Home Blog Page 3

ઉદયપુર ફાઇલ્સની રિલીઝ પર સ્ટે લગાવવાનો ‘સુપ્રીમ’ ઇનકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફિલ્મ “ઉદયપુર ફાઇલ્સ”ની રિલીઝ પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. કોર્ટે કહ્યું હતું કે આ દલીલોના ગુણદોષ પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.⁠ગ્ય આદેશ પસાર કરવાનો અધિકાર દિલ્હી હાઇકોર્ટનો છે. આ ફિલ્મ રાજસ્થાનના દરજી કનૈયાલાલના હત્યાકાંડ પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેના વિરોધને લઈને વિવાદ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટે મામલો દિલ્હી હાઇકોર્ટને મોકલી દીધો છે અને અરજીકર્તાઓને ત્યાં દલીલો રજૂ કરવા કહ્યું છે. હાઇકોર્ટે પણ આ મામલે આવતા સોમવારે સુનાવણી કરવા આદેશ આપ્યો છે.

ફિલ્મના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. કોર્ટે તેમને હાઇકોર્ટના આદેશ સામે ટોચની કોર્ટમાં અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી છે. આ સુનાવણીમાં જસ્ટિસ સૂર્યકાંતે ફિલ્મના વકીલને કહ્યું હતું કે આ તમામ વિવાદોથી તમારી ફિલ્મને સારી પબ્લિસિટી મળી છે. જેટલી વધુ પબ્લિસિટી મળશે, તેટલા વધુ લોકો ફિલ્મ જોવા આવશે. મને નથી લાગતું કે તમારું નુકસાન થશે.

નિર્માતા તરફથી વકીલ ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે ‘સેન્સર બોર્ડ અને સરકારની મંજૂરી પછી પણ મારા આખા જીવનનું મૂડીરોકાણ બરબાદ થયું છે. જસ્ટિસ કાંતે કહ્યું હતું કે અમે અહીં કોઈ સ્ટે આપવા નથી ઇચ્છતા, આ વિષય હાઇકોર્ટમાં નિર્ધારિત થશે. ગૌરવ ભાટિયાએ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ રિલીઝ માટે 1200 સ્ક્રીન બુક કરવામાં આવી હતી. ઘણું મોટું રોકાણ કરાયું છે. કોઈની લાગણીઓ દુભાઈ એવી દલીલ કરીને કોર્ટમાં સ્ટે માગવામાં આવ્યો હતો.

‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો 26મી જુલાઈથી પ્રારંભ

ગાંધીનગર: ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલી ઊઠે છે. આ સમયગાળા દરમિયાન અહીં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળે છે. એમાં પણ દર વર્ષે યોજાતા સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનું પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ હોય છે. આ ઉત્સવને કારણે સાપુતારામાં પ્રવાસનની સાથે-સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળ્યું છે. આ વર્ષે સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 26 જુલાઈ 2025થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે અને તેના વિવિધ આકર્ષણોથી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે.

