Home Blog Page 311

બજેટ 2026માં ટેક્સપેયર્સ, મહિલાઓ અને રેલવેને શી અપેક્ષા

નવી દિલ્હીઃ બજેટ 2026માં ટેક્સપેયર્સ, મિડલ ક્લાસ, મહિલાઓ, ખેડૂતો અને રેલવેને બજેટથી શી અપેક્ષાઓ છે, કોને શું મળી શકે—એ અંગેની ચર્ચા તેજ બની ગઈ છે. સમય નજીક આવી રહ્યો છે. 1 ફેબ્રુઆરી 2026S દેશનું સામાન્ય બજેટ રજૂ થશે. એ પહેલાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે, જેમાં દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર સામે આવશે અને બજેટમાં શું થઈ શકે તેના સંકેત મળશે.

બજેટ પર દેશની નજર હોય છે. કોર્પોરેટ વર્લ્ડ, શેરબજાર, સામાન્ય જનતા અને ખાસ કરીને ટેક્સપેયર્સને આ દિવસની આતુરતા રહે છે. બજેટ 2025માં સરકારે નવી ટેક્સ રેજિમ હેઠળ 12 લાખ રૂપિયાની આવકને ટેક્સ મુક્ત કરી હતી. આ વખતે પણ અપેક્ષાઓ ઘણી વધારે છે. વિવિધ સેક્ટરો તરફથી સતત માગ આવી રહી છે. એવી આશા છે કે નાણામંત્રી નવી ટેક્સ રેજિમને વધુ આકર્ષક બનાવવા માટે અનેક નવાં એલાન કરે એવી શક્યતા છે.

રેલવેને મોટું બૂસ્ટ આપવાની તૈયારી

રેલવે માટે કુલ ફાળવણીમાં લગભગ 8 ટકા સુધીનો વધારો થઈ શકે છે. રેલવે માટે 2.65થી 2.8 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ શક્ય છે. રેલ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે કવચ 4.0 અને 5.0 માટે મોટા પાયે ફંડિંગ થઈ શકે છે. નવી ટ્રેનો, નવા રૂટ્સ અને આધુનિકીકરણ માટે મોટાં એલાન થવાની સંભાવના છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

20 નવી વંદે ભારત સ્લીપર ટ્રેનોની જાહેરાત થઈ શકે છે. સ્માર્ટ ઓપરેશન્સમાં AIનો મોટા પાયે ઉપયોગ, સ્ટેશનોનું અપગ્રેડેશન, સિનિયર સિટિઝન્સ માટેની જૂની છૂટ ફરીથી લાગુ કરવાની મોટી અપેક્ષા છે. હાઇડ્રોજન ટ્રેનોને લઈને પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહિલાઓને બજેટમાંથી મળી શકે છે મોટી ગિફ્ટ

ઘણી મહિલાઓ પાસે પોતાનો ક્રેડિટ ઇતિહાસ (Credit History) હોતો નથી. લોન અથવા ક્રેડિટ કાર્ડ માગવામાં આવે ત્યારે બેંકો વિવિધ પ્રકારના દસ્તાવેજો અને સેલરી સ્લિપ માગે છે. જે મહિલાઓ ઘર સંભાળે છે અથવા નાનું-મોટું કામ કરે છે, તેમના માટે આ શરતો પૂરી કરવી મુશ્કેલ બને છે.

બજેટમાં મહિલાઓ માટે ‘કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ’ (Customised Credit Cards) લાવવાની ચર્ચા થઈ રહી છે. આ કાર્ડ્સ માટે નિયમો સરળ હોઈ શકે છે. આ કાર્ડ્સ એવી મહિલાઓને મળશે, જેઓ બેંકિંગ સિસ્ટમમાં બિલકુલ નવી છે અથવા જેમની પાસે પહેલેથી કોઈ ક્રેડિટ સ્કોર નથી, એમ સૂત્રોએ કહ્યું હતું.

બાંગ્લાદેશી ખેલાડીઓએ T20 લીગનો બહિષ્કાર કર્યો

ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટમાં સંકટ ઊભું થયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ડિરેક્ટર એમ. નજમુલ ઇસ્લામનાં નિવેદનોએ ખેલાડીઓને નારાજ કરી દીધા છે. નજમુલને કારણે BCB અને બાંગ્લાદેશી ખેલાડીઓ વચ્ચે ગંભીર ટકરાવ થયો છે. ખેલાડીઓએ નજમુલને પદ પરથી હટાવવાની માગ કરી છે અને ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓનો બહિષ્કાર કર્યો છે. પરિણામે BCB ચોંકી ગયું છે અને તેણે એમ. નજમુલ ઇસ્લામને કારણ બતાવો નોટિસ પાઠવી છે.

