Home Blog Page 315

થાઈલેન્ડમાં ટ્રેન પર ભારે ક્રેન પડતાં 22 મુસાફરોનાં મોતઃ 30થી વધુ ઘાયલ

બેન્ગકોકઃ થાઈલેન્ડમાં એક ભયાનક અકસ્માત થયો છે. બેન્ગકોકથી દેશના ઉત્તર-પૂર્વ પ્રાંત તરફ જઈ રહેલી એક ટ્રેન પર અચાનક ભારે ક્રેન પડતાં ટ્રેન પાટા પરથી  ખડી પડી હતી. પોલીસે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયાં છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માત બુધવારે બેન્ગકોકથી લગભગ 230 કિમી દૂર નખોન રાચાસીમા પ્રાંતના સીખિયો જિલ્લામાં થયો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું  હતું કે દુર્ઘટનામાં 22 લોકોનાં મોત થયાં છે અને 30થી વધુ ઘાયલ છે. ટ્રેન થાઈલેન્ડના ઉબોન રાચથાની પ્રાંત તરફ જઈ રહી હતી. સ્થાનિક મિડિયા અહેવાલો અનુસાર એક ક્રેન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, ત્યારે તે અચાનક ધરાશાયી થઈ હતી અને પસાર થતી ટ્રેન પર સીધી પડી ગઈ. આ કારણે ટ્રેન પાટા પરથી ઊથલી પડી હતી અને થોડી વાર માટે આગ પણ લાગી ગઈ.

બચાવ કામગીરીનો એક વિડિયો સોશિયલ મિડિયામાં સામે આવ્યો છે, જેમાં બચાવ કર્મચારીઓ ટ્રેનના કાટમાળને કાપીને ઘાયલોને બહાર કાઢતા નજરે પડે છે.

ટ્રેનમાં કુલ 195 મુસાફરો સવાર હતા

થાઈલેન્ડના પરિવહન મંત્રી ફિફાટ રત્ચાકિટપ્રકર્ણે જણાવ્યું હતું કે ટ્રેનમાં કુલ 195 લોકો સવાર હતા અને અધિકારીઓ મૃતકોની ઓળખ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. આ ક્રેનનો ઉપયોગ થાઈલેન્ડમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્ક બનાવવા માટેના 5.4 અબજ ડોલરના પ્રોજેક્ટમાં થઈ રહ્યો હતો. આ પ્રોજેક્ટને ચીનનો સહયોગ છે. આ યોજના ચીનની વિશાળ “બેલ્ટ એન્ડ રોડ” ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલનો ભાગ છે, જેના અંતર્ગત 2028 સુધીમાં લાઓસ મારફતે બેન્ગકોકને ચીનના કુનમિંગ સાથે જોડવાનો ઉદ્દેશ છે.

થાઈલેન્ડમાં ઔદ્યોગિક અને બાંધકામ સ્થળોના અકસ્માતો લાંબા સમયથી સામાન્ય રહ્યા છે. અહીં સુરક્ષા નિયમોના ઢીલા અમલને કારણે અવારનવાર જીવલેણ ઘટનાઓ બને છે.

આડંબરને આડે હાથ લેનાર અખા ભગતનું સંભારણું…

એક મુરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન….
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ના પહોંચ્યા હરીને શરણ,
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન….

ચોટદાર છપ્પા લખવા માટે જાણીતા અખા ભગત જેવા સર્જકથી ગુજરાતી સાહિત્ય રળિયાત છે. આવા વાસ્તવિક અને ક્રાંતિકારી વિચારો છપ્પા રુપે લખનાર આ સર્જકનું એક સંભારણું અમદાવાદ શહેરના ખાડિયા રાયપુર વિસ્તારની દેસાઈની પોળમાં છે. હેરિટેજ અમદાવાદની સૌથી સમૃદ્ધ મકાનો, ઈમારતો, સ્થાપત્યો જે વિસ્તારમાં આવેલા છે એની વચ્ચે જ અખા ભગતની યાદમાં એક સ્મારક મુકવામાં આવ્યું છે.