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા આયોજિત સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025નો 26 જુલાઈએ રંગેચંગે પ્રારંભ થશે. આ ફેસ્ટિવલ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને સ્થાનિક પરંપરાઓના પ્રચારનું માધ્યમ બન્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા અને મહોત્સવને નિહાળવા માટે ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સહેલાણીઓ ઉમટી પડે છે. આ મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓને ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિ, રીતિ રિવાજ, પરંપરાગત ભોજન, રહેણી કરણી, નૃત્ય કળાની ઝલક તો જોવા મળે છે, સાથે વિવિધ ભાતીગળ સંસ્કૃતિની પણ ઝાંખી થાય છે.સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025માં આ વર્ષે પ્રથમ વખત એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13 રાજ્યો- ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઓડિશાના 350થી વધુ કલાકારો ભાગ લેશે. આ કલાકારો પરેડમાં પરંપરાગત પ્રોપ્સ સાથે જીવંત લોક પરંપરાઓ રજૂ કરશે. 80થી વધુ કલાકારો તેમની શાસ્ત્રીય અને લોક પરંપરાઓ દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક રંગો રજૂ કરશે.આ વર્ષે રેઈન ડાન્સ અને નેચર વૉક જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે. મોનસૂન ફેસ્ટિવલના અન્ય મુખ્ય આકર્ષણોમાં ગીતાબેન રબારી, પાર્થ ઓઝા અને રાગ મહેતા જેવા પ્રખ્યાત ગુજરાતી કલાકારો ઉપરાંત કેરળનું પ્રખ્યાત થેકકિનકાડુ અટ્ટમ મ્યુઝિકલ બૅન્ડ પણ ખાસ પર્ફોર્મન્સ રજૂ કરશે. પ્રવાસીઓને સમગ્ર સાપુતારામાં ટેબ્લો શૉ જોવા મળશે, તો સન્ડે સાઇક્લોથોન, દહીં હાંડી સ્પર્ધા સાથે જન્માષ્ટમીની ઉજવણી અને સ્વતંત્રતા દિવસે આયોજિત મિનિ મૅરથોન વગેરે કાર્યક્રમો સાંસ્કૃતિક અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરશે.સાપુતારા આવતા પ્રવાસીઓ ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ રોજગારી મળી રહે તે હેતુથી સાપુતારા મોનસૂન ફેસ્ટિવલમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે. આ વખતે ફેસ્ટિવલ અંતર્ગત સાપુતારા મેઈન સર્કલ, ગવર્નર હિલ અને સાપુતારા લેક બોટ ક્લબ ખાતે સ્થાનિક કલાકારો દ્વારા દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તો મેઈન ડોમ ઇવેન્ટ્સ એરિયામાં ટ્રાઇબલ ફૂડ ફેસ્ટિવલ, ટ્રાઇબલ ટેટૂ વર્કશોપ, ટ્રાઇબલ આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ, વરલી પેઇન્ટિંગ વર્કશોપ, લોક સંગીત, મૅજિક શૉ વગેરે પ્રવૃત્તિઓ પ્રવાસીઓનો અનુભવ યાદગાર બનાવશે.ફેસ્ટિવલની ફળશ્રુતિરૂપે ડાંગ આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. 2022માં સાપુતારા આવનારા લોકોની સંખ્યા 8.16 લાખ હતી, જે 2023 અને 2024માં અનુક્રમે 11.13 લાખ અને 11.67 લાખ નોંધાઈ હતી. ડાંગ જિલ્લામાં આવનારા પ્રવાસીઓની વાત કરીએ, તો 2022માં 10.40 લાખ, 2023માં 22.40 લાખ અને 2024માં 26.91 લાખ જેટલા લોકોએ જિલ્લાની મુલાકાત લીધી હતી.

અશ્લીલ સામગ્રી પીરસતી ઉલ્લુ અને અલ્ટ સહિત 25 એપ્સ પર સરકારનો પ્રતિબંધ

ડિજિટલ કન્ટેન્ટમાં વધતી જતી અશ્લીલતા અંગે ભારત સરકારે હવે એક મોટું પગલું ભર્યું છે. સરકારે 25 OTT પ્લેટફોર્મ અને તેમની સંબંધિત મોબાઇલ એપ્લિકેશનો પર અશ્લીલ સામગ્રી દર્શાવવાના આરોપસર પ્રતિબંધ મૂક્યો છે. આમાં ઉલ્લુ, ઓલ્ટ, ડેસિફ્લિક્સ અને બિગ શોટ્સ જેવા લોકપ્રિય નામોનો સમાવેશ થાય છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે વિવિધ તપાસ એજન્સીઓ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ આ નિર્ણય લીધો છે. મંત્રાલયે કહ્યું કે આ પગલાનો હેતુ અશ્લીલ સામગ્રી અને ભારતીય કાયદાકીય અને સાંસ્કૃતિક ધોરણોનું ઉલ્લંઘન કરતી સામગ્રીના પ્રદર્શનને રોકવાનો છે.

પ્રતિબંધિત એપ્લિકેશન્સની યાદીમાં પ્રાઇમ પ્લે, હન્ટર્સ, ડ્રીમ ફિલ્મ્સ, રંગૂન અને નિયોનએક્સ વીઆઇપીનો પણ સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ્સની ઘણીવાર તેમની પોર્નોગ્રાફિક સામગ્રી અને પુખ્ત શ્રેણી માટે ટીકા કરવામાં આવી છે. જેના કારણે આ પ્લેટફોર્મ્સ ઘણીવાર નિશાન બનાવવામાં આવે છે.

ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓને આ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપતાં મંત્રાલયે કહ્યું કે આમાંના ઘણા પ્લેટફોર્મ એડવાઈઝરી જારી કરવામાં આવી હોવા છતાં નિયમોની અવગણના કરી રહ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ્સ મુખ્યત્વે મોબાઈલ એપ્સ દ્વારા એક્સેસ કરવામાં આવી રહ્યા હતા, જે થર્ડ પાર્ટી એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ હતા. જ્યારે કેટલાક કિસ્સાઓમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી પ્રમોટ કરવામાં આવ્યા હતા. પ્રતિબંધમાં મોબાઈલ એપ્લિકેશન અને સંબંધિત વેબસાઇટ બંનેનો સમાવેશ થાય છે.

ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી પર રાબડી દેવીના ગંભીર આરોપો

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં બિહાર વિધાનમંડળનો છેલ્લો દિવસ હતો અને આજના દિવસે પણ બંને ગૃહોમાં ભારે હંગામો જોવા મળ્યો. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા તરીકે રહેલાં રાબડી દેવીએ ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે તેઓ છોકરીઓને હેરાન કરતા હતા. રાબડી દેવીએ સમ્રાટ ચૌધરીને “ગુંડો” પણ કહી નાખ્યા, જેથી CM નીતીશકુમાર સાથે પણ તેમનું વાકયુદ્ધ થયું હતું.

RJD નેતા રાબડી દેવીએ કહ્યું હતું કે સમ્રાટ ચૌધરીને અમે બાળપણથી જોઇએ છે, તે ગુંડાગીરી કરે છે. તે છોકરીઓને હેરાન કરતો હતો અને હવે તે બીજાને ગુંડા કહે છે, જ્યારે પોતે જ ગુંડાગીરી કરે છે.

સમ્રાટ ચૌધરી શું બોલ્યા હતા?
સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે જેનો બાપ ગુનેગાર હોય, તે શું બોલશે? આ નિવેદનને લઈને રાબડી દેવીએ ઉગ્ર પ્રતિસાદ આપ્યો હતો. સરકારના કામકાજ પર પણ રાબડી દેવીએ આક્ષેપ કર્યો હતો કે બિહાર સરકારે રૂ. 70,877 કરોડની યોજનાનું ઉપયોગિતા પ્રમાણપત્ર CAG (કેગ)ને રજૂ કર્યું નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર કાંઈ કામ કરતી નથી, ફક્ત કૌભાંડ પર કૌભાંડ કરે છે. તેમણે કહ્યું હતું  કે 2014થી અત્યાર સુધી સતત કૌભાંડ ચાલી રહ્યા છે.

રાબડી દેવીએ તેમના પુત્ર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવની જાનને ખતરો હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે તેમના પુત્ર પર અત્યાર સુધી ચાર વાર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. વોટર લિસ્ટના મુદ્દે પણ વિધાનસભામાં ભારે હંગામો થયો. CM નીતીશકુમારે RJD અને કોંગ્રેસના વર્તન પર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

એ.આર રહેમાન ઓપનએઆઈના સીઈઓને મળ્યા,’સિક્રેટ માઉન્ટેન’ પર ચર્ચા કરી

બૉલીવુડના શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શક એ.આર. રહેમાન તાજેતરમાં ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનને મળ્યા હતા. તેમણે આનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમણે ઓલ્ટમેન સાથે ભારતીય સર્જકોને સશક્ત બનાવવાની રીતો વિશે વાત કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોતાની પોસ્ટમાં રહેમાને ઓલ્ટમેનને ટેગ કર્યા અને ખુલાસો કર્યો કે તેઓ તેમના આગામી વર્ચ્યુઅલ ગ્લોબલ બેન્ડ પ્રોજેક્ટ ‘સિક્રેટ માઉન્ટેન’ વિશે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય ધ્વનિ અને કોડને જોડતો પ્રોજેક્ટ બનાવવાનો છે.

રહેમાને સોશિયલ મીડિયા પર કેમેરા સામે હસતા બંનેનો ફોટો શેર કર્યો અને લખ્યું,’સેમને તેની ઓફિસમાં મળીને ખૂબ આનંદ થયો. અમે અમારા વર્ચ્યુઅલ ગ્લોબલ બેન્ડ ‘સિક્રેટ માઉન્ટેન’વિશે ચર્ચા કરી. આ ઉપરાંત અમે પેઢીગત પડકારોને ઉકેલવા વિશે વાત કરી. અમે AI ટૂલ્સનો ઉપયોગ કરીને કેવી રીતે આગળ વધવું તે વિશે પણ વાત કરી.’

