Home Blog Page 290

અમદાવાદ અને નોઈડાની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ફરી એકવાર શાળાઓને બોમ્બ ધમકીઓ મળી છે. અમદાવાદમાં અને દિલ્હી નજીક નોઈડામાં ઘણી શાળાઓને આજે ઈમેલ દ્વારા ધમકીઓ મળી હતી. માહિતી મળતાં જ તાત્કાલિક હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.


અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલી ઘણી શાળાઓને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકીઓ મળી છે. આ માહિતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા આપવામાં આવી હતી. સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, વસ્ત્રાપુર સ્વયંમ સ્કૂલ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા અને ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે. ધમકીઓ બાદ, ક્રાઈમ બ્રાન્ચની બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગ તપાસ કરી રહ્યું છે.

નોઈડાની કેટલીક ખાનગી શાળાઓને પણ ઈમેલ દ્વારા ધમકીઓ મળી છે, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો છે. આ ગંભીર ઘટના બાદ, સ્થાનિક પોલીસ વહીવટીતંત્રે ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરી. વિવિધ પોલીસ સ્ટેશનોના પોલીસ દળો, બોમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ અને BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) ટીમોને તાત્કાલિક અસરગ્રસ્ત શાળાઓમાં મોકલવામાં આવી હતી. આ ખાસ ટીમો કોઈપણ સંભવિત ખતરાને શોધી કાઢવા અને તેને નિષ્ક્રિય કરવા માટે શાળા પરિસરમાં સઘન તપાસ કરી રહી છે.

ધમકી બાદ પોલીસ તપાસ ચાલુ છે

ધમકીના ઈમેલની ટેકનિકલ તપાસ કરવા માટે સાયબર સેલ ટીમને પણ સંપૂર્ણપણે સક્રિય કરવામાં આવી છે. ટીમ ઈમેલના સ્ત્રોતને શોધવા, મોકલનારને ઓળખવા અને તેની પાછળનો હેતુ સમજવાનો પ્રયાસ કરી રહી છે. આ ટેકનિકલ તપાસ એ નક્કી કરવામાં મદદ કરશે કે આ ખરેખર ધમકી છે કે ફક્ત અફવાઓ ફેલાવવાનો પ્રયાસ છે. પોલીસ તમામ સંભવિત ખૂણાઓથી તપાસ કરી રહી છે અને કોઈપણ ભૂલ ટાળવા માટે કટિબદ્ધ છે.

અફવાઓ પર ધ્યાન ન આપો

અધિકારીઓએ જનતાને ખાતરી આપી છે કે પરિસ્થિતિ હાલમાં સંપૂર્ણપણે સામાન્ય છે. જે વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યાં સંપૂર્ણ શાંતિ અને સુલેહ-શાંતિ પ્રવર્તે છે. કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવાની કડક અપીલ કરવામાં આવી છે. પોલીસ વહીવટીતંત્રે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આવી ઘટનાઓને પહોંચી વળવા માટે સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

 

નિસર્ગક્ષેત્ર… ભવ્ય.. દિવ્ય.. અતિભવ્ય..

‘એન્ટાર્કટિકા ઈઝ એલ્ટિમેટ!’ ગયા વર્ષની ગ્રીનલેન્ડ ટુરમાં અમારા પર્યટક સતીશ કુમાર સિંહાએ ઓપિનિયન નોંધાવ્યું. તેની પર મુંબઈના કાલાથી સિવાપ્રકાસમે કહ્યું, ‘તમે જ્યારે ટ્રાવેલ કરો છો ત્યારે આવી તુલના નહીં કરો. દરેક માણસ અલગ છે તેમ દરેક પર્યટન સ્થળ. જે સમયે જ્યાં છો ત્યાંની મજા લો.’ આ અમારા બંને માનવંતા પર્યટક આ વર્ષે તેમણે જોયેલા દેશોની સદી પાર કરવાના છે. હમણાં સુધી તેમણે સાતેય ખંડ જોઈ લીધા છે અને જ્યાં જ્યાં અમે ટુર્સ લઈને જઈએ ત્યાં સર્વ ટુર્સ તેમણે કરી છે. આવા `પર્યટન થકી સો દેશોની મુલાકાત લેનારા’ અમારા અનેક પર્યટકો માટે અમે નવા નવા દેશોની ટુર્સ અમારા ટ્રાવેલ પોર્ટફોલિયોમાં વધારીએ છીએ, કારણ કે પર્યટકોને `સો દેશ પૂર્ણ કરો’ એવું કહેતી વખતે તે સો દેશ અમારી ટુર્સમાં હોવા જોઈએ ને.

