ટોરન્ટોઃ ઉત્તર અમેરિકામાં આવેલા કેનેડા દેશમાં ભારત-વિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રહી હોવા વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી ગઈ કાલે જ નવી દિલ્હીમાં G20 શિખર સંમેલન ખાતે કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સમક્ષ ભારતની તીવ્ર ચિંતા વ્યક્ત કરી હતી, તે છતાં આજે કેનેડામાં ખાલિસ્તાન જનમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શીખ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભારતમાં શીખ લોકો માટે અલગ રાષ્ટ્ર – ખાલિસ્તાનની રચના કરવા માટે સમર્થન મેળવવા માટે ગઈ કાલે રવિવારના દિવસે બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા ખાતે જનમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ ગુરુદ્વારામાં ગયા જૂન મહિનામાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરને ઠાર મારવામાં આવ્યો હતો. આ જનમતનું આયોજન ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવેલા ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં હજારો લોકો એકત્ર થયા હોવાનો ગ્લોબલ ન્યૂઝ ચેનલનો અહેવાલ છે.
ગઈ કાલે, નવી દિલ્હીમાં જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે મુઠ્ઠીભર લોકોના કૃત્યને આખા સમુદાય કે કેનેડા દેશના પ્રતિનિધિત્વ તરીકે ગણાવી શકાય નહીં. કેનેડા હંમેશાં અભિવ્યક્તિની આઝાદી, અંતરાત્માની આઝાદી અને શાંતિપૂર્ણ દેખાવોની આઝાદીનો બચાવ કરશે, પરંતુ એની સાથોસાથ, હિંસા અને નફરતને રોકવા માટે અમે હંમેશાં તત્પર રહીશું.
અમદાવાદઃ શેરબજારો સતત સાતમા દિવસે તેજી સાથે બંધ થયા હતા. NSEના નિફ્ટી50એ 11 સપ્ટેમ્બરે ઇતિહાસ રચ્યો છે. સૌપ્રથમ વાર નિફ્ટીએ 20,000ની સપાટી સર કરી હતી. જ્યારે સેન્સેક્સે પણ 67,000ની સપાટી સર કરી હતી. જુલાઈમાં નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી. ત્યાર બાદ એમાં કરેક્શન આવ્યું હતું. નિફ્ટી ને સેન્સેક્સ પર વિદેશી બજારોથી આવનારા સંકેતોની અસર નથી થઈ. બંને સૂચકાંકો સપ્તાહના પ્રથમ દિવસે બે-બે ટકા વધ્યા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી.
સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 528.17 પોઇન્ટ ઊછળીને 67,127.08ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 176.40 પોઇન્ટ ઊછળી 20,008.15ની ઊંચી સપાટી બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 19,996.35ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી પર અદાણી પોર્ટ્સના શેરોમાં સાત ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝીસમાં આશરે ચાર ટકા તેજી જોવા મળી હતી. કોલ ઇન્ડિયામાં સૌથી વધુ 1.15 ટકા તૂટ્યો હતો.
આ વર્ષે નિફ્ટી અત્યાર સુધી 17 ટકા ઊછળી ચૂક્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં લાર્જકેપ શેરોની તુલનાએ વધુ તેજી જોવા મળી છે. મિડકેપ ઇન્ડેક્સ 41 ટકા ઊછળ્યો છે, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 47 ટકા ઊછળ્યો છે. ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ શેરોની ધૂમ ખરીદી કરી હતી, જેથી બજારમાં તેજી થઈ હતી. તેમણે અત્યાર સુધીમાં રૂ. 33,397 કરોડના શેરોની ખરીદી કરી હતી. જેથી રોકાણકારોની સંપત્તિમાં 3.31 લાખ કરોડનો વધારો થયો હતો.
BSE પર કુલ 3942 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, એમાંથી 2114 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1658 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 170 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 370 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 17 શેરો 52 સપ્તાહની નીચલી સપાટી તોડી હતી.
કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2023માં સુપર-4 રાઉન્ડની ગઈ કાલે અધૂરી રહી ગયેલી મેચ વરસાદના વિઘ્નને કારણે 24 કલાકના વિલંબ બાદ આજે અનામત દિવસે મોડી શરૂ થઈ શકી છે. ટીમ દીઠ ઓવર ઘટાડવામાં આવી નથી. મેદાન પરથી પાણી દૂર કરવામાં ગ્રાઉન્ડસ્ટાફે ઘણી મહેનત કરી હતી. સાંજે 4.30 વાગ્યે સૂર્યનારાયણ ફરી દેખાતાં અને આકાશ ઘણું સાફ થતાં મેચનો પુનઃ પ્રારંભ થયો હતો. એ પહેલાં, બપોરે ક્યારેક ધીમા તો ક્યારેક ધોધમાર વરસાદ વચ્ચે બંને ટીમના ખેલાડીઓ પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ પીચ તથા મેદાન પર કવર્સ ઢાંકેલા હતા અને આઉટફિલ્ડ પણ ભીનું હોવાને કારણે મેચ સમયસર શરૂ કરી શકાઈ નહોતી. ગઈ આખી રાત અને આજે સવારે પણ પીચ તથા સમગ્ર મેદાન પર કવર્સ ઢાંકી રાખવામાં આવ્યા હતા તેથી પીચની અંદર પાણી ગયું નથી, પરંતુ આઉટફિલ્ડ ભીનું રહેતાં અમ્પાયરોએ મેચને સમયસર શરૂ કરાવી નથી. આઉટફિલ્ડ સૂકું થાય એની રાહ જોવાઈ રહી છે. બંને ટીમના ખેલાડીઓ પણ વરસાદ ક્યારે અટકે અને મેચ ક્યારે ફરી શરૂ થાય એ માટે ઉત્સૂક છે.
બપોરે 3.10 વાગ્યે કોલંબોમાં આકાશ સાફ હતું. પરંતુ, આખા મેદાન પર કવર્સ ઢાંકેલા રાખવા પડ્યા હતા. ગઈ કાલે, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. વરસાદે 24.1 ઓવર બાદ મેચ અટકાવી ત્યારે ભારતે તેના દાવમાં બે વિકેટે 147 રન કર્યા હતા. વિરાટ કોહલી 8 અને કે.એલ. રાહુલ 17 રન કરીને દાવમાં હતા. કેપ્ટન રોહિત શર્મા 56 અને શુભમન ગિલ 58 રન કરીને આઉટ થઈ ગયા છે. બંનેએ પહેલી વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી હતી.
નવી દિલ્હીઃ વિશ્વના શાનદાર ક્રિકેટ કોમેન્ટેટર્સનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે, માં હર્ષ ભોગલેનું નામ આવે છે. તેમણે કોમેન્ટરીમાં કામ કરતાં 40 વર્ષ પૂરાં થઈ ગયાં છે. તેમણે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ દ્વારા તેમની કેરિયરની સ્ટોરી જણાવી છે. એનો પ્રારંભ 10 સપ્ટેમ્બર, 1983માં થયો હતો.
તેમણે ઇન્સ્ટાગ્રામ અને એક્સ અકાઉન્ટ પર દૂરદર્શનથી મળેલી ઇન્વિટેશનની સ્લિપ મળી હતી. તેમણે સાથે કેપ્શનમાં લખ્યું હતું કે આજથી ચાર દાયકા પહેલાં આ દવસે મને પહેલો ODIનો અનુભવ મળ્યો હતો. મને આજે પણ એ યુવક યાદ છે, જે તકોની શોધમાં હતો અને DD-હૈદરાબાદ પ્રોડ્યુસરે તેને તક આપી હતી. આગામી દિવસોમાં બે કોમેન્ટરી સ્ટિંટ્સ હતી. આગામી 14 મહિનાઓમાં મને બે અને ODI અને ટેસ્ટ મેચપર કોમેન્ટરી કરવાની કૃતક મળી. હું એ માટે આભાર વ્યક્ત કરું છું.
