Home Blog Page 254

સીદી ભાઈને સદકાં વહાલાં

 

સીદી ભાઈને સદકાં વહાલાં

પોતાનું બાળક કોઈ પણ માને દુનિયાનું સુંદરમાં સુંદર બાળક દેખાય. સીદી અથવા શીદી ભારતીય ઉપમહાદ્વિપમાં વસતો એક માનવ સમુદાય છે, જેમનુ મુળ વતન આફ્રિકા છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્રપ્રદેશ તેઓની વસ્તીનાં મુખ્ય કેન્દ્ર છે.

ગુજરાતમાં મુખ્યત્વે જુનાગઢ જિલ્લાનાં તાલાલા વિસ્તારમાં તેઓની ઘણી વસતી છે. ‘હબસી’ તરીકે પણ ઓળખાતા સીદીઓ રંગેરૂપે બહુ કદરૂપા દેખાય છે.

આ બહારી દેખાવ આપણા માટે છે પણ જ્યાં પ્રેમ હોય, સાચા હ્રદયની લાગણી હોય ત્યાં આ કદરૂપા હોવું એ ગૌણ બની જાય છે. ગાંડાઘેલાં હોય તોપણ પોતાનાં બાળકો માવતરને વહાલાં હોય છે, પ્રેમ અને વાત્સલ્યને લીધે દરેક માતપિતાને પોતાનાં સંતાન રૂપાળાં લાગે છે.

સીદીને મન પણ પોતાનું બાળક સૌથી રૂપાળું હોય છે. આમ પોતાનું ખરાબ હોય તે પણ પોતાને ગમતું હોય ત્યારે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

