Home Blog Page 2890

સદભાવના વૃદ્ધાશ્રમનો સંકલ્પ છે ગુજરાતને લીલુંછમ કરવાનો

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા જશોદાનગરથી ત્રિકમપુરા રોડ પર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રોડની વચ્ચેના ડિવાઇડર પર લીલી નેટ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મોટા ભાગે વૃદ્ધાશ્રમની વાત આવે એટલે વૃદ્ધ લોકોને સાચવતી, રાખતી સંસ્થાઓ કે જગ્યાનું ચિત્ર દેખાય, પરંતુ રાજકોટનું સદભાવના વૃદ્ધાશ્રમ નિરાધાર વૃદ્ધોને તો એકદમ સારી રીતે સાચવી સેવા કરે છે. આ સાથે 500 જેટલા બળદોને સાચવે છે. ગુજરાતમાં ઠેર-ઠેર વૃક્ષારોપણ પણ કરે છે.

સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાયેલા અંકુલભાઈ ચિત્રલેખા. કોમને કહે છે આ એક યુનિક પ્રકારની સમાજ સેવાઓ કરતો વૃદ્ધાશ્રમ છે. વૃદ્ધોને માવતર સમજીને સાચવવામાં આવે છે. ઉત્તમ સારવાર પણ કરવામાં આવે છે. આ સંસ્થાનું 10,000 બળદોને આશ્રય આપવાનું વિઝન છે. સંસ્થાએ 250 ટ્રેક્ટર, 250 ટેન્કર, 11000 મજૂર અને 80 જેટલા સુપરવાઇઝરોની ટીમ સાથે 15 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે.

અકુલભાઈ કહે છે, સંસ્થાએ રાજકોટ, ભાવનગર, સાવરકુંડલા, સુરત, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિત અનેક શહેરોના માર્ગો પર વૃક્ષારોપણ શરૂ કરી દીધું છે. સંસ્થાના વિજયભાઈ ડોબરિયાને ‘વન પંડિત’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી વર્ષોમાં 20 કરોડ વૃક્ષોનું ગુજરાતમાં વાવેતર કરી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા રાજ્યને લીલુંછમ કરવા પ્રયત્નો કરશે.

કોરોનાની બીજી લહેરમાં જ્યારે હજારો ચિતાઓ સળગતીએ વેળાએ સંસ્થાએ રાજકોટની ભાગોળમાં 7575 પીપળાનું વાવેતર કર્યુ હતું. સદભાવના સાથે નિરાધાર વૃદ્ધોને વૃદ્ધાશ્રમ રાખતી, સાચવતી અને લાખો વૃક્ષોને વાવીને માવજત કરતી અનોખી સંસ્થા ગુજરાતને લીલુંછમ બનાવી રહી છે. લોખંડ,  સિમેન્ટના ચણતર સાથેના ચબૂતરાની જગ્યાએ પક્ષીઓને વૃક્ષરૂપી ચબૂતરા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

ગૂગલ ક્લાઉડ સાથે ઈશાન ટેક્નોલોજિસની ભાગીદારી

મુંબઈ, 10 મે 2023: અગ્રગણ્ય ICT ગ્રુપ, ઇશાન ટેક્નોલોજિસે અધિકૃત સેવા પ્રદાતા તરીકે ગૂગલ ક્લાઉડ (Google Cloud) સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. કંપનીનો ઉદ્દેશ્ય ક્લાઉડને અપનાવવાનો અને ભારતીય વ્યવસાયોની કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવવાનો છે. ઈશાન ગૂગલ ક્લાઉડના પાર્ટનર ઈન્ટરકનેક્ટ મારફત ગ્રાહકોને સુરક્ષિત, ઓછા ખર્ચે અને વિશ્વસનીય રીતે સમગ્ર ભારતમાં ગૂગલ ક્લાઉડ સાથે કનેક્ટ કરાવી શકે છે. આ સેવાઓ વપરાશકર્તાઓને કુશળતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહાયક સેવાઓની ઍક્સેસ આપીને તેમના માટે વ્યવસાયમાં વૃદ્ધિ અને પ્રદર્શનમાં સુધારો કરશે.

