
કબીરના મતે સુખ અને મોક્ષનો એકમાત્ર માર્ગ- રામનામ
|
રામ લિયા જિન સબ લિયા, સબ શાસ્ત્ર કો ભેદ, બિના રામ નરકે ગયે, પઢિ ગુનિ ચારો વેદ. |
માનવીની અંતરની ઇચ્છા એ છે કે, સંસારનાં તમામ સુખો ભોગવું અને
સાથે સાથે સ્વર્ગનો વૈભવ પણ પ્રાપ્ત કરું. ભક્તિયુગમાં રામનામનો જાપ કરવાથી અનેક લોકોએ અંધકાર અને નિરાશાના વાતાવરણમાં આધાર અને પ્રકાશ મેળવ્યા હતા તેવા યુગમાં કબીરજી કહે છે કે, જેમણે રામને મેળવી લીધા છે તેને સર્વની પ્રાપ્તિ થઈ છે.
ગાંધીજીએ ‘રામનામ’ની પુસ્તિકામાં લખ્યા મુજબ આ રામ કોઈ રાજાનું નામ જ નથી પણ સકળ બ્રહ્માંડમાં રહેલા એકમાત્ર સત્યનો પર્યાય છે. રામનામની શક્તિ અજોડ છે. આમાં જેની એકાગ્રતા થાય છે તેને સમગ્ર વિશ્વમાં એક જ ચેતનાનાં દર્શન થાય છે.

વેદનાં અટપટાં વાક્યોથી સૃષ્ટિનો જે ભેદ સમજાતો નથી તે માટે તો એકાગ્રતાથી જાપ કરી સર્વવ્યાપ્ત ઈશ્વરરૂપી દર્શન કરવું જોઈએ. જે દુન્વયી વિચારોમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કે તત્ત્વ અંગે ભેદ અનુભવે છે તેને શાસ્ત્રનું જ્ઞાન મુક્તિ માટે મદદરૂપ થતું નથી.
વેદાંતના સારરૂપ, ભક્તિમાર્ગના આધારરૂપ અને સરળ કામ રામનામના જાપમાં મનને એકાગ્ર કરવાનું છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
સાધનાનું સાતત્ય : સફળતાનો શાશ્વત નિયમ
માલ્કમ ગ્લેડવેલ એ કેનેડિયન પત્રકાર, લેખક તથા પ્રવચનકાર છે. એમનાં
આઠ પુસ્તકો પ્રગટ થયાં છે. થોડા વર્ષ પહેલાં પ્રકાશિત થયેલું માલ્કમનું ‘આઉટલાયર્સ’ નામનું પુસ્તક વિશ્વપ્રસિદ્ધ થયું. આ પુસ્તકમાં એમણે વિવિધ ક્ષેત્રના સફ્ળ મહાપુરુષોનાં જીવનનો અભ્યાસ કરીને એનો નિચોડ આપ્યો છે. ખાસ તો, આ સફળ લોકો સફળ થયા કેવી રીતે અથવા એમની સફ્ળતાનું રહસ્ય. આ માટે એમણે ટેન થાઉઝન્ડ અવર્સ રુલ આપ્યો છે. અર્થાત્
10,000 કલાકનો નિયમ એટલે કોઈ પણ કળા, કૌશલ્ય કે વેપારમાં વૈશ્વિક સ્તરની નિપુણતા પ્રાપ્ત કરવી હોય તો અંદાજે 10,000 કલાકની સભાન અને સઘન સાધના અનિવાર્ય છે. માલ્કમે આ તર્કને પુષ્ટિ આપવા ધ બીટલ્સે હેમ્બર્ગમાં આપેલા અવિરત કાર્યક્રમો અને બિલ ગેટ્સના પ્રારંભિક જીવનમાં પ્રોગ્રામિંગ પાછળ ખર્ચેલા અગણિત કલાકો જેવાં ઉદાહરણ આપ્યાં છે. માલ્કમ કહે છે કે સંગીતકારો, બાસ્કેટબૉલ-પ્લેયર્સ, આઈસ સ્કેટર્સ, પિયાનિસ્ટ, ચેસ પ્લેયર્સ કે પછી માસ્ટર ક્રિમિનલ્સ જે કોઈ નિષ્ણાત થયા છે તેમણે પોતાના ક્ષેત્રમાં દસ હજાર કલાકથી વધારે મહેનત કરી છે. જો કે કોઈએ એવી દલીલ પણ કરી કે, માત્ર કલાકોની ગણતરી પૂરતી નથી, પરંતુ એ કલાકો દરમિયાન કરવામાં આવેલી સભાન સાધના (ડેલિબરેટ પ્રેક્ટિસ) સાચા કૌશલ્યનું ઘડતર કરે છે.