૨૦૪૭માં સાંસ્કૃતિક અખંડ ભારતનો સંકલ્પ કરીએ – ડૉ. મોહન ભાગવત

મુંબઈ:ભારત પર ૮૦૦ કરતાં પણ વધારે વર્ષોનાં પરકીય શાસન છતાં ભારતનું અસ્તિત્વ ટકી રહ્યું છે. હવે ૨૦૪૭માં સાંસ્કૃતિક અખંડ ભારત સાકાર કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ મુજબનો પડકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે શ્રોતાઓ સમક્ષ મૂક્યો હતો. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત ‘સંઘ યાત્રાના ૧૦૦ વર્ષો : નવી ક્ષિતિજ’ નામના બે દિવસીય કાર્યક્રમમાં તેમણે મુંબઈના ૯૦૦થી વધુ મહાનુભાવો સાથે સંવાદ સાધ્યો. નહેરુ સેન્ટર, વર્લી ખાતે કાર્યક્રમના બીજા દિવસે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ડૉ. મોહનજી ભાગવતે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, સામાજિક તથા સાંસ્કૃતિક વિષયો પર પૂછાયેલા વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. આ પ્રસંગે મંચ પર પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા, કોકણ પ્રાંત સંઘચાલક અર્જુન ચાંદેકર અને મુંબઈ મહાનગર સંઘચાલક સુરેશ ભગેરિયા ઉપસ્થિત હતા.ઉપસ્થિતોએ પૂછેલા કુલ ૧૪૩ પ્રશ્નોને ૧૪ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. સંઘની નીતિ, હિંદુત્વ, રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય, શિક્ષણ, અર્થતંત્ર, રાજકારણ, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા, સંસ્કૃતિ, કલા, ક્રીડા, ભાષા, જીવનશૈલી, પર્યાવરણ વગેરે વિષયોના પ્રશ્નો પર સરસંઘચાલકે સચોટ ઉત્તરો આપ્યા.બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અંગે બોલતાં સરસંઘચાલકે ત્યાંના સવા કરોડ હિંદુઓને સંગઠિત થવા આહ્વાન કર્યું. એવું બનશે તો અત્યાચાર આપમેળે અટકશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નહીં પરંતુ હિંદુ જ સંઘનો સરસંઘચાલક બને છે, એમ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે સરસંઘચાલક બનવા માટે જાતિ એ કોઈ માપદંડ નથી. જે કામ કરે એ કોઈ પણ સ્વયંસેવક પોતાની ક્ષમતાના આધારે સરસંઘચાલક બની શકે. ભવિષ્યમાં અનુસૂચિત જાતિ કે જનજાતિના કાર્યકર્તા પણ સરસંઘચાલક બની શકે છે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.સમાજમાં પ્રચલિત ઊંચ-નીચ નાં ભેદભાવના કારણે જેમની સાથે પેઢી દર પેઢી અન્યાય કે અત્યાચાર થયો છે તેઓનો સર્વાંગી વિકાસ ન થાય ત્યાં સુધી સંવિધાન પ્રદત્ત આરક્ષણ ચાલુ રહેવું જોઈએ — એવી સંઘની સ્પષ્ટ ભૂમિકા તેમણે સ્પષ્ટ કરી.સંઘના સ્વયંસેવકોએ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો અને પ્રયાસોમાં ભાગ લેવો જોઈએ, પરંતુ માત્ર કાયદા બનાવી ભ્રષ્ટાચાર નાબૂદ થતો નથી; તેના માટે સંસ્કારયુક્ત સમાજનું મન ઘડવું પણ એટલું જ જરૂરી છે. કોઈ પણ વ્યવસ્થા મૂળભૂત રીતે ભ્રષ્ટ નથી; તેમાં કામ કરનાર વ્યક્તિનું મન ભ્રષ્ટ બને ત્યારે જ વ્યવસ્થા ભ્રષ્ટ બને છે — એ બાબત તરફ પણ તેમણે ધ્યાન દોર્યું.બળજબરી કે લાલચ આપી થતું ધર્માંતરણ નિંદનીય છે અને તેનો જવાબ ‘ઘરવાપસી’ હશે, એમ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ કે સ્વપ્રેરણાથી ધર્માંતરણ કરે તો તેનો વિરોધ નથી. વસ્તીનું પ્રમાણ ફક્ત જન્મદર ઘટાડાથી નહીં, પરંતુ ધર્માંતરણ અને ગેરકાયદેસર ઘુસણખોરીથી પણ બદલાય છે અને ગેરકાયદેસર ઘુસણખોરી બાબતે ‘ડિટેક્ટ એન્ડ ડિપોર્ટ ’ની નીતિ કડક રીતે અમલમાં લાવવાની જરૂર છે. વિદેશી ગેરકાયદે ઘુસણખોરોને રોજગાર આપવાને બદલે આપણા દેશના હિંદુ કે મુસ્લિમોને કેમ ન આપવો? એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો.હિંદુ અને શીખ અગાઉથી એક જ હતા અને આજે પણ રોટી-બેટીનો વ્યવહાર છે અને લોહીના સંબંધો છે. પૂજાપદ્ધતિ અલગ હોઈ શકે, તેમની વિશેષતાને માન્યતા આપવી જોઈએ, પરંતુ તેઓ અલગ નથી. આપણે બધા એક જ પરંપરામાંથી આવ્યા છીએ. ગુરુ ગ્રંથ સાહેબમાં ફક્ત શીખ ગુરુઓની નહીં, પરંતુ સમગ્ર ભારતના સંતોની વાણી સંકલિત છે. શીખોનાં નવમ ગુરુ શ્રી ગુરૂ તેગ બહાદુર જી કે જેઓ ‘હિન્દની ચાદર’ તરીકે ઓળખાતા તેમણે પોતાનું બલિદાન કાશ્મીરી પંડિતોની રક્ષા માટે આપ્યું હતું એ ભૂલવું ન જોઈએ. સમાજ તરીકે આપણે બધા એક છીએ, એ યાદ રાખવું જોઈએ. હિંદુ નામે અલગ કોઈ ધર્મ નથી; આજે જેને હિંદુ ધર્મ કહે છે, તે જ પ્રાચીન સનાતન ધર્મ છે. તથાગત બુદ્ધે પોતાના પ્રવચનો દ્વારા સનાતન ધર્મમાં સમયસુસંગત સુધારા કર્યા અને આધુનિક કાળમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેનો પુનરોચ્ચાર કર્યો, એમ તેમણે જણાવ્યું.આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, ફિલ્મ જગતનાઅભિનેતાઓ, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, કાનૂની નિષ્ણાતો, ખેલાડીઓ, મીડિયા પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓના સભ્યો, ધર્મગુરુઓ, લેખકો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને જાહેરાત ક્ષેત્રના વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માટે સંઘે વ્યાપક સંપર્ક કર્યો હતો જેના ફળસ્વરૂપે આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા, સજ્જન જિંદલ, અજય પિરામલ, કુમાર મંગલમ બિરલા, અનન્યા બિરલા, એલ & ટી ના સીઇઓ એસ. સુબ્રમણ્યન, HDFC બેંકના સીઇઓ શશીધર જગદીશન, મોર્ગન સ્ટેનલીના રિધમ દેસાઇ, અભિનેતા અક્ષય કુમાર, વિકી કૌશલ, અનન્યા પાંડે, સંગીતકાર પ્રીતમ, હૃદયનાથ મંગેશકર, કરણ જોહર, રવિના ટંડન, શિલ્પા શેટ્ટી, સુબોધ ભાવે, મહેશ માંજરેકર, જેકી શ્રોફ, વિનીત કુમાર સિંઘ, રવિ દૂબે, રૂપાલી ગાંગુલી, અક્ષય વિધાની સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.