વ્યવસાયોને તેના ફાયદાઓનો અનુભવ થઇ રહ્યો છે તે ધ્યાનમાં લેતા, વધુ સંખ્યામાં સંસ્થાઓ હવે કાર્યક્ષમતા વધારવા માટે ક્લાઉડ સેવાઓ પર આધાર રાખી રહી છે. ઇશાન ટેક્નોલોજિસના ચેરમેન અને એમડી, પિંકેશ કોટેચાએ આ ભાગીદારી અંગે અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમને એ જણાવતા આનંદ થાય છે કે ઇશાન ટેક્નોલોજિસને 99.99% ઉપલબ્ધતા ટોપોલોજીને સમર્થન આપવા માટે ગૂગલ ક્લાઉડઇન્ટરકનેક્ટ માટે ભાગીદાર અધિકાર પત્ર પ્રાપ્ત થયો છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધેલી નિર્ભરતાને કારણે વ્યવસાયોને ક્લાઉડના સંચાલન અને ઇષ્ટતમ ઉપયોગ કરવાની જરૂર છે.

આદિપુરુષ ટ્રેલરમાં બધો જશ લૂંટી ગયો લંકેશ?

મુંબઈઃ આદિપુરષનું ટ્રેલર મંગળવારે બહાર પડ્યું હતું, જેથી ફેન્સમાં ઉત્સુકતામાં વધારો થયો હતો. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરષની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આગામી મહિને 16 જૂને રિલીઝ થવાની છે. ઓમ રાઉતની ફિલ્મમાં ફરી એક વાર સૈફ અલી ખાન નકારાત્મક રોલમાં નજરે પડશે. સૈફ અલી ખાનને લંકેશની ભૂમિકામાં વિશેષ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત ફેન્સ ભગવાન રામનો મહિમા અને માતા સીતાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. લંકેશની તાકાત કેટલાય લોકોને મંત્રમુગ્ધ કરી દીધી છે. ખાસ કરીને લંકેશ બ્લુ આંખો ખોલે છે-ત્યારનો ક્લોઝઅપ જબરદસ્ત છે.

 

સાધુના વેશમાં સૈફ અલી ખાનની ઝલકે પણ લોકોને આકર્ષિત કર્યા છે. વાસ્તવમાં નેટિઝન્સ લંકેશના જીવનથી મોટા અવતાર વિશે પૂછી રહ્યા છે અને તમે તેને એક વાર ટ્રેલરમાં જુઓ.આ ટ્રેલરના બીજા મહત્ત્વના સીનમાં સૈફ અલી ખાનનો પ્રવેશ થાય છે. આ ટ્રેલરમાં તે માતા સીતાથી ભિક્ષા માગતો દેખાઈ દે છે. અને એ વાર્તાનો ટર્નિગ પોઇન્ટ છે. આ ફિલ્મમાં તેની જબરદસ્ત એક્ટિંગ લોકોને દીવાના બનાવી રહી છે. જોકે અત્યાર સુધી લંકેશના લુકનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો અને દર્શકોએ ટ્રેલરમાં એને યોગ્ય રીતે નહોતો જોયો. ઓમ રાઉત નિર્દેશિત આદિપુરુષ, T સિરીઝ, ભૂષણકુમાર અને કૃષ્ણકુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રેટ્રોફાઇલ્સના રાજેશ નાયર દ્વારા નિર્મિત છે અને એ 16 જૂને વિશ્વ સ્તરે રિલીઝ થશે.

