Home Blog Page 29

આરપારની લડાઈ : ‘કોકરોચ જનતા પાર્ટી’ ના ફાઉન્ડર આવશે ભારત

દેશભરમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી નીટ (NEET) પરીક્ષાના વિવાદ અને કથિત પેપર લીક મામલે દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોનો ગુસ્સો ચરમસીમાએ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક તરીકે જાણીતા અભિજીત દિપકેએ એક મોટું એલાન કરીને કેન્દ્ર સરકારની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. અભિજીત દિપકેએ જાહેરાત કરી છે કે તેઓ આગામી 6 જૂન, શનિવારના રોજ વિદેશથી ભારત પરત ફરી રહ્યા છે અને દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે એક વિશાળ અને શાંતિપૂર્ણ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. અભિજીત દિપકેએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો સંદેશ જાહેર કરીને પોતાના તમામ ફોલોઅર્સ, સમર્થકો અને પીડિત વિદ્યાર્થીઓને આ આંદોલનમાં જોડાવા માટે હાકલ કરી છે.

અભિજીત દિપકેએ વીડિયો સંદેશમાં શું અપીલ કરી?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અભિજીત દિપકેએ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને એક થવા માટે જણાવ્યું છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, “હવે સમય આવી ગયો છે કે આપણે બધાએ એકસાથે આવવું પડશે. ભારતીય બંધારણના માર્ગ પર ચાલતા રહીને આપણે શાંતિપૂર્ણ રીતે આપણી વાત સરકાર સામે રાખવાની છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવાની છે. જો આપણે બધા એક થઈને અવાજ ઉઠાવીશું, તો સરકારે આપણી ન્યાયી માંગણીઓ સાંભળવી જ પડશે.”

તેમણે પોતાના પ્લાનિંગ અંગે વિગતો આપતા જણાવ્યું કે, 6 જૂન, શનિવારની સવારે તેઓ દિલ્હી એરપોર્ટ પર ઉતરશે. તેમણે પોતાના સમર્થકોને મોટી સંખ્યામાં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા અને ત્યાં એકઠા થવા ગુજારીશ કરી છે. એરપોર્ટ પર એકઠા થયા બાદ તેઓ તમામ લોકો સાથે મળીને સૌથી પહેલા સંસદ માર્ગ પોલીસ સ્ટેશને જશે અને ત્યાંથી જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટેની સત્તાવાર મંજૂરી માંગશે.

લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, જવાબદારી નક્કી થવી જરૂરી

અભિજીત દિપકેનો આરોપ છે કે પરીક્ષામાં થયેલી ગંભીર ગેરરીતિઓ, વિવાદો અને પેપર લીકના કારણે દેશના લાખો હોશિયાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે અને તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન છે. આથી સરકારની જવાબદારી અને પારદર્શિતા નક્કી થવી ખૂબ જ જરૂરી છે. શિક્ષણ વ્યવસ્થામાં થયેલી આટલી મોટી લાપરવાહી માટે કોઈને કોઈ વરિષ્ઠ અધિકારી કે મંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારવી જ પડશે અને તેના ભાગરૂપે જ તેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અડગ છે.

તેમણે વધુમાં દાવો કર્યો છે કે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને શરૂ કરવામાં આવેલી એક ઓનલાઇન પિટિશન (Online Petition) ને પણ અત્યાર સુધીમાં લાખો લોકો પોતાનું સમર્થન આપી ચૂક્યા છે. આ સિવાય દેશના અલગ-અલગ રાજ્યો અને હિસ્સાઓમાં પણ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દિપકેએ સ્પષ્ટ કર્યું કે ભારતીય બંધારણ દરેક નાગરિકને લોકશાહી ઢબે પોતાની વાત રજૂ કરવાનો અધિકાર આપે છે અને તેમનું આ સૂચિત આંદોલન સંપૂર્ણપણે બંધારણીય દાયરામાં રહીને જ કરવામાં આવશે.

અમેરિકાએ ઇરાની સેનાનાં સ્થાનો પર બોમ્બમારો કર્યો

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વાર ટેન્શન વધ્યું છે. અમેરિકી સેનાએ જણાવ્યું હતું કે તેણે ઈરાનના રડાર અને ડ્રોન ઠેકાણાંઓ પર બોમ્બમારો કર્યો છે. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર ઈરાન દ્વારા એક અમેરિકન ડ્રોનને તોડી પાડ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકાના હુમલા પછી ઈરાને પણ જવાબી કાર્યવાહી કરતાં કુવૈત પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કુવૈતે ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે.

