

* બેરોજગારી દર: ઘટીને માત્ર 2.24 ટકા રહી ગઈ

પ્રતિ વ્યક્તિ આવક બમણી થઈ

યોગી સરકારના છેલ્લાં આઠ વર્ષના કાર્યકાળમાં રાજ્યની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2016-17માં પ્રતિ વ્યક્તિ આવક રૂ. 54,564 હતી, જે હવે વધીને રૂ. 1,09,844 થઈ ગઈ છે. અંદાજ છે કે 2026-27 સુધીમાં તે રૂ. 1.20 લાખ સુધી પહોંચી જશે. સરકારના પ્રયત્નોથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં લગભગ 6 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી બહાર આવ્યા છે. રાજ્યનો કુલ ઘરેલું ઉત્પાદન (GSDP) રૂ. 30.25 લાખ કરોડ આંકવામાં આવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 13.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

ખેડૂતો માટે મોટી રાહતો

આ બજેટમાં ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. શેરડીના ખેડૂતો માટે લણણી સત્ર 2025-26 માટે ગન્નાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 30નો વધારો જાહેર કર્યો છે, જેને કારણે ખેડૂતોને લગભગ રૂ. 3000 કરોડનો વધારાનો લાભ મળશે. સરકારે અત્યાર સુધીમાં રૂ. 3.04 લાખ કરોડથી વધુ શેરડીની બાકી ચુકવણી કરી દીધી છે, જે છેલ્લાં 22 વર્ષના કુલ ચુકવણાં કરતાં પણ વધુ છે. રવી અને ખરીફ સીઝનમાં ઘઉં, ધાન અને બાજરીની રેકોર્ડ ખરીદી કરવામાં આવી છે અને રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે.

ઔદ્યોગિક રોકાણ અને સ્ટાર્ટઅપ હબ તરીકે ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ રોકાણ માટે દેશનું પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે. અત્યાર સુધી રૂ. 50 લાખ કરોડના MoUs થયા છે, જેને કારણે અંદાજે 10 લાખ નવા રોજગાર સર્જાવાની શક્યતા છે. દેશના કુલ મોબાઇલ ફોન ઉત્પાદનનો 65 ટકા હિસ્સો ઉત્તર પ્રદેશમાં થાય છે, જે તેને ભારતનું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદન કેન્દ્ર બનાવે છે. નવીનતા અને ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિને કારણે રાજ્યને રાષ્ટ્રીય સ્તરે ‘લીડર’ શ્રેણીનું સ્થાન મળ્યું છે.

મહિલા, યુવા અને શિક્ષણ ક્ષેત્રે સશક્તીકરણ

ચૂંટણી વર્ષ પહેલાં બેરોજગારી દર ઘટીને 2.24 ટકા થયો છે. કર્મચારીઓના માનદંડમાં વધારો અને તેમના માટે નવા સેવા નિગમની રચનાનો પ્રસ્તાવ પણ બજેટમાં છે. ગ્રામ્ય મહિલા ઉદ્યોગ સાહસિકોને બજાર મળે તે માટે ‘શી-માર્ટ’ (SHE-Marts) સ્થાપિત કરવામાં આવશે, જેના દ્વારા લાખો મહિલાઓને આર્થિક સશક્તીકરણ મળશે.

મુર્શિદાબાદમાં શરૂ થયું હુમાયુ કબીરની ‘બાબરી’નું નિર્માણ

મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં આજે બાબરી મસ્જિદની પ્રતિકૃતિ (રેપ્લિકા)ના નિર્માણનું કામ ઔપચારિક રીતે શરૂ થઈ રહ્યું છે. આ એ જ પ્રોજેક્ટ છે જેના શિલાન્યાસ છઠ્ઠી ડિસેમ્બર 2025એ કરવામાં આવ્યો હતો અને હવે બે મહિના બાદ નિર્માણની શરૂઆત થઈ રહી છે. સોમવારે હુમાયુ કબીરે મસ્જિદની ડિઝાઇન સોશિયલ મિડિયા પર શેર કરી હતી, જેને કારણે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

ભારે મશીનો તહેનાત

બેલડાંગામાં નિર્માણ શરૂ થવાના એક દિવસ પહેલાં તૈયારીઓ ઝડપી બની હતી. સ્થળ પર ઘણા અર્થ-મૂવર્સ જોવા મળ્યા અને કુરાન પાઠ માટે અલગ જગ્યા તૈયાર કરવામાં આવી. હજારો લોકોની હાજરીમાં નિર્માણ કાર્યની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં 1200 મૌલવી કુરાનની તિલાવત કરશે, ત્યાર બાદ સત્તાવાર રીતે કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવશે.