 

 

 

 

ગો ફર્સ્ટ એરલાઈનની નાદારી અરજીનો સ્વીકાર કરાયો

નવી દિલ્હીઃ સ્વૈચ્છિક નાદારી નોંધાવવા માટે ગો ફર્સ્ટ એરલાઈને નોંધાવેલી અરજીને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ સ્વીકાર કર્યો છે. આનાથી એરલાઈનને મોટી રાહત થઈ છે. કારણ કે લેણદારો અને શાહુકારો તરફથી ધિરાણ વસૂલીની માગણી સામે એરલાઈનને દેવા મોકૂફી હેઠળ રક્ષણ મળશે. એનસીએલટી સંસ્થાએ વધુમાં, એરલાઈનને આદેશ આપ્યો છે કે તેણે 19 મે સુધી તેની વિમાન સેવા બંધ રાખવી.

એનસીએલટી સંસ્થાએ ગો ફર્સ્ટની નાદારી પીટિશનનો સ્વીકાર કર્યા બાદ તેની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ માટે એરલાઈન સ્થગિતતાનું સ્ટેટસ જાળવવાનું રહેશે અને લવાદની પ્રક્રિયા હાથ ધરવાં આવશે. એનસીએલટીએ ગો ફર્સ્ટની મેનેજમેન્ટને સસ્પેન્ડ કરી છે અને તેને આદેશ આપ્યો છે કે તે ઈન્સોલ્વન્સી રીઝોલ્યૂશન પ્રોસેસ (IRP) માટે જરૂરી સહકાર આપે. આ ઉપરાંત, પ્રક્રિયા સંબંધિત થનાર ખર્ચને પહોંચી વળવા માટે રૂ. પાંચ કરોડની રકમ IRPમાં જમા કરાવવાનો પણ તેને આદેશ આપવામાં આવ્યો છે. એક વધુ આદેશમાં ગો ફર્સ્ટ કહેવામાં આવ્યું છે એણે તેના કોઈ પણ કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવા નહીં.

શહેરોમાં ડીઝલથી ચાલતાં વાહનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય નથી લેવાયો

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે એણે 2027 સુધી 10 લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં ડીઝલ કાર પર પ્રતિબંધ પર એક સરકારી સમિતિની ભલામણો પર કોઈ નિર્ણય નથી લીધો. સરકારે કહ્યું હતું કે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયના ડિરેક્શનમાં બનેલી એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી (ETAC)ની ભલામણો  કેટલાંય મંત્રાલયો અને રાજ્યો સહિત સ્ટેકહોલ્ડરો સંબંધિત છે. આ રિપોર્ટ પર વિવિધ સ્ટેકહોલ્ડરોની સાથે વિચારવિમર્શ કરવાનો બાકી છે. ETACની ભલામણો પર અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, એમ મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું.

પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની અધ્યક્ષતાવાળી ETACના અહેવાલમાં શહેરી કચરાથી બનેલા બાયોગેસની સાથે લિક્વિડ પેટ્રોલિયમ ગેસના સંમિશ્રણ, રાંધવા માટેના ફ્યુઅલના રૂપમાં મેથેનોલ અને ઇથેનોલનો ઉપયોગ ને વીજળી અને સોલર બેઝ્ડ કુકિંગનું સૂચન કર્યું હતું.

પેનલે 2035 સુધીમાં સ્કૂટર, બાઇક અને થ્રી વ્હીલર્સ વાહનોને તબક્કાવાર પાછા ખેંચવાની ભલામણ કરી છે, કારણ કે ભારતે 2070 સુધીમાં ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મંત્રાલયે ભવિષ્યમાં ઓછા કાર્બન ઉત્સર્જનનો દ્રષ્ટિકોણ ધરાવે છે. આ સાથે કેન્દ્ર સરકાર ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને હાંસ કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને સેલ્સ અને સબસિડી પર ભાર આપી રહી છે. વાસ્તવમાં ભારત 2070 સુધીમાં ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે રિન્યુએબલ એનર્જીથી પોતાની જરૂરિયાત માટે 40 ટકા વીજ ઉત્પાદન કરવા ઇચ્છે છે.

