Home Blog Page 2642

NDA સાંસદો ‘રક્ષાબંધન’ મુસ્લિમ મહિલાઓ સાથે ઊજવેઃ PM મોદી

નવી દિલ્હીઃ રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટે છે અને આ રક્ષાબંધનના દિવસે અલ્પસંખ્યક સમાજની વચ્ચે ભાજપના કાર્યક્રમ જોવા મળશે. વડા પ્રધાન મોદી હાલના દિવસોમાં NDAના સાંસદોની સાથે અલગ-અલગ ગ્રુપોમાં બેઠકો કરી રહ્યા છે. વડા પ્રધાને એક બેઠકમાં કહ્યું હતું કે તેમની સરકાર તત્કાળ ત્રણ તલાક પર પ્રતિબંધ કરવાનો નિર્ણય કર્યો, જેથી મુસ્લિમ મહિલાઓ સુરક્ષિત અનુભવ કરી શકે. તેમણે ભાજપ અને NDAના નેતાઓને મુસ્લિમ મહિલાઓ સાથે રક્ષાબંધનનો તહેવાર ઊજવવા માટે નિર્દેશ આપ્યા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના NDAના 338 સાંસદોની સાથે બેઠકમાં વડા પ્રધાને NDAના સાંસદોને આ નિર્દેશ આપ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. હવે NDA ગઠબંધન વિસ્તૃત થઈને 38 પાર્ટી સુધી વિસ્તર્યું છે.

વડા પ્રધાન મોદી અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓએ સમાજના વિવિધ વર્ગો માટે કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓ પર વિચારકવિમર્શ કર્યો હતો. આ મીટિંગમાં ભાગ લેનારા કેટલાક સાંસદોએ જણાવ્યું હતું કે વડા પ્રધાને સમાજના દરેક વર્ગથી ખુદને જોડવાની વાત પર ભાર આપ્યો હતો.

ભાજપ પસમાંદા (પછાત) મુસલમાનોને પક્ષ સાથે જોડવાની દિશામાં કામ કરી રહ્યો છે. આ બેઠકો દ્વારા ભાજપની વ્યૂહરચના લોકસભાની 2024ની ચૂંટણી પહેલાં NDAના ઘટક દળોની સાથે સંબંધોને મજબૂત કરવાનો છે. હાલમાં પસમાંદા મુસલમાનોને જોડવા માટે ભાજપે અનેક મોટા નિર્ણય લીધા છે. હમણાં પાર્ટીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ તારિક મન્સૂરને પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ પણ બનાવ્યા હતા. વર્ષ 2019માં સંસદમાં મુસ્લિમ મહિલાઓ સાથે જોડાયેલું મહત્ત્વનું બિલ પાસ થયું હતું. જે હેઠળ ત્રણ તલાકની પ્રથાને ગેરકાયદે ઠેરવતાં ગુનો જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 

મસ્કના X પ્લેટફોર્મે ભારતની અદાલતના ચુકાદાને પડકાર્યો

બેંગલુરુઃ અમેરિકાના અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કના X (ભૂતપૂર્વ ટ્વિટર) સોશિયલ મિડિયા પ્લેટફોર્મે કન્ટેન્ટને દૂર કરવાના ભારતની એક અદાલતે આપેલા આદેશને પડકાર્યો છે. X ની દલીલ છે કે આ ચુકાદો બીજી વધુ કન્ટેન્ટને બ્લોક કરવા માટે ભારત સરકારને પ્રોત્સાહિત કરશે. X પ્લેટફોર્મે ગયા વર્ષના જુલાઈ મહિનામાં ભારતની કોર્ટના આદેશને રદ કરવાની વિનંતી કરી હતી. કોર્ટે આ વર્ષના જૂન મહિનામાં Xની વિનંતીને નકારી કાઢી હતી અને તેને 50 લાખ રૂપિયા (60,560 ડોલર)નો દંડ ફટકાર્યો હતો.

