Home Blog Page 2781

ગાંધીનગરમાં રથયાત્રાનો રૂટ બદલાતા લોકો નારાજ

અષાઢી બીજ ના દિવસે ગાંધીનગર શહેરમાં પંચદેવ મંદિર યુવક સમિતિ દ્વારા રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં ગાંધીનગરના સેકટરોને આવરી લેવામાં આવે છે. પરંતુ આ વર્ષે ગાંધીનગર ની રથયાત્રાનો રૂટ બદલવામાં આવ્યો છે.

રથયાત્રાનો રૂટ બદલાતા અને ટુંકાવતા કેટલાક ધર્મપ્રેમી લોકો નારાજ થયા છે. નારાજ લોકો એ તંત્ર વિરુધ્ધ બેનર્સ લગાડી રોષ વ્યક્ત કર્યો છે.

ગાંધીનગર ના યુવા અગ્રણી અંકિત બારોટ ચિત્રલેખા. કોમને કહે છે રાજકીય કાર્યક્રમો નું આયોજન કરવાનું હોય ત્યારે તાબડતોબ તંત્ર કામે લાગી જાય છે. રસ્તા ઓ નું સમારકામ કરી દેવામાં આવી છે. જ્યારે ભગવાન જગન્નાથ ની રથયાત્રા દર વર્ષે બધા સેકટરો માંથી પસાર થતી હોય.

ધર્મપ્રેમી લોકો આ રથયાત્રા નો લાભ લેતા હોય તો સત્તાધીશો શા માટે રોડ નું સમારકામ ના કરી શકે..? ખરેખર રસ્તા ઓ વ્યવસ્થિત કરી રથયાત્રા ને પરંપરાગત માર્ગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. આ ધાર્મિક આસ્થા નો વિષય છે.

પ્રજ્ઞેશ વ્યાસ

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે CRPFની ડોગ સ્કવોડ તહેનાત કરાશે

ઉધમપુરઃ અમરનાથ યાત્રા પહેલાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળ (CRPF)એ ઉધમપુર જિલ્લાની અલગ-અલગ જગ્યાએ વિશેષ ડોગ સ્કવોડને તહેનાત કરી છે. 62 દિવસીય અમરનાથ યાત્રાનો પહેલી જુલાઈ પહેલગામમાં નુનવાન અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલટાલના બે પરંપરાગત માર્ગોથી શરૂ થશે.

CRPFમાં 137 બેટેલિયનના કમાન્ડટ રમેશકુમારે કહ્યું હતું કે અમે અમરનાથ યાત્રા દરમ્યાન તીર્થયાત્રીઓની સુરક્ષા માટે અહીં તહેનાત છીએ. તીર્થયાત્રીઓએ ડરવાની કોઈ વાત નથી. અમે અહીં અમારું કામ ગણી તકેદારી સાથે કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં અમરનાથ યાત્રા માટે તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરી હતી. દક્ષિણ કાશ્મીરમાં 3880 મીટર ઊંચા ગુફા મંદિરની 62 દિવસની તીર્થ યાત્રા એક જુલાઈથી શરૂ થઈને 31 ઓગસ્ટ સુધી ચાલશે.

એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બાલટાલની મુલાકાત લીધી હતી અને બાલટાલ માર્ગથી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જમ્મુના ઉપાયુક્ત અવની લવાસાએ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની સાથે યાત્રી નિવાસ, જમ્મુ રેલવે સ્ટેશન,વૈષ્ણવી ધામ, સરસ્વતી ધામ અને પંચાયત ભવનની મુલાકાત લીધી હતી.

તેમણે રજિસ્ટ્રેશન કાઉન્ટરો, આવાસ કેન્દ્રો અને યાત્રી નિવાસમાં આવાસ, સુરક્ષા, વાઇફાઈની સ્થાપના, વીજળી અને પાણીની વ્યવસ્થા, સાફસફાઈ અને સ્વચ્છતા અને આરોગ્યની સુવિધા સહિત અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગોને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો કે તીર્થયાત્રીઓને પાયાની સુવિધાની અછતને કારણે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. ગયા વર્ષે 3,45 લાખ લોકોએ પવિત્ર ગુફાનાં દર્શન કર્યાં હતાં અને આ વર્ષે એ સંખ્યા વધીને પાંચ લાખ સુધી જવાની શક્યતા છે.

