મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલી એક સરકારી શાળાના પ્રિન્સિપલ પર વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને શાળામાં રાષ્ટ્રગાન કરાવવાથી રોકવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે જિલ્લા બેઝિક શિક્ષણ અધિકારી (BSA)એ પ્રિન્સિપલને સસ્પેન્ડ કરીને તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ મામલો મથુરાના નૌઝીલ વિકાસ ખંડની એક પ્રાથમિક શાળાનો છે, જ્યાં પ્રિન્સિપલ જાન મોહમ્મદ પર ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ કરવાના આરોપો છે. સસ્પેન્શન સાથે તેમને મંત વિકાસ ખંડની એક પ્રાથમિક શાળામાં સ્થાનાંતરિત પણ કરવામાં આવ્યા છે.
એક મહિનામાં આવશે તપાસ રિપોર્ટ
બેઝિક શિક્ષણ અધિકારી રતન કીર્તિએ મામલાની વિગતવાર તપાસ માટે બે સભ્યોની તપાસ સમિતિ રચી છે, જે એક મહિનાની અંદર પોતાની તપાસ રિપોર્ટ રજૂ કરશે. આ કાર્યવાહી ભાજપ મંડલ એકમના અધ્યક્ષ દુર્ગેશ પ્રધાન દ્વારા 30 જાન્યુઆરીએ દાખલ કરાયેલી ફરિયાદ બાદ કરવામાં આવી છે.
રાષ્ટ્રગાન ગાવાથી રોકવાનો આરોપ
ભાજપના નેતાએ આરોપ લગાવ્યો છે કે પ્રિન્સિપલ વિદ્યાર્થીઓને ઇસ્લામ તરફ પ્રેરિત કરી રહ્યા હતા અને કથિત રીતે તેમને નમાજ પઢવા માટે ઉશ્કેરતા હતા. ફરિયાદમાં આ પણ કહેવામાં આવ્યું છે કે પ્રિન્સિપલે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું અને શાળાની પ્રવૃત્તિઓ દરમિયાન રાષ્ટ્રગાન ગાવા પર વિદ્યાર્થીઓને ઠપકો આપ્યો હતો.
ઇસ્લામ અપનાવવા માટે પ્રેરણાનો આરોપ
દુર્ગેશ પ્રધાને પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો કે પ્રિન્સિપલે હિન્દુ ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી અને વિદ્યાર્થીઓને પોતાનાં માતા-પિતાને ઇસ્લામ ધર્મ અપનાવવા કહેવા માટે કહ્યું હતું. તેમણે આ પણ દાવો કર્યો કે વિદ્યાર્થીઓને કથિત રીતે એક મસ્જિદમાં જવા માટે કહેવામાં આવ્યું અને એક ઇસ્લામી સંગઠનના સભ્યો આ બાબતે પ્રેરણા આપવા માટે શાળામાં આવ્યા હતા.
પ્રિન્સિપલનો ઇનકાર
બીજી તરફ પ્રિન્સિપલ જાન મોહમ્મદે તમામ આરોપો નકારી કાઢ્યા છે અને કાર્યવાહી જે ઝડપથી થઈ તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
નોઇડાઃ ઉત્તર પ્રદેશના નોઇડામાં સાયબર છેતરપિંડીનો એક વધુ ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં સેક્ટર-15માં રહેતા એક નિવૃત્ત IAS અધિકારીને ઠગોએ નિશાન બનાવ્યા. ઓવરસ્પીડિંગ ચલણને બહાનું બનાવી ઠગોએ માત્ર 500 રૂપિયાનો દંડ હોવાનું કહ્યું, પરંતુ અધિકારીના ખાતામાંથી લગભગ 1.96 લાખ રૂપિયા ઉડાવી લીધા. આ આખી છેતરપિંડી એક નકલી APK ફાઇલ મારફતે કરવામાં આવી હતી, જેને ચલણની નકલ હોવાનું કહીને મોકલવામાં આવી હતી.