સંસદ ચાલશે કે થશે હંગામો?: રાહુલ ગાંધીએ કહ્યું, એક સમજૂતી થઈ

નવી દિલ્હીઃ સંસદમાં ચર્ચા અને તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતા છે. વિપક્ષી પક્ષો લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. સ્પીકર વિરુદ્ધ નોટિસ ક્યારે આપવી તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે. ભાજપની મહિલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિનંતી કરી છે કે સસંદમાં અયોગ્ય અને શરમજનક વર્તન કરનાર વિપક્ષી સાંસદો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આવાં કૃત્યો લોકતંત્રની સંસ્થાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.

લોકસભાની કાર્યવાહી સતત અવરોધિત થઈ રહી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ચર્ચા અને વડા પ્રધાનના ભાષણ વગર જ હંગામા વચ્ચે ધ્વનિમતથી પસાર થયો. બજેટ પર ચર્ચા પણ હજી શરૂ થઈ શકી નથી. ચાલુ ગતિવિધિઓમાં અવરોધ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ પરિસ્થિતિ સુધારવા માટે તમામ પક્ષોના ફ્લોર લીડરોની બેઠક બોલાવી હતી. આ બેઠક પછી સંકેત મળ્યા છે કે 10 ફેબ્રુઆરીએ સદનની કાર્યવાહી સુચારુ રીતે ચાલી શકે છે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંકેત આપ્યો કે સંસદ ચાલી શકે છે. તેમણે જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરીએ કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે અંગે હાલ સહમતી બની છે. એક સમજૂતી થઈ છે અને અમને સંસદમાં જે બોલવું છે તે બોલવાની મંજૂરી મળશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે સ્પીકર સાથેની બેઠકમાં અમે કેટલાક મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. પ્રથમ, મને બોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી. બીજું, અમારા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્રીજું, ભાજપના એક સભ્યે સતત બોલવાનું ચાલુ રાખ્યું અને એક પુસ્તકમાંથી ઉલ્લેખ પણ કર્યો, છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી.

વડા પ્રધાનમંત્રી સત્યનો સામનો કરી શકતા નથી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સોમવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં આવવાથી ડરે છે, કારણ કે તેઓ તે સત્યનો સામનો કરી શકતા નથી, જેને તેઓ પૂર્વ સેનાપ્રમુખ એમ. એમ. નરવણેની પુસ્તકના એક અંશના ઉલ્લેખ દ્વારા રજૂ કરવા માગતા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે વડા પ્રધાન પર કોઈ વિપક્ષી સભ્ય દ્વારા હુમલો કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જો કોઈ આવી હરકત કરે તો તેની સામે FIR નોંધાવીને તરત જ ધરપકડ કરવી જોઈએ.

‘વિધાતા’ ની ભૂમિકા દિલીપકુમારના નસીબમાં લખાયેલી હતી!

ભારતીય સિનેમાના ઇતિહાસમાં 1982માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિધાતા’ એક સીમાચિહ્ન સમાન ગણાય છે. સુભાષ ઘાઈ માટે આ ફિલ્મ માત્ર એક વ્યાવસાયિક સફળતા નહોતી પરંતુ દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની એક અગ્નિપરીક્ષા હતી. આ ફિલ્મની કાસ્ટિંગ પ્રક્રિયા એટલી રસપ્રદ છે કે તેના પરથી જ એક આખી ફિલ્મ બની શકે.

