Home Blog Page 2568

૨૯ ઓગસ્ટ, ૨૦૨૩

૨૯ ઓગસ્ટ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 29/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.

આઇસી15 ઇન્ડેક્સ 252 પોઇન્ટ ઘટ્યો 

મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે નાણાં નીતિનું સાવચેતીભર્યું વલણ જાહેર કર્યું એને પગલે સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.74 ટકા (252 પોઇન્ટ) ઘટીને 33,992 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,244 ખૂલીને 34,391ની ઉપલી અને 33,838 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના પોલીગોન સિવાયના તમામ કોઇન ઘટ્યા હતા. એક્સઆરપી, શિબા ઇનુ, અવાલાંશ અને ડોઝકોઇનમાં 1થી 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, ભારતે ક્રીપ્ટોકરન્સી માટે વૈશ્વિક સ્તરે સમાન નિયમનકારી માળખું રચવાની હાકલ જી-20 સમિટમાં કરી છે. બીજી બાજુ, અમેરિકાના નાણાં ખાતાએ ક્રીપ્ટોકરન્સી બ્રોકર્સ, એક્સચેન્જીસ અને પેમેન્ટ પ્રોસેસર્સ માટે નવી માર્ગદર્શિકા પ્રસ્તાવિત કરી છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદી સાથે ફોન પર વાત કરી, કહ્યું- વિદેશ મંત્રી G20 કોન્ફરન્સમાં ભાગ લેશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે G20 સમિટ ઈન્ડિયા અંગે ચર્ચા કરી. બંને નેતાઓએ બ્રિક્સના વિસ્તરણ સહિત દક્ષિણ આફ્રિકામાં તાજેતરના બ્રિક્સ સમિટમાં થયેલા કરારોના મહત્વ વિશે પણ ચર્ચા કરી હતી. પીએમઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી અને દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી. બંને નેતાઓ મોટા પાયે ઉર્જા પરિયોજનાઓ અમલમાં મૂકવા, લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવા ઈચ્છે છે. બંને દેશો વચ્ચે અવકાશ સહયોગ વિકસાવવાના ઈરાદાની પણ પુષ્ટિ કરી.

પુતિન જી-20 સમિટ માટે ભારત નહીં આવે

પીએમઓએ માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ પુતિને 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે રશિયાનું પ્રતિનિધિત્વ રશિયન ફેડરેશનના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ કરશે. રશિયાના નિર્ણય સાથે સંમત થતા વડાપ્રધાને ભારતના G20 અધ્યક્ષપદ હેઠળની તમામ પહેલોને રશિયાના સતત સમર્થન માટે રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો.

ચંદ્રયાન 3: પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર ઊંડા ખાડાની નજીક પહોંચ્યું, ISROએ તસવીરો જાહેર કરી

ચંદ્રયાન-3 મિશનનું રોવર પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચાલી રહ્યું છે. ઈસરોએ સોમવારે રોવરની કેટલીક વધુ તસવીરો જાહેર કરી છે. ઉપરાંત, ઈસરોએ જણાવ્યું કે રવિવારે રોવર એક મોટા ખાડા પર પહોંચી ગયું હતું. જો કે, તે સુરક્ષિત રીતે પાછો ફર્યો. ફોટો શેર કરતા, ISROએ ટ્વીટ કર્યું (હવે X) કહ્યું, “27 ઓગસ્ટના રોજ, ચંદ્રયાન-3 મિશનનું રોવર પ્રજ્ઞાન તેના સ્થાનથી 3 મીટર આગળ 4 મીટર વ્યાસના ખાડા પર પહોંચ્યું હતું. આદેશ આપવામાં આવ્યો હતો. તે છે. હવે સુરક્ષિત રીતે નવા અભ્યાસક્રમ પર આગળ વધી રહ્યા છીએ.

