Home Blog Page 2941

RSSના વડા મોહન ભાગવતે અમેરિકા-ચીનને લઈને કર્યા આકરા પ્રહાર

આરએસએસના વડા મોહન ભાગવતે ભારત સરકારના વખાણ કરતા ચીન અને અમેરિકાને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે કેટલાક વિકસિત દેશો પોતાની શક્તિનો ઉપયોગ કરીને અન્ય દેશો પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરે છે. અગાઉ રશિયા આવું કરીને યુક્રેન પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ પછી અમેરિકાએ તેના પર કબજો કર્યો. હવે લાગે છે કે ચીન આ કામમાં અમેરિકા કરતા પણ આગળ નીકળી જશે.

એક કાર્યક્રમમાં સંઘના વડાએ કહ્યું કે મોટા થઈને (શક્તિશાળી બન્યા પછી) મોટા દેશો શું કરે, લાકડી ચલાવો. અમેરિકા અને રશિયા યુક્રેનને પ્યાદુ બનાવીને લડી રહ્યા છે. વિકસિત થયા પછી કેટલાક દેશો લાકડી ચલાવવાનું કામ કરે છે. રશિયા અને અમેરિકા બંનેએ ભારતને આ મામલે તેમનો પક્ષ લેવા કહ્યું હતું, પરંતુ ભારતે જવાબ આપ્યો હતો કે તમામ દેશો અમારા મિત્ર છે અને તેણે સૌથી પહેલા યુક્રેનની મદદ કરવાનું કામ કર્યું હતું. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી, તેથી યુદ્ધ બંધ કરવું જોઈએ.


‘ભારત ધર્મ માટે આગળ વધી રહ્યું છે’

ભારતની વિદેશ નીતિના વખાણ કરતા ભાગવતે વધુમાં કહ્યું હતું કે અગાઉ એવી કોઈ હિંમત નહોતી કે ભારત આ રીતે પોતાનું સ્ટેન્ડ લઈ શકે. ભારત હવે ધર્મ માટે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ધર્મ માટે લડતો દેશ અન્ય કોઈ દેશનો ફાયદો ઉઠાવશે નહીં. ભારત લાભનો દેશ છે. હકીકતમાં જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી.

ભાગવતે કહ્યું કે પહેલા શ્રીલંકા ચીન અને પાકિસ્તાન સાથે દોસ્તી કરતું હતું અને અમને (ભારત)ને અંતરે રાખતું હતું. જો કે, જ્યારે શ્રીલંકા જોખમમાં હતું, ત્યારે તેની મદદ માટે કોણ આગળ આવ્યું? તેણે કહ્યું કે દુનિયાનો એક જ દેશ તેની મદદ માટે આવ્યો છે. એ દેશનું નામ ભારત છે. આપણી કમાણીથી બીજું કોઈ ભૂખ્યું જીવતું હોય તો ભારત આપનાર દેશ છે.

લાપતા બે ગુજરાતી વિદ્યાર્થીના મૃતદેહ અમેરિકાના સરોવરમાંથી મળ્યા

ન્યૂયોર્કઃ ભારતમાંથી ભણવા આવેલા, પણ ગઈ 15 એપ્રિલે એક સરોવર ખાતે લાપતા થયેલા ઈન્ડિયાના યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીના મૃતદેહ સરોવરમાંથી મળી આવ્યા છે. એક મૃતક વિદ્યાર્થીનું નામ છે સિદ્ધાંત શાહ (19) અને બીજાનું નામ છે આર્યન વૈદ્ય (20). તેઓ એમના અમુક મિત્રોની સાથે ગયા અઠવાડિયે મનરો લેકમાં સ્વિમિંગ કરવા ગયા હતા. આ સરોવર ઈન્ડિયાનાપોલિસ શહેરથી આશરે 64 માઈલ દૂર આવેલું છે. સિદ્ધાંત અને આર્યન સરોવરમાં તરવા પડ્યા હતા, પણ પાછા સપાટી પર આવ્યા નહોતા.

સરોવરના સ્થળે હવામાન પ્રતિકૂળ હતું તેથી શોધખોળમાં અવરોધ ઊભો થયો હતો. બાદમાં, ડૂબકીમારોને 18 એપ્રિલે પેનટાઉન મરિના ખાતે સરોવરમાં 18 ફૂટ ઊંડે બંને મિત્રોના મૃતદેહ મળી આવ્યા હતા. આ સરોવર 10,750 એકર જમીનવિસ્તાર પર પથરાયેલું છે અને 35-40 ફૂટ ઊંડું છે. સિદ્ધાંત અને આર્યન એક પોન્ટૂન બોટમાં બેસીને સરોવરમાં સહેલગાહનો આનંદ માણી રહ્યા હતા. ત્યાં અચાનક બંનેએ સ્વિમિંગ કરવાનું નક્કી કર્યું હતું.

