Home Blog Page 361

રાષ્ટ્ર નિર્માણમાં ચૌધરી ચરણ સિંહના યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં: PM મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.  સોશિયલ મીડિયામાં તેમણે લખ્યું કે, “કૃતજ્ઞ રાષ્ટ્ર…. રાષ્ટ્ર નિર્માણમાં, ખાસ કરીને કૃષિ, ગ્રામીણ વિકાસ અને સામાજિક ન્યાયના ક્ષેત્રોમાં તેમના અપાર યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં.”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, વડાપ્રધાને ભૂતપૂર્વ વડાપ્રધાનના વારસાને યાદ કરતો એક વિડિયો સંદેશ શેર કર્યો. “ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે સમાજના વંચિત વર્ગોના કલ્યાણ તેમજ કૃષિની પ્રગતિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. કૃતજ્ઞ રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય નહીં,” PM મોદીએ લખ્યું.

વિડિયો સંદેશમાં, વડાપ્રધાને ચૌધરી ચરણ સિંહની ખેડૂતો, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો.

PM મોદીએ કહ્યું કે ચરણ સિંહે નાના ખેડૂતોના કલ્યાણ માટે અથાક મહેનત કરી અને ખાતરી કરી કે તેમની ચિંતાઓ રાષ્ટ્રીય નીતિ-નિર્માણના કેન્દ્રમાં આવે. તેમણે ઉમેર્યું કે દેશ ગ્રામીણ ભારતને મજબૂત બનાવવા અને કૃષિ સમુદાયને સશક્ત બનાવવાના તેમના પ્રયાસોને હંમેશા યાદ રાખશે.

તેમણે વધુમાં કહ્યું કે વર્તમાન સરકાર ચૌધરી ચરણ સિંહના આદર્શો અને દ્રષ્ટિકોણથી પ્રેરણા મેળવે છે. તેમણે નોંધ્યું કે નાના પાયે ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને સશક્ત બનાવવા માટે વર્તમાન સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક પગલાં ભૂતપૂર્વ વડાપ્રધાન દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોમાં મૂળ છે.

સમાવેશી વિકાસ પર ભાર મૂકતા, પીએમ મોદીએ કહ્યું કે કૃષિને મજબૂત બનાવવું એ એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે કેન્દ્રિય છે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ આ પ્રસંગે ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલિ આપી. X પર એક પોસ્ટમાં તેમણે લખ્યુ, “ભૂતપૂર્વ વડાપ્રધાન અને મહાન ખેડૂત નેતા ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે ખેડૂતોના સશક્તિકરણ, ગ્રામીણ ભારત અને સામાજિક ન્યાય માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. કૃષિ સુધારણા અને જન કલ્યાણમાં તેમનું દૂરંદેશી યોગદાન હંમેશા રાષ્ટ્ર માટે પ્રેરણાનો સ્ત્રોત રહેશે.”

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ પણ ભૂતપૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા અને કિસાન દિવસની શુભેચ્છાઓ પાઠવી, જે 23 ડિસેમ્બરે ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે.

“ભૂતપૂર્વ વડાપ્રધાન, ‘ભારત રત્ન’ ચૌધરી ચરણ સિંહજી, જેમણે ગામડાંઓ, ગરીબો અને વંચિત લોકોના ઉત્થાન અને ખેડૂતોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, તેમને તેમની જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ! લદ્દાખના લોકો અને કિસાન દિવસ પર આપણને ખોરાક આપનારા ખેડૂતોને હાર્દિક શુભેચ્છાઓ,” તેમણે લખ્યું.

ચૌધરી ચરણ સિંહનો જન્મ 1902માં ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના નૂરપુર ખાતે એક મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિએ ગ્રામીણ મુદ્દાઓ અને ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોની તેમની ઊંડી સમજને આકાર આપ્યો. તેમણે ૧૯૨૩માં વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી અને ૧૯૨૫માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. કાયદામાં તાલીમ મેળવ્યા પછી, તેમણે શરૂઆતમાં ગાઝિયાબાદમાં કાયદાકીય પ્રેક્ટિસ શરૂ કરી અને ૧૯૨૯માં મેરઠ ગયા. આ સમયગાળા દરમિયાન તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેમની રાજકીય સફર શરૂ કરી.

તેઓ પહેલી વાર ૧૯૩૭માં છાપરૌલી મતવિસ્તારમાંથી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા. તેમણે ૧૯૪૬, ૧૯૫૨, ૧૯૬૨ અને ૧૯૬૭માં ઘણી વખત આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૪૬માં, તેઓ પંડિત ગોવિંદ વલ્લભ પંતના નેતૃત્વ હેઠળની સરકારમાં સંસદીય સચિવ બન્યા, જ્યાં તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય અને માહિતી સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા.

