Home Blog Page 2509

મહિલા અનામત બિલ આજે લોકસભામાં રજૂ થઈ શકે છે

મહિલા અનામત બિલ આજે લોકસભામાં રજૂ થઈ શકે છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભામાં ચર્ચા બાદ આ બિલ આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બરે પસાર થઈ શકે છે. આ બિલ 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે આ બંધારણ સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ હેઠળ મહિલાઓને સંસદ અને વિધાનસભાઓમાં અનામત આપવામાં આવશે.

મહિલા અનામત માટે અગાઉ પણ પ્રયાસો થયા છે

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા આરક્ષણ બિલ 2010માં લાવવામાં આવેલા બિલથી અલગ હશે અને તેમાં સંસદ અને એસેમ્બલીઓ સિવાય અન્ય સંસ્થાઓમાં મહિલાઓને અનામત આપવાની જોગવાઈ હોઈ શકે છે. એવી ચર્ચા છે કે મહિલા અનામતમાં રોટેશનના આધારે એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે 1996થી સંસદમાં મહિલાઓને અનામત આપવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ આજ સુધી આ પ્રયાસો સફળ થયા નથી. વર્ષ 2010માં યુપીએ સરકાર દરમિયાન પણ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાંથી બિલ પાસ પણ થઈ ગયું પરંતુ સાથી પક્ષોના દબાણને કારણે આ બિલ લોકસભામાં લાવી શકાયું નહીં.

સોમવારે સાંજે કેબિનેટની બેઠક યોજાઈ હતી

સંસદમાં એનડીએની બહુમતી જોતાં આ વખતે મહિલા અનામત બિલ સરળતાથી પસાર થવાની આશા છે. બિલ હેઠળ મહિલાઓને સંસદ અને વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો પર અનામત આપી શકાય છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક બુધવારે મળે છે પરંતુ આ વખતે તે સોમવારે સાંજે થઈ હતી. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી પરંતુ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલા આરક્ષણ બિલને લઈને વિપક્ષી ગઠબંધનમાં મતભેદો પણ ઉભરી શકે છે. વાસ્તવમાં, તેનું કારણ એ છે કે કેટલાક વિરોધ પક્ષો મહિલા અનામત બિલમાં SC/ST અને OBC સમુદાયો માટે વિશેષ અનામતની માંગ કરી રહ્યા છે. જ્યારે 2010 માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલ મહિલા અનામત બિલમાં કોઈપણ પેટા અનામતની જોગવાઈ નહોતી. આવી સ્થિતિમાં, નવા બિલ પર વિપક્ષી પાર્ટીઓ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

સંસદ વિશેષ સત્ર : નવી સંસદની ગરિમા ક્યારેય ખરડાવી જોઈએ નહીં – PM મોદી

સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે. સોમવારે સંસદની કાર્યવાહી મંગળવાર બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આજથી ગૃહના વિશેષ સત્રની કાર્યવાહી નવા સંસદ ભવનમાં ચાલશે. લોકસભાની કાર્યવાહી બપોરે 1:15 વાગ્યે શરૂ થશે, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2:15 વાગ્યે શરૂ થશે. આ પહેલા પીએમ મોદી સહિત ઘણા નેતાઓ દ્વારા પગપાળા માર્ચ, ફોટો સેશન અને સંબોધન થશે. સોમવારે સંસદના વિશેષ સત્રનું ઉદ્ઘાટન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે આ સત્ર ખૂબ નાનું છે, તેથી તેને ઐતિહાસિક બનાવવાનો પ્રયાસ કરો. જુના સંસદ ભવનમાં છેલ્લુું સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સેન્ટ્રલ હોલ આપણી ભાવનાઓથી ભરેલો છે. અમે વિકસિત ભારતના સંકલ્પને પુનરાવર્તિત કરી રહ્યા છીએ. નવા સંસદ ભવનમાં નવા ભવિષ્યનું ઉદ્ઘાટન. સેન્ટ્રલ હોલમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. બંધારણે પણ અહીં આકાર લીધો. 1952 થી વિશ્વના 41 રાષ્ટ્રીય રાષ્ટ્રપતિઓએ અહીં સંબોધન કર્યું છે.

