Home Blog Page 2744

તમિલનાડુના ગવર્નરે મંત્રી વી સેંથિલ બાલાજીની હકાલપટ્ટી કરી

તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ગુરુવારે (29 જૂન) ના રોજ જેલમાં બંધ મંત્રી વી. સેંથિલ બાલાજીને મંત્રી પરિષદમાંથી બરતરફ કર્યા. તમિલનાડુ રાજ ભવને એક નિવેદન જારી કરીને કહ્યું કે મંત્રી વી સેંથિલ બાલાજી મની લોન્ડરિંગ અને મની લોન્ડરિંગ સહિત અનેક ભ્રષ્ટાચારના કેસોમાં ગંભીર ફોજદારી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યપાલે તેમને તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી બરતરફ કરી દીધા છે.


આ મામલે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે રાજ્યપાલને કોઈ પણ મંત્રીને કેબિનેટમાંથી બરતરફ કરવાનો કોઈ અધિકાર નથી, અમે કાયદાકીય રીતે આ મુદ્દાનો સામનો કરીશું. તે જ સમયે, રાજભવનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે થિરુ વી. સેંથિલ બાલાજી મંત્રી તરીકેના તેમના પદનો દુરુપયોગ કરી રહ્યા છે, તપાસને પ્રભાવિત કરી રહ્યા છે અને કાયદા અને ન્યાયની યોગ્ય પ્રક્રિયાને અવરોધે છે. તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા હેઠળ કેટલાક વધુ ફોજદારી કેસોની રાજ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

તમિલનાડુ રાજભવને બીજું શું કહ્યું?

રાજભવન વતી, એવું કહેવામાં આવ્યું હતું કે એવી આશંકા છે કે મંત્રી પરિષદમાં થિરુ વી. સેંથિલ બાલાજીનું ચાલુ રહેવાથી ન્યાયી તપાસ સહિત કાયદાની યોગ્ય પ્રક્રિયાને પ્રતિકૂળ અસર થશે, જે રાજ્યમાં બંધારણીય તંત્રને તોડી શકે છે. . આ સંજોગોમાં રાજ્યપાલે થિરુ વી. સેંથિલ બાલાજીને તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી બરતરફ કરી દીધા છે.


EDએ સેંથિલ બાલાજીની ધરપકડ કરી છે

નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 14 જૂને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સેંથિલ બાલાજીની ધરપકડ કરી હતી. બાદમાં તપાસ દરમિયાન અસ્વસ્થતા અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

જ્યુડિશિયલ કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવી છે

ત્યારબાદ સેંથિલ બાલાજીને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. ચેન્નઈની એક કોર્ટે બુધવારે સેંથિલ બાલાજીની ન્યાયિક કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવી છે. મંત્રી હોસ્પિટલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા.

ધરમશાલા સ્ટેડિયમ વર્લ્ડ કપ-2023ની પાંચ મેચ યોજવા સજ્જ

ધરમશાલા (હિમાચલ પ્રદેશ): ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) યોજિત ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. સ્પર્ધા આ વર્ષની પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. હિમાચલ પ્રદેશનું ધરમશાલા નગર સ્પર્ધાની પાંચ મેચ યોજવાનું છે. અહીંના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએસન (એચપીસીએ) સ્ટેડિયમમાં 22 ઓક્ટોબરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ યોજાશે. અન્ય ચાર મેચો છેઃ 7 ઓક્ટોબર બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન), 10 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ, 17 ઓક્ટોબર સાઉથ આફ્રિકા વિરુદ્ધ ક્વાલિફાયર ટીમ અને 28 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ.

પોતાને પાંચ મેચ ફાળવવા બદલ એસોસિએશને તેના ભૂતપૂર્વ પ્રમુખ અને હાલના કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહનો આભાર માન્યો છે.