પીડિત અધિકારીના મોબાઇલ પર વોટ્સએપ દ્વારા એક મેસેજ આવ્યો હતો, જેમાં લખેલું હતું કે તેમને નામે ઓવરસ્પીડિંગ માટે ચલણ છે અને 500 રૂપિયાનું દંડ ભરવાનો છે. મેસેજમાં APK ફાઇલ ડાઉનલોડ કરવા અને આપેલી લિંક દ્વારા ઓનલાઇન ચુકવણી કરવાની વાત હતી. મેસેજ બિલકુલ સત્તાવાર ચલણ જેવો લાગતો હોવાથી અધિકારીને કોઈ શંકા ગઈ નહોતી અને તેમણે લિંક ખોલી દીધી.
ક્રેડિટ કાર્ડથી 1.96 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન
તેમણે લિંક દ્વારા ચુકવણી પ્રક્રિયા શરૂ કરી, ત્યારે તેમની પાસે ક્રેડિટ કાર્ડની વિગતો માગવામાં આવી હતી. અધિકારીએ પોતાનું અમેરિકન એક્સપ્રેસ કાર્ડની માહિતી ભરી અને ચુકવણી માટેનો ઓનલાઇન પાસવર્ડ પણ દાખલ કર્યો. ત્યાર બાદ ફાઇલ અચાનક બંધ થઈ ગઈ. શરૂઆતમાં તેમને લાગ્યું કે કોઈ ટેક્નિકલ ખામીને કારણે પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, પરંતુ થોડા સમય બાદ તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો કે તેમના ક્રેડિટ કાર્ડમાંથી લગભગ 1.96 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે. ત્યારે તેમને સમજાયું કે તેઓ સાયબર છેતરપિંડીનો શિકાર બની ગયા છે.
છેતરપિંડીની જાણ થતાં જ અધિકારીએ તરત જ કાર્ડ સર્વિસ સેન્ટર પર ફોન કરીને પોતાનું ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યું. એ સાથે જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી અને સાયબર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી. જોકે, તાત્કાલિક કાર્યવાહી છતાં રકમ પરત મળી શકી નહીં. કાર્ડ જારી કરનારી કંપનીએ એવું કહીને રિફંડ આપવાનો ઇનકાર કર્યો કે આ લેવડદેવડ ગ્રાહકની સંમતિથી કરવામાં આવી છે, તેથી તેને ફ્રોડ ટ્રાન્ઝેક્શન ગણાવી શકાય નહીં.
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ અને ટેરિફ અંગેની ચર્ચા સફળ રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મિડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા એક વેપાર કરાર પર સહમત થયા છે, જેના હેઠળ વોશિંગ્ટન ભારતીય ઉત્પાદનો પરનો ટેરિફ હાલના 50 ટકા પરથી ઘટાડીને 18 ટકા કરશે. નવા ટેરિફ નિયમો ભારતની કૂટનીતિક સફળતાના સંકેત પણ આપે છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ડીલની જાહેરાત સાથે એ પણ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરશે અને વેપાર અવરોધો ઘટાડશે. આ મુદ્દે ટ્રમ્પે ફોન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત પણ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું છે કે હવે ભારત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે.
ટ્રમ્પની સરકાર દ્વારા ખૂબ ઓછો ટેરિફ લગાવવામાં આવ્યો છે. ચીન, પાકિસ્તાન, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની તુલનામાં અમેરિકા ભારત પાસેથી સૌથી ઓછો ટેરિફ વસૂલશે.
ચીન, પાકિસ્તાન કરતાં વધુ ટેરિફ વસૂલે છે અમેરિકા
અમેરિકા ચીન પર 34 ટકા ટેરિફ લગાવે છે. બીજી તરફ બાંગ્લાદેશ પર 20 ટકા, પાકિસ્તાન પર 19 ટકા અને શ્રીલંકા પર 20 ટકા ટેરિફ લાગુ કર્યો છે. અમેરિકા દ્વારા ભારત કરતાં વધુ ટેરિફ ચૂકવતા દેશોની યાદી નીચે આપવામાં આવી છે.
Wonderful to speak with my dear friend President Trump today. Delighted that Made in India products will now have a reduced tariff of 18%. Big thanks to President Trump on behalf of the 1.4 billion people of India for this wonderful announcement.