બાંગ્લાદેશના ખેલાડીઓએ અગાઉથી ચેતવણી આપી હતી કે જો નજમૂલ ઇસ્લામને તેમના પદ પરથી હટાવવામાં નહીં આવે, તો તેઓ તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓનો બહિષ્કાર કરશે. હવે ખેલાડીઓએ 15 જાન્યુઆરીએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) મેચનો બહિષ્કાર કર્યો અને હડતાળ પર ઊતરી ગયા છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં નોઆખાલી એક્સપ્રેસ અને ચિટાગોંગ રોયલ્સ વચ્ચેના મુકાબલાનો ટોસ પણ સમયસર થઈ શક્યો નહોતો. દેશવ્યાપી બહિષ્કારને કારણે બંને ટીમો સમયસર મેદાન પર પહોંચી શકી નહોતી. આ વિવાદ T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓ પર પણ ગંભીર અસર કરી રહ્યો છે.

BCBએ પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરીને જણાવ્યું હતું કે બોર્ડના એક સભ્ય દ્વારા આપવામાં આવેલાં આપત્તિજનક નિવેદનો બદલ અમને ખેદ છે. BCB વ્યાવસાયિક ક્રિકેટ અને ખેલાડીઓના સન્માનને સર્વોચ્ચ મહત્વ આપે છે. બોર્ડે જણાવ્યું હતું કે નજમૂલ ઇસ્લામ સામે ઔપચારિક શિસ્તભંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમને 48 કલાકની અંદર લેખિત જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.

ખેલાડીઓ નારાજ થવાનાં કારણો

એમ. નજમુલ ઇસ્લામે કહ્યું હતું કે ખેલાડીઓને વળતર આપવું જોઈએ નહીં, કારણ કે તેમણે યોગ્ય સમર્થન આપ્યું નથી, જેને કારણે ખેલાડીઓની ફરિયાદો વધુ વધી ગઈ. સુરક્ષા કારણોનો હવાલો આપીને બાંગ્લાદેશે આવતા મહિને યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ભારત ન જવાની જાહેરાત કરી હતી, જેને કારણે સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે.

બાંગ્લાદેશ હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે વાતચીત કરી રહ્યું છે, પરંતુ ICCએ ભારતમાં યોજાનારા બાંગ્લાદેશના ચાર T20 વર્લ્ડ કપ મેચોને શ્રીલંકામાં ખસેડવામાં અનિચ્છા દર્શાવી છે. બીજી તરફ, BCBએ ખેલાડીઓને બહિષ્કારની ધમકી પાછી ખેંચવા અને BPL 2026ને વિઘ્ન વિના પૂર્ણ કરવા અપીલ કરી છે. એમ. નજમુલ ઇસ્લામે પૂર્વ કપ્તાન તમીમ ઇકબાલને “ઇન્ડિયન એજન્ટ” કહી દીધા હતા, જેના કારણે નવો વિવાદ ઊભો થયો.

BMC Election: મતદાનમાં શાહીને લઈ વિવાદ, ઉદ્ધવ ઠાકરેએ લગાવ્યો ગોટાળાનો આરોપ

મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ મતદાનને લઈ વિવાદ ઉભો થયો છે. મનસેના વડા રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો કે મતદાન કર્યા પછી શાહીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે હાથ ધોઈને ભૂંસી શકાય છે. એનસીપી-એસપીના નેતા રોહિત પવારે પણ ગોટાળાનો આરોપ લગાવ્યો.

બીએમસી ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ વિપક્ષ ગોટાળાના આરોપો લગાવી રહ્યું છે. મનસે નેતા રાજ ઠાકરેએ મતદાનમાં વપરાયેલી શાહી પર સવાલ ઉઠાવ્યા છે. ઠાકરેએ કહ્યું કે પહેલા ઉપયોગમાં લેવામાં આવતી શાહીને નવી પેનથી બદલવામાં આવી છે, અને આ પેન અંગે ઘણી ફરિયાદો મળી છે.