અમેરિકી સેનાનું નિવેદન

આ સુનિયોજિત અને વિચારપૂર્વક કરવામાં આવેલી કાર્યવાહી ઈરાનની આક્રમક હરકતોના જવાબમાં કરવામાં આવી હતી. તેમાં આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઉડાન ભરી રહેલા અમેરિકન MQ-1 ડ્રોનને તોડી પાડવાની ઘટના પણ સામેલ છે. અમેરિકન લડાકુ વિમાનોએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરીને ઈરાનની હવાઈ સુરક્ષા પ્રણાલી, એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે એકતરફી હુમલાખોર ડ્રોનને નષ્ટ કર્યા હતા, જે પ્રાદેશિક જળમાર્ગમાંથી પસાર થતાં જહાજો માટે સ્પષ્ટ જોખમ હતાં.

કુવૈતે શું કહ્યું?

કુવૈતે જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે તેની હવાઈ સુરક્ષા પ્રણાલીએ ડ્રોન અને મિસાઈલ હુમલાઓને અટકાવવા માટે ગોળીબાર શરૂ કર્યો હતો. ઈરાનના અર્ધસૈનિક રેવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું હતું કે તેણે અમેરિકન હુમલાનો જવાબ આપ્યો છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું નહોતું કે આ જવાબી હુમલો ક્યાં કરવામાં આવ્યો હતો, પરંતુ સંકેત કુવૈત પર થયેલા હુમલા તરફ હતો. રેવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો કે અમેરિકી સેનાએ એક ટેલિકોમ્યુનિકેશન ટાવરને નિશાન બનાવ્યો હતો.

ઈરાનના સરકારી ટીવીએ ટ્રમ્પની મજાક ઉડાવી

ઈરાનના સરકારી ટેલિવિઝને મિસાઈલ લોન્ચિંગના દૃશ્યો પ્રસારિત કર્યાં. તેમાં મિસાઈલના બહારના ભાગ પર લગાવવામાં આવેલા સ્ટિકરનો ક્લોઝ-અપ શોટ પણ દર્શાવવામાં આવ્યો હતો. આ સ્ટિકરમાં ઘાયલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની તસવીર દર્શાવવામાં આવી હતી.

મંદિર નિર્માણ માટે ભજનની આહલેક જગાવશે ગાયિકા મૈથિલી ઠાકુર

અમદાવાદ: તમે કોઇ મ્યુઝીકલ કોન્સર્ટમાં જઇને સંગીતનો આનંદ માણવાની સાથેસાથે કાંઇક સારું કામ કર્યાનો સંતોષ માણી શકો? હા, જો એ સંગીત સંધ્યા કોઇ ચોક્કસ ઉદ્દેશ સાથે, સારા હેતુ સાથે યોજાઇ હોય તો. આપણે ત્યાં કોઇને કોઇ સામાજિક-ધાર્મિક-સાંસ્કૃતિક હેતુ સાથે યોજાતી સંગીત સંધ્યાના ઉદાહરણો ઓછા નથી, પણ હવે એમાં ઉમેરો થઇ રહ્યો છે શહેરમાં 6 જૂનના રોજ યોજાનારી એક મ્યુઝીકલ ઇવનિંગથી.6 જૂનના રોજ અમદાવાદમાં બિહારની જાણીતી યુવા ગાયિકા અને ભાજપની યુવાન ધારાસભ્ય મૈથિલી ઠાકુરની એક ભજન સંધ્યા યોજાઇ રહી છે.વૃંદાવનમાં હાલ ઇસ્કોન સંપ્રદાય દ્વારા વિશ્વના સૌથી ઊંચા એવા વૃંદાવન ચંદ્રોદયા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ નિર્માણ પ્રક્રિયા વિશે લોકોને જાણકારી મળે અને એમાં લોકોનો આર્થિક સહયોગ મળી રહે એ માટે ટ્રસ્ટ દ્વારા મ્યુઝીક ફોર મંદિર એ અંતર્ગત મૈથિલી ઠાકુરની કુલ ચાર શહેરમાં સંગીત સંધ્યા યોજાઇ રહી છે.મુંબઇ ખાતે એક ઇવેન્ટ યોજાઇ ગયા પછી અમદાવાદ ખાતે આ બીજી ઇવેન્ટ 6 જૂનના રોજ યોજાશે. એ પછી બેંગલુરૂ અને પછી દિલ્હી એમ કુલ ચાર શહેરમાં આ ટૂરનું આયોજન થયું છે.100 એકરથી વધારે જગ્યામાં નિર્માણ થઇ રહેલા 17 માળ જેટલી ઊંચાઇ ધરાવતા આ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સુબોધ અગ્રવાલ કહે છે એમ, વૃંદાવન ચંદ્રોદય મંદિર વિશ્વનું સૌથી ઉંચુ મંદિર હશે. આમ તો એનું બાધકામ વર્ષ 2013માં શરૂ થયેલું, પણ વચ્ચે કોવિડ અને અન્ય સંજોગોના કારણે એ કામ અટકી ગયું હતું. હવે એનું કામ પૂરજાશેમાં ચાલે છે અને આ વર્ષના અંત સુધીમાં ફેઝ-1નું કામ પૂર્ણ થયે એનું ઉદઘાટન થઇ જશે.ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર પછી વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું આ ભવ્ય મંદિર બનશે. ઇસ્કોન-બેંગલુરૂ સાથે સંકળાયેલું આ વૃંદાવન ચંદ્રોદયા મંદિર ટ્રસ્ટ એની અક્ષયપાત્ર યોજના સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.