મૂળ વાત છેઃ સાધના અથવા સાધનાનું સાતત્ય. માણસ પાસે ગમે તેવી કળા હોય, જન્મજાત આવડત હોય પરંતુ કોઈ વ્યક્તિ રાતોરાત સફ્ળતાના શિખરે પહોંચી શકતી નથી. એ માટે લાંબા સમય સુધીની એક નિશ્ચિત દિશામાં કરેલી સાધનાની જરૂર છે.
પુરાણમાં ઋષિમુનિઓનાં તપ, એમની સાધનાના ઉલ્લેખ મળે છે. કોઈ પ્રભુપ્રાપ્તિ માટે એક પગે ઊભા રહી તપ કરે છે. આધુનિક સમયમાં હિમાલય કે જંગલમાં ગયા વગર પણ ધ્યેયપ્રાપ્તિ માટે સાધના કરી શકાય.
વિદ્યાનગરમાં ગણિતના ડૉ. એન. એમ. શાહને પૂછવામાં આવ્યું કે, આપની સફ્ળતાનું રહસ્ય શું છે? તો ઉત્તરમાં તેમણે જણાવ્યું, 20 વર્ષ સુધી સતત દિવસના 18 કલાકની તપસ્યા. રવિવાર નહીં, રજા નહીં, ક્યાંય ફરવા જવાનું નહીં. તો વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર બિથોવનને એમની સિદ્ધિ વિશે પૂછતાં એ કહે છે કે ચાળીસ વર્ષ સુધી રોજના આઠ કલાકની સાધના.
મહાભારતમાં વિદુરનીતિની અંદર એક બહુ જ શાણપણભરી વાત કરવામાં આવી છે. દિવસભર એવું કામ કરવું કે રાત્રે સૂવા જઈએ ત્યારે આપણને સંતોષ હોય. વર્ષના આઠ મહિના એવું કામ કરવું કે બાકીના ચાર મહિના આપણને સંતોષ હોય. જીવનની આગલી અવસ્થામાં એવું કામ કરવું કે જ્યારે આપણે ઘરડા થઈએ ત્યારે સંતોષ હોય અને જીવીએ છીએ ત્યાં સુધીમાં એવું કામ કરી લેવું કે મર્યા પછી સંતોષ હોય. વિદુરજીનો આ સંદેશ દૂરંદેશિતા સાથે સખત પુરુષાર્થની પ્રેરણા આપે છે.

એક વખત પ્રમુખસ્વામી મહારાજે સાવ સહજતાથી કહ્યું હતું કે કોઈનું અહિત થાય તેવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. આવા અનુભવી, સદાચારથી સંપન્ન અને વિશુદ્ધ આશય ધરાવતા પ્રમુખસ્વામી મહારાજના સઘન ઉદ્યમથી અનેકનાં જીવન ઉન્નત થયાં છે. કોઈ વ્યસનોની ચુંગાલમાંથી છૂટ્યા તો કોઈ સ્વભાવોની કેદમાંથી મુક્ત થયા છે. કેટલાંય ભાંગેલાં હૈયાંમાં નવું જોમ ભરાયું છે, તો કેટલાયે તૂટેલા પરિવારોની તિરાડો સંધાઈ છે. વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે તેઓના સંદેશ સંજીવની સમાન પુરવાર થયા છે.