ધરમશાલા દુનિયાના સૌથી સુંદર ક્રિકેટ મેદાન તરીકે જાણીતું થયું છે. અહીંનું આઉટફિલ્ડ કૃત્રિમ ઘાસ વડે તૈયાર કરવામાં આવ્યું છે. તેથી હવે અહીં ગમે તેટલો પણ વરસાદ પડે તોય મેચ 15 મિનિટમાં જ ફરી શરૂ કરી શકાય છે. દુનિયાના ઘણા સ્ટેડિયમોમાં તો પિચ પર કવર્સ ઢાંકવામાં અને વરસાદ રહી જાય એટલે કવર્સને હટાવી દેવામાં જ આટલી મિનિટો લાગતી જતી હોય છે. ચીફ ક્યૂરેટર દ્વારા મેદાન પર 9 પિચ તૈયાર કરવામાં આવી છે.

વડાપ્રધાનએ રણછોડભાઈ પગીની શૌર્ય ગાથાની કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯૬૫ અને ૧૯૭૧ના યુધ્ધ દરમિયાન કચ્છના રણમાં ભારતીય સેના માટે ગાઈડની ભૂમિકા ભજવનાર જાંબાઝ રણછોડભાઇ પગીની વીરતાને બિરદાવી  છે.

શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત શ્રી કનીરામદાસજી મહારાજે લખેલા પત્રનો  જવાબ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સાધારણ  સંજોગોમાંથી આવતા અસાધારણ નાયકોના શૌર્યનું ઉચિત સન્માન થાય તે તેમની સરકારની પ્રાથમિકતા  રહી છે. એમણે ઉમેર્યું કે  એ જરૂરી છે કે આવા લોકોની જીવન ગાથા પ્રજા સામે આવે જેથી આવનારી પેઢી એમની વીરતા, એમના સાહસ અને પરાક્રમમાંથી  પ્રેરણા લઇ શકે. એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આઝાદીના અમૃત કાલખંડમાં  પોતાના વારસા, આપણા નાયકો માટે ગૌરવ અનુભવી દેશ નિરંતર આગળ વધી રહ્યો છે.

રણછોડભાઈ પગી ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધના એ ગુમનામ  નાયકોમાંના એક છે જેની આજની પેઢીને જાણકારી નથી. એમની પાસે એક ખાસ હુન્નર હતું જેના કારણે એમણે બંને યુધ્ધોમાં  અગત્યની ભૂમિકા ભજવી. રણછોડભાઈ પગી  કચ્છના રણમાં ઊંટના પગના નિશાન જોઇને જણાવી દેતા કે ઊંટ પર કેટલા લોકો સવાર છે, એટલું જ નહીં માણસના પગન નિશાન જોઈ એમના કદ કાઠી વિષે પણ તેઓ જાણકારી આપી શકતા હતા. એમની આ વિલક્ષણ પ્રતિભાને કારણે એમણે  ભારતીય સેના માટે આ યુદ્ધોમાં ગાઈડની ભૂમિકા નિભાવી અને દુશ્મનોની હિલચાલની  જાણકારી આપતા રહેતા.

આવા નાયકોની પ્રેરક ગાથાઓ સમાજ સમક્ષ ઉજાગર કરવાના ભાગરૂપે ગુજરાતના   શાળા પાઠ્યપુસ્તકમા રણછોડભાઈ પગીની જીવનગાથાને  સમાવવામાં આવી છે. સરકાની આ પહેલને બિરદાવતાં શ્રી વડવાળા મંદિર દૂધરેજ ધામના મહંત શ્રી કનીરામદાસજી મહારાજે તાજેતરમાં  પત્ર લખ્યો હતો. એમણે કહ્યું કે રણછોડભાઈ પગીના પ્રેરક જીવનને પાઠ્યપુસ્તકમાં સામેલ કરવાથી ભાવી પેઢી સુધી તેમની શૌર્યગાથાની જાણકારી સરળતાથી  પહોંચશે. વીર નાયકોની આવી ગાથાઓ બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ નીવડશે.

મળો, યુવા અબજપતિ એલેકઝેન્ડર વાંગને, જે છે ભવિષ્યનો એલન મસ્ક?