14 ફેબ્રુઆરી 2024 ના રોજ, એ.આર. રહેમાને યુટ્યુબ પર લગભગ પાંચ મિનિટનો એક વિડીયો પોસ્ટ કર્યો. તેનું શીર્ષક હતું ‘ઈન્ટ્રોડ્યુસિંગ સિક્રેટ માઉન્ટેન’. આ વિડીયો રહેમાનની યોજનાનો સંકેત હતો. વિડીયો આ રીતે શરૂ થયો હતો,’અરે, હું લુના છું, હું તમને એક વાર્તા કહું છું.’ વિડીયો મેટાવર્સ વિશ્વમાં અદ્યતન વાર્તા કહેવા દ્વારા નવીનતા દર્શાવે છે. વિડીયોમાં એક યુવતીને સિક્રેટ માઉન્ટેનની દુનિયામાં લઈ જવામાં આવે છે, જ્યાં તે વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના વિવિધ સંગીત પાત્રોને મળે છે.

 

View this post on Instagram

 

A post shared by ARR (@arrahman)

“હું જાણી જોઈને પુનરાવર્તન ટાળું છું. AI એક શરૂઆત હોઈ શકે છે પરંતુ માનવ સર્જનાત્મકતા બદલી ન શકાય તેવી છે,” રહેમાને તેમની વેબસાઇટ પર કહ્યું. આ પ્રોજેક્ટ દ્વારા તેઓ આયર્લેન્ડ, ચીન, આફ્રિકા અને ભારત સહિત વિશ્વભરના ગાયકો અને માર્ગદર્શકોને એકસાથે લાવશે અને બતાવશે કે સંગીત ભૌગોલિક સીમાઓ કેવી રીતે પાર કરી શકે છે. આ પ્રોજેક્ટનું નામ ‘મેટા બેન્ડ’ છે.

એ.આર. રહેમાન બે વાર ઓસ્કાર વિજેતા છે. તેઓ બે ભાગની રામાયણ ફિલ્મના સંગીત પર કામ કરી રહ્યા છે. તેનું દિગ્દર્શન નિતેશ તિવારી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. રહેમાનને ડેની બોયલ દ્વારા દિગ્દર્શિત ‘સ્લમડોગ મિલિયોનેર’ માટે ઓસ્કાર મળ્યો હતો.

ફ્રાંસ પેલેસ્ટિનને રાષ્ટ્રની માન્યતા આપશે, ઈઝરાયલ નારાજ

નવી દિલ્હીઃ ફ્રાંસે એક મોટું પગલું ભરતાં જાહેરાત કરી છે કે તે પેલેસ્ટિનને અલગ દેશ તરીકે માન્યતા આપશે. એવું કરનાર ફ્રાંસ પ્રથમ G-7 દેશ બનશે. પેલેસ્ટિન તરફથી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે, જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ આ પગલાથી ભારે નારાજ થયા છે.

રાષ્ટ્રપતિ મેક્રોએ સોશિયલ મિડિયા X પર પોસ્ટ કરી આ માહિતી આપતાં જણાવ્યું હતું કે તે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ નિર્ણયને અમલમાં મૂકે છે. તેમણે લખ્યું હતું કે હાલની સૌથી મોટી જરૂરિયાત એ છે કે ગાઝામાં યુદ્ધ રોકવામાં આવે અને લોકોનું રક્ષણ થાય.

મેક્રોએ X પર લખ્યું હતું કે અમે તરત જ યુદ્ધવિરામ (Ceasefire), તમામ બંદીઓને મુક્ત કરવાની અને ગાઝાની જનતા માટે વિશાળ માનવતાવાદી મદદની જરૂર છે. આપણે હમાસને નિશસ્ત્ર (Demilitarize) કરવો પડશે, ગાઝાને સલામત અને ફરીથી બાંધવો પડશે અને પેલેસ્ટિનિયનો એક સ્વતંત્ર દેશ બનાવવો પડશે.