9 જૂને પીએમ મોદીના નામે નોંધાશે મહાકીર્તિમાન

કેન્દ્રમાં મોદી સરકારના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આગામી 5 જૂનથી લઈને 21 જૂન સુધી વિશેષ જનસંપર્ક અને વિકાસ કાર્યોના પ્રદર્શન માટેના કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધી ચાલનારા આ 17 દિવસીય અભિયાનમાં કેન્દ્ર સરકાર પોતાની મોટી સિદ્ધિઓ અને જનહિતના કાર્યોને સામાન્ય જનતા સુધી પહોંચાડશે. પરંતુ, આ ભવ્ય કાર્યક્રમોની વચ્ચે એક એવી તારીખ આવી રહી છે, જે ભારતીય લોકશાહી અને રાજકારણના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડી દેશે. આ તારીખ છે 9 જૂન 2026.

9 જૂન કેમ છે ખાસ? જવાહરલાલ નેહરુનો કયો રેકોર્ડ તૂટશે?

વાસ્તવમાં, 9 જૂન 2026 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે એક એવો અજોડ રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યા છે, જે અત્યાર સુધી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નામે નોંધાયેલો હતો. ઐતિહાસિક તથ્યો મુજબ, જવાહરલાલ નેહરુએ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી બાદ 14 મે 1592 ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા અને તેઓ 27 મે 1964 (અવસાન સુધી) સતત આ પદ પર રહ્યા હતા. આ રીતે, લોકતાંત્રિક ચૂંટણી દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે તેમનો સળંગ કાર્યકાળ 12 વર્ષ અને 14 દિવસનો રહ્યો હતો. આપને જણાવી દઈએ કે વર્ષ 1947 થી 1952 સુધી જવાહરલાલ નેહરુ દેશના મનોનીત (Nominated) વડાપ્રધાન હતા, ચૂંટાયેલા નહીં. હવે 9 જૂન 2026 ના રોજ જવાહરલાલ નેહરુના આ સૌથી લાંબા સમય સુધી સળંગ ચૂંટાયેલા પીએમ પદ પર રહેવાનો રેકોર્ડ તૂટી જશે અને પીએમ મોદી આ યાદીમાં ટોચ પર આવી જશે.

મોદી શાસનની સફર અને શપથ ગ્રહણનો અદભુત સંયોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત 26 મે 2014 ના રોજ સત્તાવાર શપથ લીધા હતા. આ પછી દેશની જનતાએ તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો અને તેઓ 30 મે 2019 ના રોજ બીજી વખત પીએમ બન્યા. ત્યારબાદ વર્ષ 2024 ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવીને 9 જૂન 2024 ના રોજ તેમણે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા.