જૂન ૧૯૫૧માં, ચરણ સિંહને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમને ન્યાય અને માહિતી વિભાગોનો હવાલો સોંપવામાં આવ્યો. ૧૯૫૪માં, તેમણે ડૉ. સંપૂર્ણાનંદના મંત્રીમંડળમાં મહેસૂલ અને કૃષિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. એપ્રિલ ૧૯૫૯માં તેમણે રાજીનામું આપ્યું ત્યાં સુધીમાં તેઓ મહેસૂલ અને પરિવહન વિભાગ સંભાળી રહ્યા હતા.

સી.બી. ગુપ્તાના નેતૃત્વ હેઠળના મંત્રાલયમાં, ચરણ સિંહ ૧૯૬૦માં ગૃહ અને કૃષિ મંત્રી તરીકે સેવા આપી હતી. બાદમાં તેમણે ૧૯૬૨ થી ૧૯૬૩ દરમિયાન સુચેતા કૃપાલાણીના નેતૃત્વ હેઠળની સરકારમાં કૃષિ અને વન મંત્રી તરીકે સેવા આપી હતી. ૧૯૬૫માં, તેમણે કૃષિ પોર્ટફોલિયો છોડી દીધો અને ૧૯૬૬માં સ્થાનિક સ્વરાજ્ય વિભાગનો હવાલો સંભાળ્યો.

કોંગ્રેસ પક્ષમાં વિભાજન પછી, ચરણ સિંહ ફેબ્રુઆરી ૧૯૭૦માં કોંગ્રેસના સમર્થનથી બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. જો કે, ૨ ઓક્ટોબર, ૧૯૭૦ના રોજ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.

તેમના વહીવટી શિસ્ત અને પ્રામાણિકતા માટે જાણીતા, ચરણ સિંહે એક કડક વહીવટકર્તા તરીકે પ્રતિષ્ઠા મેળવી હતી જે બિનકાર્યક્ષમતા, ભત્રીજાવાદ કે ભ્રષ્ટાચારને સહન કરતા ન હતા. એક પ્રતિભાશાળી સંસદસભ્ય અને વ્યવહારવાદી, તેમની વક્તૃત્વ અને મજબૂત માન્યતાઓ માટે તેમની પ્રશંસા કરવામાં આવતી હતી.

સ્મિતા પાટીલની બે ફિલ્મોના અંતની અજાણી વાત!

અભિનયના શિખર ગણાતા સ્મિતા પાટીલ અને નિર્દેશક બી. સુભાષ વચ્ચેનો સંબંધ બોલિવૂડના ઈતિહાસનું એક અત્યંત ભાવુક અને રોમાંચક પ્રકરણ છે. સ્મિતા પાટીલની બે ફિલ્મો અને તેના ક્લાઈમેક્સ સાથે જોડાયેલી વાતો કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. જેમાં સમર્પણ, જિદ અને કમનસીબીનો અદભૂત સંગમ જોવા મળે છે.

સ્મિતા પાટીલે નિર્દેશક બી. સુભાષ સાથે કરેલી બંને ફિલ્મોના અંત વખતની કેટલીક વાતો રસપ્રદ છે. બંને ફિલ્મોમાં સ્મિતાની ડુપ્લીકેટનો ઉપયોગ કરવાની જરૂર પડી હતી. સ્મિતા પાટીલ નિર્દેશક બી. સુભાષની મિથુન ચક્રવર્તી સાથેની ફિલ્મ ‘કસમ પૈદા કરને વાલે કી’ (1984) કરી રહ્યા હતા. મોટાભાગનું શુટિંગ પૂર્ણ થઈ ગયું હતું. ફક્ત ક્લાઇમેક્સ ફિલ્માવવાનો બાકી હતો. એ માટે પંદર દિવસના શુટિંગની બી. સુભાષે મૈસૂરમાં તૈયારી કરી દીધી હતી. એ જ્યારે ત્યાંથી આવ્યા ત્યારે ખબર પડી કે સ્મિતાને પગમાં ફ્રેકચર થઈ ગયું છે. શુટિંગ માટે એ સમય પર વ્યસ્ત મિથુન અને અમરિશ પુરી સહિતના કલાકારોની તારીખો મેળવી લેવામાં આવી હતી.