 

અહીંથી જ મુસ્લિમ બહેનોને ન્યાય મળ્યોઃ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આ સંસદે ટ્રિપલ તલાક કાયદો બનાવીને મુસ્લિમ બહેનોને ન્યાય આપ્યો છે. ટ્રાન્સજેન્ડર અને વિકલાંગ લોકો માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. અલગતાવાદ અને આતંકવાદ સામે પગલાં લેવાયા. આ ગૃહમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. આજે જમ્મુ-કાશ્મીર શાંતિ તરફ છે. ભારત નવી ઉર્જાથી ભરેલું છે.

લોકસભા અને રાજ્યસભામાંથી 4000 થી વધુ કાયદા પસાર થયાઃ મોદી

અત્યાર સુધીમાં લોકસભા અને રાજ્યસભાએ મળીને 4 હજારથી વધુ કાયદા પસાર કર્યા છે. જ્યારે જરૂર પડે ત્યારે સંયુક્ત સત્ર દ્વારા કાયદાઓ પણ બનાવવામાં આવ્યા હતા. દહેજ નિવારણ અધિનિયમ હોય, બેંકિંગ સર્વિસ કમિશન બિલ હોય, આતંકવાદ સામે લડવા માટેના કાયદા હોય, આ બધું આ ગૃહના સંયુક્ત સત્રમાં પસાર કરવામાં આવ્યું હતું.

દેશ માટે દિલ મોટું હોવું જોઈએ, ભારત હવે અટકવાનું નથી: મોદી

દેશ માટે મોટું દિલ હોવું જોઈએ. ભારત હવે અટકવાનું નથી. દુનિયા ભારતના આત્મનિર્ભર મોડલની વાત કરી રહી છે. નાની નાની બાબતોમાં ફસાઈ જવાનો સમય જતો રહેશે. સંસદમાં બનેલા દરેક કાયદા, સંસદમાં યોજાયેલી દરેક ચર્ચા, સંસદમાંથી મોકલવામાં આવતા દરેક સંકેતો ભારતીય પ્રેરણાને પ્રોત્સાહિત કરવા જોઈએ.

જૂની સંસદને બંધારણ ગૃહ તરીકે ઓળખવી જોઈએઃ મોદી

પીએમ મોદીએ કહ્યું કે તે શુભ છે કે તેઓ ગણેશ ચતુર્થીના દિવસે નવી બિલ્ડિંગમાં બેસવાના છે. મારી વિનંતી અને સૂચન એ છે કે નવી સંસદની ગરિમા ક્યારેય ઘટવી જોઈએ નહીં. જૂની સંસદને બંધારણ ગૃહ તરીકે ઓળખવી જોઈએ.

ગણેશજીની આરાધના શા માટે કરવામાં આવે છે?

સંસ્કૃતમાં એક ઉક્તિ છે,’ પ્રસન્ન વદનમ્ ધ્યાયેત,સર્વ વિઘ્નોપ શાંતયે’ એટલે કે ‘જ્યારે તમે શાંતિમય અને ખુશીસભર હસ્તીઓને યાદ કરો છો ત્યારે વિઘ્નો દૂર થઈ જાય છે.’ એટલા માટે દરેક પૂજા પહેલા ગણેશજીનું આહ્વાન કરવામાં આવે છે.તેઓ સૌથી વધારે આનંદી હયાતી તરીકે જાણીતા છે.

આદિ શંકરાચાર્ય તેમના કાવ્ય ‘અજમ નિર્વિકલ્પમ’ માં ગણેશજીને અજન્મા,નિરાકાર, નિર્વિકલ્પ,સર્વ વ્યાપી શક્તિ અને દરેક ઉમંગભર્યા પ્રસંગના આરંભે જે ઉપસ્થિત હોય છે તેવા તરીકે વર્ણવે છે. જ્યારે માત્ર આનંદ હોય ત્યારે જ નહીં, પરંતુ આનંદ ના હોય ત્યારે પણ તેઓ ઉપસ્થિત હોય છે.તેઓ એ અવકાશ છે જેની સંતો ધ્યાન અવસ્થામાં અનુભૂતિ કરે છે.તેઓ આ સર્જનનું બીજ છે અને તમામ ગણોના અધિપતિ છે,એટલે કે વિશ્વના તમામ પરમાણુઓના સમુદાયોના. તેઓ એ એક વૈશ્વિક ચેતના છે જેને જ્ઞાન દ્વારા ઉપલબ્ધ કરી શકાય છે.

