Home Blog Page 269

રાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતાં લોકસભામાં હંગામો

નવી દિલ્હીઃ બજેટ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાની વાત શરૂ કરી હતી. પરંતુ તેમણે બોલવાનું શરૂ કરતાં જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સત્તાપક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં એક મેગેઝિનમાં છપાયેલા લેખનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ડોકલામ, ચીની ટેન્કો અને કૈલાશ રિજિયન વિશે વાત હતી. તેમણે જણાવ્યું હતું કે આ લેખમાં ભૂતપૂર્વ સેનાપ્રમુખ જનરલ એમ.એમ. નરવણેના સ્મૃતિગ્રંથ (સંસ્મરણો)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.રાહુલ ગાંધી દ્વારા એટલું કહેતાં જ લોકસભામાં ભારે હંગામો શરૂ થયો. સત્તા પક્ષના સાંસદોએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી નિયમોનું પાલન કરી રહ્યા નથી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી એ સ્પષ્ટ કરે કે તેઓ જે પુસ્તકનો ઉલ્લેખ કરી રહ્યા છે તે પ્રકાશિત થયું છે કે નહીં.

સત્તા પક્ષના વારંવારના હંગામા અને રાજનાથ સિંહ જેવા વરિષ્ઠ નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા વિરોધ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આમાં એવું શું છે કે જે તેમને એટલું ડરાવી રહ્યું છે? જો તેઓ ડરેલા નથી તો મને આ વાંચવાની મંજૂરી આપવી જોઈએ. રાહુલ ગાંધીના ભાષણ પર માત્ર રાજનાથ સિંહ જ નહીં, પરંતુ કિરણ રિજિજુ અને ગૃહમંત્રી અમિત શાહે પણ વાંધો ઉઠાવ્યો હતો. કિરણ રિજિજુએ કહ્યું કે સ્પીકરે નિર્ણય આપ્યો છે કે મેગેઝિન અથવા અખબારોના લેખોને ગૃહમાં ક્વોટ કરી શકાય નહીં. ગૃહમાં ચર્ચા નિયમો અને કાયદા અનુસાર થવી જોઈએ.

અમિત શાહે કહ્યું કે મેગેઝિન કંઈ પણ છાપી શકે છે. રાહુલ ગાંધી એ સ્પષ્ટ કરે છે કે આ વાતો ખરેખર એમ.એમ. નરવણેએ લખી છે કે નહીં.

સંપૂર્ણ વિવાદ કેમ થયો?

લોકસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પ્રકાશિત મેગેઝિનનાં ક્વોટ રજૂ કરવા પર વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે આ ગૃહના નિયમોના વિરુદ્ધ છે. રાહુલ ગાંધીનો દાવો હતો કે તેમનો સ્ત્રોત વિશ્વસનીય છે અને તેમાં પૂર્વ સેના પ્રમુખ એમ.એમ. નરવણેનાં અપ્રકાશિત સ્મૃતિગ્રંથોનાં ક્વોટ સામેલ છે. રાહુલ ગાંધીએ એમ.એમ. નરવણેની રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે ચીની સેના ભારતીય સીમા નજીક આવી હતી, ચીનની સેના ભારતીય વિસ્તારમાં ઘૂસી હતી. તેમણે કહ્યું હતું કે ચીનના ચાર ટેન્કો ભારતીય સીમામાં પ્રવેશી રહ્યા હતા અને ચીની ટેન્કો કૈલાશ રિજિયન પર ચઢી રહી હતી.

પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવાં પડી શકેઃ ICCની ચેતવણી

નવી દિલ્હીઃ ICCએ પાકિસ્તાન સરકાર દ્વારા પોતાની ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની મેચ બોયકોટ કરવાનો નિર્દેશ આપવાના નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને આ પગલાને વૈશ્વિક રમતગમત સ્પર્ધાના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવ્યું છે.

