Home Blog Page 293

ટોલ ટેક્સ બાકી હશે તો કાર વેચી નહીં શકાય

નવી દિલ્હી: જો તમારી ગાડી પર ટોલ પ્લાઝાનો કોઈ બાકી ટેક્સ છે તો સાવધાન થઈ જાઓ. હવે કારમાલિકોને વાહન વેચતાં પહેલાં અથવા ફિટનેસ સર્ટિફિકેટ લેવા પહેલાં તમામ ટોલ પ્લાઝાની બાકી રકમ ચૂકવવી ફરજિયાત રહેશે. મોદી સરકારે બેરિયર-ફ્રી ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાની દિશામાં આ પગલું લીધું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવા કેન્દ્રીય મોટર વાહન નિયમો, 2026 જાહેર કરી દીધા છે. ટોલ પ્લાઝા પરની તમામ જૂની બાકી રકમ ચૂકવ્યા પછી જ વાહન વેચી શકાશે.

 ઓનલાઈન ટોલ કલેક્શન સુધારાશેઆ ફેરફારોનો ઉદ્દેશ એ છે કે વાહન માલિક તમામ પ્રકારની યુઝર ફી ચૂકવે. ઇલેક્ટ્રોનિક રીતે ટોલ ટેક્સ વસૂલવાની ક્ષમતા વધારવામાં આવશે અને નેશનલ હાઇવે પર ટોલ ચોરી ઘટાડવામાં આવશે. સરકાર મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ લાગુ કર્યા પછી ટોલ કલેક્શન મજબૂત બનાવવા પર કામ કરી રહી છે. આ સિસ્ટમ હેઠળ નેશનલ હાઇવે નેટવર્ક પર કોઈ બેરિયર વિના ટોલ વસૂલાશે. જો ટોલ બાકી હશે તો વાહનનું ટ્રાન્સફર શક્ય નહીં બને. ફિટનેસ રિન્યુઅલ અને પરમિટ માટે એનઓસી પણ આપવામાં આવશે નહીં.

 બાકી રકમ પર કડક વલણ

નવા નિયમો હેઠળ “અનપેડ યુઝર”ની નવી વ્યાખ્યા ઉમેરવામાં આવી છે. એટલે કે નેશનલ હાઇવેના કોઈ ભાગના ઉપયોગ બદલ જે ફી ચૂકવવાની હોય તે. જો ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા વાહનની અવરજવર નોંધાય, પરંતુ નેશનલ હાઇવે એક્ટ, 1956 મુજબ નક્કી કરેલી ફી વસૂલ ન થાય, તો તેને બાકી ગણવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું છે કે આ સુધારાઓથી NHAIને ઓટોમેટિક ટેક્નોલોજી આધારિત ટોલ કલેક્શન સિસ્ટમને પ્રોત્સાહન મળશે. એ સાથે જ દેશના નેશનલ હાઇવે નેટવર્કની મરામત અને જાળવણીમાં મદદ મળશે.

વાહન માલિકે બાકીનો ખુલાસો કરવો પડશેફોર્મ 28માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ફોર્મમાં અરજદારે જણાવવું પડશે કે વાહન સામે કોઈ ટોલ પ્લાઝાની બાકી યુઝર ફી છે કે નહીં અને તેની સંપૂર્ણ વિગત આપવી પડશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે, નિયમોમાં નિર્ધારિત ઓનલાઈન પોર્ટલ મારફતે ફોર્મ 28ના ઘણા ભાગો ઓનલાઈન જારી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફોર્મ 28 વાહન ટ્રાન્સફર માટે જરૂરી દસ્તાવેજ છે, જે આ બાબતની ખાતરી આપે છે કે વાહન પર કોઈ જૂનો ટેક્સ, ચલણ અથવા કાનૂની જવાબદારી બાકી નથી.

મેં મનથી એની સાથે લગ્ન કરી લીધા છે: આમિર ખાન

આમિર ખાને ગયા વર્ષે તેના જન્મદિવસ પર તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટનો પરિચય ચાહકો સાથે કરાવ્યો હતો. તેમને ઘણીવાર લગ્ન વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે, અને આમિર ખાને આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.