સલમા આગા ત્યારે પાકિસ્તાન અને લંડન આવતી જતી રહેતી હોવાથી બી. સુભાષને થયું કે સ્મિતા આવી નહીં શકે તો મોટી ગરબડ થઈ જશે. તે જ્યારે સ્મિતાને મળવા ગયા ત્યારે એમના પગમાં પ્લાસ્ટર લાગેલું હતું. બી. સુભાષને કશું બોલવા જેવું ન હતું. સ્મિતાએ પરિસ્થિતિ પારખી લીધી અને પૂછ્યું કે હું આવી નહીં શકું એ કારણે તમને મોટું નુકસાન થશે ને? ત્યારે બી. સુભાષે કહ્યું કે પૈસાનું નુકસાન તો ગૌણ બાબત છે પણ બધા કલાકારોની તારીખો ફરી મેળવવા શિડ્યુલ છ -આઠ મહિના મોડું કરવું પડશે. ખાસ કરીને સલમા લંડન જતાં રહ્યા તો એમને પાછા શોધવાનું મુશ્કેલ બને એમ છે.

સ્મિતાએ વિચાર કરીને કહી દીધું કે તમે શુટિંગ શિડ્યુલ યથાવત રાખજો. સ્મિતાએ પગનું પ્લાસ્ટર કપાવી નાખ્યું અને સેટ પર હાજર થઈ ગયા હતા. સુભાષ જાણતા હતા કે સ્મિતા આ સ્થિતિમાં અમરિશ સાથેના એક્શન દ્રશ્યો કરી શકશે નહીં એટલે એમની ડુપ્લિકેટ રાખી હતી. પણ જ્યારે શુટિંગ થતું હતું ત્યારે એક્શન દ્રશ્યોમાં ડુપ્લિકેટથી સ્મિતાને અસંતોષ થયો અને કહ્યું કે ડુપ્લિકેટ બરાબર લગતી નથી. પછી સ્મિતાએ પગની ઇજાની એ સ્થિતિમાં અમુક દ્રશ્યો જાતે જ કર્યા. શુટિંગ પછી સુભાષે આભાર માનીને કહ્યું કે મારા જીવનમાં બહુ ઓછા લોકોના અહેસાન છે પણ તમે ફિલ્મ પૂરી કરીને મોટું અહેસાન કર્યું છે. ખબર નથી કે હું ક્યારે અને કેવી રીતે આ અહેસાનને ચૂકવી શકીશ.

સ્મિતાએ તરત કહ્યું કે તમે એક કામ કરીને મારું આ અહેસાન ચૂકવી શકો છો. તમારે મને ગ્લેમરસ ભૂમિકા આપવાની રહેશે. અત્યાર સુધી મને ઝુંપડીમાં રહેતી સ્ત્રીની અને એવી જ ભૂમિકાઓ મળતી રહી છે. મારે તમારી ફિલ્મોની હોય છે એવી ગ્લેમરસ અને ડાન્સર હીરોઇનની ભૂમિકા કરવી છે. એવી ભૂમિકા બીજું કોઈ આપશે નહીં. એ તમે જ આપી શકો છો. બી. સુભાષે એવી ભૂમિકા માટે વચન આપી દીધું. એ પછી ફિલ્મ ‘ટારઝન’ બનાવી. અને જ્યારે ‘ડાન્સ ડાન્સ’ (૧૯૮૭) ની સ્ક્રિપ્ટ લખાઈ ત્યારે બી. સુભાષે સ્મિતા પાટીલને યાદ કર્યા. મિથુનની બહેન ‘રાધા’નો એવો જ ગ્લેમરસ રોલ આપ્યો જેની તેમણે તમન્ના કરી હતી. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. જે રીતે ‘કસમ પૈદા કરને વાલે કી’ ના ક્લાઈમેક્સ વખતે મુસીબત આવી હતી એવું જ કંઈક અહીં પણ બન્યું. આ વખતે તે જીવલેણ હતું.

ફિલ્મનો ક્લાઈમેક્સ શૂટ થાય એ પહેલા જ સ્મિતા પાટીલનું નિધન થઈ ગયું. જે ભૂમિકા માટે તેમણે સપનું જોયું હતું તેને તે પડદા પર પૂરી થતી જોઈ ન શક્યા. ફિલ્મનો ક્લાઇમેક્સ સ્મિતાની ડુપ્લિકેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. સ્મિતા પાટીલની આ બંને ફિલ્મોના અંતિમ દ્રશ્યોમાં ડુપ્લીકેટનો પડછાયો તો રહ્યો પણ ફ્રેક્ચરવાળા પગે કરેલા શુટિંગે સ્મિતા પાટીલને સિનેમાના પડદે કાયમ માટે અમર બનાવી દીધા છે.

રાહુલ ગાંધીએ જર્મનીમાં મોદી સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

બર્લિનઃ  લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદેશી ધરતી પરથી એક વખત ફરી ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ભાજપ દેશની સંસ્થાગત વ્યવસ્થાઓ પર ‘કબજો’ કરી રહી છે, જેને તેમણે લોકશાહી પ્રણાલી પર સીધો ‘હુમલો’ ગણાવ્યો હતો.

