Home Blog Page 2882

ધનના વિચારોમાં ખોવાયેલા રહેવાની સ્થિતિમાંથી બહાર આવવા શું કરવું?

કાતે કાન્તા ધનગતચિન્તા

વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા ।

ત્રિજગતિ સજ્જનસંગતિરેકા

ભવતિ ભવાર્ણવતરણે નૌકા ।।13।।

(રે મૂર્ખ માણસ! સ્ત્રી અને ધન (કંચન અને કામિની)ના જ વિચારોમાં શું કામ ખોવાયેલો રહે છે? શું તને માર્ગ ચીંધવાવાળું કોઈ નથી? ત્રણે લોકમાં સત્સંગ જ એક એવી વસ્તુ છે જે સંસારસાગરમાંથી તને પાર ઉતારી શકે છે. જલદીથી સત્સંગની નૌકામાં બેસી જા.)

ભજ ગોવિંદમનો 13મો શ્લોક સારા માણસોનો સંગાથ કરવાનો અને સારા વિચારો કરવાનો બોધ આપે છે.

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકેની મારી કારકિર્દીમાં મેં ઘણાય લોકો જોયા છે, જેઓ સતત સંપત્તિના વિચારો કર્યે રાખે છે અને તેની ચિંતા તેમને કોરી ખાતી હોય છે. તેથી તેમનો સ્વભાવ ચિડિયો થઈ ગયો હોય છે અને તેમને વિષાદનો અનુભવ થતો હોય છે.

અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક બેન્જામિન ફ્રેન્કલિને સાચું જ કહ્યું છેઃ પૈસા જ બધું કરશે એવું માનનાર વ્યક્તિ પૈસા મેળવવા માટે બધું કરી છૂટશે એવું માની શકાય.

શાસ્ત્રોમાં વારંવાર એવું વાંચવામાં આવ્યું છે કે ધન કમાવામાં કંઈ ખોટું નથી, પરંતુ સતત તેના જ વિચારો કર્યે રાખવાથી સમસ્યા સર્જાય છે.

રામકૃષ્ણ મિશનના એક સાધુએ પણ સાચું જ કહ્યું હતું: પૈસા ખિસામાં હોય ત્યાં સુધી કોઈ તકલીફ હોતી નથી, મગજમાં હોય ત્યારે જ સમસ્યા સર્જાય છે.

જો શાસ્ત્રોએ ધનને ખરાબ માન્યું હોત તો તેમણે ક્યારેય તેને દેવી લક્ષ્મીની ઉપમા આપી ન હોત. તેને રાક્ષસ સાથે સરખાવ્યું હોત. આપણાં શાસ્ત્રોમાં ધનસંપત્તિને લક્ષ્મી દેવી ગણવા ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ઉમદા માણસોએ ધન એકઠું કરવું અને તેનો ઉપયોગ મનુષ્યજાતિના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કરવો, અન્યથા દુષ્ટો એ ધન પર કબજો કરીને તેનો ઉપયોગ મનુષ્યજાતિના વિધ્વંસ માટે કરશે.

આપણે પૈસાના જ વિચારોમાં ખોવાયેલા રહીએ છીએ એ કેવી રીતે ખબર પડે? જ્યારે આપણે સતત સંપત્તિની ગણતરી કરતાં રહીએ અને અન્યોની સંપત્તિ સાથે તુલના કરતાં રહીએ ત્યારે જ સમજવું કે અતિરેક થઈ રહ્યો છે. આ પ્રવૃત્તિ જાણતા કે અજાણતા થતી હોય એ શક્ય છે.

ધનના વિચારોમાં ખોવાયેલા રહેવાની સ્થિતિમાંથી બહાર આવવા માટે સત્સંગ કરવો જરૂરી છે. ભજગોવિંદમમાં આ વાત કરવામાં આવી છે. આપણે ‘સત્સંગ’ શબ્દનો ભાવાર્થ સમજવો પણ જરૂરી છે.