વારુ, તે આજનો વિષય નથી, પરંતુ જનરલી પર્યટકોને પ્રથમ પેટાગોનિયા, પછી ગ્રીનલેન્ડ અને તે પછી એન્ટાર્કટિકા કરવું એવી એક સલાહ મને ઉપરોક્ત સંવાદમાંથી મળી છે. ગ્રીનલેન્ડ, પેટાગોનિયા, ફિયોર્ડસ અને ત્યાંના અતિભવ્ય ગ્લેશિયર્સ જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય છે તે નિશ્ચિત છે. અલાસ્કાના ગ્લેશિયર્સની બાબતમાં પણ તે જ સ્થિતિ છે. જ્યારે જ્યારે ત્યાં ગયાં ત્યારે નિસર્ગનું તે અતિસુંદર, અતિભવ્ય અને પ્રિસ્ટીન, પવિત્ર રૂપ જોઈને આંખો અંજાઈ અને થાકી પણ ગઈ હતી. તે સમયે જણાયું કે આ પૃથ્વી સામે આપણે કેટલા નાના અને આપણી ચિંતા કેટલી નજીવી છે.

ટુર મેનેજર તરીકે બહુ અગાઉ હું હિમાચલ પ્રદેશ, એટલે કે, કુલુ મનાલીની ટુર્સ કરતી હતી. તે સમયથી આજ સુધી એક આદત પડી તે એ કે જ્યારે સમય મળે ત્યારે બરફાચ્છાદિત પહાડો તરફ ટીકીને જોતાં રહેવાનું. નિસર્ગની તે મહાકાય નિર્મિતી આંખોમાં સંગ્રહવાની, મનમાં ઉતારવાની અને વિચારોમાં સમાવી લેવાની. ટુર પર હોઈએ ત્યારે પર્યટકો સાથે બહુ ગપ્પાં થાય છે. આજકાલ ઘણી વાર ટુર પર જવાનો અમારો તે પણ હેતુ હોય છે. આવી જ એક ટુરમાં એક પર્યટક મળ્યા. તેમને પ્રવાસ બહુ ગમે છે. તે સમય સુધી તેમણે માનસરોવરની ત્રણ ફેરી કરી હતી. અમે હજુ એક વાર પણ જઈ શક્યાં નથી. આથી ત્રણ વાર માનસરોવર કરેલા તે પર્યટકોને સાક્ષાત દંડવત કરવાનું મન થયું અને મને ખાતરી છે કે હમણાં સુધી તેમણે પાંચ- છ વાર કૈલાસ માનસરોવરની યાત્રા કરી હશે. તેમને પૂછ્યું, “આટલું શું તમને આકર્ષિક કરે છે? ભક્તિભાવ, શંકર ભગવાન પ્રત્યે પ્રેમ, પોતાની ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ કે વધુ કશું?’ તેનો ઉત્તર મને હજુ પણ યાદ છે. `પહેલી વાર જ્યારે હું કૈલાસ માનસરોવરમાં એક મિશન તરીકે ગયો હતો. મુશ્કેલ દુર્ગમ દેવસ્થાનોની મુલાકાત લેવી તે મારું મિશન. આથી પહેલી યાત્રા થઈ. ત્યાં જવાનું એટલે મનની અને શરીરની પૂર્ણ તૈયારી હોવી જોઈએ.