કેન્દ્ર સરકાર પર રાહુલનો પ્રહારજર્મનીના બર્લિનમાં આવેલી હર્ટી સ્કૂલમાં એક કાર્યક્રમને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓને ‘હથિયાર’ બનાવી દીધી છે. એ સાથે જ તેમણે સંકેત આપ્યો હતો કે દેશમાં એક પ્રકારનું ક્વિડ પ્રો ક્વો (Quid Pro Quo) ચાલી રહ્યું છે, જેમાં વેપારીઓને વિરોધ પક્ષો બદલે ભાજપને આર્થિક સહાય આપવા માટે મજબૂર કરવામાં આવે છે. નોંધનીય છે કે ક્વિડ પ્રો ક્વોનો અર્થ થાય છે ‘કંઈકને બદલે કંઈક’.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે અમારા સંસ્થાગત માળખા પર સંપૂર્ણ રીતે કબજો કરવામાં આવી રહ્યો છે. અમારી ગુપ્તચર એજન્સીઓ, ED અને CBIને હથિયાર બનાવવામાં આવી છે. ED અને CBI પાસે ભાજપ સામે એક પણ કેસ નથી, જ્યારે મોટા ભાગના રાજકીય કેસો તેઓ સામે છે, જે ભાજપનો વિરોધ કરે છે. જો તમે એક વેપારી છો અને કોંગ્રેસને સમર્થન આપવાનો પ્રયાસ કરો છો, તો તમને ધમકાવવામાં આવે છે. ભાજપ ભારતીય સંસ્થાગત માળખાનો ઉપયોગ રાજકીય શક્તિ ઊભી કરવા માટે એક સાધન તરીકે કરે છે. ભાજપ પાસે કેટલા પૈસા છે અને વિરોધ પક્ષો પાસે કેટલું છે, તે જોઈ લો.

કોંગ્રેસ સંસ્થાઓ પર થઈ રહેલા કબજાના વિરોધમાં ‘પ્રતિકારની એક વ્યવસ્થા’ તૈયાર કરશે. લોકશાહી વ્યવસ્થાઓ પર હુમલો થઈ રહ્યો છે. તેનો સામનો કરવા માટે આપણે રસ્તા શોધવા પડશે. અમે વિરોધ પક્ષોના પ્રતિકારની એવી વ્યવસ્થા ઊભી કરીશું, જે સફળ થશે. અમે ભાજપ સામે નહીં, પરંતુ ભારતીય સંસ્થાઓ પર તેમના કબજાની સામે લડી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

RSS પર પણ રાહુલનું નિશાન

ઇન્ડિયા બ્લોકની પાર્ટીઓ વચ્ચે રાજ્ય અને સ્થાનિક ચૂંટણીઓમાં પરસ્પર સ્પર્ધા અંગે પુછાયેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિચારધારા સામે ગઠબંધન એકજૂટ છે, તેમણે ભાજપ પર બંધારણ અને સમાનતાની ધારણાને ખતમ કરવાનો પ્રસ્તાવ રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૩ ડિસેમ્બર ૨૦૨૫

પંચાંગ 23/12/2025

ગાંધીનગર : ઉદગમ શબ્દ સુરોત્સવમાં શાસ્ત્રીય સંગીતની ભાવસભર ઉજવણી

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો–બેટી પઢાવો, ગરીબ બાળકોના શિક્ષણ સહાય, વૃક્ષારોપણ, યુવા સશક્તિકરણ તથા ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર-પ્રસાર જેવા અનેક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. આ જ સેવાભાવી અને સંસ્કૃતિપ્રેમી અભિગમને આગળ વધારતા, ધ્રુવ પર્વ: ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલની સતત સાતમી વર્ષની ભવ્ય સફળતા બાદ, શબ્દ અને સુરની સાધનાને કેન્દ્રમાં રાખીને સાતમા ‘ઉદગમ શબ્દ સુરોત્સવ’નું આયોજન 20 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ગુજરાત સાહિત્ય નાટક અકાદમીનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.