અમદાવાદઃ શ્રીમંત બનવું દરેક જણનું સપનું હોય છે. લગભગ દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેની પાસે અખૂટ ધન-દૌલત હોય. લોકો એમાં જિંદગીનો એક સારોએવો હિસ્સો ખર્ચી નાખે છે.વિશ્વના મોટા ભાગના અબજોપતિઓની ઉંમર 50 વર્ષથી વધુ છે. જોકે અનેક લોકોએ જિંદગીમાં અજબપતિ બનવાના સપનાને પૂરું કરી બતાવ્યું છે. આવી જ એક વ્યક્તિ છે એલેકઝેન્ડર વાંગ.

વાંગ માત્ર 25 વર્ષની વયે વિશ્વના યુવા અબજપતિ બન્યો છે. કેટલાય લોકો એની તુલના એલન મસ્ક સાથે પણ કરે છે. વાંગ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)નો ડ્રોપઆઉટ પણ છે. તે ત્યાં મેથ્સ અને કોમ્પ્યુટર સાયન્સ BSનો અભ્યાસ કરતો હતો. ન્યુ ઇંગ્લેન્ડની એક યુનિવર્સિટીમાં પહેલું વર્ષ પૂરું કર્યા પછી વાંગે લુસી ગુઓની સાથે ‘સ્કેલ’નો પાયો નાખ્યો. અમેરિકી સ્ટાર્ટઅપ કોમ્બિનેટરની ફન્ડિંગથી બિઝનેસ પાર્ટનર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો.

વાંગ સ્કૂલમાં મેથ અને કોડિંગની સ્પર્ધામાં ભાગ લેતો હતો. તેણે 19 વર્ષની વયે કંપની શરૂ કરી હતી અને 325 મિલિયન ડોલરના ફન્ડિંગ રાઉન્ડ પછી સ્કેલ AIનું મૂલ્ય 7.3 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું. વાંગનો અંદાજે હિસ્સો 15 ટકા હતો, જે એક અબજ ડોલર થયો હતો, જે તેને વિશ્વનો સૌથી નાની વયનો અબજપતિ બનાવતો હતો. આશરે 300થી વધુ કંપનીઓ તેની કંપની સ્કેલની સર્વિસ લઈ ચૂકી છે, જેમાં જનરલ મોટર્સ, પેપાલ, ટોયોટા અને ફ્લેક્સપોર્ટ સહિત અન્ય કંપનીઓ સામેલ છે. વાંગની કંપનીએ પહેલા જ વર્ષમાં 100 મિલિયન અમેરિકી ડોલરની આવક હાંસલ કરી હતી.

 

 

AOIT પ્લેટફોર્મથી મેન્યુફેકચરીંગ ઉદ્યોગમાં આવશે ક્રાંતિ

ડો.આશિષ જાની તથા નવરચના યુનિવર્સિટીના કોમ્પયુટર સાયન્સ એન્જીન્યરીંગના  બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રણવ વૈદ્ય અને નિલય સોનીએ મેન્યુફેકચરિંગ ઉદ્યોગ  માટે ઈનોવેટિવ AOIT (આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ ઓફ થીંગ્સ) પ્લેટફોર્મ વિકસાવવામાં  ખૂબજ પાયાની ભૂમિકા બજાવી છે. અગ્રણી મેન્યુફેકચરીંગ કંપની ઈનોટેક ઓટોમેશનના  સહયોગથી સીઈઓ ચિરાયુ જસાણી અને મેનેજર દિપક પરમાર સાથે મળીને આ પ્રોજેકટ હાથ ધર્યો હતો.

આ સિધ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં ડો.આશિષ જાની કહે છે કે “ આ નવતર પ્રકારનુ AOIT પ્લેટફોર્મ તૈયાર કરવામાં ઈનોટેક ઓટોમેશન સાથેનો સહયોગ અમારા માટે ગૌરવની બાબત છે.  પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રણવ વૈદ્ય અને નિલય સોનીએ દર્શાવે  સમર્પણ  ભાવના તથા  કૌશલ્ય પ્રોજેકટની સફળતામાં ખૂબ જ મહત્વની બની રહી છે. અમે માનીએ છીએ કે  આ પ્લેટફોર્મથી મેન્યુફેકચરીંગ ઉદ્યોગમાં ક્રાંતિ આવશે અને તે બહેતર કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતા તરફ આગળ ધપશે.“

