Home Blog Page 2811

એ જ કોન્ટ્રેક્ટરને મુંબઈ મહાપાલિકાએ 3 ફ્લાયઓવર બાંધવાનો કોન્ટ્રેક્ટ આપ્યો છે

મુંબઈઃ મહાનગરમાં ગોરેગાંવ-મુલુંડ લિન્ક રોડ ટનલ પ્રોજેક્ટ હેઠળ ત્રણ ફ્લાયઓવર બાંધવાનો કોન્ટ્રેક્ટ એ કોન્ટ્રેક્ટરને આપવામાં આવ્યો છે જેનું નામ બિહારમાં ગંગા નદી પર બાંધવામાં આવી રહેલા એ બ્રિજના બાંધકામ સાથે સંકળાયેલું છે જે બ્રિજ ગઈ કાલે તૂટી પડ્યો હતો, એમ એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકાએ ગોરેગાંવ-મુલુંડ લિન્ક રોડ ટનલ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ ફ્લાયઓવરના બાંધકામ માટેનો કોન્ટ્રેક્ટ એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રેક્ટર એસ.પી. સિંગલાને ફાળવ્યો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 584 કરોડ 27 લાખનો છે.

ગંગા નદી પર ગઈ કાલે તૂટી પડેલા કેબલ સ્ટેડ બ્રિજનું નામ છે અગુવાની સુલતાનગંજ બ્રિજ. તે બ્રિજ બિહારના ખગરિયા અને ભાગલપુર જિલ્લાઓને જોડનારો હતો. હવે આ બ્રિજ તૂટી પડવાથી બાંધકામ પ્રોજેક્ટની સલામતી અને પ્રગતિ વિશે શંકા ઊભી થઈ છે. બે વર્ષની અંદર આ જ બ્રિજનો હિસ્સો તૂટી પડવાની આ બીજી ઘટના બની છે. બ્રિજની ડિઝાઈન ખામીવાળી હોવાનું કહેવાય છે.

પર્યાવરણ દિવસઃ SVPI એરપોર્ટ પર વૃક્ષારોપણ, સફાઈ ઝુંબેશનો આરંભ

અમદાવાદઃ  સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન વિશે જાગૃતિ ફેલાવવા SVPI એરપોર્ટે એક સપ્તાહ લાંબી ઝુંબેશ શરૂ કરી છે. એરપોર્ટ સ્ટેકહોલ્ડર્સ દ્વારા વૃક્ષારોપણ સાથે જનજાગૃતિ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે, જેમાં પર્યાવરણના જતનાર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

એરપોર્ટના તમામ સ્ટેકહોલ્ડર્સ દ્વારા પર્યાવરણની સેવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના અભિગમને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે. પકૃતિની માવજત માટે પ્રતિજ્ઞા અને જાગૃતિ ફેલાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વૃક્ષારોપણ સાથે સફાઈ ઝુંબેશનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ જાગૃતિ ઝુંબેશ અંતર્ગત SVPI એરપોર્ટના મુસાફરોને પણ પર્યાવરણીય પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ પર્યાવરણને લગતી ચિત્રકામ પ્રવૃતિઓમાં ભાગ લઈ સરપ્રાઇઝ ઈકો ગિફ્ટ્સ મેળવી ઉત્સાહિત થઈ રહ્યા છે. મુસાફરોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા કાપડની શોપિંગ બેગ, પ્લાન્ટેબલ પેન જેવી યાદગાર ભેટો આપવામાં આવી હતી. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે આયોજિત અન્ય કાર્યક્રમોમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા ફ્યુઅલ ફાર્મ અને એપ્રોચ રોડ પર સફાઇ ઝુંબેશનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ ઝુંબેશ દરમિયાન ટીમે વિસ્તારમાંથી 600 કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો.

