બેંગલુરુઃ આઈપીએલ-2023માં સૌથી ખરાબ દેખાવ દિલ્હી કેપિટલ્સ ટીમનો રહ્યો છે. પોઈન્ટ્સ ટેબલમાં આ ટીમ અત્યાર સુધીમાં તેની પાંચેય મેચ હારીને 10મા ક્રમે, તળિયાના સ્થાને છે. એમાં તેના વિશે એક વધુ આંચકાજનક સમાચાર આવ્યા છે. તેના ખેલાડીઓના 16 બેટની ચોરી થઈ ગઈ છે. તે ઉપરાંત એમના પેડ, બૂટ, ગ્લોવ્સ પણ ગાયબ થઈ ગયા છે. વિદેશી ખેલાડીઓના બેટ પણ ચોરાઈ ગયા છે. પ્રત્યેક બેટની કિંમત આશરે એક લાખ રૂપિયા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અખબારી અહેવાલ મુજબ, ગઈ 15 એપ્રિલે બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધની મેચ પૂરા થયા બાદ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે એમની કિટ બેગ્સ પછી આવી હતી, પણ એ જોઈને ખેલાડીઓને આંચકો લાગ્યો હતો. કેપ્ટન ડેવિડ વોર્નરના 3 બેટ, મિચેલ માર્શના બે બેટ, ફિલ સોલ્ટના 3 અને યશ ધુલના પાંચ બેટ ચોરાઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. તે ઉપરાંત કેટલાક ખેલાડીઓના પેડ, કેટલાકના ગ્લોવ્સ, કેટલાકના શૂઝ જેવી અન્ય ચીજો પણ પહોંચી નહોતી. દિલ્હી કેપિટલ ફ્રેન્ચાઈઝીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ શહેર હેરિટેજ સિટી જાહેર થયા પછી ઘણા કાર્યક્રમો થયા. શહેરમાં ઠેર-ઠેર ઉત્સવની જેમ ઉજવણીઓ થઈ, પરંતુ અમદાવાદની ઘણી હેરિટેજ ઇમારતોની દુર્દશાની કોઈને દરકાર નથી. જ્યારે ઘણી જાજરમાન ઉત્કૃષ્ટ ઇમારતો વિશે આસપાસ થોડે દૂર રહેતા લોકો પણ એકદમ અજાણ છે. ઐતિહાસિક ઇમારતોના સૌદર્યથી સજેલા હેરિટેજને અમદાવાદીઓ નિહાળે, કલાની કદર કરે અને પ્રવાસનમાં વધારો થાય તો મહેનત સફળ થાય.
(માતા ભવાનીની વાવ)
અમદાવાદનાં બેનમૂન સ્થાપત્યો
શહેરમાં હરવાફરવાની-ઐતિહાસક ઇમારતો અને જોવલાયક સ્થળોની વાત આવે એટલે હરીફરીને સીદી સૈયદની જાળી, જુમ્મા મસ્જિદ, ત્રણ દરવાજા અને ઝૂલતા મિનારા જેવાં કેટલાંક સ્થળનાં નામ લોકો બોલી જાય. અમદાવાદમાં કેટલાંક એવા સ્થળો પણ છે જ્યાં જઈ શકાય છે, પણ ઘણા લોકોને પૂરતી માહિતી જ નથી. અહીં પ્રસ્તુત છે અમદાવાદનાં એવા કેટલાંક ઐતિહાસિક સ્થળ…
મીર અબુ તુરબની દરગાહ
શહેરના બહેરામપુરામાં આ દરગાહ આવેલી છે. મીર અબુ તુરબ અકબરના એક વિશ્વાસુ- ચીફ ઓફ પિલગ્રીમ્સ હતા. તેમની આ દરગાહ નિહાળવી દર્શનીય લહાવો બને છે. 1594માં મૃત્યુ પામેલાં મીર અબુ તુરબની દરગાહ ફરતે 12 પીલર્સ અને છ પીલર્સના બીજા ટેકા સાથેના ગોળ ગુંબજ સાથે ખૂબ સુંદર રીતે બનાવાયેલી છે.