આ જ ક્રમમાં આગળ વધતા, આગામી 9 જૂન 2026 ના રોજ પીએમ મોદી સતત નિર્વાચિત વડાપ્રધાન તરીકે પોતાના શાસનના બરાબર 12 વર્ષ અને 15 દિવસ પૂર્ણ કરી લેશે. આ સાથે જ તેઓ લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાના માધ્યમથી ભારતમાં સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન પદ સંભાળવાનો નવો કીર્તિમાન સ્થાપિત કરશે. અહીં એક રસપ્રદ સંયોગ એ પણ છે કે 9 જૂન 2024 ના રોજ નરેન્દ્ર મોદીએ ત્રીજી ઇનિંગ માટે શપથ લીધા હતા અને બરાબર તેના બે વર્ષ બાદ જ એટલે કે 9 જૂનની તારીખે જ તેઓ આ ઐતિહાસિક સિદ્ધિ મેળવશે. આ જ કારણે 9 જૂનનો આ દિવસ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સમગ્ર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માટે રાજકીય અને પ્રતીકાત્મક બંને દ્રષ્ટિએ અત્યંત ગૌરવપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

મોટા મંત્રીમંડળ વિસ્તારની ચર્ચાઓ અને ભવ્ય આયોજનની તૈયારી

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કેન્દ્ર સરકાર અને ભાજપ સંગઠન આ ખાસ અવસરને ખૂબ જ મોટા પાયે સેલિબ્રેટ કરવાની આંતરિક તૈયારીઓ કરી રહ્યા છે. જો કે હજી સુધી કોઈ સત્તાવાર કેબિનેટ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ પક્ષના વરિષ્ઠ સ્તરે આ દિવસને યાદગાર બનાવવા માટેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચા તેજ બની છે કે આ જ ઐતિહાસિક સમયગાળા દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળનું મોટું વિસ્તરણ પણ થઈ શકે છે.

ટૂંકમાં કહીએ તો, મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી વચ્ચે 9 જૂન 2026 ની આ તારીખ માત્ર એક કેલેન્ડરનો દિવસ નથી, પરંતુ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાનારો રેકોર્ડ દિવસ બનવા જઈ રહ્યો છે.

શ્રીલંકામાં ધાર્મિક ઉત્સવ દરમિયાન અકસ્માત, ટ્રક ભીડ પર ચઢી જતાં 6 લોકોના મોત

શ્રીલંકામાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન એક અનિયંત્રિત ટ્રક ભીડ પર ઘૂસી જતાં થયેલા એક મોટા અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક મોટો અકસ્માત થયો છે. કોલંબોની બહારના ભાગમાં મુખ્ય બૌદ્ધ તહેવાર વેસાક દરમિયાન એક અનિયંત્રિત ટ્રકે લોકોના ટોળાને કચડી નાખ્યું, જેમાં છ લોકોના દુઃખદ મોત થયા અને 13 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રક ડ્રાઈવર દારૂના નશામાં વાહન ચલાવી રહ્યો હતો અને નશાની હાલતમાં તેણે તહેવારની ઉજવણી કરી રહેલા લોકોની ભીડને કચડી નાખી.

અકસ્માત કેવી રીતે થયો?

આ અકસ્માત રવિવારે રાત્રે કોલંબોના મીગોડા વિસ્તારમાં થયો હતો, જ્યાં વેસાક ઉજવણીના ભાગ રૂપે લગાવવામાં આવેલા મફત ખાદ્ય સ્ટોલની બહાર મોટી સંખ્યામાં લોકો કતારમાં ઉભા હતા. એક ઝડપી ગતિએ આવતી પિકઅપ ટ્રક ભીડમાં ઘૂસી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 35 થી 38 વર્ષની વયના ત્રણ પુરુષો અને 15 થી 56 વર્ષની વયની ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક બાળક સહિત 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે ઘણા કિલોમીટર સુધી પીછો કર્યા બાદ આરોપીની ધરપકડ કરી

અકસ્માત બાદ 42 વર્ષીય ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ઘણા કિલોમીટર સુધી તેનો પીછો કરીને તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. વેસાકને બૌદ્ધ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે, જે ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણની યાદમાં ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, શ્રીલંકાના ભક્તોએ મફત ખોરાક અને પીણાંના સ્ટોલ લગાવ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો આકર્ષાયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન, કામચલાઉ સ્ટોલની આસપાસ ભારે ભીડ અને રસ્તાની બાજુમાં વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકનું દબાણ વધે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ પણ વધે છે.

ગુજરાતમાં આજથી ‘વસતી ગણતરી-2027’નો પ્રારંભ: પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી

ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થયો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થઈ રહી છે.જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઈન્કાર કરશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે.