ગણપતિ જીવનનો આધાર છે, છતાં દરેક વ્યક્તિ તેમને પરબ્રહ્મ કે આપણા હ્રદયમાં સ્થિત છે એવા ઈશ્વર તરીકે અનુભવી શકતી નથી.માટે જ સંતોએ સામાન્ય માણસ નિરાકાર ભગવાન ગણેશજીની પ્રતીતિ કરી શકે તે માટે ગણેશ ચતુર્થીના દિવસે તેમના સ્થૂળ સ્વરૂપની હ્રદયપૂર્વક આરાધના કરી શકે એવી વિશિષ્ટ વિધિની હિમાયત કરી હતી. આપણે સર્વવ્યાપી ગણેશજી,જે આપણા હ્રદયમાં પણ વસેલા છે,તેમનું પવિત્ર મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિમાં આહ્વાન કરીએ છીએ.આ રીતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે.ઉજવણી પતી જાય પછી આપણે ભગવાનને આપણા હ્રદયમાં ફરીથી બિરાજવા પ્રાર્થના કરીએ છીએ અને પછી મૂર્તિને જળમાં પધરાવીએ છીએ,જે પણ પ્રેમની એક અભિવ્યક્તિ હોય છે.તમારે ઈશ્વરને કેવી રીતે સન્માનવા જોઈએ કે પૂજા કરવી જોઈએ?તમારો તેમના પ્રત્યે ભાવ(લાગણી) કેવો હોવો જોઈએ?મૂર્તિને ઈશ્વર પોતે જ છે એ દ્રષ્ટિએ જુઓ,માત્ર મૂર્તિ તરીકે નહીં.તો આપણા હ્રદયમાં ભક્તિનો ઉદય થાય છે અને આપણે એ શુધ્ધ ભક્તિના અવકાશમાં ડુબકી લગાવી શકીએ છીએ.

જ્યારે આપણે ગણેશજીની આરાધના કરીએ છીએ ત્યારે શું થાય છે?

તેમનામાં જે સદગુણો છે તે આપણી ચેતનામાં પ્રગટ થવા લાગે છે.આ ગજ મસ્તકધારીના તાકાત, સહનશક્તિ અને હિંમત,દુંદાળા પેટની ઉદારતા તથા સ્વીકાર ભાવના,અને એકદંતાની એકાગ્રતા-આ તમામ ગુણો જીવનને વધુ સંતોષજનક બનાવે છે.ગણેશજી તેમના ઊંચા કરેલા એક હાથ વડે રક્ષણ પણ કરે છે અને નીચે રાખેલા હાથ વડે આશીર્વાદ આપે છે.રિધ્ધિ બુધ્ધિના અને સિદ્ધિ વિશિષ્ટ ક્ષમતાઓના પ્રતિક છે.તેઓ બન્ને જ્ઞાનના સ્વામી એવા ગણેશજીના પત્નીઓ છે.જ્યારે તમે ગણેશજીની ઉપાસના કરો છો ત્યારે તમને જ્ઞાન,બુધ્ધિ અને વિશિષ્ટ ક્ષમતાઓ (સિધ્ધિઓ) બક્ષવામાં આવે છે.

યોગીઓને કરોડરજ્જુના અંતે મૂલાધાર ચક્રમાં ભગવાન ગણેશજીની ઊર્જા કે અસ્તિત્વની અનુભૂતિ થાય છે.તેમના હાથમાંનો લાડુ પરમાનંદની ઉપલબ્ધિ દર્શાવે છે.અંકુશ સજગતા અને પાશ સંયમના પ્રતિક છે. એનો અર્થ એ થાય છે કે આંતરિક જાગૃતિથી જે પ્રચંડ ઊર્જા મુક્ત થાય છે તેનું યોગ્ય માર્ગદર્શન દ્વારા નિયંત્રણ થવું જોઈએ.પરમ સત્ય વિશેનું અજ્ઞાન આપણને દુન્યવી બંધનોમાં રાખે છે.ગણેશજીનું વાહન મુષક અજ્ઞાનરુપી દોરડાઓ, જે આપણને અવાસ્તવિક સાથે બાંધી રાખે છે, તેમને કાતરી કાઢે છે.