 

 

 

 

 

મુંબઈમાં અશાંત થયો છે દરિયો; નાગરિકો માટે ચોપાટીઓ બંધ, પોલીસોનો મોટો બંદોબસ્ત

મુંબઈઃ અરબી સમુદ્ર પરના આકાશમાં સર્જાયેલું અતિ ભયાનક એવું ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય[ આજે પડોશના ગુજરાત રાજ્યના સમુદ્રકાંઠા પર ત્રાટકવાની તૈયારીમાં છે. એની તીવ્ર અસર હેઠળ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને સમુદ્રમાં વિકરાળ મોજાં ઉછળી રહ્યાં હોવાથી મુંબઈમાં તમામ 6 ચોપાટીઓ પર નાગરિકો માટે પ્રવેશબંધી લગાવી દેવામાં આવી છે. ગિરગાંવ (ચર્ની રોડ), જુહૂ (વિલે પારલે), વર્સોવા (અંધેરી), આક્સા (મલાડ) અને ગોરાઈ (બોરીવલી) ચોપાટીઓ નાગરિકો માટે બંધ કરી દેવામાં આવી છે.

આ તમામ ચોપાટીઓ પર પોલીસોનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુંબઈમાં દરિયો તોફાની બની ગયો છે. આજે સવારે 10.21 વાગ્યે સમુદ્રમાં ભરતી આવી હતી અને એને પરિણામે ખૂબ ઊંચા, ભયજનક મોજાં કિનારા પર ઉછળ્યા હતા. મહાનગરપાલિકાએ તમામ ચોપાટીઓ ઉપરાંત સી-ફેસ વિસ્તારોમાં પણ નાગરિકો માટે પ્રતિબંધ મૂકી દીધો છે. ચોપાટીઓ ખાતે બે શિફ્ટમાં સેંકડો લાઈફગાર્ડ્સને પણ મૂકવામાં આવ્યા છે.

‘બિપરજોય[ વાવાઝોડું હાલ ગુજરાતના સમુદ્રકાંઠા (દ્વારકા, નલિયા, માંડવી)થી 190 કિ.મી. દૂર છે. તે આજે મોડી રાતે સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટકશે એવી સંભાવના છે.

LIVE: ગૃહમંત્રી અમિત શાહની બિપરજોય પર નજર, આજે ગુજરાતમાં વાવાઝોડું આવશે

અરબી સમુદ્રમાંથી ઉછળેલું ચક્રવાતી તોફાન બિપરજોય ખતરનાક રીતે પસાર થઈ ગયું છે. તે થોડા જ કલાકોમાં ગુજરાતમાં ત્રાટકશે. આ પહેલા નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને બહાર કાઢીને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવ્યા છે. વાવાઝોડાની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો પર છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નજર રાખી રહ્યા છે

વાવાઝોડાને લઈને દિલ્હીથી લઈને ગુજરાત સુધી હલચલ મચી ગઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે સતત સમીક્ષા કરી રહ્યા છે. પીએમ મોદી અને ગૃહમંત્રી પણ નજર રાખી રહ્યા છે.

અમિત શાહ ક્ષણે ક્ષણે અપડેટ લઈ રહ્યા છે

ગૃહમંત્રી અમિત શાહ મહાતુફાન બિપરજોય પર નજર રાખી રહ્યા છે. વાવાઝોડાને કારણે શાહે પોતાનો તેલંગાણા પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને NDRF અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પાસેથી ક્ષણ-ક્ષણ અપડેટ્સ લઈ રહ્યા છે.

70 કિમીની ઝડપે પવન ફૂંકાયો

એનડીઆરએફના એક અધિકારીએ એએનઆઈને જણાવ્યું કે હાલમાં દરિયાકાંઠે 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

ચક્રવાત ગુજરાતની નજીક પહોંચ્યું છે

ચક્રવાત બિપરજોય હાલમાં જખૌ બંદરથી 155 કિમી, દ્વારકાથી 185 કિમી, નલિયાથી 185 કિમી, પોરબંદરથી 265 કિમી અને કરાચી (પાકિસ્તાન)થી 245 કિમી દૂર છે.

ગુજરાતના ગૃહમંત્રીએ દ્વારકામાં તૈયારીઓની સમીક્ષા કરી હતી

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાના ગોમતી ઘાટ પર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મોડી સાંજ સુધીમાં તોફાન બિપરજોય દ્વારકાના દરિયાકાંઠે પહોંચવાનું છે.

NDRFની 18 ટીમો ગુજરાતમાં તૈનાત

એનડીઆરએફના ડીજી અતુલ કરવલે જણાવ્યું કે બિપરજોય મોડી સાંજ સુધીમાં જખાઉ બંદર પર લેન્ડફોલ કરશે. 18 NDRF ટીમો ગુજરાત સરકાર સાથે તૈનાત છે, મોટાભાગે કચ્છમાં.