જંતર-મંતર પર કુસ્તીના મોટા ખેલાડીઓનું ફરી એકવખત વિરોધ પ્રદર્શન

બજરંગ પુનિયા સહિત ઘણા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર ફરી વિરોધ શરૂ કરી દીધો છે. સાથે જ કુસ્તીબાજો વતી પત્રકાર પરિષદ યોજીને હડતાલ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. રેસલર સાક્ષી મલિકે કહ્યું કે અમે બે દિવસ પહેલા સીપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કોઈ સુનાવણી થઈ નથી. સાત યુવતીઓએ એફઆઈઆર નોંધાવી. એક છોકરી સગીર છે અને પોસ્કોની અંદર આવે છે. અઢી મહિના વીતી ગયા છતાં કમિટી તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી.


સાક્ષી મલિકે કહ્યું કે આ યૌન ઉત્પીડનનો મામલો છે. ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. જ્યારે કેસની સુનાવણી ન થઈ ત્યારે અમને હાર્યા બાદ અહીં પાછા આવવાની ફરજ પડી હતી. લોકો અમને જુઠ્ઠા માનવા લાગ્યા છે. લોકોને લાગ્યું કે અમે ખોટું બોલીએ છીએ. અમે અમારી કારકિર્દી, ભવિષ્ય અને પરિવાર દાવ પર લગાવી દીધો છે, અમે જેની સામે લડી રહ્યા છીએ તે ખૂબ જ મજબૂત છે, કોણ તેમની સાથે છે, કોણ નથી, તમે વધુ સારી રીતે જાણો છો. કેટલાક ત્રણ મહિનાથી દરેક પાસેથી સમય માંગી રહ્યા છે, રમતગમત મંત્રી અને મંત્રાલય તરફથી કોઈ સુનાવણી થઈ રહી નથી. અમે સમાપ્ત થઈ ગયા, તેથી જ અમે વિરોધ કરી રહ્યા છીએ, લોકો આવું કહી રહ્યા છે.

સાક્ષી મલિકની આંખોમાં આંસુ

આ દરમિયાન સાક્ષી મલિક ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે અમે કુસ્તીનું ભવિષ્ય અને અમારી આગળના ખેલાડીઓના ભવિષ્યને દાવ પર લગાવી શકીએ નહીં. 7 છોકરીઓમાં ઇન્ટરનેશનલ પ્લેયર પણ છે, નામ નથી કહી શકતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે પુરાવા આપ્યા નથી. બ્રિજભૂષણ શરણ સિંહ પાસેથી પુરાવા કેમ લેવામાં ન આવ્યા. પીડિતની આખી જીંદગી હોય છે, જો છોકરી આવીને ઊભી રહે તો તેના માટે શું જીવન બચશે.

અત્યાર સુધી કાર્યવાહીના અભાવે કુસ્તીબાજ ગુસ્સે છે

ઉલ્લેખનીય છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી FIR નોંધવામાં આવી નથી. મળતી માહિતી મુજબ, પાછલા પ્રદર્શન દરમિયાન ખેલાડીઓને મળેલી ખાતરી પર કાર્યવાહી ન થવાને કારણે કુસ્તીબાજો ગુસ્સે છે.

કેટલાકને ટ્વિટરનું બ્લૂ ટીક મફતમાં પાછું મળ્યું; અમિતાભને પૈસા ચૂકવવા પડ્યા

મુંબઈઃ માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે એકાઉન્ટ્સમાંથી તમામ વર્ષો જૂના વેરિફાઈડ બ્લૂ ટીક્સને દૂર કરી નાખ્યા છે. એણે માત્ર એવા જ એકાઉન્ટ્સમાં બ્લૂ ટીક્સ ચાલુ રાખ્યા છે જેમણે દર મહિને 8 ડોલરનું લવાજમ ચૂકવ્યું હોય. આને કારણે અમિતાભ બચ્ચ, શાહરૂખ ખાન, સલમાન ખાન, આલિયા ભટ્ટ જેવી બોલીવુડ હસ્તીઓ સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ ટ્વિટર પર એમનું વેરિફાઈડ સ્ટેટસ ગુમાવી દીધું હતું.

તેમ છતાં ટ્વિટરે હવે એવા એકાઉન્ટ્સને બ્લૂ ટીક પાછા આપવાનું શરૂ કર્યું છે જેમના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધારે હોય. આને કારણે શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન અને ઋતિક રોશન જેવી સેલિબ્રિટી વ્યક્તિઓના એકાઉન્ટ્સમાં એમનાં નામની આગળ બ્લૂ ટીક્સ ફરી દેખાતા થયા છે અને આ માટે એમણે એકેય ડોલરનો ખર્ચ કરવો પડ્યો નથી.

પરંતુ અમિતાભ, જુનિયર એનટીઆર, એસ.એસ. રાજામૌલી જેવા લોકોને બ્લૂ ટીક પ્રાપ્ત કરવા માટે મહિને 8 ડોલરની ચૂકવણી કરવી પડી છે. અભિનેત્રી કંગના રણોતે પણ લવાજમની રકમ ચૂકવી છે. મોબાઈલ યૂઝર્સ માટે ટ્વિટર બ્લૂ ટીક લવાજમ રકમ પ્રતિ માસ 900 રૂપિયા છે જ્યારે ડેસ્કટોપ યૂઝર્સ માટે પ્રતિ માસ રૂ. 650 અથવા રૂ. 6,800 પ્રતિ વર્ષ છે.

અર્શદીપના તે બે બોલથી બીસીસીઆઈને ગયું લાખો રૂપિયાનું નુકસાન

મુંબઈઃ ગઈ કાલે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલ-2023ની મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ ટીમને 13 રનથી પરાજય આપ્યો હતો. પંજાબની જીત તેના યુવાન ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આભારી છે, જેણે મેચની આખરી ઓવરમાં બે બોલમાં બે વિકેટ લીધી હતી. મુંબઈ ટીમને જીત માટે આખરી ઓવરમાં 16 રન કરવાની જરૂર હતી, અર્શદીપે બે બેટરને પેવિલિયનભેગા કરી દીધા હતા.

તે બે બોલની સોશિયલ મિડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આનું કારણ એ છે કે અર્શદીપે તે ઓવરના ત્રીજા અને ચોથા બોલમાં અનુક્રમે તિલક વર્મા અને નેહલ વાઢેરાને ક્લીન બોલ્ડ કર્યા હતા એટલું જ નહીં, પરંતુ બંનેની વિકેટ વખતે મિડલ સ્ટમ્પ તોડી નાખ્યા હતા. બે સ્ટમ્પ તૂટી જતાં નિયામક સંસ્થા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને રૂ. 25-30 લાખનું નુકસાન ગયું છે. અર્શદીપ પર જવાબદારી નાખવામાં આવી હતી કે મુંબઈના બેટર્સ આખરી ઓવરમાં જીત માટે 15 રન પણ કરી ન જાય. અર્શદીપે તે કામગીરી સુપેરે પાર પાડી બતાવી હતી. પંજાબનો આ વિજય બીસીસીઆઈને મોંઘો પડી ગયો. અર્શદીપે તેની 4 ઓવરમાં 29 રન આપીને કુલ 4 વિકેટ લીધી હતી. પંજાબ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 8 વિકેટે 214 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 201 રન જ કરી શકી હતી. કેમરન ગ્રીનના 67, સૂર્યકુમાર યાદવના 57 અને કેપ્ટન રોહિત શર્માના 44 રનની મહેનત ફોગટ ગઈ હતી.

પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ ટીમ સાતમાંથી ચાર મેચ જીતીને હાલ પાંચમા નંબરે છે જ્યારે મુંબઈ ટીમ 6માંથી 3 મેચ હારી જતાં સાતમા નંબરે છે. સ્પર્ધાની ફાઈનલ મેચ 28 મેએ રમાશે.

 

થાણેમાં ડોક્ટરનું અપહરણ કરી, ધમકી આપનાર પાંચની ધરપકડ

મુંબઈઃ 38 વર્ષના એક ડોક્ટરનું અપહરણ કરી એની પાસેથી રૂ. 30 લાખની ખંડણી માગનાર પાંચ શખ્સની પડોશના થાણે જિલ્લાની પોલીસે ધરપકડ કરી છે. અપહરણનો બનાવ ગયા વર્ષે બન્યો હતો. 2022ની 22 ઓક્ટોબરે ડોક્ટર એમના સ્કૂટર પર જતા હતા ત્યારે એક શખ્સે રસ્તામાં એમની પાસે લિફ્ટ માગી હતી. ડોક્ટરે એને પાછળ બેસાડ્યો હતો. થોડેક દૂર ગયા બાદ રસ્તામાં તે શખ્સના બીજા સાથીઓ સામે આવ્યા હતા. એમણે સ્કૂટર અટકાવી, ડોક્ટરની આંખો પર પાટો બાંધી દીધો હતો. આરોપીઓએ ત્યારબાદ એમને જબરદસ્તીથી એક કારમાં બેસાડ્યા હતા અને કાર મુરબાડ વિસ્તારના એક જંગલમાં લઈ ગયા હતા.

ત્યારબાદ આરોપીઓએ ડોક્ટરની પત્નીને ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે એમની મુક્તિના બદલામાં રૂ. 30 લાખ આપવાની માગણી કરી હતી. ડોક્ટરની પત્નીએ પૈસાની વ્યવસ્થા કરી આરોપીઓને ચૂકવી દીધા બાદ ડોક્ટરને છોડી મૂકવામાં આવ્યા હતા. ડોક્ટરે તે ઘટનાના 25 દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક તપાસ ટૂકડીની રચના કરી હતી. અનેક મહિનાઓ સુધી તપાસ કર્યા બાદ પોલીસો આરોપીઓ સુધી પહોંચી શક્યા હતા અને ગઈ કાલે એમની ધરપકડ કરી હતી. આરોપીઓને એક સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામને 26 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે. પોલીસે હવે આરોપીઓ તેમજ આ ગુના પાછળ એમના ઈરાદા વિશે માહિતી મેળવવાનું શરૂ કરી દીધું છે.

ભાગેડૂ ખાલિસ્તાની અમ્રિતપાલસિંહની પંજાબમાં ધરપકડ કરાઈ

મોગાઃ 36 દિવસથી પંજાબ રાજ્યની પોલીસને હાથતાળી આપતા રહ્યા બાદ કટ્ટરવાદી, ખાલિસ્તાની અલગતાવાદી સમર્થક અને સ્વયંઘોષિત શીખ પ્રચારક અમ્રિતપાલસિંહ સંધુ આખરે પોલીસને શરણે આવી ગયો છે. આજે વહેલી સવારે મોગા પોલીસે એને કસ્ટડીમાં લીધો હતો. પંજાબ પોલીસે ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી છે કે અમ્રિતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અમુક અખબારી અહેવાલોનો દાવો છે કે આ કટ્ટરવાદી શરણે આવી ગયો હતો. પંજાબ પોલીસે અમ્રિતપાલસિંહ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એનએસએ) લાગુ કર્યો છે. અમૃતસર ગ્રામિણ અને જલંધર ગ્રામિણ પોલીસ જિલ્લાઓમાં એની સામે તેમજ એના સાગરિતો સામે હત્યાનો પ્રયાસ કરવા, પોલીસ જવાનો પર હુમલો કરવા, સરકારી કર્મચારીઓને કાયદેસરની ફરજ બજાવતા રોકવા જેવા અનેક ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે.

અમ્રિતપાલને મોગા જિલ્લાના રોડે ગામમાં એક ગુરુદ્વારામાંથી પકડી લેવામાં આવ્યો હતો. આ ગામ વર્ષો પહેલાં ઠાર કરાયેલા શીખ કટ્ટરવાદી જર્નેલસિંહ ભિંદરાણવાલેનું વતન ગામ છે. હવે અમ્રિતપાલસિંહને કડક સુરક્ષા વચ્ચે આસામના દિબ્રુગઢ શહેરની જેલમાં શિફ્ટ કરવામાં આવશે. અમ્રિતપાલસિંહ ‘વારિસ પંજાબ દે’ નામના એક કટ્ટરવાદી સંગઠનનો વડો છે. એની પત્ની અને બ્રિટિશ નાગરિક કિરણદીપ કૌરની ગઈ 21 એપ્રિલે અમૃતસર એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. એ લંડન જતી હતી, પણ એ ફ્લાઈટમાં બેસે એ પહેલાં એરપોર્ટ પર જ એને પકડી લેવામાં આવી હતી.

વાહ ભાઈ વાહ! ૨૩ એપ્રિલ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! ૨૩ એપ્રિલ, ૨૦૨૩

૨૩ એપ્રિલ, ૨૦૨૩

૨૩ એપ્રિલ, ૨૦૨૩

પૃથ્વી દિવસ: સમગ્ર વિશ્વમાં જાગૃતિના કાર્યક્રમો યોજાયા, ઈન્દ્રોડા નેચર પાર્કમાં સાફ સફાઈ કરી એક ગાડી કચરો દૂર કરાયો

સમગ્ર દુનિયાના દેશ દર વર્ષે 22 એપ્રિલે અર્થ ડે કે પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વી અને તેના વાતાવરણને સુરક્ષિત કરવાના હેતુથી લોકોને જાગૃત કરવા માટે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. ભારત સહિત લગભગ 195થી વધુ દેશ પૃથ્વી દિવસ મનાવે છે. પૃથ્વીના મહત્વને સમજતા અને તેની રક્ષા માટે સમગ્ર વિશ્વના લોકોએ એક દિવસની પસંદગી કરી જેને હવે વિશ્વ પૃથ્વી દિવસના નામથી ઓળખવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં 22, એપ્રિલ 1970 થી  ‘પૃથ્વી દિવસ ‘ જાહેર કરવામાં આવ્યો હતો. વિશ્વમાં  જળ,વાયુ, પાણી જેવા તત્વોનું સંવર્ધન થાય અને પૃથ્વી પર વસતા તમામ જીવોને સ્વચ્છ હવા, પાણી, વાયુ મળી રહે અને સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય એ માટે સૌ લોકો પ્રયાસ કરવામાં આવે છે. એ માટે દર વર્ષે ‘ વિશ્વ પૃથ્વી દિવસ’ પર જુદા જુદા કાર્યક્રમો અને વિષયો સાથે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવે છે.

આ વર્ષે  ‘ ઇન્વેસ્ટ ઈન પ્લેનેટ ‘ વિષય છે. પૃથ્વીમાં જળ બચાવવા, વાયુ પ્રદુષણ અટકાવવા અને વૃક્ષો ને ઉછેરી સંવર્ધન કરવાની જવાબદારી વિષે આ વર્ષે ભાર મુકવામાં આવ્યો છે. પૃથ્વી દિવસની આજ વાતને સાર્થક કરવા ગાંધીનગર ઈન્દ્રોડા પાર્કથી એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગીર ફાઉન્ડેશન અને વન શ્રી ટ્રસ્ટ દ્વારા સમગ્ર નેચર પાર્કને સ્વચ્છ કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

વનશ્રી ટ્રસ્ટના અંજના નિમાવત ચિત્રલેખા. કોમની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અત્યારે લોકો પોતાની અનુકુળતા માટે પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો ગમે ત્યાં ઘા કરી ફેંકી દેતા હોય છે. જેનાથી ગંદકી વધતી જાય છે. પર્યાવરણને નુકસાન થાય છે. ગીર ફાઉન્ડેશન, વન વિભાગના કર્મચારીઓ, વન શ્રી ટ્રસ્ટના કાર્યકર્તાઓએ ભેગા મળી એક આખી ગાડી ભરાય એટલી 60 થી 70 કીલો જેટલી કોથળીઓ સાથે કચરો એકઠો કરીને પાર્કમાંથી દૂર કર્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી શહેરી વિસ્તારમાં સતત વધારો થતો જાય છે. વૃક્ષોનું યોગ્ય જતન થતું નથી. પ્લાસ્ટિક, કલર, ઘન કચરો અને પર્યાવરણને નુકશાન થાય એવી ચીજવસ્તુઓનો યોગ્ય નિકાલ કર્યા વગર ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સમુદ્ર, નદીઓ, જંગલો, ખુલ્લી જગ્યાઓ અને કેનાલો  તમામ પ્રકારના માનવ સર્જિત પ્રદુષણનો શિકાર થઈ રહ્યા છે.

આ પૃથ્વી દિવસ પર સમગ્ર વિશ્વમાં અસંખ્ય સેમિનારો, પ્રદર્શનો અને સ્વચ્છતા ઝુંબેશના પ્રયાસ થયા હશે. પરંતુ સૌ જવાબદારી સાથે ધરતી પરના દરેક તત્વોની જાળવણી કરે તો જ વિશ્વ પૃથ્વી દિવસનું મહત્વ વધશે.

રિપોર્ટ : પ્રજ્ઞેશ વ્યાસ