રાજ ઠાકરેએ કયા આરોપો લગાવ્યા છે?

રાજ ઠાકરેએ દાવો કર્યો હતો કે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી શાહી ભૂંસી શકાય છે. આના પરિણામે લોકો મતદાન કરશે, પછી હાથ ધોવા માટે બહાર જશે અને પછી મતદાન કરવા પાછા આવશે. ચૂંટણી પ્રચાર માટે પણ નવા નિયમો લાવવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે આ સરકાર સત્તામાં રહેવા માટે કંઈ પણ કરશે.

રાજ ઠાકરેએ કહ્યું, “આપણે આ ચૂંટણીને એવી ચૂંટણી ન કહી શકીએ જ્યાં કોઈ સત્તામાં રહેવા માટે આવી ગોટાળાનો આશરો લઈ રહ્યું છે. હું લોકોને અને શિવસેનાના કાર્યકરોને સતર્ક રહેવા અપીલ કરું છું. એક વ્યક્તિ બે વાર મતદાન કરતા પકડાઈ ગયો છે.”

ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી
ઉદ્ધવ ઠાકરેએ પણ ગોટાળાનો આરોપ લગાવ્યો અને તેને લોકશાહીની હત્યાનો પ્રયાસ ગણાવ્યો. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કથિત ગેરરીતિઓ માટે રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેના રાજીનામાની પણ માંગ કરી. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય ચૂંટણી પંચ પર કટાક્ષ કરતા તેને બંધારણ વિરોધી સંસ્થા ગણાવી. ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી સંસ્થા અને સરકાર વચ્ચે મિલીભગતનો પણ આરોપ લગાવ્યો.

BMCએ આરોપો વિશે શું કહ્યું?

BMCએ શાહી અંગેના આરોપોને ફગાવી દીધા છે. BMCએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે શાહી ઝાંખી પડી જવાના મીડિયા અહેવાલો હકીકતમાં ખોટા છે. BMC કમિશનર ભૂષણ ગગરાણીએ હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયાના ભાગ રૂપે, મતદાન સ્ટાફ મતદારોની આંગળીઓ પર, પ્રાધાન્યમાં ડાબી આંગળી પર, અમીટ શાહી લગાવે છે. બીએમસી ચૂંટણી માટે મતદાન ૧૦,૨૩૧ મતદાન મથકો પર થઈ રહ્યું છે. સમગ્ર મુંબઈમાં, 64,375 અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ છે.

NCP-SP નેતા રોહિત પવારે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, “બૂથ જ્યાં હોવા જોઈએ ત્યાંથી નામો દૂર ખસેડવામાં આવ્યા છે, જેના કારણે લોકો મતદાન કરી શકતા નથી. મુંબઈમાં, એક મંત્રીનું નામ પણ બૂથ પરથી ગાયબ છે. તેમના પરિવારના સભ્યોના નામ અલગ અલગ બૂથ પર સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. EVM મશીન પર સમય 15 મિનિટ આગળ છે. મશીનોનું સિક્વન્સિંગ ખોટું છે. બૂથથી 100 મીટરની અંદર ભાજપના કાર્યકરો છે.”

ટ્રમ્પે પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત 75 દેશોના USપ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ટ્રમ્પ પ્રશાસને પોતાની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ એક મોટું પગલું ભરતાં 75 દેશોના નાગરિકો માટે ‘ઇમિગ્રન્ટ વિઝા’ની પ્રક્રિયા પર અનિશ્ચિત કાળ માટે પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 21 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે. આ યાદીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા ભારતના પડોશી દેશો સામેલ છે, પરંતુ ભારતને આ પ્રતિબંધમાંથી બહાર રાખવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે ગ્રીન કાર્ડ અથવા સ્થાયી નિવાસ માટે અરજી કરનારા ભારતીય નાગરિકો પર આ ખાસ સસ્પેન્શનની સીધી અસર નહીં પડે.