તોફાનનું લેન્ડફોલ સાંજે 6 વાગ્યાથી શરૂ થશે

લેટેસ્ટ સેટેલાઇટ ઈમેજીસ જોતા જાણવા મળે છે કે વાવાઝોડું સાંજે 6 વાગ્યાની આસપાસ લેન્ડફોલ કરવાનું શરૂ કરશે અને રાત્રે 10 વાગ્યા સુધીમાં ખતમ થઈ જશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ચક્રવાત ‘બિપરજોય’ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

દ્વારકામાં જોરદાર પવન ફૂંકાયો

આજે સાંજ સુધીમાં દ્વારકામાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકામાં વાવાઝોડાને કારણે ભારે વરસાદની સંભાવના છે.


મુંબઈમાં હાઈટાઈડ એલર્ટ

મુંબઈના મરીન ડ્રાઈવ પર સવારે 10.29 વાગ્યે હાઈટાઈડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોને કિનારાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

કચ્છમાં હાઈટાઈડ એલર્ટ

આજે મોડી સાંજના સુમારે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છ અને જખૌ બંદરની આસપાસ ત્રાટકશે. દરિયાકાંઠે અથડાવા પર, પવનની ઝડપ 115 કિમી પ્રતિ કલાકથી 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયામાં 2.5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. મહત્તમ ઉંચાઈ કચ્છમાં આવે તેવી શક્યતા છે.


ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, બિપરજોય ગુરુવારે (15 જૂન) સાંજે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વિસ્તાર, માંડવી કાંઠા અને પાકિસ્તાનના કરાચી બંદરમાંથી પસાર થશે. આ દરમિયાન પવનની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે, જે 150 કિમી સુધી જઈ શકે છે.

IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે (14 જૂન) કહ્યું હતું કે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડ્યું છે. તેમણે કહ્યું કે ગુરુવારે દરિયાકાંઠે ટકરાયાના એક દિવસ પછી એટલે કે 16 જૂનની સવારે તેની ઝડપ ઘટીને 85 કિમી થઈ જશે. વાવાઝોડું 17મીએ રાજસ્થાનમાં પ્રવેશ કરશે પરંતુ ત્યાં સુધીમાં તેની ઝડપ ઘણી ઓછી થઈ જશે.


હવામાન કચેરીએ અધિકારીઓને ગીર, સોમનાથ અને દ્વારકા જેવા લોકપ્રિય સ્થળો પર પ્રવાસીઓની અવરજવરને પ્રતિબંધિત કરવા જણાવ્યું છે અને લોકોને સલામત સ્થળોએ રહેવા વિનંતી કરી છે. જોરદાર પવનને કારણે ખાડાવાળા મકાનો સંપૂર્ણ નાશ પામવાની, કચ્છના મકાનોને વ્યાપક નુકસાન અને પાકાં મકાનોને નજીવું નુકસાન થવાની સંભાવના છે.


સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે ત્રણેય સેનાના વડાઓ સાથે વાત કરી અને ચક્રવાત બિપરજોયની અસરોનો સામનો કરવા માટે સશસ્ત્ર દળોની તૈયારીઓની સમીક્ષા કરી. તૈયારીઓની સમીક્ષા કર્યા પછી, રાજનાથ સિંહે કહ્યું કે સશસ્ત્ર દળો ચક્રવાતને કારણે ઊભી થનારી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ સંભવિત સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.


ચક્રવાતના સંભવિત દસ્તક પહેલાં, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે કુલ 33 ટીમોને સોંપી છે. NDRFની 18 ટીમો ગુજરાતમાં રાખવામાં આવી છે, એક ટીમને દીવમાં તૈનાત કરવામાં આવી છે.

શહીદ શાંતિરક્ષકો માટે સ્મારક દીવાલના પ્રસ્તાવને UNની મંજૂરી

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ શહીદ થયેલા શાંતિરક્ષકોના સન્માનમાં યુનાઇટેડ નેશન્સના મુખ્ય મથકમાં એક સ્મારક દીવાલ સ્થાપિત કરવા માટે ભારતના દ્વારા લાવવામાં આવેલા ઠરાવ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કમ્બોજે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મેમોરિયલ વોલ ફોર ફોલન યુનાઇટેડ નેશન્સ પીસકીપર્સ નામના ઠરાવ પ્રસ્તાવને રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના હાલ આશરે 190 સભ્ય દેશો દ્વારા સહ-પ્રયોજિત આ પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કર્યો હતો.