 

ચંદ્રની સપાટીનો ગ્રાફ બહાર પાડવામાં આવ્યો હતો

આ પહેલા રવિવારે, ISROએ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર સાથે જોડાયેલ ચેસ્ટ પેલોડની ચંદ્ર સપાટી પર માપવામાં આવેલા તાપમાનના તફાવતનો ગ્રાફ બહાર પાડ્યો હતો. ISRO દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્રાફમાં, ચંદ્રની સપાટીનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ દેખાય છે. ઈસરોએ જણાવ્યું હતું કે પેલોડમાં તાપમાનની તપાસ છે જે સપાટીથી 10 સેમીની ઊંડાઈ સુધી પહોંચવામાં સક્ષમ છે. તેમાં 10 ટેમ્પરેચર સેન્સર છે. તમને જણાવી દઈએ કે ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું.

23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું

તેના લેન્ડર મોડ્યુલે 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પ્રજ્ઞાન લેન્ડિંગના થોડા કલાકો બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યું હતું. આ પહેલા કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યો ન હતો. આમ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો છે.

પદ્મ પુરસ્કાર સમ્માનિત કલાકારો દ્વારા પાન મસાલા, ગુટકાનો પ્રચાર? કોર્ટ ધૂઆંફૂઆં

લખનઉઃ પાન મસાલા અને ગુટકા ચાવવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એનાથી કેન્સર થાય છે. આવી લાઈન પાન મસાલા અને ગુટકાની જાહેરખબરોમાં તો બધાએ સાંભળી જ હશે, પણ શું માત્ર આ લાઈન સાંભળીને લોકો ગુટકા, પાન મસાલા ખાવાનું છોડી દેશે? જ્યારે બીજી બાજુ, દેશના નામાંકિત ફિલ્મ કલાકારો તો લોકોને આ ચીજો ખાવાની સલાહ આપે છે. વળી, ગુટકા, પાન મસાલાની જાહેરખબર એવા કલાકારો કરી રહ્યા છે જેમને દેશ તરફથી પદ્મ પુરસ્કારો એનાયત કરીને સમ્માનિત કર્યા છે. પરંતુ હવે કદાચ એવું નહીં બને. કારણ કે ગુટકા, પાન મસાલા બનાવતી કંપનીઓ અને એમનો પ્રચાર કરતા અભિનેતાઓ જેમ કે, અજય દેવગન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની મુસીબત વધી શકે છે.

અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે મોતીલાલ યાદવ નામના એક વકીલ અરજદારની અરજી પર સુનાવણી કરવાનું નક્કી કર્યું છે. કોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ અને કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરિટીના મુખ્ય કમિશનરની ઝાટકણી કાઢી છે અને એમને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે. ન્યાયમૂર્તિ રાજેશસિંહ ચૌહાણે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરિટીનાં મુખ્ય કમિશનર નિધિ ખરેને નોટિસ મોકલી છે અને ચાર સપ્તાહમાં કોર્ટમાં એમનો જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

અરજદાર વકીલે એવી દલીલ કરી છે કે પદ્મ પુરસ્કારથી સમ્માનિત હસ્તીઓ પાન મસાલા, ગુટકાની જાહેરખબરોમાં કામ કરે એ જરાય ઉચિત નથી અને નૈતિક પણ નથી. એમણે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કોર્ટને વિનંતી કરી છે. કોર્ટે સુનાવણી માટે 9 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.

કોર્ટે અગાઉ ઉક્ત બંને અધિકારીઓને પૂછ્યું હતું કે તમે આ મામલે કોઈ કાર્યવાહી કરી છે કે નહીં, પરંતુ એમની તરફથી કોઈ જવાબ ન આવતાં કોર્ટ રોષે ભરાઈ છે અને અદાલતના તિરસ્કારની નોટિસ એમને ફટકારી છે.

ગુજરાતીઓને ‘ઠગ’ કહેવા બદલ તેજસ્વી યાદવને સમન્સ

અમદાવાદઃ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ માનહાનિના કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કો વધુ સુનાવણી હાથ ધરી હતી. આ મામલે અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 15 સાક્ષીની જુબાની લેવામાં આવી છે તેમ જ ખાનગી ન્યૂઝ ચેનલ પાસેથી તેજસ્વી યાદવના વિડિયોના ઓરિજિનલ પ્રૂફ લેવામાં આવ્યા હતા. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે. આ સમન્સમાં તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ કેસની શરૂઆત સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ કરી હતી. મહેતાએ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપ લગાવ્યો છે કે તેજસ્વી યાદવની ટિપ્પણી બદનક્ષીનો કેસ છે. તેજસ્વી યાદવની ગુજરાતીઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓને ટાંકીને IPC કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે આ નિવેદનોથી ગુજરાત રાજ્ય અને તેના રહેવાસીઓ બંનેનું અપમાન થયું છે. પરિણામે, ફરિયાદી તેજસ્વી યાદવ સામે કાયદેસરની કાર્યવાહી અને યોગ્ય દંડની માગ કરે છે.