 

 

 

પાકિસ્તાન દેશદ્રોહી છે, અમેરિકાએ હથિયાર આપવાની ભૂલ ન કરવી જોઈએ, રાજનાથ સિંહે લોયડ ઓસ્ટિનને ચેતવણી આપી

અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને સોમવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને લોકોએ અમેરિકા અને ભારત વચ્ચેના સંરક્ષણ સંબંધો પર ચર્ચા કરી હતી. એનએસએ સાથે મુલાકાત પહેલા અમેરિકી રક્ષા મંત્રીએ રાજનાથ સિંહ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે બેફામ કહ્યું કે અમેરિકાએ પાકિસ્તાનને હથિયાર ન આપવું જોઈએ, કારણ કે તે વિશ્વાસપાત્ર નથી. વાસ્તવમાં અમેરિકા પાકિસ્તાનને હથિયાર સપ્લાય કરતું રહ્યું છે.

રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન અને NSA અજિત ડોભાલની બેઠક અંગે માહિતી શેર કરવામાં આવી છે. તે જણાવે છે કે ઓસ્ટિન અને ડોવલે દરિયાઈ, સૈન્ય અને એરોસ્પેસ ડોમેન્સમાં શાનદાર પ્રદર્શન કરીને ક્ષમતાઓને વધારવા માટે સહકારની ચર્ચા કરી હતી. લોયડ ઓસ્ટીને ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ પહેલને અનુરૂપ ટેકનોલોજી, સહ-ઉત્પાદન અને સ્વદેશી ક્ષમતાઓના મહત્તમ ટ્રાન્સફર પર ભાર મૂક્યો હતો.


રાષ્ટ્રીય પ્રાથમિકતાઓના આધારે નિર્ણય લેવો જોઈએ

મીટિંગમાં, યુએસ સંરક્ષણ સચિવ અને NSA એ સંમત થયા હતા કે મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને ઈન્ડો-પેસિફિકના દેશોએ તેમની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અનુસાર કાર્યવાહીની સ્વતંત્રતા જાળવી રાખવી જોઈએ. તેને કોઈ ખરાબ વિકલ્પ પસંદ કરવા દબાણ ન કરવું જોઈએ.


શસ્ત્રોના મુદ્દે પાકિસ્તાન પર વિશ્વાસ ન કરોઃ રાજનાથ સિંહ

પુરવઠાના વિશ્વસનીય સ્ત્રોતો, લવચીક પુરવઠા શૃંખલાઓ અને બંને દેશો વચ્ચે મોટી ઉદ્યોગ ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરો. લોયડ અને NSA ડોભાલ સંમત થયા હતા કે વૈશ્વિક પડકારો માટે વ્યૂહાત્મક અભિગમ લોકો-થી-લોકો અને સામાજિક સંબંધો સહિત સરકારના સમગ્ર પ્રયાસો દ્વારા અપનાવવો જોઈએ.


રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમેરિકી રક્ષા મંત્રીને ચેતવણી આપતા કહ્યુ છે કે હથિયારોને લઈને પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાય નહી. પાકિસ્તાન આ મામલે વિશ્વાસપાત્ર નથી. પાકિસ્તાન પહેલાથી જ હથિયારો અને ટેકનોલોજીના દુરુપયોગ માટે કુખ્યાત છે. જો તેને હથિયારો પૂરા પાડવામાં આવે છે, તો તે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા તરફ દોરી શકે છે.