ઈનોટેક ઓટોમેશનના સીઈઓ ચિરાયુ જસાણીએ આ સહયોગની પ્રશંસા કરતાં કહ્યું કે “ નવરચના યુનિવર્સિટીના ડો.આશિષ જાની, પ્રણવ વૈદ્ય અને નિલય સોની સહિતની બનેલી   પ્રતિભાશાળી ટીમ સાથે ઘનિષ્ઠતાથી કામ કરતાં અમને ખૂબ જ સારો અનુભવ થયો છે. તેમની ટેકનિકલ નિપુણતા અને જ્ઞાનના કારણે આ અદ્યતન AOIT પ્લેટફોર્મ વિકસાવવામાં મોટુ યોગદાન થઈ શકયુ છે. “તેનાથી નવી સંભાવનાઓ શકય બની છે તેને કારણે અમારા ગ્રાહકોની મેન્યુફેકચરિંગની કામગીરીમાં રોમાંચક સંભાવનાઓ ઉભી થઈ છે.

આ સહયોગ વડે વિકસાવવામાં આવેલા  AOIT પ્લેટફોર્મથી મેન્યુફેકચરીંગ ઉદ્ઓગમાં પરિવર્તનલક્ષી ફેરફારો થશે, સંચાલનની કામગીરી સુધરશે અને મેન્યુફેકચરીંગ બિઝનેસમાં નવી સંભાવનાઓ ઉભી થશે.

એમસીએક્સે સોફ્ટવેર સપોર્ટ સર્વિસ માટે ’63 મૂન્સ’ સાથેનો કોન્ટ્રેક્ટ ફરીવાર લંબાવ્યો

મુંબઈઃ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પોતાનું ટ્રેડિંગનું કામકાજ નિર્ધારિત સમયમર્યાદામાં નવા ટ્રેડિંગ પ્લેટફોર્મ પર લઈ જવામાં અસમર્થ રહ્યા બાદ તેણે સોફ્ટવેર સપોર્ટ માટેનો 63 મૂન્સ ટેક્નોલોજીસ સાથેનો કોન્ટ્રેક્ટ ફરી એક વખત લંબાવ્યો છે.

સ્ટોક એક્સચેન્જોને બુધવારે મોડી રાત્રે મોકલવામાં આવેલા ફાઇલિંગમાં એમસીએક્સ અને 63 મૂન્સે જણાવ્યું હતું કે કોન્ટ્રેક્ટ 1 જુલાઈ, 2023થી છ મહિનાના સમયગાળા માટે લંબાવવામાં આવ્યો છે.

એમસીએક્સના ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું હતું કે દર ત્રણ મહિના માટે 125 કરોડ રૂપિયાના હિસાબે છ મહિનાના 250 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનું નક્કી થયું છે.

એમસીએક્સની એક સમયની સ્થાપક કંપની 63 મૂન્સ ટેક્નોલોજીસ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ) તરફથી ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું હતું કે એમસીએક્સે છેલ્લી ઘડીએ કરેલી વિનંતીને પગલે કોન્ટ્રેક્ટ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમસીએક્સે ફરી એક વખત ‘આ છેલ્લી વાર છે’ એમ કહીને કોન્ટ્રેક્ટ લંબાવવાની વિનંતી કરી હતી.

અહીં નોંધવું ઘટે કે એમસીએક્સનો 63 મૂન્સ ટેક્નોલોજીસ સાથેનો કોન્ટ્રેક્ટ પૂરો થયા બાદ એમસીએક્સે સોફ્ટવેર સપોર્ટ સર્વિસ માટે આ ત્રીજી વાર વિનંતી કહી હતી. એમસીએક્સે નવી ટેક્નોલોજી સર્વિસ પ્રોવાઇડર તરીકે તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ની નિમણૂક ફેબ્રુઆરી 2021માં કરી લીધી હતી, પરંતુ નવા ટ્રેડિંગ પ્લેટફોર્મમાં સ્થાનાંતર કરવાનું હજી શક્ય બન્યું નથી. 63 મૂન્સનું કહેવું છે કે દેશ-વિદેશમાં પ્રચલિત સિસ્ટમ પ્રમાણે એમસીએક્સને પોતાના ઉપયોગ માટે સોફ્ટવેર સોર્સ કોડ ખરીદી લેવાનો વિકલ્પ ઓગસ્ટ 2020થી આપવામાં આવ્યો છે.