સુભાષ ઘાઈએ વિવિધ ઇન્ટરવ્યુમાં જણાવ્યા મુજબ ફિલ્મની શરૂઆત બિલકુલ અલગ રીતે થઈ હતી. નિર્માતા ગુલશન રાયે 1980 માં જ્યારે આ પ્રોજેક્ટ વિચાર્યો ત્યારે તેમના મનમાં દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનની જોડી હતી. તે સમયે અમિતાભ બચ્ચન સ્ટારડમના શિખર પર હતા અને દિલીપકુમાર લાંબા વિરામ બાદ ફરી સક્રિય થયા હતા. જોકે, અમિતાભ બચ્ચન પાસે તારીખો ન હોવાને કારણે અને અમજદ ખાન પણ આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જતાં ફિલ્મની આખી કાસ્ટિંગની જવાબદારી સુભાષ ઘાઈના ખભે આવી પડી હતી.

ઘાઈ માટે સૌથી મોટો પડકાર દિલીપકુમારને નિર્દેશિત કરવાનો હતો. ઘાઈએ એક રમુજી કિસ્સો શેર કર્યો હતો કે જ્યારે તેઓ દિલીપકુમારને મળવા ગયા ત્યારે મનોજકુમારે તેમને ચેતવણી આપી હતી કે દિલીપકુમાર એવા કલાકાર છે જે તમારી આવડતની પહેલા પરખ કરશે. અને દિલીપકુમારે ઘાઈને પૂછ્યું હતું કે તેમણે અગાઉ કઈ ફિલ્મો બનાવી છે. જ્યારે ઘાઈએ ‘કાલીચરણ’ અને ‘વિશ્વનાથ’ જેવી હિટ ફિલ્મોના નામ આપ્યા ત્યારે દિલીપકુમારે તે ફિલ્મો જોયા બાદ જ આ પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી હતી.

ગોવાના શૂટિંગ દરમિયાન જ્યારે પ્રોડક્શનની ગાડી એરપોર્ટ પર ન પહોંચી ત્યારે દિલીપકુમાર ટેક્સી કરીને સેટ પર આવી ગયા હતા. જે તેમની શિસ્ત અને નમ્રતાનો પુરાવો હતો. ફિલ્મમાં સંજય દત્તનું કાસ્ટિંગ પણ એક અકસ્માત જેવું હતું. નિર્માતા ગુલશન રાય જ્યારે સુનીલ દત્તના ઘરે ગયા ત્યારે તેમણે યુવાન સંજય દત્તને જોયો અને નક્કી કર્યું કે આ છોકરો દિલીપકુમારના પૌત્ર તરીકે યોગ્ય લાગશે. ‘વિધાતા’ની કાસ્ટિંગની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં દિલીપકુમાર, સંજીવકુમાર અને શમ્મી કપૂર જેવા ત્રણ મહાન કલાકારો એકસાથે આવ્યા હતા.

સંજીવકુમાર વિશે વાત કરતા સુભાષ ઘાઈએ જણાવ્યું છે કે તે હંમેશા પૂછતા કે ‘દિલીપકુમારની સામે હું ક્યાંક દબાઈ તો નહીં જાઉં ને?’ હકીકતમાં સંજીવકુમાર દિલીપકુમારના પ્રશંસક હોવા છતાં તેમની સાથે સ્પર્ધા કરવામાં થોડા અચકાતા હતા. ઘાઈએ તેમને સમજાવ્યા હતા કે ફિલ્મમાં તેમનું પાત્ર એકદમ અલગ અને મજબૂત છે. શૂટિંગ દરમિયાન જ્યારે આ બંને દિગ્ગજો સામસામે આવતા ત્યારે આખો સેટ શાંત થઈ જતો. શમ્મી કપૂર માટે પણ આ ફિલ્મ ખાસ હતી. તેમને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

દિલીપકુમાર પોતે શમ્મી કપૂરના રોલ માટે ખૂબ જ આગ્રહી હતા અને ઘાઈને કહેતા કે શમ્મીના સીન્સ ખૂબ જ પ્રભાવશાળી હોવા જોઈએ. હીરોઈનની શોધ પણ કંઈ ઓછી રસપ્રદ નહોતી. ઘાઈ પહેલા રતિ અગ્નિહોત્રીને લેવા માંગતા હતા પરંતુ નિર્માતા ગુલશન રાયે તેમના વિશે નકારાત્મક વાતો સાંભળી હોવાથી ના પાડી દીધી હતી. અંતે પદ્મિની કોલ્હાપુરેની પસંદગી થઈ હતી. પદ્મિની તે વર્ષે ત્રણ મોટા સુપરસ્ટાર્સ (દિલીપકુમાર, દેવ આનંદ અને રાજ કપૂર) સાથે કામ કરી રહી હતી. તેની એનર્જી અને ડાન્સિંગ સ્કીલ્સે ‘સાત સહેલિયાં’ ગીતને અમર બનાવી દીધું.