વસ્તીગણતરી-2027 અન્વયે આજથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશન (HLO)ની વ્યાપક કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના તાલીમબદ્ધ ગણતરીદારો અને સુપરવાઇઝર સહિતની ટીમોએ ફિલ્ડમાં ઉતરીને વસ્તીગણતરીના પ્રથમ તબક્કાનું પ્રશાસનિક કાર્ય હાથ ધર્યું છે. સમગ્ર જિલ્લામાં આ પ્રક્રિયા સુચારુ અને સચોટ રીતે સંપન્ન થાય તે માટે મનપા અને વહીવટી તંત્રએ તમામ સ્તરે વિસ્તૃત આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી છે.

રાજ્યભરમાં શરૂ થઈ હાઉસ લિસ્ટિંગની કામગીરી

વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું કે અગાઉ જાહેર કરાયેલા 25 પ્રશ્નોની સ્વ-ગણતરી પ્રક્રિયામાં અનેક લોકોએ માહિતી ભરી દીધી છે. હવે 1 જૂનથી રાજ્યભરમાં પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિંગ (ઘરયાદી)ની કામગીરી શરૂ થઈ છે, જેમાં આશરે 1 લાખ 10 હજાર ગણતરીકારો અને 12 હજાર સુપરવાઈઝર ફિલ્ડમાં ઉતર્યા છે. ગણતરીકારો ઘરે-ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ કરશે તેમજ 33 પ્રશ્નોની માહિતી એકત્રિત કરશે. સ્વ-ગણતરી દરમિયાન ભરાયેલી વિગતોમાં કોઈ સુધારો કરાવવો હોય તો નાગરિકો ગણતરીકારને જરૂરી માહિતી આપી શકશે.

પ્રથમ તબક્કો (1થી 30 જૂન, 2026)

આ એક મહિના દરમિયાન ગણતરીદારો દ્વારા ઘરેઘરે જઈને ‘ઘર-યાદી અને મકાનોની ગણતરી’ (HLO) કરવામાં આવશે. જેમાં આવાસની સ્થિતિ, પરિવારના સભ્યો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા અને અન્ય ભૌતિક અસ્કયામતોને લગતા કુલ 33 પ્રશ્નો આધારિત ડેટા એકત્રિત કરાશે.

બીજો તબક્કો (9થી 28 ફેબ્રુઆરી, 2027)

આ આખરી તબક્કામાં મુખ્ય વસતી ગણતરીની સાથે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સત્તાવાર રીતે ‘જાતિ ગણતરી’ (PE)ની કામગીરી પણ સંયુક્ત રૂપે પૂર્ણ કરવામાં આવશે.

સ્વ-ગણતરીને સારો પ્રતિસાદ

રાજ્યમાં ગત 17 મેથી શરૂ કરાયેલી સ્વ-ગણતરી ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત 30 મે સુધીમાં 3.74 લાખથી વધુ જાગૃત નાગરિકોએ પોર્ટલ પર સ્વ-ગણતરીના ફોર્મ ભર્યા છે. આ પૈકી 3.30 લાખથી વધુ અરજીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે આશરે 44,000 ફોર્મ હાલ પ્રક્રિયા હેઠળ છે.

શું ઉમર અબદુલ્લાની સરકાર પડવાની અણી પર છે?

શ્રીનગરઃ  જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં હાલમાં ગરમાટો આવ્યો છે. શું મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લાની સરકાર પડવાની અણી પર છે? શું પાર્ટીના ધારાસભ્યો ઉમર અબદુલ્લાથી નારાજ છે? અને ઉમર અબદુલ્લાએ ત્રીજી જૂને તમામ ધારાસભ્યોની બેઠક શા માટે બોલાવી છે? આ તમામ પ્રશ્નોને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ભાજપ દાવો કરી રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં ઉમર અબદુલ્લાની સરકાર ટૂંક સમયમાં પડવાની શક્યતા છે.

ડૂબતી નૌકાને બચાવવાનો પ્રયાસ – ભાજપ

મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ ત્રીજી જૂને ધારાસભ્યોની તાત્કાલિક બેઠક બોલાવવાના નિર્ણય પર ટિપ્પણી કરતાં વિપક્ષના નેતા સુનીલ શર્મા અને ભાજપના વરિષ્ઠ નેતા અલ્તાફ ઠાકુરે કહ્યું હતું કે ઉમર અબ્દુલ્લા પોતાની “ડૂબતી નૌકાને” બચાવવાનો અંતિમ અને નિરાશાજનક પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં જ સૌને ખબર પડી જશે કે ઉમર અબદુલ્લાની સરકારનું અસ્તિત્વ ખતમ થયું છે.