ઈલોન મસ્કની માલિકીની બેંગલુરુસ્થિત કાયદા કંપની પૂવય્યા એન્ડ કંપનીએ X કંપની વતી હવે ભારતની કોર્ટમાં 96-પાનાંની અપીલ નોંધાવી છે. એમાં તેણે એમ જણાવ્યું છે કે કોઈ ચોક્કસ પોસ્ટને બદલે કોઈ આખા એકાઉન્ટને બ્લોક કરવાની ફરજ પાડતા માપદંડો વિશે સ્પષ્ટતા થવી જોઈએ, નહીં તો ભવિષ્યમાં કન્ટેન્ટને સેન્સર કરવાની સરકારને અમર્યાદિત સત્તા મળી જશે.

ઉલ્લેખનીય છે કે, અલગ શીખ રાષ્ટ્ર માટે શીખ અલગતાવાદીઓએ કરેલી માગણીને ટેકો આપતા તેમજ ભારતમાં ખેડૂતોના આંદોલન વિશે અને ભારત સરકારે કોરોના મહામારીના કરેલા સામનાન વિરુદ્ધમાં ખોટી માહિતી ફેલાવનાર એકાઉન્ટ્સ સહિત એ વિશેની તમામ સામગ્રીને દૂર કરવાનો ભારતના સત્તાધિશોએ વીતેલા અમુક વર્ષોમાં X (ટ્વિટર)ને આદેશ આપ્યો હતો.

સીમા, સચિનને એક્ટિંગ પછી લાખોના પેકેજની નોકરીની ઓફર, જાણો…

નવી દિલ્હીઃ ગેરકાયદે રીતે નેપાળના રસ્તે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને તેના પ્રેમી સચિન મીણાને ગુજરાતના વેપારીએ નોકરીની ઓફર કરી છે. વેપારી તરફથી કહેવામાં આવ્યું છે કે સીમા અને સચિન –બંને જ્યારે ઇચ્છે ત્યારે આવીને નોકરી કરી શકે છે. તે બંને જણને રૂ. 50,000-50,000ની સેલરી આપશે.

વાસ્તવમાં સોશિયલ મિડિયા પર ન્યૂઝ હતા કે સીમા હૈદર અને સચિનનો પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમાચાર વાઇરલ થતાં એક ફિલ્મ ડિરેક્ટરે સીમાને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી. જ્યારે હવે સીમાને બીજી ઓફર ગુજરાતના એક વેપારી તરફથી મળી છે. UPના ગ્રેટર નોઇડામાં રબુપુર ગામમાં સચિન-સીમા પાસે એક પત્ર આવ્યો હતો. જોકે તેની સુરક્ષામાં તહેનાત જવાનોએ આ પત્ર ધમકીનો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ વરિષ્ઠ અધિકારીઓના આદેશ પછી પત્ર ખોલવામાં આવ્યો હતો, જેમાં આ પત્ર ગુજરાતના એક વેપારીએ લખ્યો હતો અને એ પત્રના માધ્યમથી તેણે સીમા અને સચિનને રૂ. 50,000-50,000ની સેલરી પર નોકરી ઓફર કરી હતી.

આ પત્રમાં સચિન અને સીમા જ્યારે ઇચ્છે, ત્યારે નોકરી જોઇન્ટ કરી શકે છે. આ પત્રમાં એ પણ લખ્યું હતું કે બંને જણને દરેક સંભવ મદદ કરવામાં આવશે.બીજી બાજુ, ફિલ્મ પ્રોડ્યુસર અમિત જાનીએ સચિન અને સીમાને ફિલ્મમાં કલાકાર તરીકે કામ કરવાની ઓફર કરી હતી. અમિત જાની સીમા-સચિનને ઘરે જઈને એડવાન્સ ચેક આપવા માટે પણ તૈયાર હતા.