ICCએ પાકિસ્તાનને સંકેતોમાં પરિણામોની ચેતવણી આપી

ICCએ જણાવ્યું હતું કે તે આ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી હજુ પણ ઔપચારિક વાતચીતની રાહ જોઈ રહ્યું છે. ICCએ એ બાબત પર ભાર મૂક્યો કે ટુર્નામેન્ટમાં પસંદગીપૂર્વક ભાગ લેવા અંગેનો અભિગમ સ્વીકાર્ય નથી.

પાકિસ્તાન સરકારે પોતાની રાષ્ટ્રીય ટીમને ટુર્નામેન્ટમાં ભાગ લેવા મંજૂરી આપી છે, પરંતુ તેમને ભારત સામેના ગ્રુપ-સ્ટેજ મેચમાં મેદાન પર ન ઊતરવાનો નિર્દેશ આપ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમને PCB તરફથી સત્તવાર માહિતી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તે આશા રાખે છે કે તમામ મેચો નક્કી કરાયેલા શેડ્યુલ મુજબ જ રમાશે. ICCએ એ પણ જણાવ્યું  હતું કે પાકિસ્તાનનો આ નિર્ણય વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે યોગ્ય નથી, જેમાં પાકિસ્તાનના લાખો સમર્થકો પણ સામેલ છે.

ICCની ગવર્નિંગ બોડીએ PCBને દેશના ક્રિકેટ પર આ સ્થિતિના મહત્વપૂર્ણ અને દીર્ઘકાલીન પ્રભાવ વિશે ગંભીરતાથી વિચારવા અપીલ કરી છે. ICCએ કહ્યું હતું કે આ મુદ્દાની વૈશ્વિક ક્રિકેટ ઇકોસિસ્ટમ પર મોટી અસર પડી શકે છે, જેમાં પાકિસ્તાન એક સભ્ય અને લાભાર્થી બંને રૂપે જોડાયેલું છે.

ICCએ વધુમાં જણાવ્યું કે તેમની પ્રાથમિકતા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને સફળતાપૂર્વક આયોજિત કરવાની છે, જે PCB સહિત તમામ સભ્યોની જવાબદારી પણ છે. તેમને આશા છે કે PCB તમામ સ્ટેકહોલ્ડર્સનાં હિતોની રક્ષા થાય એવો પરસ્પર સંમતિનો ઉકેલ શોધશે.

ધર્મ પરિવર્તન બાદ ચાર પરિવારોનો સામાજિક બહિષ્કાર

રાંચીઃ ઝારખંડના એક ગામમાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ ચાર પરિવારોને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના જગન્નાથપુર બ્લોકના હલ્દી પોખર ગામની છે, જ્યાં ચાર પરિવારોના ખ્રિસ્તી ધર્મ અપનાવવાને કારણે ગામલોકોએ તેમના માટે અનેક જાહેર સુવિધાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગામલોકોએ જાહેર પાણીના સ્ત્રોતો, જંગલમાંથી મળતાં ઉત્પાદનો અને અન્ય જાહેર સુવિધાઓ સુધી તેમની પહોંચ રોકી દીધી હતી.

શનિવારે આ મામલો પોલીસ પ્રશાસનના ધ્યાનમાં આવ્યા બાદ પોલીસ અને આવક વિભાગના અધિકારીઓએ હસ્તક્ષેપ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાનૂની કાર્યવાહી અંગે ચેતવણી આપ્યા પછી ગામસ્તરીય બેઠક દ્વારા મામલાનું નિરાકરણ લાવવામાં આવ્યું. અસરગ્રસ્ત પરિવારોનો આરોપ હતો કે તેમને ગામનાં તળાવ, કૂવો, હેન્ડપંપ અને દુકાનોનો ઉપયોગ કરવા દેવામાં આવતો નહોતો અને જંગલમાંથી લાકડું તથા પાંદડા એકત્ર કરવાની પણ મનાઈ કરવામાં આવી હતી.