ક્યાંય પણ કોઈ પણ સ્થિતિમાં રહેવું પડી શકે, ટોઈલેટ ફેસિલિટીઝનો અભાવ. ક્યારેક રસ્તા બંધ તો ક્યારેક રિસ્ટ્રિક્ટે્રડ મુવમેન્ટ, બધી બાબતો માટે તૈયાર રહેવાનું. જોકે એક વાર તે મુશ્કેલ પ્રવાસ પાર પડે એટલે જે અનુભૂતિ મળે છે તે માનસરોવરમાં પહોંચ્યા પછી અને કૈલાસની પ્રદક્ષિણા પૂરી કર્યા પછી, સર્વ મહેનત ચુટકી વગાડતાં ભુલાઈ જવાય છે. `આ માટે જ તો કર્યું હતું સાહસ’ શબ્દ આપોઆપ મોઢામાંથી નીકળી આવે છે અને નિસર્ગની તે આંખો આંજી દેતી અતિભવ્યતા તરફ જોઈને આપણો અહંકાર ક્યાંયનો ક્યાંય પલાયન થઈ જાય છે. હિમાલયનું તે રૂપ આપણને પરિપૂર્ણતાનું ભાન કરાવે છે. આપણે કેટલા સૂક્ષ્મ અને નગણ્ય છીએ તે આપણને કહેતો હોય છે. અને મારો અભિમાન, ગર્વ, હઠ, ઘમંડ, જીદ બધું જ નહિવત બની જાય છે. અને આ નહિવત થવા માટે મને જમીન પર લાવવા હું પાંચ વર્ષથી એક વાર કૈલાસની યાત્રા કરું છું.’ સાચું જ છે, નિસર્ગ આપણા `હું’પણાને એકાદ ચપરાક મારે તે રીતે તેની જગ્યા બતાવી દે છે. તેનો અનુભવ મેં એન્ટાર્કટિકામાં જતી વખતે લીધો. `મને જીવનમાં બોટમાં ક્યારેય તકલીફ થઈ નથી તે જ રીતે હમણાં પણ નહીં થશે’ એવું એન્ટાર્કટિકાની ક્રુઝ પરના ડોક્ટરને કહ્યું અને મેં ડ્રેક પેસેજ સાથે ચેલેન્જ લીધી. તેમની સલાહ અવગણીને સી સિકનેસ ટેબ્લેટ લીધી નહીં. મારો આ અભિમાન ડેક પેસેજના આરંભમાં જ તૂટી ગયો. એટલે કે, તેનો રીતસર ધબડકો બોલાઈ ગયો. હું એકદમ નાસીપાસ થઈ ગઈ. જાણે તે ડ્રેક પેસેજ મને કહેતો હતો, `મારી સાથે- નિસર્ગ સાથે પંગો લેવાનો નહીં, મારી સામે રુઆબ કરવાનો નહીં, સમજ્યાં?’ તે પછી આજ સુધી કોઈ પણ ક્રુઝ પર, બોટ પર જાઉં ત્યારે ત્યાંના ડોક્ટરોને ધ્યાનથી સાંભળું છું, કારણ કે તે ડ્રેક પેસેજ મારી પાસે આંખો મોટી કરીને જોતો હોય છે ને!

નિસર્ગને ચેલેન્જ આપતી વખતે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે પૃથ્વી પર ત્રણચતુર્થાંશ પાણી અને એક ચતુર્થાંશ જમીન છે. આથી આપણી પહોંચ ઝાંપા સુધી જ. એકલા એન્ટાર્કટિકાનો બરફ પીગળે તો પણ આપણા પૃથ્વી પરના પાણીનો સ્તર અઠ્ઠાવન મીટર્સ સુધી વધી શકે છે. આ એકદમ હાલમાં જ બનવાનું નથી, પરંતુ આપણે નિસર્ગ પર આઘાત ચાલુ જ રાખ્યો તો તે પ્રકોપ સેંકડો વર્ષ પછી સર્જાઈ શકે છે એવું વૈજ્ઞાનિકોએ અગાઉથી કહી રાખ્યું છે અને તેથી જ નિસર્ગ પ્રત્યે નમ્ર થવાની જરૂર છે. ભગવાનને આપણે જોયા નથી પરંતુ નિસર્ગ કરતાં ભગવાન અલગ હશે એવું લાગતું નથી. ભગવાનની જેમ જ સ્થિતપ્રજ્ઞની જેમ તે બિલકુલ અવાજ નહીં કરતાં આપણને નિહાળતો હોય છે. સમય આવે ત્યારે તે ચપરાક મારે છે, ક્યારેક પ્રકોપ બતાવે છે, ક્યારેક ફટકારે છે, પરંતુ માર્ગ બતાવે છે. આગળ ચાલતા રહો, હું છું તમારી પડખે એવું કહેતો હોય છે.