સત્સંગ એટલે ફક્ત પ્રવચનોમાં જવું એ નહીં. સત્સંગ એટલે સારા માણસોનો સંગાથ. જે વ્યક્તિઓ ધીર-ગંભીર હોય, ચિંતામુક્ત રહેતી હોય, ઈર્ષ્યાળુ ન હોય, ઘમંડી ન હોય તથા અસલામતીની લાગણીથી પિડાતી ન હોય એ વ્યક્તિનો સંગ કરવો. ફક્ત ધાર્મિક કે આધ્યાત્મિક વ્યાખ્યાનોનાં વિડિયો અને ઑડિયો સાંભળવામાત્રથી સત્સંગ થઈ જતો નથી. આપણે જેમનો સંગાથ કર્યો હોય એ લોકો સારાં કર્મો કરતા હોય ત્યારે સત્સંગ થયો કહેવાય. તેઓ મન, વચન, કર્મથી પવિત્ર હોય છે.

મેં એક દિવસ બહુ જ સરસ વાર્તા વાંચી હતી.

એક વૃદ્ધ માણસ ઘણો જ ભૂખ્યો હતો. આખા દિવસમાં તેને કંઈ ખાવાનું મળ્યું ન હતું. મોડી સાંજે તેને નબળાઈ લાગવા માંડી. આથી એ મંદિરે ગયો અને અન્ન માટે ભીખ માગવા લાગ્યો, પણ કોઈએ એને કંઈ આપ્યું નહીં. ત્યાર પછી એ ધાર્મિક પ્રવચન ચાલી રહ્યું હતું ત્યાં ગયો. ઘણા ધનિકો એ જગ્યાએ પ્રવચન સાંભળવા જઈ રહ્યા હતા, પરંતુ કોઈએ આ ઘરડા માણસ પર ધ્યાન આપ્યું નહીં. થાકેલા, કંટાળેલા અને ભૂખ્યા વૃદ્ધે ફરી ઝૂંપડી તરફ જવા માંડ્યું. ભૂખ્યો હોવાથી એ માણસ ચાલી શકતો ન હતો. ત્યાં જ એક ક્લબમાંથી યુવાન યુગલ બહાર આવી રહ્યું હતું. તેઓ પાર્ટીમાં મહાલીને બહાર આવી રહ્યાં હતાં. તેમાંની મહિલાએ તેના મિત્રને આ વૃદ્ધ તરફ આંગળી ચીંધી. તેમણે નજીકની દુકાનમાંથી બ્રેડ લાવીને આપ્યા. એ માણસે ભગવાનને ફરિયાદ કરતાં કહ્યું, હે પ્રભુ, તું તારું સાચું સરનામું કેમ આપતો નથી?

ચિંતા, ઈર્ષ્યા, ઘમંડ અને નકારાત્મકતાથી મુક્ત હોય એવા સારા માણસોની સાથે રહીને આપણને પણ સારું લાગતું હોય છે. આપણે મનથી સલામતી અનુભવતા હોઈએ તો અંતરાત્મા પર એકચિત્ત રહી શકીએ છીએ અને તેનાથી પ્રસન્નતા અનુભવાય છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તમામ ઉમેદવારોના ખર્ચનું ADRનું વિશ્લેષણ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ADR દ્વારા તમામ ઉમેદવારોના ખર્ચનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને એ આધારે રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કયા ઉમેદવારે કેટલો ખર્ચ કર્યો છે તેની માહિતી આપવામાં આવી છે. આવો જોઈએ ચૂંટેલા ઉમેદવારે ચૂંટણી પાછળ કેટલા નાણાંનો ખર્ચ કર્યો છે?

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ADRએ વિશ્લેષણ કરતો એક અહેવાલ રજૂ કર્યો છે, જેમાં  ધારાસભ્યોઓએ કરેલા ચૂંટણી ખર્ચની માહિતી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ MLA એ ચૂંટણી જીતવા માટે સૌથી વધુ ખર્ચ કર્યો છે. નિઝર બેઠકના જયરામ ગામીતે ચૂંટણી જીતવા માટે 38 લાખ ખર્ચ્યા છે જ્યારે કલોલ બેઠકના લક્ષ્મણજી પુંજાજી ઠાકોરે 37 લાખનો ખર્ચ કર્યો જ્યારે ધોળકા બેઠકના MLA કિરીટસિંહ ડાભીએ 36 લાખનો ખર્ચ કર્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા રૂ. છ લાખ, કોંગ્રેસના અમિત ચાવડાએ રૂ. નવ લાખ અને AAPના MLA  ઉમેશભાઈ મકવાણાએ ચૂંટણી જીતવા બોટાદની બેઠકમાં રૂ. નવ લાખ ઓછો ખર્ચ કર્યો હોવાનું રિપોર્ટમાં જોવા મળ્યું છે.

લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 78 પ્રમાણે ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના એક મહિનામાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીને મોકલી આપવાની હોય છે. નિયમો અનુસાર ગુજરાતમા વિધાનસભાના ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો જ ચૂંટણી ખર્ચ કરી શકે છે. ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર એટલે કે વર્તમાન ધારાસભ્યો દ્વારા કરાયેલી ચૂંટણી ખર્ચનું વિશ્લેષણ એસોસિયેએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

રાજ્યની વિધાનસભાની કુલ 182 ધારાસભ્યોમાંથી 174 ટકા ધારાસભ્યોએ ચૂંટણીમાં ખર્ચ કર્યો હતો. આઠ ધારાસભ્યોએ કહ્યું હતું કે તેમણે પોતાના કોઈ પૈસા ખર્ચ કર્યા નથી. કુલ 182 ધારાસભ્યોમાંથી 23 ટકા ધારાસભ્યોએ 50 ટકાથી પણ ઓછો ખર્ચ દર્શાવ્યો છે. રાજ્યના ધારાસભ્યોનો ચૂંટણીનો સરેરાશ ખર્ચ રૂ. 27.10 લાખ થાય છે, એમાં ભાજપના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ રૂ. 27.94 લાખ થયો હતો, જ્યારે કોંગ્રેસે સરેરાશ રૂ. 24.92 લાખ, આપ પક્ષે રૂ. 15.63 લાખ, SPના ધારાસભ્યનો સરેરાશ ખર્ચ રૂ. 6.87 લાખનો ખર્ચ, જ્યારે ત્રણ અપક્ષનો ચૂંટણી ખર્ચ રૂ. 21.59 લાખ દર્શાવ્યો છે.

ADRએ નોંધ્યું છે કે ચૂંટણી વખતે થતી રેલીઓ, સભાઓ, પ્રચાર-પ્રસાર અને અન્ય રીતે જે ખર્ચ કરવામાં આવે છે, તે અને ધારાસભ્યોએ દર્શાવેલા ખર્ચમાં મોટો તફાવત છે. પરંતુ ચૂંટણીમાં ઉમેદવારોના પક્ષ દ્વારા થતી જનરલ ખર્ચની વિગત આપવાની થતી ન હોવાથી સાચો ખર્ચ જાણી શકાતો નથી.

 

 

 

 

શું ઘરનો દરવાજો દક્ષિણમાં હોય તો ખરાબ પરિણામ આવે?

માણસ જયારે અકુદરતી જીવન કે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની વાત કરે ત્યારે તે હાસ્યાસ્પદ લાગે છે. માણસનું જીવન જ અકુદરતી છે. અને એ ઘણું બધું એવું કરે છે જે સૃષ્ટી વિરુદ્ધ નું છે. વિશ્વના કેટલા જીવ કપડા પહેરે છે? કેટલા જીવ રાંધેલું ખાય છે? કેટલા જીવ બહુમાળી મકાનોમાં રહે છે? કેટલા જીવ વાહનો વાપરે છે? કેટલા જીવ પોતાના સ્વાર્થ માટે વૃક્ષો કાપે છે? કેટલા જીવ મશીન વાપરે છે? કેટલા જીવ હથિયાર વાપરે છે? આવા અસંખ્ય સવાલો નો જવાબ માત્ર એકજ આવે અને તે છે માત્ર માણસ. એટલે કે પૃથ્વી પરના અન્ય જીવો કરતા માણસ અલગ જીવન જીવે છે. અન્ય જીવો સૃષ્ટી સાથે સંતુલન સાધીને જીવે છે. અને માણસ તો શાંતિની વાટાઘાટ કરવામાં પણ યુદ્ધ સુધી પહોંચી શકે છે. ટૂંકમાં માણસનું જીવન સૃષ્ટી સાથે સંતુલન ધરાવવાની માનસિકતા સાથે જોડાયેલું નથી. ભારતના વૈદિક સમયમાં માણસ આવું જીવન જીવતો હતો. શું એ પરમ્પરા ને ફરી જાગૃત ન કરી શકાય?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેલ પર પૂછી શકો છો.

