Home Blog Page 308

લોરેન્સ બિશ્નોઇ ગેંગથી સિંગર બી પ્રાકને મારવાની ધમકી, ઓડિયો વાઇરલ

નવી દિલ્હી: દેશના જાણીતા બોલિવુડ અને પંજાબી ગાયક બી પ્રાકને કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગે જાનથી મારવાની ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગે બી પ્રાક પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માગી છે. ગેંગ દ્વારા સિંગર બી પ્રાકના સાથી દિલનૂરને ફોન કરીને 10 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. ગેંગે એક સપ્તાહની અંદર પૈસા આપવા માટે કહ્યું છે. આ મામલે મોહાલીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી આપનાર કોલરે પોતાનું નામ આરજુ બિશ્નોઇ હોવાનું જણાવ્યું છે. બી પ્રાકને આપવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું છે કે 10 કરોડ રૂપિયા આપો, નહીં તો માટીમાં મિલાવી દઈશું.

શું છે મામલો?

પંજાબી સિંગર દિલનૂરે ધમકીભર્યો કોલ આવ્યા બાદ SSP મોહાલી પાસે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ કોલ કરનાર વ્યક્તિએ પોતાને આરજુ બિશ્નોઇ તરીકે ઓળખાવ્યો અને દિલનૂરને કહ્યું હતું કે તે પોતાના મિત્ર, બોલિવુડ અને પંજાબી સિંગર બી પ્રાકને કહી દે કે 10 કરોડ રૂપિયાની ખંડણી આપી દે, નહીં તો એક સપ્તાહની અંદર ખરાબ પરિણામો ભોગવવાં પડશે. ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઇ દેશનો કુખ્યાત ગેંગસ્ટર છે, જે હાલ જેલમાં બંધ છે અને ત્યાંથી જ પોતાનું નેટવર્ક ચલાવે છે. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ લોરેન્સ બિશ્નોઇનું નામ સામે આવ્યું હતું.

દિલનૂરની ફરિયાદ અનુસાર પાંચ  જાન્યુઆરીએ તેમને એક વિદેશી નંબર પરથી બે મિસ્ડ કોલ આવ્યા હતા, જેના જવાબ તેમણે આપ્યા નહોતા. છઠ્ઠી0 જાન્યુઆરીએ તેમને બીજા એક વિદેશી નંબર પરથી કોલ આવ્યો. દિલનૂરે કોલ ઉપાડ્યો ત્યારે વાતચીત શંકાસ્પદ લાગી, તેથી તેમણે ફોન કાપી નાખ્યો. તેના તરત બાદ તેમને એક વોઇસ મેસેજ મળ્યો, જેમાં ખંડણીની ધમકી આપવામાં આવી હતી.

આ ઓડિયો મેસેજમાં કોલ કરનાર વ્યક્તિએ કથિત રીતે કહ્યું હતું કે એક સપ્તાહની અંદર 10 કરોડ રૂપિયા આપવા પડશે, નહીં તો બી પ્રાકને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

ગુલકંદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૬

૧૭ જાન્યુઆરી ૨૦૨૬

પંચાંગ 17/01/2026

બજેટ 2026: ખપત વધારવા, રાજકોષીય અને કેપેક્સ પર રહેશે ફોકસ

નવી દિલ્હીઃ FY27ના બજેટ માટે “થ્રી C’s” એટલે કે કન્ઝમ્પશન બૂસ્ટ (ખપતમાં વધારો), ફિસ્કલ કોન્સોલિડેશન (રાજકોષીય એકીકરણ) અને કેપેક્સ (મૂડી ખર્ચ) વચ્ચે સંતુલન મુખ્ય થીમ બને એવી શક્યતા છે. FY27માં EPS ગ્રોથ મિડ-ટીન્સને બદલે લો ડબલ-ડિજિટ રહેશે, એટલે કે કમાણીમાં તેજી કરતાં નોર્મલાઇઝેશન જોવા મળશે. આવતા નાણાકીય વર્ષમાં ફાઇનાન્સ અને કન્ઝમ્પશન સેક્ટરમાં વધુ સારી વૃદ્ધિ જોવા મળે એવી શક્યતા છે.