હમણાં સુધી મેં અનેક ઠેકાણે ગ્લેશિયર્સ જોયાં છે. એન્ડીઝ પર્વતોમાં પેટાગોનિયા રીજનમાંનું પેરિતો મોરેનો, આઈસલેન્ડમાંનું વાતનાયોકુત્લ, ન્યૂ ઝીલેન્ડમાંનું ફોક્સ ગ્લેશિયર, અલાસ્કામાં હબ્બર્ડ ગ્લેશિયર, એન્ટાર્કટિકામાં અનેક ગ્લેશિયર્સમાંથી એક પેયટો ગ્લેશિયર, કેનેડા અલબર્ટામાંનું આથાબસ્કા અથવા પેયટો ગ્લેશિયર તેમ જ કેનેડા બ્રિટિશ કોલંબિયામાંનું ઈલેસિલવટ ગ્લેશિયર, ચાયના હલુઓગૉવ અથવા મિંગયોંગ (આ બંને મારે હજુ પણ જોવાના બાકી છે) અને ખુદ આપણા ભારતના ઉત્તરાખંડમાંનું ગંગોત્રી ગ્લેશિયર, લાહૌલ સ્પિતી હિમાચલ પ્રદેશમાં બારા શિગ્રી ગ્લેશિયરમાંથી દરેક ગ્લેશિયરની પહેલી મુલાકાત અથવા પહેલાં દર્શન સુંદર, અપ્રતિમ લાગે છે, થોડું શાંત થઈને તેની તરફ જોતા રહીએ તો તેની ભવ્યતા જણાય છે અને વધુ થોડો સમય જોતા રહીએ તો તેની અતિભવ્યતા આગળ નતમસ્તક થઈ જઈએ. મન શાંત થાય છે. ક્યારેક ક્યારેક મનમાંના વિચારોની ગિરદી ઓછી થવા લાગે છે અને ક્યાંક હવે પોતાનો અવાજ સંભળાય છે. એકાંત અને એકાગ્રતા આ બંનેનો અનુભવ આપણે લઈએ છીએ. નિસર્ગના સાંનિધ્યમાં મને ધીમે ધીમે આ બાબતો જ્ઞાત થતી ગઈ અને પછી મેં નિસર્ગના આવા ચમત્કારની સામે સમય કાઢીને પગની ઘડી કરીને આંખો આખી ખુલ્લી રાખીને બેસવા લાગી, પ્રાર્થના કરવા લાગી, પોતાને જાણી લેવા લાગી અને તેનું હકારાત્મક પરિણામ મને દેખાવા લાગ્યું. મારા વિચારોમાં, આચારોમાં અને દ્રષ્ટિકોણમાં મને ફરક જણાવા લાગ્યો. મારું વિશ્વ વ્યાપક બન્યું, કારણ કે આ ઠેકાણાં ફક્ત પર્યટન સ્થળો નથી, પરંતુ તે જાણે આત્મશાંતિની પ્રયોગશાળા છે.

આપણી સંસ્કૃતિ કહે છે, વર્ષોમાં એક વાર તીર્થયાત્રા કરવી. તીર્થક્ષેત્ર એટલે ભગવાન સાથે મુલાકાત. જોકે આજે ભગવાન પણ થોડો ડિજિટલ થયો હોય તેવું લાગે છે. દિવસભર કોઈક ને કોઈક સ્ક્રીન સામે આપણે એકદમ નતમસ્તક થઈએ છીએ અને તે પછી વ્યાધીઓને આપણે આમંત્રિત કરીએ છીએ. આથી હવે જરૂર છે એક નવા પ્રકારની યાત્રાની. નિસર્ગયાત્રાની, નિસર્ગ ક્ષેત્રની, જ્યાં દોડધામ નહીં હોય, જ્યાં અવાજ નહીં હોય, જ્યાં ઘોંઘાટ, શોરબકોર નહીં હોય. નો નેટવર્ક, નો અપડેટ્સ. ગપ્પા ફક્ત પવન સાથે, પાણી સાથે, ઝાડ સાથે, બરફ સાથે… પવન કહેશે, `વચ્ચે વચ્ચે થોભ, પણ થાકતો નહીં.’ પાણી સૂચવશે, `થોભ્યા વિના સતત વહેતો રહે, પણ અવાજ નહીં કર.’ ઝાડ કહેશે, `વચ્ચે વચ્ચે પાન ખરશે, પણ ગભરાશો નહીં, વસંત પરત આવશે, તું ફરી ખીલશે.’ બરફનું ભવ્ય ગ્લેશિયર સ્થિરતાનું અને શાંતિનું પ્રતીક બનીને આપણને સંદેશ આપશે, `શાંત રહો, શાંત દેખાઓ પણ ભીતરનો પ્રવાહ જીવંત રાખો, ભીતરનું તેજ ટકાવી રાખો.’

તીર્થક્ષેત્ર આપણને ભગવાન સાથે જોડે છે. નિસર્ગક્ષેત્ર આપણને પોતાની નવી ઓળખ કરાવી આપે છે. ઋષિમુનિઓએ આ જ આપણને બતાવી દીધું છે. વાલ્મિકીએ વનમાં રામાયણ લખ્યું. વ્યાસને પર્વતમાળાઓમાં મહાભારત સૂઝ્યું. ગૌતમ બુદ્ધે બોધિવૃક્ષ નીચે મૌનમાં જ્ઞાન મેળવ્યું… આવા એકદમ હાલના પણ અનેક દાખલા છે. બિલ ગેટ્સ `થિંક વીક’નું પાલન કરે છે. પોતાને દુનિયાથી તોડે છે. નો મિટિંગ્સ, નો ઈમેઈલ્સ, જંગલની કેબિનમાં આઠ દિવસ. ફક્ત પુસ્તકો, વિચાર અને નિસર્ગ. તે શાંતિમાંથી જ કદાચ અનેક નવી નવી કલ્પનાઓ જન્મી હશે. સ્ટીવ જોબ્ઝે `ઝેન સાયલેન્સ’ જાપાની પદ્ધતિ અંગીકાર કરી, સાદગીનો પ્રણ લીધો, શોરબકોરથી મુક્તિ મેળવીને પોતાની અંદર શાંતિ પ્રસ્થાપિત કરી અને આયફોન જન્મ્યો. આપણે ત્યાં વિપશ્ચના ઈન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર્સ પણ દસ દિવસનું મૌન શીખવે છે. ફોન નહીં, પુસ્તકો નહીં, સંવાદ નહીં, ફક્ત વાસ, નિસર્ગ અને પોતાનું નિરીક્ષણ, પરીક્ષણ, આત્મચિંતન. ભૂતાન, જાપાન જેવા દેશ અગાઉથી જ નિસર્ગક્ષેત્રનું મહત્ત્વ જાણે છે. શાંતિ અથવા `સાઉન્ડ ઓફ સાઈલેન્સ’ તેમની જીવનશૈલીનો ભાગ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધન અનુસાર `શાંત વાતાવરણમાં ક્રિયેટિવિટી 60% અને એકાગ્રતા 45% વધે છે.’ તેમના મતે `શાંતિ’ એક અતિ ઉપયોગી ઔષધ છે.

થોડા મહિના પૂર્વ કરેલા સાઉથ અમેરિકા પેટાગોનિયા ફિયોર્ડસના પ્રવાસમાં મેં નક્કી કર્યું કે મારા દર વર્ષના પ્રવાસમાં એક નિસર્ગક્ષેત્ર ચોક્કસ પૂરું કરીશ. એકાદ માઉન્ટન, એકાદ શાંત સમુદ્રકિનારો, એકાદ ગ્લેશિયર, રણ, એકાદ નદી અથવા એક જંગલ શાંત થવા માટે પૂરતું છે. જોકે ત્યાં થોભવાનું, વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. આપણને લાગશે કે તે થોભવું એટલે પાછળ પડવું, પરંતુ તે તેવું નથી હોતું. તે હોય છે ઝડપથી આગળ જવાની તૈયારી. નિસર્ગમાં ગયા પછી સમજાય છે, ઘોંઘાટ, શોરબકોર ધરાવતી દુનિયાનો ઉત્તર છે નિસર્ગ તરફથી મળેલી અવિચલ શાંતિ! આથી જ તમે અમે બધાએ જ વર્ષોમાં એક વાર તો પોતાને માટે સમય કાઢવો જોઈએ. એવા ઠેકાણે જઈએ જ્યાં નેટવર્ક નહીં હોય, પરંતુ પોતાની સાથે કનેક્ટ થઈ શકાય, જ્યાં અવાજ નહીં હોય પણ સંવાદ ઘડાશે, જ્યાં ભગવાન નહીં હોય પણ નિસર્ગના રૂપમાં દિવ્યત્વનું ભાન થશે. ભવ્યતામાં નમ્રતા, દિવ્યતામાં શાંતિ અને અતિભવ્યતામાં આપણું સૂક્ષ્મ અસ્તિત્વ ફરી શોધવા માટે લેટ્સ ગો બેક ટુ ધ નેચર.

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

ઇંદોર બાદ હવે મહુમાં દૂષિત પાણીનો કહેરઃ બે ડઝન લોકો બીમાર

મહુઃ ઇંદોરમાં દૂષિત પાણીથી થતી મોતની ગૂંજ હજી શમી પણ નહોતી કે હવે જિલ્લામાં આવેલા મહુમાંથી પણ ગંભીર સ્થિતિ સામે આવી છે. અહીં ગંદું પાણી પીવાથી કમળા જેવા ચેપ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને સૌથી વધુ અસર બાળકો પર જોવા મળી રહી છે. મહુના પટ્ટી બજાર અને મોતી મહેલ વિસ્તારમાં છેલ્લા 10થી 15 દિવસમાં અંદાજે બે ડઝન લોકો બીમાર થયા છે.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે નળમાંથી આવતું પાણી દૂષિત છે અને તેમાં તીવ્ર દુર્ગંધ છે. આ પાણી પીધા બાદ લોકોની તબિયત બગડવા લાગી છે. અનેક ઘરોમાં એકસાથે બાળકો બીમાર પડી ગયાં છે. ક્યાંક શાળાએ જતાં બાળકો પથારીવશ થઈ ગયાં છે તો ક્યાંક બાળકો પરીક્ષાઓ ચૂકી રહ્યાં છે. 12મા ધોરણની વિદ્યાર્થિની અલીના ચેપને કારણે પ્રી-બોર્ડ પરીક્ષા આપી શકી નથી, જ્યારે નવ વર્ષની લક્ષિતા અને 12 વર્ષનો ગીતાંશ કમળાથી પીડાઈ રહ્યા છે. એક જ પરિવારનાં છ બાળકો ઘણા દિવસોથી બીમાર છે.

 નાનાં બાળકો હોસ્પિટલમાં દાખલ

મોતી મહેલ વિસ્તારમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. નાનાં બાળકોની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં છે, જ્યારે એક વૃદ્ધને લિવર ઇન્ફેક્શનને કારણે ઇંદોર રિફર કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે તેઓ લાંબા સમયથી દૂષિત પાણી અંગે ફરિયાદો કરી રહ્યા હતા, પરંતુ સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. રહેવાસીઓના જણાવ્યાનુસાર પીવાના પાણીની પાઇપલાઇન ગંદા નાળાઓ વચ્ચેથી પસાર થાય છે અને અનેક જગ્યાએ લીકેજ હોવાને કારણે નાળાનું પાણી સપ્લાય લાઇનમાં મળી જાય છે. પરિણામે ઘરો સુધી દૂષિત પાણી પહોંચે છે.

વિધાનસભ્ય પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા

ગયા ગુરુવાર રાત્રે વિસ્તારનાં વિધાનસભ્ય ઉષા ઠાકુર પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યાં હતાં. તેમણે બીમાર બાળકો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી પરિસ્થિતિનો અહેવાલ લીધો અને અધિકારીઓને તાત્કાલિક સારવાર, દવાઓની ઉપલબ્ધતા, દૂષિત પાણીની સપ્લાય બંધ કરવા અને વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. એ સાથે જ પાઇપલાઇનની ટેક્નિકલ તપાસ કરીને કાયમી ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૩ જાન્યુઆરી ૨૦૨૬

ધર્મ કે ધાડ? વાસ્તુના નામે ચાલતી કેટલીક ગેરસમજ

જે પોષતું તે મારતું. જેને પામવા માણસ પ્રયાસ કરે છે એના વિશેની અણસમજ અથવાતો ગેરસમજ માણસને મૃત્યુતુલ્ય તકલીફ આપે ત્યારે એને વિમાસણ થાય છે કે મેં તો યોગ્ય જ કર્યું હતું તો પછી મારી સાથે આવું શા માટે થયું? આજે આપણે ભારતીય વાસ્તુમાં ચાલતી કેટલીક ગેરસમજ વિશે વાત કરીશું કે જેના વિષે ઘણો પ્રચાર પ્રસાર થયો છે પણ એના પરિણામો નકારાત્મક આવે છે. મોટા ભાગે મંદિરના મહારાજ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે એવી ગેરમાન્યતામાં આપણે રચતા હોઈએ છીએ. તેથી જ એ સર્વજ્ઞાની હશે એવું માનીને એમણે કહેલી બધી જ વાત આપણે માની લઈએ છીએ. જે સાચું નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: તમારા લેખમાં વાસ્તુ ઉપરાંત ઘણીબધી જીવનલક્ષી વાતો હોય છે. પણ એક વાતનો ઉલ્લેખ ઓછો થયો છે કે ખરેખર વાસ્તુનિયમો કોને કહેવાય. અમે એક જાણીતા મંદિરે ગયા હતા. ત્યાંના મહારાજે દરરોજ કબૂતરને જાર નાખવાનું કહ્યું હતું. એના લીધે વાસ્તુદોષ દૂર થશે એવી સમજણ પણ આપી. મારા પત્નીને ફેફસામાં તકલીફ થઈ અને ડોક્ટરને બતાવ્યું ત્યારે એમણે સમજાવ્યું કે આ રોગનો કોઈ સચોટ ઈલાજ નથી અને તમારા ઘરની આસપાસ રહેતા કબુતરોના સંપર્કમાં આવવાથી આવું થાય. આ તો ધર્મ કરતા ધાડ પડી. સાચી વાત તમે જ સમજાવી શકશો.

જવાબ: ભારતીય વાસ્તુનિયમ મુજબ આવી કોઈ વાત નથી. વળી કબૂતરને ઈશ્વરે પાંખો આપી છે. એ આખા જંગલો ફેંદીને દૂત તરીકે પણ જતું હતું. એની દયા ખાઈને એને જાર આપનારા આપણે કોણ છીએ? કોઈને સતત મદદ કરીને આપણે પાંગળા કરી દઈએ છીએ. ભારતમાં આવી પ્રવૃત્તિનો નિષેધ છે. જરૂર હોય ત્યારે મદદ કરવી જોઈએ, કોઈને કામ અપાવવું જોઈએ, પણ એને પાંગળા બનાવવું એ પણ પાપ ગણાય. વિજ્ઞાનને સમજ્યા વિના માત્ર કોઈ મહારાજના કહેવાથી તમે નિર્ણય લીધો, એ બરાબર નથી કહેવાય. તમારે હીરો ખરીદવો હોય તો તમે કુભારને પૂછશો કે ઝવેરીને? જેની યોગ્યતા છે એની જ સલાહ લેવી જરૂરી છે. ભારતીય વાસ્તુ માટે આવી લાખો રીલ્સ પોપ્યુલર થઈ છે, જેનો કોઈ આધાર જ નથી. ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’ જેવી બાબત છે. કબૂતરને ઘરની આસપાસ ન આવવા દેવા જોઈએ. એને નકારાત્મક માનવામાં આવે છે.

સવાલ: હું એક બિલ્ડર છું. અમારા મહારાજે સમજાવ્યું હતું કે તમે કોઈ પણ ખોટું કામ કરીને પૈસા કમાવો, એનો દસમો ભાગ મંદિરમાં આપો એટલે તમારા પાપ પુણ્યમાં પરિવર્તિત થઈ જાય. આ વાત મેં મારા એક કન્સલ્ટન્ટને કહી તો એણે આ વાતનું ખંડન કર્યું. મેં ગુસ્સામાં એની ફી ન આપી અને એને આપવાના પૈસાનો દસમો ભાગ અમારા મહારાજને આપી દીધો. ત્યાર બાદ સતત ખોટ ચાલી રહી છે. તો હકીકતમાં સાચું શું હોય?

જવાબ: તમે જાતે અનુભવ કર્યો છે તો પણ તમે સવાલ પૂછો છો? કોઈને દુઃખી કરીને સુખી ન થવાય. આપણે લખાણ વિના પણ કોઈને ફી આપવાનું કહીએ છીએ ત્યારે કુદરતની હાજરીમાં એ કોન્ટ્રાક્ટ ગણાય છે. તમારા તો ગુરુ પણ અજ્ઞાની છે, જે તમને કોઈનું ખોટું કરીને એમને પોતાને સુખી રાખવાની સલાહ આપે છે. તમે જે તે વ્યક્તિને એના હકના પૈસા આપી દો. તમને નિયમો જાતે જ સમજાઈ જશે. પાપ ધોવાની કોઈ વાત ભારતીય પ્રણાલીમાં નથી.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

Chitralekha Gujarati – 02 February, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 23/01/2026

મુંબઈ: અંધેરી ખાતે `સંવેદનનો સ્નૅપશોટ’ નામે ડાયસ્પોરા કવિ સંમેલન યોજાશે

વિવિધ સાહિત્યિક કાર્યક્રમો દ્વારા કળા, સંસ્કૃતિ અને સાહિત્યને આગળ ધપાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. મુંબઈમાં આવા સાહિત્યક કાર્યક્રમોનું આયોજન થતું રહેતું હોય છે. ત્યારે અંધેરી ખાતે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા ગુજરાતી લૉટરી એકેડમી ઑફ નૉર્થ અમેરિકા અને ટહુકો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, નંદિતા ઠાકોર અને મોના નાયક