અમદાવાદ નજીક આવેલા જેતલપુરથી ખાડિયામાં આવીને વસેલા અખા સોનીએ સમાજમાં ચાલતાં આડંબર વિશે અનેક છપ્પા લખ્યા હતા. આ વખતે રિવરફ્રન્ટ પર મોટા પાયે યોજાયેલા પતંગોત્સવમાં આ જ પોળના સ્થાપત્યોની આબેહુબ પ્રતિકૃતિ પણ ઉભી કરવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

શક્સગામ ખીણ ભારતનો અભિન્ન ભાગ, ગેરકાયદે કબજો સ્વીકાર્ય નહીં: સેનાપ્રમુખ

નવી દિલ્હીઃ ભારતીય સેનાપ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ  આર્મી ડે પહેલાં યોજાયેલી પરંપરાગત પ્રેસ કોન્ફરન્સમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલાસા કર્યા હતા. તેમણે ચીન અને પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ પર કડક પ્રહાર કરતા શક્સગામ ખીણ પર ચીનના દાવાઓને સ્પષ્ટ રીતે નકારી કાઢ્યા હતા. એ સાથે જ પાકિસ્તાનને ચેતવણી આપી કે સરહદ પાર હજુ પણ આતંકવાદી કેમ્પ સક્રિય છે અને ભારત તેમની પર કડક નજર રાખી રહ્યું છે.

 શક્સગામ ખીણ અંગે 1963નો કરાર ગેરકાયદે

શક્સગામ ખીણમાં ચીન દ્વારા બાંધકામ અને તેને પોતાનું ક્ષેત્ર ગણાવવાના પ્રયાસો અંગે જનરલ દ્વિવેદીએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત 1963ના ચીન–પાકિસ્તાન સરહદી કરારને માન્યતા આપતું નથી, જે હેઠળ પાકિસ્તાને ગેરકાયદે રીતે ભારતના 5180 ચોરસ કિમી વિસ્તારને ચીનને સોંપી દીધો હતો. સેનાપ્રમુખે ચીન–પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ને પણ ગેરકાયદે ગણાવ્યો હતો, કારણ કે તે ભારતીય વિસ્તારમાંથી પસાર થાય છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે શક્સગામ ખીણમાં ચીનની કોઈ પણ પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી.

LAC પર હાલ સ્થિરતા, પરંતુ સતર્કતા યથાવત્

ઉત્તરી સરહદ પર ચીન સાથેની હાલની સ્થિતિ અંગે સેનાપ્રમુખે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. 2024માં ડેમચોક અને દેપાસાંગ વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી શરૂ થયા બાદ પરિસ્થિતિ એપ્રિલ, 2020 પહેલાં જેવી બની ગઈ છે. બંને દેશોની સેનાઓ વિશ્વાસ વધારવા માટે ‘એક્સપર્ટ ગ્રુપ’ અને ‘વર્કિંગ ગ્રુપ’ મારફતે કામ કરી રહી છે. LAC પર ભારતની તહેનાતી મજબૂત છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ સતત ચાલુ છે.

પાકિસ્તાનને કડક ચેતવણી

પાકિસ્તાન તરફથી ઊભા થતા આતંકી ખતરાઓ અંગે સેનાપ્રમુખે કડક આંકડા રજૂ કર્યા. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હાલ પણ આઠ આતંકી કેમ્પ સક્રિય છે, જેમાં 100થી 150 આતંકીઓ હાજર છે. આમાંથી 6 કેમ્પ LoC નજીક અને બે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે સ્થિત છે. મે, 2025માં થયેલા સૈન્ય ટકરાવ બાદ આતંકી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તેમ છતાં ભારતીય સેના હાઈ એલર્ટ પર છે. તેમણે ચેતવણી આપી કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે, તો ભારતીય સેના કડક કાર્યવાહી કરવામાં સંકોચ કરશે નહીં.

પંચાંગ 14/01/2026

વાહ ભાઈ વાહ! ૧૪ જાન્યુઆરી ૨૦૨૬

૧૪ જાન્યુઆરી ૨૦૨૬

લીંબુ પુરી ચાટ

પાણીપુરી તો બધાને પ્રિય હોય છે. પણ જો કોઈકવાર કળાકૂટ વિના તેવો જ ચટપટો સ્વાદ મેળવવો હોય તો લીંબુ પુરી ચાટ બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • પાણીપુરીની પુરી 10-15
  • બાફેલા બટેટા 4
  • બાફેલા લાલ ચણા 1 કપ
  • ચણાના લોટની ઝીણી સેવ 1 કપ
  • ચાટ મસાલો 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 2 ટે.સ્પૂન
  • જીરૂ 2 ટે.સ્પૂન
  • કાંદો 1
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુ 1

રીતઃ જીરૂને તવા ઉપર મૂકી ગેસની મધ્યમ આંચે ઘેરા ચોકલેટી રંગનું શેકી લો. ત્યારબાદ ઠંડું થાય એટલે રોટલી વણવાના પાટલા ઉપર મૂકી વેલણથી તેને અધકચરું વાટી લો.