IIT ગાંધીનગરની NIRF ઈન્ડિયા રેન્કિંગ 2023માં આગેકૂચ

ગાંધીનગર: શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતાના કાર્યમાં આગળ વધીને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર (IITGN)એ આજે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જાહેર કરેલા ઇન્ડિયા રેન્કિંગ્સ-2023માં અસાધારણ પ્રગતિ દર્શાવી છે. સંસ્થાએ એન્જિનિયરિંગ કેટેગરીમાં 18મા સ્થાને (વર્ષ 2022માં 23મા ક્રમથી) પહોંચીને ટોચની 20 સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે અને ગયા વર્ષ (વર્ષ 2022માં 37મા ક્રમેથી) 13 સ્થાનની છલાંગ લગાવીને ઓવરઓલ કેટેગરીમાં 24મું સ્થાન મેળવ્યું છે; જે આ શ્રેણીની ટોચની 50 સંસ્થાઓમાં ગુજરાતની એકમાત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે. IITGNએ રિસર્ચ ઈન્સ્ટીટ્યુશન્સ કેટેગરીમાં પણ તેના રેન્કિંગમાં સુધારો કર્યો છે તેમ જ 31મા રેન્ક પર પહોંચીને (વર્ષ 2022માં 34મા રેન્કથી) ફરીથી આ કેટેગરી હેઠળ ફીચર કરનારી ગુજરાતની એકમાત્ર સંસ્થા બની છે.

વર્ષોથી સંસ્થાની સતત પ્રગતિ તેના શૈક્ષણિક કાર્યક્રમોના મૂળમાં રહેલી આંતરશાખાકીયતા, લર્નિંગ બાય ડુઇંગ અભિગમ, ડિઝાઇન વિચારસરણી, કલા, અને સર્જનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણ, સંશોધન, અને નવીનતામાં શ્રેષ્ઠતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ સિદ્ધિ પર બોલતાં IITGNના ડિરેક્ટર પ્રોફેસર રજત મુનાએ જણાવ્યું કે IIT ગાંધીનગર ભારતની વિકાસગાથામાં યોગદાન આપવા માટે STEAM (એટલે ​​કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, આર્ટસ, અને મેથેમેટિક્સ)ના વિવિધ ક્ષેત્રોમાં વિશ્વ-સ્તરીય શિક્ષણ આપવા અને પ્રભાવશાળી આંતરશાખાકીય સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. NIRF 2023 રેન્કિંગમાં અમારી પ્રગતિ એ શિક્ષણ, સંશોધન, અને નવીનતા માટેના અમારા પ્રયત્નોમાં શ્રેષ્ઠતા માટે સતત પ્રયત્નશીલ રહેવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમે સંસ્થાના વિકાસના આગલા તબક્કામાં નવી ઊંચાઈઓ સર કરવા માટે તૈયાર છીએ.

 

 

 

 

 

 

મુખ્યમંત્રીએ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી

ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ અપનાવીને તથા વૃક્ષોના જતન-સંવર્ધનથી ગ્રીન કવર વધારવાનું પ્રેરક આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ગુજરાતને ગ્રીન ગ્રોથ-હરિત વિકાસની નવી ઊંચાઇએ લઇ જવું છે.
તેમણે ક્લાયમેટ ચેંજ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ જતનની લડાઇ લડીને આપણી આવનારી પેઢીને સ્વસ્થ ભવિષ્ય આપવાનો સંકલ્પ કરવા પણ આ તકે આહવાન કર્યુ હતું.