દક્ષિણ એશિયાઈ દેશો બાંગ્લાદેશ અને વિયેતનામ પર 20 ટકા ટેરિફ છે, જ્યારે મલેશિયા, કમ્બોડિયા, થાઈલેન્ડ અને પાકિસ્તાનના ઉત્પાદનો પર 19 ટકા ટેરિફ વસૂલવામાં આવે છે. આ દેશોની સરખામણીએ ભારત પર લાગતો ટેરિફ ઓછો છે, જે દર્શાવે છે કે અમેરિકા દક્ષિણ એશિયામાં દિલ્હીને પ્રાથમિકતા આપી રહ્યું છે.
મજબૂત આર્થિક સંબંધોનો માર્ગ ખૂલ્યો – શાહ
ભારત-અમેરિકા વેપાર કરારની પ્રશંસા કરતાં ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બન્ને દેશોના સંબંધોમાં આ એક મોટો દિવસ છે, કારણ કે ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. આથી મજબૂત આર્થિક સંબંધો અને પરસ્પર વિકાસનો માર્ગ ખૂલ્યો છે.
માણસનું મન પોતાની રુચિ અનુસારની વસ્તુઓ શોધે છે. એનું મન રુચિ અનુસારની વસ્તુઓ ઉપર જ ચોંટે છે. એની રુચિને અનુસારની વસ્તુ હોય ત્યારે વાતમાં એને વિશેષ રસ પડે અને એમાં પણ જો સ્વાર્થ ભળે તો એ વાત સવિશેષ ગમે.
સુથાર લાકડું ઘડીને જાતજાતની વસ્તુઓ બનાવે છે. એટલે એ કોઈ ઝાડ જુએ, જેના પ્રતીકરૂપે અહીંયાં બાવળીયાનો ઉલ્લેખ છે, તો એનું મન એમાંથી કેટલું લાકડું મળે અને શું શું વસ્તુઓ બની શકે એની ગણતરી ઝપાટાબંધ માંડી લે. આ સંદર્ભમાં જ કહેવાયું છે કે સુથારનું મન બાવળીએ.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
દિલીપકુમારની ‘રામ ઔર શ્યામ’ (1967) ફિલ્મે ભારતીય સિનેમામાં ડબલ રોલની એક એવી નવી કેડ કંડારી હતી જેના પર પછીથી ‘સીતા ઔર ગીતા’ અને ‘ચાલબાઝ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો બની હતી. દેખાવમાં એક સરખા પણ સ્વભાવમાં આસમાન- જમીનનો તફાવત ધરાવતા બે ભાઈઓની વાર્તાવાળી ‘રામ ઔર શ્યામ’ પાછળની વાતો કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. તેની શરૂઆત 1844માં ફ્રેન્ચ લેખક એલેક્ઝાન્ડર ડ્યૂમાની નવલકથા ‘ધ કોર્સિકન બ્રધર્સ’ અને માર્ક ટ્વેઇનની ‘ધ પ્રિન્સ એન્ડ ધ પોપર’ થી થઈ હતી. જેના પરથી પ્રેરણા લઈને 1964માં તેલુગુ ફિલ્મ ‘રામુડુ ભીમુડુ’ બની અને તેની હિન્દી રિમેક તરીકે ‘રામ ઔર શ્યામ’ અસ્તિત્વમાં આવી હતી.
દિલીપકુમારે પોતાની આત્મકથા ‘વજૂદ ઔર પરછાઈ’માં આ ફિલ્મ વિશે લખ્યું છે કે તે સમયે મુંબઈમાં કલાકારો કેટલી ફિલ્મોમાં કામ કરી શકે તેની મર્યાદા નક્કી કરવાની વાતો ચાલતી હતી. એ સમય પર તે એક જ ફિલ્મમાં કામ કરતાં હતા. પણ આ નિર્ણયથી તેઓ થોડા પરેશાન હતા. આ દરમિયાન દિલીપકુમાર પોતાની ‘ટ્રેજેડી કિંગ’ ની ઈમેજથી બહાર આવવા મથતા હતા ત્યારે દક્ષિણ ભારતના બે દિગ્ગજ નિર્માતાઓ તેમની પાસે આવ્યા હતા. નિર્માતા પી.એસ. વીરપ્પા તેમની તમિલ ફિલ્મ ‘આલિયામણી’ ની હિન્દી રિમેક કરવા માંગતા હતા. જેની હિન્દી રિમેકનું નામ ‘આદમી’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મની વાર્તા એક એવા પાત્રની હતી જે શંકાશીલ હોય છે અને અકસ્માતને કારણે વ્હીલચેર પર આવી જાય છે.
