Home Blog Page 2662

લોકસભા દિવસભર માટે સ્થગિત, વન સંરક્ષણ સંશોધન બિલ પસાર

મણિપુરમાં જાતિય હિંસા પર વિપક્ષી સભ્યોના વિરોધ વચ્ચે લોકસભાને દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. મણિપુરની સ્થિતિ અંગે વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાએ ફોરેસ્ટ (સંરક્ષણ) સંશોધન બિલ પસાર કર્યું. પૂર્વોત્તરના રાજ્યસભાના સભ્યો આજે સંસદમાં ગૃહના અધ્યક્ષને મળ્યા હતા અને મણિપુરના મુદ્દાઓ પર નિયમ 176 હેઠળ ટૂંકા ગાળાની ચર્ચા માટે વિનંતી કરી હતી. તેમણે તમામ પક્ષોના સભ્યોને ચર્ચામાં ભાગ લેવા વિનંતી કરી.


મણિપુર મુદ્દે સરકારના વલણથી નારાજ વિપક્ષે રાજ્યસભામાં વોકઆઉટ કર્યું

રાજ્યસભામાં મણિપુર હિંસા પર સરકારના વલણ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહની અંદર કોઈ નિવેદન ન આપવાના વિરોધમાં બુધવારે વિરોધ પક્ષોના સભ્યોએ ઉપલા ગૃહમાંથી વોકઆઉટ કર્યું. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ, જ્યારે લંચ બ્રેક પછી ગૃહ ફરી શરૂ થયું ત્યારે અધ્યક્ષની પરવાનગી સાથે બોલતા, “અમે આ ગૃહમાં (મણિપુર મુદ્દા પર) જે ચર્ચા ઇચ્છતા હતા તે માટે અમે વડા પ્રધાનના નિવેદનની અપેક્ષા રાખતા હતા.” અને હજુ પણ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે વિપક્ષે ચર્ચાની માંગણી કર્યાને ચાર-પાંચ દિવસ થઈ ગયા છે અને વડાપ્રધાન સંસદ ભવન (તેમની ચેમ્બરમાં) આવે છે અને તેમના દ્વારા કરવામાં આવેલી માંગણી (ટીવી પર) જુએ છે. તેમણે સવાલ કર્યો કે, પરંતુ તેઓ (વડાપ્રધાન મોદી) નિવેદન કેમ નથી આપી રહ્યા?

ભાજપના નેતાઓએ સંસદની બહાર ગેહલોતનો વિરોધ કર્યો

ભાજપના નેતાઓએ સંસદની બહાર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત વિરુદ્ધ ‘રેડ ડાયરી’ સાથે વિરોધ કર્યો. રાજસ્થાનના બરતરફ મંત્રી અને કોંગ્રેસ નેતા રાજેન્દ્ર ગુડાએ ‘લાલ ડાયરી’નો ઉલ્લેખ કર્યો હતો.

આગામી 3 દિવસ 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

પહાડોથી લઈને મેદાનો સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી 22 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોનો સમાવેશ થાય છે. બુધવારે મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, કોંકણ, ગોવા, તેલંગાણા, રોયલ સીમા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. ગંગા, યમુના, ઘગ્ગર, હિંડોન સહિતની તમામ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ચંદીગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

બદ્રીનાથ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો

ઉત્તરાખંડમાં હવામાન લગભગ સ્વચ્છ રહ્યું હતું, પરંતુ નંદપ્રયાગમાં કાટમાળ પડવાને કારણે બદ્રીનાથ માર્ગ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ભૂસ્ખલનને કારણે મંગળવારે પણ યમુનોત્રી માર્ગ બંધ રહ્યો હતો. જો કે કેદારનાથ યાત્રા ચાલુ છે. હાલમાં રાજ્યમાં 50 રસ્તાઓ બંધ છે, લગભગ 40 ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. 400 નાની-મોટી કેનાલો ધોવાઈ ગઈ છે. હરિદ્વારમાં, ગંગા હજુ પણ 293.45 મીટર પર વહી રહી છે, જે ખતરાના નિશાન (293 મીટર)થી થોડી ઉપર છે.