કાર્યક્રમની શરૂઆત તમામ મહાનુભાવોના દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. ત્યારબાદ ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ઉદગમ દ્વારા હાથ ધરવામાં આવતા સામાજિક કાર્યો અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન માટેના પ્રયત્નોની વિગતવાર માહિતી આપી હતી. મુખ્ય મહેમાન ગોસ્વામી 105 શ્રી રસિકપ્રીતમ લાલજી મહોદયએ પોતાના આશીર્વચનમાં ઉદગમના શાસ્ત્રીય સંગીત સંવર્ધન માટેના પ્રયાસોની સરાહના કરી અને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. અતિથિ વિશેષ તરીકે ગાંધીનગર મહાનગર પાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ હેમાબેન ભટ્ટે ઉદગમના સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યોમાં સતતતા જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સંગીતસભામાં ઉદેપુરથી પધારેલા મેવાતી ઘરાનાના પ્રતિષ્ઠિત ગાયક સમર્થ જાનવેએ પોતાની પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મેવાતી ઘરાનાની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરીને તેમણે રાજ રાગ શ્રી, અડાણા, ચારુકેશી, વસંત મુખારી, કિરવાણી, હેમાવતી અને ભૈરવી જેવા વિવિધ રાગોમાં ખ્યાલ, બંદિશ, કબીર ભજન, મરાઠી અભંગ અને ઠુમરીની ભાવસભર રજૂઆત કરી હતી. દરેક રચનામાં શબ્દ અને સુરની ઊંડાણપૂર્વકની સાધનાએ શ્રોતાઓને આત્મિક આનંદનો અનુભવ કરાવ્યો હતો. અંતે રાગ ભૈરવીમાં રજૂ કરાયેલા ભજન સાથે કાર્યક્રમનું ભાવસભર સમાપન થયું હતું.

તેમની સાથે તબલા પર પ્રવીણ શિંદે, હાર્મોનિયમ પર દીપેશ સુથાર તથા ભુવને સંગત આપી હતી. સમગ્ર પ્રસ્તુતિ દરમિયાન રસિક શ્રોતાઓ તાળીઓના ગડગડાટ સાથે પ્રતિભાવ આપતા રહ્યા અને અંતે સ્ટેન્ડિંગ ઓવેશન દ્વારા કલાકારોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના અંતે ડો. મયુર જોષીએ તમામ મહેમાનો, કલાકારો, શ્રોતાઓ અને સહયોગીઓને આભાર વ્યક્ત કર્યો હતો. ઉદગમ શબ્દ સુરોત્સવમાં પારૂલબેન મેહતાએ સુવ્યવસ્થિત અને સૌમ્ય મંચ સંચાલન કર્યું હતું. ઉદગમ પરિવારના વૈજંતી ગુપ્તે, પરમજીત કૌર છાબડા, ચાણક્ય જોષી, મનોજ જોષી, દીપાંશ છાબડા, કિરાત જોષી, જીયા, વિધિ, પૃવાંગસિંહ, જયેશ અને બીરેન હંસરાજ સહિત અનેક સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. ઉદગમ શબ્દ સુરોત્સવે ગાંધીનગરમાં શાસ્ત્રીય સંગીત અને સામાજિક ચેતનાનું સુંદર સંગમ રજૂ કર્યું હતું.

અમદાવાદમાં ત્રણ દિવસીય પોલો ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ગુજરાતમાં પોલોની શાહી પરંપરાને ફરી જીવંત અને પ્રચલિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલો ક્લબ દ્વારા 2 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ ભવ્ય સ્પર્ધા અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત થઈ રહી છે, જેમાં દેશની ટોચની પોલો ટીમો ભાગ લેશે અને પ્રેક્ષકોને રોમાંચક રમતગમતનો અનોખો અનુભવ મળશે.

આ ટુર્નામેન્ટ માત્ર એક રમતગમત ઇવેન્ટ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેને રમત, સંસ્કૃતિ અને વારસાની ઉજવણી તરીકે રજૂ કરવામાં આવી રહી છે. પોલોને પશ્ચિમ ભારતના એક વાર્ષિક પ્રીમિયર સ્પોર્ટિંગ ઇવેન્ટ તરીકે સ્થાપિત કરવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ છે. ઇવેન્ટ દરમિયાન હેરિટેજ ઇન્સ્ટોલેશન, અશ્વ પ્રદર્શનો, પરિવારમિત્ર દર્શક ઝોન અને યુવા દર્શકો માટે ખાસ જોડાણ પ્રવૃત્તિઓ પણ યોજાશે. 2 અને 3 જાન્યુઆરીએ દરરોજ ત્રણ મેચ રમાશે, જ્યારે 4 જાન્યુઆરીએ ફાઈનલ દિવસના ભાગરૂપે બે મેચ યોજાશે.