(દરિયાખાન ઘુમ્મટ)
બાબા લવ લવીની દરગાહ
સાબરમતી રિવરફ્રન્ટને અડીને જ આવેલી બાબા લવ લવીની અંદાજે 500 વર્ષ જૂની દરગાહ-મસ્જિદનું સ્થાપત્ય બેનમૂન કક્ષાનું છે. બારીક કોતરણી, ઊંચી કમાનો, સુંદર ઝરુખાથી સજ્જ આ ઐતિહાસિક ધરોહર દર્શનીય છે.
(મીર અબુ તુરબ)
અચ્યુત કૂકીની મસ્જિદ
દૂધેશ્વરમાં માનવ વસ્તી અને ભરપૂર દબાણોની વચ્ચે જ ઐતિહાસિક, કળાત્મક એવી અચ્યૂત કૂકીની મસ્જિદ આવેલી છે. મોગલકાળના શિલ્પ સ્થાપત્ય અને બારીક કોતરણીકામથી ખૂબસૂરત લાગતી આ જગ્યા પશ્ચિમ ભારતના ઇન્ડો-ઇસ્લામિક આર્કિટેક્ચરનો નમૂનો કહી શકાય છે.
માતા ભવાનીની વાવ
પહેલાંના રાજાઓ પ્રજાને સારી રીતે પાણી મળી રહે એ હેતુથી કૂવાઓ-વાવ ગળાવતા હતા ખાસ તો વાવના બાંધકામની અદભુત કળાકારીગરીને લઈને ગુજરાતની ઘણી વાવ વિશ્વ સ્તરે જાણીતી છે, અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં ઘણીબધી વાવ બનાવવામાં આવી હતી. તેમાંની એક છે માતા ભવાનીની વાવ જે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી છે.
વોશિંગ્ટનઃ લોન્ચના આશરે 21 વર્ષ પછી નાસાનો એક નિવૃત્ત ઉપગ્રહ રિયુવેન રેમાટી હાઇ એનર્જી સોલર સ્પેક્ટ્રોસ્કોપિક ઇમેજર (RHESSI) એપ્રિલમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરવાની અપેક્ષા છે. જોકે એ મનુષ્યો માટે કોઈ જોખમ ઊભું નહીં કરે.
આ ઉપગ્રહને 2002માં લોન્ચ કરવામાં આવ્યો હતો. RHESSIએ લો અર્થ કક્ષાને સૌર ફ્લેયર્સ અને કોરોનલ માસ ઇજેક્શનનું અવલોકન કર્યું, જેનાથી વૈજ્ઞનિકોને એના ભૌતિકી સ્વરૂપને સમજવામાં મદદ મળી કે જેથી ઊર્જાના એટલા શક્તિશાળી વિસ્ફોટ કેવી રીતે કરવામાં આવે છે.અમેરિકાનો સંરક્ષણ વિભાગ- જે ઉપગ્રહની દેખરેખ કરી રહ્યો છે. વિભાગ અપેક્ષા કરી રહ્યો છે કે 660 પાઉન્ડનું અંતરિક્ષ યાન બુધવારે રાતે આશરે 9.30 કલાકે વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરશે, પણ સમયમાં ફેરફાર હોઈ શકે છે.
જોકે નાસાને અપેક્ષા છે કે મોટા ભાગે અંતરિક્ષ યાળ બળી જશે, કેમ કે એ વાતાવરણના માધ્યમથી યાત્રા કરી રહ્યું છે. જોકે એના કેટલાક પુરજા પુનઃપ્રવેશથી બચવાની અપેક્ષા છે. એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે પૃથ્વી પર કોઈ પણ નુકસાન થવાનું જોખમ ઓછું છે.