 

 

 

 

 

 

ઝડપી ચુકાદોઃ બાળકી પર દુષ્કર્મ, હત્યાના આરોપીને ફાંસીની સજા

સુરતઃ સેશન્સ કોર્ટે બળાત્કાર અને હત્યા કેસમાં ઝડપી અને દાખલો બેસે એવો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં પાંચ મહિનામાં ચુકાદો આપ્યો છે. કોર્ટે બળાત્કાર કેસમાં ફાંસીની સજા સંભળાવી છે. સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં દોઢથી બે વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કાર  અને હત્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં 23 વર્ષીય યુસુફ ઇસ્માઇલ બાળકીના પિતાનો મિત્ર હતો અને તે બાળકીને અવારનવાર રમાડવા લઈ જતો હતો. એક વાર તેણે બાળકી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. ઇસ્માઇલે બાળકીના શરીર પર અલગ-અલગ જગ્યાએ ઇજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી. ઈસ્માઈલે પોતાના મોબાઈલમાં બાળકીના નાભીના ભાગને કઈ રીતે ડેમેજ કરાઇ તેના વીડિયો પણ જોયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ઇસ્માઈલ 27-2-23એ ફરિયાદીના ઘરે જઈ તેની માસૂમ બાળકીને વેફર અપાવવાના નામે કપલેથા ગામના તળાવ નજીક એક અવાવરું મકાનમાં લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે બાળકીની નાભિના ભાગે બચકાં ભરી ઈજા કરીને દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ હત્યા કરી દીધી હતી. જે બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પિતાએ જ્યારે તેના નરાધમ મિત્રને પૂછ્યું  કે બાળકી ક્યાં છે? ત્યારે આરોપીએ કહ્યું હતું કે  હું હમણાં લાઉં છું તેવું કહીને આરોપી દોડીને ભાગી જતો હોય તેવા CCTV ફુટેજ પણ મળ્યા હતા. ત્યાર બાદ બાળકીની શોધખોળ કરતાં ઘટના સ્થળેથી મૃl હાલતમાં બાળકી મળી આવી હતી.

સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઇસ્માઇલને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આજે ચુકાદો આપતાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. 23 વર્ષના નરાધમ ઇસ્માઇલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી.

 

 

 

 

 

શહેરોમાં પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ 17નાં મોત

 અમદાવાદઃ રાજ્યભરમાં આંખ આવવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે રાજ્યનાં  શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ અને વરસાદી પાણી ભરાઈ રહેવાને પગલે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં જુલાઈમાં ઝાડા-ઊલટીના ૧૧૩૯ કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં ડેન્ગ્યુના ૧૭૪, મેલેરિયાના ૮૧, ચિકનગુનિયાના નવ તથા ઝેરી મેલેરિયાના ત્રણ કેસ નોંધાયા હતા. ટાઇફોઇડના ૪૫૧ તથા કમળાના ૧૬૬ તથા કોલેરાના છ કેસ નોંધાયા હતા. શહેરમાં સોલા સિવિલ હોસ્પટલમાં OPD 2200ને પાસ થઈ છે. સોલા સિવિલમાં હાલ 648 દર્દીઓ દાખલ થયા છે.

મ્યુનિ.ના હેલ્થ-મેલેરિયા વિભાગ તરફથી શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ એકમમાં મચ્છર અને મચ્છરના પોરા શોધવા તપાસ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના કહેવા મુજબ આ તપાસ સમયે ૭૨૫ એકમની તપાસ કરી ૪૪૮ એકમને નોટિસ આપી રૂ. નવ લાખથી વધુ રકમનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. શહેરમાં એક લાખ જગ્યાએ મચ્છરોનું બ્રિડિંગ મળ્યું હોય છે.

રાજકોટમાં ચોમાસાના માહોલ વચ્ચે સીઝનલ રોગચાળો વકરતો જાય છે. છેલ્લા સપ્તાહમાં ડેંગ્યુનાં બે, મેલેરિયાનો એક, શરદી-ઉધરસ તેમ જ તાવનાં 370 મળી કુલ 579 કેસ નોંધાયા છે. જોકે ખાનગી દવાખાનાં અને હોસ્પિટલમાં તાવ, શરદી અને ઉધરસ સહિતના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો છે. તેમાં પણ અઠવાડિયાથી કન્જક્ટિવાઇટીસે (આંખ આવવાના રોગે) પણ લોકોમાં વકર્યો છે. છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુના બે સહિત રોગચાળાના પોણા છસ્સો જેટલા દર્દીઓ ચોપડે નોંધાયા છે, પરંતુ ખાનગી દવાખાનાઓ અને ક્લીનીક મળી આ દર્દીઓની સંખ્યા 1000 કરતાં વધુ હોવાની શક્યતા છે.

વધુમાં, આ સપ્તાહમાં સીઝનલ શરદી, ઉધરસના 314, સામાન્ય તાવના 56 અને ઝાડા-ઉલટીના 206 જેટલા દર્દીઓ નોંધાયા છે. 2023માં અત્યાર સુધીમાં શરદી, ઉધરસના 9177, તાવના 1209 તેમ જ ઝાડા-ઊલટીના 2943 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના મગદલ્લાના યુવક અને પાલની મહિલાનું મોત થયું હતું. ઝેરી મેલેરિયા, કોલેરા સહિતના કેસના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં રોગચાળાના કારણે 17 લોકોનાં મોત થયાં છે.

 

 

 

 

નામાંકિત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરી

મુંબઈ: હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા આર્ટ ડાયરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનર નીતિન દેસાઈ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એમના સ્ટુડિયોમાં આજે સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા.

પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ આત્મહત્યાનો હોવાનું પોલીસનું અનુમાન છે. દેસાઈ મુંબઈથી આશરે ૫૦ કિ.મી. દૂર આવેલા કર્જતમાં આવેલા એમના એન.ડી. સ્ટુડિયોમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દેસાઈ ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘જોધા અકબર’, ‘પ્રેમ રતન ધન પાયો’, ‘1942: અ લવ સ્ટોરી’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘દેવદાસ’ જેવી હિન્દી ફિલ્મો તેમજ ઓસ્કર એવોર્ડ વિજેતા અંગ્રેજી ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં આર્ટ વર્ક અને ભવ્ય સેટ નિર્માણ માટે જાણીતા છે. આર્ટ ડાયરેક્ટર તરીકે એમની છેલ્લી ફિલ્મ હતી ‘પાનીપત’, જે ૨૦૧૯માં આવી હતી.

કોરાનાના 41 નવા કેસો, એકનું પણ મોત નહીં    

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી  થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,665 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,917 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,62,326 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 52 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1482એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 34,967 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.37 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,53,864 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 164 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

તમારા પર્યાવરણ પ્રત્યે સજાગ બનો

વિકાસ કરવો જરુરી છે, પરંતુ ટૂંકી દ્રષ્ટિનો અભિગમ ઘણીવાર બહુ મોટા નુકસાનનું કારણ બની જાય છે. ટકાઉ પ્રગતિ એને કહેવાય કે જેમાં કોઈ પણ યોજનાની લાંબા ગાળાની સારી-નરસી અસરો ધ્યાનમાં લેવાય છે.

ટૂંકી દ્રષ્ટિથી કરવામાં આવતો વિકાસ વિનાશક બની રહે છે. દીર્ઘ દ્રષ્ટિ વગર કુદરતી સંસાધનોનો કરવામાં આવતો આડેધડ વહીવટ પર્યાવરણને નષ્ટ કરે છે કે જે જીવનનું મૂળ સ્રોત છે. વિકાસનો ઉદ્દેશ જીવનને આધાર આપવાનો અને ટકાવવાનો હોવો જોઈએ. વિશાળ દ્રષ્ટિકોણથી કરવામાં આવતી વિકાસ યોજનાઓ પર્યાવરણ,સમાજ અને સ્થાનિક સમુદાયોના માનસિક સ્વાસ્થ્ય અને તંદુરસ્તીમાં ભાગ ભજવે છે. ત્યારે વિકાસની પ્રક્રિયા પોતે પૃથ્વી અને તેના સંસાધનોને જાળવવા માટેના જાગૃત પ્રયાસો તરીકે નીવડે છે.આપણા ગ્રહનું સ્વાસ્થ્ય સૌથી અગત્યનું છે.