આ પ્રીમિયર ટુર્નામેન્ટમાં પુરુષોની છ અને મહિલાઓની બે ટીમો ભાગ લેશે. પુરુષોની ટીમોમાં અદાણી આર્ચર્સ, જિંદાલ પેન્થર્સ, કેપી કિંગ્સ, મેફેર પોલો, એરોન અવતાર્સ અને બુરાકિયા બેરન્સનો સમાવેશ થાય છે, જ્યારે મહિલાઓની કેટેગરીમાં એપોલો એવિયેટર્સ અને લાયન્સ ડેન લિજેન્ડ્સ વચ્ચે સ્પર્ધા થશે. તમામ ટીમોનું અનાવરણ અમદાવાદમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું હતું કે પોલો ભારતની શાહી વારસાની ઓળખ છે અને ગુજરાત પાસે આ વારસાને ફરીથી અનુભવવાની તમામ ક્ષમતા છે. ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’ દ્વારા ભારત અને પોલો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને પુનર્જીવિત કરવાનો અને રમતના ભવિષ્યને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ટુર્નામેન્ટને માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ પ્રદેશ માટે લાંબાગાળાનો સાંસ્કૃતિક અને સ્પોર્ટિંગ માઇલસ્ટોન બનાવવાનો હેતુ છે.

ગુજરાત પોલો ક્લબના બીજા પ્રમોટર સંજય પલાડિયાએ જણાવ્યું હતું કે પોલો માત્ર રમત નથી પરંતુ જીવંત પરંપરા છે, જેને સતત આગળ વધારવાની જરૂર છે. અમદાવાદની મજબૂત રમતગમત સંસ્કૃતિ, ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતો ઘોડેસવાર સમુદાય આ શહેરને આવા આંતરરાષ્ટ્રીય સ્તરના ટુર્નામેન્ટ માટે સ્વાભાવિક કેન્દ્ર બનાવે છે. આધુનિક અને વિશ્વ-સ્તરીય અનુભવ સાથે પોલોના વારસાને જીવંત રાખવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.

ગોહિલવાડ પોલો ક્લબના સ્થાપક અને ગુજરાતના એકમાત્ર વ્યાવસાયિક પોલો ખેલાડી જયવીરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં 30થી વધુ પોલો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 25 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓમાં પોતાનું પ્રતિભાશાળી પ્રદર્શન કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્રણેય દિવસ દર્શકોને અત્યંત સ્પર્ધાત્મક અને રોમાંચક મેચો જોવા મળશે અને આ ઇવેન્ટ પોલોને ગુજરાત તથા ભારતમાં વ્યાવસાયિક રમત તરીકે વધુ લોકપ્રિય બનાવશે.

ટુર્નામેન્ટની શરૂઆત 2 જાન્યુઆરીએ શાનદાર ઔપચારિક પરેડથી થશે, જેમાં તમામ પોલો ટીમો ઘોડા પર સવાર થઈ ટીમ અને સ્પોન્સરના ધ્વજ સાથે ભાગ લેશે. ઉદ્ઘાટન સમારોહમાં 80 ડાન્સરો દ્વારા ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે તેમજ ‘અમેરિકા’ઝ ગોટ ટેલેન્ટ’માં પ્રદર્શન કરી ચૂકેલા વોરિયર સ્ક્વોડ દ્વારા વિશેષ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર દ્વારા ટુર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવશે.

ત્રણેય દિવસ દરમિયાન મનોરંજનની સાથે રમતગમતનું અનોખું સંયોજન જોવા મળશે. બીજા દિવસે બોલીવુડ ડાન્સ પરફોર્મન્સ અને વિશ્વપ્રસિદ્ધ એક્રોબેટિક ડાન્સ ક્રૂ ‘વી અનબીટેબલ’ દ્વારા રોમાંચક સ્ટન્ટ્સ રજૂ કરવામાં આવશે. ત્રીજા દિવસે મલ્લખંભા પ્રદર્શન અને અંતે રંગબેરંગી ડ્રોન એક્ટ સાથે ભવ્ય ફિનાલે યોજાશે. સમાપન સમારોહમાં લેસર શો, લાઇટ કોરિયોગ્રાફી અને શાનદાર આતશબાજી બાદ વિજેતાઓને ખાસ ડિઝાઇન કરેલા સ્ટેજ પર સન્માનિત કરવામાં આવશે.

અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત આ ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’નો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં ‘ધ કિંગ ઓફ ગેમ્સ’ તરીકે ઓળખાતી પોલોની રમતને પુનર્જીવિત કરવાનો અને વારસા, સંસ્કૃતિ તથા રમતગમતને જોડતી એક નવી વાર્ષિક પરંપરા સ્થાપિત કરવાનો છે.