સ: મારા ઘરનો દરવાજો દક્ષિણમાં છે. અમને કોઈએ કહ્યું કે એના બહુ ખરાબ પરિણામો આવે. પછી ખુબ ડર લાગે છે. ઉપાય જણાવશો.

જ: તમે કોઈના કહેવાથી ડરવા લાગ્યા એ તો ખુબ ખરાબ કહેવાય. વળી જેમણે એ સુચન આપ્યું એ વ્યક્તિને વાસ્તુની સાચી જાણકારી હતી? તમે બીમાર પડો તો કોઈ પણ વ્યક્તિ પાસે ઓપરેશન કરાવશો? કે સાચા નિષ્ણાત પાસે જશો? જે વિષય જીવનના બધાજ સુખ સાથે જોડાયેલો હોય એમાં કોઈ પણ વ્યક્તિની સલાહ કેવી રીતે માની લેવાય?

દક્ષિણ દિશા વિષે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. અને જેમને વસ્તુ વિષે સાચી સમજણ નથી એ લોકો ડરાવવાનું કામ કરે છે. આ અત્યંત દુખદ બાબત છે. ભારતીય શાસ્ત્રોની રચના પાછળ હજારો વરસો લાગ્યા. અને ચાર પાંચ નિયમોથી એને સમજવાની વાત એ અજ્ઞાન અને અંધશ્રદ્ધા છે. ભારતીય વાસ્તુમાં ગણિતનું ખુબ જ મહત્વ છે. અને જો સાચા નિયમોને સમજીએ તો દરેક મુખ્ય દિશા, એટલે કે ઉત્તર, દક્ષીણ, પૂર્વ, પશ્ચિમ માં એક એક દ્વાર તો સારું છે જ. એટલે કે કોઈ પણ દિશા સંપૂર્ણ ખરાબ નથી. અને કોઈ પણ દિશા સંપૂર્ણ સારી પણ નથી.

બની શકે કે તમારા ઘરનું દ્વાર એ દક્ષિણનું સારું દ્વાર હોય. કોઈ નિષ્ણાત ની સલાહ વિના આવી વાતો પર વિશ્વાસ ન કરવાની સલાહ છે. તમે આ સવાલ પૂછી અને તમાર જેવા ઘણા બધાને પણ મદદ કરી છે. એ લોકો પણ ખોટા ભય માંથી બહાર આવી જશે.

સ: મને અલગ અલગ રીલ જોઇને બધું શીખવાનો શોખ છે. મેં એમાંથી ઘણું જ્ઞાન મેળવ્યું છે. પણ વાસ્તુની રીલ્સ જોઇને મુન્જવણ થાય છે. એક રીલમાં કહે છે કે ચંપાનું ઝાડ વાવવું જોઈએ. તો બીજીમાં કહે છે કે ચંપાના ઝાડ થી તકલીફો આવે. ત્રીજામાં કહે છે કે ચંપો ન જ વવાય. તો ચોથામાં એને શુભ કહે છે. આનો અર્થ તો એવો જ થાય ને કે હાથે કરીને દુખી થાવ? કશું જ સમજાતું નથી. તમે જ્ઞાનના ભંડાર છો. સાચી સલાહ આપો.

જ: રીલ્સ મનોરંજન માટે જુઓ તે બરાબર છે. પણ જ્ઞાન માટે એ ન ચાલે. વરસોની સાધના એક બે મીનીટમાં સમજાવી શકાય? તમારા અનુભવ પછી તમને સમજાયું હશે કે રીલ્સ બનાવવા માટે કોઈ અભ્યાસ કે રિસર્ચની જરૂર નથી પડતી. બસ સામે વાળાને મજા આવે એવું બોલી શકાય.

ચંપાનું ઝાડ આંગણામાં ન વવાય. સોસાયટીમાં પણ ન વવાય. પણ પબ્લિક ગાર્ડનમાં વાવી શકાય.

સુચન: સપ્તપરણી નું ઝાડ ઘરથી નજીક ન વવાય. એનાથી શ્વાસના રોગ થવાની સંભાવના વધે છે.

આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com

રાજ્યમાં કાળઝાળ ગરમીથી બચવા વિવિધ નુસખા અપનાવતા પ્રાણી, મનુષ્યો

દેશ-દુનિયામાં અલ નિનોની અસરને કારણે ક્યાંક કમોસમી વરસાદ, ક્યાંક સ્નોફોલ તો ક્યાંક કમોસમી વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે ઉનાળાની શરૂઆતથી માવઠાનો માર સહન  કરી રહ્યું છે. હાલ ગુજરાત હવે 43-44 ડિગ્રી તાપમાનથી શેકાઈ રહ્યું છે. એમાંય ડામરની સડકો પરથી પસાર થતા રાહદારીઓ વાહનચાલકોને ભઠ્ઠી માંથી પસાર થતા હોય એવો અહેસાસ થાય છે.

ગરમીના પ્રકોપથી બચવા પશુ-પક્ષી અને મનુષ્ય જુદા-જુદા નુસખા અપનાવી રહ્યા છે. વરસાદી ઠંડક પછી અચાનક જ 10 ડિગ્રી સુધી વધી ગયેલા તાપમાનથી સૌ પરેશાન થઈ ગયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે  હજી બે દિવસ સુધી આવું જ સૂકું વાતાવરણ યથાવત રહેશે. 

એટલે કે આગામી બે દિવસ સુધી ગરમીમાં કોઇ રાહત મળવાના અણસાર નથી. જેને પગલે રાજ્યના લોકોને અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થશે. અત્યાર સુધી રાજ્યમાં 249 હીટ સ્ટ્રોકના બનાવ બન્યા છે, જોકે કોઈ ગંભીર કેસ નથી.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 42થી 44 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે.

જોકે આગામી વીકએન્ડ એટલે કે 13 મેથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો  થવાની શક્યતા છે. જેથી રાજ્યના લોકોને રાહત મળશે, પવનની દિશા બદલાતા તાપમાન ઘટશે.

 હાલ રાજ્યમાં સૌથી વધુ 43.9 તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રહ્યું છે. આવામાં બે દિવસ હજી લોકોએ ગરમીનો પ્રકોપ વેઠવો પડશે. આજે કચ્છ, પોરબંદરમાં હીટવેવની આગાહી છે.સુરતમાં યલો અલર્ટ, જ્યારે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે. હાલ અમદાવાદમાં 43-44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે.

એપેડેમિક ડિસિઝ ડેપ્યુટી ડિરેક્ટર જયેશ કતિરાએ જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વધુ ગરમી છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે જિલ્લા વાર ગરમીની સ્થિતિ અલગ-અલગ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી રાજ્યમાં 249 હીટ સ્ટ્રોકના બનાવ બન્યા છે, જોકે કોઈ ગંભીર કેસ નથી.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

 

 

 

 

SCએ ‘ધ કેરલ સ્ટોરી’ મામલે પશ્ચિમ બંગાળ, તામિલનાડુને નોટિસ જારી કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ પર પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં લાગેલા પ્રતિબંધના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજી સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે જ્યારે દેશના અન્ય ભાગોમાં ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ શાંતિથી ચાલી રહી છે તો બંગાળ ને તામિલનાડુમાં જ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ કેમ? એ કલાત્મક સ્વતંત્રતા વિશે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ દેશના અન્ય ભાગોથી અલગ નથી.

બંને રાજ્યોની સરકાર ફિલ્મને આખરે કેમ નથી રિલીઝ કરવા દેતી? અન્ય રાજ્યોમાં જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ જેવી જ છે. એ ફિલ્મ ત્યાં શાંતિથી ચાલી રહી છે, પણ લોકો ફિલ્મ ના જોવા ઇચ્છે તો એ એમના પર છોડી દો.