બજેટમાં મુખ્ય મુદ્દા કયા હોઈ શકે?

રાજકોષીય શિસ્ત અને મજબૂતી એક મહત્વપૂર્ણ મુદ્દો રહેશે. એના પર ખાસ ધ્યાન આપવામાં આવશે. અપેક્ષા છે કે ઊંચાં દેવાંના સ્તર છતાં સરકાર રાજકોષીય મજબૂતીના માર્ગ પર અડગ રહેશે. “થ્રી C’s” એટલે કે કન્ઝમ્પશન બૂસ્ટ, ફિસ્કલ કોન્સોલિડેશન અને કેપેક્સ વચ્ચે સંતુલન FY27ના બજેટની મુખ્ય થીમ બની શકે છે.

GST રેશનલાઇઝેશન અને આવકવેરા દાતાઓને મળનારી રાહતનો FY26 અને FY27માં ખપત પર અસર પડશે. અન્ય મહત્વના પરિબળોમાં ગ્રામ્ય માગમાં સુધારો થવાની અપેક્ષા છે, જે સારા મોન્સૂનને કારણે સ્થિર રહેશે. શહેરી રોજગારમાં પણ સુધારો દેખાઈ રહ્યો છે.

સરકારે વર્ષો સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે જાહેર ખર્ચ કરીને મહત્વનું કામ કર્યું છે. આ દરમિયાન પ્રાઇવેટ સેક્ટરના કેપેક્સમાં પણ સુધારાના કેટલાક સંકેતો જોવા મળ્યા છે, જોકે હજી સુધી મોટા પાયે વધારો થયો નથી. અમને લાગે છે કે મજબૂત વૃદ્ધિમાં હજી થોડો સમય લાગી શકે છે, કારણ કે યુટિલાઇઝેશન લેવલ હાલ પણ આશરે 74–75 ટકા આસપાસ છે.

વિશ્વભરમાં વધતા જિયોપોલિટિકલ જોખમોને જોતાં ડિફેન્સ હવે માત્ર એક થીમ નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગયો છે. સરકાર દ્વારા સ્વદેશીકરણ અને ડિફેન્સ પર વધુ ફાળવણી પર ધ્યાન આપવાના કારણે આ સેક્ટરની વૃદ્ધિ ચાલુ રહેશે.

ગુજરાત વિધાનસભા બજેટ સત્રની જાહેરાત

ગાંધીનગર: ગુજરાતના રાજકારણ અને ભાવિ વિકાસનો રોડમેપ તૈયાર કરતું વિધાનસભાનું બજેટ સત્ર આગામી 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આહ્વાન બાદ હવે સત્રનું વિગતવાર માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ સત્ર 25 માર્ચ સુધી ચાલશે, જેમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

આગામી બજેટ સત્ર કુલ 23 દિવસ સુધી ચાલશે, જે દરમિયાન વિવિધ કાયદાકીય પ્રક્રિયાઓ અને ચર્ચાઓ માટે કુલ 26 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્રના પ્રારંભમાં સરકારના વિઝન અને અત્યાર સુધીની સિદ્ધિઓની વિગતો રજૂ કરાશે. ત્યારબાદ નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-27નું રાજ્યનું અંદાજપત્ર (બજેટ) રજૂ કરશે. 17મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાની શક્યતા છે.

વર્ષ 2026-27ના આ બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને યુવાઓ માટે મોટી જાહેરાતો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ‘વિકસિત ગુજરાત @2047’ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓમાં જંગી ફાળવણી કરી શકે છે.

આ સત્ર દરમિયાન માત્ર નાણાકીય બાબતો જ નહીં, પરંતુ કેટલાક નિર્ણાયક વિધેયકો પણ રજૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો તેજ બની છે કે સરકાર સમાન નાગરિક સંહિતા (UCC)ને લગતા કોઈ મહત્વપૂર્ણ પગલાં આ સત્રમાં લઈ શકે છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તારાંકિત પ્રશ્નોત્તરી સહિતના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી લીધી છે.

ભારત, ઇથિયોપિયા વચ્ચે ડિપ્લોમેટિક પાસપોર્ટ પર વિઝાની છૂટ

નવી દિલ્હીઃ ભારત અને ઇથિયોપિયા સરકારોએ ડિપ્લોમેટિક પાસપોર્ટ ધારકો માટે પરસ્પર વિઝા છૂટ (મ્યુચ્યુઅલ વિઝા વેવર) કરારને 15 જાન્યુઆરી, 2026થી અમલમાં મૂક્યો છે. આ કરાર હેઠળ હવે બંને દેશોના ડિપ્લોમેટિક પાસપોર્ટ ધરાવતા નાગરિકો વિસા વિના મુસાફરી કરી શકશે.

આ નિર્ણય ભારત અને ઇથિયોપિયા વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. તેને કારણે બંને દેશો વચ્ચે કૂટનીતિક સંપર્ક અને સહયોગને વધુ મજબૂતી મળશે.

આ કરાર નવી દિલ્હી અને અડિસ અબાબા વચ્ચેની એવી ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરીથી દૃઢ કરે છે, જે માત્ર ઐતિહાસિક જ નથી પરંતુ વ્યૂહાત્મક અને ભવિષ્યલક્ષી પણ છે.

આ કરાર ડિસેમ્બર, 2025માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇથિયોપિયાની લીધેલી મુલાકાત બાદ અમલમાં આવ્યો છે. આ મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇથિયોપિયાના વડા પ્રધાન ડો. અબી અહમદે બંને દેશોના સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ને સ્તરે ઉજાગર કર્યા હતા. આ કરાર ભારત અને ઇથિયોપિયાની દક્ષિણ–દક્ષિણ સહયોગ અંગેની સંયુક્ત દ્રષ્ટિને દર્શાવે છે અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે.

NIDએ તૈયાર કરી ૭૭મા ગણતંત્ર દિવસની ‘એટ હોમ’ આમંત્રણ કિટ!

અમદાવાદ: દેશના ૭૭મા ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘એટ હોમ’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટેની આમંત્રણ કિટની ડિઝાઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID)દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વી ભારતનાં ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોની ભવ્ય હસ્તકળા અને સંસ્કૃતિના સમન્વય આ આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે. જે સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રતિબિંબિત કરે છે.આ અંગે વિગતો આપતાં NID, અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે જણાવ્યું કે છેલ્લાં એક વર્ષમાં સતત ત્રીજી વખત ‘એટ હોમ’ કાર્યક્રમની આમંત્રણ કિટ તૈયાર કરવાની જવાબદારી NIDને સોંપવામાં આવી છે. જે સંસ્થા માટે અત્યંત ગર્વની બાબત છે. તેમણે કહ્યું કે આ વિશેષ પ્રોજેક્ટમાં ભારતના ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા – એમ કુલ આઠ રાજ્યોની પરંપરાગત હસ્તકળા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરવામાં આવી છે. આ માટે NIDની ટીમ દ્વારા ત્રણેક મહિનાની મહેનત અને સમગ્ર ઉત્તર-પૂર્વીય પ્રદેશના કારીગર સમુદાયો સાથે સંવાદ-સંશોધન અને રાષ્ટ્રપતિ ભવનની ટીમના પરામર્શ તથા સહયોગથી આ હસ્તનિર્મિત કળાકૃતિઓવાળી આમંત્રણ કિટ તૈયાર કરવામાં આવી છે.