 

 

‘કેરાલા સ્ટોરી’ ફિલ્મ ઘણી છોકરીઓનાં જાન બચાવશેઃ અદા શર્મા

મુંબઈઃ ઘણો વિરોધ થયો હોવા છતાં ‘ધ કેરાલા સ્ટોરી’ હિન્દી ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. તેનો દેખાવ ઘણો જ સરસ રહ્યો છે. રિલીઝ થયાના પહેલા પાંચ દિવસમાં જ તેણે રૂ. 50 કરોડના આંકને પાર કરી દીધો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની સફળતાથી ખુશ થઈને અભિનેત્રી અદા શર્માએ તેનાં પ્રત્યાઘાત દર્શાવ્યાં છે. એક ઈન્ટરવ્યૂમાં એણે કહ્યું કે, ‘આ ફિલ્મ એક જનજાગૃતિ જગાડનારી છે. તેનાથી ઘણી બધી છોકરીઓનાં જાન બચી જશે. અમને જબરદસ્ત સપોર્ટ મળ્યો છે. હું ખૂબ જ કૃતજ્ઞ છું.’

અદાએ વધુમાં કહ્યું કે, ‘આ ફિલ્મ માટે અમને સૌને મળેલો ટેકો અભૂતપૂર્વ રહ્યો છે. આખો દેશ મારું સમર્થન કરી રહ્યો છે. હું વિનમ્ર અને સ્તબ્ધ છું.’

સુદિપ્ત સેન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ત્રણ હિન્દૂ છોકરીઓ વિશેની છે જેમને કેરળ રાજ્યમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા ફોસલાવીને ઈસ્લામ ધર્મમાં કન્વર્ટ કરાવે છે. ફિલ્મમાં અદા શર્માની સાથે યોગિતા બિહાની, સોનિયા બલાની અને સિદ્ધિ ઈદનાનીએ પણ મહત્ત્વની ભૂમિકા કરી છે.

મેચ જલદી ખતમ કરવાનો મૂડ બનાવી ચૂક્યો હતો સૂર્યકુમારઃ વઢેરા

મુંબઈઃ IPL 2023ની 54મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે RCB પર ધમાકેદાર જીત હાંસલ કરી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 200 રનના લક્ષ્યને હાસંલ કરવા માટે MIએ ધામાકેદાર પ્રારંભ કર્યો હતો. MIએ આ મેચ છ વિકેટથી જીતી લીધી હતી. ટીમના બેટ્સમેન નેહલ વઢેરાએ કહ્યું હતું કે તેની ઉપલા ક્રમે બેટિંગ કરવી એ મજાનું હતું. સૂર્યકુમારની સાથે બેટિંગ કરવાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.

MIએ સૂર્યકુમારની મદદથી RCB સામે જીત હાંસલ કરીને IPLમાં 12 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે પહોંચી હતી. સૂર્યકુમારે અને નેહલ વઢેરાએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં 140 રન ઉમેર્યા હતા. સૂર્યકુમારે 35 બોલમાં 83 રન બનાવ્યા હતા, જ્યારે વઢેરાએ 34 બોલમાં 52 રન બનાવ્યા હતા અને મુંબઈને વિજયી બનાવ્યું હતું. સૂર્યકુમારને વિસ્ફોટક ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મેચ પછી વઢેરાએ કહ્યું હતું કે સૂર્યભાઈ એક ટોચનો ખેલાડી છે અને હું તેમના શોટ્સની નકલ કરવાના પ્રયાસ કરું છું. જ્યારે અમે બેટિંગ કરતા હતા, ત્યારે હું તેમની સાથે વાતચીત કરી રહ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે જો આપણે બંને 15-16 ઓવર સુધી બેટિંગ કરીશું તો મેચને જલદી પૂરી કરી શકીશું. સૂર્યભાઈ બેટિંગ જોઈને હું પણ તેમની પાસેથી શીખ્યો અને બહું ખુશ છું, એમ તેણે કહ્યું હતું.