આ ગણેશ ચતુર્થીએ એટલું યાદ રાખજો કે ગણેશજી તમારા હ્રદયમાં છે. એક બાળકની નિર્દોષતાથી તેમની ભક્તિ કરજો અને તે જે સુખ,સમૃદ્ધિ અને પરમાનંદના આશીર્વાદ આપે છે તેમાં તરબોળ રહેજો.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

બાર ગાઉએ બોલી બદલે

       બાર ગાઉએ બોલી બદલે

 

જુદા જુદા પ્રદેશમાં જેમ હવામાન બદલાય અને ભૂપૃષ્ઠ બદલાય તેમ ત્યાંનું પર્યાવરણ પણ બદલાય છે. એટલે એવું કહેવાયું છે કે –

બાર ગાઉએ બોલી બદલાય

તરુવર બદલે શાખા

પણ…

લખણ ના બદલે લાખા

બાર ગાઉ એટલે લગભગ ૨૦ કિલોમીટર. અગાઉના જમાનામાં ઝડપી વાહન વ્યવહારની સવલત નહોતી. આને કારણે નાના નાના ગ્રામ્ય સમૂહોમાં પ્રજા વહેંચાયેલી હતી. આ સમૂહ બહાર તેમનો સંપર્ક લગભગ નહિવત હતો. એટલે એકની એક ભાષા હોય તો પણ તેમાં સ્થાનિક લહેકો જુદો હોય. ક્યારેક એકાદ બે શબ્દો જુદા હોય. એ જમાનામાં જનસમુહનું ‘ઝોન ઓફ ઇન્ફલુએન્સ’ એટલે કે અસરકર્તા જૂથ લગભગ ૨૦ કિલોમીટર (બારગાઉ)નું હશે જે પછી જેમ આગળ જઈએ તેમ થોડી થોડી બોલી પણ બદલાય અને હવામાનમાં ફેરફાર થાય એટલે વનરાજી પણ બદલાય. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાઇ છે. આ બધું બદલાય છતાં ‘લખણ ના બદલે લાખા’ એટલે કે માણસનો મૂળભૂત સ્વભાવ ના બદલે એવો અર્થ નીકળે છે.

રમેશ તલવાર અભિનય છોડી નિર્દેશનમાં આવ્યા

નિર્દેશક રમેશ તલવારે ફિલ્મોમાં પોતાની ઓછી ઊંચાઈને કારણે અભિનય છોડી દીધો હતો પણ નિર્દેશનમાં ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. નાનપણથી જ રમેશને અભિનયનો શોખ હતો. રમેશના કાકા સાગર સરહદી ઘણા જાણીતા નાટ્ય લેખક હતા અને ફિલ્મો પણ લખી હતી. એટલે અભિનયમાં પ્રવેશ સરળતાથી થયો હતો. બલરાજ સહાનીને એક નાટકમાં બાળકની ભૂમિકા માટે કલાકારની જરૂર હતી. રમેશ સ્કૂલના નાટકોમાં કામ કરતાં હતા એટલે સાગરે બલરાજ સાથે મુલાકાત કરાવી દીધી. એ પછી રમેશે બે-ત્રણ વર્ષ સુધી એમના નાટકોમાં કામ કર્યું.

રમેશે કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારે બલરાજના સેક્રેટરી રાજેન્દ્ર ભાટીયા પ્રભુ દયાલના નિર્દેશનમાં ફિલ્મ ‘સૌતેલા’ બનાવી રહ્યા હતા એમાં ભૂમિકા આપી. પણ આંતરિક ઝઘડાને કારણે એ પૂર્ણ ના થઈ. એમણે બી.આર. ચોપડાની ‘ધૂલ કા ફૂલ’, વી. શાંતારામની ‘ફૂલ ઔર કલિયા’ વગેરે પણ કરી હતી. એ પછી અનુભવે રમેશ તલવારને એક વાતનો ખ્યાલ આવ્યો કે એ સમયમાં હીરો લાંબા રહેતા હતા અને એમની ઊંચાઈ ઓછી હતી તેથી ફિલ્મમાં અભિનય કરવાનું માંડી વાળીને નિર્દેશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. કેમકે એ માટે વધારે ઊંચાઈની જરૂર ન હતી. સૌથી પહેલાં રમેશે કોલેજમાં નાટકોનું નિર્દેશન શરૂ કર્યું. નવાઈની વાત એ છે કે એમણે ‘શતરંજ કે મોહરે’ નામના એક નાટકનું નિર્દેશન કર્યું. એમાં અગાઉ જેમના નિર્દેશનમાં રમેશે કામ કર્યું હતું એ બલરાજ સહાની ઉપરાંત કાદર ખાન, એ.કે. હંગલ, મનમોહન કૃષ્ણ વગેરેને નિર્દેશન આપ્યું હતું. એનાથી પ્રભાવિત થઈને મનમોહને રમેશની મુલાકાત બી. આર. ચોપડા સાથે કરાવી અને એમણે યશ ચોપડા ‘ઇત્તેફાક’ નું નિર્દેશન કરતા હતા એમાં સહાયક તરીકે રાખી લીધો.