આ પ્રસ્તાવ રજૂ કરતી વખતે કમ્બોજે કહ્યું હતું કે સ્મારક દીવાલ એ વાતનું પ્રમાણ હશે કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ ઝુંબેશને કેટલું મહત્ત્વ આપે છે. તેમણે કહ્યું હતું કે એ સ્મારક દીવાલ લોકોને ના માત્ર શહીદોના બલિદાનની યાદ અપાવશે, બલકે અમારા નિર્ણય માટે ચૂકવવામાં આવેલી વાસ્તવિક કિંમતને પણ સતત યાદ અપાવશે. આ ઠરાવ પ્રસ્તાવને બંગલાદેશ, કેનેડા, ચીન, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાંસ, ભારત ઇન્ડોનેશિયા, જોર્ડન, નેપાલ, રવાન્ડા અને અમેરિકા સહિત 18 દેશો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ શાંતિરક્ષકો માટે નવી સ્મારક દીવાલ સ્થાપિત કરવાના ભારતના ઠરાવ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં સ્વીકાર કરવામાં આવતાં તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ પ્રસ્તાવને ટેકો રનારા બધા દેશોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાને આ ખુશી ટ્વીટ કરીને વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ટેકા બદલ આભાર.

 

 

 

વાવાઝોડા ‘બિપરજોય’ને પગલે આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ

નવી દિલ્હીઃ ભીષણ વાવાઝોડું બિપરજોય ગુજરાતના તટે ટકાવાની સંભાવના છે. ગુજરાત માટે જોખમમાં વધારો થયો છે. વાવાઝોડું સાંજે જખૌ પોર્ટના તટે ટકરાશે. એ સમયે પવનની ઝડપ 135થી 150 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. હાલ એ વાવઝોડું 180 કિમી દૂર છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર સાંજે ચાર કલાકથી આઠ કલાક દરમ્યાન જોવા મળશે. આ વાવાઝોડા ‘બિપરજોય’ને પગલે આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના કચ્છથી અત્યાર સુધી 74,000 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. નવ વિસ્તાર બંધ કરવામાં આવ્યા છે. હજારો લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. NDRFની 19 ટીમોને જ્યારે SDRFની 30 ટીમો તહેનાત કરવામાં આવી છે. BSF પણ આવનારા પડકારને પહોંચી વળવા માટે સજ્જ છે. આ વાવાઝોડું ગુજરાત થઇને રાજસ્થાન તરફ આગળ વધવાની વકી છે. પશ્ચિમ રેલવેએ 95 ટ્રેનો રદ કરી દીદી છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે સ્કૂલો-કોલેજો બંધ રાખવામાં આવી છેં. આકાશવાણી પણ એનાં ટાવર દૂર કર્યા છે. હવામાન વિભાગના DGએમ મહાપાત્રાએ કહ્યું હતું કે વાવાઝોડું જખૌની પાસે પ્રચંડ ચક્રવાતી તોફાન બનીને તટે ટકરાવાનું પૂર્વાનુમાન કર્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.. જામનગરના દરિયાકિનારે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહ ગૃહ મંત્રાલયમાં જ હાજર રહીને વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખશે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ત્રણે સેનાપ્રમુખો સાથે વાત કરીને વાવાઝોડાથી નિપટવા સશસ્ત્ર દળોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ બિપરજોય સામે કચ્છમાં કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ વાવાઝોડાને પગલે સમીક્ષા બેઠક યોજી હતી.

 

 

કોરાનાના 106 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 106 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,186 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,893 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,59,226 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 186 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2067એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 81,475 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.16 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,31,925 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 210 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

ફ્લિપકાર્ટ, ફોન-પે ભારતમાં $100-અબજના મૂલ્યવાળી કંપનીઓ બની શકે છેઃ વોલ્માર્ટ

મુંબઈઃ અમેરિકાની મલ્ટીનેશનલ રીટેલ કંપની અમેરિકા તથા દુનિયામાં ઘણે ઠેકાણે હાઈપરમાર્કેટ્સ, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સની ચેન ધરાવે છે. ભારતમાં તેના બિઝનેસ એકમો છે – ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસ અને ફોનપે પેમેન્ટ. આ બંને પેટાકંપની ભારતમાં જોરદાર વૃદ્ધિ હાંસલ કરી રહી છે અને તેઓ 100 અબજ ડોલરના મૂલ્યવાળા બિઝનેસ બની શકે છે. આવું વોલ્માર્ટના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરે એક ઈન્વેસ્ટર સંમેલનમાં જણાવ્યું હતું.

