Home Blog Page 2675

PM મોદીના આહવાન પર 2400થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ

અમદાવાદઃ વડા પ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમનું સપનું સાકાર કર્યું છે. વડા પ્રધાન મોદી રાજ્યના દરેક જિલ્લામાં 75 તળાવોનું નિર્માણ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં અમૃતકાળમાં છે તો રાજ્યના દરેક દિલ્લામાં 75 અમૃત સરોવર હોવા જોઈએ.રાજ્ય સરકારે 33 જિલ્લામાં 2400થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય પૂરું કરી લીધું છે.

વડા પ્રધાને એપ્રિલ, 2022ના મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને દેશના પ્રત્યેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા માટે આહવાન કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પાણી બચાવવાના સંકલ્પ લેવાની તેમણે વિનંતી કરી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં નોંધનીય કાર્ય કર્યું છે. રાજ્ય સરકારે 100 ટકાથી વધુ કાર્ય પૂરું કરી લીધું છે. અત્યાર સુધી 2475ના લક્ષ્યની તુલનાએ રાજ્યમાં 2652 અમૃત સરોવરોની ઓળખ કરવામાં આવી છે અને 2612 અમૃત સરોવરોનું નિર્માણ પૂરું થઈ ચૂક્યું છે.

વડા પ્રધાને પ્રત્યેક અમૃત સરોવર એક એકરમાં (0.4 હેક્ટર)નું તળાવ બનાવવાનો માપદંડ રાખ્યો હતો, જેમાં 10,000 ઘનમીટરની સંગ્રહક્ષમતા હોય. રાજ્યમાં ગયા મહિને યોગ દિવસે 1597 સરોવરો પર 65,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ રીતે એક જુલાઈએ કેટલાય અમૃત સરોવરો પર આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રએ સ્થઆનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ગામના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજ્ય સરકારે વડા પ્રધાનના સૂચન અનુસાર રાજ્યમાં અમૃત સરોવરો બનાવ્યાં હતાં.

 

 

 

 

ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપેનહાઇમર’નો ભારતમાં અદ્દભૂત ક્રેઝ

ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપેનહાઇમર’નો ભારતમાં અદ્દભૂત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પહેલા જ દિવસે આ ફિલ્મ બ્લોકબસ્ટર તરફ ઈશારો કરી રહી છે. થોડા દિવસો પહેલા રીલિઝ થયેલી ટોમ ક્રૂઝની ‘મિશન ઈમ્પોસિબલ 7’ બોક્સ ઓફિસ પર અજાયબીઓ કરી રહી હતી, હવે ‘ઓપેનહિમરે’ ફિલ્મને પહેલા જ દિવસે પાછળ છોડી દીધી છે. ફિલ્મના પહેલા જ દિવસે દર્શકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

‘Openheimer’ ઓપનિંગ ડે કલેક્શન

સીલિયન મર્ફી અને રોબર્ટ ડાઉની જુનિયરની જોરદાર એક્ટિંગ દર્શાવતી ‘ઓપનહેઇમર’ એ પહેલા દિવસે જ જોરદાર કમાણી કરી છે. સકનિલ્કના પ્રારંભિક ટ્રેડ રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન 13.50 કરોડ રહ્યું છે. આ સંદર્ભમાં, આ ફિલ્મ આ વર્ષની પહેલી હોલીવુડ ફિલ્મ બની છે, જેણે આટલું મજબૂત ઓપનિંગ લીધું છે. આ પહેલા 12 જુલાઈએ રિલીઝ થયેલી ‘મિશન ઈમ્પોસિબલ 7’નું ઓપનિંગ ડે કલેક્શન 12.25 કરોડ હતું. બીજી તરફ, 19 મેના રોજ રીલિઝ થયેલી વિન ડીઝલની ‘ફાસ્ટ એક્સ’એ શરૂઆતના દિવસે લગભગ 12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

 

ફિલ્મની વાર્તા શું છે

‘ઓપનહેઇમર’ એક બાયોગ્રાફિકલ ડ્રામા છે. જે પરમાણુ બોમ્બના પિતા ‘જે રોબર્ટ ઓપેનહાઇમર’ના જીવન પર આધારિત છે. આ ફિલ્મ ઓપેનહેઇમરના પ્રથમ પરમાણુ પરીક્ષણ ‘ટ્રિનિટી’ વિશે જણાવે છે. જેમાં ટ્રાયલ પહેલા અને પછીની ઘટનાઓનું રસપ્રદ વર્ણન છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. જે અમેરિકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો, સાથે જ જાપાનને આ હુમલામાંથી બહાર આવવામાં ઘણા વર્ષો લાગ્યા હતા. આ ફિલ્મમાં તેનો એક ભાગ લઈને બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મનુષ્યની ઈચ્છા માનવ જીવનના વિનાશ તરફ દોરી જાય છે.