સરના ધર્મ સાથે જોડાયેલા ગામલોકોએ દાવો કર્યો કે આ નિર્ણય તેમના ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાગત માન્યતાઓની રક્ષા માટે લેવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે સતત ધર્માંતરણથી તેમના વન દેવતાઓ, સંસ્કૃતિ અને પરંપરાગત સામાજિક માળખા પર અસર પડશે.

ચાર પરિવારોના ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તનનો મામલો

સત્તાવાર માહિતી મુજબ ત્રણ પરિવારો પહેલેથી જ ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થઈ ચૂક્યા હતા, જ્યારે તાજેતરમાં ચોથા પરિવારના અન્ય સભ્યો ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થતાં આ મુદ્દો સામે આવ્યો. કુમારડુંગી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી રંજિત ઓરાંવે જણાવ્યું કે પોલીસ અધિકારીઓ વ્યક્તિગત રીતે ગામમાં ગયા હતા અને બંને પક્ષો સાથે બેઠક કરી હતી.

અધિકારીએ કહ્યું હતું કે અમે પોતે ગામમાં ગયા અને સૌની સાથે વાત કરી. ગામના વડા સહિત સમગ્ર ગામને બોલાવવામાં આવ્યું હતું. સર્કલ ઓફિસર પણ હાજર હતા. સૌને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું કે સામાજિક બહિષ્કાર એક દંડનીય ગુનો છે. સર્કલ ઓફિસર મુક્તા સોરેને જણાવ્યું કે ધાર્મિક આધાર પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ ગેરકાનૂની અને ગેરબંધારણીય છે. તેમણે કહ્યું હતું કે પોલીસ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.

Nutshell in 99

ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટરોએ મળીને નવો મોરચો બનાવ્યો

માલેગાંવઃ માલેગાંવ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પહેલાં એક દુર્લભ રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. એકબીજાના કટ્ટર વિરોધી મનાતા ભાજપ અને કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોએ મળીને નવો મોરચો રચ્યો છે. કોંગ્રેસના ત્રણ અને BJPના બે કોર્પોરેટરોએ મળીને ‘ભારત વિકાસ આઘાડી’ નામે સ્વતંત્ર જૂથ બનાવ્યું છે.

‘ભારત વિકાસ આઘાડી’ની રચનાથી 84 સભ્યો ધરાવતી મહાનગરપાલિકામાં સત્તા સંતુલનના ગણિતમાં મોટો ફેરફાર થઈ શકે છે. હાલની સ્થિતિમાં કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. સૂત્રોના જણાવ્યાનુસાર નવા મોરચાનું નેતૃત્વ કોંગ્રેસના કોર્પોરેટર એજાજ બેગ કરશે. જોકે માલેગાંવ મહાનગરપાલિકાનાં ચૂંટણી પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હજુ બાકી છે. આવી સ્થિતિમાં નવગઠિત મોરચો આવનારી ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હવે સૌની નજર એ પર છે કે ‘ભારત વિકાસ આઘાડી’ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં કોને સમર્થન આપે છે અને માલેગાંવની સત્તાની ચાવી કોના હાથમાં જશે.

માલેગાંવ નગર નિગમમાં સૌથી મોટી પાર્ટી ઇસ્લામ પાર્ટી

માલેગાંવ નગર નિગમમાં કુલ 84 બેઠકો છે અને બહુમતી માટે 43 બેઠકોની જરૂર પડે છે. મેયરનું પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત છે. બેઠકોના ગણિત મુજબ માલેગાંવ નગર નિગમમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઇસ્લામ પાર્ટી સામે આવી છે, જેની પાસે 35 બેઠકો છે. AIMIM પાસે 21 બેઠકો, એકનાથ શિંદેની શિવસેના પાસે 18 બેઠકો, સમાજવાદી પાર્ટી પાસે પાંચ બેઠકો, કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો અને ભાજપ પાસે બે બેઠકો છે. આવી સ્થિતિમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં ઇસ્લામ પાર્ટીને મેયર બનાવવા માટે અન્ય પક્ષોના સમર્થનની જરૂર પડશે.