બ્રહ્માકુમારીઝ દ્વારા ‘વર્લ્ડ મેડીટેશન ડે’ નિમિત્તે શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ યોજાયો

અમદાવાદે ફરી એકવાર વિશ્વના નકશા પર પોતાનું વિશેષ સ્થાન સ્થાપિત કર્યું છે. પ્રથમ વિશ્વ ધ્યાન દિવસે બ્રહ્માકુમારીઝ સંસ્થાના આયોજન હેઠળ અમદાવાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે 60,000થી વધુ લોકોએ એકસાથે સામૂહિક રાજયોગ ધ્યાન કરી એક ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ રચ્યો. “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ” નામે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર મેદાન પ્રકાશ, રંગો અને આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળી ઉઠ્યું હતું અને વૈશ્વિક શાંતિ માટે શક્તિશાળી સંકલ્પ વ્યક્ત થયો હતો.

આ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનની હીરક જયંતી એટલે કે 60 વર્ષની ઈશ્વરીય સેવાઓના અવસર પર આયોજિત કરવામાં આવ્યો હતો. ગુજરાત ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો તેમજ 15થી વધુ દેશોમાંથી 2000થી વધુ પ્રતિનિધિઓએ આ સમારોહમાં ભાગ લીધો હતો. સાંજે ચારથી રાતે આઠ વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 100થી વધુ કલાકારોએ ગીત, સંગીત, નૃત્ય અને કલા દ્વારા આધ્યાત્મિક રજૂઆત કરી હતી.

60,000થી વધુ લોકોની વિશાળ હાજરી હોવા છતાં સમગ્ર વાતાવરણ શાંતિ અને સૌમ્યતાથી ભરેલું હતું. સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત યોગી ભાઈ-બહેનો જાણે દેવદૂતો સમાન લાગતા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ હતું કે હજારો લોકોએ લાંબા સમયથી રાજયોગ ધ્યાનને પોતાના જીવનનો ભાગ બનાવી સકારાત્મક પરિવર્તન અનુભવ્યો હોવાનું જણાવ્યું. સાત મૂલ્યો આધારિત સપ્તરંગી થીમ સાથે થયેલી રજૂઆતોને જોઈને ઉપસ્થિત સૌ કોઈએ આત્મિક આનંદ અને ધન્યતાનો અનુભવ કર્યો.

સમારોહ દરમિયાન 60 તપસ્વી રાજયોગીની બહેનોએ કમળ આસન પર બેસી ગહન ધ્યાન ધારણ કર્યું, જેના કારણે સમગ્ર વાતાવરણ અત્યંત પવિત્ર બની ગયું. ઉપસ્થિત લોકોએ મનની શાંતિ, આંતરિક સંતુલન અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો.

આ ઐતિહાસિક પ્રસંગે બ્રહ્માકુમારીઝની અધિક મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બી.કે. જયંતી દીદી, મહામંત્રી બી.કે. કરુણા ભાઈ, અધિક મહામંત્રી બી.કે. મૃત્યુંજય ભાઈ, ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદી, આફ્રિકાના ડાયરેક્ટર વેદાંતી દીદી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે.એસ. મલિક સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માઉન્ટ આબુ મુખ્યાલયમાંથી પણ મોટી સંખ્યામાં યોગી ભાઈ-બહેનોએ ખાસ હાજરી આપી હતી.

આ પ્રસંગે રાજયોગીની જયંતી દીદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગ અને ધ્યાન માનવ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને મન, બુદ્ધિ તથા આત્મા વચ્ચે સંતુલન સ્થાપે છે. આજના અશાંતિભર્યા સમયમાં માનવ મનને શાંતિ તરફ દોરવાનો આ દિવ્ય પ્રયાસ છે. રાજયોગ મેડિટેશન જીવનને સુખ, શાંતિ અને આનંદથી ભરપૂર બનાવે છે અને આધ્યાત્મિકતા જીવનને વધુ સરળ તથા સફળ બનાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે બ્રહ્માકુમારીઝ સંસ્થાએ વિશ્વના 140 દેશોમાં ભારતની શાશ્વત સંસ્કૃતિ અને જીવનશૈલીનો સંદેશ પહોંચાડ્યો છે.

સમારોહ દરમિયાન બ્રહ્માકુમારીઝ ગુજરાતની 60 વર્ષની ઈશ્વરીય સેવાઓની ઝલક દર્શાવતી વિશેષ રજૂઆત અને પ્રતિષ્ઠિત મહાનુભાવોના શુભેચ્છા સંદેશાઓના વિડિયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા લાખો લોકો ઘરમાં બેઠા સામૂહિક ધ્યાન સાથે જોડાયા. આ ઐતિહાસિક “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ”એ ઘર, પરિવાર, સમાજ, દેશ અને વિશ્વ શાંતિ માટે એક મજબૂત આધ્યાત્મિક સંદેશ આપ્યો અને દરેકના હૃદયમાં શાંતિની દિવ્ય અનુભૂતિ જગાવી.