તેજસ્વી યાદવ શું બોલ્યા

આ ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે બિહારના નાયબ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે મિડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફિર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’

 

 

 

 

 

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાના તમામ લક્ષ્ય નિર્ધારિત સમય પહેલા પૂર્ણ

કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાએ રાજ્યમાં ભવ્ય સફળતા મેળવી છે. ત્યારે નડિયાદના આંબેડકર હોલમાં પોસ્ટ વિભાગ દ્વારા સહયોગીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

શ્રમિકો, કામદારોને લાઇફ અને હેલ્થ કવરનો બેવડો લાભ આપતી યોજનાના પાયલોટ પ્રોજેક્ટ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટમાં ખેડાના ૧,૦૩,૫૦૦ સહિત ગુજરાતના ૩,૩૦,૦૦૦ શ્રમિકો, કામદારોને આવરી લેવાયા છે. ખેડા જિલ્લામાં ૧ લાખ પોલિસિ ધારકોને આવરી લેવાનો લક્ષ્ય ૬૦ દિવસને બદલે માત્ર ૪૬ દિવસમાં જ પુર્ણ થયો.

શ્રમિકના આકસ્મિક નિધન સમયે પરિવારને ૧૦ લાખની સહાય, બાળકોના શિક્ષણ ખર્ચ માટે ૧ લાખ, શ્રમિકનો અકસ્માત થાય-દિવ્યાંગ બને તો તેનું વળતર અને હોસ્પિટલમાં સારવાર ખર્ચની ભરપાઈ જેવા લાભ કવર કરવામાં આવ્યા છે.

આ સંદર્ભે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ કે, અન્ય એશિયન દેશોની સરખામણીએ ભારતમાં લાઇફ ઇન્સ્યોરન્સનું પેનીટ્રેશન વધ્યુ છે. વીમા બાબતે લોકોમાં આવેલી જાગૃતિ અને ભારત સરકાર તેમજ ખાસ કરીને પોસ્ટ વિભાગના સક્ષમ પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. તેમણે ઉમેર્યું કે, ટપાલ વિભાગ દેશનું ઇકોનોમિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ત્યારે આ યોજનાના માધ્યમથી દેશના અગત્યના ઇકોનોમિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવા ટપાલ વિભાગ ઉપર જનતાનો ભરોસો વધ્યો છે

મંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને તેનાથી રાષ્ટ્ર નિર્માણની પરિપાટી આપણને આપી છે.  આ ભગીરથ કાર્યની પાછળ સૌ કર્મચારીઓના મનમાં જોબ સેટિસ્ફેક્શન, યોજના સફળ બનાવ્યાનો સંતોષ મેળવવાની ભાવના હતી. શરૂઆતમાં આ ટાર્ગેટ અઘરો લાગતો હતો. પરંતુ ટપાલ વિભાગના કર્મચારીઓ અધિકારીઓનું ગ્રાઉન્ડ વર્ક, ફિલ્ડ પર સતત હાજર રહીને કામ કરવાની પરિપાટી અને પૂરતા ટેકનીકલ સપોર્ટને કારણે આ લક્ષ્યાંક સમયથી પહેલા પરિપૂર્ણ કરી શકાયો છે.

આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંત્યોદય શ્રમિક સુરક્ષાને રાજ્યમાં સફળ બનાવવા બદલ ટપાલ વિભાગ, અમુલ ડેરી અને ખેડા જિલ્લા વહીવટી તંત્રને ટેલિફોનિક ચર્ચા દરમ્યાન અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન લોક ભાગીદારીની શક્તિ જાણે છે અને એટલે જ દરેક યોજના અને અભિયાનમાં પબ્લિક પાર્ટીશીપેશનનો આગ્રહ રાખે છે.