તેમણે જણાવ્યું કે પાર્ટીના ઘણા ધારાસભ્યો ઉમર અબદુલ્લાથી નારાજ છે. તેમને મનાવવાના અગાઉના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ ત્રીજી જૂનની બેઠકનો હેતુ નારાજ ધારાસભ્યોને ફરીથી પોતાના પક્ષમાં લાવવાનો અને સરકાર બચાવવાનો છેલ્લો પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે ત્રીજી જૂન સુધી રાહ જુઓ અને જુઓ કે બેઠક પછી શું થાય છે.

ઘણા ધારાસભ્યો અસંતોષમાં છે – મુન્તઝિર મહદી

ભાજપના આ દાવાઓનો જવાબ આપતાં પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતા મુન્તઝિર મહદીએ સ્વીકાર્યું હતું કે નેશનલ કોન્ફરન્સના કેટલાક ધારાસભ્યો ખરેખર પાર્ટીથી નારાજ છે અને પાર્ટી છોડવા માગે છે. તેમણે તેનું કારણ આપતાં કહ્યું હતું કે ઉમર અબ્દુલ્લા જનતાએ આપેલા જનાદેશને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

ઉમર અબ્દુલ્લાહે શું કહ્યું?

વિપક્ષના નેતા સુનીલ શર્માના દાવાઓના જવાબમાં ઉમર અબ્દુલ્લાએ પોતાના X હેન્ડલ પર પોસ્ટ કરીને ભાજપ પર પ્રહાર કર્યો. તેમણે લખ્યું હતું કે મને એ જોઈને આનંદ થાય છે કે મેં મારા ધારાસભ્યો સાથે જે બેઠક બોલાવી છે તેના વિશે સૌથી ઓછું જાણનારા લોકો સૌથી વધુ વાતો કરી રહ્યા છે. એક વાત યાદ રાખજો—જે જાણે છે તે બોલતા નથી અને જે બોલે છે તે વિપક્ષમાં બેઠા હોય છે.

‘આજકલ તેરે મેરે પ્યાર કે…’ ગાનારા પીઢ ગાયિકા સુમન કલ્યાણપુર કોણ ?

સંગીતની દુનિયાનું જાણીતું નામ એવા પીઢ ગાયિકા સુમન કલ્યાણપુર (singer Suman Kalyanpur)એ હંમેશા માટે અલવિદા કહી દીધું છે. તેમનું આજે 89 વર્ષની વયે અવસાન થયું. જાણીએ કોણ હતી સંગીત ક્ષેત્રની આ હસ્તી?

પોતાના અવાજનો જાદુ ફેલાવનાર સુપ્રસિદ્ધ પ્લેબેક ગાયિકા સુમન કલ્યાણપુર (singer Suman Kalyanpur)નું આજે નિધન થયું. તેમણે 89 વર્ષની વયે મુંબઈ સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. તેઓ અગાઉ સુમન હેમદી નામથી ગીતો ગાયા હતા. જોકે, લગ્ન પછી તેમણે સુમન કલ્યાણપુર તરીકે પોતાની જાતને સ્થાપિત કરી અને ગીતોને અવાજ આપ્યો.

અવિભાજિત ભારતમાં જન્મ

સુમન કલ્યાણપુરનો જન્મ 28 જાન્યુઆરી, 1937 ના રોજ અવિભાજિત ભારત (હવે બાંગ્લાદેશ) ના ભવાનીપુરમાં થયો હતો. લગ્ન પહેલા તેમણે સુમન હેમડી નામથી ઘણા ગીતો ગાયા હતા. તેમણે મહાન કવિ જી.ડી. માડગુલકરના ગીત (ગદીમા) થી મરાઠી સંગીતમાં પ્રવેશ કર્યો હતો. તે મુખ્યત્વે હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતા હતા. તેમણે બંગાળી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, અંગિકા, ભોજપુરી, રાજસ્થાની, ઉડિયા અને પંજાબી સહિત અન્ય ઘણી ભાષાઓની ફિલ્મોના ગીતો ગાયા છે.

લતા મંગેશકરના સ્વર અને રચનામાં સમાનતા હોવાને કારણે, તેમના અવાજને ઘણીવાર લતા મંગેશકરનો અવાજ માનવામાં આવતો હતો. સુમન કલ્યાણપુરની કારકિર્દી 1954 માં શરૂ થઈ હતી, અને તે 1960 અને 1970 ના દાયકામાં એક લોકપ્રિય ગાયિકા બન્યા હતાં.