માનવ તરીકે પર્યાવરણ પ્રત્યે સજાગતા આપણામાં વણાયેલી હોય છે. પ્રાચીન કાળથી ભારતમાં પ્રકૃતિને હંમેશા પૂજવામાં આવી છે;પર્વતો,નદીઓ,સૂર્ય, ચંદ્ર,વૃક્ષોને પૂજવામાં આવતા રહ્યા છે. હકીકતમાં દુનિયાભરની પ્રાચીન સંસ્કૃતિઓ દ્વારા કુદરત માટે ગાઢ સન્માન વ્યક્ત કરાયું છે.તેમના માટે ઈશ્વર મંદિરો કે ગિરજાઘરમાં નહોતા, પરંતુ કુદરતમાં વ્યાપ્ત હતા. જ્યારે આપણે કુદરતથી વિમુખ થઈએ છીએ ત્યારે આપણે તેને પ્રદુષિત કરવા માંડીએ છીએ.આજે કુદરતને સન્માનવાની અને જાળવવાની પ્રાચીન પ્રથાને ફરી જાગૃત કરવાની તાતી જરૂર છે.

ઘણા એવું માને છે કે ટેક્નોલોજીના વિકાસમાં પર્યાવરણને નુકસાન એ અનિવાર્ય આડપેદાશ છે.પરંતુ એવું જ હોય એ જરૂરી નથી;ખરેખર તો જો પર્યાવરણનું રક્ષણ થાય તો જ સાચો ટકાઉ વિકાસ શક્ય બને છે.વિજ્ઞાન અને ટેકનોલોજીને પર્યાવરણના અહિતકર્તા ના માનવા જોઈએ.પરંતુ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિકાસ સાધતાં પર્યાવરણની સંવાદિતા જાળવવાના માર્ગ શોધવા જોઈએ.આ સદીનો આ સૌથી મોટો પડકાર છે.

કુદરતમાં માત્ર અવલોકન કરો; પંચમહાભૂત એક બીજાના વિરોધમાં છે. જળ અગ્નિનું શમન કરે છે અને અગ્નિ જળનું બાષ્પીભવન. કુદરતમાં અનેક જાતના જીવો છે-પક્ષીઓ, સરિસૃપ વર્ગ,સસ્તન પ્રાણીઓ; આ બધી વિવિધ જાતીઓ એક બીજા પ્રત્યે આક્રમક છે અને છતાં કુદરત તે તમામ વચ્ચે સમતુલન જાળવે છે.આપણે કુદરતમાંથી શીખવું જોઈએ;કુદરત કેવી રીતે કચરાનો નિકાલ કરી દે છે અને કંઈક વધારે ઉપયોગી ઉત્પન્ન કરે છે.આ જ રીતે, ટેકનોલોજી અને વિજ્ઞાન નુકસાનકારક નથી હોતા, પરંતુ ટેકનોલોજી અને વિજ્ઞાનની પ્રક્રિયાઓ જે કચરો ઉત્પન્ન કરે છે તે હોય છે.

આપણે કચરાનો નિકાલ કરવાની પધ્ધતિઓ શોધવી જોઈએ અને એવી પ્રક્રિયાઓ વિકસાવવી જોઈએ કે જે પ્રદુષણ પેદા નથી કરતી, જેમ કે સૌર ઊર્જાનો ઉપયોગ.પારંપરિક ઓર્ગેનિક અને રસાયણમુક્ત ખેતી તરફ પાછા વળવાથી તંદુરસ્ત વિકાસ માટેની ભૂમિકા બનશે જે દીર્ઘ સમય સુધી ફાયદા આપશે.પરંપરા, ટેકનોલોજી,વાણિજ્ય અને સત્ય આ ચાર મુખ્ય પરિબળો છે જેમને અવારનવાર પુનઃજીવંત કરવા જોઈએ.જો તેમ કરવામાં ના આવે તો તેમને જે કારણે શરુ કરવામાં આવ્યા હતા તે પ્રયોજન જ નષ્ટ થઈ જાય છે.પૌરાણિક અને આધુનિક પધ્ધતિઓ વચ્ચે સુમેળ શોધાવો જોઈએ.રસાયણો અને ખાતરના ક્ષેત્રોમાં પ્રગતિ થઈ હોવા છતાં ગાયના મૂત્ર તથા છાણના ઉપયોગની પૌરાણિક વૈદિક ટેકનોલોજી ખેતી માટે હજી પણ ઉત્તમ પધ્ધતિઓમાંની એક છે. ઘણા અભ્યાસોએ દર્શાવ્યું છે કે નૈસર્ગિક ખેતીથી વધારે ઉપજ મળે છે.