આ ફળશ્રુતિનું કારણ તેમણે કરેલો સખત પરિશ્રમ અને સતત કરેલી મહેનત. આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી કંઈ શીખીએ અને મૂલ્યનિષ્ઠા સાથે પ્રબળ પુરુષાર્થ કરવાનો સંકલ્પ કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
રેતીમાં છુપાયેલું રહસ્ય: સાઈક્સ નાઈટજાર
શું તમે ક્યારેય એવું પક્ષી જોયું છે, જે તમારી સામે જમીન પર બેઠું હોય છતાં નજરે ન ચડે? એવો જ એક અદ્ભુત અને
રહસ્યમય પક્ષી છે — સાઈક્સ નાઈટજાર, જેને ગુજરાતીમાં આપણે ‘રેતાળ છાપદારો’ તરીકે ઓળખીએ છીએ. પક્ષીપ્રેમી હોવ કે પ્રકૃતિના રસિયા, આ પક્ષી વિશે જાણવું ચોક્કસપણે રોમાંચક અનુભવ છે.
સાઈક્સ નાઈટજાર નિશાચર પક્ષી છે, જે મુખ્યત્વે રાત્રિના સમયે સક્રિય રહે છે. તેનું નામ પ્રખ્યાત પક્ષીશાસ્ત્રી વિલિયમ હેનરી સાઈક્સના નામ પરથી પડ્યું છે. આ પક્ષી પાકિસ્તાન અને ભારતના વાયવ્ય વિસ્તારોમાં જોવા મળે છે, ખાસ કરીને ગુજરાતના કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન–વેળાવદર અને કચ્છના રણમાં તેનું વિશેષ પ્રમાણ છે.
આ પક્ષીની સૌથી વિશેષ ઓળખ તેની અદભુત છદ્માવરણ (Camouflage) ક્ષમતા છે. તેનો રંગ અને ડિઝાઇન સુકી રેતી અને પથ્થરો જેવી જ હોવાથી, દિવસે જ્યારે તે જમીન પર શાંતિથી બેઠું હોય ત્યારે તે પથ્થરનો ટુકડો હોય એવું જ લાગે છે. આ કુદરતી આવરણ તેને શિકારી પ્રાણીઓથી બચાવે છે અને તેની સુરક્ષા માટે ઢાલ બની રહે છે.

સાઈક્સ નાઈટજારને ખુલ્લી અને સૂકી જમીન વધુ ગમે છે. તે અન્ય પક્ષીઓની જેમ ઝાડ પર માળો બનાવતું નથી, પરંતુ સીધું જમીન પર જ ઈંડા મૂકે છે. આશ્ચર્યની વાત એ છે કે તેના ઈંડા પણ જમીન સાથે એટલા ભળી જાય છે કે શોધવા અત્યંત મુશ્કેલ બની જાય છે.
સૂર્ય અસ્ત થતાની સાથે જ આ ‘રેતાળ છાપદારો’ સક્રિય બને છે. તેની મોટી આંખો તેને અંધારામાં સ્પષ્ટ જોવા મદદ કરે છે. તેની ઉડાન અત્યંત શાંત અને નિઃશબ્દ હોય છે. તે રાત્રિના સમયે હવામાં ઉડતા ફુદા (Moths), ભમરા અને અન્ય નાના જીવજંતુઓનો શિકાર કરે છે. રાત્રિના શાંતિભર્યા વાતાવરણમાં આવતો તેનો સતત ‘ચક-ચક-ચક’ જેવો અવાજ એક અલગ જ માયાવી માહોલ સર્જે છે.
શિયાળાની ઋતુમાં આ પક્ષી ખાસ કરીને પક્ષીપ્રેમીઓ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. અનેક લોકો આ રહસ્યમય પક્ષીને કેમેરામાં કેદ કરવા ખાસ કરીને ગુજરાતના કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન -વેળાવદર અને કચ્છના રણમાં આવે છે.
‘ઓ રોમિયો’નું ટ્રેલર રિલીઝ ઈવેન્ટ, શાહિદ-તૃપ્તિ સહિતના કલાકારો હાજર
મુંબઈ: શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર આજે રિલીઝ થયું.