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અન્વયે વન વિભાગે ગબ્બર પર્વત નજીક મીયાવાકી પદ્ધતિથી તૈયાર કરેલા ૧૦ હજાર રોપાઓના વન કવચનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાતમાં ગ્રીન કવરની વૃદ્ધિ સાથે વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના આવા વન કવચની નેમ દર્શાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી તથા તેની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં કુદરતી રીતે બીજ નથી પહોંચતા અને ધીરે-ધીરે વનસ્પતિનું આવરણ ઓછું થતું જાય છે તેવા ૧૦૦ થી ર૦૦ હેક્ટર વિસ્તારોમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ અને સીડ વાવેતરનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મિશન લાઇફ અન્વયે પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવાનો જે વિચાર આપેલો છે તેને અનુસરતાં ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગો પણ વધે તે માટેની રાજ્ય સરકારની ભૂમિકાની છણાવટ કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં સાંસ્કૃતિક વનોના નિર્માણનો પ્રારંભ અંબાજીમાં માંગલ્ય વન થી કરાવ્યો હતો. આજે આવા રર વનો રાજ્યભરમાં છે અને અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં મોટાપાયે વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક ઊભા કરવામાં આવી રહ્યા છે. વધુમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગયા વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી રાજ્યમાં નમો વડ વન યોજના થકી ૮ર સ્થળોએ ૭પ વડ વૃક્ષોના વાવેતરને વ્યાપક લોકપ્રતિસાદ મળ્યો છે.
દરિયાઇ ખારાશ વધતી અટકાવવા વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ‘મિષ્ટી’ પ્રોજેક્ટ અન્વયે ગુજરાતમાં ૧૧ જિલ્લામાં રપ સ્થળો સહિત દેશભરમાં ૭પ સ્થળોએ મેન્ગ્રુવ વાવેતર માટે આ વર્ષના પર્યાવરણ દિવસથી લોકજાગૃતિ જગાવવામાં આવી રહી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રીએ વન વિભાગ દ્વારા લોકોને વાવેતર માટે રોપાઓ સરળતાએ નજીકના સ્થળેથી મળી રહે તે માટે QR કોડ પણ લોંચ કર્યો હતો. તેમના હસ્તે અમીરગઢ ખાતે પવિત્ર ઉપવનનું લોકાર્પણ, આંતરોલી-થરાદ ખાતે પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ, વોટ્સએપ દ્વારા ઉદ્યોગોને CTE/CCAના ઓનલાઇન હુકમો આપવાની શરૂઆત, GPCB દ્વારા જાપાનીઝ ભાષામાં પર્યાવરણીય કાયદાઓ અંતર્ગત મંજૂરીઓ માટે માહિતી આપતા પુસ્તકની ચોથી આવૃતિનું વિમોચન, પર્યાવરણીય ઓડિટીંગ, મોનીટરીંગ અને ટેકનોલોજી પર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ માટે ચારૂસેટ યુનિવર્સિટી સાથે MOU અને “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી દરમિયાન પ્રદુષણમુક્ત ગામ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચશ્રીઓનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું. વર્ષ-2021 માં ટીમરું પાનની હરાજીથી ઉલજેલ નફાનો DBT મારફત લાભાર્થીઓને નફાની વહેંચણી કરવામાં આવી હતી.

વિશ્વ પર્યાવરણ દિવસઃ તાતા ટીએ ‘જાગો રે’ની એડિશન લોન્ચ કરી

નવી દિલ્હીઃ વિશ્વ પર્યાવરણ દિવસ પર તાતા ટીએ ‘જાગો રે’ (#JaagoRe)ની એડિશન લોન્ચ કરી છે, જેનો ઉદ્દેશ આપણા સમયની સૌથી નિર્ણાયક કટોકટી એવી આબોહવા પરિવર્તન વિશે જાગૃતિ ફેલાવવાનો છે. કંપનીના ‘જાગો રે’ કેમ્પેન્સે બહુધા સમાજ અને તેમના સામૂહિક મુદ્દાઓ માટે પ્રભાવશાળી ઉકેલો સાથે મહત્વની ભૂમિકા ભજવી છે. કંપની આબોહવા પરિવર્તનને સંબોધવાની તાકીદ અને મહત્વને સમજે છે.

કંપની ‘જાગો રે’ના નવા ટીવીસી દ્વારા, ક્લાયમેટ ચેન્જ સામે લડવાના સંદેશને માતાપિતા માટે વધુ સંબંધિત અને વ્યક્તિગત બનાવવા માટે એક ડિવાઇસ તરીકે લોકપ્રિય નર્સરી રાઇમ્સનો ઉપયોગ કર્યો છે. મ્યુલન લિન્ટાસ બેંગલોર દ્વારા તૈયાર કરાયેલી આ ફિલ્મ દર્શાવે છે કે જો આપણે અત્યારે આ અંગે કામ નહીં કરીએ તો ભવિષ્યમાં આપણા સમયની મનપસંદ કવિતાઓ કેવી રીતે અલગ દેખાશે…