દિલીપકુમારને આ ગંભીર પાત્ર ગમ્યું અને કામ જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેનું શૂટિંગ શરૂ થયાના થોડા સમય પછી નિર્માતા બી. નાગી રેડ્ડી તેમની ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ લઈને આવ્યા. દિલીપકુમારે બંને ફિલ્મો સાઈન કરી હતી. પ્રોડક્શનના શિડ્યુલ મુજબ ‘આદમી’ ઘણી આગળ હતી પરંતુ અધવચ્ચે જ આ પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાયો. નિર્માતાઓને આર્થિક ભીંસનો સામનો કરવો પડ્યો. જેના કારણે ફિલ્મનું કામ લાંબા સમય સુધી અટકી પડ્યું. આ દરમિયાન દિલીપકુમારે પોતાનો ખાલી સમય ‘રામ ઔર શ્યામ’ ને આપવાનું નક્કી કર્યું.
નિર્માતાઓ પાસે મજબૂત નાણાકીય પીઠબળ હતું અને દક્ષિણ ભારતીય નિર્માતાઓની કામ કરવાની શૈલી ખૂબ જ ઝડપી અને શિસ્તબદ્ધ હતી. પરિણામે જે ફિલ્મ પછી શરૂ થઈ હતી તેનું કામ રોકેટ ગતિએ આગળ વધ્યું. ‘આદમી’ નું કામ અટકી-અટકીને ચાલતું રહ્યું. ‘રામ ઔર શ્યામ’ ની ભવ્ય સફળતાના એક વર્ષ પછી 1968માં ‘આદમી’ રિલીઝ થઈ શકી હતી. આમ ‘રામ ઔર શ્યામ’ પહેલા સ્થાન પામી ગઈ હતી.
આ જ કારણે મુમતાઝ અને વહીદા રહેમાનની જોડી પ્રેક્ષકોએ ‘રામ ઔર શ્યામ’ માં પહેલા નિહાળી જ્યારે ‘આદમી’માં વહીદા રહેમાનનો અભિનય પછીથી જોવા મળ્યો. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ દિલીપકુમાર માટે અત્યંત આનંદદાયક હતો. કારણ કે ટ્રેજેડી કિંગ તરીકેની તેમની ગંભીર છબી તોડીને હળવાશથી કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મ માત્ર એક મનોરંજક વાર્તા નહોતી પણ દિલીપકુમારના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સુખદ પરિવર્તન લાવનાર એક માધ્યમ બની રહી હતી. એમને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મે દુનિયાભરમાં કરોડોની કમાણી કરી હતી. ખાસ કરીને રશિયામાં પણ આ ફિલ્મ જબરદસ્ત સફળ રહી હતી.
અમદાવાદઃ બજેટના આંચકો પચાવી ભારતીય શેરબજારોએ સોમવારે છેલ્લા કલાકમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. રિલાયન્સ, અદાણી પોર્ટ્સ, BEL, એમ એન્ડ એમ, ICICI બેન્ક અને HDFC બેન્કમાં લેવાલીથી બજારને મજબૂતી મળી હતી. વેચવાલીના એક દિવસ પછી મિડકેપ અને સ્મોલકેપ શેરો સહિત બજાર તેજી સાથે બંધ થયું હતું. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.63 લાખ કરોડનો વધારો થયો હતો.