ઓક્ટોબર, 2023થી પેલેસ્ટિનના સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હજારોથી વધુ લોકોનાં મોત થયાં છે. ઇઝરાયલની સરકાર લાંબા સમયથી પેલેસ્ટિનને અલગ દેશ તરીકે માન્યતા આપવા વિરોધ કરતી રહી છે.ફ્રાંસના આ પગલાથી ઇઝરાયલ પર રાજકીય દબાણ વધી ગયું છે. અત્યાર સુધી 140થી વધુ દેશો પેલેસ્ટિનને અલગ દેશ તરીકે માન્યતા આપી ચૂક્યા છે, જેમાં યુરોપના પણ એક ડઝનથી વધુ દેશો સામેલ છે.

ઇઝરાયલના PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું કે ઇઝરાયલ રાષ્ટ્રપતિ મેક્રોનના આ નિર્ણયની ઘોર નિંદા કરે છે. આ પગલું આતંકને પ્રોત્સાહન આપે છે અને તે ઇરાનના વધુ એક સાથીદારોને (proxy) ઊભા કરવા જેવી સ્થિતિ ઊભી કરી શકે છે, જેમ કે ગાઝા બન્યું હતું.

ઇન્ડિયન રેલવેને રૂ. 200 કરોડનું ભારે નુકસાનઃ રેલવે મંત્રી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દેશમાં નેટવર્કને વિસ્તૃત કરવા સતત પ્રયાસ કરી રહી છે. પૂર્વોત્તર રાજ્યોમાં પણ રેલ સેવા પહોંચાડવા માટે કામગીરી ચાલી રહી છે, પરંતુ પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આપદાઓને કારણે આ કામગીરી સતત પ્રભાવિત થઈ રહી છે. આ અવરોધોને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય રેલવેને 200 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, એમ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે.

લોકસભામાં જવાબ આપતી વખતે રેલ મંત્રીએ કહ્યું હતું કે રેલવે પ્રોજેક્ટોના ડિઝાઇન અને તેના અમલ દરમિયાન પૂર્વોત્તર રાજ્યોની ભૌગોલિક સ્થિતિ અને તેના અભાવોનો હંમેશાં વિચાર કરવામાં આવે છે. સંસદમાં તેમણે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં પૂર, ભૂસ્ખલન વગેરે કારણોસર પૂર્વોત્તર સીમાંત રેલવેમાં રેલવેના પાટા અને બાંધકામોને નુક્સાન થયું છે, જેના કુલ આકલન મુજબ નુકસાન 200 કરોડ રૂપિયાથી વધુ છે. પૂર્વોત્તર વિસ્તારનું ભૂવૈજ્ઞાનિક સ્વરૂપ એવું છે કે ત્યાં ભૂસ્ખલન થવાનું જોખમ વધુ છે.

હાલમાં ચાલી રહી છે 12 રેલ પ્રોજેક્ટ

તેમણે જણાવ્યું હતું કે મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવાં પહાડી રાજ્યોમાં મુખ્ય રેલવે પ્રોજેક્ટો માટે બાંધકામ શરૂ કરતાં પહેલાં વ્યાપક ભૂ-ટેક્નિકી તપાસ અને પર્યાવરણ અસરનું મૂલ્યાંકન કરાય છે. તેમણે કહ્યું હતું કે આ અભ્યાસ ખાસ કરીને ઢાળની સ્થિતિ, પર્વતો અને માટીની લાક્ષણિકતાઓ, વનસ્પતિ આવરણ અને જળવિજ્ઞાન પેટર્નનો અંદાજ આપે છે.

રેલ મંત્રાલયના આંકડા મુજબ 1 એપ્રિલ 2025, સુધીમાં પૂર્વોત્તર માટે કુલ 12 રેલવે પ્રોજેક્ટો (આઠ નવી લાઈનો અને ચાર ડબલ લાઈનો)ને મંજૂરી મળી છે, જેના અંતર્ગત કુલ લંબાઈ 777 કિલોમીટર છે. આ પ્રોજેક્ટો માટે કુલ ખર્ચ રૂ. 69,342 કરોડ છે. જેમાંથી 278 કિલોમીટર લાંબી યોજનાઓ પર માર્ચ ,2025 સુધીમાં રૂ. 41,676 કરોડ ખર્ચ થઈ ચૂક્યા છે.

‘વોર 2’નું ટ્રેલર રિલીઝ, ઋતિક અને જુનિયર NTR વચ્ચે જોરદાર ટક્કર

દર્શકોની રાહનો અંત આવ્યો છે. ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘વોર 2’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલરમાં ઋતિક અને જુનિયર એનટીઆર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે છે, જે સાબિત કરે છે કે ફિલ્મમાં બંને વચ્ચે ઉચ્ચ સ્તરીય એક્શન જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ તે હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયું છે.