ટ્રેલર લોન્ચ ઇવેન્ટ મુંબઈમાં યોજાઈ હતી, જેમાં નિર્માતા-દિગ્દર્શક સહિત ફિલ્મના મુખ્ય કલાકારો પણ જોવા મળ્યા હતા.
શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારી આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા.
ફિલ્મના મુખ્ય અભિનેતા નાના પાટેકર પણ આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા.

‘ઓ રોમિયો’નું નિર્દેશન વિશાલ ભારદ્વાજે કર્યું છે.
આ ફિલ્મમાં નાના પાટેકર, વિક્રાંત મેસી, તમન્ના ભાટિયા, દિશા પટણી, અવિનાશ તિવારી અને ફરીદા જલાલ સાથે શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી છે.
આ ફિલ્મ 13મી ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
(તસવીરો- માનસ સોમપુરા)
બજેટ 2026: હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટની શરૂઆતથી ઘર ખરીદનારાને મળશે મોટો લાભ
નવી દિલ્હીઃ હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટથી હોમ લોન લઈને ઘર ખરીદનાર લોકોને મોટો લાભ થશે. રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા નિષ્ણાતોએ સરકારને યુનિયન બજેટમાં હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટ શરૂ કરવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે આથી હોમ લોનની મંજૂરી (એપ્રુવલ)માં લાગતો સમય ઘણો ઘટશે. પરિણામે ઘરોની માગ વધશે અને હાઉસિંગ સેક્ટરની વૃદ્ધિને વેગ મળશે.
બજેટથી રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી અપેક્ષાઓ
નાણાં મંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. તેઓ સતત નવમી વખત બજેટ રજૂ કરશે. આ બજેટથી રિયલ એસ્ટેટ સેક્ટર, હોમબાયર્સ અને ટેક્સપેયર્સ સહિત દરેક વર્ગને મોટી અપેક્ષાઓ છે. રિયલ એસ્ટેટ સેક્ટરનું માનવું છે કે ઘર ખરીદવાની પ્રક્રિયા સરળ બનશે તો લોકોમાં ઘર ખરીદવાની રુચિ વધશે.
હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટનો અર્થ શો છે
રિયલ એસ્ટેટ સેક્ટરના પ્રતિનિધિઓએ સરકારને હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટ શરૂ કરવાની ભલામણ કરી છે. હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટમાં ગ્રાહકની સંપૂર્ણ નાણાકીય પ્રોફાઇલ હોય છે. તેમાં આવક (ઇનકમ), ક્રેડિટ હિસ્ટ્રી અને વર્તમાન લોનની માહિતી સામેલ હોય છે. જ્યારે ગ્રાહક હોમ લોન માટે અરજી કરે છે, ત્યારે બેંકો તેના હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટને જોઈ શકે છે. આથી તેમને ગ્રાહકની નાણાકીય સ્થિતિ સરળતાથી સમજાઈ જશે.
હોમ લોનની અરજીમાં ઓછો સમય લાગશે
હોમ લોન માટે બેંકો ગ્રાહક પાસેથી અનેક પ્રકારના દસ્તાવેજો માગે છે. દસ્તાવેજો સબમિટ થયા પછી બેંક તેનું વિશ્લેષણ કરે છે અને ત્યાર બાદ નક્કી કરે છે કે લોન આપી શકાય કે નહીં. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણા સપ્તાહ લાગી જાય છે. હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટ શરૂ થતાં ગ્રાહકને બેંકોને વધુ દસ્તાવેજો આપવાની જરૂર નહીં પડે. પરિણામે હોમ લોનની અરજીને મંજૂરી મળવામાં વધારે સમય નહીં લાગે.
બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ટર પર સરકારનું ધ્યાન
નિષ્ણાતોનું કહેવું છે કે બજેટમાં સરકારનું ધ્યાન રિયલ એસ્ટેટ સેક્ટર પર રહેવાની સંભાવના છે. આ એવું સેક્ટર છે, જેના સારા વિકાસની સકારાત્મક અસર ઘણાં અન્ય સેક્ટરો પર પડે છે. તેમાં સ્ટીલ, સિમેન્ટ, પેઇન્ટ્સ, લાઇટિંગ જેવી ઉદ્યોગો સામેલ છે.