ઉલ્લેખનીય છે કે બ્રહ્માકુમારીઝ સંસ્થા વિશ્વની એકમાત્ર એવી સંસ્થા છે જેનું સંચાલન બહેનો દ્વારા કરવામાં આવે છે અને આજે વિશ્વના 140 દેશોમાં 8,000થી વધુ સેવાકેન્દ્રો દ્વારા રાજયોગ ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાનની સેવા અવિરત રીતે ચાલી રહી છે.

અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

મુંદ્રા: અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શિરાચા ખાતે આવેલા દાનેશ્વર મહાદેવ મંદિરમાં યોજાયો હતો. ૧૪ ડિસેમ્બરથી શરૂ થયેલી આ કથા ૨૦મી ડિસેમ્બરે સંપન્ન થઈ. આ સપ્તાહ દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાંથી ૧,૦૦,૦૦૦થી વધુ લોકોએ કથાનો લાભ લીધો હતો. તેમજ ૪,૦૦૦થી વધુ લોકોએ કથા સ્થળે યોજાયેલ મેડિકલ કેમ્પનો લાભ મેળવ્યો હતો.શિરાચા ગામ એક ઐતિહાસિક તેમજ અભૂતપૂર્વ કથાનું સાક્ષી બન્યું. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તજનોની ભીડ ઉમટી પડી હતી. કથા સ્થળે આવનાર કોઈ પણ શ્રોતા ભૂખ્યા પેટે પરત ન ફરે તેની પૂર્ણ કાળજી લેવામાં આવી હતી. વિવિધ ગામડાઓમાંથી ભક્તોને કથા સ્થળે લાવવા-લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેઓ કથા શ્રવણ કરીને ભોજન લઈને પોતાના ગામ પરત ફરી શકે. મેડિકલ કેમ્પમાં માત્ર નિદાન જ નહીં, પરંતુ જરૂર પડે તો આગળની સારવાર માટે પણ અદાણી પોર્ટ્સ દ્વારા સહાયની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અદાણી ફાઉન્ડેશન દ્વારા નિયમિત આસપાસના ગામોમાં ઘાસચારો પૂરો પાડવામાં આવે છે, પરંતુ આ કથા દરમિયાન સવિશેષ આસપાસના ગામોમાં ગાયોને લીલો ઘાસચારો આપવામાં આવ્યો, સાથે જ કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણ વહેંચવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.અંતિમ દિવસે અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી ખાસ હાજર રહ્યા હતા અને તેમણે મુંદ્રા તેમજ આસપાસના ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. લોકોએ કરણ અદાણીને આ અદભૂત કથા આયોજન માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. અદાણી પોર્ટ્સના ગ્રુપના CEO અશ્વિનીકુમાર ગુપ્તા, મુંદ્રા-તુણા પોર્ટના CEO સુજલકુમાર શાહ તેમજ અન્ય અધિકારીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કથામાં પધારેલા સાધુ-સંતો અને મહંતોમાં દેવેન્દ્રગીરીજી ગુરુજી (દાનેશ્વર મહાદેવ મંદિર, શિરાચા),  મનોહરગીરી બાપુ (મહંતશ્રી દાનેશ્વર મહાદેવ જાગીર), દેવદરબાર 1008 બળદેવનાથ જાગીર, ઉપરાંત ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય (પ્રથમ મહિલા અધ્યક્ષ) પણ ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી પરિવાર દ્વારા આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભમાં સહયોગ, જગન્નાથપુરી રથયાત્રા, ગીતા પ્રેસ ગોરખપુરને સહાય, ઇન્ડોલોજી તેમજ હવે શિરાચાના અતિપ્રાચીન દાનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન – આ બધું અદાણી ગ્રુપની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક સદ્દભાવના પ્રતીત થાય છે.

અંતિમ દિવસે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે ઉદબોધનમાં જણાવ્યું કે, “સર્વજનહિતાય, સર્વજનસુખાય”ના ઉદ્દેશ્યથી યોજાયેલી આ કથામાં અદાણી પોર્ટ્સ માત્ર નિમિત્ત બન્યું છે. સૌની સહભાગિતાથી જ આ આયોજન સફળ થયું છે. આ કથા શીખવે છે કે ભક્તિ અને કર્મ અલગ નથી, સેવા અને વિકાસ વિરોધી નથી, સેવા વગરનો વિકાસ અધૂરો છે.”વિવિધ ગામોના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંગઠનો અને વિવિધ ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ એ કરણ અદાણી, રક્ષિતભાઈ શાહનું સન્માન કર્યું હતું અને અદાણી પરિવાર વતી રક્ષિત શાહે પણ ઉપસ્થિત સંતો, મહંતો અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું.