Home Blog Page 259

અન્ડર-19 વર્લ્ડ કપઃ ભારતે ઇંગ્લેન્ડને 412 રનનું લક્ષ્ય આપ્યું, વૈભવની ધમાકેદાર ઇનિંગ્સ

નવી દિલ્હીઃ અન્ડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં હરારેના હરારેની સ્પોર્ટ્સ ક્લબમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 50 ઓવરમાં નવ વિકેટે 411 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ શાનદાર 175 રનની ઇનિંગ્સ રમી હતી. આયુષ મહાત્રેએ પણ અડધી સદી ફટકારી હતી.

ભારત તરફથી વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 175 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ હતા. આયુષ મ્હાત્રેએ 53 રન બનાવ્યા. અભિજ્ઞાન કુન્ડુએ 31 બોલમાં 40 અને કનિષ્ક ચૌહાણે 20 બોલમાં 37 રન બનાવ્યા હતા. એરોન જોર્જે 9, ખિલાન પટેલે 3 અને હેનિલ પટેલે 5 રન બનાવ્યા. દીપેશ દેવેન્‍દ્રન ખાતું ખોલ્યા વિના નોટઆઉટ રહ્યા હતા.ઇંગ્લેન્ડ માટે જેમ્સ મિન્ટોએ ત્રણ વિકેટ લીધી. એલેક્સ ગ્રીન અને સેબેસ્ટિયન મોર્ગને 2-2 વિકેટ મેળવી. મેની લમ્સડને એક વિકેટ લીધી. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે ઇંગ્લેન્ડે એક બદલાવ કર્યો છે. બંને ટીમો ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે.

વૈભવની ધમાકેદાર બેટિંગ

વૈભવ સૂર્યવંશીએ અન્ડર-19 વર્લ્ડ કપના ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે શાનદાર સદી ફટકારીને તેણે નવો ઇતિહાસ રચ્યો છે. અંદાજે 14 વર્ષના વૈભવે ઇંગ્લેન્ડના બોલરોને જોરદાર માર માર્યો. શરૂઆત ધીમી હોવા છતાં, ગિયર બદલતા જ મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની વરસાદ વરસાવી દીધી. તે અન્ડર-19 વર્લ્ડ કપના ફાઇનલમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે.

ભારતીય કપ્તાન આયુષે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી. ભારતની પહેલી વિકેટ એરોન જોર્જ તરીકે વહેલી પડી હતી, પરંતુ વૈભવે ઇનિંગ્સ સંભાળી. ત્યાર બાદ આયુષે સાથ આપ્યો. એરોન આઉટ થયા પછી વૈભવે આક્રમક અંદાજમાં બેટિંગ શરૂ કરી અને ચોગ્ગા-છગ્ગાની ઝડી લગાવી. ઇંગ્લેન્ડના ખેલાડીઓને કોઈ ઉપાય સમજાતો નહોતો. પહેલા અડધી સદી અને પછી ઝડપથી સદી સુધી પહોંચ્યો હતો.

ઇંગ્લેન્ડ અન્ડર-19 પ્લેઇંગ ઇલેવન

બેન ડૉકિન્સ, જોસેફ મૂર્સ, બેન મેયસ, થોમસ રીવ (વિકેટકીપર/કપ્તાન), કાલેબ ફાલ્કનર, રાલ્ફી એલ્બર્ટ, ફરહાન અહમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મિન્ટો, મેની લમ્સડન, એલેક્સ ગ્રીન.

ભારત અન્ડર-19 પ્લેઇંગ ઇલેવન

એરોન જોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મહાત્રે (કપ્તાન), વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુન્ડુ (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્‍દ્રન.

ઇસ્લામાબાદમાં નમાજ દરમિયાન બોમ્બવિસ્ફોટઃ 24નાં મોત, 101 ઘાયલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શુક્રવારે જુમાની નમાજ દરમિયાન એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયાની આશંકા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઇસ્લામાબાદ પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘાયલોને ઇસ્લામાબાદના પોલિક્લિનિક, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS) અને CDA હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

rઆ હુમલો ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવની બે દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન થયો છે.

24 લોકોનાં મોત

રાજધાનીના શહજાદ ટાઉન વિસ્તારમાં આવેલા તારલાઈ ઇમામબાડામાં સ્થિત ઇમામબારગાહ ખદીજાત-ઉલ-કુબ્રામાં વિસ્ફોટ થયો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો જુમાની નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે આ વિસ્ફોટ થયો. તેમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયા છે અને 101 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

વિસ્ફોટ કેવી રીતે થયો?

ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરી પોલીસના પ્રવક્તા તાકી જવાદે જણાવ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ શું છે તે અંગે હાલ કંઈ કહેવું વહેલું રહેશે. ફોરેન્સિક ટીમો તપાસ કરશે કે આ આત્મઘાતી હુમલો હતો કે મૂકવામાં આવેલો બોમ્બ હતો. જોકે કેટલીક અન્ય મીડિયા રિપોર્ટ્સમાં તેને આત્મઘાતી હુમલો ગણાવવામાં આવ્યો છે.

મંત્રીએ તેને આતંકી હુમલો ગણાવ્યો

પાકિસ્તાનના સંસદીય મામલાઓના મંત્રી તારિક ફઝલ ચૌધરીએ X (પૂર્વે ટ્વિટર) પર પોસ્ટ કરીને આ હુમલાની આકરી નિંદા કરી અને તેને કાયરતાપૂર્ણ હરકત ગણાવી. તેમણે જાનહાનિ બદલ દુઃખ વ્યક્ત કર્યું અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવી તેમ જ ઘાયલોને જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

તેમણે આગળ કહ્યું: “આવી આતંકવાદી ઘટનાઓ દેશનું મનોબળ ઘટાડીને શકતી નથી. આ સમયે આપણે સૌએ શાંતિ, સહનશીલતા અને સ્થિરતા માટે એકજુટ રહેવાની જરૂર છે અને કાયદો અમલ કરાવતી એજન્સીઓ સાથે એકતા દર્શાવવી જોઈએ. અલ્લા આપણા વતનને દરેક પ્રકારની બુરાઈ અને આતંકવાદથી સુરક્ષિત રાખે.

પશ્ચિમ બંગાળમાં વિખેરાઈ ગયો ઇન્ડિયા બ્લોક?

નવી દિલ્હીઃ વર્ષ 2026માં ઘણાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ જેમાં સૌથી વધુ રસપ્રદ મુકાબલો થવાનો છે તે પશ્ચિમ બંગાળ છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને સત્તાથી દૂર કરવા માટે ભાજપે પૂરું જોર લગાવ્યું હતું, છતાં તે TMCને હરાવી શકી નહોતી. આ વખતે TMCને હરાવવા માટે ભાજપ અત્યારથી જ પોતાની ચૂંટણી વ્યહૂરચના  પર કામ કરી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ સતત રાજ્યના પ્રવાસે જઈ સંગઠન મજબૂત કરી રહ્યા છે અને કાર્યકરોમાં ઉત્સાહ ભરી રહ્યા છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં થવાની છે.

કોંગ્રેસે પણ ‘એકલા ચાલો’નો નિર્ણય કર્યો

બંગાળમાં કોંગ્રેસ, લેફ્ટ, AIMIM અને હુમાયુ કબીરની પાર્ટી પણ ચૂંટણી લડશે. છેલ્લી વખત કોંગ્રેસ અને લેફ્ટે સાથે મળીને ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે બંને સાથે આવશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી. TMCએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, તેથી કોંગ્રેસે પણ ‘એકલા ચાલો’નો નિર્ણય લીધો છે. TMC, કોંગ્રેસ અને લેફ્ટના આ વલણથી બંગાળમાં ‘ઇન્ડિયા’ ગઠબંધન વિખેરાઈ ગયું છે. આ વિખરાવ પાછળ ત્રણેય પક્ષોની પોતાની રાજકીય મજબૂરી છે, જે તેમને એકલા ચૂંટણી લડવા માટે પ્રેરિત કરી રહી છે.

બંગાળ કોંગ્રેસના નેતાઓ TMC સાથે ગઠબંધન નથી ઇચ્છતા

થોડા દિવસ પહેલા બંગાળ કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં રાજ્ય કોંગ્રેસની હાલત અને ચૂંટણી સમીકરણો પર ચર્ચા થઈ હતી. અહેવાલો મુજબ કોંગ્રેસ TMC સાથે મળીને ચૂંટણી લડવા ઇચ્છતી હતી, પરંતુ TMC દ્વારા આપવામાં આવતી બેઠકો બહુ ઓછી હતી. કહેવાય છે કે TMCએ કોંગ્રેસને ફક્ત બે બેઠકોની ઓફર કરી હતી, જે કોંગ્રેસને સ્વીકાર્ય નહોતી.

આ વખતે ત્રિકોણીય મુકાબલાના આસાર ઓછા

માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે કહ્યું હતું કે તેઓ TMC અને ભાજપવિરોધી શક્તિઓને એક કરવા માગે છે. જોકે કોંગ્રેસમાં એક જૂથ એવું પણ છે જે માને છે કે મુકાબલો ત્રિકોણીય બનાવવા માટે લેફ્ટ સાથે ગઠબંધન કરવું જોઈએ. જો કોંગ્રેસ અને લેફ્ટ સાથે નહીં આવે તો મુકાબલો સીધો TMC અને ભાજપ વચ્ચે રહેશે અને કોંગ્રેસ પાછળ રહી જશે. 2021માં લેફ્ટ, કોંગ્રેસ અને ISF સાથે મળીને લડ્યા હતા, પરંતુ ફક્ત ISFને એક બેઠક મળી હતી.

‘છારી-ઢંઢ’ને વૈશ્વિક ‘રામસર સાઇટ’ના દરજ્જાનું પ્રમાણપત્ર

ગાંધીનગર: કચ્છના બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ને સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે. ‘છારી-ઢંઢ’ને મળેલા આ વૈશ્વિક ‘રામસર સાઇટ’ના દરજ્જાનું પ્રમાણપત્ર વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વન વિભાગ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતની આ સિદ્ધિ બદલ મંત્રી સહિત વન વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.છારી-ઢંઢ એ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું છે.

દિવા-જીત અદાણીએ સંસારી જીવનનું પ્રથમ વર્ષ દિવ્યાંગ મહિલાઓ સંગ ઉજવ્યું

અમદાવાદ: દિવા અને જીત અદાણી દ્વારા ૭ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ તેમના લગ્નજીવનને એક વર્ષ પૂર્ણ કર્યું. આ પ્રસંગે ગુરુવારની સાંજે ‘અદાણી  મંગલ સેવા’ નામનો કાર્યક્રમ યોજ્યો. શાંતિગ્રામમાં આવેલી બેલ્વેડેર ક્લબના પટાંગણમાં આ કાર્યક્રમ યોજાયો. દિવ્યાંગોના શ્રેયાર્થની અદાણી યુગલની ધ્યેય નિષ્ઠાને સજોડે સીમાચિહ્નરૂપ બનાવી તેને સેવાનું માધ્યમ બનાવી આ મંગલ ઉત્સવની ઉજાણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રતિ વર્ષ ૫૦૦ દિવ્યાંગ મહિલાઓને ગૌરવ, સ્થિરતા અને સશક્ત બનાવવાની ખાતરી આપવાના વ્યક્તિગત સંકલ્પ સાથે આરંભાયેલો આ કલ્યાણકારી ઉદ્યમ એક માળખાગત સામાજિક સુરક્ષા કાર્યક્રમમાં પરિવર્તિત થયાની અનુભૂતિ સહુને થઇ હતી. અદાણી ફાઉન્ડેશન સંચાલિત ‘અદાણી મંગલ સેવા’ ૨૫ થી ૪૦ વર્ષની દિવ્યાંગ મહિલાઓનો મજબૂત આધાર સ્તંભ બની. તેઓને પ્રોજેક્ટ પાર્ટનર યુથ ફોર જોબ્સ તરીકે યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) કાર્ડ મારફત પ્રસ્થાપિત કરે છે.‘અદાણી મંગલ સેવા’ના અભિયાન હેઠળ પ્રત્યેક લાભાર્થીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે બેંકિંગ ભાગીદારીમાં બનાવવામાં આવેલી રુ.૧૦ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ આપવામાં આવે છે. આ વ્યવસ્થા તળે ૧૦ વર્ષ બાદ મુખ્ય રકમની પહોંચ સાથે ખાતરીપૂર્વક માસિક આવક પૂરી પાડતી હોવાથી લાંબાગાળાની નાણાકીય સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી લંબાય તે રીતે ગોઠવવામાં આવેલી આ સુચારું વ્યવસ્થા વાર્ષિક ૫૦૦ દિવ્યાંગ મહિલાઓને મજબૂત નાણાકીય આધાર આપે છે. લાંબા અરસા સુધી આ પહેલની અસરને ટકાવી રાખવા માટે વાર્ષિક રુ.૫૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવે છે.​’સેવા હી સાધના હૈ’ મતલબ અવિરત સેવા, શિસ્તબદ્ધ અને પ્રતીકવાદ કરતાં મૂળમાં જવાબદારી હોવી જોઈએ તેવી અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની માન્યતાથી પ્રેરીત અદાણી મંગલ સેવાને માર્ગદર્શન આપતી આ વયક્તિક ફિલસૂફીએ આ પહેલની રચના અને તેના અમલીકરણને આકાર આપવા સાથે એક પારિવારિક સીમાચિહ્નને સતત સામાજિક પ્રતિબદ્ધતામાં રૂપાંતરિત કરી છે.​ગૌતમ અદાણીએ ટ્વીટ કરી જીત અને દિવાને વૈવાહિક જીવનનું એક વર્ષ પૂર્ણ કરી રહ્યાના સુખદ અવસરે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.. ગત વર્ષે આજના દિવસે તેઓએ ‘મંગલ સેવા’નો સંકલ્પ લીધો હતો, જે અન્વયે દર વર્ષે ૫૦૦ નવવિવાહિત દિવ્યાંગ બહેનો પ્રત્યેક બહેનને રુ.૧૦ લાખની આર્થિક સહાય આપવાનો સંકલ્પ લીધો હતો, જે આજે પણ એ જ સમર્પણ સાથે આગળ વધી રહ્યો છે તે મારા માટે અત્યંત સંતોષ અને કૃતજ્ઞતાનો વિષય છે. સમય સાથે અનેક પરિવારોના જીવનમાં સન્માન અને નવી આશા સાથે નવી શરૂઆતનો આ પ્રયાસે અવસર આપ્યો છે. સાચું કહું તો જ્યારે કોઈ દીકરીના જીવનમાં સૂકૂન અને આત્મવિશ્વાસ પાછો ફરે છે, ત્યારે જે તૃપ્તિ થાય છે તેની સામે દુનિયાની મોટામાં મોટી સિદ્ધિ અને વૈભવ પણ નાના લાગે છે. એક પિતા તરીકે હું મારી જાતને ધન્ય માનું છું કે મારાં બાળકો પોતાની ખુશીઓ સાથે અનેક પરિવારોના જીવનમાં પણ આશા અને સૂકૂન ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રભુને મારી પ્રાર્થના છે કે સેવાનો આ ભાવ ભવિષ્યમાં પણ અનેક પરિવારોના જીવનમાં સુખ, સન્માન અને નવી આશા લઈને આવે, અને જીત અને દિવા આ માર્ગે સતત આગળ વધતા રહે તેવા તેમના પર આશીર્વાદ પ્રાપ્ત થતા રહે.​અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો. પ્રીતી અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજનો આ પ્રસંગ મારા માટે સવિશેષ ખૂબ ભાવનાત્મક તથા ગૌરવભયો છે. આજે આપણે અહીં માત્ર એક ઉત્સવ માટે એકઠા નથી થયા, પરંતુ માનવીય ગૌરવ, આશા, સપનાઓ અને સશક્તિકરણના મહોત્સવ માટે મળી રહ્યા છીએ.

અદાણી મંગલસેવા પહેલની પ્રેરણા એક સુંદર વિચારમાંથી ઉદભવી છે. આ ચિંતન વ્યક્તિગત આનંદને સમાજ કલ્યાણમાં પરિવર્તિત કરવાનું છે. જીવનમાં જયારે સુખદ પળ આવે ત્યારે તે સુખને સમાજ વચ્ચે વહેંચવું એ જ સાચી સેવા છે, તેથી જ મારા માટે અદાણી મંગલ સેવા અત્યંત વ્યક્તિગત છે. આ ફક્ત એક યોજના નથી, પણ એક સંવેદના છે, એક ભરોસો છે કે પ્રત્યેક સ્ત્રીમાં અપરંપાર શક્તિ વસે છે. દિવ્યાંગ હોવું એ કોઈ મર્યાદા નથી. પરંતુ તેમાં જીવનને અલગ દ્રષ્ટીથી નિરખવાની ક્ષમતા છે. આજે અહીં બેસેલી મારી દરેક વહાલી બહેન આ વાતનું જીવંત ઉદાહરણ છે.

​જીત અદાણીએ કહ્યું કે “મંગલ સેવાએ અમોને શીખ આપી છે કે ક્યારેક સૌથી મોટો ટેકો એ બની રહે છે જે શાંતિથી, સ્થિર, ભરોસાપાત્ર અને આદરણીય બની નેપથ્યમાં રહે છે. અમારા માટે આ એવી વસ્તુ નથી જે અમે પૂર્ણ કરીને આગળ વધીએ. આ એક જવાબદારી છે જેને અમે આગળ ધપાવીએ છીએ.”

દિવા અદાણીએ પોતાની લાગણી વ્યક્ત કરતા ઉમેર્યું કે “અદાણી મંગલ સેવા વિશ્વાસના પાયા ઉપર નિર્માણ થયેલી છે. અને સુરક્ષાના આવરણથી તે ટકી રહેશે તેવી અમોને શ્રધ્ધા અને ગૌરવ છે.”

નિશ્ચિત હેતુ અને સમાવેશીતાની ભાવના સાથે ખુલ્લી મૂકાયેલી આ સંધ્યામાં શામેલ થવા લાભાર્થીઓ સપરિવાર સંગઠિત સમૂહમાં પહોંચ્યા ત્યારે સ્વયંસેવકોએ પૂરા માનવીય અભિગમ સાથે તેઓની આગતા સ્વાગતા કરી હતી. પ્રાર્થનાથી શરૂ થયેલા કાર્યક્રમમાં સમૃદ્ધિ ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે તે અન્ય લોકો માટે કાયમી તક બને તેવી અદાણી મંગલ સેવાની કેન્દ્રીય માન્યતાની પુષ્ટિ કરતી એક વિશિષ્ટ પ્રસ્તુતિ પેશ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ફિક્સ્ડ ડિપોઝિટના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા ભાતીગળ ગરબાની પ્રસ્તુતિ અને ફ્યુઝન સંગીત સહિત ભાગીદારી અને ગૌરવ પર ભાર મૂક્તી સાંસ્કૃતિક કલાકૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.

દિલ્હીમાં 21 દિવસમાં 1472 લોકો લાપતા

વી દિલ્હીઃ દિલ્હીમાં લાપતા થવાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. દિલ્હી પોલીસના જિપનેટ (ZIPNET)ના આંકડા મુજબ 15 જાન્યુઆરી, 2026 સુધી 997 લોકોના લાપતા થવાની ફરિયાદો નોંધાઈ હતી, જ્યારે ત્યાર બાદના માત્ર 21 દિવસમાં એટલે કે 5 ફેબ્રુઆરી 2026 સુધી આ સંખ્યા વધીને 2469 થઈ ગઈ છે. એટલે કે 15 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે 1472 લોકો લાપતા થયા છે.

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજધાનીમાં દરરોજ સરેરાશ લગભગ 70 લોકો લાપતા થઈ રહ્યા છે. જોકે દિલ્હી પોલીસનું કહેવું છે કે તમામ ફરિયાદોને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી 2469 કેસોમાંથી 446 લાપતા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસનો દાવો છે કે ગયા વર્ષોની તુલનામાં જાન્યુઆરી, 2026 દરમિયાન લાપતા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

આંકડા શું કહે છે?

દિલ્હી સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સની 2025ની રિપોર્ટ મુજબ વર્ષ 2023માં કુલ 24,381 લોકો લાપતા થયા હતા, જેમાંથી 14,824 લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા. તેમાં 6284 સગીર અને 18,197 વયસ્ક હતા. સગીરોમાં 1917 છોકરાઓ અને 4367 છોકરીઓ સામેલ હતી, જ્યારે વયસ્કોમાં 8285 પુરુષો અને 9912 મહિલાઓ લાપતા થઈ હતી.

વર્ષ 2024માં કુલ 24,993 લોકો લાપતા થયા, જેમાંથી 15,260 લોકોને શોધી કાઢવામાં આવ્યા. આ દરમિયાન 5846 સગીર અને 19,047 વયસ્ક લાપતા થયા. સગીરોમાં 1647 છોકરાઓ અને 4199 છોકરીઓ હતી, જ્યારે વયસ્કોમાં 8494 પુરુષો અને 10,553 મહિલાઓ સામેલ હતી. વર્ષ 2025માં જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધી 2469 લોકો લાપતા થયા છે, જેમાંથી 446 લોકોને દિલ્હી પોલીસે શોધી કાઢ્યા છે.

કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો – દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસના પ્રવક્તા સંજય ત્યાગીએ જણાવ્યું કે પોલીસ પારદર્શક અને નિષ્પક્ષ અપરાધ રિપોર્ટિંગ નીતિનું પાલન કરે છે. લાપતા વ્યક્તિઓ સંબંધિત તમામ ફરિયાદો તરત નોંધવામાં આવે છે અને તપાસ શરૂ કરવામાં આવે છે. પોલીસે દિલ્હીવાસીઓને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. હાલ બાળકોના લાપતા થવા અથવા અપહરણ પાછળ કોઈ સંગઠિત ગેંગની પુષ્ટિ થઈ નથી. અફવા ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. લાપતા લોકોને શોધવા માટે દિલ્હીના તમામ જિલ્લાઓમાં સતત ‘ઓપરેશન મિલાપ’ ચલાવવામાં આવી રહ્યું છે.

ઘુસખોર પંડિતને લઈ વકર્યો વિવાદ, મેકર્સ અને મનોજ બાજપેયીએ કરી સ્પષ્ટતા

નિર્માતા નીરજ પાંડે અને અભિનેતા મનોજ બાજપેયીએ હવે “ઘુસખોર પંડિત” ની આસપાસ વધી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. જાણો આ વિશે તેમનું શું કહેવું છે.

મનોજ બાજપેયીની આગામી ફિલ્મ “ઘુસખોર પંડિત” ને લઈને વિવાદ વધતો જ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં ફિલ્મના શીર્ષકને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. FMC એ ફિલ્મના અનધિકૃત શીર્ષક અંગે નિર્માતાઓને નોટિસ પણ જારી કરી છે. વધતા વિરોધને પગલે, નિર્માતા નીરજ પાંડે અને અભિનેતા મનોજ બાજપેયીએ એક નિવેદન જારી કરીને સમગ્ર બાબતની સ્પષ્ટતા કરી છે. તેમણે ફિલ્મના હેતુ અને શીર્ષક વિશે પણ સ્પષ્ટતા કરી છે, અને એમ પણ કહ્યું છે કે પ્રમોશનલ સામગ્રી દૂર કરવામાં આવશે.

આ ફિલ્મનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડીને વિવાદ અંગે પ્રતિક્રિયા આપી છે. નિવેદનમાં તેમણે લખ્યું,”હું લોકોની લાગણીઓ અને ચિંતાઓનો આદર કરું છું અને તેને ગંભીરતાથી લઉં છું. જ્યારે તમે કોઈ વસ્તુનો ભાગ છો, ત્યારે તે કેટલાક લોકોને દુઃખ પહોંચાડે છે, ત્યારે તે તમને થોભીને સાંભળવા માટે મજબૂર કરે છે. એક અભિનેતા તરીકે હું જે પાત્ર ભજવું છું અને વાર્તા દ્વારા ફિલ્મમાં પ્રવેશ કરું છું. મારા માટે તે ફક્ત એક ખોટો માણસ અને આત્મ-અનુભૂતિની સફર વિશે હતું.”

તેનો હેતુ કોઈ સમુદાય પર ટિપ્પણી કરવાનો નહોતો. નીરજ પાંડે સાથે કામ કરવાના મારા અનુભવમાં મેં જોયું છે કે તેઓ હંમેશા તેમની ફિલ્મોને ગંભીરતા અને કાળજીથી લે છે. જાહેર ભાવનાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મ નિર્માતાઓએ પ્રમોશનલ સામગ્રી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબિંબિત કરે છે કે ચિંતાઓને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

ફિલ્મમાં કાલ્પનિકતા છે

“ઘુસખોર પંડિત” ની જાહેરાત થતાં જ લોકોએ ફિલ્મના શીર્ષકમાં ‘પંડિત’ શબ્દના ઉપયોગ પર રોષ વ્યક્ત કર્યો, તેને બ્રાહ્મણ સમુદાયનું અપમાન ગણાવ્યું. વિવાદ વધતાં નીરજ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી સ્પષ્ટતા જારી કરી. પોતાના નિવેદનમાં નીરજ પાંડેએ કહ્યું, “અમારી ફિલ્મ એક કાલ્પનિક પોલીસ ડ્રામા છે. ‘પંડિત’ શબ્દનો ઉપયોગ ફક્ત કાલ્પનિક પાત્ર માટે બોલચાલના નામ તરીકે થાય છે. વાર્તા એક વ્યક્તિની ક્રિયાઓ અને પસંદગીઓ પર કેન્દ્રિત છે. તે કોઈપણ જાતિ, ધર્મ અથવા સમુદાય પર ટિપ્પણી કરતી નથી અથવા તેનું પ્રતિનિધિત્વ કરતી નથી. એક ફિલ્મ નિર્માતા તરીકે હું મારા કાર્યને જવાબદારીની ઊંડી ભાવના સાથે કરું છું, સારી અને આદરપૂર્ણ વાર્તાઓ કહું છું.”

પ્રમોશનલ સામગ્રી દૂર કરવી

પોતાના નિવેદનમાં નિર્માતાએ આગળ કહ્યું, “મારી પાછલી ફિલ્મોની જેમ, આ ફિલ્મ પણ સંપૂર્ણ પ્રામાણિકતા સાથે બનાવવામાં આવી છે અને તેનો એકમાત્ર હેતુ દર્શકોનું મનોરંજન કરવાનો છે. અમે સમજીએ છીએ કે ફિલ્મના શીર્ષકથી કેટલાક દર્શકો નારાજ થયા છે, અને અમે તેમની લાગણીઓ સમજીએ છીએ. આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને અમે હાલમાં બધી પ્રમોશનલ સામગ્રી દૂર કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે અમે માનીએ છીએ કે ફિલ્મને સંપૂર્ણ રીતે જોવી જોઈએ. તે વાર્તાના સંદર્ભમાં સમજવી જોઈએ જે અમે કહેવા માંગીએ છીએ, આંશિક ઝલક પર આધારિત નહીં. અમે ટૂંક સમયમાં દર્શકો સાથે ફિલ્મ શેર કરવા આતુર છીએ.”

FMC એ શીર્ષક અંગે નિર્માતાઓને નોટિસ ફટકારી છે

ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશન (FMC) એ પણ “ઘુસખોર પંડિત” અંગે નિર્માતાઓને નોટિસ ફટકારી છે. FMC એ જણાવ્યું હતું કે નિર્માતાઓએ નિયમો દ્વારા જરૂરી શીર્ષક માટે ફરજિયાત પરવાનગી મેળવી નથી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશનના સભ્ય, ફિલ્મ નિર્માતા નીરજ પાંડેએ “ઘુસખોર પંડિત” શીર્ષકનો ઉપયોગ કરવાની પરવાનગી માટે અરજી કરી નથી. તેથી, પરવાનગી વિના તેનો ઉપયોગ કરવાથી શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

મનોજ બાજપેયી આ ફિલ્મમાં પોલીસકર્મીની ભૂમિકામાં છે. રિતેશ શાહ દ્વારા નિર્દેશિત, “ઘુસખોર પંડિત” નીરજ પાંડે દ્વારા નિર્મિત છે. મનોજ બાજપેયીએ ભ્રષ્ટ પોલીસ અધિકારી અજય દીક્ષિતનો રોલ કર્યો છે. મનોજ બાજપેયી ઉપરાંત આ ફિલ્મમાં નુસરત ભરૂચા, કીકુ શારદા, દિવ્યા દત્તા, સાકિબ સલીમ, શ્રદ્ધા દાસ અને અક્ષય ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં છે.

ગ્લેમર, સ્ટાર-સિસ્ટમની હત્યા કરતી વધ-2

ચારેક વર્ષ પહેલાં સાઈકોલોજિકલ થ્રિલર ‘વધ’ આવેલી. ગ્વાલિયરમાં વસતાં આધેડ વયનાં દંપતી શંભુનાથ (સંજય મિશ્રા) અને મંજુ (નીના ગુપ્તા)ની આસપાસ ફરતી ફિલ્મમાં શંભુનાથ એક રાતે વ્યાજખોર-ગેંગસ્ટરની પોતાના ઘરમાં જ હત્યા કરી લાશ અને અપરાધને છુપાવવાનું પરફેક્ટ પ્લાનિંગ કરે છે.

ચુસ્ત પટકથા અને સીટ સાથે જકડી રાખતા ડિરેક્શનથી વધ ક્રિટિક્સ અને સિનેમાપ્રેમીનાં દિલ જીતી ગયેલી. આજે (6 ફેબ્રુઆરીએ) ‘વધ’-સિરીઝની નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છેઃ ‘વધ-2.’ આ વખતે પણ, સંજય મિશ્રા ને નીના ગુપ્તા જ છે. કોઈ જ બિગ સ્ટાર નથી, પણ મામલો હવે ઘરનો નથી, જેલની અંદરનો છે. અને શંભુનાથ-મંજુસિંહ મૅરિડ નથી.

શિવપુરી (મધ્ય પ્રદેશ)ની જેલના કૉન્સ્ટેબલ શંભુનાથ (સંજય મિશ્રા) નિવૃત્તિના આરે છે. સાલસ સ્વભાવના, વિધુર, એકલવાયા શંભુનાથ જેલની વાડીમાં ઊગતાં શાકભાજી ચોરીને બજારમાં વેચે છે, કારણ પગાર ઉપરાંત આવકની જરૂર છે. જેલમાં ડબલ મર્ડર (યંગ કપલ)ની આરોપી મંજુસિંહ (નીના ગુપ્તા) છે, જેની ૨૮ વર્ષની સજા હવે પૂરી થવામાં છે. આધેડ વયના યુગલ શંભુનાથ-મંજુને એકમેક માટે કૂણી લાગણી છે, કારણ બન્ને સમદુખ્યાં છે.

શંભુનાથ-મંજુસિંહની રાત્રિની નિયમિત મુલાકાત ડિરેક્ટરે ઋજુતાથી ચિત્રિત કરી છે. કાળી રાત્રિએ કાળમીંઢ દીવાલની એક પા મંજુસિંહ, બીજી પા શંભુનાથ, એમની વચ્ચેના સંવાદ, દીવાલના બાકોરામાંથી અમુક ચીજવસ્તુની લે-આપ એક વાતાવરણ નિર્માણ કરે છે.

ઓકે, ચાર વર્ષ બાદ આવેલી નવી ‘વધ’માં નવાં પણ પાત્રો છે: બહાદુર-ઈમાનદાર ઉગ્ર સ્વભાવનો જેલર પ્રકાશસિંહ (કુમુદ મિશ્રા), જે જ્ઞાતિવાદમાં માને છે, જે મળે એને અટક, પૂરું નામ પૂછ્યા કરે છે. સ્ટ્રિક્ટ વૉર્ડન રજની (શિલ્પા શુક્લા), જેની નૈતિકતા ક્લિયર નથી. રીઢો કેદી કેશવ ઉર્ફે ભૂરા ભૈયા (અક્ષય ડોગરા), જે સ્થાનિક ધારાસભ્યનો ભાઈ છે. કેશવ એ હદે વિકૃત છે કે પોલીસ-ટ્રકનાં ટાયર નીચે ગલુડિયાંને કચડી નાખતાં અચકાતો નથી. ભૂરા ભૈયાની નજર નવીસવી આવેલી જવાન કેદી નયના (યોગિતા બિહાની) પર છે. એક રાતે ભૂરા ભૈયાની હરકતથી અહં ઘવાતાં પ્રકાશસિંહ એને ઢોરમાર મારે છે. એ રાત પછી કેશવ ગાયબ થઈ જાય છે. યુવા પોલીસઅધિકારી અતીતસિંહ (અમીત કે. સિંહ) આની ઈન્કવાયરી શરૂ કરે છે, જે ધડાધડ સિગારેટ ફૂંકતો રુટિન સવાલો પૂછ્યા કરે છે…

2022માં આવેલી ‘વધ’ના રાઈટર-ડિરેક્ટર જસપાલસિંહ સંધુ હતા. ‘વધ-2’ના રાઈટર-ડિરેક્ટર પણ જસપાલસિંહ સંધુ છે. એમણે મૂળ ફિલ્મનાં ઈમોશનલ, ફિલોસોફિકલ ઊંડાણ યથાવત્ રાખવાનો પ્રયાસ કર્યો છે, પણ કથાકથન એ રીતે કરે છે, જાણે એમની પાસે દુનિયાભરનો ટાઈમ છે. જેલની દુનિયા, કેદીઓ, એમની દાદાગીરી, સંત્રી-કેદીની સાઠગાંઠ, સંત્રીઓના ભ્રષ્ટાચાર, વગેરેના નિરુપણમાં ઑથેન્ટિસિટી છે, પણ, યાર, પ્રેક્ષક છીએ, બેઘડી મોજ માટે આવ્યા છીએ, જેલની દુનિયા પર પીએચ.ડી કરવા થોડા આવ્યા છીએ? વધુપડતા ડિટેલિંગના કારણે અમુક સીન લાંબા લાગે છે. હત્યાનો મામલો સામે આવતાં સુધીમાં ઘણા સમયની હત્યા થઈ ગઈ છે. ટૂંકમાં ઝોલાં ખાતી સ્ક્રિપ્ટના લીધે ‘વધ-2’ એવરેજ બનીને રહી ગઈ.

કરો તેવું પામો…નો સંદેશો આપતી ‘વધ-2’ પાવરફુલ પરફોરમન્સ માટે, જેલના કાળા સત્ય માટે, કાળકોટડીની અંદર કેવી રીતે કાયદાની ઐસીતૈસી કરવામાં આવે છે, વગેરે જાણવામાં રસ હોય તો જોવી.

-અને કશાયે ગ્લેમર કે બિગ સ્ટાર્સ વિના પણ વૉચેબલ ફિલ્મ કેવી રીતે બનાવી શકાય એ સમજવા જોઈ શકાય.

ઘઉંના લોટમાં સોયાબીન ઉમેરી શકાય?

પ્રશ્ન: મારા પિતાની ઉંમર 79 વર્ષની છે. થોડા સમયથી એ પથારીવશ છે અને એમને ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થઈ રહી છે. એમને કયા પ્રકારનો આહાર આપી શકાય?

– ધવલ ઠક્કર (અમદાવાદ)

ઉત્તર: ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થવાની પરિસ્થિતિને ડિફેગિયા  કહે છે. આ એક પ્રકારનો ન્યુરો ડિસઑર્ડર છે, જેમાં ખોરાક ગળવામાં મુશ્કેલી પેદા થાય છે. પેરોટાઈડ ગ્રંથિની ખામી એ માટે જવાબદાર છે. ભોજન દરમિયાન અથવા ભોજન પછી ખૂબ થાક લાગે, મોંમાંથી લાળ નીકળે, ખોરાક બહાર આવી જાય, વગેરે લક્ષણો સાથે આ વ્યાધિની શરૂઆત થાય છે. અન્નનળી કે ગળાનું કૅન્સર ધરાવતી વ્યક્તિને પણ આ પ્રમાણે ખોરાક ગળે ઉતારવામાં તકલીફ પડે છે તથા દુખાવો પણ થાય છે.

જાણીને નવાઈ લાગે કે આ પ્રકારના પેશન્ટને પાણી તેમ જ પાતળું પ્રવાહી ગળે ઉતારવામાં ગળામાં દુખાવો થાય છે, જ્યારે  સેમિ-સોલિડ અથવા ઘટ્ટ પ્રવાહી લેવામાં ઓછી તકલીફ પડે છે, કારણ કે આ પ્રકારનો આહાર ગળાના અંદરના ભાગમાંથી ઘટ્ટ હોવાને કારણે ધીરેથી પસાર થાય છે અને ઓછી તકલીફ આપે છે.

આ સ્થિતિમાં ઘટ્ટ અથવા સેમિ-સોલિડ આહાર (દૂધ નાખીને પીસેલી ઢીલી ખીચડી, નરમ ઉપમા, શાકભાજીના ઘટ્ટ પરંતુ પીસેલા સૂપ, રાબ કે નરમ શીરો, છીણેલાં ફ્રૂટ જેવાં કે સફરજન અથવા પપૈયું) આપી શકાય. રોજિંદી કૅલરી જાળવી રાખવા દર બે-ત્રણ કલાકે એમને થોડો થોડો આહાર આપતાં રહેવું.

પ્રશ્ન: અમે વેજિટેરિયન છીએ એથી સારું પ્રોટીન મેળવવા મેં થોડા સમયથી ઘઉંના લોટમાં સોયાબીન ઉમેરવાનું શરૂ કર્યું છે, પરંતુ અમને એ પચવામાં થોડું ભારે લાગે છે. સોયાબીનનો ઉપયોગ મારે આ રીતે ન કરવો જોઈએ?

શિલ્પા શેઠ (મુંબઈ)

ઉત્તર: શાકાહારીઓ માટે સોયાબીન એ પ્રોટીન મેળવવા માટેનો ઉમદા સ્રોત છે, પરંતુ એનો ઉપયોગ બજારમાંથી લાવીને સીધો ઘઉંમાં ઉમેરીને ન કરી શકાય, કારણ કે કાચા સોયાબીનમાં ઘણા પ્રકારનાં ઍન્ટિન્યુટ્રિશનલ ફૅક્ટર્સ રહેલાં હોય છે, જેના દ્વારા પ્રોટીનનું પાચન થવામાં મુશ્કેલી થાય છે.

એ નિવારવા માટે સોયાબીનનો ઉપયોગ કરતાં પહેલાં અમુક કાળજી લેવી જરૂરી છે: સૌપ્રથમ સોયાબીનને પાણીમાં પાંચથી છ કલાક પલાળી રાખ્યા બાદ ફોતરાં કાઢીને ૩૦ મિનિટ સુધી ખુલ્લા વાસણમાં ઉકાળીને સૂકવવાં. સુકાયેલાં સોયાબીનને થોડી વાર શેકીને એ જરૂરત મુજબ ઉપયોગમાં લઈ શકાય છે. બજારમાં મળતો સોયાબીનનો પાવડર અથવા એમાંથી તૈયાર થતી પ્રોડક્ટ્સ આ પ્રમાણેની પ્રોસેસ દ્વારા બનાવવામાં આવે છે, જેથી એની આડઅસરથી બચી શકાય અને સારા પ્રમાણમાં પ્રોટીન પણ મેળવી શકાય. તમે સોયાબીનને કોઈ પણ પ્રોસેસ કર્યા વગર ઉપયોગમાં લો તો એના પાચનમાં તકલીફ પડી શકે છે.

પ્રશ્ન: મારો દીકરો સૅન્ડવિચ માટે વ્હીટ બ્રેડ કે ગ્રાઈન્ડ બ્રેડ પસંદ કરે છે, જેના ફીલિંગમાં સૅલડ અને મેયોનીઝ હોય છે. શું મેયોનીઝ હેલ્ધી ઑપ્શન છે?

– ભારતી શાહ (રાજકોટ)

ઉત્તર: મેયોનીઝ મોટા ભાગે સૅચ્યુરેટેડ ફૅટમાંથી બનાવવામાં આવે છે અને એ ઘણુંખરું અનહેલ્ધી જ હોય છે. અલબત્ત, એની ઘણી પ્રોડક્ટ્સમાં ઝીરો ફૅટ  એવું લખ્યું હોય છે, તેમ છતાંય એક ટેબલ સ્પૂન મેયોનીઝ તમને ૧૦૦ કૅલરી અને ૧૦ ગ્રામ ફૅટ આપશે. ઘણા મેયોનીઝમાં એને ઘટ્ટ બનાવવા માટે એગ યોક અને લેમન જ્યુસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, એમાં વેજિટેબલ ઑઈલ પણ ઉમેરવામાં આવે છે.

બજારમાં મળતાં આવાં મેયોનીઝમાં અનહેલ્ધી ફૅટ હોય છે અને એ ભાગ્યે જ કોઈ પોષણ આપે છે. તમે ચાહો તો પૌષ્ટિક મેયોનીઝ ઘરે પણ બનાવી શકો છો. પનીર અને થોડા કાજુનો ઉપયોગ કરીને એમાં લાલ મરચું અથવા ધાણા અને લીલાં મરચાંના ઉપયોગ દ્વારા અલગ અલગ ફ્લેવરનાં મેયોનીઝ તમે ઘરે જ બનાવી શકશો.

પ્રશ્ન: બદામ પલાળીને ખાવી જોઈએ એવું વાંચવામાં આવ્યું હતું. દરેક વખતે એ શક્ય હોતું નથી, તો પલાળ્યા વગરની બદામ ઉપયોગમાં લઈ શકાય?

– કોમલ પ્રજાપતિ (નડિયાદ)

ઉત્તર: બદામ, કાજુ, અખરોટ, અંજીર, વગેરેને પલાળીને ઉપયોગમાં લેવાં જોઈએ એ ચોક્કસપણે ફાયદાકારક છે, પરંતુ પલાળ્યા વગરનાં ડ્રાયફ્રૂટ્સ પણ નુકસાન નહીં કરે. પલાળેલાં ડ્રાયફ્રૂટ્સ કે બદામ વધુ પૌષ્ટિક છે એટલે એનો આ રીતે ઉપયોગ કરવાનું સૂચન કરાય છે, જેમ કે આખી રાત પલાળીને એને ઉપયોગમાં લેવામાં આવે તો પહેલાં તો એમાં રહેલાં નુકસાનકારક તત્ત્વો (ઍન્ટિન્યુટ્રિશનલ ફૅક્ટર્સ) નીકળી જાય છે, જેથી એ પાચન સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. આ પ્રકારનાં ડ્રાયફ્રૂટ્સમાંથી મિનરલ્સ, કૅલ્શિયમ અને આયર્ન સારી રીતે એબ્ઝોર્બ થઈ શકે છે. અંજીરમાં રહેલાં ફાઈબર્સનો ઉપયોગ પલાળીને લેવાથી વધે છે, જે હેલ્થ માટે સારું છે. પલાળેલાં ડ્રાયફ્રૂટ્સમાં ઍન્ટિઑક્સિડન્ટનું પ્રમાણ કાચાં ડ્રાયફ્રૂટ્સની સરખામણીએ વધુ હોય છે. આમ કાચા અને પલાળેલા બન્ને પ્રકારના સૂકા મેવા ફાયદો કરાવે છે, પરંતુ પલાળેલાં ડ્રાયફ્રૂટ્સ વધુ પૌષ્ટિક છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

રાજસ્થાનના 56 ટકા સરકારી શાળાઓના વર્ગખંડો જર્જરિત

જયપુરઃ રાજસ્થાન સરકારે ગયા અઠવાડિયે વિધાનસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે રાજ્યની સરકારી શાળાઓના 56 ટકાથી વધુ વર્ગખંડો જર્જરિત હાલતમાં છે, ઉપયોગલાયક નથી અથવા મોટા પાયે મરામતની જરૂર છે. આ માહિતી ટેક્નિકલ ઓડિટને આધારે આપવામાં આવી હતી. ઝાલાવાડ જિલ્લાના મનોહર થાણા તાલુકાના ખેયાડી કા પુરા ગામની સરકારી શાળામાં શિક્ષકો આ સમસ્યાનો ઉકેલ પોતે જ શોધી રહ્યા છે.

આ જ જિલ્લામાં પિપલોડી ગામમાં જુલાઈ 2025માં એક શાળાના વર્ગખંડની છત ધરાશાયી થતાં સાત વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં અને 20 બાળકો ઘાયલ થયાં હતાં. આ દુર્ઘટનાના છ મહિના બાદ બુધવારે નવી શાળાનું નિર્માણ શરૂ થયું છે.

મરામત વિના વર્ગો ચલાવવું ખૂબ મુશ્કેલ

આ જ તાલુકાના હંડોટિયા લોધન ગામની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો કહે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે લગભગ 10 લાખ રૂપિયા ભેગા કરીને શાળાની મરામત કરાવી છે. શાળાના પ્રિન્સિપલ રામસિંહ મીના જણાવે છે કે 2024માં ત્રણ રૂમોની છત, શાળાનો ગેટ અને શૌચાલય સુધારવામાં આવ્યા. અકસ્માત બાદ ત્રણ અન્ય રૂમો બંધ કરી દેવામાં આવ્યા છે. શાળામાં 318 વિદ્યાર્થી છે અને મરામત વગર ભણતર શક્ય નહોતું. શિક્ષક મહેશચંદ મીના કહે છે કે વાલીઓએ જેટલી મદદ કરી શકી એટલી કરી, પરંતુ હવે સરકારને આગળ આવવું જોઈએ. અહીં મોટા ભાગનાં ઘરો કાચાં છે અને લોકોની આવક ખૂબ ઓછી છે.

રાજસ્થાન શિક્ષક સંઘના સભ્ય નારાયણ સિસોદિયા કહે છે કે અન્ય જિલ્લાઓમાં પણ આવી જ સ્થિતિ છે. શિક્ષકો બાળકોને મુશ્કેલીમાં જોઈ શકતા નથી એટલે મદદ કરે છે. ભૂતપૂર્વ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ રઘુરાજ હાડા પણ કહે છે કે ઝાલાવાડના મોટા ભાગના સરકારી શાળાઓને તાત્કાલિક મરામત અથવા નવા ભવનની જરૂર છે. પિપલોડીમાં નવા શાળા ભવનના નિર્માણની શરૂઆતના પ્રસંગે અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ બાળકોના પરિવારોને પ્રથમ ઈંટ મૂકવા માટે બોલાવવામાં આવ્યા હતા. નવું ભવન ગામથી આશરે દોઢ કિલોમીટર દૂર 10 વીઘા જમીન પર બની રહ્યું છે.