ભારતને રાહત

ટ્રમ્પ પ્રશાસન દ્વારા 75 દેશો પર લગાવવામાં આવેલા ઇમિગ્રન્ટ વિઝા પ્રતિબંધમાંથી ભારતને બહાર રાખવું વૈશ્વિક કૂટનીતિમાં તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે. નિષ્ણાતોને મતે આ નિર્ણય વોશિંગ્ટન દ્વારા ભારતીય સિસ્ટમ્સ અને અરજદારો પર દર્શાવવામાં આવેલા ઊંડા વિશ્વાસનું પ્રતીક છે. જ્યાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના દસ્તાવેજોની પ્રામાણિકતા પર અમેરિકાને શંકા છે અને તેમના અરજદારો ‘જાહેર કલ્યાણ’ યોજનાઓ પર ભાર બનવાની શક્યતા માનવામાં આવે છે, ત્યાં ભારતીયોની છબી એક ‘કુશળ અને યોગદાન આપનારા’ સમુદાય તરીકે ઊભરી આવી છે.

ભારતમાં મજબૂત બેકગ્રાઉન્ડ વેરિફિકેશન, IT અને હેલ્થકેર જેવાં ક્ષેત્રોમાં કુશળ શ્રમશક્તિનો મોટો આધાર અને ઠગાઈના કેસોમાં નોંધપાત્ર ઘટાડાએ ભારતને અમેરિકા માટે ‘લો-રિસ્ક’ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દેશ બનાવ્યો છે. આ જ કારણ છે કે ભારતીય નાગરિકો માટે ગ્રીન કાર્ડ અને સ્થાયી નિવાસના રસ્તા ખુલ્લા છે, જ્યારે તેમના પડોશી દેશોને ઓળખ વ્યવસ્થાપન અને માહિતી વહેંચણીનાં ધોરણોમાં ખામી હોવાને કારણે ‘હાઈ-રિસ્ક’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.

ભારત માટે તેના શું અર્થ થાય છે?

આ યાદીમાં ભારતનું ન હોવું ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની નજરે તેની ‘વિશ્વસનીય ભાગીદાર’ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે:

કુશળ પ્રવાસન: હેલ્થકેર અને IT જેવાં ક્ષેત્રોમાં કુશળ ભારતીયો માટે અમેરિકા જવું સરળ રહેશે.

શિક્ષણ અને રોકાણ: ભારતીય વિદ્યાર્થીઓ અને રોકાણકારો માટે રસ્તા ખુલ્લા રહેશે, જેથી દ્વિપક્ષી આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે.

તક્નિકી ભાગીદારી: ઉચ્ચ શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં સહયોગ કોઈ અવરોધ વિના ચાલુ રહી શકશે.

જીવનમાં સંસ્કારનું મૂલ્ય…

તમે નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જાઓ એ પહેલાં તમે એક નાનકડો રેઝ્યુમે ઈમેલ કર્યો હોય છે, જેમાં તમારા શિક્ષણ, તમારી કાબેલિયત વિશે માહિતી આપેલી જ હોય છે, આમ છતાં તમારાં તમામ સર્ટિફિકેટ ચકાસવામાં આવે છે.

તમે કોઈ કંપનીના શૅર ખરીદો કે મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરો તો તે પહેલાં કંપનીઓ વિશે, સ્કીમ વિશે પૂરી ખાતરી કરી લેતા હશો. સારી વાત છે, પણ આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે કોઈ માણસ કેવો છે અથવા એનું કેરેક્ટર કેવું છે એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય?

એક ઉદાહરણથી આ સમજીએઃ ફ્રાન્સમાં રાજાશાહીના વિરોધીઓએ તે વખતના રાજ લુઈને જેલમાં પૂરી દીધો અને એના વારસદાર, લુઈના પુત્રને નૈતિક રીતે પાયમાલ કરવાની યોજના બનાવી. પ્લાન મુજબ કુંવરને એવા લોકોની વચ્ચે રાખવામાં આવ્યો, જે નૈતિકતાની દૃષ્ટિએ અધમ અને ચારિત્ર્યની દૃષ્ટિએ ભ્રષ્ટ હતા. રાજકુમાર એની શ્રદ્ધામાંથી ડગી જાય એવા પ્રયત્ન પણ કરવામાં આવ્યા. છ મહિના એને આવા વાતાવરણમાં રાખવામાં આવ્યો. કોઈ પણ વ્યક્તિનું પતન થઈ જાય એવા સંજોગમાં પાટવી કુંવરના સ્વભાવમાં જરીકેય ફેર ન પડ્યો.