સુમન કલ્યાણપુર (singer Suman Kalyanpur)એ તેણીની સમગ્ર કારકિર્દીમાં 740 ગીતો ગાયા હતા, અને તેણી મોહમ્મદ રફી સાથે સૌથી વધુ યુગલગીતો ગાયા હોય તેવા ગાયકોમાંના એક છે. તેણીએ રફી સાથે 140 થી વધુ યુગલગીતો ગાયા હતા. તેણીનું સૌથી લોકપ્રિય ગીત “આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચા” છે, જે શમ્મી કપૂર અને મુમતાઝ પર ફિલ્માવવામાં આવ્યું હતું.

સુમન કલ્યાણપુરના કેટલાક શ્રેષ્ઠ ગીતો
કલ્યાણપુરે સંગીતકાર હેમંત કુમારના નિર્દેશનમાં લતા મંગેશકર સાથે “કભી આજ, કભી કલ, કભી પરસોં” યુગલગીત ગાયું હતું. તેણીએ કિશોર કુમાર, મોહમ્મદ રફી, મન્ના ડે, મુકેશ, તલત મહેમૂદ અને હેમંત કુમાર સાથે લોકપ્રિય યુગલ ગીતો પણ રેકોર્ડ કર્યા. રફી સાથેના તેના કેટલાક યાદગાર યુગલ ગીતોમાં “આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચા(aajkal tere mere pyar ke charche)”, “ના ના કરતે પ્યાર”, “તુમસે ઓ હસીના”, “રહે યા ના રહે”, “પરબત કે પેડોં પર શામ કા બસેરા હૈ”, “તુમને પુકારા ઔર હમ ચલે આયે”, “દિલ ને ફિર યાદ કિયા” અને “ચાંદ તાકતા હૈ ઈધર” સામેલ છે.

મન્ના ડે સાથે તેણીએ દત્તા રામના સંગીત નિર્દેશનમાં લોકપ્રિય યુગલગીત “ના જાને કહાં હમ થે” ગાયું હતું. તેણે મુકેશ સાથે ઘણા લોકપ્રિય યુગલ ગીતો ગાયા છે, જેમ કે ‘યે કિસને ગીત છેડા’, ‘અખિયોં કા નૂર હૈ તૂ’,’મેરા પ્યાર ભી તુ હૈ’, ‘દિલ ને ફિર યાદ કિયા’, ‘શમા સે કોઈ કહ દે’, વગેરે. નોંધનીય છે કે તેમણે અનેક લોકપ્રિય ગુજરાતી ગીતો પણ ગાયા છે. જેમાં ‘નૈને નૈન મળે જ્યાં છાના’, ‘આજ મારે સોનાનો સૂરજ’, ‘ઝૂલણ મોરલી…’ અને ‘મણિયારો’ જેવા ગીતોનો સમાવેશ થાય છે.

પદ્મ ભૂષણ સન્માનિત
સુમન કલ્યાણપુરે માત્ર હિન્દીમાં નહીં પરંતુ મરાઠી, ગુજરાતી અને બંગાળીમાં પણ ગીતો ગાયા હતા. સંગીતમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમને 2023 માં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમની વધતી ઉંમરને કારણે, તેઓ કેટલાક સમયથી કલાની દુનિયાથી દૂર હતા. તેમના નિધનના સમાચાર મળતાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગ અને લાખો સંગીત પ્રેમીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મેમાં UPI ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડઃ ટ્રાન્ઝેક્શન વેલ્યુ રૂ. 29 લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ મે મહિનામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા થતા ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને મૂલ્ય બંનેએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ દરમિયાન કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ત્રણ ટકા વધીને રૂ. 29.90 લાખ કરોડ સુધી પહોંચી, જ્યારે એપ્રિલમાં તે રૂ. 29.03 લાખ કરોડ હતી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના આંકડા મુજબ મે મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ ચાર ટકા વધીને 23.20 અબજ થઈ ગઈ હતી, જે એપ્રિલમાં 22.35 અબજ હતી. એપ્રિલ, 2016માં UPIની શરૂઆત બાદ આ અત્યાર સુધીની સૌથી વધુ ટ્રાન્ઝેક્શન સંખ્યા અને વેલ્યુ છે.

કેશફ્રી પેમેન્ટ્સના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) આકાશ સિંહાએ જણાવ્યું હતું કે ખરી વાત માળખાકીય પરિવર્તનની છે. RBIની પેમેન્ટ સિસ્ટમ રિપોર્ટ મુજબ UPIનું સરેરાશ ટિકિટ સાઇઝ 2021માં રૂ. 1848 હતું, જે 2025માં ઘટીને રૂ. 1313 થયું છે. આ ચિંતાનો વિષય નથી, પરંતુ વધુ પરિપક્વ બની રહેલા ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનું સૂચક છે.