બાફેલા બટેટાને મેશર વડે છૂંદીને તેમાં બાફેલા ચણા પણ મેશ કરી લો. હવે તેમાં ચાટ મસાલો, લાલ મરચાં પાઉડર 1 ટે.સ્પૂન મેળવો અને કાળું મીઠું, સ્વાદ મુજબ મીઠું તેમજ કોથમીર 2 ટે.સ્પૂન મેળવીને એક બાજુએ મૂકી રાખો.

એક બાઉલમાં કાંદાને ઝીણો સમારી લો. તેમાં બાકી રહેલી કોથમીરમાંથી 2 ટે.સ્પૂન મેળવી લો.

લીંબુને થોડું ઘોરી લઈ તેના બે કટકા કરીને તેમાંના બીયાં કાઢી લો.

પાણીપુરીની દરેક પુરીમાં ઉપર વચ્ચેના ભાગમાં મોટો છેદ પાડી લો. હવે બટેટાનું પૂરણ અડધી ચમચી જેટલું દરેક પુરીમાં ભરી દો. ત્યારબાદ શેકેલા જીરાનો ભૂકો થોડો થોડો ભભરાવી, તેની ઉપર થોડું થોડું કાંદા-કોથમીરનું મિશ્રણ ભભરાવીને દરેક પુરીમાં લીંબુનો રસ 6-7 ટીપાં જેટલો નિચોવી દો.

પુરીની ઉપર થોડો થોડો ચાટ મસાલો, લાલ મરચાં પાઉડર તેમજ શેકેલા જીરાનો પાઉડર છાંટીને, ઝીણી સેવા ભભરાવીને, ઉપર પાણીપુરીની બે પુરી લઈ તેનો હાથેથી ભૂકો કરીને ભભરાવી દો. ઉપરથી સમારેલી કોથમીર છાંટી દો. ફરીથી આખી પ્લેટમાં પુરી ઉપર જરા જરા લીંબુના રસના ટીપાં છાંટી દઈ આ લીંબુ પુરી ચાટ પીરસો. પસંદ પ્રમાણે દાડમના દાણા પણ પુરીમાં ભરી શકાય છે.

મૌન દ્વારા શાંતિ અને આનંદનો ઉદય

જ્યારે બુદ્ધને આત્મજ્ઞાન થયું, ત્યારે મે મહિનાની પૂર્ણિમાનો દિવસ હતો. એવું કહેવાય છે કે તેઓ એક અઠવાડિયા સુધી મૌન રહ્યા. સ્વર્ગમાં દેવદૂતો ચિંતામાં પડી ગયા કારણ કે આવી ઘટના સહસ્ત્રાબ્દીમાં ભાગ્યે જ બનતી હોય છે. તેમણે બુદ્ધને મૌન છોડી કંઈક બોલવા માટે આગ્રહ કર્યો. બુદ્ધે ઉત્તર આપ્યો, “જે જાણે છે તેઓ મારા બોલ્યા વગર પણ જાણી લેશે, અને જે અજ્ઞાની છે તે હું બોલીશ તો પણ નહિ સમજે.” જ્યાં શબ્દો ખૂટી પડે છે, ત્યાંથી સત્યની શરૂઆત થાય છે.

દેવદૂતોએ તેમને વિનંતી કરી કે જેઓ આત્મજ્ઞાનની નજીક છે પરંતુ સંપૂર્ણ જ્ઞાની નથી તેમના માટે કંઈક કહો. બુદ્ધના શબ્દોનો ઉદ્દેશ્ય મૌન સુધી પહોંચવાનો હતો. મૌન એ જીવનનો સ્ત્રોત છે અને રોગોનો ઉપચાર છે. ક્રોધિત વ્યક્તિ અંતે મૌન થઈ જાય છે, દુઃખી વ્યક્તિ મૌન શોધે છે, અને જ્ઞાની વ્યક્તિ સ્વયં મૌન ધારણ કરે છે.