જેકી શ્રોફની વાત કરીએ તો તેઓ આ ફિલ્મમાં એક નાનો રોલ લેવા આવ્યા હતા પરંતુ સુભાષ ઘાઈએ તેમનો ચહેરો જોઈને જ કહી દીધું હતું કે ‘તું અત્યારે નાનો રોલ ન કર, હું તને મોટી ફિલ્મમાં લોન્ચ કરીશ.’ અને આ રીતે ‘વિધાતા’ના સેટ પરથી જ ‘હીરો’ ફિલ્મનો પાયો નખાયો હતો. ફિલ્મના વિલન અમરીશ પુરી માટે પણ ‘વિધાતા’ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. ‘જગાવર ચૌધરી’ના પાત્રમાં તેમની ગર્જના અને દેખાવે તેમને બોલીવુડના સૌથી ખતરનાક વિલન બનાવી દીધા હતા. મજાની વાત એ હતી કે અમરીશ પુરીના મોટાભાઈ મદનપુરી આ ફિલ્મમાં હતા પરંતુ તેઓ અમરીશ પુરીના હાથ નીચે કામ કરતા એક ગૌણ પાત્રમાં હતા.

સુભાષ ઘાઈએ દરેક કલાકારના વ્યક્તિત્વનો ઉપયોગ કરીને આ ફિલ્મને એક કલ્ટ ક્લાસિક બનાવી હતી. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી અને ૧૯૮૨ની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. સુભાષ ઘાઈને ‘વિધાતા’એ શીખવ્યું કે જ્યારે તમારી પાસે દિગ્ગજ કલાકારો હોય ત્યારે તમારે માત્ર દિગ્દર્શક તરીકે નહીં પરંતુ એક કુશળ મેનેજર તરીકે પણ કામ કરવું પડે છે. આ ફિલ્મની કાસ્ટિંગની વાતો આજે પણ નવોદિત ફિલ્મમેકર્સ માટે એક પાઠ સમાન છે. કેવી રીતે યોગ્ય પાત્ર માટે યોગ્ય કલાકારની પસંદગી કરવી અને તેમનું સંચાલન કરવું કે ફિલ્મને ઈતિહાસમાં અમર બનાવી શકે.

૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬

પંચાંગ 10/02/2026

બોર્ડર 2 બાદ સની દેઓલની ધુંઆધાર ફિલ્મ ‘લાહોર 1947’ની રિલીઝ તારીખ જાહેર

‘બોર્ડર 2’ બાદ અભિનેતા સની દેઓલની બીજી એક ધુંઆધાર ફિલ્મ આવી રહી છે. સની દેઓલની ફિલ્મ ‘લાહોર 1947’ ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસની આસપાસ રિલીઝ થશે.

આમિર ખાન પ્રોડક્શન્સે તેમના આગામી પીરિયડ ડ્રામા ‘લાહોર 1947’ની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. આ ફિલ્મ સની દેઓલ દિગ્દર્શક રાજકુમાર સંતોષી અને નિર્માતા આમિર ખાન વચ્ચેનો પ્રથમ સહયોગ છે. આ ફિલ્મ 13 ઓગસ્ટ, 2026 ના રોજ સ્વતંત્રતા દિવસની નજીક સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આમિર ખાને ફિલ્મ વિશે શું કહ્યું?

આમિર ખાને ફિલ્મ વિશે કહ્યું,”આ ધરમજીની પ્રિય સ્ક્રિપ્ટોમાંની એક હતી. જો તેઓ તેને જોઈ શક્યા હોત તો મને ખૂબ આનંદ થયો હોત.”