CJI ડા. વાય. ચંદ્રચૂડે તામિલનાડુ સરકારને કહ્યું હતું કે રાજ્ય સરકાર એમ ના કહી શકે કે થિયેટરોમાં હુમલા થઈ રહ્યા છે, ખુરશીઓ સળગાવવામાં આવી રહી છે, તો અમે એ દ્રષ્ટિકોણથી જુવત. કોર્ટે કહ્યું હતું કે આ મામલે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુને નોટિસ જારી કર્યા બાદ કહ્યું હતું કે એ હવે આ મામલામાં 17 મેએ સુનાવણી કરશે.‘ધ કેરલ સ્ટોરી’ના નિર્માતાનું કહેવું હતું કે તામિલનાડુ પણ ડિફેક્ટો પ્રતિબંધ લગાવ્યો છે અને વધુ રાજ્યો પ્રતિબંધ લગાવવાની ધમકી આપી રહ્યા છે. નિર્માતાઓને દૈનિક ધોરણે નુકસાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે આ ફિલ્મથી કાયદો વ્યવસ્થાને જોખમ છે.

 

 

 

ઇમરાન ખાનની સામે 10 કેસોમાં વોરંટ જારીઃ શહબાઝ શરીફ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઇમરાન ખાનની ધરપકડને લઈને વિવાદ ચરમસીમાએ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અલ-કાદિર ટ્રસ્ટ મામલે ઇસ્લામાબાદ હાઇકોર્ટે બે સપ્તાહના જામીન આપ્યા છે જોકે આ દરમ્યાન ઇમરાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને પાક રેન્જર્સની સાથે ધક્કામુક્કી કરી હતી. બીજી બાજુ, ઇમરાન ખાનની ધરપકડના રાજકીય ડ્રામાના માત્ર બે દિવસમાં બબાલમાં 10 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. અબજો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. ઇમરાન ખાનના સમર્થકોએ ધરપકડનું ઠીકરું પાકિસ્તાની સેના પર ફોડ્યું છે.  સુપ્રીમ કોર્ટનો ઇમરાન ખાનને છોડી મૂકવાનો ચુકાદો શહબાઝ સરકાર અને પાકિસ્તાની સેના માટે એક મોટા આંચકા સમાન છે.

આ દરમ્યાન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઇમરાન ખાન પર મોટો હુમલો કરતાં કહ્યું હતું કે 10 કેસમાં તેમની સામે ધરપકડનું વોરંટ જારી છે. જોકે તેમણે કહ્યું હતું કે નવ મેનો દિવસ દેશ માટે શરમજનક દિવસ હતો. દેશ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને દેશને અસ્થિર કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. અલ કાદિર ટ્રસ્ટ મામલામાં 60 અબજનું કૌભાંડ થયું છે. જે કવરમાં દસ્તાવેજ બંધ હતા- શું એમાં કાશ્મીરને વેચવાના દસ્તાવેજ હતા?  સુપ્રીમ કોર્ટ ઇમરાનની ઢાલ બની છે.  

એ વાતની પૂરી સંભાવના છે કે નવ મેએ તોફાનોને મામલામાં પંજાબ પોલીસ તેમની આજે ધરપકડ કરી શકે છે. પાકિસ્તાની સેનાએ લાહોરના કોર કમાન્ડર સલમાન ફૈય્યાઝને તેમના પદથી દૂર કર્યા છે. ઇમરાન ખાનના સમર્થકોએ કોર કમાન્ડરના ઘર પર હુમલો કરીને ચોરી કરી હતી.

ઇમરાન ખાનની ધરપકડ માટે પંજાબ પોલીસ પહેલાં ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર હાજર છે. DIG પંજાબે કહ્યું હતું કે તેએ ઇમરાન ખાનની વિરુદ્ધ કમસે કમ 10 કેસોમાં ધરપકડ માટે આવ્યા છે.

 

 

 

 

 

 

LG-કેજરીવાલ વચ્ચે ફરી વિવાદઃ ફરી સુપ્રીમ કોર્ટ પહોંચી ‘આપ’ સરકાર

નવી દિલ્હીઃ દિલ્હીના IAS અધિકારીઓ પર નિયંત્રણ સંબંધી મામલામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે દિલ્હીના અધિકારીઓ પર નિયંત્રણ ચૂંટાયેલી સરકાર હશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે દિલ્હીમાં પોલીસ, પબ્લિક ઓર્ડર અને જમીનથી જોડાયેલા મામલા સિવાય અન્ય મામલામાં પણ દિલ્હી સરકાર નિર્ણય લઈ શકે છે. કોર્ટે એ પણ કહ્યું હતું કે દિલ્હીના LGએ ચૂંટાયેલી સરકારની સલાહને માનવી પડશે.