હિમાચલના કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે પાંચ મકાનો ધરાશાયી 

હિમાચલના કુલ્લુની ગડસા ખીણમાં મંગળવારે સવારે 4 વાગ્યે વાદળ ફાટવાના કારણે પંચનાલા અને હુર્લા નાળાઓમાં ભારે પૂર આવ્યું હતું. પાંચ મકાનો ધોવાઈ ગયા હતા અને 15ને નુકસાન થયું હતું. ચાર નાના-મોટા પુલ પણ ધોવાઈ ગયા છે અને કેટલાંક પશુઓ લાપતા છે. ભુંતર-ગડસા મણિયાર રોડને નુકસાન થયું છે. પાર્વતી ખીણમાં મણિકર્ણ ખાતે બ્રહ્મગંગા નાળામાં આવેલા પૂરમાં કેમ્પિંગ સાઇટને નુકસાન થયું છે. મલાણા પ્રોજેક્ટના ડેમ ઉપરથી પાણીની આવક ચાલુ છે. પંડોળ ડેમમાંથી પાણી છોડવાને કારણે બિયાસની જળ સપાટી વધી છે. 500 થી વધુ રસ્તાઓ બંધ છે.

ફિરોઝપુરમાં મકાન ધરાશાયી થતાં શાળા 29મી સુધી બંધ

પહાડોમાં અવિરત વરસાદને કારણે પંજાબના અનેક વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા છે. સતલજના વાવાઝોડાએ ફાઝિલ્કા અને ફિરોઝપુર જિલ્લામાં નોંધપાત્ર નુકસાન કર્યું છે. ફાઝિલ્કામાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા ધની નથ્થા સિંહ વાલા ગામમાં પુલ ડૂબી ગયો. ફિરોઝપુરના સરહદી ગામ કાલુ વાલામાં પૂરના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. અહીં ગ્રામજનોએ તેમના ઘરની છત પર પોતાનો સામાન લઈને બેસી રહેવું પડ્યું હતું. હુસૈનીવાલાને અડીને આવેલા ગામોના અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. ફિરોઝપુરમાં 8 અને ફાઝિલકામાં 10 શાળાઓ 29મી સુધી બંધ કરી દેવામાં આવી છે.

દિલ્હીમાં ડ્રોન, પોલીસ એક્સ્પોનું આયોજન

નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે હાલ ચોથા ડ્રોન ઈન્ટરનેશનલ એક્સ્પો-2023 અને 8મા ઈન્ટરનેશનલ પોલીસ એક્સ્પો-2023 પ્રદર્શનો ચાલી રહ્યા છે. તે નિહાળવાનો ઘણા લોકો લાભ લઈ રહ્યા છે. આ પ્રદર્શનોમાં લેટેસ્ટ ટેક્નોલોજીવાળા ડ્રોન તથા પોલીસ શસ્ત્રસરંજામને પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે.

ડ્રોન એક્સ્પોમાં વિવિધ પ્રકારનાં ડ્રોન પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે.

ઈન્ટરનેશનલ પોલીસ એક્સ્પોમાં એક મુલાકાતી શસ્ત્રનું નિરીક્ષણ કરે છે. આ પ્રદર્શન 26-27 જુલાઈ, એમ બે દિવસનું છે.

ઈન્ટરનેશનલ પોલીસ એક્સ્પોમાં એક મુલાકાતી લેટેસ્ટ વર્ગની રાઈફલનું નિરીક્ષણ કરે છે.

ઈન્ટરનેશનલ પોલીસ એક્સ્પોમાં શસ્ત્રનું નિરીક્ષણ કરતી એક મહિલા મુલાકાતી.

ઈન્ટરનેશનલ પોલીસ એક્સ્પોમાં એક મુલાકાતી શસ્ત્રનું નિરીક્ષણ કરે છે.

ઈન્ટરનેશનલ પોલીસ એક્સ્પોમાં એક મુલાકાતી શસ્ત્રનું નિરીક્ષણ કરે છે.

દિલ્હી વટહુકમને કાયદો બનાવવાનો તખતો તૈયાર

 નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં સાંજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દિલ્હી વટહુકમને કાયદો બનાવવા માટે સંસદમાં ખરડો લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. દિલ્હીમાં વહીવટી અધિકારીઓ પર નિયંત્રણ માટે દિલ્હી વટહુકમને કાયદો બનાવવા માટે સંસદમાં બિલ લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ સંસદના હાલના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવે એવી વકી છે.