અંતરિક્ષ યાને ઓર્બિટલ સાયન્સિસ કોર્પોરેશન પેગાસસ એકસએલ રોકેટ પર ઉચ્ચ-ઊર્જા ઇલેક્ટ્રોનોની ઇમેજ બનાવાના મિશન સાથે લોન્ચ કર્યું, જે સૌર ફ્લેચર્સમાં જારી ઊર્જાનો એક મોટો હિસ્સો લઈ જાય છે. આ એકમાત્ર ઉપકરણ, એક ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટરની સાથે હાંસલ કર્યું છે, જેણે સીર્યથી એક્સ-રે અને ગામા કિરણો નોંધ્યા છે.
નવી દિલ્હીઃ ભારત પ્રત્યક્ષ કરવેરામાં આમૂલ ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી વડા પ્રધાન મોદી જો ફરી સત્તાની ધુરા સંભાળશે ત્યારે તેઓ આવકની અસમાનતાને ઓછી કરવા માટે કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરે એવી શક્યતા છે, જે આર્થિક અસમાનતા ઓછી કરવામાં મદદ કરી શકે, એમ આ બાબતના જાણકાર લોકોએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે નોંધપાત્ર આવક રળતા લોકો પર કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરવાનું વિચારાધીન છે. ઉદાહરણ તરીકે જે કરદાતાઓની આવક પર 30 ટકા કર લાગે છે તેવો વર્ગ ઈક્વિટી ફંડો અને શેરો પર નીચા દરે ટેક્સ ચૂકવે છે. જેથી કેપિટલ ગેઇન ટેક્સ વધારાય એવી શક્યતા છે.
જોકે આ પગલું વ્યવહારુ નથી અને ઈક્વિટીના સિદ્ધાંતની વિરુદ્ધ છે. નાણાં મંત્રાલય દ્વારા આ પ્રકારની દરખાસ્તો માટે એક પેનલની રચના કરવામાં આવે એવી શક્યતા છે, જેની ભલામણોને 2024ની ચૂંટણી પછી લાગુ કરવામાં આવશે- જોકે આ વિશે હજી સુધી અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.
આપણા આવકવેરાના નિયમો ખાસ કરીને કેપિટલ ગેઇન્સની જોગવાઈઓ દાયકાઓથી આંટીઘૂંટીવાળી બની ગઈ છે, એને સરળ અને ન્યાયસંગત બનાવવાની જરૂર છે, જેથી એને લાગુ કરાતાં બધાને લાભ થાય, પરંતુ એ સરળ નહીં હોય, એમ પ્રાઇસ વોટરહાઉસ એન્ડ કંપની એલએલપીના ભાગીદાર રાહુલ ગર્ગે જણાવ્યું હતું. કેઆર ચોકસી શેર્સ એન્ડ સિક્યોરિટીના મેનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી દેશની આશરે 25 ટકા વસતિ ઈક્વિટીમાં રોકાણ નથી કરતી, ત્યાં સુધી ટેક્સ પોલિસીમાં છેડછાડ ના કરવી જોઈએ. હાલમાં એક અંદાજ પ્રમાણે દેશની માત્ર ત્રણ ટકા વસતિ શેરબજારમાં રોકાણ કરી રહી છે.