જરૂરી નથી કે સૌથી આધુનિક ટેકનોલોજી હંમેશા આર્થિક રીતે સૌથી વધુ સક્ષમ અને કાબેલ હોય.આપણે ફાયદા તરફ ધ્યાન આપવું જોઈએ;કોઈ વસ્તુ નવી છે માત્ર એ કારણે એ સારી હોવી જરૂરી નથી અને કોઈ વસ્તુ જૂની છે માત્ર એ કારણે એનો નિકાલ ના કરી દેવો જોઈએ.

જે સમાજમાં ભારોભાર તનાવ અને હિંસા હોય ત્યાં ટકાઉ વિકાસ ના થઈ શકે.રોગમુક્ત શરીર,તનાવમુક્ત મન, હિંસામુક્ત સમાજ અને વિષમુક્ત વાતાવરણ એ ટકાઉ પ્રગતિ માટેના અતિઆવશ્યક તત્વો છે.જો આપણે સમાજના વિકાસની સાથે સાથે વધુ ને વધુ હોસ્પિટલો અને જેલો ખોલવી પડે તો એ સારા ભવિષ્યની નિશાની નથી. હોસ્પિટલમાં વધારે સંખ્યાનો સમાવેશ થઈ શકવો અને વધારે જેલોની સગવડ હોવી એ વિકાસની નિશાની નથી.

ટકાઉ વિકાસનો અર્થ એ પણ થાય છે કે તમામ પ્રકારના ગુનાઓમાંથી મુક્તિ.વાતાવરણને નુકસાન કરવું,વૃક્ષો કાપી કાઢવા, વિષમય કચરાના ઢગલા ખડકવા, જેનો પુનઃઉપયોગ નથી થઈ શકતો એવા પદાર્થો વાપરવા એ પણ ગુનો છે. વાતાવરણ એ આપણો પહેલો દેહ છે, પછી ભૌતિક શરીર આવે અને મન એ ત્રીજું આવરણ છે.તમારે આ ત્રણેયની સંભાળ લેવી જોઈએ.

હકીકતમાં માણસની લોભવૃત્તિ એ સૌથી મોટું પ્રદુષણકર્તા છે.લોભ માણસને અન્યો સાથે વહેંચતા રોકે છે. લોભ પર્યાવરણની જાળવણીમાં પણ અંતરાય નાંખે છે.માણસ એટલો લોભી છે કે એને તાત્કાલિક નફો મેળવવો છે અને તુરંત પરિણામ હાંસલ કરવા છે.આ લોભ માત્ર સ્થૂળ,ભૌતિક વાતાવરણને જ પ્રદૂષિત નથી કરતું પણ સૂક્ષ્મ વાતાવરણને પણ અભડાવે છે;તે સૂક્ષ્મ મનમાં નકારાત્મક લાગણીઓ જન્માવે છે.આ નકારાત્મક સ્પંદનો એકત્રિત થતાં સમાજમાં અજંપો પેદા કરે છે. ધિક્કાર, ગુસ્સો,ઈર્ષ્યાની નકારાત્મક લાગણીઓ દુનિયામાં તમામ વિનાશ અને દુખના મૂળભૂત કારણો છે-વિનાશ આર્થિક,રાજકીય કે સામાજિક હોઈ શકે છે.

પૃથ્વી,વૃક્ષો,નદીઓ,લોકો પવિત્ર છે એ રીતે વ્યવહાર કરવા તથા કુદરત અને લોકોમાં ઈશ્વર છે એવું જોવા લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ.એનાથી સંવેદનશીલતા પોષાશે; અને એક સંવેદનશીલ વ્યક્તિ કુદરત માટે પરવા કર્યા વગર રહી નથી શકતી. ખરેખર તો અસંવેદનશીલતા છે જે માણસનું વાતાવરણ પ્રત્યે ઉદાસ વર્તન કરાવે છે.જો કોઈ વ્યક્તિ સંવેદનશીલ છે તો તે પર્યાવરણનું જતન કરશે અને આમ પ્રદુષણનો નિકાલ કરશે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @ 93: મહિપતભાઈ કવિ