દિલ્હીમાં વરિષ્ઠ વહીવટી અધિકારીઓની નિયુક્તિ અને સ્થાનાતંરણના અધિકારને લઈને દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અને દિલ્હી સરકારની વચ્ચે કાનૂની વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકારે 19 મેએ દિલ્હી સંબંધિત બંધારણની વિશેષ જોગવાઈ અનુચ્છેદ- 239AAના હેઠળ એક વટહુકમ બહાર પાડ્યો હતો.

કેન્દ્ર સરકાર તરફથી જારી વટહુકમ દિલ્હીમાં અધિકારીઓના સ્થાનાંતરણ, પોસ્ટિંગ અને સતર્કતાથી જોડાયેલા અધિકારોને લઈને નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ઓથોરિટીમાં દિલ્હીના મુખ્ય મંત્રી, મુખ્ય સચિવ ને પ્રધાન ગૃહ સચિવ હશે. એમાં અધિકારીઓની ટ્રાન્સફર, પોસ્ટિંગ અને સતર્કતા જેવા મુદ્દા પર નિર્ણય લેશે અને લેફ્ટ ગવર્નરની ભલામણોને મોકલશે. આમ આદમી પાર્ટી એનો વિરોધ કરી રહી છે અને એણે કોંગ્રેસ સહિત બધા પક્ષોનો આ મુદ્દે ટેકો માગ્યો છે. સુપ્રીંમ કોર્ટે વટહુકમને પડકારતી દિલ્હી સરકારની અરજીને પાંચ સભ્યોની ખંડપીઠને મોકલી આપ્યો છે.

 

 

 

 

અવિશ્વાસ પ્રસ્તાવઃ 2019માં કરેલી PM મોદીની ભવિષ્યવાણી થઈ વાયરલ

2018ના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે 7 ફેબ્રુઆરી, 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જ્યારે વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી રહ્યા છે. જેમાં તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓએ 2023માં પણ આવો જ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરવી જોઈએ. 2018માં લોકસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું તમને શુભેચ્છા પાઠવું છું કે તમે એટલી તૈયારી કરો કે તમને 2023માં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો મોકો મળે. સરકારી સૂત્રોએ પીએમ મોદીના સંબોધનના આ ભાગને તેમની “ભવિષ્યવાણી” દર્શાવતા શેર કર્યો છે.

વિપક્ષી પાર્ટીના એક સભ્યને જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ અહંકારનું પરિણામ છે કે એક સમયે 400થી વધુ કોંગ્રેસની સીટોની સંખ્યા 2014ની લોકસભા ચૂંટણીમાં ઘટીને 40ની આસપાસ આવી ગઈ.

‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશ શરુ..

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની ‘હર ઘર ધ્યાન’ ની પહેલના સંદર્ભમાં તેના સહયોગથી ધી આર્ટ ઓફ લિવિંગે ૨૪ થી ૩૧ જુલાઈ,૨૦૨૩ દરમ્યાન ‘ભારતમાં ધ્યાન’ ની ઝુંબેશ ઉપાડી છે.આ ઝુંબેશનો ઉદ્દેશ તમામ ઉંમર અને પૃષ્ઠભૂમિના લોકોને ધ્યાનની રીતો અને સ્વજાગૃતિ  વિશે સશકત કરવાનો છે. ‘હર ઘર ધ્યાન’ની પહેલનો અંત સ્વતંત્રતા દિવસ,૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ના દિવસે થશે.

‘ભારતમાં ધ્યાન’ થકી આખા દિવસ દરમ્યાન નિઃશુલ્ક ઓનલાઇન ધ્યાન માટે ૮ સમયની શ્રેણી ફાળવવામાં આવી છે:સવારે ૬,૭,૮ વાગે,બપોરે ૨,૩ વાગે અને સાંજે ૬,૭ અને ૮ વાગે. આ જીવંત ઓનલાઇન સત્રો ધી આર્ટ ઓફ લિવિંગના નિષ્ણાંત શિક્ષકો દ્વારા લેવામાં આવે છે.

‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશમાં ભાગ લેવા indiameditates.org વેબસાઈટ પર નોંધણી કરાવવાથી વોટ્સઅપ ગૃપમાં સમાવેશ કરવામાં આવશે. અને તેમાં સત્ર માટેની લીંક મળશે. ભાગ લેનારને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ધી આર્ટ ઓફ લિવિંગ દ્વારા પ્રમાણિત ઈ-પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

રાજ્યસભામાં હંગામો : મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – મારું અપમાન થયું

બુધવારે પણ રાજ્યસભાની કાર્યવાહીમાં ભારે હંગામો થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે તેમનું અપમાન કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં બોલતા ખડગેએ કહ્યું, ગઈકાલે સંસદમાં મારું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે ખડગે બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાંસદ તેમની પાછળ ઉભા હતા. અધ્યક્ષે કોંગ્રેસના સભ્યોના ઊભા રહેવા સામે વાંધો ઉઠાવ્યો, જેના જવાબમાં ખડગેએ કહ્યું કે જો તે મારી પાછળ ઊભા ન રહે તો શું તમે મોદીની પાછળ ઊભા રહેશે ? ખડગેએ આટલું કહેતાં જ ગૃહમાં ભાજપના સાંસદોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષના નેતા અને ગૃહના નેતાને પોતપોતાના સભ્યોને શાંત રહેવા કહ્યું. હંગામો શાંત ન થતો જોઈને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

મણિપુર મુદ્દે સંસદમાં હોબાળો

બુધવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ સાંસદોએ કારગિલ દિવસ અને જવાનોને સલામી આપી હતી. આ પછી મણિપુર મુદ્દે સંસદમાં હોબાળો શરૂ થયો હતો. રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું કે મેં મણિપુરના મુદ્દા પર ટૂંકા ગાળાની ચર્ચાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે અધ્યક્ષે ટૂંકા ગાળાની ચર્ચા વિશે વાત કરી છે. ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જ્યારે નક્કી થઈ ગયું છે કે ચર્ચા થશે તો પછી હંગામો શા માટે છે. આખરે વિરોધ પક્ષો ગૃહની કાર્યવાહી કેમ ચાલવા દેવા નથી માંગતા? રાજ્યસભાના અધ્યક્ષે કહ્યું કે આ અંગેનો સમય ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.


હિંમત હોય તો રાજસ્થાન, છત્તીસગઢ અને બંગાળની ચર્ચા કરો : સ્મૃતિ ઈરાની

બુધવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાજ્યસભામાં ખૂબ જ નારાજ દેખાઈ. વિપક્ષના હોબાળા પર તેમણે કહ્યું કે, મણિપુર પર ચર્ચાની માંગ કરનારાઓ પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાન પર ચર્ચા કેમ નથી ઈચ્છતા. ઈરાનીએ કહ્યું કે, આ લોકો રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ પર ચર્ચા કરવાની હિંમત કેમ નથી કરતા. જો તમારામાં હિંમત હોય તો રાજસ્થાન, છત્તીસગઢ અને બંગાળની ચર્ચા કરો.

નોએડા: હિંડન નદીમાં જળસ્તર વધી જતાં સેંકડો કાર ડૂબી ગઈ

નોએડાઃ ઉત્તર પ્રદેશના નોએડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે હિંડન નદીમાં પૂર આવતાં ઈકોટેક-3 વિસ્તારમાં સેંકડો મોટરકાર પાણીમાં ડૂબી ગયાની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. પૂરનાં પાણીમાં ડૂબી ગયેલી 350 જેટલી કારની ડ્રોન તસવીરો આંચકો આપનારી છે.

આ હાલત રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની નજીક આવેલા ગ્રેટર નોએડા વિસ્તારમાં આવેલા એક પાર્કિંગ યાર્ડની છે. આ પાર્કિંગ યાર્ડ ઓલા કંપનીનું છે. ત્યાં પાણીમાં ડૂબી ગયેલી ઓલાની ઓનલાઈન કાર (કેબ્સ)ની માત્ર છત જ દેખાય છે.