એશિયા કપની ફાઇનલમાં પહોંચી ભારત અને પાકિસ્તાન, આવતીકાલે મુકાબલો

એશિયન ક્રિકેટનો મહાકુંભ 30 ઓગસ્ટથી શરૂ થશે. 2023ના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે શાનદાર મેચ રમાશે. 2023 એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાશે. આ પહેલા 2023 ઇમર્જિંગ એશિયા કપની મેચો શ્રીલંકામાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ પણ તેના છેલ્લા તબક્કામાં છે.


પાકિસ્તાન A એ પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા A ને હરાવ્યું હતું

2023 ઇમર્જિંગ એશિયા કપની પ્રથમ સેમિફાઇનલ મેચ પાકિસ્તાન-A અને શ્રીલંકા-A વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાન-A ટીમે આ મેચ સરળતાથી જીતી લીધી હતી. પાકિસ્તાન-એ પહેલા રમતા 50 ઓવરમાં 322 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા-A ટીમ 45.4 ઓવરમાં 262 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન-A તરફથી ઉમૈર યુસુફે 88 અને કેપ્ટન મોહમ્મદ હરિસે 52 રન બનાવ્યા હતા. આ સાથે જ શ્રીલંકા-A તરફથી અવિશકા ફર્નાન્ડોએ સૌથી વધુ 97 રન બનાવ્યા હતા.

બીજી સેમિફાઇનલમાં ભારત A એ બાંગ્લાદેશ A ને હરાવ્યું હતું

2023 ઇમર્જિંગ એશિયા કપની બીજી સેમિફાઇનલ મેચ લો સ્કોરિંગ હતી. ભારત-A ટીમ પ્રથમ રમત રમીને 49.1 ઓવરમાં માત્ર 211 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ પછી બાંગ્લાદેશ-A ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 70 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી હતી અને અંતે 51 રનથી મેચ જીતી લીધી હતી. ઈન્ડિયા-A તરફથી નિશાંત સંધુએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.

ફાઇનલ મેચની સંપૂર્ણ વિગતો

હવે ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ ભારતના સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે.

ઉર્ફી જાવેદની સાથે ફ્લાઇટમાં થઈ છેડતી, વિડિયો વાઇરલ

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ બિનધાસ્ત અંદાજ માટે જાણીતી છે. તે અલગ-અલગ ડ્રેસને લઈને ભલે કેટલીય વાર ટ્રોલનો શિકાર થતી રહેતી હોય, પણ એના ફેન્સની કોઈ કમી નથી. ઉર્ફીની ડ્રેસિંગ ફેશન આમ તો કોઈનાથી છુપાયેલી નથી. એટલે કેટલાય લોકો તેને સાચુંખોટું કહેતા હોય છે.

જ્યારે તે મુંબઈથી ગોવા જતી ફ્લાઇટમાં બેઠી હતી, એ દરમ્યાન ઉર્ફીની સાથે ફ્લાઇટમાં કેટલાક યુવકોએ નશાની હાલતમાં તેની છેડતી કરી હતી. ઉર્ફીએ આ વિડિયો ખુદ સોશિયલ મિડિયા અકાઉન્ટમાં શેર કર્યો છે અને આપવીતી જણાવી છે. ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં એક વિડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે કેવી રીતે ફ્લાઇટમાં યુવકોના એક ગ્રુપે તેનું યૌન ઉત્પીડન કરવાનું શરૂ કર્યું હતું. તેણે એક નોટમાં આપવીતી જણાવી હતી. તેણે કહ્યું હતું કે એ વ્યક્તિએ તેને નામથી બોલાવી હતી. ફ્લાઇટમાં તેની સાથે છેડતી કરી અને આકરી ટિપ્પણીઓ કરી હતી.