હુમાયુ કબીરના પગલાથી વધી હલચલ

હુમાયુ કબીર, જે પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં હતા અને હવે પોતાની નવી પાર્ટી ‘જનતા ઉન્નયન પાર્ટી’ ચલાવી રહ્યા છે, આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. આ જાહેરાતને કારણે તેમને તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બાબરી મસ્જિદ ક્યારેય નહીં બને: યોગી આદિત્યનાથ

મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે કહ્યું હતું કે બાબરી મસ્જિદ જેવી રચના ફરી ક્યારેય બનશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે કયામતનો દિવસ ક્યારેય નહીં આવે, એટલે બાબરી મસ્જિદ ક્યારેય બની શકશે નહીં. આ નિવેદનનો જવાબ આપતા કબીરે કહ્યું હતું કે યોગીજી શું કહે છે તે તેમની બાબત છે, પરંતુ જો તેમને નિર્માણ રોકવું હોય તો મુર્શિદાબાદ આવવું પડશે. કબીરે એમ પણ કહ્યું કે તેમણે રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો નહોતો, તેથી આ પ્રોજેક્ટનો વિરોધ સમજણ બહાર છે.

આ દરમિયાન ઉત્તર પ્રદેશના એક દક્ષિણપંથી ગ્રુપે લોકોને મુર્શિદાબાદ તરફ માર્ચ કાઢવાની અપીલ કરી છે, જેના પગલે સ્થાનિક પ્રશાસને સુરક્ષા વધારી દીધી છે. એ મુદ્દાને લઈને રાજ્ય અને દેશભરમાં રાજકીય ગરમાટો વધ્યો છે.

કેનેડાની સ્કૂલમાં શૂટઆઉટઃ 10 લોકોનાં મોત, અનેક ઘાયલ

નવી દિલ્હીઃ કેનેડાની બ્રિટિશ કોલંબિયામાં ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ભયાનક શૂટઆઉટની ઘટના બની છે. આ ગોળીબારમાં 10 લોકોનાં મોત થયાં છે અને 25 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ગોળીબાર કરનાર હુમલાખોરનું પણ મોત થયું છે.

પોલીસે ગોળીબારી અંગે શું જણાવ્યું?

પોલીસે જણાવ્યું હતું કે બ્રિટિશ કોલંબિયાના પીસ ક્ષેત્રમાં આવેલી ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં મંગળવારે બપોરે ગોળીબાર થયો હતો. પોલીસને એક ઇમર્જન્સી સંદેશ મળ્યો હતો જેમાં એક સંદિગ્ધ વ્યક્તિ વિશે માહિતી આપવામાં આવી હતી. તે સંદેશમાં ભૂરી વાળવાળી એક મહિલા જોવા મળ્યાનું જણાવવામાં આવ્યું હતું. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ હુમલામાં તે સંદિગ્ધ મહિલાની ભૂમિકા હોઈ શકે છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે દળ સ્થળ પર પહોંચ્યું ત્યારે સ્કૂલ કેમ્પસમાં છ લોકો મૃત હાલતમાં મળ્યા હતા. એક અન્ય વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. નજીકના એક ઘરમાંથી પણ બે મૃતદેહ મળી આવ્યા છે, જેને આ જ ઘટનાથી જોડીને તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ ગોળીબારમાં માત્ર એક જ હુમલાખોર સામેલ હતો કે પછી વધુ લોકો જોડાયેલા હતા.

કેનેડામાં ગોળીબારીના આંકડા શું કહે છે?