જેના માટે ઋતુઆધારિત કાચા માલની ઉપલબ્ધિ અને અલગ અલગ રાજ્યોના કારીગરોને સાંકળતી હસ્તકળા પરંપરાને ધ્યાનમાં રાખીને દરેક કળાકૃતિને વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. દરેક આર્ટિફેક્ટ સંબંધિત રાજ્યની વિશિષ્ટ સંસ્કૃતિ, કારીગરોની હુનરમંદી, તેમને જાળવતું કુદરતી પર્યાવરણ તથા આધુનિક સાંસ્કૃતિક સંદર્ભોને પ્રતિબિંબિત કરે છે.

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો સહિત આશરે ૩૫૦થી વધુ કારીગરો દ્વારા આ સમગ્ર કિટ તૈયાર કરવામાં આવી છે. એન.આઈ.ડી. અમદાવાદનાં પ્રા. એન્ડ્રિયા નોરોન્હા અને પ્રા. ડૉ. સી.એસ. સુસાંથની ટીમ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં એન.આઈ.ડી.ના ફેકલ્ટીઝ, વિદ્યાર્થીઓ, ટેકનિકલ સ્ટાફનો પણ સહયોગ મળ્યો છે.

આમંત્રણ કિટ અમદાવાદ અને બેંગલુરુ સ્થિત એન.આઈ.ડી. ટીમો તથા તેમના પોતાના ગામોમાંથી કાર્યરત કુશળ કારીગરો વચ્ચેના સંકલન દ્વારા તૈયાર કરવામાં આવી છે. દરેક કિટ સામૂહિક પ્રયત્નો, કળાત્મકતા અને સમુદાયની ભૂમિકાને રજૂ કરે છે.

ઉત્તર-પૂર્વીય ભારતની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિના આધાર સમાન વાંસનો ઉપયોગ કરીને ત્રિપુરાની પરંપરાગત તકનીક મુજબ લૂમ પર વણાયેલી વાંસની ચટાઈથી આમંત્રણ બોક્સ તૈયાર કરાયું છે. જેમાં રંગાયેલા કપાસના દોરા અને વાંસની પાતળી પટ્ટીઓનો ઉપયોગ કરાયો છે. જ્યારે બહારનું કવર મેઘાલયમાં બનાવેલા સ્મોક કરેલા વાંસના અલંકાર સાથે જોડાયેલા હાથથી બનાવેલા કાગળથી સજ્જ છે. કવર અને બોક્સના નકશાઓ આસામી હસ્તપ્રત ચિત્રકલા તથા ઉત્તર-પૂર્વીય પ્રદેશની વનસ્પતિ અને પ્રાણી સંસ્કૃતિથી પ્રેરિત છે.

આમંત્રણમાં વપરાયેલા વાંસ, હેન્ડલૂમ કાપડ, નેટલ, કેન, માટી અને અન્ય કુદરતી સામગ્રી ઉત્તર-પૂર્વીય પ્રદેશના દૈનિક જીવન, આજીવિકા અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે ઊંડે જોડાયેલી છે. ખાસ કરીને, અનેક મહિલાઓ માટે રોજગારનું મહત્વપૂર્ણ સાધન એવા હાથવણાટને આમંત્રણ કિટના વિવિધ ઘટકોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ આમંત્રણ ‘અષ્ટલક્ષ્મી’ રાજ્યોના કુશળ કારીગરો અને હસ્તશિલ્પીઓને સન્માન સમાન છે, જે ભારતના ઉત્તર-પૂર્વીય પ્રદેશની પ્રાચીન જ્ઞાનપરંપરા અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને જિવંત રાખે છે.

શું-શું છે આમંત્રણ કિટમાં અને શું છે?