‘પુસ્તકો મારાં સાચાં મિત્રો છે!’ એવું માનતાં સી. યુ. શાહ સાયન્સ કોલેજમાં 20 વર્ષ લાઇબ્રેરીયન તરીકે નોકરી કરનાર ખુશ-મિજાજી ૯૨ વર્ષનાં મધુબહેનની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ અને બાળપણ બિહારમાં. કુટુંબમાં ચાર બહેન, બે ભાઈ. પિતાજી કોલસાની ખાણમાં કામ કરે. મધુબહેન ગુજરાતી પાંચ ધોરણ સુધી ઘરમાં રહીને ભણ્યાં. માતા ધાર્મિક વાંચન કરાવે, સ્વામી રામદાસ ધનબાદ આવે ત્યારે ત્રણ દિવસની ધૂનમાં તેઓ લાગી જાય. મધુબહેનની 16 વર્ષની ઉંમરે, MA ભણતા 23 વર્ષના યુવાન સાથે, તેમને જોયા વગર, લગ્ન કર્યા! સાસરે આવીને ઘણું ભણ્યાં. સસરાના ઘરના વાતાવરણમાં જ ભણતર! દાદાજીને બહુ હોંશ! એમનો સાથ મળ્યો. એસએસસી પાસ થયાં પછી સસરાએ કવિ કાલિદાસનું ‘મેઘદૂત’ અને ‘ઉત્તર-રામ-ચરિત્ર’ ભણાવ્યું અને તેઓ ગુજરાતી અને સંસ્કૃત લઈ BA થયાં. પતિ સરકારી કોલેજમાં પ્રોફેસર એટલે બદલી થયા કરે. રાજકોટ, જામનગર, ભુજ… બધે પાડોશીઓ સાથે સારો ઘરોબો! આઉટ-હાઉસમાં રહેતી બહેનો હોય કે ઘેર રહીને ભણતા મિત્ર! બધાંનું મધુબહેન ધ્યાન રાખે. મિત્ર પાસે રાખડી બંધાવે, સગા-ભાઈ જેવા સંબંધો રાખે! છેવટે વિદ્યાપીઠ, અમદાવાદ આવ્યાં. પરિસરમાં વ્યવસ્થા હતી એટલે સોશિયલ એંથ્રોપોલોજી સાથે મધુબહેને MA કર્યું અને ત્યારબાદ યુનિવર્સિટીમાંથી B.Lib. કર્યું. મા-દીકરી સાથે ભણતાં અને દીકરાના મિત્રો પણ ભણવા આવે. ઘરમાં તો જાણે નિશાળ!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે ઊઠી નહાવા-ધોવાનું પતાવી પૂજાપાઠ-માળા વગેરે કરે, છાપુ વાંચે, બાર વાગે જામે. જમ્યા પછી આરામ કરે. 4 વાગે ચા અને પછી કલાક ફોન કરે. બહેન-દીકરી અને મિત્રો સાથે ફોનથી સંકળાયેલા રહે. મોટાં બહેનની ઉંમર 98 વર્ષ! પણ તેમની સાથે વીડિયો કોલથી વાત કરે એટલે મળ્યાં જેવું લાગે. સાંજે એકાદ આંટો મારે અને પછી આરતી, ભજન વગેરેમાં કલાક થાય. પછી જમીને સુઈ જાય. સમય મળ્યે મેગેઝીન વાંચે, આધ્યાત્મિક વાંચન કરે, આયુર્વેદનું વાંચે, સાઈબાબા અને માં આનંદમઈનાં પુસ્તકો વાંચવા ગમે. પ્રબુદ્ધ-જીવન, ભૂમિપુત્ર કબીર-વાણી, મોરારીબાપુનાં પુસ્તકો, કુમાર વગેરે બહુ ગમે.
શોખના વિષયો :
રસોઈ કરવાનો અને જમાડવાનો બહુ શોખ! ગળ્યું ભાવે. વાંચન ગમે. ફોન કરી કુટુંબીઓ અને મિત્રોના સંપર્કમાં રહેવું ગમે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત ઘણી સારી છે. આંખોનો નંબર થોડો વધ્યો છે. ક્યારેક હાથ જકડાઈ જાય છે, પણ કમર કે પગના દુખાવા નથી. એસિડિટી શું છે તે તેમને ખબર નથી! ક્યારેક થોડુંક પ્રેશર રહે છે. એકલા રિક્ષામાં બહેનને ઘેર કે દીકરીને ઘેર પહોંચી જાય એટલાં તંદુરસ્ત અને સ્વસ્થ! 6-8 મહિના પહેલા જ પતિને ખોયા. પતિની ઘણી સેવા કરી.