અનેક વાર ચેતવણી આપવામાં આવી હોવા છતાં કંપનીએ તે પાર્કિંગ લોટમાંથી તેની કાર હટાવી નહોતી, પરિણામે તે હવે ડૂબી ગઈ છે.

અધિક શ્રાવણઃ મંદિરો માં પૂજા-ઉત્સવ, અનુષ્ઠાન સાથે ભજન-કિર્તન, કથા વાંચન

 

અષાઢ પછી આવતો શ્રાવણ મહિનો હિંદુ સંસ્કૃતિ માં  પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે. આમ વર્ષ 2023માં બે શ્રાવણ માસ છે. જે ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ છે.

આ વર્ષે પહેલા અધિક શ્રાવણ માસ છે અને ત્યારબાદ શ્રાવણ માસ છે. જેમાં  કૃષ્ણ જન્માષ્ટમી સહિતના તહેવારો ઉજવાશે.

અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યો માં  4 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે.  ગુજરાતમાં હવે 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થયો.

હિંદુ પંચાગમાં ચોક્કસ ઋતુ – તિથિ અનુસાર વાર-તહેવારોની ઉજવણી થાય છે. દર વર્ષે હિંદુ માસમાં ઋતુ અનુસાર ઉજવાતા તહેવારોના સીઝનમાં ફેરફાર થાય છે. અધિક માસ એ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની એક પ્રક્રિયા છે. જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ અધિક માસ હોય છે.

જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે એ ક્ષય માસ કહેવાય છે. સૂર્યની જેમ સંક્રાતિ થાય છે અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત 12 મહિના હોય છે. ગુજરાતમાં 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થયો,  વર્ષ 2023માં કુલ 59 દિવસ શ્રાવણ માસ રહેશે.

 

મંદિર ના પ્રાંગણ અને સોસાયટી ઓ માં મોટી સંખ્યામાં મહિલા મંડળો દ્વારા ભજન કિર્તન ની શરૂઆત થઇ ગઇ છે. હિંદુ મંદિરો માં જુદા જુદા કાર્યક્રમો સાથે પૂજા અર્ચના માટે લોકો ઉમટી રહ્યા છે.

એસજીવીપી ગુરુકુલ માં રામ, શ્યામ અને ઘનશ્યામના સાનિધ્યમાં સમગ્ર અધિક માસ દરમિયાન દરરોજ કલાત્મક હિંડોળા બનાવામાં આવે છે.

એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહા વિદ્યાલય ના ઋષિકુમારો દ્વારા સંસ્થા માં દરરોજ ઋગ્વેદ, યજુર્વેદ નું અનુષ્ઠાન કરવામાં આવે છે.

સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે કૃષ્ણ મંદિર ને શણગારવામાં આવ્યું.

(પ્રજ્ઞેશ વ્યાસ)

શહેરમાં મચ્છરજન્ય ને પાણીજન્ય રોગોના દર્દીઓમાં ખાસ્સો વધારો

અમદાવાદઃ શહેરમાં ચોમાસામાં મચ્છરજન્ય ને પાણીજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. શહેરમાં ઝાડા-ઉલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 23 દિવસમાં ઝાડા-ઊલટીના 773 અને ટાઇફોઇડના 325 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 136 કેસો છે. કોલેરાના છ કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 73 અને મેલેરિયાના 37 કેસો નોંધાયા છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કુલ 520 એકમનું ચેકિંગ કરીને 335 એકમોને નોટિસ આપવામાં આવી છે અને રૂ. 10.38 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતા છે. કોર્પોરેશનની મિલકતો અને સ્કૂલો તેમ જ શૈક્ષણિક સંસ્થા વગેરે જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આરોગ્ય વિભાગે શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઇટો, કોમર્શિયલ એકમો અને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે, જ્યાં મચ્છરના બ્રિડિંગ મળતાં ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે વિવિધ જગ્યાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

શહેરમાં ​​​​​​​મચ્છરોના બ્રિડિંગ મળી આવતા એકમોને રૂ. 5000થી લઈ 60,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત રહેણાક વિસ્તારોમાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 111 સ્કૂલોમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મ્યુનિ. દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા સઘન ચેકિંગ કરાવામાં આવશે.