બીજી તરફ, AIMIMના નેતા અને ભૂતપૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલે દાવો કર્યો છે કે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ માલેગાંવ સહિત કેટલાક નગર નિગમોમાં AIMIM પાસે સમર્થન માગ્યું હતું. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાર્ટી ન તો ભાજપ સાથે જશે અને ના તો શિવસેના (શિંદે જૂથ) સાથે. તેમણે એ પણ કહ્યું છે કે માલેગાંવમાં શિંદે જૂથને કોઈ પણ પરિસ્થિતિમાં સમર્થન આપવામાં નહીં આવે.

બજેટઃ પાછલાં વર્ષોની તુલનાએ ચૂંટણીવાળાં રાજ્યોને ખાસ છૂટ નહીં

નવી દિલ્હીઃ આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ અને તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય બજેટમાં આ ચૂંટણીવાળાં રાજ્યોને નગણ્ય જેટલી જ ફાળવણી કરવામાં આવી છે. આ સ્થિતિ ગયા પાંચ વર્ષોના ટ્રેન્ડથી સંપૂર્ણપણે વિપરીત જોવા મળે છે. છેલ્લાં બે બજેટમાં બિહાર પર વિશેષ ભાર મૂકવામાં આવતાં રાજકીય વિવાદો ઊભા થયા હતા.

આ વર્ષે આસામમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં રાજ્યમાં બૌદ્ધ સર્કિટની સ્થાપના કરવામાં આવશે, જ્યારે તેજપુરમાં NIMHANSનું એક પ્રાદેશિક કેન્દ્ર બનાવાશે. બીજી તરફ, ઉત્તર બંગાળના ચેન્નઈ અને સિલીગુડીને હાઈ-સ્પીડ રેલ કોરિડોરના હબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કેરળ અને તામિલનાડુને રેર અર્થ મેટલ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે. આ ઘોષણાઓ NDA અને UPA સરકારોના કાર્યકાળ દરમિયાન થયેલા અનેક અગાઉનાં ઉદાહરણોની તુલનામાં ફિક્કી જણાય છે, જ્યારે ચૂંટણીવાળાં રાજ્યોને મોટા પાયે ફાળવણી અથવા વિશેષ પ્રોજેક્ટ્સ મળતા હતા.

NDAના કાર્યકાળનું બજેટ

2014થી અત્યાર સુધી થયેલી 72 વિધાનસભા ચૂંટણીઓમાં (આ વર્ષે થનારી ચૂંટણીઓ સહિત), બજેટમાં 21 ચૂંટણીવાળાં રાજ્યો માટે ખાસ ફાળવણી અથવા જાહેરાતો કરવામાં આવી છે. 2025-26માં દિલ્હી અને બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં, બજેટમાં બિહાર માટે ખાસ જાહેરાતો કરવામાં આવી હતી. એ સાથે જ મધ્યમ વર્ગને આકર્ષવા માટે દિલ્હીને પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

બિહારને મખાણા બોર્ડ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, એન્ટ્રપ્રેન્યોરશિપ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, મિથિલાંચલ વિસ્તારના ખેડૂતો માટે પશ્ચિમી કોશી નહેર ERM પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય તેમ જ નવા એરપોર્ટ અને પટના એરપોર્ટના વિસ્તરણ માટે ફાળવણી આપવામાં આવી હતી.

2024-25માં જ્યાં વચગાળાના બજેટમાં ચૂંટણીવાળાં આઠ રાજ્યો માટે કોઈ વિશિષ્ટ ફાળવણી કરવામાં આવી નહોતી, ત્યાં લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ રજૂ થયેલા બજેટમાં આંધ્ર પ્રદેશ અને બિહાર માટે ખાસ જાહેરાતો કરવામાં આવી. અહીં NDAના ઘટક દળો TDP અને JDUએ ગઠબંધનને લોકસભામાં બહુમતી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.બજેટમાં આંધ્ર પ્રદેશની રાજધાનીના વિકાસ માટે 15,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી અને પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ તથા વિશાખાપટ્ટણમ–ચેન્નઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર માટે નાણાં આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી  હતી.

૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬

યોગ: સત્ય સુધી પહોંચવાનો નહીં, પોતાની અંદર ઉતરવાનો માર્ગ

સદગુરુ કહે છે કે યોગીક પરંપરામાં શિવને ભગવાન તરીકે નહીં, પરંતુ આદિયોગી—પ્રથમ યોગી અને આદિગુરુ—પ્રથમ ગુરુ તરીકે જોવામાં આવે છે, જેમનાથી યોગીક પરંપરાઓની શરૂઆત થઈ. જ્યારે શિવે યોગનું જ્ઞાન આપ્યું, ત્યારે તેમણે જુદા-જુદા લોકો સાથે જુદી-જુદી ભાષામાં વાત કરી. પરિણામે, ‘સત્ય શું છે’ તે અંગે લોકોના મનમાં ઘણી ગૂંચવણો ઊભી થઈ.

શિવના પ્રથમ શિષ્ય પાર્વતિ હતા—તેઓ તેમની પત્ની પણ હતા. જ્યારે શિવે પાર્વતિને આત્મજ્ઞાન આપવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે યોગને એક વિશિષ્ટ રીતથી શીખવ્યો. પાર્વતીએ પૂછ્યું, “ત્યાં પહોંચવાનો માર્ગ કયો છે?” તેઓ શીખવા આતુર હતા અને શિષ્યની જેમ તેમની સામે બેઠા હતા—જટિલ સાધનાઓ કરવા માટે તૈયાર.

શિવે હસીને કહ્યું, “આ બધું છોડો. તમે માત્ર અહીં આવો અને મારા ખોળામાં બેસો.” બહારથી જોતા એવું લાગી શકે કે જાણે કોઈ પુરુષ સ્ત્રીને પોતાના ખોળામાં બેસાડવા માટે યુક્તિ અજમાવી રહ્યો હોય, પરંતુ શિવે પાર્વતિને માત્ર પોતાના ખોળામાં જ ન બેસાડી—તેમને પોતાનો એક અવિભાજ્ય ભાગ બનાવી લીધા. જો તમારે કોઈને પોતાનો એક ભાગ બનાવવો હોય, તો તમારે પોતાનો કોઈ ભાગ ત્યજવો પડે; અન્યથા તે શક્ય નથી. કોઈ વ્યક્તિ અકબંધ રહીને બીજાને પોતાનો ભાગ બનાવી શકતો નથી. આ રીતે શિવે પાર્વતિને પોતાનાં અસ્તિત્વમાં સમાવી લીધા, અને પાર્વતિએ મુક્તિ પામી.

પરંતુ જ્યારે સાત શિષ્યો—જે આજે સપ્તઋષિઓ તરીકે ઓળખાય છે—શિવ પાસે આવ્યા, ત્યારે શિવે એવી રીતે વાત કરી જાણે પરમ સત્ય લાખો માઈલ દૂર હોય. અહીં જટિલ અભ્યાસો, વિવિધ સાધનાઓ અને લાંબી આધ્યાત્મિક પ્રક્રિયાઓનો માર્ગ ખુલ્યો.

જ્યારે શિવના નજીકના મિત્રો—ગણો—આવ્યા, ત્યારે ન તો તેમને ખોળામાં બેસવા કહ્યું, ન તો કોઈ વિશેષ સાધના શીખવાડી. શિવે માત્ર કહ્યું, “ચાલો, બધા સાથે પીીએ અને ગ્રહણ કરીએ.” તેઓ પીધા, એટલા મસ્ત થઈ ગયા કે માત્ર નાચ્યા, જોડાયા અને આનંદમાં લીન થયા—અને એ જ યોગ બની ગયો.