અષ્ટકોણીય વાંસ વણાટ પેટર્નથી બનેલી આ કિટમાં વૉલ હેંગિંગ સ્ક્રોલ હશે. જે ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યોની પસંદગીદાર હસ્તનિર્મિત કૃતિઓનું કલાત્મક પ્રદર્શન કરે છે. જેમાં સિક્કિમનું સિસ્નુ કાપડવણાટ અને ભરતકામ છે. સિક્કિમની લેપચા વણાટ પરંપરા-‘થારા’માં નિર્મિત આ કૃતિ યુનેસ્કોની ‘મિક્સ્ડ હેરિટેજ સાઇટ’ કાંચનજંગા પર્વત સાથેના આદિકાળના સંબંધને પ્રતિબિંબિત કરે છે.આ સિવાય, પૂર્વ ખાસી હિલ્સ મોસિનરામ જેવા મેઘાલયના સર્વાધિક વરસાદ ધરાવતાં વિસ્ચારનું ગ્રીન બામ્બૂ વણાટ, આસામનું ગોગોના – વાંસ જૉ હાર્પ, ત્રિપુરાના કેન અને વાંસની પટ્ટીઓમાંથી બનાવાયેલાં સુશોભનો, નાગાલૅન્ડનું દુર્લભ કાપડ તેમજ મિઝોરમનું હાથવણાટ કાપડ પુઆન ચેઇ તથા મણિપુરના તાંગખુલ નાગા સમુદાયની નીઓલિથિક કાળથી ચાલતી માટીકામ પરંપરા લોંગપી બ્લેક પોટરીનો સમાવેશ થાય છે.

BMCમાં મહાયુતિની જીતનાં પાંચ મોટાં કારણો…

મુંબઈઃ BMC ચૂંટણી 2026માં મહાયુતિની જીત માત્ર એક ચૂંટણી સફળતા નથી, પરંતુ મુંબઈના રાજકારણમાં તેને એક મોટું પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. આ BMC ચૂંટણીએ સ્પષ્ટ કરી દીધું છે કે મુંબઈના મતદારો હવે ઓળખના રાજકારણથી આગળ વધી ગયા છે. BMCમાં ભાજપે પ્રથમ વખત ઉદ્ધવ ઠાકરેની પાર્ટી વગર બહુમતી મેળવી છે. ભાજપની આ મોટી જીતનાં મુખ્ય કારણો આ રહ્યાં.

વિકાસના નેરેટિવ પર જનતાનો વિશ્વાસ

ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ BMC ચૂંટણીમાં વિકાસના એજન્ડાને સ્પષ્ટ અને આક્રમક રીતે જનતા સમક્ષ રજૂ કર્યો હતો. મેટ્રો, રસ્તાઓ, ક્લસ્ટર રિડેવલપમેન્ટ, ઝૂંપડપટ્ટીનું પુનર્વિકાસ અને જરૂરી સેવાઓ પર ફોકસ કરીને એવો સંદેશ અપાયો કે BMCમાં મુંબઈની જનતા હવે માત્ર રાજકારણ નહીં, પરંતુ પ્રોફેશનલ અર્બન એડમિનિસ્ટ્રેશન ઈચ્છે છે. આ મુદ્દો શહેરના મિડલ ક્લાસ અને યુવા મતદારોમાં ઊંડે સુધી અસરકારક રહ્યો હતો.

ઠાકરે ભાઈઓની એકતા કામ ન આવી

ઉદ્ધવ અને રાજ ઠાકરે 20 વર્ષ બાદ એકસાથે આવ્યા અને પોતપોતાની પાર્ટીઓનું ગઠબંધન બનાવી BMC ચૂંટણીમાં ઊતર્યા, પરંતુ તેનો કોઈ ખાસ લાભ થયો નહીં. તેમની એકતા નિષ્ફળ સાબિત થઈ અને ભાજપના મહાયુતિ ગઠબંધને તેમને BMCની સત્તાથી બહાર કરી દીધા હતા. તેમની ભાવનાત્મક અપીલ પણ ફિક્કી પડી.