40 years ago today. My first ODI. Still remember that young man trying frantically to get opportunities. And a kind producer from DD-Hyd giving him this break. I sat on a roller the previous evening, in a simple t-shirt, doing the curtain raiser. And got two commentary stints the… pic.twitter.com/wV0bj382Xv
એ સાથે તેમણે પહેલી ODIની પે-સ્લિપ પર શેર કરી છે, જેમાં ઉપર દૂરદર્શન લખ્યું છે અને નીતે ફી તરીકે રૂ. 350 લખ્યા હતા. હર્ષ ભોગલેએ કરિયરમાં 40 વર્ષ પૂરાં થવા પર ફેન્સને શુભ્ચ્છાઓ આપી હતી. તેમણે વીતેલાં વર્ષોમાં શાદરાર કોમેન્ટરી કરી હતી. ગયા વર્ષે કોહલીએ પાકિસ્તાન સામે T20 મેચમાં ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી, એમાં ભોગલેએ કોમેન્ટરી કરી હતી. જે આજ સુધી લોકોને યાદ છે. તેમનો અવાજ ક્રિકેટપ્રેમીઓના હ્દયમાં ગૂંજતો રહેશે.
મુંબઈઃ ‘ગદર 2’ ફિલ્મે બોક્સ ઓફિસ પર મેળવેલી ધરખમ સફળતાને કારણે અભિનેતા સની દેઓલ ખુશ છે, પરંતુ એક સંસદસભ્ય હોવાને નાતે લોકસભા ગૃહમાં પોતે પર્યાપ્ત હાજરી આપી શક્યા ન હોવાનો એમને અફસોસ છે. તેઓ હાલમાં જ ઈન્ડિયા ટીવી ચેનલ પરના લોકપ્રિય હિન્દી ટીવી શો ‘આપ કી અદાલત’માં ઉપસ્થિત થયા હતા. એમાં તેમણે જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી લડવાની એમની ઈચ્છા નથી.
શોમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ‘સંસદમાં તમારી હાજરી આટલી ઓછી કેમ છે?’ ત્યારે પંજાબના ગુરદાસપુરમાં ભાજપના સંસદસભ્ય સની દેઓલે કહ્યું હતું કે, ‘હા, એમાં મારી હાજરી ખરેખર ખૂબ જ ઓછી રહી છે અને આ સારું છે એવું હું નહીં કહું, પરંતુ હું જ્યારે રાજકારણમાં પ્રવેશ્યો હતો ત્યારે જ મને થયું હતું કે આ મારી દુનિયા નથી. પરંતુ હું મારા મતવિસ્તાર માટે કામ કરતો રહ્યો છું અને કરતો રહીશ. હું સંસદમાં જાઉં કે ન જાઉં, એનાથી મારા મતવિસ્તાર માટે મારા કાર્ય પર કોઈ અસર નહીં થાય. વધુમાં, હું જ્યારે પણ સંસદમાં જાઉં છું ત્યારે મને મુશ્કેલી પડે છે. સલામતીનો બંદોબસ્ત હોય છે. વળી, આ જ સમયગાળા દરમિયાન કોરોનાવાઈરસ મહામારી પણ આવી. એક અભિનેતા હોવાથી હું જ્યાં પણ જાઉં છું, ત્યાં લોકો મને ઘેરી વળે છે. મેં મારા મતવિસ્તારમાં શું શું કામ કર્યું છે એની મારી પાસે યાદી છે. પરંતુ હું મારી કામગીરીનો પ્રચાર કરતો નથી. રાજકારણ એવો વ્યવસાય છે, જેમાં હું ફિટ થયો નથી.’ 2024ની લોકસભા ચૂંટણી લડવા વિશેના સવાલના જવાબમાં સનીએ મક્કમપણે કહ્યું, ‘મારે હવે ફરીથી ચૂંટણી લડવી નથી.’ ‘ધારો કે વડા પ્રધાન મોદી તમને ચૂંટણી ફરી લડવાનું કહેશે તો?’ એના જવાબમાં સનીએ કહ્યું, ‘મોદીજી જાણે છે કે આ છોકરો સની એની ફિલ્મો દ્વારા દેશ માટે સેવા બજાવી જ રહ્યો છે તેથી એને એ જ કામ ચાલુ રાખવા દેવું જોઈએ.’