કેનેડામાં માસ શૂટિંગનો ઇતિહાસ જૂનો રહ્યો છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. કેનેડિયન પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 2023માં ગન સંબંધિત હિંસક ગુનાઓના કુલ 14,416 કેસ નોંધાયા હતા. એટલે કે દર એક લાખ લોકોદીઠ સરેરાશ 37 કેસ સામે આવ્યા હતા. જોકે 2022ની સરખામણીમાં આવા ગુનાઓમાં 1.7 ટકા ઘટાડો નોંધાયો હતો.

વર્ચ્યુઅલ લાઇફનું વળગણઃ હેલ્થ ક્રાઇસિસ સામે વેકઅપ કોલ?

દર વર્ષે બજેટ પહેલાં સંસદમાં રજૂ થતા આર્થિક સર્વેમાં સામાન્ય રીતે અર્થતંત્રના આકંડાઓની માયાજાળ હોય એટલે સામાન્ય લોકોને એમાં રસ ઓછો પડે, પરંતુ આ વર્ષે જે સર્વે રજૂ થયો એમાં એક વાત બહુ અગત્યની છે. એ છે દેશના વિદ્યાર્થીઓ અને યુવા વર્ગમાં વધતું જતું ડિજિટલ એડીક્શન. સોશિયલ મિડીયા અને ઓટીટી પ્લેટફોર્મ્સ પાછળ સતત વધતો જતો સ્ક્રીન-ટાઇમ.

જી હા, ડિજિટલ એડીક્શનના કારણે દેશનો યુવા વર્ગ જે દિશામાં જઇ રહ્યો છે એને નિષ્ણાતો ગંભીર હેલ્થ (મેન્ટલ હેલ્થ) ક્રાઇસિસ અને હ્યુમન કેપિટલ સામેનો સૌથી મોટો પડકાર ગણાવી રહ્યા છે. સીધા સાદા અર્થમાં કહીએ તો દેશનો યુવા વર્ગ માનસિક સ્થિરતા ગુમાવી રહ્યો છે અને ભવિષ્યમાં આ માનસિક બિમારી બહુ મોટી હેલ્થ ક્રાઇસિસમાં પરિણમે એવી શક્યતા છે. સંસદમાં સત્તાવાર રીતે મૂકાયેલા અહેવાલના પ્રકરણ 16માં ડિજિટલ વેલબિઇંગની આ વાત કહેવાઇ છે એટલે એની ગંભીરતાને ગંભીરતાથી લેજો. દુનિયાભરના દેશોમાં આ વાત ગંભીરતાથી ચર્ચાઇ રહી છે અને સરકારો આ સમસ્યા સામે લડવાના ઉપાયો શોધી રહી છે.

કઇ રીતે સર્જાઇ રહી છે આ હેલ્થ ક્રાઇસિસ?

અમેરિકાની વિખ્યાત હાર્વડ-કેનેડી સ્કૂલના ફેબ્રુઆરી, 2025ના જર્નલમાં કેરોલિન બ્રુકમેન નામની લેખિકાનો એક લેખ પ્રકાશિત થયો છે. હાર્વડ અને સ્ટેનફર્ડની ડબલ ડિગ્રી ધરાવતી કેરોલિન આ સ્કૂલની લિડરશીપ એન્ડ હેપ્પીનેસ લેબોરેટરીમાં કામ કરે છે. ‘ધ ફ્રેન્ડશીપ રિસેશનઃ ધ લોસ્ટ આર્ટ ઓફ કનેક્ટીંગ’ એવું શીર્ષક ધરાવતા આ લેખમાં કેરોલિન લખે છે કે, અમેરિકામાં અત્યારે ફ્રેન્ડશીપ એટલે કે દોસ્તીના સંબંધોમાં ક્રાઇસિસ વર્તાય છે. લોકો એકબીજા સાથે કનેક્ટ થવાની કળા ગૂમાવી ચૂક્યા છે.