કંટાળીને વિરોધીઓએ પ્રિન્સને પૂછ્યું: તેં કેમ કશું સ્વીકાર્યું નહીં. આ સાંભળીને છોકરાએ જવાબ આપતાં કહ્યું: આઈ વૉઝ બૉર્ન ટુ બી અ કિંગ અર્થાત્ જેને જે કરવું હોય તે કરે, મારો જન્મ રાજા બનવા માટે જ થયો છે એટલે મારે એ રીતે તૈયાર થવું જ પડે.

આને કહેવાય ચારિત્ર્ય. આવું દઢ ચારિત્ર્ય એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં સારા સંસ્કારને ખૂબ મહત્વ આપવામાં આવતું, એમને શિક્ષણમાં શીલ, સદાચાર અને ચારિત્ર્યના પાઠ શીખવવામાં આવતા હતા. આજના ભૌતિક યુગમાં લોકો ધન અને સમૃદ્ધિને વધુ મહત્ત્વ આપીને તે પ્રમાણે જીવનની દિશા નક્કી કરે છે એ લોકોને યાદ કરાવવાનું કે જીવનમાં સૌથી વધારે મહત્વનું છે ચારિત્ર્ય.

દોમદોમ સાહ્યબીમાં આળોટતા વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર મોહમ્મદ અલી અને સિંગર માઈકલ જૅક્સન જેવા પણ કોર્ટકેસમાં ખરડાયેલા તે જગજાહેર છે. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ શા માટે માણસનું ચારિત્ર્ય આટલું ઝડપથી ઓગળી જાય છે? આનું કારણ છે એમને ચારિત્ર્યની મહત્તા જ સમજાઈ નથી.

કેવળ માન માટે, જાહેરમાં ચારિત્ર્ય બતાવવું એ ચારિત્ર્યની પરખ નથી. ખરેખર તો કોઈ આપણને જોતું ન હોય ત્યારે આપણે કઈ રીતે વર્તીએ છીએ એના પરથી આપણા ચારિત્ર્યનું માપ નીકળે છે.

વર્ષો પહેલાં અમેરિકાનું ન્યૂ યૉર્ક શહે૨ એક રાતે અચાનક ગાઢ અંધકારમાં ડૂબી ગયું, વીજપ્રવાહ ખોરવાઈ ગયો હતો. બીજી સવારે સૂરજ ઊગ્યો ને શહેર ફરી એક વાર પ્રકાશની રોશનીમાં નહાઈ રહેલું ત્યારે ખબર પડી કે શહેરના મોટા ભાગના શો-રૂમ, મૉલ લૂંટાયા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુખી ઘરના લોકો પણ કાળા ડિબાંગ અંધકારમાં લૂંટફાટ (બ્લૅક નાઈટ રૉબરી)માં સામેલ થયા હતા. આમ અંધારામાં માણસની અસલિયત બહાર આવી ગઈ

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અમેરિકામાં એક વખત 10 શહેરોની ‘કિ ટુ ધી સિટી’ અર્પણ કરવામાં આવી. ભારતીય ધર્મગુરુ માટે આ મોટું સમ્માન હતું. સમ્માન બાદ શહેરના મેયરને સવાલ થયોઃ “તમે ક્યારેય પ્રમુખસ્વામીને જોયા નથી, એમના સંપર્કમાં આવ્યા નથી, એમના વિશે કંઈ જાણતા નથી છતાં આટલું મોટું સમ્માન? ”

મેયર કહે, “હા, હું પ્રમુખસ્વામી વિશે જાણતો નથી, પણ તેમના યુવાન શિષ્યો આપણા શહેરમાં છે. તેમનાં ચારિત્ર્ય એટલાં ઉત્કૃષ્ટ છે કે મને વિચાર આવ્યો, જેના શિષ્ય આવા હોય તેના ગુરુ કેવા હશે.’’

આપણી ભાષામાં કહેવત છેઃ કૂવામાં હોય તો હવાડામાં આવે, એ કહેવત પ્રમાણે ગુરુ સોળ આની વર્તે ત્યારે શિષ્ય બે આની વર્તે. પ્રમુખસ્વામી મહારાજ પાસે ગંગા જેવું પાવિત્ર્ય અને હિમાલય જેવા ઉચ્ચ ચારિત્ર્યની શક્તિ હતી. એમની મૂડી હતીઃ બે જોડી કપડાં, એક માળા છતાં એમના ચારિત્ર્યથી નતમસ્તક થઈને બ્રિટન, કેનેડા, કેન્યા જેવા દેશોની પાર્લમેન્ટે તેમનું અભૂતપૂર્વ સમ્માન કર્યાં હતાં.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સુપ્રીમ કોર્ટે EDની અરજી પર જારી કરી નોટિસ