હૈદરાબાદઃ તેલુગુ દેશમ પાર્ટીના વડા અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. પાર્ટીએ તેમની ધરપકડની વિરુદ્ધ રાજ્યમાં બંધનું આહવાન કર્યું છે. કૌશલ વિકાસ નિગમ કૌભાંડમાં ચંદ્રબાબુ નાયડુને CID અને પોલીસે ધરપકડ કરી હતી. TDPએ આંધ્ર પ્રદેશના બંધનું આહવાન કર્યું છે.
ચંદ્રબાબુ નાયડુની નવમી સપ્ટેમ્બરે ભ્રષ્ટાચારના મામલે ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે. તેમને વિજયવાડાથી આશરે 200 કિમી દૂર રાજામહેન્દ્રવરમમાં મોકલ્યા હતા. જેલમાં એક સ્પેશિયલ રૂમમાં તેઓ રહેશે. કોર્ટના આદેશ મુજબ તેમને ઘરનું ભોજન આપવામાં આવશે. દવાઓ પણ આપવામાં આવશે.ચંદ્રબાબુ નાયડુના પુત્ર લોકેશ પિતાની ધરપકડથી ગુસ્સામાં છે. તેમના પર આરોપ છે છે કથિત કૌભાંડથી રાજ્ય સરકારને રૂ. 300 કરોડની આવકનું નુકસાન થયું છે. વિજયવાડાના સરકારી જનરલ હોસ્પિટલમાં તેમનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. CID ટીમે તેમને કેસને લઈને આશરે 10 કલાક પૂછપરછ કરી હતી.
ચંદ્રાબાબુ નાયડુ 73 વર્ષના છે અને તેમના જીવ પરના જોખમને જોતા કોર્ટે તેમને અલગ રાખવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)એ જણાવ્યું હતું કે કથિત સ્કિલ ડેવલપમેન્ટ નિગમ કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુ પૂછપરછમાં સહયોગ નથી કરી રહ્યા. સવાલોના અસ્પષ્ટ જવાબો આપતાં તેમણે કહ્યું કે તેમને ઘણી વાતો યાદ જ નથી.
લોકશાહીને બચાવવા માટે તેલગુ દેશમ પક્ષના નેતાઓએ સામાન્ય જનતાને સ્વેચ્છાએ બંધમાં ભાગ લેવાની અપીલ કરી છે. ચંદ્રબાબુ નાયડુની ધરપકડ એ જગન મોહન રેડ્ડીના માનસીક સ્વભાવનું તાજું ઉદાહરણ હોવાનું TDP નેતા રહી રહ્યાં છે. જગન મોહન રેડ્ડીને જનતા જ પાઠ ભણાવશે એમ પણ તેઓ કહી રહ્યા છે. 10મી સપ્ટેમ્બર એ લોકશાહી માટે કાળો દિવસ હતો એમ TDP નેતા નરેન્દ્ર કુમારે કહ્યું હતું.
મુંબઈઃ મુંબઈ અને મહારાષ્ટ્રવાસીઓનો લોકપ્રિય તહેવાર, ગણેશોત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. એ લગભગ 10 દિવસ સુધી ચાલશે. શહેરમાં તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો ખાતે આ તહેવારની ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શહેરમાં સૌના લાડકા અને કદમાં સૌથી મોટા એવા ‘લાલબાગચા રાજા’ ગણપતિ માટે આ વર્ષે લગભગ 26.5 કરોડ રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો છે. મધ્ય મુંબઈના પરેલના લાલબાગ વિસ્તારસ્થિત આ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ખાતે ‘લાલબાગચા રાજા’ ગણપતિજીના દર્શન કરવા આવતા લોકોની થતી અપાર ભીડ અને ભગવાન ગણપતિની મૂર્તિ પર પહેરાવવામાં આવનાર મૂલ્યવાન દાગીનાઓનો વિચાર કરીને આયોજકોએ સુરક્ષાની દ્રષ્ટિએ આટલી મોટી રકમનો વીમો ઉતારવાનું નક્કી કર્યું છે. ગણેશોત્સવ દરમિયાન શનિવાર અને રવિવારના દિવસોએ ભાવિકોની સૌથી વધારે ગીરદી થતી હોય છે. માત્ર મુંબઈ જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી તેમજ મહારાષ્ટ્રમાં ઘણે દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે.