આ વાત કેરોલિન અધ્ધરતાલ નથી કહેતી. પોતાના લેખમાં એ અમેરિકામાં હાથ ધરાયેલા એક સર્વેને ટાંકે છે. આ સર્વેક્ષણ પ્રમાણેઃ

  • 2025માં અમેરિકામાં જેમને મિત્રો નથી એવા લોકોનું પ્રમાણ ચારગણું વધ્યું છે.
  • જેમને અગાઉ દસથી વધારે મિત્રો હતા એમનું પ્રમાણ ત્રણગણું ઘટ્યું છે.
  • અગાઉ અમેરિકનો અઠવાડિયે સરેરાશ 6.5 કલાક મિત્રો સાથે ગાળતા. અત્યારે એ પ્રમાણ ચાર કલાકથી નીચે આવી ગયું છે.
  • બહાર રેસ્ટોરાંમાં એકલા જમવાનું પ્રમાણ છેલ્લા બે જ વર્ષમાં 29 ટકા વધ્યું છે.
  • દસ વર્ષ પહેલાં અમેરિકન ટીનએજર્સ દિવસમાં 140 મિનીટ એટલે કે સવા બે કલાક મિત્રો સાથે ગાળતા એ આજે ફક્ત ચાલીસ મિનીટ ગાળે છે.
  • અને, વર્ષ 2015માં અમેરિકનોનો સરેરાશ સ્ક્રીન ટાઇમ દિવસમાં સાત કલાક હતો એ 2021માં વધીને 9 કલાક થઇ ચૂક્યો હતો. 2025ના અંતે એ એનાથી વધારે જ હોવાનો.

વેલ, આ બધા માટે મુખ્યત્વે તો સોશિયલ મિડીયા ઉપરાંત મોટા શહેરોની ફરતે વિકસી રહેલા સબ-અર્બન વિસ્તારોથી વધતો જતો ભૌગોલિક વ્યાપ, ગિગ ઇકોનોમી, ઘટતા જતા કમ્યુનિટી સ્થળો, બદલાઇ રહેલા સામાજિક-સાંસ્કૃતિક પરિબળો જેવા અન્ય કારણો પણ જવાબદાર છે, પરંતુ ડિજિટલ એડિક્શન અને વર્ચ્યુઅલ લાઇફનું વળગણ સૌથી મુખ્ય અને મહત્વનું કારણ છે.

અમેરિકામાં સર્જાઇ રહેલી આ ક્રાઇસિસ એટલી જોખમી છે કે, સ્ટેનફર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ તો એના સ્ટુડન્ટ્સ માટે ડીઝાઇન ફોર હેલ્ધી ફ્રેન્ડશીપ એટલે કે દોસ્તી કઇ રીતે વિકસાવી શકાય એ શીખવાડતા ક્લાસ શરૂ કર્યા છે.

સાવધાન રહેજો. આજે અમેરિકામાં જે સ્થિતિ છે એ આવતીકાલે ભારતમાં પણ સર્જાઇ શકે છે. સર્જાઇ શકે છે શું, ઓલરેડી સર્જાઇ રહી છે! ક્યારેક પ્રામાણિકતાપૂર્વક જાતને પૂછજો કે, તમે જેની સાથે નિખાલસ બનીને હૈયું ઠાલવી શકો એવા મિત્રો કેટલા? યાદ રહે, બહોળા વ્યાવસાયિક પરિચયો કે સંબંધો, મોટું સોશિયલ સર્કલ કે વ્યાપક સામાજિક સંપર્કો એ દોસ્તી નથી, દોસ્તીનો દેખાડો છે. મોબાઇલ નંબરની આપ-લે કરીને વ્હોટ્સએપમાં એકબીજાને હાઇ-હલ્લો કરવું એ દોસ્તી નથી, દોસ્તીની ભ્રમણા છે. મિત્રોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી મોંઘી જણસ બનતી જાય છે દોસ્તી.