‘ફરીથી હિન્દુ ધર્મ અપનાવો…’ વિવાદ વચ્ચે ભજન ગાયકની એઆર રહેમાનને સલાહ
એઆર રહેમાનના ઇન્ટરવ્યુ બાદ થયેલા હોબાળા પર બોલિવૂડના એક ભજન ગાયકે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે એઆર રહેમાનને પાછા હિન્દુ ધર્મ અપનાવવાની સલાહ આપતો એક વીડિયો જાહેર કર્યો છે.

બોલિવૂડના સુપરસ્ટાર સંગીતકાર અને ગાયક એ.આર. રહેમાન પોતાના તાજેતરના નિવેદનોને કારણે સમાચારમાં છે. બીબીસી સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે મુસ્લિમ હોવાને કારણે સાંપ્રદાયિક ભેદભાવ અને કામનો અભાવ જોવા મળે છે. આ નિવેદનથી ઘણો હોબાળો થયો હતો, અને ફિલ્મ સ્ટાર્સે તેના પર પ્રતિક્રિયા આપી હતી. હવે, ભજન ગાયક અનુપ જલોટાએ પણ પ્રતિક્રિયા આપી છે. અનુપ જલોટાએ એક વીડિયો શેર કરીને એ.આર. રહેમાનને ફરીથી હિન્દુ ધર્મ અપનાવવાની સલાહ આપી છે.
અનુપ જલોટાએ શું કહ્યું?
અનુપ જલોટાએ એઆર રહેમાનના મુસ્લિમ વિવાદ અંગે એક વીડિયો શેર કર્યો, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુપ જલોટાએ કહ્યું, “સંગીત નિર્દેશક એઆર રહેમાન મૂળ હિન્દુ હતા. ત્યારબાદ તેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને ઘણું કામ કર્યું, ઘણી ખ્યાતિ મેળવી અને લોકોના દિલમાં સારું સ્થાન બનાવ્યું. પરંતુ જો તેઓ માને છે કે મુસ્લિમ હોવાને કારણે તેમને આપણા દેશમાં સંગીત બનાવવા માટે ફિલ્મો મળી રહી નથી, તો તેમણે ફરીથી હિન્દુ ધર્મ અપનાવવો જોઈએ. હિન્દુ બન્યા બાદ, ધર્મ પરિવર્તન બાદ તેમને ફરીથી ફિલ્મો મળવાનું શરૂ થશે, તેમનો કહેવાનો મતલબ એ જ થયો ને. તો, મારી સલાહ છે કે તેમણે હિન્દુ ધર્મ અપનાવવો જોઈએ અને પછી જુએ કે તેમને ફરીથી ફિલ્મો મળે છે કે નહીં.” હવે, અનુપ જલોટાનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એ.આર. રહેમાને શું કહ્યું?
એ.આર. રહેમાને તાજેતરમાં બીબીસી એશિયન નેટવર્કને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે તમિલ સંગીતકાર તરીકે બોલિવૂડમાં ક્યારેય ભેદભાવનો સામનો કર્યો છે. જવાબમાં એ.આર. રહેમાને કહ્યું, “કદાચ મને આવો ક્યારેય ખયાલ આવ્યો નથી, કદાચ ભગવાને તે છુપાવીને રાખ્યું હશે, પરંતુ મેં ક્યારેય તે અનુભવ્યું નથી. કદાચ છેલ્લા આઠ વર્ષમાં સત્તામાં પરિવર્તન આવ્યું છે, અને હવે સત્તા એવા લોકોના હાથમાં છે જેઓ સર્જનાત્મક નથી. તે એક સાંપ્રદાયિક મુદ્દો પણ હોઈ શકે છે, પરંતુ તે વાતની મને સ્પષ્ટતા નથી.” આ નિવેદન પછી, એ.આર. રહેમાને ભારે ટ્રોલ કરવામાં આવ્યા, અને ત્યારબાદ તેમણે માફી માંગી. એ.આર. રહેમાને કહ્યું, “સંગીત હંમેશા આપણી સંસ્કૃતિ સાથે જોડાવાનો, ઉજવણી કરવાનો અને આદર કરવાનો મારો માર્ગ રહ્યો છે. ભારત મારી પ્રેરણા, મારા ગુરુ અને મારું ઘર છે. હું સમજું છું કે ક્યારેક ઇરાદાઓને ખોટી રીતે સમજવામાં આવે. પરંતુ મારો ઉદ્દેશ્ય હંમેશા સંગીત દ્વારા ઉત્થાન, સન્માન અને સેવા કરવાનો રહ્યો છે. મારો ક્યારેય કોઈને નારાજ કરવાનો ઇરાદો નહોતો, અને મને આશા છે કે મારી ઇમાનદારી અનુભવાશે.