આ ચુકાદાના બીજા જ દિવસે શુક્રવારે ફરી એક વાર દિલ્હીની કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છએ. કેજરીવાલ સરકારે આરોપ લગાવ્યો હતો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ઉપરાજ્યપાલ અધિકારીઓની ટ્રાન્સફર નથી કરવા દેતા. આ મામલે દિલ્હી સરકારે તરત સુનાવણી કરવાની માગ કરી છે. જોકે સુપ્રીમ કોર્ટ મામલાની સુનાવણી આવતા સપ્તાહે કરે એવી શક્યતા છે.સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેજરીવાલ સરકાર તરત એક્શનમાં આવી હતી. સરકારે મનપસંદ અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ શરૂ કરી દીધી હતી. કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે પોતાના વિભાગના સચિવ આશિષ મોરેને પદથી હટાવીને તેમની જગ્યાએ અનિલ કુમાર સિંહને નવા સચિવ નિયુક્ત કર્યા છે.

આશિષ મોરેની ટ્રાન્સફર પછી આપ સરકાર અને LG સચિવાલય સામસામે આવી ગયા હતા. દિલ્હી LG ઓફિસે મોરેની ટ્રાન્સફર ગેરકાયદે બતાવ્યા હતા. LG ઓફિસે કહ્યું હતું કે મોરેની ટ્રાન્સફરને લઈને યોગ્ય પ્રક્રિયાનું પાલન નથી કર્યું. સૂત્રોનું કહેવું કહતું કે એક અધિકારીની બદલીનો કાર્યકાળ પૂરો થયા પહેલાં સિવિલ સેવા બોર્ડમાં કરી શકાય છે.

 

 

 

 

CBSE Result 2023: CBSE 12મા ધોરણમાં 87.33 વિદ્યાર્થીઓ પાસ  

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 12 ધોરણનાં પરિણામો જાહેર કર્યાં છે. વિદ્યાર્થીઓ તેમનાં પરિણામ ઉમંગ એપ, SMS, IVRS (ઇન્ટરએક્ટિવ વોયસ રિસ્પોન્સ સિસ્ટમ) અને સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકશે. આ વર્ષે કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, ગયા વર્ષથી ઓછું છે. ગયા વર્ષે 2022માં 92.71 વિદ્યાર્થીઓએ 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા છે. તો 99.91 ટકા પરિણામ સાથે ત્રિવેન્દ્રમ દેશનું સૌથી હાઇએસ્ટ સ્કોર કરનારું રિજિયન બન્યું છે. તો બીજા નંબરે બેંગલુરુ, ત્રીજા નંબરે ચેન્નાઈ અને ચોથા નંબરે દિલ્હી છે. દર વખતની જેમ આ વખતે પણ વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં સારું આવ્યું હતું. વિદ્યાર્થીઓનાં પરિણામ 84.67 ટકા રહ્યું હતુ, જ્યારે વિદ્યાર્થિનીઓનું 90.68 ટકા છે.

CBSE  ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી પાંચ માર્ચમાં યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં 38,83,710 ઉમેદવારોએ હાજરી આપી હતી. ધોરણ 10ના 21,86,940 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 16,96,770 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

વિદ્યાર્થીઓ તેમના CBSE પરિણામો બોર્ડની સત્તાવાર વેબસાઇટ: results.cbse.nic.in અથવા cbseresults.nic.in પર, DigiLocker અને UMANG એપ પર જોઇ શકાશે. બોર્ડ આ પરિણામો IVRS અને SMS દ્વારા પણ ઉપલબ્ધ કરાવી શકે છે. CBSE ધોરણ 10, 12 ના પરિણામ 2023ની તારીખ અને સમય અગાઉથી વિદ્યાર્થીઓ સાથે શેર કરવામાં આવશે.

 

 

 

નવી શિક્ષણ નીતિ બનાવવામાં શિક્ષકોનું મોટું યોગદાનઃ PM મોદી

ગાંધીનગરઃ વડા પ્રધાન મોદી એક દિવસના રાજ્યના પ્રવાસે છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને દેશના નવ રાજ્યમાં આવેલા 91,000થી વધુ શિક્ષકોના સંમેલનમાં સંબોધન કર્યું હતું. આ સંમેલન 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલન ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશનની થીમ પર છે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષકોનું મોટું યોગદાન છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.  નવી શિક્ષણ નીતિમાં પ્રેક્ટિકલ જ્ઞાનનું બહુ મહત્ત્વ છે. જૂની શિક્ષણ નીતિમાં માત્ર પુસ્તકનું જ્ઞાન હતું.