જેક અને જિલ ગયા ટેકરી પર…

ભરવા પાણીની એક બોટલ

પણ સુકાઈ ગયું છે હવે બધું પાણી

દુનિયા થઈ ગઈ છે ખૂબ ગરમ

એટલે જેક અને જિલ બેઠા રહ્યા ટેકરી પર

સુકાવા લાગ્યા તેમના ગળા

પીવા માટે નથી એક ટીપુંય પાણી

અને એક દિવસ, મારી પાસે પણ નહીં હોય…

આ ફિલ્મ ગ્રાહકોને આબોહવા પરિવર્તન સામે લડવા માટે યોગદાન આપવા માટે સરળ કાર્યક્ષમ રીતો અપનાવવા વિનંતી કરે છે, જે અન્યથા એક જટિલ અને ગંભીર સમસ્યા હોવાનું જણાય છે. ગ્રાહકો તેમના સમર્થનનો વાયદો કરવા, ટકાઉ જીવનશૈલી અપનાવવા માટેની ટિપ્સ મેળવવા અને આબોહવા પરિવર્તન સામેની તેમની લડતની વાર્તાઓ શેર કરીને અન્ય લોકોને પ્રેરણા આપવા માટે Jaagore.comની મુલાકાત લઈ શકે છે.

આ પહેલ પર ટિપ્પણી કરતાં તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પેકેજ્ડ બેવરેજીસ (ભારત અને દક્ષિણ એશિયા) પ્રેસિડેન્ટ પુનીત દાસે જણાવ્યું હતું કે તાતા ચા ‘જાગો રે’ હંમેશાં આપણા સમયના મુખ્ય સામાજિક મુદ્દાઓ પર સમાજની સામૂહિક ચેતના વધારવામાં માને છે.

આ કેમ્પેનની વિશિષ્ટતા પર પોતાના વિચારો રજૂ કરતાં મ્યુલન લિન્ટાસના CEO હરિ કૃષ્ણને જણાવ્યું હતું કે તાતા ચા ‘જાગો રે’ એ કોઈ કેમ્પેન નથી પરંતુ સૌથી લાંબા સમય સુધી ચાલતા હેતુથી ચાલતા અભિયાન પૈકીનું એક છે. આ વર્ષે અમે બાળકો દ્વારા મજબૂત અને ચોટદાર સંદેશ સાથે આગળ વધ્યા છીએ, કારણ કે તેમની પેઢીએ જ આપણાં કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે.

 

 

 

 

 

 

 

 

 

 

વિવાદાસ્પદ પોસ્ટ બાદ ક્રિકેટર યશ દયાલે કહ્યું, મારું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ હેક કરાયું છે

લખનઉઃ આઈપીએલ ટીમ ગુજરાત ટાઈટન્સના ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલે આજે એવો દાવો કર્યો છે કે એનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ હેક કરવામાં આવ્યું છે. આ દાવો એણે ત્યારે કર્યો જ્યારે એના એકાઉન્ટ પર આજે સવારે એક વિવાદાસ્પદ ધાર્મિક પ્રકારની પોસ્ટ મૂકાઈ હતી. એણે તે ડિલીટ કરી હતી અને માફી માગી હતી.

યશ દયાલ રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ વતી રમે છે. આ વખતની આઈપીએલની એક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટર રિંકુ સિંહે યશની એક ઓવરમાં લગાતાર પાંચ છગ્ગા માર્યા હતા અને પોતાની ટીમને જીત અપાવી હતી.

આજે સવારે યશના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક કાર્ટૂન મૂકવામાં આવ્યું હતું જે એક ચોક્કસ કોમને બદનામ કરનારું હતું. તે વિશે ઉહાપોહ થયા બાદ યશે તેને ડિલીટ કર્યું હતું અને માફી માગી હતી. સાંજે, ગુજરાત ટાઈટન્સના જનસંપર્ક વિભાગની ટીમના એક નિવેદનમાં જણાવાયું હતું કે યશ દયાલે દાવો કર્યો છે કે એના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ સાથે છેડછાડ કરવામાં આવી હોવા વિશે તેણે ઈન્સ્ટાગ્રામના સત્તાવાળાઓને ફરિયાદ કરી છે.