નવી દિલ્હીઃ પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PACની ઓફિસ અને તેના કો-ફાઉન્ડર પ્રતીક જૈનના ઘરે પાડવામાં આવેલી રેડના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જજોએ સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલને આકરી ટિપ્પણી કરી હતી. કપિલ સિબ્બલ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીનો પક્ષ રાખવા માટે કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે તેમને કહ્યું હતું કે તેઓ જજના મોઢામાં શબ્દો ન મૂકે અને જજોને શું માનવું અને શું નહીં તે ન શીખવાડે.

સુપ્રીમ કોર્ટ EDની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં રેડ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા હસ્તક્ષેપ અંગે CBI તપાસની માગ કરવામાં આવી છે. બુધવારે કોલકત્તા હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી, જેમાં પાર્ટીના પોલિટિકલ ડેટાને ગોપનીય રાખવાની માગ કરવામાં આવી હતી. કપિલ સિબ્બલે આ નિર્ણય પર વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે હાઈકોર્ટે આ મુદ્દે સુનાવણી કરવી જ પડશે.

જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ વિપુલ પંચૌલીની બેન્ચે કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટના વલણથી ખૂબ જ પરેશાન છે. કપિલ સિબ્બલે જણાવ્યું કે ગઈ કાલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી અને સુપ્રીમ કોર્ટને માનવું પડશે કે હાઈકોર્ટ ન્યાય આપવા અસમર્થ છે. આ વાત પર બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી.

સિબ્બલે કહ્યું હતું કે હાઈકોર્ટને સુનાવણી કરીને ચુકાદો આપવો પડશે, ત્યાર બાદ તેઓ અપીલ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટે સાથે-સાથે સુનાવણી શરૂ પણ કરી દીધી છે. સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી પણ કોર્ટમાં હાજર હતા. તેમણે જણાવ્યું હતું કે હાઈકોર્ટે ગઈ કાલે સુનાવણી મોકૂફ રાખી હતી અને કહ્યું હતું કે આ મામલો પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં લંબિત છે.

બુધવારે સુનાવણીમાં ED તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ હાઈકોર્ટમાં સુનાવણી ટાળવાની માગ કરી હતી અને કહ્યું હતું કે આવી જ અરજી સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ છે, અને હાઈકોર્ટે પણ આ વાત પર સંમતિ દર્શાવી હતી. હાઈકોર્ટે બુધવારે TMCની અરજી ફગાવતાં એ પણ જણાવ્યું હતું કે EDએ પોતાના પંચનામામાં કહ્યું છે કે તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી, કારણ કે મમતા બેનર્જી દરોડાના સ્થળ પરથી દસ્તાવેજો પોતાના સાથે લઈ ગયાં હતાં.

કબીરના મતે નામજાપનો સાચો અર્થ એટલે….

 

કોટિ નામ સંસારમેં, તાતે મુક્તિ ન હોય.

આદિ નામ જો ગુપ્ત જપ, બિરલા જાને કોય.

 

મધ્યકાલીન સંત-કવિઓએ નામજાપને અતિ મહત્ત્વનું કાર્ય ગણ્યું છે. ગુરુ નાનક, કબીરજી, તુકારામ, મીરાં, નરસિંહ, સૂરદાસ, તુલસીદાસ એમ સૌએ નામ-કીર્તનનો મહિમા કર્યો છે. આપણે એક નામ લઈએ અને પાડોશી અન્યનું નામ લે તેમાં તનાવ અને હિંસા થાય તેવી સ્થિતિ છે. મધ્યયુગમાં આનાથી પણ વધારે કફોડી હાલત હતી.

હરિના હજારો નામો હોય પણ એકેશ્વરવાદનો સાચો અર્થ સમજીએ તો “નામરૂપ જુજવાં પણ અંતે તો હેમનું હેમ હોય”એ ન્યાયે સર્વવ્યાપ્ત શક્તિનું દર્શન થઈ શકે. સમજણ વિના કોટી પ્રકારની નામસાધના કરીએ તો તે પોપટિયા જાપથી વિશેષ નથી. તેનાથી મુક્તિ ન થાય.