તેમણે શિક્ષકોના સંમેલનમાં સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષકો સાથેના અનુભવ મને કામમાં આવ્યા છે. હું આજીવન વિદ્યાર્થી રહ્યો છું. વિદેશમાં શિક્ષકોની બોલબાલા છે. ઝડપથી શિક્ષણ વ્યવસ્થા બદલાઈ રહી છે.  હું દેશના શિક્ષકોની વાત કરવા માગું છું. ગૂગલથી ડેટા મળે, પણ નિર્ણય તો જાતે જ કરવો પડે છે.  ગુરુ જ શિષ્યને જ શીખવાડી શકે છે કે નિર્ણય કેવી રીતે લેવો. આજના વિદ્યાર્થીઓ શિક્ષકોને પડકાર આપે છે. વિદ્યાર્થીથી શિક્ષકનો વિચારથી ઘણુંબધું શીખે છે. એક ગુરુ જ વિદ્યાર્થીને પ્રેરિત કરી શકે છે.  શિક્ષકોએ સતત અપડેટ રહેવું પડે છે. શિક્ષકો બીજાને મદદ કરશે તો વિદ્યાર્થીઓ પણ તેવું શીખશે.

બાળકોને સારા શિક્ષક મળે, એ દરેક વાલીની ઇચ્છા હોય છે. વિકાસમાં શિક્ષકોની ભૂમિકા બહુ મોટી છે. આમે પરિવાર બાદ શિક્ષક પાસે બાળક વધુ સમય વિતાવે છે. શિક્ષક બાળકના માર્ગદર્શક બની શકે છે. શિક્ષક પાસેથી વિદ્યાર્થી ઘણુંબધું શીખે છે. લોકો એન્જિનિયર બનવા માગે છે, ડોક્ટર બનવા માગે છે. બહુ ઓછા લોકો શિક્ષક બનવા માગે છે. ટેક્નોલોજીથી માહિતી મળે, દ્રષ્ટિકોણ નહીં.

આજે મારા જેટલા શિક્ષકો છે, તેમના સંપર્કમાં છું. શિક્ષકોને આપણે ભૂલવા ના જોઈએ. પ્રાથમિક શિક્ષણનો રોલ બહુ મહત્ત્વનો છે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાળકોને બહારનું શિક્ષણ મેળવવામાં પણ મદદ કરશે. વિદ્યાર્થીઓ અભ્યાસની બહારના સવાલ કરતા થયા છે. સ્કૂલોએ તેમનો જન્મદિવ જરૂર ઊજવવો જોઈએ. સ્કૂલોએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકોને બોલાવવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની મુલાકાતમાં કુલ રૂ. 4400 કરોડની યોજનાનું લોકાર્પણ કરશે.  તેઓ મહાત્મા મંદિરમાં 12 વાગ્યે અમૃત આવાસોત્સવની ઉજવણીમાં પણ ભાગ લેશે. આની સાથે 232 તાલુકાઓમાં લગભગ 12,000થી વધુ આવાસોનું લોકાર્પણ પણ કરશે. આ યોજના અંતર્ગત લગભગ 1900 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતુમુહુર્ત અને ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને અહીં હાજર રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેઓ રૂ. 1545.47 કરોડના વિકાસનાં કાર્યોના ખાતમુર્હૂત કરશે. આ સાથે લોકાર્પણ રૂ. 78.88 કરોડનાં કામોનું તથા ખાતમૂર્હત રૂ. 1466.59 કરોડનાં કામોનું થશે. જેમાં બાપુનગર વોર્ડમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 30 એમએલડીનો નવો એસટીપી પ્લાન્ટ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.

 

 

 

 

કોરાનાના 1575 નવા કેસો, 17નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1575 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 17 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,78,179 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,753  લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,28,417 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3167 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 18,009એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.04 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.77 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,28,764 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.83 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,88,357 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1593 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.