નથી લાગતું કે ઇન્ટરનેટથી ચોતરફ ઘેરાયેલો માણસ વર્ચ્ચુઅલ ટોળાંની વચ્ચે એકલતા અનુભવી રહ્યો છે? સોશિયલ મિડીયામાં જે મિત્રો-ફોલોઅર્સ છે એ વાસ્તવિક મિત્રો નથી એવી સમજ તો આપણામાં ઓલરેડી વિકસી ચૂકી છે. શહેરોનો ભૌગોલિક વ્યાપ વધવાથી અંતર વધ્યુ છે એટલે વારે-તહેવારે એકબીજાને રૂબરૂ મળવાનું પ્રમાણ ઘટ્યું છે. દિવાળી જેવા તહેવારોમાં રૂબરૂ મળીને અપાતી શુભેચ્છાઓનું સ્થાન તો સોશિયલ મિડીયાએ ક્યારનું ય લઇ લીધું છે. વધતી જતી ભૌતિક જરૂરિયાતોના કારણે માણસ એક કરતાં વધારે આર્થિક પ્રવૃત્તિ કરતો થયો છે. સવારે એક જગ્યાએ નોકરી કરનાર સાંજે ફૂડ ડિલીવરી કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ માટે ડિલીવરીનું વધારાનું કામ કરતો થયો છે. આ ગિગ ઇકોનોમી આપણે ત્યાં પણ વિકસી ચૂકી છે. ઉપરાંત, પતિ-પત્નિ બન્ને કમાતા હોય એવા કપલ્સની સંખ્યા પણ સતત વધી રહી છે એટલે રૂબરૂ ન મળી શકાય તો કાંઇ નહીં, ફોન-મેસેજ તો છે જ ને એ વાત આપણે બધાએ સરળતાથી સ્વીકારી લીધી છે.

મિત્રો સાથેના સામાજિક મેળાવડાઓ વધ્યા છે, બહાર સાથે જમવા જવાનું પ્રમાણ વધ્યું છે, તહેવારોમાં સાથે ફરવા જવાનું પ્રમાણ વધ્યું છે, પણ એ વખતે લોકોને ફોટોઝ-વિડીયોઝ સોશિયલ મિડીયા પર મૂકવાની ઉતાવળ વધારે હોય છે, સાચા અર્થમાં મળવાનું કે વાતો કરવાનું બાજુએ રહી જાય છે.

કહેવાનો મતલબ એ જ છે કે વર્ચ્ચુઅલ લાઇફની ઝાકમઝોળ સામે વાસ્તિવક જિંદગીની રોશની ઝાંખી પડતી જાય છે. અને, ઝાંખી પડતી આ રોશનીમાં દોસ્તીનો દીપક ધીમે ધીમે એનું તેજ ગુમાવતો જાય છે.

અને, અહીં દોસ્તી એટલે ફક્ત પરંપરાગત અર્થમાં મિત્રતા એટલો જ અર્થ નથી. વાત સામાજિક સંબંધોમાં હોવી જોઇએ એ લાગણી અને હૂંફમાં આવી રહેલી ઓટની છે.

કોઇ દલીલ કરી શકે કે આપણી સામાજિક-કૌટુંબિક પ્રજા હજુ મજબૂત છે અને એ ઝડપથી તૂટી ન શકે. વાત સાચી ય છે કે પશ્ચિમના દેશોની સરખાણીએ આપણે ત્યાં સામાજિક સંબંધોના મૂળ ઊંડા છે એટલે આ ક્રાઇસિસ પ્રમાણમાં ઓછી લાગે, પણ એની સામે વાસ્તવિકતા એ ય છે કે એમની જેમ આપણે ત્યાં સામાજિક મુદ્દાઓ પર વૈજ્ઞાનિક ઢબે આવાં સર્વેક્ષણ પણ બહુ થતા નથી (થાય છે એ સાચાં હોતા નથી) એટલે આ ક્રાઇસિસ અસ્તિત્વમાં હોવા છતાં સપાટી પર દેખાતી નથી.

હા, ગઇ સદીમાં જન્મેલી પેઢીને કદાચ આ સમસ્યા એટલી નહીં અનુભવાતી હોય, પણ એકવીસમી સદીમાં દુનિયામાં ડોકિયું કરનાર પેઢી જે રીતે સ્ક્રીનટાઇમ વધારી રહી છે એ જોતાં ફ્રેન્ડશીપની આ ક્રાઇસિસ આજે નહીં તો આવતીકાલે એમને જરૂર અનુભવાશે. અને ત્યારે એ દિવસો દૂર નહીં હોય કે સ્ટેનફર્ડની માફક આપણી યુનિવર્સિટીઓએ પણ ફ્રેન્ડશીપ કરતા શીખવાડે એવા ક્લાસિસ શરૂ કરવા પડે. એકવીસમી સદીના બીજા ક્વાર્ટરનો આરંભ એના એંધાણ આપી રહ્યો છે.