પદ્મશ્રી, દિલ્હી-સંગીત-નાટ્ય-એકેડેમી તરફથી લાઈફ-ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, ગુજરાત ગૌરવ એવોર્ડ, મેઘાણી એવોર્ડ અને જીનીયસ ઇન્ડિયન-એચિવર જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત પપેટ્રીના મહા-કલાકાર મહિપતભાઈ કવિની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

ખંભાત નજીકના ઝીણેજ ગામમાં, પાંચ બહેનો સાથેના સુખી કુટુંબમાં જન્મ, પિતા બારોટ અને ભરવાડ કોમ માટે વયવંચા (સાત પેઢીનું લખાણ)નું કામ કરતા. દાદી અને કાકા પાસેથી સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. બાળપણમાં બાપુજી મૃત્યુ પામ્યા. કાકાએ જૈન-સાધુ પાસેથી દીક્ષા લીધી હતી, પણ મહિપતભાઈના પિતાનું નાની ઉંમરે અવસાન થતાં, તેઓ સંસારમાં પાછા આવ્યા અને કુટુંબની જવાબદારી ઉપાડી. અમદાવાદ આવી રાણીના હજીરામાં દુકાન કરી. મહિપતભાઈ પર ગાંધીજીનો પ્રભાવ ઘણો. તેમણે નવજીવન પ્રેસમાં કામ કર્યું, જાતે ખાદી કાંતીને પહેરી. 1960માં દર્પણમાં જોડાયા, બે વર્ષ નાટક કર્યું, પણ કંટાળ્યા. મહેરબહેન કોન્ટ્રાક્ટરનો ભેટો થયો અને શ્રેયસ શાળામાં પપેટ્રી શીખવાડવામાં જોડાયા. મહેરબહેન સાથે ઘણું કામ કર્યું અને શીખ્યા.

પાર્ટીશન પછી વાડજ સ્થિર થયેલ સિંધી પાડોશી લીલાવતીબહેન બજાજ (જાણીતી ન્યુ-કરાંચી સ્વીટ-માર્ટની દીકરી) સાથે 21 વર્ષે લગ્ન કર્યા. લીલાવતીબહેનને સિલાઈ-કામમાં સારી ફાવટ. ઘરમાં બાલમંદિર અને સીવણ-ક્લાસ ચલાવે. સિલાઈની આવડતને કારણે પપેટ બનાવવાનું સહેલું બની ગયું. મહિપતભાઈ કૃષ્ણલીલાના પ્રસંગો પોતાની ભાષામાં લખી, તેમાં સંગીત ભરી, શેડો પપેટ-શો કરતા.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે વહેલા ઊઠે. ચા-પાણી-નાસ્તો સમયસર કરે. એકદમ શિસ્તબદ્ધ  જીવન છે. તેઓ ઘરમાં, શાળા-કોલેજોમાં, ગુજરાતમાં અને ભારત આખામાં શો તથા વર્કશોપ કરતા. 300થી વધુ શો કર્યા છે, 17 દેશમાં ફર્યા છે, અલગ-અલગ વિષયો પર 200થી વધારે નાટકો લખ્યા છે. તેમને ચાર બાળકો, છ પૌત્ર-પૌત્રીઓ અને એક પ્રપૌત્રી છે. ચાર પેઢી સાથે જ રહે છે. દુઃખમાં ઢાલ બની આગળ રહેતાં તેમનાં પત્નીનું 2015માં અવસાન થયું.