BSE સેન્સેક્સ 944 પોઇન્ટ 1.17 ટકાની તેજીની સાથે 81,666ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 263 પોઇન્ટ વધીને 25,000ની સપાટી વટાવીને 25,088 પર બંધ થયો હતો. ગઈ કાલે બજેટમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં બે વર્ષ પછી વધારાના એલાનને પગલે શેરબજારોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. જેનાથી સેન્સેક્સ અને નિફ્ટી 1.8 ટકાથી વધુ તૂટ્યા હતા. સામાન્ય બજેટમાં વિકાસ પર ધ્યાન કરવામાં આવતાં શેરબજારોમાં સુધારો થયો હતો.
BSE પર કુલ 4228 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2037 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2220 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 171 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 76 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 360 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 208 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 230 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
વૈશ્વિક સ્તરે વેપાર બાબતે ચાલી રહેલાં ઘર્ષણો તથા ભૂરાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે આ વખતનું કેન્દ્રીય બજેટ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપે વૃદ્ધિ કરનારા દેશ તરીકેનું ભારતનું સ્થાન ટકાવી રાખવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવ્યું છે.
રિઅલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ- કુલ રાષ્ટ્રિય ઉત્પાદન)નો વૃધ્ધિ દર આગામી વરસ માટે ૬.૮ ટકાથી ૭.૨ ટકા આસપાસ અંદાજાયો છે. જેના માટે વિકાસલક્ષી મુડીખર્ચની સાથે-સાથે શિસ્તબધ્ધ ફિસ્કલ મેનેજમેન્ટ (રાજકોષીય સંચાલન)નું આયોજન કરાયું છે.
નાણા પ્રધાને વિકસિત ભારતના ઊંચા વિઝનને ટોચ પર રાખી એવાં કર્તવ્યો (લક્ષ્યો) નિર્ધારિત કર્યાં છે, જેમાં સર્વસમાવેશ (ઈન્કલુઝિવ)નો અભિગમ સામેલ થઈ જાય છે, અર્થાત બધાંને વિકાસના ફળ મળશે. સરકાર એને સબ કા સાથ, સબ કા વિકાસ કહે છે. આ સંજોગોમાં અંદાજપત્રે લાંબા ગાળાનો રેઝિલિયન્સ પ્લાન (પડકારોનો સામનો કરતાં કરતાં પ્રગતિ કરવા) સાથે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવાની રૂપરેખા ઘડી છે. આ રેઝિલિયન્ટ ગ્રોથ પ્લાન એટલે કપરા સંજોગો વચ્ચે પણ મજબુત રહેવાનો તથા એનર્જેટિક (ઊર્જાસભર), આશાવાદી અને પ્રતિબદ્ધ રહેવાનો નિર્ધાર.
આર્થિકસ્થિરતાઅનેરાજકોષીયશિસ્ત
હાલમાં અનેક વિકસિત દેશો પોતાની સામેના ટુંકા ગાળાના પડકારોને મેનેજ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એમણે પોતાની ‘વગદાર સ્થિતિ’નો ઉપયોગ કરીને અમુક પગલાં ભર્યાં છે. આવા સમયે ભારત લાંબા ગાળાનું સાતત્ય જાળવી રાખવાના નિર્ધાર સાથે આગળ કૂચ કરવા કટિબધ્ધ બન્યું છે. સરકારે ફિસ્કલ ડેફિસિટને નાણાંકીય વરસ ૨૦૨૭ સુધીમાં જીડીપીના ૪.૩ ટકાના સ્તરે નીચે રાખવા કમિટેડ હોવાનો દાવો કર્યો છે. જે ગયા વરસે ૪.૪ ટકા હતી. સરકારે બજેટ મારફત તેનો જીડીપી સામેનો ડેટ રેશિઓ પણ ૫૫.૬ ટકા જેવો નીચે લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે, જેને ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા પર લઈ જવાનો મધ્યમ ગાળાનો નિર્ધાર પણ જાહેર કર્યો છે. આ દિશામાં આગળ વધવાનો અર્થ એ થાય કે આગળ જતાં સરકારનો વ્યાજ બોજ ઘટે અને સરકાર રચનાત્મક જાહેર મૂડીગત ખર્ચ માટે નોંધપાત્ર અવકાશ ઊભો કરી શકે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરઆધારિતવિકાસ
આ બજેટનું મુખ્ય લક્ષ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર આધારિત વિકાસ પર ભાર મુકવાનું છે. જેથી સરકારે ૧૨.૨ લાખ કરોડ રૂપિયાનો વિક્રમી મુડીગત ખર્ચ જાહેર કર્યો છે, જે ૨૦૨૬ની તુલનાએ ૯ ટકા વધુ છે. આનો આધાર સરકારે ટ્રાન્સપોર્ટ, એનર્જી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરને રાખ્યો છે. આને ઈકોનોમીની ઈમારતનું માળખું કહી શકાય. ખાનગી મુડીરોકાણને આકર્ષવા તેમ જ મધ્યમ ગાળાના વિકાસને હાંસલ કરવાનો વ્યુહ આમાં સામેલ છે. બજેટની મુખ્ય જાહેરાતોમાં સાત હાઇ સ્પિડ રેલ કોરિડોર, પૂર્વમાં ડંકુનીથી પશ્ચિમમમાં સુરતને જોડતા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને ૨૦ નવા રાષ્ટ્રીય જળમાર્ગો સામેલ છે. ‘સિટી ઈકોનોમિક રિજન્સ’ મારફત સરકાર શહેરી વિકાસને પણ જબરદસ્ત બળ પુરું પાડવા માગે છે. બજેટે પાંચ યુનિવર્સિટી ટાઉનશિપ્સ પણ પ્લાન કરી છે. આ બધાં પગલાં ભરવા પાછળનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસના અનેક અને સસ્ટેનેબલ (સાતત્યપૂર્ણ) ચાલકબળ તૈયાર કરવાનો છે.
મારા મતે ઈન્ફ્રાસ્ટ્રકચર રિસ્ક ગેરેન્ટી ફંડ પણ મહત્વનું કદમ છે, જે લેન્ડર્સને આંશિક ક્રેડિટ ગેરેન્ટી આપે છે, આને પગલે ધિરાણ ઉપલબ્ધિ બહેતર બનશે અને ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ માટેનો મૂડીગત ખર્ચ ઘટશે.
ડિજિટલઈન્ડિયાઅનેરોકાણમાટેનાં પ્રોત્સાહનો
આ બજેટની એક આંખે ઉડીને વળગે એવી જાહેરાત વિદેશી કંપનીઓને ભારતમાં ડેટા સેન્ટર્સ સ્થાપવા માટે ૨૦૪૭ સુધી ઓફર થયેલા ટેક્સ હોલિડેની છે, આ કેપિટલ ઈન્ટેન્સિવ (મુડી રોકાણ લક્ષી) સ્વરૂપના ડેટા સેન્ટર્સ ભારતના લાભમાં રહેશે, આને પગલે પાવર કોસ્ટ, ઓપરેટિંગ કાર્યક્ષમતા અને ડિજિટલ કનેકટિવિટીનો લાભ મળશે, જેનાથી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રાકચર માટે ભારત સંભવિત હબ બની શકશે. ભારતના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) ઈકોસિસ્ટમ મજબુત બનશે તેમ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા રોજગારનું સર્જન કરવામાં તે સહાયરૂપ થશે.
એસીટીટીનીમાર્કેટપર અસર
એક ચર્ચા બજેટ બાદ કેન્દ્રમાં રહી છે, જે કેપિટલ માર્કેટમાં એસટીટી (સિકયોરિટીઝ ટ્રાન્ઝેકશન ટેકસ)ના વધારાની છે. આ ટેકસ વધારો ફયુચર્સ અને ઓપ્શન્સ માર્કેટના સોદાઓને લાગુ કરાયો છે, જેને પરિણામે ટુંકાગાળામાં વોલેટિલિટી વધી શકે છે, પરંતુ લાંબે ગાળે ફંડામેન્ટલ્સ ગ્રોથને આધારે માર્કેટ આઉટલુક રચનાત્મક રહેશે. બધાં જ શેરધારકો માટે બાયબેકના નફા પરનો કેપિટલ ગેઈન ટેકસ અને માત્ર પ્રમોટર્સ પર જ વધારાનો ટેકસ લાગુ કરવાનો નિર્ણય માઇનોરિટી શેરધારકો માટે પોઝિટિવ પગલું કહી શકાય. ગ્રોસ માર્કેટ બોરોઈંગ વધીને ૧૭.૨ લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ મુકાયો છે, કિંતુ નેટ બોરોઈંગમાં કોઈ ફેરફાર નથી, જે ચિંતા ઘટાડનારું પગલું છે.