ટ્રેલરની શરૂઆત ઋતિક રોશનના વોઇસ ઓવર અને તેના ઇન્ટેન્સ લુકથી થાય છે. ઋતિક એક વરુ સાથે જોવા મળે છે જેના ચહેરા પર થોડું લોહી છે. આ સાથે તેનો વોઇસ ઓવર પણ છે જેમાં તે પોતાની શપથનું પુનરાવર્તન કરે છે. આમાં,ઋતિક કહે છે,’હું શપથ લઉં છું કે હું મારું નામ, મારી ઓળખ, મારું ઘર અને પરિવાર છોડી દઈશ અને એક ગુમનામ, નામહીન, અજાણ્યો પડછાયો બનીશ.’ આ પછી જુનિયર એનટીઆર જોવા મળે છે અને જુનિયર એનટીઆર પણ આવી જ શપથ બોલે છે. તે કહે છે,’હું શપથ લઉં છું, હું તે બધું કરીશ જે બીજું કોઈ કરી શકતું નથી. હું તે યુદ્ધ લડીશ જે બીજું કોઈ લડી શકતું નથી.’ આ દરમિયાન ઋતિક અને જુનિયર એનટીઆરના જીવનના વિવિધ દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે.

આ ટ્રેલરમાં જુનિયર એનટીઆર અને ઋતિક રોશન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે. બંને એકબીજા પર કાબુ મેળવતા જોવા મળે છે. ટ્રેલરના એક દ્રશ્યમાં આશુતોષ રાણા કહે છે કે બંને સૈનિક છે. ઋતિક અને જુનિયર એનટીઆર બંને દેશની રક્ષા માટે શપથ પણ લે છે. ટ્રેલર એ વાતનો પુરાવો આપે છે કે ‘વોર 2’માં જબરદસ્ત એક્શન જોવા મળશે. જોકે, એક્શનની વચ્ચે કેટલી વાર્તા હશે અને શું થશે તે ફિલ્મમાં જોવા મળશે. ટ્રેલર એ પણ બતાવે છે કે ‘વોર’ની જેમ ‘વોર 2’ની સિનેમેટોગ્રાફી પણ ઘણી સારી છે.

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)


‘વોર 2’ ના ટ્રેલરમાં ઋત્વિક અને જુનિયર NTR સહિત ફિલ્મના સમગ્ર કાસ્ટની ઝલક જોવા મળી છે. જેમાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી કિયારા અડવાણી અને આશુતોષ રાણા પણ જોવા મળે છે. ટ્રેલરમાં કિયારા અડવાણી પણ જબરદસ્ત એક્શન કરતી જોવા મળી રહી છે. ફિલ્મમાં જુનિયર NTR નેગેટિવ રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મથી જુનિયર NTR બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે.

‘વોર 2’ એ યશ રાજ ફિલ્મની જાસૂસી દુનિયાનો એક ભાગ છે, આ ફિલ્મ 2019 માં રિલીઝ થયેલી ‘વોર’ નો બીજો ભાગ છે.’વોર’ માં ટાઇગર શ્રોફ ઋતિક રોશન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો, જ્યારે આ વખતે ‘વોર 2’ માં, જુનિયર NTR ઋતિક રોશન સાથે ટકરાતા જોવા મળશે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ‘વોર 2’ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