એક જ ગુરુ, એક સ્તરે કહે છે કે તમારી અને સત્યની વચ્ચે કોઈ અંતર નથી—“તે અહીં જ છે; બસ મારા ખોળામાં બેસો.” બીજા સમૂહને તે કહે છે કે જાણે સત્ય બહુ દૂર ક્યાંક છે. કેટલાક અન્ય લોકોને તે એવી આધ્યાત્મિકતા આપે છે જે સામાજિક રીતે અસ્વીકાર્ય લાગી શકે.

આ રીતે, જ્યારે શિવે યોગ આપ્યો, ત્યારે તેમણે જુદી-જુદી ભાષાઓમાં સંદેશ આપ્યો, કારણ કે યોગ ક્યારેય અંતિમ સત્યને સંબોધતું નથી—યોગ હંમેશા અહીં બેઠેલી વ્યક્તિને સંબોધે છે. ભગવાનને સંબોધવાની કોઈ જરૂર નથી; સંબોધવાની જરૂર તો તમને છે. કારણ કે સમસ્યા પણ તમારી છે અને સંભાવના પણ તમારી પાસે જ છે.

તમારી અંદર એવી શક્તિ છે કે તમારા જીવનના દરેક સામાન્ય પાસાને તમે અતિ-સુખ અથવા અતિ-દુઃખમાં રૂપાંતરિત કરી શકો. માત્ર એક નાનું વળાંક તમારા અનુભવમાં વિશાળ ફેરફાર લાવી શકે છે. જેને તમે એક અદભૂત પ્રેમપ્રસંગ કહો છો, તેમાં જ જો થોડી પણ અનિચ્છા ઉમેરો, તો તે ભયાનક અત્યાચાર બની શકે છે. તેથી સંબોધવાની જરૂર અંતિમને નથી, પરંતુ તમને છે.

એ જ કારણે ઉપર જોવા કરતાં અંદર જોવાની જરૂર છે. યોગ એ એક એવી પ્રક્રિયા અને પદ્ધતિ છે, જેના દ્વારા માનવને સર્વાંગી રીતે ઉન્નત બનાવી શકાય છે. તે વ્યક્તિની ઊર્જાઓ સાથે સુક્ષ્મ રીતે કાર્ય કરી, દરેક વ્યક્તિને પોતાની અંદર રહેલી સર્વોચ્ચ ક્ષમતાનો અનુભવ કરાવે છે. અંદર તરફ વળવું—એ જ એકમાત્ર માર્ગ છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

રાશિ ભવિષ્ય 02/02/2026 થી 08/02/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીય પ્રશ્નોથી માનસિક થાકની લાગણી ઊભી થઈ શકે છે, જેના કારણે ક્યાંક ખોટી વાતચીત અથવા વાદવિવાદની ઘટના બનવાની શક્યતા છે. નાની-નાની વાતોમાં ગુસ્સો ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી દરમિયાન પૂરતી તકેદારી રાખવી જોઈએ. વેપારમાં કામકાજ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ઉતાવળિયા નિર્ણયો લેવાયા હોવાની લાગણી અનુભવાઈ શકે છે. કોઈને વણમાગી સલાહ-સૂચન ન આપવું અને ખટપટી લોકોથી દૂર રહેવું જ શાણપણ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે. નવા આયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિક ખર્ચા વધે તેવા બનાવ બની શકે છે. પરિવાર સાથે મુસાફરી થવાની શક્યતા છે. અંગત સંબંધોમાં, જેમ કે મિત્રતા અથવા સગાસ્નેહીઓ સાથે, મજાક કરવાની વૃત્તિ વધે. જૂની ઓળખાણો કે યાદોથી રોમાંચિત થશો. સામાજિક તથા ધાર્મિક પ્રસંગોમાં તમારી હાજરી પ્રભાવશાળી બની શકે છે. વેપારમાં ઉત્સાહ સાથે કામ કરવાથી સફળતા મળી શકે છે. જૂના મતભેદો ભૂલવાની તક મળે. નવી નોકરી કે ફેરબદલી માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે નવી રીત શીખવાનો સમય સારો છે. લગ્ન બાબતની વાતચીત આગળ વધી શકે છે.