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી દ્વારા ગુજરાતી લૉટરી એકેડમી ઑફ નૉર્થ અમેરિકા અને ટહુકો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કાંતિ મડિયા – સુરેશ દલાલ પ્રેરિત કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરી, શુક્રવારે સાંજે 6:30 વાગ્યે યોજાશે. એસ. પી. જૈન ઑડિટોરિયમ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (પશ્ચિમ) ખાતે`સંવેદનનો સ્નૅપશોટ’ શીર્ષક હેઠળ આયોજિત કાર્યક્રમ અનેક રીતે રસપ્રદ રહેશે.

ગીની માલવિયા

ડૉ.દિગેશ ચોક્સી, ઉદયન ઠક્કર, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોશી

આ કાર્યક્રમમાં અમેરિકામાં વસતા અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, નંદિતા ઠાકોર અને મોના નાયક કાવ્યપઠન કરશે. અમેરિકાની અકાદમી વતી ગીની માલવિયા તથા ઓરલેન્ડોની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય ડૉ.દિગેશ ચોક્સી પ્રાસંગિક વક્તવ્ય આપશે. ડાયસ્પોરા કવિતા વિશે ઉદયન ઠક્કર વાત કરશે અને સૉનેટનું ગાન સ્નેહલ મુઝુમદાર કરશે. કાર્યક્રમનું સંકલન હિતેન આનંદપરા અને સંચાલન મુકેશ જોશીનું છે.

ICCની ચેતવણી છતાં બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં સાત ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ટીમ ભારતમાં રમશે નહીં, એટલે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે. જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને હજુ પણ આશા છે કે ICC પોતાનો નિર્ણય બદલી શકે અને બાંગ્લાદેશની વાજબી માગ સાથે ન્યાય કરશે.

ઢાકામાં BCB, બાંગ્લાદેશના ક્રિકેટરો અને સરકારના સ્પોર્ટ્સ એડવાઈઝર વચ્ચે યોજાયેલી બેઠક બાદ BCB તરફથી આ નિવેદન સામે આવ્યું છે. બુધવારે ICCએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું કે બાંગ્લાદેશને ભારત આવવું પડશે, નહીં તો તેને વર્લ્ડ કપમાંથી બહાર થવું પડશે. ICCની ચેતવણી બાદ લેવામાં આવેલા નિર્ણય અંગે BCBના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ બુલબુલે જણાવ્યું હતું કે ટીમ વર્લ્ડ કપ તો રમવા માગે છે, પરંતુ ભારતમાં નહીં રમે. બોર્ડે જણાવ્યું છે કે તેઓ પોતાના પક્ષ પર અડગ રહેશે અને ICC સાથે ચર્ચા ચાલુ રાખશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ICCએ ભારતમાંથી અમારી મેચ બીજી જગ્યાએ ખસેડવાની અમારી માગને નકારી દીધી છે. અમને વૈશ્વિક ક્રિકેટની હાલત વિશે ચોક્કસ ખબર નથી. તેની લોકપ્રિયતા ઘટી રહી છે. તેમણે 20 કરોડ લોકોને ક્રિકેટથી દૂર કરી દીધા છે. ક્રિકેટ ઓલિમ્પિકમાં જઈ રહ્યું છે, પરંતુ જો અમારા જેવા દેશ ત્યાં નથી જઈ રહ્યા, તો તે ICCની નિષ્ફળતા છે.

તેમણે કહ્યું હતું કે અમે શ્રીલંકામાં રમવાની અમારી યોજના સાથે ફરી ICC પાસે જઈશું. તેમણે અમને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ કોઈ વૈશ્વિક સંસ્થા આવું કરી શકે નહીં. ICC 20 કરોડ લોકોને વર્લ્ડ કપ જોવાથી વંચિત કરી દેશે. આ તેમનું નુકસાન થશે. ICC શ્રીલંકાને સહ-યજમાન કહી રહ્યું છે, પરંતુ તે સહ-યજમાન નથી. આ એક હાઈબ્રિડ મોડલ છે. ICC બોર્ડની બેઠકમાં મેં જે કેટલીક વાતો સાંભળી, તે ખરેખર ચોંકાવનારી હતી.