ફ્રાંસે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પર ‘અબાયા’ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો

પેરિસઃ ફ્રાંસમાં હવે મુસ્લિમ વિદ્યાર્થિની અબાયા (નકાબ) નહીં પહેરી શકે. શિક્ષણ મંત્રીએ આ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી દેશની મુસ્લિમ વસતિ નારાજ થાય એવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે ફ્રાંસની સરકારી સ્કૂલોમાં વિદ્યર્થિનીઓ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ચોથી સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. એ સમયથી આ નિર્ણય લાગુ થશે. ફ્રાંસમાં સ્કૂલો અને સરકારી ભવનોમાં ધાર્મિક સંગઠનો પર સખત પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું હતું કે આ સંકેત ધર્મનિરપેક્ષ કાયદાનું ઉલ્લંઘન કરે છે.

અબાયા બુરખાથી અલગ

અબાયા અને બુરખાને કેટલાક લોકો અલગ વસ્તુ સમજે છે, પણ એ અલગ-અલગ હોય છે. અબાયા એ ઢીલું હોય છે, જે શરીરના ખભાથી માંડીને પગ સુધી ઢાંકી રાખે છે. બુરખા આખા શરીરને ઢાંકતું એક કપડું છે, જેમાં આંખોની ઉપર એ જાળીદાર સ્ક્રીન હોય છે. બંને વસ્ત્રો મઙિલાઓ દ્વારા પહેરવામાં આવે છે, પણ બંનેમાં ફરક હોય છે. ફ્રાન્સની સરકારી સ્કૂલોમાં વર્ષ 2004માં હેડસ્કાર્ફ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે શિક્ષણ મંત્રી ગેબ્રિયલ અટાલે ફ્રાન્સને TF1 ટીવીથી કહ્યું હતું કે માત્ર જોઈને વિદ્યાર્થીઓના ધર્મની ઓળખ ના થવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે જ્યારે તમે વર્ગમાં જાઓ છો, ત્યારે તમારે માત્ર વિદ્યાર્થીઓને જોઈને તેમના ધર્મની ઓળખ ના કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે મેં નિર્ણય કર્યો છે હવે સ્કૂલોમાં એ નહીં પહેરવામાં આવે. અબાયા સ્કૂલોમાં ઝડપથી પહેરવામાં આવે છે, જેને કારણે ફ્રાંસમાં એના ઉપયોગ પર રાજકીય વિભાજન થયું હતું. દક્ષિણપંથી પાર્ટીઓ પ્રતિબંધ પર ભાર આપી રહી છે, ત્યાકે વામપંથીઓ મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓના અધિકારો માટે ચિંતા વ્યક્ત કરી રહી છે.

 

 

વિશ્વ સ્પર્ધા જીતીને નીરજ ચોપરા, અર્શદ નદીમ થઈ ગયા માલામાલ

બુડાપેસ્ટ (હંગેરી): ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લીટ નીરજ ચોપરાએ અહીં વિશ્વ એથ્લેટિક્સ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચી દીધો છે. એણે ફાઈનલમાં 88.17 મીટર દૂરના અંતરે ભાલો ફેંકીને પ્રથમ નંબર હાંસલ કર્યો છે. બીજા ક્રમે પાકિસ્તાનનો અર્શદ નદીમ આવ્યો છે, જેણે 87.82 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. આ બંને જણને  જીત બદલ મોટી રકમની બક્ષિસ મળી છે.

આ જીત બદલ નીરજને 70,000 ડોલર મળ્યા છે. ભારતીય ચલણ અનુસાર આ રકમ થાય અંદાજે 58 લાખ રૂપિયા. અર્શદ નદીમને 35,000 ડોલર મળ્યા છે, જે લગભગ રૂપિયા 29 લાખ થાય. નીરજ ચોપરા 2024ની પેરિસ ઓલિમ્પિક્સ માટે ક્વાલિફાઈ ઠર્યો છે. એણે 2021માં ટોકિયો ઓલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો અને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.