રાજ ઠાકરેએ શિંદેને ટેકો આપીને ઉદ્ધવને આપ્યો આંચકો
મુંબઈ: મુંબઈ BMC ચૂંટણીમાં હાલ ભલે મેયર પદને લઈને કોઈ અંતિમ નિર્ણય ન થયો હોય અને ભાજપ, શિવસેના (શિંદે) તેમ જ વિપક્ષી ગઠબંધન શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)–મનસે વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોય, પરંતુ કલ્યાણ-ડોમ્બિવલી નગર નિગમમાં રાજકીય ‘ખેલો’ થઈ ગયો છે. અહીં મેયરની ખુરશી માટે શિવસેના (શિંદે)એ રાજ ઠાકરેની મનસે સાથે હાથ મિલાવ્યાની ચર્ચા છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (KDMC)નાં તાજાં ચૂંટણી પરિણામો બાદ આ નવું રાજકીય ગઠબંધન બની રહ્યું છે. કહેવાય છે કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેની શિવસેના અને રાજ ઠાકરેની મનસે વચ્ચે ગઠબંધનની ‘ખીચડી’ તૈયાર થઈ ગઈ છે.
આ જ સંદર્ભમાં શિવસેના નેતા શ્રીકાંત શિંદે અને સાંસદ નરેશ મ્હસ્કેએ નવી મુંબઈના કોંકણ ભવનની મુલાકાત લીધી હતી. ત્યાં તેમની સાથે મનસે નેતા રાજુ પાટીલની હાજરીએ આ અટકળોને વધુ વેગ આપ્યો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેને સંગઠન સ્તરે મોટો નિર્ણય લેતાં પ્રલ્હાદ મ્હાત્રેને કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (KDMC)માં પાર્ટીના નવા ગ્રુપ નેતા તરીકે નિયુક્ત કર્યા છે. KDMCમાં મનસેના કુલ પાંચ નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે અને હવે મ્હાત્રે અહીં પાર્ટીનું નેતૃત્વ કરશે.શિંદે સેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ ગઠબંધનની સંભાવનાઓ અંગે સંકેત આપતાં કહ્યું કે મનસે કોઈ AIMIM નથી, તેથી તેમની સાથે આવવામાં કોઈ અડચણ હોવી જોઈએ નહીં.
કલ્યાણ-ડોમ્બિવલીમાં શિવસેના (53) અને ભાજપ (50) મળીને કુલ 103 સીટો જીતેલી છે, જે બહુમતના આંકડા (62) કરતાં ઘણો વધારે છે. પરંતુ મહાયુતિને બહુમત મળ્યા બાદ હવે શિવસેના અને ભાજપ વચ્ચે મેયર પદને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મેયરની લડાઈમાં શિંદેને મનસેની મદદ લેવી પડી રહી છે.
શિવસેના–ભાજપને મળીને કેટલા કોર્પોરેટર?
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં શિવસેના અને ભાજપ મળીને સરળતાથી બહુમત મેળવી શકે છે. અહીં સૌથી મોટી પાર્ટી શિવસેના પાસે 53 અને ભાજપ પાસે 50 કોર્પોરેટર છે. કુલ 122માંથી 103 કોર્પોરેટર તો માત્ર આ બંને પાર્ટીઓ પાસે જ છે.