આ ભાઈ તો રોજ પર્યાવરણ દિવસ મનાવે છે

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. વિશ્વભરમાં પર્યાવરણને બચાવવા અને ગ્વોબલ વોર્મિંગ સામે રક્ષણ મેળવવાની વાતો થઇ રહી છે. ત્યારે એક વ્યક્તિ એવી છે જે બારે મહિના પર્યાવરણનું જતન કરે છે અને આ સુંદર અભિગમને કેમેરામાં કેદ પણ કરે છે. આ વ્યક્તિ એટલે શાંતિ સંશોધક ડો. મુકુંદ પટેલ.

ડો. મુકુંદ પટેલ છેલ્લા ત્રણેક વર્ષથી પર્યાવરણ અને પ્રકૃતિના એકમેકના સાનિધ્યની જુદી-જુદી તસ્વીરો પાડે છે. અને રોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે. ચિત્રલેખા સાથે વાત કરતા ડો. મુકુંદ પટેલ કહે છે આજે આપણે મશીન યુગમાં જીવી રહ્યા છીએ. માનવ-યુગથી આપણે આપણા મૂળ ગુમાવ્યા છે. આપણને જુદા જુદા દિવસો ઉજવવાની આદત છે. પરંતુ, કેટલાક દિવસો આપણે દરરોજ ઉજવવા જોઈએ. પર્યાવરણ આપણા જીવનને પોષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે આપણા જીવનની દરેક ક્ષણે તેની ઉજવણી કરવી જોઈએ. માટે જ મેં મારા એએમએ સાથેનાં કાર્ય દરમ્યાન મળેલ સમયમાં, મારાં  પ્રકૃતિમાં રોકાણના ભાગરૂપે, કેટલીક ક્ષણો કંડારેલી છે જે રોજબરોજના જીવનમાં પર્યાવરણનું મહત્વ સમજાવે છે. રોજબરોજ શાંતિ અને આનંદ માણવા માટે પ્રેરણા આપે આપે છે.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જાપાનીઝ સેન્ટર, ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમીમાં ચીફ ઇમ્ફોર્મેશન ઓફિસરની ફરજ બજાવતા ડો. મુકુંદ પટેલ  ગાંધી આશ્રમમાં પીએચડી કરતા કરતા ગાંધીમય બનીને ગાંધીજીના વિચારોને અનુસરવાની નેમ સાથે અર્થમાં રોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે.

વિન્ડ એનર્જી ક્ષેત્રે 20GW ક્ષમતા હાંસલ કરનાર સુઝલોન સૌપ્રથમ કંપની

પુણેઃ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વીજ પૂરી પાડતી દેશની સૌથી મોટા સુઝલોન ગ્રુપે ઘોષણા કરી હતી કે કંપનીએ છ મહાદ્વીપોના 17 દેશોમાં સ્થાપિત કરેલાં 12,467 વિન્ડ ટર્બાઇનના માધ્યમથી 20 GW (ગિગા બાઇટ) વિન્ડ એનર્જી સ્થાપવાની ક્ષમતા હાંસલ કરવી એ એક નવી સિદ્ધિ છે, જેથી વૈશ્વિક વિન્ડ એનર્જીમાં કંપનીની સ્થિતિ વધુ મજબૂત બની છે.

ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય (MNRE)ના જણાવ્યાનુસાર કંપનીની કુલ રિન્યુએબલ એનર્જીની ક્ષમતા હાલમાં 168.96 (GW) છે, જેમાં 82 GW વિવિધ તબક્કે અમલીકરણમાં છે અને 41 GW ટેન્ડરના વિવિધ તબક્કા હેઠળ છે, એમાં 64.38 GW સોલર પાવર, 51.79 GW હાઇડ્રો પાવર, 42,02 GW વિન્ડ પાવર અને 10.77 GW બાયો પાવર સામેલ છે.