યાદગાર પ્રસંગ:
સી. યુ. શાહ સાયન્સ કોલેજમાં 20 વર્ષ લાઇબ્રેરીયન તરીકે નોકરી કરી છે. બે પટાવાળાને તેમણે આગળ ભણાવ્યા, સર્ટિફિકેટ-કોર્સ કરાવ્યો અને તેમને ક્લાર્કની નોકરી મળી. હજુ તેમના કુટુંબીઓ બહેનને યાદ કરે છે! કનુભાઈને વિદ્યાપીઠમાંથી પેન્શન મળતું નહીં, જ્યારે મધુબહેનને કોલેજમાંથી પેન્શન મળતું! કનુભાઈ હસતા હસતા કહેતા “આ તો મારો શામળિયો શેઠ છે!” એક વાર ઈશ્વર પેટલીકર તેમને ઘેર થોડા દિવસ રહ્યા હતા. બંનેનું જીવન જોઈ ‘સ્ત્રી’ સાપ્તાહિકમાં ‘પ્રસન્ન દાંપત્ય’ કેવું હોવું જોઈએ તે વિષે લેખ લખ્યો હતો!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
હસતાં હસતાં કહે છે કે નવું નવું શીખવાનું હજુ ચાલુ છે! છેક સુધી વિદ્યાર્થી જ રહેવું છે! બુક્સ આર માય બેસ્ટ ફ્રેન્ડસ!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
ખાસ કોઈ ફેર પડ્યો લાગતો નથી. ટેકનોલોજીથી જે ફેર પડ્યો તે છે. બાકી બાળકો પરદેશ જાય, કમાય, પણ અહીંનું વાતાવરણ મિસ કરે! ઘરડાંને પરદેશ ન ફાવે, ગાડી વગર બહાર નીકળાય નહીં, એટલે વડીલો દેશમાં જ રહે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
અત્યારના છોકરાઓ સ્માર્ટ છે! ઇંગલિશ શીખે છે અને ગુજરાતી ભૂલી જાય છે! પણ માતૃભાષા ભૂલે તે ચાલે નહીં! મધુબહેન ઘરના અને કુટુંબના યુવાનો સાથે સરસ સંપર્કમાં છે. દેશ-પરદેશથી બધાં આવે તો તેમને મળવા ખાસ આવે. મધુબહેનને ચોકલેટ ભાવે એટલે તેમને માટે ખાસ ચોકલેટ લાવે. અને “બા, ચા પીવડાવો” એમ હક્ક કરી ચા પીને જાય! તેમને ત્રણ બાળકો, ચાર પૌત્ર-પૌત્રી અને ત્રણ ગ્રેટ-ગ્રાન્ડ-ચિલ્ડ્રન છે. દીકરી (નયના રાજેન્દ્ર શુક્લ) ને ત્યાં તો ચાર પેઢી સાથે રહે છે!
સંદેશો :
યુવાનોએ મા-બાપની, ઘરડાંઓની સેવા કરવી જોઈએ. ઘરડાં-ઘરની સંખ્યા વધે તે સમાજ માટે સારું નથી!
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,542 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 38 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,48,45,401 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,190 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,50,649 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6313 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 63,562એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.14 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.67 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,40,014 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.43 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,27,758 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 487 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એક સિક્કાની બે બાજુઓ જેવા છે. આપણને સર્જનના રહસ્યમાં ઊંડા ઉતારે એ છે વિજ્ઞાન. આત્માના રહસ્યમાં ઊંડા ઉતારે એ છે આધ્યાત્મિકતા. રહસ્યમાં તરબોળ થઈ જવું એ ભક્તિ છે. જો વિજ્ઞાન અથવા આધ્યાત્મિકતા તમારામાં આશ્ચર્ય અને ભક્તિ જગાવી શકતા નથી તો તમે ઘેરી નિદ્રામાં છો. જીવન અને આ સર્જનના રહસ્યમાં સંપૂર્ણપણે તરબોળ થઈ જવું એ છે સમાધિ.
આ સર્જન એક અગાધ રહસ્ય છે! એક શાણો માણસ રહસ્યને છુપાવવા કોઈ પ્રયત્ન કરતો નથી. પરંતુ તે રહસ્યને અનાવરણ કરવા માટે પણ પ્રયત્ન કરતો નથી. દા.ત.,આપણે પાંચ વર્ષના બાળક સાથે જન્મ, મૃત્યુ વિગેરેની પ્રક્રિયા વિશે વાત કરતા નથી. જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ આ બાબતો તેમનાથી છુપી પણ રહેતી નથી.