મહેનત કરતાં ઓછું ફળ મળવાની ફરિયાદ મનમાં રહી શકે છે. વાણીવિલાસ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘર કે કુટુંબમાં કામકાજ દરમિયાન ધીરજ રાખવી જોઈએ, કારણ કે ઉતાવળથી ગેરસમજ થઈ શકે છે. આકસ્મિક ખર્ચ થવાની શક્યતા છે. આરોગ્ય બાબતે પરેજી પાળવી જરૂરી છે. વેપારમાં ધીરજ અને અનુભવથી કામ કરવું, અન્યની વાતોમાં દોરવાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું. નોકરી કે વ્યવસાયમાં સમયનો દુરુપયોગ ન થાય તે જોવું. જરૂર પૂરતો જ વ્યવહાર યોગ્ય રહેશે.


સાહસિક વૃત્તિ જોવા મળશે. આવક-જાવક સરખી રહેશે. મિલનમુલાકાત કે ફરવા-ફરવામાં સમય વધુ પસાર થશે. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થશે. નવી ઓળખાણ થવાની શક્યતા છે, જેમાં લાભદાયક આપ-લે થઈ શકે છે. કુટુંબ કે આસપાસના જાહેર કાર્યક્રમોમાં જવાનો યોગ છે, જેમાં તમારી હાજરીનું વર્ચસ્વ દેખાશે. વેપારમાં ઉત્સાહ અને નવીન કાર્ય કરવાની વૃત્તિ જાગશે. યુવાવર્ગને મિત્રવર્તુળમાંથી સારી માહિતી અને સહયોગ મળશે. લાંબા સમયથી મનમાં રહેલી વાત રજૂ કરવાની તક મળશે.


સપ્તાહ દરમિયાન સફળતા વધુ જોવા મળે. વિચારોની માયાજાળમાં ફસાયેલા રહેશો. વેપારમાં ધીરજનો અભાવ જણાશે, પરંતુ તેની ખાસ નકારાત્મક અસર નહીં પડે. શરદી, ઉધરસ, કફ કે તાવ જેવી નાની તકલીફ થઈ શકે છે, પરંતુ તેનો ઉકેલ મળી જશે. તમારી લાગણી અન્ય લોકો સમજી શકશે. પ્રભુભક્તિમાં મન લાગશે અને માનસિક શાંતિ અનુભવશો. આળસ અથવા આરામ કરવાની ભાવના વધશે. હિતશત્રુ અથવા ખટપટી વ્યક્તિથી કુદરતી રીતે બચાવ થશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર અને વિવાહિત વર્ગ માટે સારા સંજોગો બનશે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ન થાય તેની તકેદારી રાખવી. છાતી કે ફેફસાના દર્દવાળા લોકોએ દવાઓ બાબતે ચોકસાઈ રાખવી. ધાર્મિક ભાવના વધશે અને સામાજિક કે ધાર્મિક કાર્યમાં જોડાવાનું મન થશે. વેપારમાં કોઈ નવી માહિતી આત્મવિશ્વાસ વધારશે. જૂની ઓળખાણો ફરી તાજી થશે અને આનંદ અનુભવશો. વિદ્યાર્થી અને યુવાવર્ગને નોકરી કે વ્યવસાયમાં નવીનતા અંગે સારા સમાચાર મળી શકે છે. પસંદગીની વસ્તુ ખરીદવામાં ખર્ચ વધવાની શક્યતા છે.


ઘરમાં કોઈને સ્વાસ્થ્ય સંબંધિત નાની-મોટી તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું. લગ્નની વાતચીત ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે સારા સંજોગો બનશે. જૂની અટકેલી વાતોમાં પ્રયત્ન કરવાથી નસીબ સાથ આપી શકે છે. વેપારમાં આયોજનબદ્ધ રીતે કામ કરવાથી સફળતા મળશે. મુસાફરી અથવા પ્રવાસના યોગ છે, જેમાં આનંદ અનુભવશો. સહકારની ભાવના વધશે. ભાઈ-બહેનો અને મિત્રો તરફથી સારો સહયોગ મળશે.