આયોજકોએ ન્યૂ ઈન્ડિયા એશ્યુરન્સ કંપની પાસેથી રૂ. 26 કરોડ 54 લાખની રકમનો વીમો ઉતરાવ્યો છે. આ વીમા કવચમાં આગ, ચોરી, અકસ્માત જેવા જોખમોની સાથોસાથ, નાસભાગ, આતંકવાદ અને પ્રસાદ દ્વારા ઝેર આપવા જેવી ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોલિસી 24 ઓગસ્ટથી લઈને 23 ઓક્ટોબરના સમયગાળા સુધીની છે.
મંડળના ખજાનચી મંગેશ દળવીએ કહ્યું કે, રૂ. 26.54 કરોડના વીમા પૈકી રૂ. 12 કરોડ ભક્તો, ટ્રસ્ટીઓ, રજિસ્ટર્ડ અધિકારીઓ અને સ્વયંસેવકો, રહેવાસીઓ, સુરક્ષા કર્મચારીઓ તથા ચોકીદાર સહિતના કર્મચારીઓના વ્યક્તિગત અકસ્માત સામે રક્ષણ આપવાનો પણ આ વીમા પોલિસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો અકસ્માત થશે તો પ્રત્યેક પીડિતને રૂ. પાંચ લાખનું વળતર મળશે. ‘લાલબાગચા રાજા’ મંડળનું જેમને ઓળખપત્ર આપવામાં આવ્યું હશે એ તમામ લોકોને આ વીમા પોલિસી અંતર્ગત આવરી લેવામાં આવશે. અન્ય પાંચ કરોડ રૂપિયાની રકમ તૃતિય પંથીના દાયિત્વ માટે ફાળવવામાં આવ્યા છે. આમાં પ્રસાદ દ્વારા ઝેર આપવાના ગુનાનો સમાવેશ કરાયો છે. અઢી કરોડ રૂપિયામાં મંડપના સેટ, મંડપ તથા મુખ્ય પ્રવેશદ્વારને નુકસાનનો સમાવેશ કરાયો છે. જ્યારે 7.5 કરોડ રૂપિયામાં દાગીના તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વીમા કવચ માટે આયોજક મંડળે રૂ. 5 લાખ 40 હજારનું પ્રીમિયમ ભર્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના વીમા સંરક્ષણની રકમ વધારે છે. ગયા વર્ષે મંડળે વીમા કંપની પાસેથી 25 કરોડ 60 લાખની કિંમતની પોલિસી લીધી હતી અને રૂ. પાંચ લાખ 20 હજારનું પ્રીમિયમ ભર્યું હતું.