યશજી સાથે દાગ, દીવાર, કભી કભી, ત્રિશૂલ, કાલા પથ્થર વગેરે અનેક ફિલ્મોમાં સહાયક રહીને નિર્દેશનના ઘણા ગુણ પ્રાપ્ત કર્યા હતા. એમના કામથી પ્રભાવિત થઈને યશજીએ કહ્યું કે તમે કોઈ પોતાની પસંદગીના વિષય પર મારા માટે ફિલ્મ નિર્દેશનની તૈયારી કરો. રમેશ તલવારે રાજુ સહગલ પાસેથી એક વાર્તા સાંભળી હતી એના પરથી ફિલ્મ ‘દૂસરા આદમી’ (૧૯૭૭) બનાવવાની વાત કરી. યશજીએ વાર્તા સાંભળીને કહ્યું કે વિષય બહુ બોલ્ડ છે, તેમ છતાં તું તૈયાર હોય તો મને વાંધો નથી. રમેશને એ વિષય બહુ પસંદ હતો એટલે સાગર સરહદી પાસે સ્ક્રીનપ્લે લખાવીને રાખી, ઋષિ, નીતૂ, શશિ કપૂર વગેરેની મોટી સ્ટારકાસ્ટ સાથે ‘દૂસરા આદમી’ બનાવી અને એ મોટા સેન્ટરો પર સફળ પણ રહી. ફિલ્મની વાર્તા માટે ફિલ્મફેર એવોર્ડમાં રાજુ સહગલનું નામાંકન થયું હતું. છતાં બીજી ફિલ્મો મળી નહીં.

નિર્માતાઓ એમ વિચારતા હતા કે રમેશની વિચારસરણી અલગ છે. એવા વિષયને પસંદ કરે છે જે કદાચ સામાન્ય માણસને પસંદ ના આવી શકે. એમને ફિલ્મો ના મળી ત્યારે યશજીના સહાયક તરીકે કામ ચાલુ રાખ્યું હતું. એ ‘કાલા પથ્થર’ (૧૯૭૯) માં સહાયક હતા ત્યારે રમેશ બહેલ એમની પાસે આવ્યા હતા અને ‘બસેરા’ (૧૯૮૧) નું નિર્દેશન કરવા કહ્યું હતું. ત્યારે એમણે એક શરત એવી કરી હતી કે અત્યારે ફિલ્મ ‘કસમેં વાદે’ (૧૯૭૯) બનાવું છું એ હિટ નહીં રહે તો પણ તારી સાથે ફિલ્મ બનાવીશ પણ બજેટ ઓછું રહેશે. ‘કસમેં વાદે’ હિટ રહી એટલે ‘બસેરા’ (૧૯૮૧) ને મોટા પાયે બનાવવામાં આવી હતી. એનું ‘જહાં પે સવેરા હો બસેરા વહીં હૈ’ ખૂબ લોકપ્રિય થયું હતું. એ પછી રમેશ તલવારે સવાલ, દુનિયા, જમાના અને ‘સાહિબાં’ નું નિર્દેશન કર્યું હતું.

રાશિ ભવિષ્ય 19/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની    લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

હરદીપ સિંહ નિજ્જરઃ કેનેડાની કાર્યવાહી પર ભારત આકરાપાણીએ

કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો અને ટોચના ભારતીય રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો. ભારતે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો અને થોડા કલાકો પછી કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો. વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. રાજદ્વારીને 5 દિવસમાં ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કેનેડાની સંસદને સંબોધિત કરતા કહ્યું હતું કે શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. તેણે ભારત પર સીધો આરોપ લગાવ્યો. એટલું જ નહીં પરંતુ કેનેડાના વિદેશ મંત્રીએ પણ આવી જ વાતો કહી. આ પછી ભારતે એક નિવેદન જારી કરીને કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા. ભારતે કહ્યું કે કેનેડા પર હત્યાનો આરોપ અત્યંત વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત છે.

રાજદ્વારીને હાંકી કાઢવા પર ભારતે શું કહ્યું?

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને આજે બોલાવવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું કે ભારતે નવી દિલ્હીમાં હાજર એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહેવાનો નિર્ણય કર્યો છે. રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડવા માટે કહેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ નિર્ણય કેનેડિયન રાજદ્વારીઓની આપણા આંતરિક બાબતોમાં દખલ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીને લઈને ભારત સરકારની વધતી ચિંતાને દર્શાવે છે.’

હરદીપ સિંહ નિજ્જર પ્રતિબંધિત અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે સંકળાયેલા હતા. ગુરુપતવંત સિંહ પન્નુ પછી તેઓ આ જૂથના બીજા નેતા હતા. આ વર્ષે 18 જૂને બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર જલંધરના ભરસિંહ પુરા ગામનો રહેવાસી હતો. તેઓ 1996માં કેનેડા ગયા હતા. તેણે કેનેડામાં પ્લમ્બર તરીકે કામ શરૂ કર્યું. પરંતુ ટૂંક સમયમાં જ તે ખાલિસ્તાની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો.

નિજ્જર કેનેડાનો નાગરિક બની ગયો હતો. આ જ કારણ છે કે તેમની હત્યા બાદ કેનેડામાં કેટલાક શીખ અલગતાવાદી સંગઠનોએ સરકાર પર હત્યાની તપાસ માટે દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. કેનેડિયન પીએમે નિજ્જરની હત્યા અંગે સંસદમાં પણ કહ્યું હતું કે તેમની જમીન પર કેનેડિયન નાગરિકની હત્યા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા ખાલિસ્તાની પ્રવૃત્તિઓનું હબ બની ગયું છે. અહીં ઘણા ખાલિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા છે.

લાલદરવાજાના ગણેશોત્સવમાં બ્રહ્માંડના દર્શન  

વિધ્નહર્તા ભગવાન ગણેશજીની જન્મ જયંતિ એટલે ગણેશ ચતુર્થી. આજથી દેશભરમાં ગણેશોત્વની ભવ્ય ઉજવણી શરૂ થઈ રહી છે. નાના કસબાઓથી લઈને ગામડાઓ, નગરો, મહાનગરોમાં ભક્તોએ બાપ્પાની પંડાલમાં સ્થાપના કરી છે. ત્યારે ગણેશોત્સવના પ્રથમ દિવસે વાત કરવી છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા વસંતચોકમાં બિરાજમાન ‘લાલબાગ ચા રાજાની’

 લાલબાગ ચા રાજા જેવી મૂર્તિ…

‘એક દો તીન ચાર ગણપતિનો જય જયકાર’…ના નાદ સાથે ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવે છે. 10 દિવસ સુધી ભક્તિભાવથી દુંદાળા દેવની આરાધના થાય છે. સુખ કરતા દુખહર્તા મુંબઈના ‘લાલબાગ કા રાજા’ની જેમ જ અમદાવાદના લાલ દરવાજાના મહારાજાનો પંડાલ સજાવવામાં આવ્યો છે. જે ભાવિકો ‘લાલબાગ કા રાજા’ના દર્શન કરવા નથી જઈ શકતા એ લોકો અમદાવાદના આંગણે જ લાલ દરવાજામાં બિરાજમાન ‘લાલબાગ ચા રાજા’ની આબેહૂબ મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

 ગેલેક્સી થીમ પર પંડાલ

લાલદરવાજા પાસેના આ ગણેશોત્સવ  વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વસંત ચોક પંડાલના આયોજક જયેન્દ્રભાઈ રજપૂત કહે છે કે, “અમે વર્ષોથી દાદાની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ. મંબઈના લાલબાગ ચા રાજાના જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત છે. ભક્તો દૂર દૂરથી અમદાવાદના લાલ દરવાજાના મહારાજાના દર્શનાર્થે આવે છે. આ વર્ષે અમે ગેલેક્સી થીમ પર પંડાલ તૈયાર કર્યો છે. થીમની પાછળ રહેલા તર્ક વિશે જયેન્દ્રભાઈ કહે છે કે, સમગ્ર બ્રહ્યાંડના પ્રથમ દેવ એ રીતે દાદાનું વર્ણન આ થીમ દ્ધારા કરવામાં આવ્યું છે.”

 દાદાનું વિસર્જન નથી કરતા

ગણપતિ દાદાની મૂર્તિની વિશેષતા વિશે વાત કરતા સાગરભાઈ તિવારી ચિત્રલેખા.કોમને કહે છે, “બાપ્પાની મૂર્તિ 14 ફૂટની છે. જે ફાઈબરના રેસામાંથી બનાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે દાદાની મૂર્તિનું અમે વિસર્જન નથી કરતા. દુંદાળા દેવની દસ દિવસ પૂજા-અર્ચના કર્યા પછી વાજતે-ગાજતે વરઘોડો નિકાળીએ છીએ પરંતુ દાદાનું વિસર્જન નથી કરતા. બીજા વર્ષે એ જ મૂર્તિનું ફરી સ્થાપના કરીએ છીએ. હા દાદાની મૂર્તિના હાથ પગની રચનામાં થોડા ફેરફાર કરવામાં આવે છે. સાથે જ સિંહાસનનું બેગ્રાઉન્ડ પણ બદલવામાં આવે છે.”

 પર્યાવરણનું જતન

વસંત ચોક પંડલામાં 55 વ્યક્તિનું ગ્રુપ કામ કરી રહ્યું છે. દિવસ રાત બાપ્પાની સેવામાં હાજર રહેવા સમગ્ર લોકો તૈયાર રહે છે. હિરેનભાઈ રજપૂત ચિત્રલેખા.કોમને કહે છે, “દાદાની સેવા-પૂજાની સાથે અમે  પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ. જ્યારે મૌલિક જોષી કહે છે, દર વર્ષે 200થી વધુ લોકોને નિમંત્રણ પત્રિકા આપીએ છીએ પરંતુ વિશેષ અતિથી તરીકે કોઈને પણ બોલાવતા નથી. દાદાના દર્શન દરેક લોકો માટે ખુલ્લા રહે છે.”

ભક્તિ સાથે સેવાનો ઉત્સવ

જયેન્દ્રભાઈ કહે છે, “દાદાનો ગણેશોત્સવ એટલે ભક્તોનો ઉત્સવ, ભક્તિ માટેનો ઉત્સવ જેમાં બને એટલા સેવાના કાર્યો કરવાના. અમે દર વર્ષે દિવ્યાંગ બાળકો માટે ડોનશન આપીએ છીએ, સાથે જ દિવ્યાંગ બાળકોને આરતી માટે પણ આમંત્રણ પાઠવીએ છીએ. આ ઉપરાંત દસ દિવસ સ્ટેશનરીની વસ્તુનું જરૂરીયાતમંદ લોકોને નિઃશુલ્ક વિતરણ કરીએ, અને બને એટલી લોકોને મદદ કરીએ. ગણેશોત્સવ ભક્તિ સાથે સેવાનું પર્વ પણ લઈને આવે છે.”

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

મહેમદાબાદનું આ દેવસ્થાન છે આસ્થાનું અનોખું પ્રતિક

ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ..

તો લો આ વર્ષે બાપ્પા આવી ગયા છે. ગણેશોત્સવની શરૂઆત રંગેચંગે થઈ ગઈ છે. સમગ્ર દેશમાં ગણપતિ દાદાના અનેક મંદિરો આવેલા છે. પરંતુ થોડા સમયમાં ભાવિકોની શ્રદ્ધાનું પ્રતિક બનેલા સિદ્ધિવિનાયક મંદિરની વાત જ જુદી છે.

દુંદાળા દેવ ગણપતિની આરાધનાના દિવસો શરૂ થઈ ગયા છે. ગણેશોત્સવ દરમિયાન દાદાના જુદા-જુદા મંદિરોમાં દર્શન કરવાનું અનેરું મહાત્મય છે. ત્યારે અમદાવાદ નજીક આવેલું આ ગણેશ મંદિર ખાસ છે. આ ગણપતિ મંદિરનો આકાર જ ગણેશજીની મૂર્તિ જેવો છે.

આ મંદિરનો છે મુંબઈથી નાતો

અમદાવાદ-ડાકોર હાઈવે ઉપર આવેલા દેવનગરી મહેમદાવાદની વાત્રક નદીના કાંઠે શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન છે. આ મંદિર 6 લાખ સ્કેવરફૂટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરની ઊંચાઈ 73 ફૂટ છે. જ્યારે મુંબાઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. એટલુ જ નહીં મુંબઈના જ સિદ્ધિવિનાયક મંદિરથી લાવવામાં આવેલી જ્યોત પણ અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ વિશાળ મંદિર એના અદભૂત સ્થાપત્ય માટે ખૂબ પ્રખ્યાત છે.

મંદિરની સ્થાપના- વિશેષતા

શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનની સ્થાપના 2014માં  થઈ હતી. મંદિરનું નિર્માણ અંદાજે 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. ગણેશ ભગવાનના મંદિરની બનાવટમાં કોઈ પણ જગ્યાએ સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરનો શિલાન્યાસ જમીનની 20 ફૂટ નીચે કરવામાં આવ્યો છે. સમગ્ર મંદિર એક જ શિલા પર ઉભુ કરાયું છે. વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ આ દેવસ્થાનમાં સ્થાપિત કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં આ એક માત્ર મંદિર છે જેમાં છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે. જ્યાં જવા ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા છે.

વિશેષ ગણેશોત્સવ

મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. માત્ર મંદિર જ નહીં પરંતુ સમગ્ર મહેમદાવાદ તાલુકો ગણેશમય બને એ માટે મંદિર તરફથી જ ગણપતિની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સિદ્ધિવિનાયક દેવસ્થાનના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત કહે છે કે : મંદિરના પ્રટાગણ ભવ્યથી ભવ્ય રીતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ મહેમદાવાદના તમામ તાલુકાઓમાં પણ ગણપતિ ઉત્સવની ઉજવણી થાય માટે મંદિર દ્ધારા ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ આપવામાં આવે છે. આમ તો મંદિર દ્ધારા  365 દિવસ વ્યસન મુક્તિની જાગૃતિ માટે કામ કરવામાં આવે છે. જેમાં અનેક લોકોએ દાદાના સાનિધ્યમાં આવીને વ્યસન મુક્યું છે. તો આ ગણેશ ઉત્સવ દરમિયાન પણ બાપ્પાની મૂર્તિ આંગણે હોવાથી લોકો 10 દિવસ પુરતા વ્યસનથી દૂર રહે છે. અને એમ કરતા વ્યસન છુટે છે. ઉપરાંત માટીની મૂર્તિનો પ્રચાર પ્રસાર થાય, માટે મંદિર તરફથી જેમને પણ જોઈએ એ લોકોને મૂર્તિ આપવામાં આવે છે.

વધુમાં નરેન્દ્રભાઈ કહે છે, ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ તો મંદિર દ્ધારા કરવામાં આવે જ છે  સાથે પૂજાપો, ડેકોરેશનનો સામાન, ગણપતિ બાપ્પાના બેનર, દાદાના નામ લખેલા ખેસ, માથે બાંધવાની ગણપતિ દાદાના નામની રિબિન પણ મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર દ્ધારા આપવામાં આવે છે. મહેમદાવાદ તાલુકાના 200થી પણ વધુ મંડળો મંદિરમાંથી નિઃશુલ્ક મૂર્તિ મેળવે છે.

માટી રૂપે બાપ્પાનો પ્રસાદ

સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં ગત વર્ષ(2022)થી ગણપતિ દાદાની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે પણ એ જ રીતે ભાવિકોને મૂર્તિ આપવામાં આવી છે. સાથે મંદિરના આંગણમાં વિસર્જન કુંડ પણ બનાવવામાં આવ્યો છે. જે ભાવિકો મૂર્તિ લેવા આવે છે એમને પંડિતો દ્ધારા શ્લોકગાન સાથે વિધિવત મૂર્તિ આપવામાં આવે છે. મંડળો દ્ધારા 10 દિવસ ગણેશોત્વની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ઘણા ભાવિકો એવા  પણ હોય છે જે પોતાના ઘરે બાપ્પાને બિરાજમાન કરે છે. આવા ભક્તો એક દિવસ, ત્રણ દિવસ કે પાંચ દિવસ બાપ્પાનું સ્થાપન રાખે છે. ત્યાર પછી દાદાનું વાજતેગાજતે વિસર્જન કરે છે. માટે સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં મૂર્તિ વિતરણ કરવામાં આવે એ જ દિવસથી વિશાળ કુંડ પણ બનાવવામાં આવે છે. જેમાં ભાવિકો દાદાનું વિસર્જન કરી શકે. દસ દિવસ પછી જ્યારે ગણેશોત્વનું સમાપન થાય અને કુંડમાં સ્થાપિત થયેલી માટી ડ્રાય થાય પછી તમામ ભાવિકો અને મંડળોને પ્રસાદી રૂપે માટી પહોંચાડવામાં આવે છે.

ગુજરાતમાં સિદ્ધિવિનાયક દેવસ્થાન એક માત્ર ગણેશ મંદિર છે જેના દ્ધારા નિઃશુલ્ક મૂર્તિનું વિતરણ થાય છે ઉપરાંત મંદિરના આગણે જ દાદાની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે.

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