કામકાજમાં વધુ મહેનત પછી જ ફળ મળશે. ધીરજ અને સમજણ સાથે વ્યવહાર કરવો જરૂરી છે. જાહેર જીવનમાં મજાકમસ્તીની વૃત્તિ વધશે. ઘર કે નજીકના સંબંધોમાં મનદુઃખ થયું હોય તો સંબંધ સુધારવાની કોશિશ સફળ થઈ શકે છે. વેપારમાં યોગ્ય પ્રતિસાદ મળશે. તમે કરેલા કાર્યથી પ્રતિષ્ઠા અને મોભો વધશે. નવા કાર્યમાં અન્યનો સહયોગ અને માર્ગદર્શન મળશે, જેના કારણે ઉત્સાહ વધશે.


મિલનમુલાકાત સફળ રહેશે. પડવા, વાગવા અથવા લાપસવા જેવી બાબતો ઉપરાંત શરદી, ઉધરસ, તાવ કે ઇન્ફેક્શનથી તકેદારી રાખવી. ખટપટી લોકોથી દૂર રહેવું. વેપારમાં ધીરજ અને સાવચેતી જરૂરી છે. કોઈને સલાહ કે માર્ગદર્શન આપતા પહેલાં વિચાર કરવો. વાર્તાલાપમાં અતિ સ્પષ્ટ શબ્દો ન વાપરવા. કુનેહપૂર્વક વર્તવાથી શાંતિ અને સરળતા રહેશે.


રોકાણ કે નવા આયોજન માટે સમય અનુકૂળ છે. યાત્રા અથવા જાત્રાના યોગ બની શકે છે. ધાર્મિક ભાવના અને લોકકલ્યાણના વિચારો વધશે. સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે અઘરા વિષયમાં વધુ મહેનત કરવાથી સારા પરિણામ મળશે. વેપારમાં લાભની શક્યતા છે. લગ્ન માટેની વાતચીત અને મિલનમુલાકાત ફાયદાકારક રહેશે. વિદેશ જવા ઇચ્છુક વર્ગને કાર્યવાહી કરવાથી યોગ્ય પ્રતિસાદ મળી શકે છે.


સંબંધોને મજબૂત રાખવા પ્રયત્ન કરવો પડશે. કામકાજમાં વ્યસ્તતા અને માનસિક થાક અનુભવશો. સમય અને ઊર્જાનો વ્યય વધારે થઈ શકે છે. ધીરજ અને આત્મવિશ્વાસથી કામમાં લાગેલા રહેવું યોગ્ય છે. વેપારમાં નિર્ણયક્ષમતામાં થોડી કમજોરી જણાશે, છતાં કામ ચાલશે. વડીલો કે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ ટાળવા. મુસાફરી કંટાળાજનક બની શકે છે અને સમય તથા નાણાનો વ્યય થશે.


પરિવાર અને સહકર્મચારીઓ સાથે સુમેળ ઓછો જણાશે, તેથી વર્તન અને વાર્તાલાપમાં સાવચેતી રાખવી. વેપારમાં ઉત્સાહ રહેશે. માર્કેટિંગ ક્ષેત્રે જૂની ઓળખાણોનો ઉપયોગ લાભદાયક રહેશે. મુસાફરીનું આયોજન થઈ શકે છે. પેટ અને અપચાની તકલીફથી બચવું. વડીલોને જૂની સ્મૃતિઓ તાજી થશે અને સામાજિક કે ધાર્મિક કાર્યમાં જોડાવાનું મન થશે. કોઈ પ્રવૃત્તિમાં સહયોગ મળશે. નાણાંની લેવડદેવડ અને પ્રેમસંબંધોમાં ધીરજ રાખવી જરૂરી છે.