મનમાં થવા વાળા ઘોંઘાટને ઓળખો – શું તે પૈસા, પ્રતિષ્ઠા, ઓળખ, સંબંધો ને લઈને છે? ઘોંઘાટ ઉપરના સ્તર પર હોય છે, જ્યારે ઊંડાણમાં એનો આધાર મૌન છે. બુદ્ધે સંતોષી જીવન જીવ્યું, પરંતુ સત્યની શોધમાં પોતાના મહેલ, પત્ની અને પુત્રનો ત્યાગ કર્યો. તેમણે વર્ષો સુધી તપસ્યા કરી અને અંતે ચાર સત્યો ઉજાગર કર્યા.

તેમણે શિષ્યોને ભિક્ષા માંગવા મોકલ્યા જેથી “હું કંઈક છું” એ અભિમાન દૂર થઈ શકે અને “હું કંઈ નથી” ની અનુભૂતિ થઈ શકે. પહેલું સત્ય એ છે કે દુનિયામાં દુઃખ છે. બીજું સત્ય એ છે કે દુઃખનું કોઈ કારણ છે. ત્રીજું સત્ય એ છે કે દુઃખને દૂર કરી શકાય છે. ચોથું સત્ય એ છે કે એ દુઃખમાંથી મુક્તિનો માર્ગ પણ છે.

તમારા વાસ્તવિક રૂપને ઓળખો, તમારો વાસ્તવિક સ્વભાવ શું છે? તે શાંતિ, કરુણા, પ્રેમ, મિત્રતા અને આનંદ છે, અને આ બધું મૌનમાંથી જન્મે છે. મૌન દુ:ખ અને આત્મગ્લાનીને દૂર કરે છે અને આનંદ, કરુણા અને પ્રેમને જન્મ આપે છે. આ રીતે, દરેક વ્યક્તિ આનંદીત રહી શકે છે અને દુઃખના ભવસાગરને પાર કરી શકે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રશિયાએ યુક્રેન પર ફરી કર્યો મોટો હુમલો

રશિયાએ યુક્રેન પર ફરી એક હુમલો કર્યો છે. ચાર દિવસમાં આ ચોથો મોટો ડ્રોન હુમલો છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે પાવર ગ્રીડને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલાઓ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવાના યુએસ પ્રયાસોને પણ અવરોધે છે, જે લગભગ ચાર વર્ષથી યુદ્ધમાં છે.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે રશિયાએ આશરે ૩૦૦ ડ્રોન, ૧૮ બેલિસ્ટિક મિસાઇલો અને સાત ક્રુઝ મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલાઓ કર્યા હતા. રાતોરાત થયેલા હુમલામાં આઠ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉત્તરપૂર્વ ખાર્કિવમાં એક મેઇલ ડેપોમાં ચાર લોકો માર્યા ગયા હતા. કિવ પ્રદેશમાં સેંકડો ઘરો પણ અંધારામાં ડૂબી ગયા હતા. યુક્રેનની રાજધાની આ દિવસોમાં તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહી છે, દિવસનું તાપમાન માઇનસ ૧૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. શેરીઓ બરફથી ઢંકાઈ ગઈ છે, અને જનરેટરના અવાજથી શહેર ભરાઈ ગયું છે.

અનેક રહેણાંક ઇમારતોને નુકસાન થયું 

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયન હુમલાઓમાં યુક્રેનના ખાર્કિવ ક્ષેત્રમાં ૧૦ લોકો ઘાયલ થયા છે. દક્ષિણ શહેર ઓડેસામાં છ લોકો ઘાયલ થયા છે. પ્રાદેશિક લશ્કરી વહીવટના વડા ઓલેહ કિપરે જણાવ્યું હતું કે હુમલાઓથી ઊર્જા ગ્રીડ, એક હોસ્પિટલ, એક કિન્ડરગાર્ટન, એક શૈક્ષણિક સંસ્થા અને અનેક રહેણાંક ઇમારતોને નુકસાન થયું છે. રશિયન હુમલાઓએ કડકડતી શિયાળામાં યુક્રેનિયન નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. પાવર ગ્રીડ પરના હુમલાઓ વીજળી અને પાણી પુરવઠો ખોરવી રહ્યા છે. રશિયા યુક્રેનિયન નાગરિકોની મુશ્કેલીઓ વધારીને યુદ્ધમાં ફાયદો મેળવવાનો હેતુ ધરાવે છે. યુક્રેનિયન અધિકારીઓએ આ વ્યૂહરચના ઠંડીને શસ્ત્ર બનાવવાની વ્યૂહરચના તરીકે વર્ણવી છે.