 

 

 

વડીલો યુવાઓને મતદાન કેમ મહત્ત્વપૂર્ણ છે, એ સમજાવેઃ નારાયણમૂર્તિ

બેંગલુરુઃ કર્ણાટકમાં વિધાનસભાની 224 સીટો માટે મતદાન સવારે સાત કલાકથી શરૂ થઈ ગયું છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈ, નાણપ્રધાન સીતારામન, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પા, ઇન્ફોસિસના સંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને તેમનાં પત્ની અને લેખિકા સુધા મૂર્તિ તથા મૈસુરના શાહી પરિવારનાં સભ્ય રાજમાતા પ્રમોદા દેવીએ રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

મતદાન પછી નારાયણમૂર્તિએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એ મોટાઓની જવાબદારી છે કે યુવાઓની સાથે બેસે અને તેમને સમજાવે કે મતદાન કેમ મહત્ત્વનું છે. મને પણ મારાં માતાપિતા મતદાન કરાવવામાં માટે લઈ ગયા હતા. પહેલા આપણ મતદાન કરવું જોઈએ અને પછી આપણે કહી શકીએ કે એ સારું છે કે નહીં, પરંતુ જો આપણે તેમ નથી કરતા તો આપણે એની ટીકા કરવાનો અધિકાર નથી.

તેમના પત્ની સુધા મૂર્તિએ મતદાન પછી યુવાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે જુઓ, અમે વયોવૃદ્ધ છીએ, પણ અમે સવારે મતદાન કર્યું છે. કૃપયા અમારાથી શીખો. મતદાન લોકતંત્રનો એક પવિત્ર હિસ્સો છે. આવો અને મતદાન કરો અને પછી તમારી પાસે વાત કરવાની શક્તિ છે. મતદાન વિના તમારી પાસે વાત કરવાની કોઈ શક્તિ નથી. મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કરવાની અરજ કરી હતી, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યમાં 58,545 મતદાન કેન્દ્રો પર કુલ 5,31,33,054 મતદાતાઓ મત નાખવાને પાત્ર છે, જેમાં 2,67,28,053 પુરુષ મતદાતાઓ છે અને 2,64,00,074 મહિલાઓ અને 4927 અન્ય છે.  અહીં 2615 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 2430 પુરુષ, 184 મહિલાઓ અને એક અન્ય લિંગનો ઉમેદવાર છે.

 

 

કોરાનાના 2109 નવા કેસો, 15નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2109 નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 15 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,74,909 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,722 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,21,781 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3430 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 21,406એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.05 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.77 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,59,454 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.79 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,84,570 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2055 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

સલમાનને ધમકીનો કેસઃ બ્રિટનના ભારતીય વિદ્યાર્થીને શોધે છે મુંબઈ પોલીસ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ઈમેલ મારફત જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ પોલીસે બ્રિટનમાં મેડિકલનું શિક્ષણ લેવા ગયેલા એક ભારતીય વિદ્યાર્થી સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. તે વિદ્યાર્થીને ભારતમાં પાછો લાવવાની પ્રક્રિયા પોલીસે શરૂ કરી દીધી છે.

તપાસ પરથી માલૂમ પડ્યું છે કે તે વિદ્યાર્થી હરિયાણાનો છે. એ મેડિકલના એક કોર્સમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. બ્રિટનમાં એનું શૈક્ષણિક સત્ર પૂરું થાય એ પછી, આ વર્ષના અંતમાં તે ભારતમાં પાછો ફરે એવી ધારણા  છે. જેલમાં પૂરવામાં આવેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના નામે ગયા માર્ચમાં સલમાન ખાનને ધમકીભર્યા સંદેશા આ વિદ્યાર્થીએ મોકલ્યા હોવાની મુંબઈ પોલીસને શંકા છે. પોલીસે હાલમાં જ મુંબઈમાં એક સગીર વયના છોકરાની ધરપકડ કરી હતી, જેણે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.