  • સુઝલોન દેશની નંબર વન OMS કંપની અને ત્રીજી સૌથી મોટી પાવર OMS કંપની
  • 17 દેશોમાં ભારતની એકમાત્ર 5.9 GW વિન્ડ એનર્જી કંપની
  • કંપની પાસે 5900થી વધુ વૈશ્વિક નિષ્ણાતોની ટીમ
  • કંપની પાસે વિન્ડ એનર્જી સ્થાપિત ક્ષમતા 20 GWથી વધુ
  • કંપનીએ 2014માં 1100 મેગાવોટનો એશિયાનો સૌથી મોટો વિન્ડફાર્મ સ્થાપિત કર્યો છે.

કંપની દ્વારા 20 GWના લક્ષ્યને પાર કરવીએ રિન્યુએબલ એનર્જી ઉદ્યોગમાં કંપનીની પ્રતિબદ્ધતા અને નિપુણતાનું પ્રમાણ છે. હું કેન્દ્ર સરકારને તેમની દૂરંદેશી નીતિના માળખા અને અમારા 1900 ગ્રાહકોનો આભાર માનું છે, જેમના ટેકા વગર આ સિદ્ધિ ના મળી શકી હોત. વિશ્વમાં સ્થાપિત ક્ષમતા 5.9 GW વિન્ડ ટર્બાઇનની સાથે કંપનીની 20 GWની સ્ટોરી છે, એમ ગ્રુપના વાઇસ ચેરમેન ગિરિશ તંતીએ કહ્યું હતું.

કંપનીએ આ જે માઇલ સ્ટોન હાંસલ કર્યો છે, એ આવનારાં વર્ષોમાં અમારા માટે એક નક્કર આધાર બનશે તેમ જ આ એક સાચી આત્મનિર્ભર ભારતની ક્ષણ છે, જેમાં એક ભારતીય કંપની ભારતમાં નિર્મિત ટર્બાઇનોના ઉત્પાદનની સાથે વૈશ્વિક માપદંડો સ્થાપી રહી છે. કંપનીની 1995માં 270KWના પહેલા ટર્બાઇનથી 2023માં ત્રણ MW ટર્બાઇન સુધી કંપનીની યાત્રા આવનારી પેઢીઓને પ્રોત્સાહન આપતી રહેશે. અમે અમારા વૈશ્વિક ભાગીદારો અને સ્થાનિક ખેલાડીઓની સાથે ભાગીદારી દ્વારા એનર્જી પરિવર્તનની યાત્રા માટે પ્રતિબદ્ધ છીએ, એમ તેમણે કહ્યું હતું.

 

 

આઇસી15 ઇન્ડેક્સમાં 392 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં સરકારે કરજ લેવા માટેની રકમની મર્યાદા વધારી એને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડો થયો હતો. આઇસી-15 ઇન્ડેક્સના મુખ્ય ઘટકોમાંથી એક્સઆરપી અને અવાલાંશ વધ્યા હતા. ઘટેલા કોઇનમાંથી લાઇટકોઇન, યુનિસ્વોપ, બીએનબી અને ચેઇનલિંક 2થી 4 ટકા સાથે મુખ્ય હતા.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમના સંસદસભ્યોના સમૂહ – ક્રીપ્ટો એન્ડ ડિજિટલ એસેટ્સ ઓલ પાર્લામેન્ટરી ગ્રુપના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ક્રીપ્ટો માટે નિયમન જરૂરી છે. આ સમૂહે દેશમાં ક્રીપ્ટો ઉદ્યોગના નિયમન માટે 53 ભલામણો પણ કરી છે. બીજી બાજુ, રશિયાની રોસબેન્ક ક્રીપ્ટોકરન્સીની મદદથી સરહદ પારનાં પેમેન્ટ સેટલમેન્ટ માટેનું સોલ્યુશન લોન્ચ કરવાની છે. હાલ ખાનગી અને કોર્પોરેટ ક્લાયન્ટ્સ સાથે એની પ્રાયોગિક ચકાસણી ચાલી રહી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.04 ટકા (392 પોઇન્ટ) ઘટીને 37,355 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,747 ખૂલીને 37,953ની ઉપલી અને 37,345 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.