પાંચ એવી ગુપ્ત બાબતો છે જે પવિત્ર છે અને આ સર્જનમાં તેમનું સૂક્ષ્મ તત્વો તથા દેવદૂતો દ્વારા રક્ષણ થઈ રહ્યું છે. આ પાંચ છે:
જન્મ રહસ્ય: જન્મ એક રહસ્ય છે. એક આત્મા કેવી રીતે શરીર ધારણ કરે છે, જન્મના સ્થળ અને સમય, શરીરનો પ્રકાર, માતા-પિતા વિગેરે તમામ રહસ્ય છે.
મૃત્યુ રહસ્ય: મૃત્યુ એ એકદમ રક્ષિત ગુપ્ત બાબત છે. મૃત્યુ એક રહસ્ય રહે છે. આત્માનું સ્થુળતાથી અલગ થવું અને તેની તે પછીની યાત્રા એક રહસ્ય છે.
રાજ રહસ્ય: સર્જનમાં કયા સિધ્ધાંતોથી તંત્ર ચાલી રહ્યું છે; કયા સિધ્ધાંતોથી નિયમબદ્ધતા જળવાઈ રહી છે તે રહસ્ય છે.
પ્રકૃતિ રહસ્ય: કુદરત એક રહસ્ય છે. તમે તેના વિશે જેટલું વધારે જાણો તેટલું રહસ્ય વધતું જાય છે. એક વૈજ્ઞાનિક જેટલું વધારે જાણતા જાય છે તેમ તેમ લાગે છે કે હજી ઘણું વધારે જાણવાનું બાકી છે. વિજ્ઞાન સર્જનના રહસ્યને ઉકેલતું હોય તેમ લાગે છે,તેનાથી રહસ્ય વધારે ગહેરું થયું છે. અણુઓ, સ્પંદનો, બ્લેક હોલ્સ, શૂન્યાવકાશની સ્થિતિ, વિગેરેએ રહસ્યને વધારે ગહેરું જ કર્યું છે.
મંત્ર રહસ્ય: મંત્રો અને તેમની અસરો, પ્રભાવ, તેમની કાર્ય કરવાની પધ્ધતિ આ તમામ રહસ્ય છે. મંત્રો ચેતનાને લયબદ્ધ હોય છે,પરંતુ ચેતના પોતે જ એક રહસ્ય છે.
સામાન્ય રીતે પશ્ચિમમાં રહસ્યને શરમજનક અને અપ્રમાણિક માનવામાં આવે છે. પરંતુ પૂર્વમાં તેને સન્માનપૂર્વક જોવાય છે અને પવિત્ર માનવામાં આવે છે. જ્યારે પણ તમે કોઈ ચિહ્ન, સ્થળ, સમય, વ્યક્તિ કે ક્રિયાને પવિત્ર માનો છો ત્યારે તે પ્રત્યે તમારું ધ્યાન સંપૂર્ણપણે રહે છે. જ્યારે કોઈ ક્રિયા વારંવાર કરવામાં આવે છે ત્યારે તેની પવિત્રતા ગુમાવે છે કારણ કે પુનરાવર્તનથી બેધ્યાનપણું અને જડતા આવી જાય છે. જ્યારે તમારી સ્મૃતિ તમારી ચેતના કરતાં બળવતર થયેલી હોય અને તમે તમારી સંવેદનશીલતા ગુમાવી દો છો ત્યારે આવું થાય છે. વર્તમાન ક્ષણમાં રહેવાથી અને આધ્યાત્મિક પ્રક્રિયાઓથી આપણે આપણી ક્રિયાઓમાં પવિત્રતાની ભાવના જાગૃત રાખી શકીએ છીએ અને રહસ્યમય જીવનને જીવી શકીએ છીએ.
વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું લક્ષી સમાન છે. ટેકનોલોજીનો ઉદ્દેશ મનુષ્યોને અનુકૂલન આપવાનો છે. જ્યારે આધ્યાત્મિક મુલ્યો-માનવીય મુલ્યોની અવગણના કરવામાં આવે છે ત્યારે ટેકનોલોજી ડર અને વિનાશ નોંતરે છે.
માનવીય મુલ્યો વગરની ટેક્નોલોજી કુદરતને એક નિર્જીવ પદાર્થ તરીકે જુએ છે. વિજ્ઞાન કુદરતના જીવન પર પ્રકાશ ફેંકે છે અને આધ્યાત્મિકતા કુદરતને જીવંત બનાવે છે.દા.ત.,બાળકોની નજરે દુનિયામાં કશું નિર્જીવ નથી- પ્રાણીઓ, વૃક્ષો, સૂર્ય અને ચંદ્ર-બધામાં જીવન છે, ભાવનાઓ છે. એક તનાવગ્રસ્ત કે અજ્ઞાની વ્યક્તિની નજરે માણસો પણ રોબોટ કે પદાર્થો જેવા છે!
આધ્યાત્મિકતા વગરની ટેક્નોલોજી વિનાશકારી છે. આધ્યાત્મિકતા ચેતનાની ટેક્નોલોજી છે અને આખી દુનિયા ચેતનાનો ખેલ અને અભિવ્યક્તિ છે. જે વ્યક્તિ આ સર્જનથી અભિભૂત નથી થતી તેની આંખો હજી ખુલી નથી હોતી. આ સર્જનમાં એવું કંઈ છે જે રહસ્યમય નથી? જન્મ રહસ્ય છે; મૃત્યુ રહસ્ય છે અને જીવન પોતે એક મોટામાં મોટું રહસ્ય છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ક્ષય રોગ (ટીબી)નાં દર્દીઓને શોધી કાઢવા અને એમને તાબડતોબ સારવાર હેઠળ મૂકવા માટે ખાનગી ડોક્ટરો સાથે મળીને કામ કરે એ માટે 45 બિન-સરકારી સંસ્થાઓ (NGOs)ની મદદ લેશે. આ એનજીઓને ‘દર્દી-પ્રદાતા સહાયક એજન્સીઓ’ તરીકે ઓળખવામાં આવશે.
સત્તાવાળાઓને એવું માલૂમ પડ્યું છે કે રાજ્ય સરકારની અને સિવિલ હોસ્પિટલોમાં જઈને સારવાર લેનાર દર્દીઓની સરખામણીમાં ઘણા દર્દીઓ ખાનગી ડોક્ટરો કે હોસ્પિટલોમાં સારવાર લેતા નથી. તેથી એવા દર્દીઓને શોધી કાઢી એમને છ મહિના સુધી સારવાર હેઠળ મૂકવાનું સત્તાવાળાઓએ નક્કી કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ માટે ખાનગી હોસ્પિટલોમાં કેન્દ્રો શરૂ કર્યા છે. જોકે ખાનગી હોસ્પિટલો આવા કેન્દ્રો શરૂ કરવા તૈયાર થાય એ માટે એમના માલિકો, સંચાલકો સાથે બેઠકો યોજવામાં આવી રહી છે.
પ્રયાગરાજઃ ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અતીક એહમદની ગયા શનિવારે અત્રે હત્યા કરાયા બાદ એની પત્ની શાઈસ્તા પરવીન ગાયબ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ પોલીસે મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની બનાવેલી યાદીમાં શાઈસ્તાનો પણ ઉમેરો કર્યો છે. એને પકડવા માટે સત્તાવાળાઓએ મોટી રકમનું રોકડ ઈનામ પણ જાહેર કર્યું છે. અતીકના પાંચ પુત્રોમાંના ચાર હાલ કસ્ટડીમાં છે. ત્રીજા નંબરનો પુત્ર અસદ એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
શાઈસ્તાને પકડવા માટે ઉત્તર પ્રદેશ સરકારે રૂ. 50,000ના રોકડ ઈનામની જાહેરાત કરી છે અને તમામ નાગરિકોને અપીલ કરી છે કે શાઈસ્તાનો પત્તો લાગે કે એનાં વિશે કોઈ માહિતી મળે તો તરત જ પોલીસને જાણ કરવી.