તેણે નોટમાં લખ્યું હતું કે કાલે એક ફ્લાઇટમાં મુંબઈથી ગોવાની યાત્રામાં મારી સાથે ઉત્પીડન થયું હતું. આ વિડિયોમાં યુવકો ગંદી વાત કરી રહ્યા હતા. જ્યારે મેં તેમનો સામનો કર્યો તો તેમાંથી એકે કહ્યું હતું કે તેના મિત્રો નશામાં હતા. નશામાં હોવું એ મહિલાઓ સાથે દુર્વયવહાર કરવાનું કોઈ બહાનું નથી. સેલિબ્રિટી છું, પણ જાહેર સંપત્તિ નથી.તેનું કહેવું છે કોઈ મહિલા સાથી માત્ર એટલા માટે બેહૂદું વર્તન કરવો એ તમારી નૈતિકતાના વિચારને અનુરૂપ નથી. આ સૌથી ગંભીર સામાજિક સમસ્યાઓમાંની એક છે.

 

 

 

 

 

દિલ્હીમાં ફરી પૂરનું જોખમઃ હથિનીકુંડ બેરેજથી પાણી છોડાયું

નવી દિલ્હીઃ દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ફરી એક વાર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. પૂર પછી હજી પણ દિલ્હીના કેટલાય વિસ્તારોમાં લોકો રાહત શિબિરોમાં રહી રહ્યા છે. વહીવટી તંત્રે લોકોને યમુનાથી દૂર રહેવાની સલાહ આપી છે.

હથિનીકુંડ બેરેજથી સવારે નવ કલાકે 1.47 લાખ ક્યુસેક, 10 કલાકે 2.09 લાખ ક્યુસેક અને 11 કલાકે 2.23 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જો આ જ રીતે પ્રતિ કલાક પાણી છોડવામાં આવશે તો આગામી 24થી 48 કલાકમાં એની અસર જોવા મળશે. રાજધાનીની ફરી પૂરની સ્થિતિ ઊભી થાય એમ છે. દિલ્હીમાં જળસ્તર વધવાથી વાહનોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મુકાવાની શક્યતા છે.  બીજી બાજુ ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી ખસ્તા હાલત છે. રામબનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ કરવામાં આવ્યો છે.

મયૂર વિહાર ફેર એકમાં રાહત શિબિરમાં રહેતા લોકોનું કહેવું છે કે તેમને એ સૂચના આપવામાં આવી છે કે યમુનાનું જળસ્તર ફરી એક વાર વધવાને કારણે તેમણે હજી અહીં રોકાવાનું રહેશે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ જૂના રેલવે બ્રિજ પર યમુનાનું જળ સ્તર 205.48થી ઉપર બનેલું છે.

છેલ્લા આઠ દિવસમાં યમુના ખતરાના નિશાન ઉપરથી વહી રહી હતી. ત્યાર બાદ મંગળવારની રાતે આઠ વાગ્યે યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે આવી ગયું હતું. બુધવાર સવારે પાંચ કલાકે ઘટીને 205.22 મીટર રહી ગયું, જે બાદ જળસ્તરમાં ફરથી વધારો થવા લાગ્યો અને તે ખતરાનાથી નિશાનથી ઉપર વહેવા લાગી હતી.

 

 

 

 

 

એરપોર્ટ પર રૂ. 10 કરોડથી વધુની વિદેશી કરન્સી પકડાઈ

નવી દિલ્હીઃ કસ્ટમ અધિકારીઓએ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી પકડી પાડી છે. અધિકારીઓએ રૂ. 10 કરોડની વિદેશી કરન્સી પકડી છે. આ કરન્સી દિલ્હી એરપોર્ટ પર તાજિકિસ્તાનના ત્રણ નાગરિકો પાસેથી જપ્ત કરવામાં આવી છે. સત્તાવાર આંકડાઓથી આ ખુલાસો થયો છે.

કસ્ટમ અધિકારીઓએ તેમને એ સમયે અટકાવ્યા, જ્યારે તેઓ ઇસ્તુંબુલ માટે ફ્લાઇટ પકડવાના હતા. અધિકારીઓએ તેમની તપાસ કરી અને પછી એ અત્યાર સુધીની મોટી સફળતા હાંસલ થઈ.