ફિલ્મની સ્ટારકાસ્ટ

‘લાહોર 1947’માં સની દેઓલ, શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા અને કરણ દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાન દ્વારા રચિત છે, અને ગીતો જાવેદ અખ્તર દ્વારા લખાયેલા છે.

સની દેઓલનું કાર્યક્ષેત્ર

સની દેઓલ તાજેતરમાં વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી અભિનીત ફિલ્મ ‘બોર્ડર 2’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. સની દેઓલ ટૂંક સમયમાં ‘ઇક્કા’, ‘રામાયણ 1’ અને ‘રામાયણ 2’ માં જોવા મળશે.

ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન

ગાંધીનગર: રાજ્ય સરકારે એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે. આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે.નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રીક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે. આ જિલ્લાઓમાં પોલીસ આઉટપોસ્ટ્સ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો, વન્યજીવ મોનિટરિંગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબૂત કનેક્ટિવિટી દ્વારા સિક્યુરિટી અને સ્ટેબિલિટી વધવા સાથે રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી પણ આ LoIનું અમલીકરણ થવાથી સુનિશ્ચિત થશે.

આ પહેલ અંતર્ગત રાજ્યની શાળાઓમાં શિક્ષણ માટે સ્માર્ટ કનેક્ટિવિટી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં (PHC)આરોગ્ય સુખાકારીની સેવાઓ અને ટેલિ-મેડિસિન સુવિધાઓ સરળતાએ અને ઝડપથી ઉપલબ્દ્ધ થશે. સાથોસાથ વિવિધ સરકારી એજન્સીઓ, વિભાગો, શાળાઓ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના કેપેસિટી બિલ્ડીંગ માટેના સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું ભવિષ્યમાં આયોજન કરાશે. રાજયમાં સીમલેસ અને ઇઝી કનેક્ટિવિટીની જરૂરિયાતોના સંદર્ભમાં આ LOIના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓની જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગાંધીનગરમાં આ LoI એક્સચેન્જ સેરેમની યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિંક તરફથી સ્ટારલિંક ઇન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે આ LoIની પરસ્પર આપ-લે કરી હતી. રાજ્યની જી.આઈ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરિટાઈમ-પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલિસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના વિષયો આ LOIમાં આવરી લેવાયા છે.

શ્રીલંકાને વાઇબ્રન્ટ સમિટ 2027માં જોડાવા ગુજરાતનું આમંત્રણ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે શ્રીલંકાના શાસક પક્ષના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વા અને પ્રતિનિધિ મંડળ આવ્યું. મુખ્યમંત્રીએ આ ડેલિગેશનને ગુજરાતમાં આવકાર્યું. બે દેશો વચ્ચે લાંબાગાળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને જે વધુ ગતિ મળી છે તેમાં આ બેઠક ફળદાયી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે ગુજરાત પોલીસી ડ્રિવન સ્ટેટ છે ત્યારે વિવિધ સેક્ટર્સની પોલીસીઝનો લાભ શ્રીલંકા પોતાના રસ ધરાવતા સેક્ટર્સ માટે લઈ શકે તે માટે રાજ્ય સરકાર અને શ્રીલંકા વચ્ચે પરસ્પર સંકલનની હિમાયત કરી હતી. એટલું જ નહીં, વધુને વધુ ગુજરાતીઓ શ્રીલંકા પ્રવાસે જઈ શકે તે દિશામાં પણ આયોજન માટે ચર્ચા-વિમર્શ આ બેઠકમાં કર્યા હતા.જે.વી.પી.ના જનરલ સેક્રેટરી મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભૂમિ એવા ગુજરાત અને ભારતની તેમની આ પ્રથમ મુલાકાતથી તેઓ ભાવવિભોર થયાની અને ગુજરાતની પ્રગતિથી પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરી હતી.તેમણે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલા પ્રદર્શન માટે ગુજરાતે આપ્યા છે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રીયુત ટિલ્વિન સિલ્વાએ જરૂરિયાતના સમયે ભારતે હંમેશા શ્રીલંકાને ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સહિતની મદદની તત્પરતા દર્શાવી છે અને પડખે ઉભું રહ્યું છે તેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.તેમણે ગુજરાત-શ્રીલંકાની ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી અંગે પણ ઉત્કૃષ્ટતા દર્શાવી હતી અને અમૂલની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરીને સહકાર ક્ષેત્ર સહિતના વિવિધ સેક્ટર્સમાં ગુજરાત પાસેથી એક્સપર્ટિઝ, નોલેજ શેરિંગ અને ક્નો-હાઉ વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. મુખ્યમંત્રીએ આગામી વાઇબ્રન્ટ સમિટ 2027માં શ્રીલંકાને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