વોલ્માર્ટે ફ્લિપકાર્ટ અને ફોનપેના વેચાણના આંકડા બહાર પાડ્યા નથી, પરંતુ કંપનીના એક્ઝિક્યૂટિવ્સે આવતા પાંચ વર્ષમાં વિદેશી બજારોમાં કુલ વ્યાપાર બમણો કરીને 200 અબજ ડોલરના આંકે પહોંચાડવાનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે છેલ્લા અમુક મહિનાઓમાં આ બે પેટાકંપનીને મહત્ત્વની ચાલક-પરિબળ તરીકે ઓળખાવતા રહ્યા છે.

વોલ્માર્ટના આંતરરાષ્ટ્રીય વડા કહી ચૂક્યા છે કે એક અબજ 40 લાખની વસ્તી ધરાવતા ભારતમાં વ્યાપાર વધારવા વોલ્માર્ટ માટે ભરપૂર તક રહેલી છે. 30 એપ્રિલે પૂરા થયેલા તાજેતરના ક્વાર્ટરમાં ફ્લિપકાર્ટે ડબલ-આંકનો વૃદ્ધિદર હાંસલ કર્યો હતો. કેટલાક શહેરોમાં નવા ગ્રાહકો મળતાં તેનું વેચાણ 50 ટકા જેટલું વધી ગયું છે. 2022માં ફ્લિપકાર્ટની વેલ્યૂ 40 અબજ ડોલર હતી અને ભારતની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ તરીકે ઓળખાય છે.

મહાવાવાઝોડું ‘બિપરજોય’ આજે બપોરે કચ્છની ધરતી પર ટકરાશે

અમદાવાદઃ ભયાનક ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ ઝડપથી કચ્છ-સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનની દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન મુજબ, વાવાઝોડું આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ કચ્છના જખૌ બંદર પર લેન્ડફોલ કરશે. કાતિલ ઝડપે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડવાને કારણે નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાની ભીતી છે.

ગુજરાત સરકાર તેમજ સંબંધિત જિલ્લા વહીવટીતંત્રો દ્વારા સંભવિત અસરગ્રસ્ત સમુદ્રકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી દીધું છે. કચ્છના માંડવી, મુંદ્રા અને જખૌમાં અનેક ગામડાઓ ખાલી થઈ ગયા છે અને ત્યાં બધું સૂમસામ ભાસે છે. પવનના સૂસવાટા અને દરિયામાં વિકરાળ મોજાંના અવાજ સિવાય બીજું કંઈ સાંભળવા મળતું નથી. પોરબંદર ઉપરનો ખતરો થોડોક ઘટી ગયો છે. ત્યાં બે દિવસથી થોડોક તડકો પણ નીકળે છે. પવન છે અને અવારનવાર વરસાદ પડે છે.

‘બિપરજોય’ વાવાઝોડું પાકિસ્તાનના કરાચી સહિત સમુદ્રકાંઠા વિસ્તારોમાં પણ મોટું નુકસાન વેરે એવી સંભાવના છે.

ચક્રવાતને કારણે ભારતીય રેલવેએ સૌરાષ્ટ્ર તરફ જતી અને ત્યાંથી આવતી અસંખ્ય ટ્રેનોને રદ કરી દીધી છે. ઘણી ટ્રેનોને રાજકોટ ટર્મિનેટ કરી દેવામાં આવી રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના સંભવિત અસરવાળા વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.

આ વાવાઝોડું ત્રાટકવાથી ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર પર ઘણી માઠી અસર પડશે. તમામ મોટા બંદરગાહ બંધ છે. સમુદ્રમાર્ગે તેલનો વ્યાપાર પણ ઠપ થઈ ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારો તથા ગુજરાત રાજ્યના સમગ્ર અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન જવાનો અંદાજ છે.

વાવાઝોડાને ધ્યાનમાં લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના સાત સહિત કુલ આઠ જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. ભારતીય લશ્કર, હવાઈ દળ અને નૌકાદળ તેમજ એનડીઆરએફની અસંખ્ય ટીમને બચાવ તથા રાહત-સહાય કામગીરીઓ હાથ ધરવા માટે તૈનાત કરવામાં આવી છે.

સુવિચાર – ૧૫ જૂન, ૨૦૨૩

સુવિચાર – ૧૫ જૂન, ૨૦૨૩