અધિકારીઓએ જે નિવેદન જારી કર્યું છે, એ મુજબ તાજિકિસ્તાનના ત્રણ નાગરિકો ઇસ્તંબુલ જવાના હતા. કસ્ટમે તેમનો માલસામાન અને વ્યક્તિગત તપાસ કરી હતી. આ તપાસમાં તેમની પાસેથી 7.20 લાખ ડોલર અને 4.66 લાખ યુરોની વિદેશી કરન્સી મળી, જેની કિંમત રૂ. 10,0678,410 છે. તેમની પાસેથી મળેલી વિદેશી કરન્સીને કસ્ટમ્સે જપ્ત કરી લીધી છે. આ સિવાય આગળની કાર્યવાહી માટે તપાસ જારી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ દાણચોરોમાં એક કિશોર પણ સામેલ છે. વિદેશી કરન્સી માલસામાનમાં રાખેલાં જૂતાંની અંદર છુપાયેલી હતી.

દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ત્રણ પર એરપોર્ટ કસ્ટમના અધિકારીઓએ રૂ. 10 કરોડનથી વધુની વિદેશી કરન્સી જપ્ત કરી છે. કસ્ટમ અધિકારીઓનું કહેવું છે કે આ દેશના કોઈ પણ એરપોર્ટ દ્વારા ગેરકાયદે રીતે લઈ જવાતી વિદેશી કરન્સીની અત્યાર સુધીની સૌથી મોટી ખેપ છે.

 

 

 

 

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ નવસારી, જૂનાગઢ જળબંબોળ

અમદાવાદ: રાજ્યમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે સ્થિતિ બદથી બદતર બની રહી છે. હવામાન વિભાગે રાજ્યના છ જિલ્લામાં છ  જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  નવસારી જિલ્લામાં ચાર કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં વિસાવદરમાં આભ ફાટ્યું હતું અને બે કલાકમાં જ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગિરનાર પાસેની કાળવા નદી બે કાંઠે થઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

નવસારી જળબંબોળ

નવસારીમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબોળ બન્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. જેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખેરગામમાં ધોધમાર વરસાદ પડતાં ઔરંગા નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.. ચીમનપાડા-મરઘમાળને અને બહેજ કુટી ખડક અને ભમ્ભાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. આ તરફ સાનકુવા નાક તલાવડી પાંચથી છ ફૂટ ઘરોમાં પાણી ભરાયાં છે.

કેલિયા ડેમ 90 ટકા ભરાયો

નવસારીમાં કેલિયા ડેમ 90 ટકા ભરાયો છે. કેલિયા ડેમ જિલ્લા માટે જીવાદોરી સમાન છે. સિંચાઈ વિભાગે ડેમ માટે હાઈએલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા 23થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાં કુલ 307.37 ક્યૂસેક પાણીની આવક થઇ છે. જ્યારે ડેમની સપાટી 112.55 મીટરે પહોંચી છે, ડેમ ઓવરફ્લો થવાને ફક્ત 0.85 મીટર જ બાકી છે.

 દ્વારકામાં ત્રણ દિવસથી વરસાદ

દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયા પંથકમાં ફરી ધોધમાર વરસાદથી શહેર પાણીથી જળબંબોળ થયું છે. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયાં છે. રામનાથ, નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા

ભાવનગરની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ શુક્રવારે રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે, જ્યારે હજી પણ 1800 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે, જેને લઇને નીચાણવાળાં 17 ગામને એલર્ટ અપાયું છે.

જામનગરના વિસ્તારોને એલર્ટ અપાયું

, જામનગરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વળ્યાં છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇને જિલ્લાના અનેક વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.

 

વડોદરામાં ભારે વરસાદ

વડોદરા શહેરમાં અનરાધાર પાંચ ઇંચ અને જિલ્લાના પાદરા તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડોદરા શહેરમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બની ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈં ગયાં હતાં. અનેક મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટી 14 ફૂટે પહોંચી ગઇ હતી.