 

આર્મી ચીફનો પાકિસ્તાનને કડક સંદેશ

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સ્પષ્ટ અને કડક ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો પરમાણુ વાણીયાત્રા દૂર કરવામાં આવ્યો છે, અને ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. તેથી, પાકિસ્તાન દ્વારા આગળની કોઈપણ કાર્યવાહી અથવા દુ:સાહસનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

દિલ્હીમાં વાર્ષિક પત્રકાર પરિષદને સંબોધતા, આર્મી ચીફે જણાવ્યું હતું કે ઉત્તરી મોરચા પર પરિસ્થિતિ હાલમાં સ્થિર છે, અને ભારતીય સેનાએ સતત સતર્ક રહેવાની જરૂર છે. સેનાના ઉચ્ચ સ્તરે ચાલી રહેલી વાટાઘાટો સામાન્યીકરણમાં ફાળો આપી રહી છે. દરમિયાન, તૈનાતી સંતુલિત અને મજબૂત રહે છે. જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સંવેદનશીલ રહે છે પરંતુ નિયંત્રણમાં છે. 2025 માં, 31 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાંથી 65 ટકા પાકિસ્તાની હતા.

આર્મી ચીફે જણાવ્યું હતું કે ભારતીય સેનામાં પુનર્ગઠન ચાલુ છે, જેમાં રુદ્ર બ્રિગેડ, ભૈરવ બટાલિયન, શક્તિબાન રેજિમેન્ટ અને અશ્ની પ્લાટૂનનો સમાવેશ થાય છે. પહેલી વાર, કોર્પ્સ કમાન્ડરને પણ કટોકટી ખરીદી સત્તાઓ આપવામાં આવી છે. મ્યાનમારની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી, ભારત અને મ્યાનમારની સેનાઓ અસરકારક રીતે એકીકૃત થઈ શકે છે. ભારતીય સેના શરૂઆતથી જ થિયેટરાઇઝેશન માટે પ્રતિબદ્ધ રહી છે. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે ભારતીય સેના દરેક પરિસ્થિતિમાં સતર્ક, મજબૂત અને દૃઢ રહે છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલી આગળની ગતિવિધિઓ બંને દેશો દ્વારા ધીમે ધીમે ઓછી કરવામાં આવી છે. જોકે અમે અમારી આંખો અને કાન ખુલ્લા રાખી રહ્યા છીએ, લગભગ આઠ આતંકવાદી છાવણીઓ IB અને LoC પર સક્રિય છે. આમાંથી, બે IB નજીક અને છ LoC નજીક છે. પાકિસ્તાન સાથે DGMO-સ્તરની વાટાઘાટોમાં પરમાણુ શસ્ત્રોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેઓ પહેલા ડ્રોનનો ઉપયોગ કરતા હતા અને પુનર્ગઠન કરવાનું વિચારી રહ્યા હતા, અને હવે તેમણે આ પર કામ ઝડપી બનાવ્યું છે.

આર્મી ચીફે જણાવ્યું હતું કે ભારતીય સેનાની શક્તિમાન રેજિમેન્ટની રેન્જ શરૂઆતમાં 100 થી 400 કિલોમીટર હશે, અને પછી તેને 700 થી 1,000 કિલોમીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે. હાલમાં, ત્રણ શક્તિમાન રેજિમેન્ટને સેનામાં સામેલ કરવામાં આવશે. દરેક આર્મી કમાન્ડ પાસે આશરે 5,000 ડ્રોન બનાવવાની ક્ષમતા છે. ભારત માટે મિસાઇલ અને રોકેટ ફોર્સ સ્થાપિત કરવી એ સમયની માંગ છે, અને આ જેટલું વહેલું થાય તેટલું ભારતની સુરક્ષા માટે સારું.