મરાઠી મતનું વિભાજન

BMC ચૂંટણીમાં મરાઠી મત એકજૂટ રહી શક્યો નહીં. તે શિવસેના (યુબીટી), રાજ ઠાકરેની MNS અને ભાજપ-શિવસેના શિંદે જૂથની મહાયુતિ વચ્ચે વહેંચાઈ ગયો. આ વિભાજનનો સૌથી મોટો ફાયદો ભાજપને થયો. મહાયુતિએ આ સ્થિતિનો લાભ લઈને પરંપરાગત ન હોય તેવા મતદારો સાથે સાથે મરાઠી મતદારોના મોટા વર્ગને પણ પોતાના પક્ષે કરી લીધા.

ભાજપનું માઇક્રો-મેનેજમેન્ટ અસરકારક

ભાજપે ઠાકરેભાઈઓની જેમ ભાવનાત્મક અપીલ પર આધાર રાખ્યો નહીં, પરંતુ બૂથ લેવલ આયોજન, ડેટા આધારિત કેમ્પેઇન અને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ તમામ બાબતોએ મહાયુતિને ઠાકરે ભાઈઓના ગઠબંધન સામે સ્પષ્ટ વધારાનો લાભ આપ્યો. BMC ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ માટે તેની પાર્ટીઓની સંગઠનાત્મક શક્તિ પણ બહુ ઉપયોગી સાબિત થઈ.

BMC ચૂંટણી 2026 એ સંકેત આપે છે કે મુંબઈના રાજકારણે હવે ઓળખથી દૂર થઈને પરફોર્મન્સ તરફ આગળ વધી રહી છે. મતદારોએ ભાવનાત્મક અપીલ કરતાં વિકાસને મહત્વ આપ્યું છે. આ જ કારણ છે કે હવે ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે BMCની સત્તા એક નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે.

વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ ગેલેરીમાં રોજિંદી હેન્ડ્સ-ઓન શૈક્ષણિક પ્રવૃત્તિ

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન માટે રોબોટિક્સ ગેલેરીમાં ઉપયોગી અને વ્યવહારુ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત સાયન્સ સિટીની મુલાકાતે આવતાં શાળાના વિદ્યાર્થીઓને મૂળભૂત ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઘટકો અંગે હેન્ડ્સ-ઓન પ્રાયોગિક અનુભવ આપવામાં આવી રહ્યો છે.આ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓને મોટર ડ્રાઇવર, લેમ્પ, ઇન્વર્ટર, બજ્ઝર જેવા વિવિધ ઇલેક્ટ્રિકલ તથા ઇલેક્ટ્રોનિક ઘટકોની કાર્યપ્રણાલી સમજાવવામાં આવે છે. આ માટે તૈયાર કરાયેલ બેઝિક લર્નિંગ કિટના માધ્યમથી વિદ્યાર્થીઓ જાતે ઘટકો જોડીને જોઈ શકે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે સરળ રીતે સમજી શકે છે.સાયન્સ સિટીની નિષ્ણાત ટીમ દ્વારા દરરોજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે અને દરેક પ્રયોગ તથા ખ્યાલને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓ મૂળભૂત ટેકનિકલ જ્ઞાન મેળવવા સાથે વ્યવહારુ અનુભવ પણ મેળવે છે.આ પ્રવૃત્તિમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને તેઓમાં વિજ્ઞાન તથા ટેકનોલોજી પ્રત્યે રુચિ વધતી જોવા મળી રહી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને તરફથી આ પ્રયાસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે ગુજરાત સાયન્સ સિટીની શૈક્ષણિક મુલાકાત વધુ અર્થપૂર્ણ અને મૂલ્યવાન બની રહી છે.ગુજરાત સાયન્સ સિટી આવનાર સમયમાં પણ આવી રોજિંદી, ઉપયોગી અને અનુભવ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા સતત પ્રયત્નશીલ રહેશે.