વાસ્તુ: દક્ષિણનું દ્વારા અને આર્થિક સંકળામણ

માણસનું મુખ્ય કાર્ય કયું? મોબાઈલ ફોનનું મુખ્ય કાર્ય કયું? આ બંને સવાલના જવાબ આપવામાં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. એ જ રીતે આ મારું કામ નહિ અને ભાગી જવાની વૃત્તિ પણ તીવ્ર બની ગઈ છે. માનવી માનવતા ભૂલી જાય તો એ માનવી કહી શકાય ખરો? પચાસ વરસનું પ્લાનિંગ શીખવાડનાર વ્યક્તિ એના સેમિનારના સ્ટેજ પરજ ગુજરી જાય એવું પણ બને. વિમાનમાં બેસનારને ખબર હોય છે કે એ વિમાન એને પહોંચાડશે જ? અને દરરોજ વિમાન નીચેથી જનારને એવી ખબર હોય છે કે એક દિવસ એ વિમાન નીચે આવી જશે? તો પેલું પચાસ વરસનું પ્લાનિંગ ક્યાં સચવાય છે? જે માણસ જે તે ક્ષણને જીવી જાણે છે એ જ સુખી છે. તેથી જ કરોડો રૂપિયાની લાલસામાં કોઈનું ખરાબ કરવા કરતા લોકોના હૃદય જીતવાનું વધારે યોગ્ય છે. કદાચ ઈશ્વર આપણા માટે એવું પ્લાનિંગ કરે કે એ ભસ્મીભૂત થયેલા વિમાનમાંથી બચી નીકળનાર એક વ્યક્તિ આપણે હોઈએ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: માણસ પર લેબલ લાગી જાય ને. એટલે એ માણસાઈ ભૂલી જાય. થોડા સમય પહેલા અમે સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ દર્શન કરવા ગયા હતા. અમારે બે ત્રણ જણને ચાલી ને જવાની માનતા હતી. નવા બનેલા આરસીસીના રસ્તા પર ખુલ્લા પગે ચાલતી વખતે પેલા પગપાળા જતા સાધુઓની દશા સમજાઈ. ખાડા પુરવા નાખેલા મેટલ અને કાંકરા બહુ વાગ્યા. હિંમત કરીને માનતા પૂરી કરી દીધી. પાછા આવતી વખતે એક ફ્લાયઓવર પરથી સીધા ચારરસ્તા પાસે ઉતર્યા. સ્વાભાવિક રીતે આવી વ્યવસ્થા હોય તો ટ્રાફિક ભેગો થઇ જાય. માંડ એ ક્રોસ કરીને નીકળ્યા અને એક કાળી ગાડી અમારી આગળ ઉભી રહી ગઈ. રીતસર લુંટનો ઈરાદો હતો. અમારી પાસે એવું કાઈ ખાસ હતું નહિ. પણ એમણે અપશબ્દોનો મારો ચલાવી અને ગાડીમાં ઘુસવા પ્રયાસ કર્યો. અચાનક ટ્રાફિકના માણસો આવ્યા. અમને  એવું હતું કે એ અમારી મદદ કરશે. અમે બુમાબુમ કરી અને મદદ માગી. એમણે ગાડી પર દંડો મારીને કહ્યું કે ગાડી બાજુમાં લઇ અને એમની સાથે પતાવટ કરી લો. અમને પરાણે પેલા માણસોને સોંપી દીધા. નસીબજોગે અમારી બુમાબુમથી ટોળું ભેગું થઇ ગયું અને પેલા લોકો ભાગી ગયા. પહેલા સાવ આવું નહોતું. શું આપણે ત્યાં વાસ્તુના એવા કોઈ ફેરફાર થયા છે કે એના લીધે માણસાઈ કોરાણે મુકાઈ છે? આનો ઉપાય શું?

જવાબ: તમારી આખી વાતમાં તમારા સવાલનો જવાબ તમે જ આપી દીધો છે. તમે મદદ માંગી પણ ન મળી. પણ બુમાબુમ કરી તો ટોળું ભેગું થઇ ગયું અને પેલા નકારાત્મક લોકો ભાગી ગયા. પહેલી વાત કે નકલી શબ્દ બહુજ કોમન થઇ રહ્યો છે. બની શકે કે પેલા ટ્રાફિક વાળા નકલી હોય અને પેલા માણસ સાથે ભળેલા હોય. બાકી તમે મદદ માંગો અને એ તમને લુંટારાઓને સોંપી દે એવું થોડું બને? આપણે મદદ માંગતા શરમાઈએ છીએ. લોકો શું કહેશેની બીમારી આપણા સંસ્કારોને કોરી રહી છે. એમાંથી બહાર આવવું પડશે. બોલો, મદદ માંગો, એકત્રિત થાવ. વાત રહી રસ્તાની સ્થિતિની. આપણે ત્યાં રસ્તાપર ચાલતા વાહનો માટેના કોઈ મજબુત નિયમોનું પાલન નથી થતું. હાઇવે પર બમ્પ મુકવા પડે એ આપણી માનસિકતા દર્શાવે છે. આપણી નજર સામે ટ્રક માંથી સળિયા ઢસડાઇને રસ્તાને ખરાબ કરતા હોય ત્યારે આપણે ફરિયાદ નથી કરતા. એ આપણી ફરજ છે. આપણે માત્ર હક્કની વાત કરીએ છીએ. સજાગ અને નીડર બનો. યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે રજૂઆત કરો. પરિણામ ચોક્કસ દેખાશે.