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

વડોદરા શહેરના માંડવી, દાંડિયાબજાર, રાવપુરા, સ્ટેશન ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં સારાભાઇ સોસાયટીમાં પાણી ભરાઇ ગયાં હતાં. આ ઉપરાંત શહેરના સ્લમ વિસ્તારો તુલસીવાડી, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, નવાયાર્ડ રોશનનગર, આજવા રોડ, ખોડિયારનગર, વડસર, ગોત્રી, ઇસ્કોન મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સોસાયટીઓના રસ્તાઓ નદીઓમાં ફેરવાઇ ગયા હતા. સોસાયટીના રહીશો પાણીનો નિકાલ કરવા માટે કામે લાગી ગયા હતા.

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે વલસાડ, ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અહીં અતિથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, વિસાવદરમાં 8 ઈંચ અને વલસાડના પારડીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.

 

 

 

 

શિખાઉ માટે ફ્રેન્ડલી ટેક્સ્ચર આર્ટ વર્કશોપ યોજાશે

અમદાવાદઃ દરેક બાળકમાં સર્જનાત્મક ઇચ્છા હોય છે, જેને શોધવાની અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. 12 કે તેથી વધુ વધુ વયનાં બાળકો માટે શનિવારે સાંજે ચારથી છ કલાક દરમ્યાન ટેક્સ્ચર આર્ટ વર્કશોપ યોજવામાં આવશે. ખાસ કરીને શિખાઉ બાળકો આ વર્કશોપમાં ભાગ લઈ શકશે.

આ વર્કશોપમાં ટેક્સ્ચર આર્ટની પાયાની બાબતો શીખવવામાં આવશે. દરેક ભાગ લેતા બાળકને કેન્વાસ બોર્ડ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવશે અને તેમને ટેક્સ્ચર આર્ટ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

આ સાથે 12×12નું કેન્વાસ બોર્ડ પણ તમે સાથે લઈ જઈ શકશો. આ ટેક્સ્ચર આર્ટ માટે સંપર્ક સાધોઃ 079/ સ્ટોરીઝ, શાશ્વત બંગલોઝની સાંમે રાજપથ રોડ, બોડકદેવ, અમદાવાદ.

 

 

 

પશ્ચિમ બંગાળમાં બે મહિલાઓને અર્ધનગ્ન કરીને મારપીટ કરાઈ

કોલકાતાઃ મણિપુરની ઘટનાએ દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો છે, ત્યારે કંઈક આવું જ પશ્ચિમ બંગાળમાં થયું છે. પશ્ચિમ બંગાળમાં હાવડાનો કેસ હજી શાંત નથી થયો, ત્યારે માલદાથી બે મહિલાઓને મારપીટ કરવાનો વિડિયો વાઇરલ થયો છે. આ મહિલાઓ પર ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો, જે પછી લોકોએ મહિલાઓને અર્ધનગ્ન કરીને મારપીટ કરી હતી.  

પશ્ચિમ બંગાળથી માલદાથી એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બે મહિલાઓને મારપીટ કરતાં-કરતાં અર્ધનગ્ન કરવામાં આવી રહી છે. આ ઘટના ત્રણ-ચાર દિવસ પહેલાંની છે.

માલદામાં બે મહિલાઓને ચોરીના આરોપમાં સ્થાનિક લોકોએ પકડી લીધી હતી. ત્યાર બાદ તેની મારપીટ કરી હતી. આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બે મહિલાઓ કેટલીક મહિલાઓની મારપીટ કરી રહી છે. જોકે પશ્ચિમ બંગાળ પોલીસની પાસે આ પ્રકારની કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

પોલીસનું કહેવું છે કે વાઇરલ વિડિયો જોયા પછી તેમને ઘટનાની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસ બાદ માલૂમ પડ્યું હતું કે બે મહિલાઓને ચોરી કરતાં રંગે હાથ પકડવામાં આવી હતી, ત્યાર બાદ સ્થાનિક મહિલા દુકાનદારોએ તેમને માર માર્યો હતો. ત્યાર બાદ જે મહિલાઓ ચોરી કરતાં પકડાઈ હતી, તે પણ ભાગી ગઈ હતી. જે મહિલાઓએ તેમને માર માર્યો હતો, તેમણે ડરથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. હવે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પોલીસે સ્વયંસ્ફુરણાથી કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

 

 

 

કોરાનાના 53 નવા કેસો, એકનું પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 53 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,95,055 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,830 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1479એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 36,945 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.32 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,49,950 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 307 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.