આ સાથે એ પણ નોંધવું રહ્યું કે એમસીએક્સે છેલ્લાં કેટલાંક સપ્તાહથી નવા ટ્રેડિંગ પ્લેટફોર્મનું મોક ટ્રેડિંગ સત્ર સતત રદ કરવું પડ્યું છે. આ કેન્સલેશન બજારમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું છે.

63 મૂન્સના ફાઇલિંગમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ આપેલું એક્સચેન્જ એન્જિન છેલ્લાં વીસ વર્ષથી (2003થી) એમસીએક્સના કામકાજના કેન્દ્રમાં રહેલું છે અને રોજના 16 કલાકના હિસાબે અવિરત ચાલી રહ્યું છે. એમસીએક્સના સ્થાપક અને શુભેચ્છક તરીકે અમે એમને નવા પ્રયોગ માટે શુભેચ્છા આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ એક દિવસ યોગ્ય મુકામે પહોંચે.

ફ્લેટ બુક કરાવનાર ગ્રાહકને રૂ.11.65 કરોડનું રીફંડ આપવાનો ગ્રાહક અદાલતનો આદેશ

મુંબઈઃ અહીંના લોઅર પરેલ ઉપનગરમાં ‘વર્લ્ડ વન’ ટાવર હવે દુનિયાનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડિંગ રહ્યું ન હોવાથી તેમાં ફ્લેટ બુક કરાવનાર ગ્રાહકને વ્યાજની રકમ સાથે રૂ. 11 કરોડ 65 લાખનું રીફંડ આપવાનો નેશનલ કન્ઝ્યૂમર કમિશન (રાષ્ટ્રીય ગ્રાહક પંચ)એ આદેશ આપ્યો છે.

અગાઉ ‘વર્લ્ડ વન’ને દુનિયાનું સૌથી ઊંચું રહેણાંક મકાન ગણાવતાં માત્ર તે એક જ કારણસર ગ્રાહકે 117 માળવાળા મકાનના 38મા માળ પર મોંઘો ફ્લેટ બુક કરાવ્યો હતો. પરંતુ જ્યારે ગ્રાહકને ખબર પડી કે આ મકાન હવે દુનિયાનું સૌથી ઊંચું નથી રહ્યું ત્યારે એણે તે ફ્લેટના વધુ હપ્તા ચૂકવવાનું અટકાવી દીધું હતું. એણે બિલ્ડરને કહ્યું કે મને 18 ટકાના વ્યાજ સાથે રીફંડ આપો.

ફરિયાદી દામોદરદાસ જ્વેલર્સે ગ્રાહક પંચને કહ્યું હતું કે 2014ના નવેમ્બરમાં શ્રીનિવાસ કોટન મિલ્સ લિમિટેડ (જે હવે મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડમાં મર્જ થઈ ગઈ છે) તેના એક એજન્ટે પોતાનો સંપર્ક સાધ્યો હતો અને ‘વર્લ્ડ વન’ બિલ્ડિંગમાં ફ્લેટ બુક કરાવવાની ઓફર કરી હતી. તેણે બિલ્ડિંગનું લોભામણું અને કલરફૂલ બ્રોશર બતાવ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે પાર્કિંગ માટેના અનેક માળ તેમજ તેની ઉપર રહેણાક માટેના 117 માળ બંધાઈ ગયા બાદ આ બિલ્ડિંગ દુનિયામાં સૌથી ઊંચું રહેણાંક બિલ્ડિંગ બનશે. એમાં સ્વિમિંગ પૂલ હશે, સ્ટીમ અને સૌના રૂમ હશે, તેમજ બીજી ઘણી લેટેસ્ટ સુવિધાઓ આપવામાં આવશે. આ પ્રોજેક્ટની જાહેરખબરમાં જ ‘વર્લ્ડ વન’ બિલ્ડિંગને ‘દુનિયાના સૌથી ઊંચા રેસિડેન્શિયલ ટાવર’ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. એમાં જણાવાયું હતું કે પેરિસે દુનિયાને એફિલ ટાવર આપ્યો, દુબઈએ બુર્જ ખલિફા આપ્યો, હવે મુંબઈ આપે છે દુનિયાનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડિંગ – ‘વર્લ્ડ વન’.

