ઈરાનમાં ચાલી રહેલા હિંસક સરકાર વિરોધી આંદોલન વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકો માટે કડક ચેતવણી જાહેર કરી છે. નવી દિલ્હીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પ્રવાસી ભારતીયો, હાલ ઘરની બહાર ન નીકળે અને કોઈપણ પ્રકારની અશાંતિથી દૂર રહે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઈરાનમાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
સોમવારે જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્જની ભારત મુલાકાત બાદ યોજાયેલી ખાસ મીડિયા બ્રીફિંગ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસ્રી એ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારત સરકાર ઈરાનમાં બનતી ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહી છે અને ત્યાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમના જણાવ્યા અનુસાર, ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોનો નોંધપાત્ર સમુદાય રહે છે, જેને ધ્યાનમાં રાખીને દૂતાવાસ સતત સંપર્કમાં છે.
વિદેશ સચિવે જણાવ્યું કે ઈરાનમાં ઇન્ટરનેટ પ્રતિબંધો અને સંચાર મર્યાદાઓ હોવા છતાં ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ તથા અન્ય નાગરિકો સાથે સંપર્ક સાધ્યો છે. હાલની માહિતી મુજબ બધા ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને તેમને કોઈ તાત્કાલિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. તેમ છતાં, પરિસ્થિતિની ગંભીરતા જોતા તેમને સંપૂર્ણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ભારત સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે નાગરિકો કોઈ પણ પ્રકારના પ્રદર્શન, ભીડ અથવા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળે. વિક્રમ મિસ્રીના જણાવ્યા અનુસાર, “અમે અમારા તમામ નાગરિકોને સલાહ આપી છે કે તેઓ બહાર ન નીકળે અને અશાંતિની પરિસ્થિતિમાં ફસાઈ ન જાય.” સરકાર કોઈ પણ ઇમરજન્સી સ્થિતિ માટે દૂતાવાસ મારફતે જરૂરી સહાય પૂરી પાડવા તૈયાર છે.
ઈરાનમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર બની ચૂકી છે. માનવાધિકાર સંગઠનોના અહેવાલો મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 544 લોકોના મોત થયા છે. અમેરિકામાં સ્થિત Human Rights Activists News Agencyનો દાવો છે કે મૃત્યુઆંક આથી પણ વધારે હોઈ શકે છે અને વાસ્તવિક આંકડા બહાર આવ્યા બાદ સ્થિતિ વધુ ભયાનક લાગી શકે છે.
આ સંગઠનના અનુસાર, અત્યાર સુધીમાં 10,600થી વધુ લોકોને ધરપકડ કરવામાં આવી છે. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના સામાન્ય પ્રદર્શનકારીઓ છે, જ્યારે સુરક્ષા દળોના પણ 48 સભ્યોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ આંકડાઓ ઈરાનમાં ચાલી રહેલા દમન અને હિંસાની વ્યાપકતા દર્શાવે છે.
વિશ્વભરમાં આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક દેશોએ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ભારત પણ સતત સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને જરૂર પડે તો વધુ પગલાં લેવામાં આવશે તેવી સંભાવના છે. ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન અને ઇમરજન્સી સંપર્ક વ્યવસ્થા સક્રિય રાખી છે.
વિશ્લેષકો માને છે કે જો ઈરાનમાં હાલની સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે, તો વિદેશી નાગરિકોની સુરક્ષા એક મોટો આંતરરાષ્ટ્રીય મુદ્દો બની શકે છે. આવી સ્થિતિમાં ભારતની આ આગોતરી ચેતવણીને તેના નાગરિકોની સલામતી માટે જરૂરી અને સમયોચિત પગલું ગણવામાં આવી રહ્યું છે.


નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE) રોકાણકાર જાગૃતિ, નાણાકીય સાક્ષરતા અને સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકાર સુરક્ષાને પોતાનો મુખ્ય ઉદ્દેશ્ય ગણે છે. NSEએ રોકાણકારનું શિક્ષણ, જાગૃતિ કાર્યક્રમો અને મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થા દ્વારા ભારતમાં સુરક્ષિત, પારદર્શક અને વિશ્વાસપાત્ર રોકાણ માટેના વાતાવરણ નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
NSEના એમ.ડી. એન્ડ સી.ઈ.ઓ. અશીષકુમાર ચૌહાણે જણાવ્યું કે, “પતંગને ઊંચે ઉડાવવા માટે સંતુલન અને મજબૂત દોરીની જરૂર પડે છે. તેવી જ રીતે રોકાણમાં શિસ્ત અને જાણકારીપૂર્વકના નિર્ણયોની જરૂરી છે. NSE આ સાંસ્કૃતિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખાસ કરીને નવા અને રિટેલ રોકાણકારો સુધી સરળ અને આકર્ષક રીતે જાગૃતિ સંદેશ પહોંચાડશે.”
આ અભિયાન હેઠળ IKF ૨૦૨૬માં NSEનો વિશેષ સ્ટોલ લગાવવામાં આવ્યો છે. જ્યાં રોકાણકાર જાગૃતિ સંદેશા સાથે મફત પતંગો વિતરિત કરવામાં આવી રહ્યા છે. રોકાણકારોના અધિકારો, ફરિયાદ નિવારણ, છેતરપિંડી રોકથામ વગેરે વિશે સરળ માહિતી આપવામાં આવી અને મુલાકાતીઓ સાથે ઇન્ટરેક્ટિવ જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.
ગુજરાતમાં હાલમાં આશરે ૧.૧ કરોડ રજિસ્ટર્ડ રોકાણકારો છે, જે ભારતમાં ત્રીજા ક્રમે છે અને દેશના કુલ રોકાણકારોના ૮.૭% છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતના રોકાણકારોનો આધાર ૧૭%થી વધુના CAGRથી વધ્યો છે. ૨૦૨૫માં જ ગુજરાતમાંથી ૧૦.૭ લાખથી વધુ નવા રોકાણકારો જોડાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરા જિલ્લાઓમાંથી ૫૫%થી વધુ નવા રજિસ્ટ્રેશન થયા છે. ગુજરાતમાં મહિલા રોકાણકારોનો હિસ્સો ૨૮.૧% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૨૪.૭%થી વધુ છે. આ રીતે NSE ઉત્તરાયણના આ ભવ્ય ઉત્સવમાં નાણાકીય જાગૃતિને પ્રોત્સાહન આપીને લોકોને સુરક્ષિત રોકાણ તરફ પ્રેરિત કરશે.

હમામત્સુ-અમદાવાદ સિસ્ટર સિટી સંબંધ અને શિઝુઓકા પ્રીફેક્ચર-ગુજરાત સિસ્ટર સ્ટેટ પાર્ટનરશિપની પ્રથમ વર્ષગાંઠ છે. જે નિમિત્તે “GOLDFEST” નામનો સાંસ્કૃતિક ઉત્સવ 10થી 14 જાન્યુઆરી સુધી યોજાશે. આ ઉત્સવની ઔપચારિક શરૂઆત 10 જાન્યુઆરી 2026ના રોજ શનિવારે સાંજે 4 વાગ્યે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “પતંગ-ઓ-દોરી” નામના પ્રથમ જાપાની પતંગ પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે થઈ.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે મુંબઈમાં જાપાનના કોન્સ્યુલેટ-જનરલના કલ્ચરલ અફેર્સના કોન્સલ મેગુમિ શિમાડા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદમાં જાપાનના ઓનરરી કોન્સલ મુકેશ પટેલ તેમજ જાપાની પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ગોલ્ડફેસ્ટમાં શિઝુઓકા પ્રીફેક્ચર અને હમામત્સુ શહેરના પ્રતિનિધિમંડળ ભાગ લઈ રહ્યા છે. જાપાની પતંગો, સંગીત અને પરંપરાગત માચા (મેચા) સંસ્કૃતિને કેન્દ્રસ્થાને રાખીને આ ઉત્સવમાં ભારત-જાપાનના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવશે.
હમામત્સુ જાપાનનું પતંગ ઉડાનનું કેન્દ્ર છે, જ્યારે અમદાવાદ ઉત્તરાયણના પ્રખ્યાત ઉત્સવ માટે જાણીતું છે – આ પ્રદર્શન બંને શહેરોની સમાન પતંગ સંસ્કૃતિને ઉજાગર કરશે.





દાદા લેખરાજનું એક અદ્વિતીય યોગદાન હતું મહિલાઓનું સશક્તિકરણ. જ્યારે સમાજમાં સ્ત્રીઓને નિર્ણયશક્તિ આપવાની કલ્પના પણ દુર્લભ હતી, ત્યારે તેમણે બહેનોને નેતૃત્વ સોંપ્યું. આજે આ જ દૃષ્ટિનું પરિણામ છે કે વિશ્વના 140થી વધુ દેશોમાં, આશરે 5,500થી વધુ સેવાકેન્દ્રો દ્વારા ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ ફેલાઈ રહી છે અને તેમાં 50,000થી વધુ બ્રહ્માકુમારી બહેનો તેમજ 10,000થી વધુ બ્રહ્માકુમાર ભાઈઓ સંપૂર્ણ સમર્પણ સાથે સેવા આપી રહ્યા છે.