સવાલ: મને ગઈ કાલે ઓવર સ્પીડીંગમાટે મોટો દંડ થયો છે. હાઇવે પર 80ની લીમીટ હતી. અમે ઓવરટેક લેનમાં હતા. જો સ્પીડ ન વધારીએ તો આગળ કેવી રીતે જવાય? સામાન્ય રીતે ત્રણ લેન હોય તો ડાબી બાજુની લેન માટે નિયમ હોય. જે માણસ આવા ફોટોગ્રાફ લઈને મેમો મોકલાવે છે એને આ વાત નહિ ખબર હોય?

જવાબ: 80ની સ્પીડ પર વાહન ચાલતું હોય તો એનાથી વધારે સ્પીડ સાથે જ એની આગળ નીકળી શકાય. ત્રણ લેનમાં ત્રણેય માટેના નિયમો અલગ હોઈ શકે. જોકે આપણે ત્યાં માત્ર આવી નાની નાની બાબતો પર જ ધ્યાન અપાય છે. વરસોથી ઓવરટેકીંગ લેનમાં ચાલતી ટ્રકો એનું એક ઉદાહરણ છે. એમની સ્પીડને કંટ્રોલ કરવા માટે કદાચ એ લેનમાં બેસીને ફોટા પાડવા પડ્યા હોય એવું પણ બને. યોગ્ય જગ્યાએ રજૂઆત કરી જુઓ. તમને એ લોકો સમજી શકશે એવું માની શકીએ.

ક્યારેક આવા નાના કામ માટે પેટા એજન્સીઓને ટાર્ગેટ સાથે કામ આપતા હોય છે. બની શકે કોઈ પેટા એજન્સીનો માણસ હોય.

સુચન: દક્ષિણ મધ્યના પદનું એક દ્વાર આર્થિક સંકળામણ આપી શકે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com) 

ચોમાસુ સત્રઃ SIR મુદ્દે વિપક્ષનો વિરોધ માર્ચ

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે, પરંતુ હંગામાને કારણે સભાની કામગીરી યોગ્ય રીતે ચાલવાની શક્યતા ઓછી છે. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના અનેક ઘટક દળોના સાંસદોએ બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ વિસ્તૃત રિવીઝન (SIR) સામે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઇ સહિતના અન્ય સાંસદોએ ભાગ લીધો હતો.

વિપક્ષ બિહારમાં મતદાર યાદીનું વિશિષ્ટ ગહન સુધારણા એટલે કે SIR મુદ્દે સતત હુમલો કરી રહ્યું છે અને આ મુદ્દે ચર્ચાની માગ કરી રહ્યું છે. બિહારમાં થોડા મહિના પછી યોજાનારા વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા મામલે રાજકીય ઘમસાણ મચ્યું છે. વિપક્ષનો આક્ષેપ છે કે ચૂંટણી પંચનો આ સુધારણ અભિયાન દલિત, આદિવાસી અને ગરીબ સમુદાયના મતદારોને મતાધિકારથી વંચિત કરવાનું ષડયંત્ર છે.

વિપક્ષી સાંસદોએ સંસદના મકર દ્વાર પાસે ત્રીજા દિવસે પણ વિરોધ કર્યો હતો, જેમાં કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધી પણ હાજર રહ્યાં હતાં. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ‘પ્રજાસત્તાક જોખમમાં’ લખેલું પોસ્ટર લહેરાવતું સરકાર પર આક્ષેપ કર્યો હતો. વિપક્ષ માત્ર બિહાર મતદાર યાદી મુદ્દે નહીં, પરંતુ પહેલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂર મુદ્દે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ તેવી માગ કરી રહ્યો છે.

ચૂંટણી પંચે પ્રક્રિયાને પારદર્શી ગણાવી
સરકારે ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે સંમતિ આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 28 જુલાઈએ લોકસભામાં આ મુદ્દે ચર્ચા થવાની છે. જોકે બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે સરકાર અને ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ અભિયાન ગેરકાયદે અને નકલી મતદારોને દૂર કરવા માટે જરૂરી છે. ચૂંટણી પંચે પ્રક્રિયાને પારદર્શી ગણાવી છે.