જાહેરખબરમાંના દાવાઓને માની લઈને દામોદરદાસે 2014ના ડિસેમ્બરમાં ‘વર્લ્ડ વન’માં ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું. 38મા માળ પર 2,044 સ્ક્વેર ફૂટ એરિયાવાળો ફ્લેટ ખરીદવા માટે એમણે ડિપોઝીટની રકમ ચૂકવી હતી. ફ્લેટ કુલ રૂ. 14.57 કરોડનો હતો. ગ્રાહક અદાલતમાં કેસ કર્યો ત્યાં સુધીમાં દામોદરદાસે રૂ. 11 કરોડ 66 લાખ ચૂકવી દીધા હતા. પૂરી રકમ એમણે 19 હપ્તામાં ચૂકવવાની હતી. પરંતુ, મકાનના 89 માળ બંધાઈ ગયા બાદ તેનું બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ દામોદરદાસ પાસેથી હપ્તાની માગણી ચાલુ રખાઈ હતી. બિલ્ડરે એમને કહ્યું કે સત્તાવાળાઓ તરફથી 117 માળ બાંધવાની એને પરવાનગી મળી જશે. પરંતુ તે પરવાનગી એને મળી નહીં. તેથી દામોદરદાસે રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા જાગરૂક નાગરિકનો સંપર્ક કર્યો હતો. સંસ્થાએ 2019ના એપ્રિલમાં એમને સલાહ આપી હતી કે તેઓ શ્રીનિવાસ કોટન મિલ્સ લિમિટેડ સામે ફરિયાદ નોંધાવે. ત્યારબાદ દામોદરદાસે રાષ્ટ્રીય ગ્રાહક પંચમાં કેસ કર્યો હતો.

શ્રીનિવાસ કંપનીએ દલીલ કરી હતી, પણ પંચે તેના ચુકાદામાં કહ્યું કે સત્તાવાળાઓ તરફથી 117 માળ બાંધવાની પરવાનગી ન મળ્યા બાદ તેણે ફરિયાદી દામોદરદાસે માગણી કર્યા મુજબ સોદો રદ કેમ નહોતો કર્યો? તેથી હવે બે મહિનામાં જ ગ્રાહકને તેણે ચૂકવેલી રકમનું વ્યાજ સાથે રીફંડ આપી દેવાનું રહેશે.

દક્ષિણ કેલિફોર્નિયામાં ટ્રેન-ટ્રક અથડાવાથી અકસ્માતઃ 16ને ઇજા

કેલિફોર્નિયાઃ દક્ષિણ કેલિફોર્નિયામાં એમટ્રેક ટ્રેન પાટા પરથી ખડી પડતાં 16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. આ ટ્રેનનો અકસ્માત એક ટ્રક અથડાવાથી થયો હતો. આ અકસ્માત થવાને કારણે ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી. આ ટ્રકચાલકને ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતો અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઇજા થવાથી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી, એમ વેન્ચુરા કાઉન્ટી ફાયર વિભાગે જણાવ્યું હતું.

વિભાગે જણાવ્યું હતું કે અન્ય 14 લોકોને પણ સામાન્ય ઇજાને પગલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. વિભાગે જણાવ્યું હતું કે કોસ્ટ સ્ટારલાઇટ ટ્રેનના અન્ય પેસેન્જરો સુરક્ષિત હતા, જેમને કોઈ ઇજા નહોતી થઈ.