રિઝર્વ બેન્ક નાણાકીય સાક્ષરતા સપ્તાહ ઊજવશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) નવથી 13 ફેબ્રુઆરી દરમિયાન “KYC – Your First Step to Safe Banking” થીમ સાથે નાણાકીય સાક્ષરતા વીક 2026 ઊજવી રહી છે. આ પહેલનું ઉદ્ઘાટન RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ મુંબઈમાં કર્યું હતું. આ સપ્તાહ દરમિયાન RBI, બેંકો અને અન્ય સંસ્થાઓ સાથે મળીને દેશભરમાં જાગૃતિ કાર્યક્રમો યોજી રહી છે.

નાણાકીય સાક્ષરતા વીક 2016થી RBI દ્વારા દર વર્ષે ઊજવવામાં આવે છે, જેથી લોકોમાં નાણાકીય બાબતો અંગે સમજ વધે. દર વર્ષે એક ખાસ થીમ નક્કી કરવામાં આવે છે. 2026માં KYC પાલન અને સુરક્ષિત તથા અવરોધરહિત બેંકિંગ સેવાઓમાં તેની ભૂમિકા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

KYC પાલનનું મહત્ત્વ

KYC (Know Your Customer) એ એવી પ્રક્રિયા છે જેમાં બેંકો ગ્રાહકની ઓળખ અને સરનામાની ચકાસણી કરે છે. બેંક એકાઉન્ટ ખોલવા અને મોટા ભાગની નાણાકીય સેવાઓ મેળવવા માટે આ પ્રક્રિયા ફરજિયાત છે. જોખમ વર્ગીકરણ મુજબ બેંકોને સમયાંતરે ગ્રાહકની માહિતી અપડેટ કરવી જરૂરી છે.

RBIએ સ્પષ્ટ કર્યું છે કે KYC અપડેટ ન કરવા અથવા વિલંબ કરવા પર બેંક ખાતા પર પ્રતિબંધ લાગી શકે છે, જેમાં રૂપિયા ઉપાડવા અને ટ્રાન્સફર કરવાની મર્યાદા પણ સામેલ છે. આ અભિયાન હેઠળ RBI KYC પ્રક્રિયા અને માહિતી અપડેટ કરવાની રીત અંગે સમજ આપી રહી છે.

છેતરપિંડીના જોખમ અને મની મ્યુલ

નાણાકીય સાક્ષરતા વીક 2026 દરમિયાન KYC સંબંધિત ઠગાઈ અંગે જાગૃતિ પણ એક મુખ્ય મુદ્દો છે. RBIએ ગ્રાહકોને ચેતવણી આપી છે કે KYC અપડેટ કરવા માટે આવતા અજાણ્યા ફોન, મેસેજ અથવા લિંક્સનો જવાબ ન આપવો. આવા સંદેશાઓ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવી અથવા બેંક ખાતામાં ગેરકાયદે પ્રવેશ મેળવવાનો પ્રયાસ થતો હોય છે.

આ અભિયાનમાં “મની મ્યુલ” પ્રવૃત્તિ અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે, જેમાં લોકો પોતાના બેંક ખાતાનો ઉપયોગ ગેરકાયદે નાણાંના લેવડદેવડ માટે કરવા દે છે. RBI મુજબ ખાતાધારક પોતાના ખાતામાં થતી તમામ લેવડદેવડ માટે જવાબદાર ગણાશે.

પ્રાદેશિક સ્તરે જાગૃતિ કાર્યક્રમો

RBIની પ્રાદેશિક કચેરીઓ, જેમાં પણજી રિજનલ ઓફિસ પણ સામેલ છે, બેંકો અને સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને જાગૃતિ અને આઉટરીચ કાર્યક્રમો યોજી રહી છે. આ પ્રયાસો અગાઉના નાણાકીય સમાવેશ અભિયાન અને બેંક ખાતાના re-KYC અભિયાનને આધારે કરવામાં આવી રહ્યા છે.