-તો, એક અર્થમાં સંસંદમાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણનું પ્રકરણ 16 એ આ અહેવાલનું સૌથી અગત્યનું પ્રકરણ છે અને આવતી પચીસી માટેનો વેકઅપ કોલ છે. વાત ભાવિ પેઢી પર તોળાઇ રહેલી હેલ્થ અને સોશિયલ ક્રાઇસિસની છે ત્યારે દુનિયાના દેશોમાં એના પર શું વિચાર થઇ રહ્યો છે એની વાત આવતા વખતે…

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

જુવાર – ફણગાવેલા કઠોળના અપ્પે

બાળકોની ફાઈનલ પરીક્ષાઓ આવે છે. તો ટિફિનમાં કંઈક અલગ પણ સ્વાદિષ્ટ અને સારો એવો પૌષ્ટિક નાસ્તો, બાળકોને ભણવા માટે ઊર્જા પણ વધારશે!

સામગ્રીઃ

  • જુવારનો લોટ 1 કપ
  • ફણગાવેલા મગ તેમજ ચણા 1 કપ
  • કાંદો 1
  • ગાજર અડધું
  • સિમલા મરચું 1
  • દહીં 2 ટે.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લસણની કળી 3-4
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • પાલક અથવા મેથીના પાન ધોઈને સમારેલાં 1 કપ
  • દહીં 2 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • સફેદ તલ 3 ટે.સ્પૂન
  • તેલ
  • ઈનો સેચેટ 1,
  • કળી પત્તાના પાન 6-7
  • લીલું લસણ 4-5 કળી (optional)

રીતઃ મિક્સીમાં આદુ તેમજ મરચાંના ટુકડા કરીને નાખો. ત્યારબાદ લસણની કળી, કળી પત્તાના પાન, ફણગાવેલાં મગ નાખીને તેને કરકરું દળી લો.

એક મોટા વાસણમાં જુવારનો લોટ લઈ તેમાં આ દળેલું મિશ્રણ મેળવો. ત્યારબાદ તેમાં સમારેલી પાલક, કોથમીર, દહીં, કાળા મરી પાઉડર, 1 ટી.સ્પૂન સફેદ તલ મેળવો. કાંદા, ગાજર તેમજ સિમલા મરચાંને ઝીણાં ચોરસ ટુકડામાં સમારીને મેળવીને દસ મિનિટ માટે આ મિશ્રણ ઢાંકીને રાખો.

અપ્પે પેનના મોલ્ડમાં 4-5 ટીપાં જેટલું તેલ રેડીને થોડાં થોડાં સફેદ તલ દરેક ખાનાંમાં નાખી દો. આ પેન ગેસ ઉપર ગેસની ધીમી આંચે ગરમ કરવા મૂકો.

અપ્પે બનાવતી વખતે મિશ્રણમાં ઈનો પાઉડર નાખીને ઉપર એક ચમચી જેટલું પાણી મેળવીને મિશ્રણને ચમચી વડે 1 મિનિટ એકધારું હલાવીને મૂકો. ત્યારબાદ તેમાંથી એક-એક ચમચા જેટલું મિશ્રણ લઈ તૈયાર કરેલા અપ્પે પેનના ખાનામાં રેડી દો.

અપ્પે પેનને ઢાંકીને ગેસની ધીમી આંચે 2-3 મિનિટ સુધી ચઢવા દો. ત્યારબાદ તેનું ઢાંકણ ખોલીને એક ચમચી કે ચપ્પૂ વડે અપ્પે ઉથલાવીને બીજી બાજુએ તેલના બ્રશ વડે દરેક અપ્પે ઉપર તેલ લગાડીને ફરીથી પેન ઢાંકીને 2-3 મિનિટ અપ્પે થવા દો.. ત્યારબાદ ચપ્પૂ વડે અપ્પે ચેક કરી લો. જો અપ્પે ચઢી ગયા હોય તો પેન ગેસ ઉપરથી ઉતારી લો. પેનને એક થાળીમાં કાઢી લો.

આ અપ્પે ટોમેટો કેચ-અપ સાથે કે લીલી ચટણી સાથે પીરસો.

૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