આમિર ખાન હાલમાં તેની ફિલ્મ “હેપ્પી પટેલ” માટે સમાચારમાં છે. વીર દાસ દ્વારા દિગ્દર્શિત અને અભિનીત, આમિરે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે અને તેમાં એક નાનકડી ભૂમિકા પણ નિભાવી છે. વધુમાં, તે તેના અંગત જીવનને કારણે સતત સમાચારમાં રહે છે. ગયા વર્ષે, તેના જન્મદિવસ પર, આમિરે તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટનો પરિચય મીડિયા સામે ચાહકો સાથે કરાવ્યો હતો. તેઓએ તાજેતરમાં જ એક નવા ઘરમાં રહેવાનું નક્કી કર્યું છે. તેણે લગ્ન વિશે એક રસપ્રદ ખુલાસો પણ કર્યો.

આમિર ખાન અને ગૌરી નવા ઘરમાં સાથે રહેવા ગયા

ચાહકો ઘણીવાર પૂછે છે કે શું આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્ન થયા છે, અથવા તેઓ ક્યારે કરશે. આ પ્રશ્નોના જવાબ આપીને આમિર ખાને પોતાનું મૌન તોડ્યું. મિસ્ટર પરફેક્શનિસ્ટે કહ્યું કે તે પહેલાથી જ ગૌરી સાથે તેના હૃદયમાં લગ્ન કરી ચૂક્યો છે. આમિર ખાન અને ગૌરી મુંબઈમાં એક નવા ઘરમાં રહેવા સાથે શિફ્ટ થયા છે.

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ ઘણા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. 2025માં, આમિર ખાને તેના 60મા જન્મદિવસ પર તેમના સંબંધોની પુષ્ટિ કરી. ગૌરી મૂળ બેંગ્લોરની છે, પરંતુ તે અને આમિર ખાન તાજેતરમાં મુંબઈમાં એક નવા ઘરમાં રહેવા ગયા. આમિર ખાને ગૌરી સાથેના તેના સંબંધો વિશે કહ્યું કે તે તેના પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને તેને તેની પત્ની તરીકે સ્વીકારી લીધી છે. જોકે, હાલમાં લગ્નનો કોઈ પ્લાન નથી.

આમિર ખાને તાજેતરમાં બોલિવૂડ હંગામા સાથે તેના ગર્લફ્રેન્ડ ગૌરી સાથેના સંબંધો વિશે વાત કરતા કહ્યું, “ગૌરી અને હું એકબીજા પ્રત્યે ગંભીર છીએ, અને અમારો સંબંધ ખૂબ જ મજબૂત છે. અમે પ્રતિબદ્ધ છીએ. અમે ભાગીદાર છીએ. અમે સાથે છીએ. લગ્નની વાત કરીએ તો, મારા મનમાં હું પહેલાથી જ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું. લગ્નને ઔપચારિક બનાવવું કે નહીં તે હું સમય જતાં નક્કી કરીશ.” નવા ઘરમાં સાથે રહેવા વિશે વાત કરતા આમિર ખાને કહ્યું, “આ (સ્થળાંતર) મારી ફિલ્મ ‘હેપ્પી પટેલ’ ની રિલીઝની વચ્ચે જ થઈ રહ્યું છે. તો આ એકદમ પાગલપન છે.”

ગૌરી સ્પ્રેટ શું કરે છે?

આમિર ખાન અને ગૌરી લગભગ બે દાયકાથી એકબીજાને ઓળખે છે. તેઓ લગભગ દોઢ વર્ષ પહેલા ફરી મળ્યા હતા. ગૌરી છ વર્ષના પુત્રની માતા છે. તે હાલમાં આમિર ખાન પ્રોડક્શન્સ સાથે કામ કરે છે. આમિર ખાનના અંગત જીવનની વાત કરીએ તો, તેમના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. તેમને બે બાળકો છે: પુત્ર જુનૈદ અને પુત્રી આયરા. તેમના બીજા લગ્ન કિરણ રાવ સાથે થયા હતા. કિરણ અને આમિરને એક પુત્ર આઝાદ છે. રીના અને કિરણ બંનેથી છૂટાછેડા લીધા બાદ તેમના જીવનમાં ગૌરીનું આગમન થયું.

કર્ણાટકમાં રાજ્યપાલ, રાજ્ય સરકાર શા માટે વિવાદ થયો? જાણો..

બેંગલુરુઃ તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ બાદ હવે કર્ણાટકમાં પણ રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે ટકરાવ ઊભો થયો છે. આજે વર્ષનું પ્રથમ વિધાનસભા સત્ર શરૂ થવાનું છે. સામાન્ય રીતે વર્ષનું પહેલું સત્ર બજેટ સત્ર હોય છે, પરંતુ આ વખતે કર્ણાટકની કોંગ્રેસ સરકારે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા કાયદામાં કરાયેલા ફેરફાર પર ચર્ચા કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. હવે આ સત્ર દરમિયાન થનારા ભાષણને લઈને રાજ્યપાલ અને સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે.

ભાષણની નકલ પર વિવાદ

વર્ષનું પ્રથમ સત્ર હોવાથી પરંપરા મુજબ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને સત્રના પ્રથમ દિવસે વિધાનમંડળના સંયુક્ત અભિભાષણ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ માટે સરકાર તરફથી રાજ્યપાલને મોકલવામાં આવેલી ભાષણની નકલમાં મનરેગા બિલને બદલીને લાવવામાં આવેલા નવા G રામ G બિલની ખામીઓ દર્શાવવામાં આવી છે. એ સાથે જ ભદ્રા પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાયમાં દાખવવામાં આવતી ઉદાસીનતા અને GST મુદ્દે બિન-ભાજપ શાસિત રાજ્યો સાથે થતી ભેદભાવપૂર્ણ વર્તણૂકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજ્યપાલે શી સલાહ આપી?

ભાષણની નકલ વાંચ્યા બાદ રાજ્યપાલે મુખ્ય સચિવને જવાબ આપીને ભાષણમાંથી એવા 11 પેરાગ્રાફ દૂર કરવાની સલાહ આપી હતી, જે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના ટકરાવનું કારણ બની શકે છે. જોકે રાજ્ય સરકારે રાજ્યપાલને સમજાવ્યું કે મુખ્ય મંત્રીના નેતૃત્વ હેઠળની હાઈ લેવલ કમિટીએ નિર્ણય લીધો છે કે ભાષણમાં કેટલાક તકનિકી અને નાના ફેરફાર શક્ય છે, પરંતુ પેરાગ્રાફ દૂર કરી શકાય નહીં. એ પછી રાજ્યપાલે બુધવારે સંયુક્ત અભિભાષણમાં હાજર રહેવાની પોતાની અસહમતી વ્યક્ત કરી દીધી હતી.

મામલો સુપ્રીમ કોર્ટ સુધી જવાની શક્યતા

કર્ણાટકના ઇતિહાસમાં આ સૌપ્રથમ વાર બન્યું છે. આવી સ્થિતિમાં સરકાર પાસે કોર્ટનો રસ્તો અપનાવવાનો વિકલ્પ છે. CMOનાં સૂત્રો મુજબ સરકારે એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીને દિલ્હી મોકલી દીધા છે. જો રાજ્યપાલ સભાને સંબોધવા નથી આવતા તો સરકાર સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવે એવી શક્યતા છે.

I-PAC મામલોઃ જે કંપનીનું અસ્તિત્વમાં જ નથી, તેનાથી મળી લોન

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં EDના દરોડા બાદ રાજકીય તાપમાન વધી ગયું છે. I-PAC કંપની પર દરોડા પડ્યા બાદ TMC અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. એ દરમિયાન તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ I-PAC કંપનીને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે.

તપાસમાં ખુલાસો થયો છે કે 2021માં I-PACને એક કંપની પાસેથી 13.50 કરોડ રૂપિયાની લોન મળી હતી, પરંતુ તે કંપની સત્તાવાર રેકોર્ડમાં ક્યારેય અસ્તિત્વમાં જ નહોતી.

ROC (રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ)ની ફાઇલિંગની સમીક્ષા કરતાં જાણવા મળ્યું હતું કે I-PACએ 17 ડિસેમ્બર 2021ના રોજ ક્રેડિટર્સની યાદી જાહેર કરી હતી. તેમાં માહિતી આપવામાં આવી હતી કે તેને રામસેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા લિ. નામની કંપની પાસેથી 13.50 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું હતું. કંપનીનું સરનામું પણ નોંધાયું હતું — ત્રીજો માળ, અશોકા પ્લાઝા, દિલ્હી રોડ, રોહતક, હરિયાણા.

પરંતુ આ સરનામે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં આ નામની કોઈ કંપની અસ્તિત્વમાં જ નહોતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે 27 જૂન 2025S I-PACએ જણાવ્યું હતું કે તેણે 13.50 કરોડમાંથી 1 કરોડ રૂપિયા પરત ચૂકવી દીધા છે અને હજુ 12.50 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ લોન અંગે I-PACના સહ-સ્થાપક અને ડિરેક્ટર પ્રતીક જૈનને સવાલ પૂછવામાં આવ્યો, પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. I-PACની ફરીદાબાદ સ્થિત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પૂનમ ચૌધરીને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો, પરંતુ તેમણે પણ મૌન જાળવ્યું હતું.

મહત્વની વાત એ પણ છે કે ROCના રેકોર્ડમાં માત્ર ‘રામસેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ના ઇન્કોર્પોરેશન સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ છે, જ્યારે I-PAC દ્વારા જાહેર કરાયેલી ‘રામસેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા લિમિટેડ’ના કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી.

દાવોસમાં ટ્રમ્પે ‘ગ્રીનલેન્ડ ડીલ’ની જાહેરાત કરી

દાવોસઃ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ગ્રીનલેન્ડને લઈને તેમણે એક ‘ફ્યુચર ડીલનું ફ્રેમવર્ક’ તૈયાર કરી લીધું છે. આ સમજૂતી પછી ટ્રમ્પે ડેન્માર્ક, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિત તમામ યુરોપિયન દેશો પર 1 ફેબ્રુઆરીથી લાગુ થનારા ભારે ટેરિફને ટાળવાનો નિર્ણય લીધો છે. આ દેશો ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો વિરોધ કરી રહ્યા હતા.

આ સમજૂતીમાં શું છે?નાટોના મહાસચિવ માર્ક રૂટ સાથે મુલાકાત બાદ ટ્રમ્પે આ સમજૂતીનો ખુલાસો કર્યો હતો. હજી તેની સંપૂર્ણ વિગતો સ્પષ્ટ નથી, પરંતુ સૂત્રો અને ટ્રમ્પનાં નિવેદનો પરથી ત્રણ મુખ્ય મુદ્દા સામે આવ્યા છે:

1 ‘સાયપ્રસ મોડલ’ પર ચર્ચા

આ સમજૂતી બ્રિટન અને સાયપ્રસ વચ્ચેના સૈન્ય આધાર મોડલ જેવી હોવાની શક્યતા છે. એટલે કે ગ્રીનલેન્ડ ડેન્માર્કનો ભાગ રહેશે, પરંતુ અમેરિકા ત્યાંના કેટલાક સૈન્ય અને સંસાધન વિસ્તારો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે.

2 ખનિજ અને સુરક્ષા

ટ્રમ્પે આને ‘અલ્ટિમેટ લોંગ-ટર્મ ડીલ’ ગણાવી છે. અમેરિકાનું મુખ્ય લક્ષ્ય ગ્રીનલેન્ડના વિશાળ રેર અર્થ મેટલ્સ અને ત્યાં ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરવાનો છે.

  1. બળપ્રયોગથી ઇનકાર

ટ્રમ્પે પહેલી વખત સ્પષ્ટ કહ્યું હતું કે હું ગ્રીનલેન્ડ માટે બળપ્રયોગ કરવા માગતો નથી અને નહીં કરું, જોકે અમેરિકા અજેય છે.

યુરોપને મોટી રાહત

ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પ અને યુરોપિયન દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે ટ્રમ્પે ડેન્માર્ક સહિત 8 નાટો દેશો પર 10 ટકાથી 25 ટકા સુધી ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ‘ટ્રૂથ સોશિયલ’ પર લખ્યું હતું કે આ વાતચીતને આધારે હું 1 ફેબ્રુઆરીથી લાગુ થનારા ટેરિફ અમલમાં મૂકવાનો નથી.

સુવિચાર – ૨૨ જાન્યુઆરી ૨૦૨૬

૨૨ જાન્યુઆરી ૨૦૨૬

કબીરના મતે સુખ અને મોક્ષનો એકમાત્ર માર્ગ- રામનામ

 

રામ લિયા જિન સબ લિયા, સબ શાસ્ત્ર કો ભેદ,

બિના રામ નરકે ગયે, પઢિ ગુનિ ચારો વેદ.

 

માનવીની અંતરની ઇચ્છા એ છે કે, સંસારનાં તમામ સુખો ભોગવું અને સાથે સાથે સ્વર્ગનો વૈભવ પણ પ્રાપ્ત કરું. ભક્તિયુગમાં રામનામનો જાપ કરવાથી અનેક લોકોએ અંધકાર અને નિરાશાના વાતાવરણમાં આધાર અને પ્રકાશ મેળવ્યા હતા તેવા યુગમાં કબીરજી કહે છે કે, જેમણે રામને મેળવી લીધા છે તેને સર્વની પ્રાપ્તિ થઈ છે.

ગાંધીજીએ ‘રામનામ’ની પુસ્તિકામાં લખ્યા મુજબ આ રામ કોઈ રાજાનું નામ જ નથી પણ સકળ બ્રહ્માંડમાં રહેલા એકમાત્ર સત્યનો પર્યાય છે. રામનામની શક્તિ અજોડ છે. આમાં જેની એકાગ્રતા થાય છે તેને સમગ્ર વિશ્વમાં એક જ ચેતનાનાં દર્શન થાય છે.

વેદનાં અટપટાં વાક્યોથી સૃષ્ટિનો જે ભેદ સમજાતો નથી તે માટે તો એકાગ્રતાથી જાપ કરી સર્વવ્યાપ્ત ઈશ્વરરૂપી દર્શન કરવું જોઈએ. જે દુન્વયી વિચારોમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કે તત્ત્વ અંગે ભેદ અનુભવે છે તેને શાસ્ત્રનું જ્ઞાન મુક્તિ માટે મદદરૂપ થતું નથી.

વેદાંતના સારરૂપ, ભક્તિમાર્ગના આધારરૂપ અને સરળ કામ રામનામના જાપમાં મનને એકાગ્ર કરવાનું છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

સાધનાનું સાતત્ય : સફળતાનો શાશ્વત નિયમ

માલ્કમ ગ્લેડવેલ એ કેનેડિયન પત્રકાર, લેખક તથા પ્રવચનકાર છે. એમનાં આઠ પુસ્તકો પ્રગટ થયાં છે. થોડા વર્ષ પહેલાં પ્રકાશિત થયેલું માલ્કમનું ‘આઉટલાયર્સ’ નામનું પુસ્તક વિશ્વપ્રસિદ્ધ થયું. આ પુસ્તકમાં એમણે વિવિધ ક્ષેત્રના સફ્ળ મહાપુરુષોનાં જીવનનો અભ્યાસ કરીને એનો નિચોડ આપ્યો છે. ખાસ તો, આ સફળ લોકો સફળ થયા કેવી રીતે અથવા એમની સફ્ળતાનું રહસ્ય. આ માટે એમણે ટેન થાઉઝન્ડ અવર્સ રુલ આપ્યો છે. અર્થાત્

10,000 કલાકનો નિયમ એટલે કોઈ પણ કળા, કૌશલ્ય કે વેપારમાં વૈશ્વિક સ્તરની નિપુણતા પ્રાપ્ત કરવી હોય તો અંદાજે 10,000 કલાકની સભાન અને સઘન સાધના અનિવાર્ય છે. માલ્કમે આ તર્કને પુષ્ટિ આપવા ધ બીટલ્સે હેમ્બર્ગમાં આપેલા અવિરત કાર્યક્રમો અને બિલ ગેટ્સના પ્રારંભિક જીવનમાં પ્રોગ્રામિંગ પાછળ ખર્ચેલા અગણિત કલાકો જેવાં ઉદાહરણ આપ્યાં છે. માલ્કમ કહે છે કે સંગીતકારો, બાસ્કેટબૉલ-પ્લેયર્સ, આઈસ સ્કેટર્સ, પિયાનિસ્ટ, ચેસ પ્લેયર્સ કે પછી માસ્ટર ક્રિમિનલ્સ જે કોઈ નિષ્ણાત થયા છે તેમણે પોતાના ક્ષેત્રમાં દસ હજાર કલાકથી વધારે મહેનત કરી છે. જો કે કોઈએ એવી દલીલ પણ કરી કે, માત્ર કલાકોની ગણતરી પૂરતી નથી, પરંતુ એ કલાકો દરમિયાન કરવામાં આવેલી સભાન સાધના (ડેલિબરેટ પ્રેક્ટિસ) સાચા કૌશલ્યનું ઘડતર કરે છે.

મૂળ વાત છેઃ સાધના અથવા સાધનાનું સાતત્ય. માણસ પાસે ગમે તેવી કળા હોય, જન્મજાત આવડત હોય પરંતુ કોઈ વ્યક્તિ રાતોરાત સફ્ળતાના શિખરે પહોંચી શકતી નથી. એ માટે લાંબા સમય સુધીની એક નિશ્ચિત દિશામાં કરેલી સાધનાની જરૂર છે.

પુરાણમાં ઋષિમુનિઓનાં તપ, એમની સાધનાના ઉલ્લેખ મળે છે. કોઈ પ્રભુપ્રાપ્તિ માટે એક પગે ઊભા રહી તપ કરે છે. આધુનિક સમયમાં હિમાલય કે જંગલમાં ગયા વગર પણ ધ્યેયપ્રાપ્તિ માટે સાધના કરી શકાય.

વિદ્યાનગરમાં ગણિતના ડૉ. એન. એમ. શાહને પૂછવામાં આવ્યું કે, આપની સફ્ળતાનું રહસ્ય શું છે? તો ઉત્તરમાં તેમણે જણાવ્યું, 20 વર્ષ સુધી સતત દિવસના 18 કલાકની તપસ્યા. રવિવાર નહીં, રજા નહીં, ક્યાંય ફરવા જવાનું નહીં. તો વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર બિથોવનને એમની સિદ્ધિ વિશે પૂછતાં એ કહે છે કે ચાળીસ વર્ષ સુધી રોજના આઠ કલાકની સાધના.

મહાભારતમાં વિદુરનીતિની અંદર એક બહુ જ શાણપણભરી વાત કરવામાં આવી છે. દિવસભર એવું કામ કરવું કે રાત્રે સૂવા જઈએ ત્યારે આપણને સંતોષ હોય. વર્ષના આઠ મહિના એવું કામ કરવું કે બાકીના ચાર મહિના આપણને સંતોષ હોય. જીવનની આગલી અવસ્થામાં એવું કામ કરવું કે જ્યારે આપણે ઘરડા થઈએ ત્યારે સંતોષ હોય અને જીવીએ છીએ ત્યાં સુધીમાં એવું કામ કરી લેવું કે મર્યા પછી સંતોષ હોય. વિદુરજીનો આ સંદેશ દૂરંદેશિતા સાથે સખત પુરુષાર્થની પ્રેરણા આપે છે.

એક વખત પ્રમુખસ્વામી મહારાજે સાવ સહજતાથી કહ્યું હતું કે કોઈનું અહિત થાય તેવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. આવા અનુભવી, સદાચારથી સંપન્ન અને વિશુદ્ધ આશય ધરાવતા પ્રમુખસ્વામી મહારાજના સઘન ઉદ્યમથી અનેકનાં જીવન ઉન્નત થયાં છે. કોઈ વ્યસનોની ચુંગાલમાંથી છૂટ્યા તો કોઈ સ્વભાવોની કેદમાંથી મુક્ત થયા છે. કેટલાંય ભાંગેલાં હૈયાંમાં નવું જોમ ભરાયું છે, તો કેટલાયે તૂટેલા પરિવારોની તિરાડો સંધાઈ છે. વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે તેઓના સંદેશ સંજીવની સમાન પુરવાર થયા છે.

આ ફળશ્રુતિનું કારણ તેમણે કરેલો સખત પરિશ્રમ અને સતત કરેલી મહેનત. આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી કંઈ શીખીએ અને મૂલ્યનિષ્ઠા સાથે પ્રબળ પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રેતીમાં છુપાયેલું રહસ્ય: સાઈક્સ નાઈટજાર

શું તમે ક્યારેય એવું પક્ષી જોયું છે, જે તમારી સામે જમીન પર બેઠું હોય છતાં નજરે ન ચડે? એવો જ એક અદ્ભુત અને રહસ્યમય પક્ષી છે — સાઈક્સ નાઈટજાર, જેને ગુજરાતીમાં આપણે રેતાળ છાપદારો’ તરીકે ઓળખીએ છીએ. પક્ષીપ્રેમી હોવ કે પ્રકૃતિના રસિયા, આ પક્ષી વિશે જાણવું ચોક્કસપણે રોમાંચક અનુભવ છે.

સાઈક્સ નાઈટજાર નિશાચર પક્ષી છે, જે મુખ્યત્વે રાત્રિના સમયે સક્રિય રહે છે. તેનું નામ પ્રખ્યાત પક્ષીશાસ્ત્રી વિલિયમ હેનરી સાઈક્સના નામ પરથી પડ્યું છે. આ પક્ષી પાકિસ્તાન અને ભારતના વાયવ્ય વિસ્તારોમાં જોવા મળે છે, ખાસ કરીને ગુજરાતના કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન–વેળાવદર અને કચ્છના રણમાં તેનું વિશેષ પ્રમાણ છે.

આ પક્ષીની સૌથી વિશેષ ઓળખ તેની અદભુત છદ્માવરણ (Camouflage) ક્ષમતા છે. તેનો રંગ અને ડિઝાઇન સુકી રેતી અને પથ્થરો જેવી જ હોવાથી, દિવસે જ્યારે તે જમીન પર શાંતિથી બેઠું હોય ત્યારે તે પથ્થરનો ટુકડો હોય એવું જ લાગે છે. આ કુદરતી આવરણ તેને શિકારી પ્રાણીઓથી બચાવે છે અને તેની સુરક્ષા માટે ઢાલ બની રહે છે.

સાઈક્સ નાઈટજારને ખુલ્લી અને સૂકી જમીન વધુ ગમે છે. તે અન્ય પક્ષીઓની જેમ ઝાડ પર માળો બનાવતું નથી, પરંતુ સીધું જમીન પર જ ઈંડા મૂકે છે. આશ્ચર્યની વાત એ છે કે તેના ઈંડા પણ જમીન સાથે એટલા ભળી જાય છે કે શોધવા અત્યંત મુશ્કેલ બની જાય છે.

સૂર્ય અસ્ત થતાની સાથે જ આ ‘રેતાળ છાપદારો’ સક્રિય બને છે. તેની મોટી આંખો તેને અંધારામાં સ્પષ્ટ જોવા મદદ કરે છે. તેની ઉડાન અત્યંત શાંત અને નિઃશબ્દ હોય છે. તે રાત્રિના સમયે હવામાં ઉડતા ફુદા (Moths), ભમરા અને અન્ય નાના જીવજંતુઓનો શિકાર કરે છે. રાત્રિના શાંતિભર્યા વાતાવરણમાં આવતો તેનો સતત ‘ચક-ચક-ચક’ જેવો અવાજ એક અલગ જ માયાવી માહોલ સર્જે છે.

શિયાળાની ઋતુમાં આ પક્ષી ખાસ કરીને પક્ષીપ્રેમીઓ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. અનેક લોકો આ રહસ્યમય પક્ષીને કેમેરામાં કેદ કરવા ખાસ કરીને ગુજરાતના કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન -વેળાવદર અને કચ્છના રણમાં આવે છે.