શિસ્તસાથેકમિટમેન્ટ
બજેટના તમામ પાસાઓ પર નજર કરતા નિષ્કર્ષ એ આવે છે કે બજેટે સરકારી ખર્ચ સતત ચાલુ રાખીને અને ડિજિટલ ઈકોનોમી માટે ટાર્ગેટેડ પ્રોત્સાહનો આપીને ભારતની વિકાસ ગાથા આગળ વધારવાનો વ્યુહ રાખ્યો છે. સરકારે આ સાથે રાજકોષીય શિસ્ત જાળવવાનું કમિટમેન્ટ પાળ્યું છે. આ પગલાં ભારતને લાંબા ગાળે વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નવી દિલ્હીઃ એક યુવાનને વોટ્સએપ પર આવેલા એક મેસેજ બાદ લગભગ ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના નામે રૂ. 1000નું ટ્રાફિક ચલણ બાકી છે. ફરિયાદીએ જણાવ્યું કે તેને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો, જેમાં પોતાને “NextGen mParivahan” તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. એ મેસેજમાં રૂ. 1000ના ટ્રાફિક ચલણ અંગે ચેતવણી અને એક લિંક આપવામાં આવી હતી, જે પરિવહન મંત્રાલય સાથે જોડાયેલી હોય તેવું લાગતું હતું.
મેસેજ સાચો માનીને હરિતે લિંક પર ક્લિક કરી અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી. જોકે, ઇન્સ્ટોલ કર્યા બાદ ચલણ સંબંધિત કોઈ માહિતી મળી નહીં. થોડા સમય પછી તેને તેના એમેઝોન એકાઉન્ટમાં શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાઈ. બપોરે લગભગ 2:59 વાગ્યે તેને એક ઇમેલ મળ્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેનો ઈ-વોલેટનો પાસવર્ડ બદલી દેવામાં આવ્યો છે. થોડી જ મિનિટોમાં તેના એકાઉન્ટ સાથે જોડાયેલી રજિસ્ટર્ડ Email ID પણ તેની પરવાનગી વગર બદલી નાખવામાં આવ્યો — તેના પર્સનલ જીમેઇલ એડ્રેસને હટાવી એક અજાણ્યા ઇમેઇલ IDને જોડવામાં આવ્યું હતું.થોડા સમય બાદ તેને અનેક બેંકો તરફથી SMS અલર્ટ મળવા લાગ્યા, જેમાં એક ઓનલાઇન શોપિંગ વેબસાઇટ મારફતે થયેલા પાંચ ઊંચી કિંમતના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનની જાણકારી હતી. આમાંથી એક પણ ટ્રાન્ઝેક્શન તેણે શરૂ કર્યું કે મંજૂર કર્યું નહોતું.
ઠગોએ પીડિતના ક્રેડિટનો કર્યો દુરુપયોગ
પોલીસના રેકોર્ડ મુજબ ઠગોએ પીડિતના સચવાયેલા ક્રેડિટ કાર્ડ ડિટેલ્સનો ઉપયોગ કરીને ઈ-ગિફ્ટ કાર્ડ્સ ખરીદ્યા હતા. આ પાંચ ટ્રાન્ઝેક્શનથી કુલ મળીને અંદાજે રૂ. 4,05,000નું નુકસાન થયું હતું.. જણાવવામાં આવ્યું છે કે તમામ ગિફ્ટ કાર્ડ્સ ડિજિટલ રીતે ઠગોના ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવ્યાં હતાં.
પીડિતે નોંધાવી ફરિયાદ
ઠગાઈની જાણ થતાં જ પીડિતે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર ફરિયાદ નોંધાવી. ગયા મહિને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4) (ઠગાઈ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.