અમદાવાદઃ શહેરને આજે નવાં મેયર મળ્યાં છે. AMCનાં મેયર પ્રતિભા જૈન બન્યાં છે તો ડેપ્યુટી મેયરપદે જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે દેવાંગ દાણીની નિમણૂક થઈ છે, જ્યારે VMCના આગામી અઢી વર્ષ માટે મેયર તરીકે પિન્કીબહેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ડો. શીતલ મિસ્ત્રી, પક્ષના નેતા તરીકે મનોજ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યની સૌથી મોટી અને રૂ. 9500 કરોડનું બજેટ ધરાવતી AMCના મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરવામાં આવી છે. મેયર અને ડેપ્યુટી મેયરપદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. મેયર કિરીટ પરમારે મેયર તરીકે પ્રતિભા જૈનના નામની ભલામણ કરી હતી. ભાજપનાં મેયર પ્રતિભા જૈનને સૌથી વધુ મત મળતાં તેમની વરણી કરવામાં આવી હતી. મેયર કિરીટ પરમારે નવાં મહિલા મેયર પ્રતિભા જૈનને ચાર્જ સોંપ્યો હતો. મેયર પ્રતિભા જૈને ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલના નામ મૂક્યા હતા. ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલને વધુ મત મળતાં તેમને ડેપ્યુટી મેયર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા મેયર માટે પદમાબહેન અને ડેપ્યુટી મેયર માટે હાજી મિર્ઝા બેગનું નામ મૂકવામાં આવ્યું હતું. જોકે દરખાસ્તને વધુ મત ન મળતાં ફગાવી દેવામાં આવી હતી.
અમદાવાદનાં નવાં મેયર પ્રતિભા જૈન શાહીબાગના કોર્પોરેટર છે. તેઓ રાજસ્થાની જૈન સમાજનો ચહેરો છે. તેઓ શાહીબાગમાં કોર્પોરેટર તરીકે ત્રીજી મુદતમાં ચૂંટાઈ આવ્યાં છે. તેઓ વર્ષ 2010માં સૌપ્રથમ ચૂંટણી લડ્યાં હતાં. તેમણે વર્ષ 2013માં શહેરના મંત્રી તરીકે પણ સંગઠનમાં કામગીરી કરી છે મહિલા અને બાળ વિકાસના ડેપ્યુટી ચેરમેનપદે તરીકે તેઓ રહી ચૂક્યાં છે. AMCના ઇતિહાસમાં અત્યાર સુધીમાં પાંચ મહિલાઓ મેયરપદે રહી ચૂક્યાં છે. જેમાં 1995માં ભાવનાબહેન દવે, 1999માં માલિનીબહેન ભરતગિરિ, 2003 અનીષાબહેન મિરજા અને 2013માં મીનાક્ષીબહેન પટેલ અને 2018માં બિજલ પટેલ મેયરપદ પર રહી ચૂક્યાં છે.
શહેરના નવાં મેયર પિન્કી સોની બન્યાં છે.ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા છે તેમ જ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી બન્યાં છે. તો શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. વડોદરાને 61 મેયર મળ્યા છે. જ્યારે પિન્કી સોની શહેરના ચોથા મહિલા મેયર બન્યાં છે.
વડોદરામાં નવ સપ્ટેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મુદત પૂરી થઈ હતી.
ભાજપમાં સૌપ્રથમ વાર સેન્સ પ્રક્રિયા
રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓમાં ભાજપના સત્તાધીશોની ટર્મ પૂરી થતાં નવા પદાધિકારીઓની નિમણૂક માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે. જેથી પાંચેય પદાધિકારીઓ નવા જ મૂકવામાં આવશે. એક પણ પદાધિકારી ફરીથી રિપીટ થશે નહીં.
નવી દિલ્હીઃ બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા અને પ્રિયંકા ચોપડા પણ લગ્ન કર્યા પછી લોસ એન્જેલસમાં શિફ્ટ થઈ ગઈ છે. બંને હિરોઇનો એક જ શહેરમાં રહેતી હોવાથી અવારનવાર એકસાથે દેખા દે છે. બંને તહેવારો પણ સાથે મળીને ઊજવે છે.
હાલમાં પ્રિયંકા અને પ્રીતિએ એકસાથે જોનાસ બ્રધર્સના કોન્સર્ટની મજા માણી હતી. પ્રિયંકાએ અનેક ફેન્સે આ શોનો આનંદ લેતાં તેમની ક્લિપ શેર કરી હતી. પ્રીતિએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી. જેમાં તે પ્રિયંકાની સાથે ક્વોલિટી ટાઇમ શેર કરી રહી છે. તેણે પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે શું મજાની રાત છે અને જોનાસ બ્રધર્સના સંગીતથી પરિચિત થવાની મજેદાર તક છે. આટલી અદભુત મહેમાનગતિ થવા બદલ પ્રિયંકાનો બહુબધો આભાર. નિક જોનાસે ગઈ કાલે રાત્રે સુંદર પર્ફોર્મ કર્યું હતું. નિકને આગામી પ્રોગ્રામો માટે શુભેચ્છાઓ. ગઈ કાલ રાત માટે સત્તાવાર રીતે હું પણ નિકની ફેન બની ગઈ હતી.