આ 14 ક્રમાંકની ટ્રેન લોસ એન્જલસથી સિયેટલ સવારે 11 કલાકની આસપાસ  જતી હતી, ત્યારે આ ટ્રેન કેલિફોર્નિયાના મુરપાર્કમાં ટ્રેક પર ટ્રક અથડાવાને કારણે પાટા પરથી ખડી પડી હતી. આ દુર્ઘટનામાં સારી વાત એ હતી કે ટ્રેન ખડી પડ્યા પછી સીધી ઊભી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં આશરે 200 પેસેન્જરો હતા. વેન્ચુરા કાઉન્ટી અગ્નિશમન વિભાગના કેપ્ટન બ્રાયન કહ્યું હતું કે મૂરપાર્ક ટક્કર પછી પછી ટ્રેનની સાત કારોમાંથી ત્રણ પાટા પરથી ઊતરી ગઈ હતી. ટ્રકચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

એમટ્રેક કહ્યું હતું કે આ ટ્રેનમાં આશરે 198 યાત્રી અને ચાલક દળના 13 સભ્યો હતા, જેમને ટ્રેનમાંથી બહાર કઢાયા હતા. ફાયરબ્રિગ્રેડ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ફાયરબ્રિગ્રેડ ઇમર્જન્સી ડોક્ટરોની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કંપનીએ કહ્યું હતું કે સ્થાનિક અધિકારીઓની સાથે સમન્વય ઘટનાની તપાસ કરવામાં આવશે.

 

 

‘સત્યપ્રેમ કી કથા’ના વિશેષ શોમાં બોલીવુડ સિતારાઓની ઉપસ્થિતિ

આજે 29 જૂન, ગુરુવારથી દેશભરના થિયેટરોમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના નિર્માતાઓએ 28 જૂન, બુધવારે સાંજે મુંબઈમાં બોલીવુડ સિતારાઓ તથા મિડિયાકર્મીઓ માટે વિશેષ શોનું આયોજન કર્યું હતું. તેમાં આ ફિલ્મનો અભિનેતા કાર્તિક આર્યન, ચંકી પાંડે, ટાઈગર શ્રોફ, અનિલ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેની પત્ની અને આ ફિલ્મની અભિનેત્રી કિયારા અડવાની, માનુષી છિલ્લર, પૂજા હેગડે, મૃણાલ ઠાકુર જેવા કલાકારોએ હાજરી આપી હતી.

કાર્તિક આર્યન

પૂજા હેગડે

ટાઈગર શ્રોફ

કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા

મૃણાલ ઠાકુર

અનિલ કપૂર

ચંકી પાંડે

માનુષી છિલ્લર

(તસવીર અને વિડિયોઃ માનસ સોમપુરા)

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક મેઘમહેર

અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 186 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડીમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે નવસારમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તામાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં.

સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના કામરેજ અને ખેરગામમાં 6-6 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પલસાણા અને ધરમપુરમાં સાડાપાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. 27 તાલુકા એવા છે જ્યાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. ગુજરાતના 38 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં ભારે વરસાદથી રોડ પર પાણી ભરાતાં કુલ 16 રોડ બંધ કરવામાં આવ્યા છે.  સુરતના બારડોલીમાં પણ સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.સુરતમાં પહેલા જ વરસાદે પૂરની સ્થિતિ ઊભી કરી દીધી છે. સુરત શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને કારણે શહેરમાંથી પસાર થઈ રહેલી ખાડી ઓવરફ્લો થઈ છે અને પાણી ગામમાં ઘૂસી રહ્યાં છે. સુરતના છેવાડે આવેલ કુંભારિયા ગામના ખાડી નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. કુંભરિયા ગામના પાદર ફળિયામાં આવેલા 50 જેટલા ઘરમાંથી 25થી 30 ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયાં છે. જેને લઈ 200થી 250 લોકોની હાલત ખૂબ જ દયનીય બની છે.

અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.  શહેરના નિકોલ, ઓઢવ, ચાંદખેડા, ગોતા, આંબાવાડી, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. ભારે વરસાદને પગલે લોકોને પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના કોતરપુરમાં સાડા ત્રણ ઇંચ કરતાં વધું વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ભારે વરસાદ અને પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી (કચ્છ), મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. અહીં પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.