UPI ટ્રાન્ઝેક્શનમાં મે મહિનાની આ વૃદ્ધિ એવા સમયે નોંધવામાં આવી છે, જ્યારે એપ્રિલમાં ટ્રાન્ઝેક્શન સંખ્યા 1.3 ટકા અને મૂલ્ય 1.7 ટકા ઘટ્યું હતું. તેનું મુખ્ય કારણ એપ્રિલમાં ઓછા દિવસો હોવું હતું. માર્ચમાં નાણાકીય વર્ષના અંતને કારણે ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ તુલનાત્મક રીતે વધુ રહ્યું હતું. મે મહિનામાં દૈનિક UPI ટ્રાન્ઝેક્શન વધીને 74.8 કરોડ થયું, જ્યારે એપ્રિલમાં તે 74.5 કરોડ હતું. આકાશ સિંહાએ વધુમાં જણાવ્યું કે ઊંચા મૂલ્યના ટ્રાન્ઝેક્શન હવે ઝડપથી ક્રેડિટ કાર્ડ મારફતે થઈ રહ્યા છે. ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 2021ના રૂ. 8.9 લાખ કરોડથી વધીને 2025માં રૂ. 23.2 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, UPI ભારતની દૈનિક અર્થતંત્રનું મુખ્ય ચુકવણીનું માધ્યમ બની ગયું છે, જેમાં સ્થાનિક વેપારીઓને ચુકવણી, પરિવહન અને ક્વિક કોમર્સ જેવા વ્યવહારોનો સમાવેશ થાય છે.

IMPS ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો

ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS)ના ટ્રાન્ઝેક્શનની સંખ્યા મે મહિનામાં થોડો ઘટાડો થઈને 35.8 કરોડ રહી, જ્યારે એપ્રિલમાં તે 36.2 કરોડ હતી. મૂલ્યના હિસાબે પણ તે રૂ. 7.01 લાખ કરોડથી ઘટીને રૂ. 6.96 લાખ કરોડ રહ્યું હતું. IMPSના દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા એપ્રિલના 1.208 કરોડથી ઘટીને મેમાં 1.155 કરોડ થઈ ગઈ.

વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ‘કારકિર્દીનાં ઉંબરે’ પુસ્તકની ૨૧મી આવૃત્તિનું વિમોચન

અમદાવાદ: ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી એવા કારકિર્દી માર્ગદર્શન પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ની ૨૧મી આવૃત્તિનું તાજેતરમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું. શિક્ષણ ક્ષેત્રે ૩૦ વર્ષથી સક્રિય પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગીઓ દ્વારા સતત ૨૧મા વર્ષે આ પુસ્તક પ્રસિદ્ધ કરાયું છે.અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આ પુસ્તક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નેતાઓએ આ અવિરત સેવાયાત્રાને બિરદાવી શિક્ષણના વ્યાપારીકરણ સામે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકને આશીર્વાદરૂપ ગણાવ્યું હતું.

પુસ્તકની મુખ્ય વિશેષતાઓ

  • દ્વિભાષી માહિતી: વિદ્યાર્થીઓની સરળતા માટે તમામ વિગતો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.

  • ૩૦૦થી વધુ કોર્ષ: આર્ટસ, કોમર્સ અને સાયન્સ પ્રવાહમાં ધોરણ ૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ ૩૦૦થી વધુ અભ્યાસક્રમો અને જરૂરી કૌશલ્યો (Skills) ની માહિતી.

  • પ્રવેશ પરીક્ષાઓ: રાષ્ટ્રીય સંસ્થાઓની વિગતો સાથે ૪૦થી વધુ પ્રવેશ પરીક્ષાઓ (Entrance Exams) નું માર્ગદર્શન.

  • એક જ જગ્યાએ બધી વિગતો: રાજ્યની કોલેજો, ઉપલબ્ધ બેઠકો, સરકારી સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) અને એજ્યુકેશન લોન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા.નિઃશુલ્ક ડાઉનલોડ: કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા બે દાયકાથી પૂરા પાડવામાં આવતા આ નિઃશુલ્ક માર્ગદર્શનનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પુસ્તકને www.incgujarat.com અને www.careerpath.info વેબસાઇટ પરથી મફત ડાઉનલોડ કરી શકશે.