શોખના વિષયો : 

પપેટ્રી ઉપરાંત વાંચન-લેખનનો શોખ. ગાવાનું ગમે. રીધમ, હાર્મોનિયમ, ચિત્ર, શિલ્પકામ, બધું ગમે. ‘તન મેલા મન ઉજળા’, ‘હારાકીરી’, ‘પપેટ એટલે શું’, ‘નાટક શીખો રમતા-રમતા’ જેવાં પુસ્તકો લખ્યાં છે. કવિતા ‘કઠપુતલી-કે-ધાગે’, ‘અમરસિંહ રાઠોડ’ અને ‘બાપાલાલની પરબડી’ પર રિસર્ચ-વર્ક, તથા એક સિંધી ફિલ્મ કરી છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

લાંબો પાતળો બાંધો છે. તબિયતમાં  કોઈ તકલીફ નથી. બીપી-ડાયાબિટીસ જેવા કોઈ રોગ નથી. બીડી બહુ પીએ છે. અત્યારે પણ દરેક શોમાં તેઓ બાળકોની  જોડે હોય. મર્યાદિત ખાવાનું ખાય, બે રોટલી અને શાક, પણ ગોળ જોઈએ. ગળ્યું ખાવાનું ભાવે!

 

યાદગાર પ્રસંગ:  

રાજકોટના સાતમ-આઠમના મેળામાં તેમણે કુટુંબ સાથે દિવસના 50 શો કર્યા છે! ઘણાં લોકો તેમનો ખેલ જોવા 10-10 વાર આવતાં! જ્યારે પણ વિદેશ શોમાં જાય ત્યારે દેશના પ્રતિનિધિ તરીકે બીજા કલાકારો સાથે હાથ મિલાવે અને મોતીનું સરસ સ્ટીકર હાથમાં મૂકી દે! લોકો ખુશ થઈ જાય!

લંડનથી એક બહેન પપેટ્રી શીખવા તેમના ઘેર લાંબુ રહ્યાં. પાછાં જતી વખતે પૈસા માટે પૂછ્યું. મહિપતભાઈએ હસતા-હસતા કંઈ પણ લેવાની ના પાડી. એક મહિનામાં રામાયણ- મહાભારતના 110 શોનું આમંત્રણ, રિટર્ન-ટિકિટ સાથે, તેમણે મોકલી આપ્યું! આયર્લેન્ડનાં હેલન અને રીક પપેટ્રી શીખવા આવ્યાં હતાં. બંને જણ 12 વર્ષથી સાથે રહેતાં હતાં પણ લગ્ન કર્યાં ન હતાં. મહિપતભાઈનું લગ્ન-જીવન જોઈને તેમણે લગ્ન કરવાનું વિચાર્યું. અહીં જ સપ્તપદી રચી અને મહિપતભાઈએ કન્યાદાન કર્યું! પરદેશથી બોસ્ટન અને આના પપેટ્રી શીખવા આવ્યાં હતાં. તેમણે પણ અહીં લગ્ન કર્યાં. મહિપતભાઈને ડેડી કહે. અને દીકરાનું નામ ‘નારાયણ’ રાખ્યું! વિદેશથી 25-30 કલાકારો તેમની પાસે પપેટ્રી શીખવા તમને ઘેર રહી ગયાં છે!

 

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

દૂરદર્શન પરના પ્રોગ્રામોમાં છેલ્લામાં-છેલ્લી ટેકનોલોજીનાં કેમેરા,લાઈટો અને સ્ટેજ વાપરેલાં છે. તેમનાં બાળકો તેમની પાસેથી શીખીને આગળ વધ્યાં છે. દીકરી પલ્લવીબહેન કહે છે: “અમારી તો આજ યુનિવર્સિટી!”

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાં માણસ સુખી હોય તો બીજાને સુખ વહેંચતો. આજે બીજાને માટે એક ડગલું આગળ વધે નહીં. આજનો માણસ બહુ આત્મ-કેન્દ્રી થઈ ગયો છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

પ્રોગ્રામને લીધે યુવાનો સાથે ટચમાં છે. CEPTમાં 30-35 વર્ષ વિદ્યાર્થીઓને પપેટ્રી શીખવ્યું છે. દીકરી 50 વર્ષથી તેમની સાથે કામ કરે છે!

સંદેશો : 

જૂની કળાઓને સાચવીશું નહીં તો આપણે માણસ છતાં માણસ રહેશું નહીં. લોક-કલાઓ પ્રત્યે લોકોને આકર્ષણ તો છે, પણ મનોરંજનનાં સાધનો વધતાં તેનું મહત્વ ઘટી ગયું છે!

પંચાંગ 02/08/2023