મુક્તિ માટે તો કોઈ દેખાડો કર્યા વિના મન સ્થિર કરી આદિનામ મૂળનામ લઈએ તો મુક્તિ થાય. શીખ ધર્મમાં એક શબ્દ મૂળ નામ ઓંકારનું વિશેષ સ્થાન છે. ૩ૐ શબ્દની ઉપાસનાથી શરીર-મનને શાંતિ પ્રાપ્ત થાય છે. સાચો સાધક આત્મચિંતન દ્વારા સ્વના દોષોનું નિવારણ કરે છે તેમાં નામ-મંત્રનું રટણ ઉપકારક છે. મૌન રાખી, શાંત ચિત્તે ધ્યાન કરવાથી મનના તરંગો શાંત થાય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

BMC Election: સચિન તેંડુલકરે મત આપી નાગરિકોને કરી આવી અપીલ

ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે પણ મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીમાં મતદાન કર્યું અને તેને ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી ગણાવી. તેમણે જનતાને અપીલ કરી કે તેઓ બહાર નીકળીને મતદાન કરે જેથી તેઓ લોકશાહી રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે.

File Photo

મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ મુંબઈમાં તેમના મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. તેમની હાજરીએ મતદાન મથક પર હાજર લોકોનું ધ્યાન ખેંચ્યું. મતદાન કર્યા પછી, તેમણે મીડિયાને પોતાનો શાહીવાળો અંગૂઠો બતાવ્યો અને લોકશાહીમાં ભાગીદારી વિશે સંદેશ પણ આપ્યો.

મતદાન કર્યા પછી, સચિન તેંડુલકરે ચૂંટણીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, “આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી છે. તે આપણને આપણા મત દ્વારા આપણા મંતવ્યો વ્યક્ત કરવાની તક આપે છે. હું દરેકને બહાર આવીને મતદાન કરવા વિનંતી કરું છું.” સચિને મતદાનને લોકશાહી અધિકાર અને ફરજ બંને ગણાવીને લોકોને જવાબદારી લેવા વિનંતી કરી.

મુંબઈમાં ઉત્સાહભેર મતદાન

મુંબઈના વિવિધ વોર્ડમાં વહેલી સવારથી મતદાન ચાલુ છે. ઘણા વિસ્તારોમાં યુવાનો અને વરિષ્ઠ નાગરિકોમાં ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો. મહારાષ્ટ્રના રાજકારણ તેમજ રાજધાની મુંબઈના વહીવટ માટે BMC ચૂંટણી હંમેશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે AI ચિપ્સ પર 25 ટકા ટેરિફ લાદ્યો

ન્યુ યોર્કઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલીક એડવાન્સ્ડ કોમ્પ્યુટર ચિપ્સ પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ એડવાન્સ્ડ કોમ્પ્યુટર ચિપ્સમાં એનવિડિયા (Nvidia)નું H200 AI પ્રોસેસર અને AMD દ્વારા બનાવવામાં આવેલી સમાન ચિપ MI325Xનો સમાવેશ થાય છે. આ એ જ ચિપ્સ છે જેને એનવિડિયા ચીનમાં વેચવાની યોજના બનાવી રહી હતી.

આ નિર્ણય એક મોટા કરારનો ભાગ છે, જેના હેઠળ અમેરિકી સરકારને રેવન્યુ મળશે અને એનવિડિયાને ચીનને કેટલીક ચિપ્સનું વેચાણ ફરી શરૂ કરવાની મંજૂરી મળશે, જેને અગાઉ રોકી દેવામાં આવ્યું હતું.

પસંદગીની AI ચિપ્સ પર 25 ટકા ટેરિફ

વ્હાઇટ હાઉસ અનુસાર આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓને કારણે લેવામાં આવ્યો છે. બુધવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ આ ટેરિફ માત્ર કેટલીક પસંદગીની હાઈ-એન્ડ ચિપ્સ પર લાગુ પડે છે અને હાલ મોટા ભાગની વિદેશમાં બનેલી સેમિકન્ડક્ટર ચિપ્સ પર લાગુ થતો નથી. જોકે ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આવનારા સમયમાં વધુ કડક ટેરિફ લાગુ કરવામાં આવશે. ફેક્ટ શીટમાં ચેતવણી આપવામાં આવી છે કે ટ્રમ્પ ‘નજીકના ભવિષ્ય’માં સેમિકન્ડક્ટર પર વ્યાપક પ્રતિબંધો લાવી શકે છે.

વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા હાલ પોતાની જરૂરિયાતની ચિપ્સમાંથી માત્ર આશરે 10 ટકા જ સંપૂર્ણ રીતે દેશમાં બનાવે છે, જેને કારણે તે વિદેશી સપ્લાય ચેઇન્સ પર અત્યંત નિર્ભર બની ગયું છે. વિદેશી સપ્લાય ચેઇન્સ પરની આ નિર્ભરતા એક મોટું આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમ છે.

ટેરિફમાં શું સામેલ છે અને શું નથી

આ ટેરિફ તાઇવાનમાં બનેલી એડવાન્સ્ડ ચિપ્સ, જેમ કે એનવિડિયા H200 અને AMD MI325X પર લાગુ પડે છે. તેનો અર્થ એ છે કે એનવિડિયાને ચીનમાં ગ્રાહકોને આ ચિપ્સ વેચતાં પહેલાં હવે 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે.

જોકે આ ટેરિફ તે ચિપ્સ પર લાગુ નહીં થાય જે અમેરિકાની ટેક્નોલોજી સપ્લાય ચેનને મજબૂત કરવા માટે આયાત કરવામાં આવે છે અથવા સેમિકન્ડક્ટર સંબંધિત ઉત્પાદનોના ઘરેલુ ઉત્પાદનને વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. વ્હાઇટ હાઉસે વધુમાં જણાવ્યું છે કે આ ટેરિફ અમેરિકન ડેટા સેન્ટરો, સ્ટાર્ટઅપ્સ, ડેટા સેન્ટર સિવાયના ઉપભોક્તા ઉપયોગો, નાગરિક ઔદ્યોગિક હેતુઓ અથવા અમેરિકન જાહેર ક્ષેત્રના ઉપયોગ માટે બનાવવામાં આવેલી ચિપ્સ પર લાગુ નહીં થાય.

ઉત્તરાયણમાં ઇમરજન્સી કોલ્સમાં ઉછાળો, રાત્રે 9 વાગ્યા સુધીમાં 5 હજાર કેસ

ગાંધીનગર: ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યભરમાં ઇમરજન્સી સેવાઓ મોડી રાત સુધી ચાલુ રહી. રાજ્યના રસ્તાઓ પર ઈમરજન્સી ગાડીઓ દોડી રહી હતી. પતંગોત્સવની ઉજવણી વચ્ચે ઉતરાયણની રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 5 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે.

આ વર્ષે 734 કેસનો વધારો નોંધાયો

ગત વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ 4,266 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે તેમાં 734 કેસનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ ઉત્તરાયણ દરમિયાન વધતા અકસ્માતો અને ઇજાઓની ગંભીરતા દર્શાવે છે.

ત્રણ લોકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત

ઉત્તરાયણના પર્વમાં લોકો ઘરના ધાબા તેમજ બિલ્ડિંગોની છત પર ચડી પતંગબાજીની મજા માણી રહ્યા છે. જો કે આ મજા કેટલાક લોકો માટે મોતની સજા સાબિત થઈ. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ બનેલી દુર્ઘટનાઓમાં વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત કુલ ત્રણ લોકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા.

પતંગ પકડવા જતાં બે લોકોએ જીવ ગુમાવ્યો

પતંગ પકડવાની લહાયમાં એક બાળક સહિત બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અરવલ્લીના બાયડ પાસેના ચોઇલા ગામમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે એક યુવકનું ગળું કપાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેવી જ રીતે ભરૂચના જંબુસરમાં બાઈકસવાર યુવકનું ગળું કપાતા તેનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરામાં 10 વર્ષના બાળક અને એક યુવકના મોત

વડોદરામાં પણ પતંગ પકડવાની લહાયમાં 10 વર્ષના બાળક અને એક યુવકના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સતત બની રહેલી આવી ઘટનાઓને લઈ પ્રશાસન અને પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા તેમજ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે.

મુખ્ય શહેરોમાં સૌથી વધુ અસર

રાજ્યના મહાનગરોમાં પતંગબાજીનો ક્રેઝ વધુ હોવાથી ઈમરજન્સી કોલ્સની સંખ્યા પણ ત્યાં વધુ જોવા મળી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 108ની ટીમો સતત કાર્યરત રહી હતી.