આ બંને એકટ્રેસ એકસાથે કોન્સર્ટમાં મસ્તી કરતી દેખાઈ હતી, જેનો એક વિડિયો હાલના સમયે સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
What a fun night ❤️ and what a fun way to be introduced to all the music of the Jonas Brothers 🎸 Thank you so much @priyankachopra for being such an amazing host. @nickjonas you guys killed it last night. It was an amazing performance. All the best for the rest of the tour 💕… pic.twitter.com/tuMarQDlvd
વાસ્તવમાં પ્રીતિ ઝિન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં પ્રિયંકા ચોપડા સાથે એક મ્યુઝિક નાઇટની મજા માણતી દેખાઈ રહી છે. આ દરમ્યાન પ્રીતિ ઘણી ખુશ દેખાઈ રહી છે અને બંને સહેલીઓ ઘણા સમય પછી મળી હોય અને પાર્ટીની એકસાથે મજા માણી રહી હતી.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 70 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,780 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,32,027 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,246 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 52 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 507 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9774 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.49 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,68,995 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 52 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
હર્ષ ભોગલેએ કોમેન્ટરી વિશ્વમાં 40 વર્ષ પૂરાં કર્યાં
નવી દિલ્હીઃ વિશ્વના શાનદાર ક્રિકેટ કોમેન્ટેટર્સનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે, માં હર્ષ ભોગલેનું નામ આવે છે. તેમણે કોમેન્ટરીમાં કામ કરતાં 40 વર્ષ પૂરાં થઈ ગયાં છે. તેમણે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ દ્વારા તેમની કેરિયરની સ્ટોરી જણાવી છે. એનો પ્રારંભ 10 સપ્ટેમ્બર, 1983માં થયો હતો.
તેમણે ઇન્સ્ટાગ્રામ અને એક્સ અકાઉન્ટ પર દૂરદર્શનથી મળેલી ઇન્વિટેશનની સ્લિપ મળી હતી. તેમણે સાથે કેપ્શનમાં લખ્યું હતું કે આજથી ચાર દાયકા પહેલાં આ દવસે મને પહેલો ODIનો અનુભવ મળ્યો હતો. મને આજે પણ એ યુવક યાદ છે, જે તકોની શોધમાં હતો અને DD-હૈદરાબાદ પ્રોડ્યુસરે તેને તક આપી હતી. આગામી દિવસોમાં બે કોમેન્ટરી સ્ટિંટ્સ હતી. આગામી 14 મહિનાઓમાં મને બે અને ODI અને ટેસ્ટ મેચપર કોમેન્ટરી કરવાની કૃતક મળી. હું એ માટે આભાર વ્યક્ત કરું છું.
એ સાથે તેમણે પહેલી ODIની પે-સ્લિપ પર શેર કરી છે, જેમાં ઉપર દૂરદર્શન લખ્યું છે અને નીતે ફી તરીકે રૂ. 350 લખ્યા હતા. હર્ષ ભોગલેએ કરિયરમાં 40 વર્ષ પૂરાં થવા પર ફેન્સને શુભ્ચ્છાઓ આપી હતી. તેમણે વીતેલાં વર્ષોમાં શાદરાર કોમેન્ટરી કરી હતી. ગયા વર્ષે કોહલીએ પાકિસ્તાન સામે T20 મેચમાં ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી, એમાં ભોગલેએ કોમેન્ટરી કરી હતી. જે આજ સુધી લોકોને યાદ છે. તેમનો અવાજ ક્રિકેટપ્રેમીઓના હ્દયમાં ગૂંજતો રહેશે.