Home Blog Page 374

ભારતનું મેન્યુફેક્ચરિંગ સતત ઘટી રહ્યું છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પાંચ દિવસની જર્મની યાત્રા પર છે. કોંગ્રેસ સાંસદે બુધવારે મ્યુનિકમાં વિશ્વ વિખ્યાત ઓટોમોબાઇલ કંપની BMWના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદેશી ધરતી પર ભારતીય એન્જિનિયરિંગ જોઈને તેમને ગર્વ અનુભવ્યો હતો. એ સાથે જ તેમણે કહ્યું હતું કે ભારતના ઘટતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફરી ઊંચે લાવવાની જરૂર છે.

તેમણે BMW અને ભારતની TVS મોટર કંપનીની ભાગીદારીમાં બનેલી એક મોટરસાઇકલનું નિરીક્ષણ કર્યું. એ દરમિયાન પ્લાન્ટમાં સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતને પ્રોડક્શન શરૂ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક ધોરણોની સરખામણીમાં આપણું મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જર્મનીના મ્યુનિકમાં BMW વેલ્ટ અને BMW પ્લાન્ટના માર્ગદર્શિત પ્રવાસ સાથે BMWની દુનિયા અનુભવવાની તક મળી. વિશ્વ સ્તરીય મેન્યુફેક્ચરિંગને નજીકથી જોવાનો અદ્ભુત અનુભવ રહ્યો. ખાસ વાત એ હતી કે TVSની 450cc મોટરસાઇકલ જોવાની તક મળી, જે BMW સાથેની ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે. ભારતીય એન્જિનિયરિંગને પ્રદર્શિત જોઈને ગર્વ થયો.

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ મજબૂત અર્થતંત્રની કરોડરજ્જું છે પણ દુર્ભાગ્યવશ, ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે. વૃદ્ધિને વેગ આપવા માટે વધુ પ્રોડક્શન કરવાની જરૂર છે. અર્થપૂર્ણ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ બનાવવી પડશે અને મોટા પાયે સારી ગુણવત્તાની નોકરીઓ સર્જવી પડશે.

તેમણે કહ્યું હતું કે ભારતનું મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે, જ્યારે તેને વધારવું જોઈએ. ભારતને પ્રોડક્શન શરૂ કરવાની જરૂર છે. પ્રોડક્શન કોઈ પણ દેશની સફળતાની ચાવી છે. પરંતુ આપણા દેશમાં મેન્યુફેક્ચરિંગ ઘટી રહ્યું છે, જ્યારે તેને વધારવું જોઈએ.

મુંબઈ: ‘ઝરૂખો’ કાર્યક્રમમાં ગુજરાતી-મરાઠી લોકકથાની થશે પ્રસ્તુતિ

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે વિવિધ વિસ્તારોમાં વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન કરે છે. મુંબઈમાં કલાપ્રેમીઓ દ્વારા અવાર-નવાર સાહિત્યિક સમારોહ યોજાતા હોય છે.

ભાનુભાઈ વોરા અને ડૉ. મોનિકા ઠક્કર

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો’નામે વિશેષ કાર્યક્રમ યોજાતો હોય છે. સામાન્ય રીતે કાર્યક્રમમાં વિવિધ સાહિત્યિક વિષય પર પ્રસ્તિત થાય છે. આ વખતે આગામી 21 ડિસેમ્બર, રવિવારના રોજ સાંજે મરાઠી-ગુજરાતી અનુસંધાન શ્રેણીમાં `શેઠ સગાળશા આણિ કુંવર ચેલૈયો’ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સ્નેહલ મુઝુમદાર અને સંગીતા મૂળે

શ્રી સાઈલીલા વેલફેર ટ્રસ્ટ-ઝરૂખો અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના સહયોગમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાનુભાઈ વોરા ગુજરાતી લોકકથા અને ડૉ. મોનિકા ઠક્કર મરાઠી લોકકથા વિશે વક્તવ્ય આપશે. લોકગીતોની સંગીતમય પ્રસ્તુતિ સંગીતા મૂળે રાજાપુરકર કરશે, જેમાં વાદ્યસંગત પ્રતીક શાહ અને હેમાંગ વ્યાસની છે. કાર્યક્રમના સંચાલક તરીકે સ્નેહલ મુઝુમદાર અને સંયોજક સંજય પંડ્યા ફરજ બજાવશે.

‘ઝરૂખો’ કાર્યક્રમનું આયોજન સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ) ખાતે કરવામાં આવ્યું છે. ઈચ્છુક દરેક કલારસિક અને સાહિત્યપ્રેમી તથા જાહેર જનતા આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

 

યશસ્વી જયસ્વાલની અચાનક તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પુણેની આદિત્ય બિરલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરિયાણા સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન તેમને અસ્વસ્થતાનો અનુભવ થયો હતો. મેચ પછી જયસ્વાલ ખૂબ જ અસ્વસ્થતા અનુભવતા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે યશસ્વી જયસ્વાલની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમના પેટમાં સોજો છે. જયસ્વાલનું સીટી સ્કેન અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તેમને ગંભીર ગેસ્ટ્રોએન્ટેરિટિસ હોવાનું નિદાન થયું હતું.

Image Credit: X

ડોક્ટરોએ યશસ્વી જયસ્વાલને હાલમાં ક્રિકેટ ન રમવાની સલાહ આપી છે. તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જયસ્વાલને નસમાં દવા આપવામાં આવી છે અને તે ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. આ ખેલાડી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યો હતો. તેણે માત્ર 50 બોલમાં 101 રન બનાવીને હરિયાણા સામે પોતાની ટીમને જીત અપાવી હતી.

જયસ્વાલ પાસે આરામ કરવાની તક 

જયસ્વાલ પાસે હવે આરામ કરવાની તક છે. તેનો ભારતની T20 ટીમમાં સમાવેશ નથી, અને દક્ષિણ આફ્રિકા T20 શ્રેણી પછી, ટીમ ઇન્ડિયાની આગામી શ્રેણી આવતા વર્ષે યોજાવાની છે. ન્યુઝીલેન્ડ જાન્યુઆરીમાં ભારતનો પ્રવાસ કરશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ODI અને પાંચ T20 મેચ રમાશે. ODI શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થશે, અને T20 શ્રેણી 21 જાન્યુઆરીથી શરૂ થશે.

નોંધનીય છે કે યશસ્વી જયસ્વાલ T20 વર્લ્ડ કપની દોડમાંથી બહાર માનવામાં આવે છે. આ ખેલાડી છેલ્લી ઘણી શ્રેણીઓથી T20 ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. આશ્ચર્યજનક રીતે, T20 માં યશસ્વીના પ્રભાવશાળી પ્રદર્શન છતાં, તેને અચાનક T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. તેની જગ્યાએ, શુભમન ગિલ, જે ટીમનો ઉપ-કેપ્ટન પણ છે, હવે ઇનિંગની શરૂઆત કરી રહ્યો છે.

ઇમરાન ખાનને ‘ડેથ સેલ’માં કરવામાં આવી રહ્યા છે ટોર્ચર!

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલની અંદર ‘ડેથ સેલ’માં માનસિક યાતનાઓ આપવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યોં છે. તેમના પુત્રોએ આ દાવો કરતાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે કદાચ તેઓ પોતાના પિતાને ફરી ક્યારેય ન જોઈ શકે. ભ્રષ્ટાચારના આરોપોમાં ઇમરાન ખાન ઓગસ્ટ, 2023થી જેલમાં બંધ છે.

કાસિમ અને સુલેમાન ખાનના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે તેઓ બે વર્ષથી વધુ સમયથી એકાંત કેદમાં છે. જેલની પરિસ્થિતિઓ અત્યંત દયનીય છે. તેમને સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યા છે અને કોઈને મળવાની પરવાનગી નથી. હવે અમને ડર લાગી રહ્યો છે કે કદાચ અમે તેમને ફરી ક્યારેય નહીં જોઈ શકીએ. ઇમરાન ખાનના બંને પુત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાઓથી તેમનો પિતા સાથે કોઈ સંપર્ક નથી થયો. તેમનો દાવો છે કે પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે તેમને ગંદું પાણી આપવામાં આવે છે. તેઓ એવા કેદીઓની વચ્ચે રાખવામાં આવ્યા છે, જે હેપેટાઇટિસથી મરી રહ્યા છે. હાલ આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. અમે આશા રાખી રહ્યા છીએ, પરંતુ હાલ પરિસ્થિતિ વધુ બગડતી જઈ રહી છે.

પુત્રોએ આગળ ઉમેર્યું હતું કે આમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નજરે નથી પડતો.  હવે અમને ભય છે કે કદાચ અમે તેમને ફરી ક્યારેય ન જોઈ શકીએ. ઇમરાન ખાનના નાના પુત્ર કાસિમના જણાવ્યાનુસાર પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપકને “માનસિક યાતના” આપવામાં આવી રહી છે, કારણ કે જેલના રક્ષકોને પણ તેમની સાથે વાત કરવાની મંજૂરી નથી. મોટા પુત્રે દાવો કર્યો હતો કે તેમના પિતા કથિત રીતે દિવસમાં 23 કલાક એવી કોટડીમાં વિતાવે છે, જેને તેમણે “મોતની કોઠરી” એટલે કે ‘ડેથ સેલ’ ગણાવી છે.

ઓસ્કારમાં “હોમબાઉન્ડ” ફિલ્મ શોર્ટલિસ્ટ, કરણ જોહરના હરખનો પાર નહીં

નીરજ ઘાયવાનની ફિલ્મ “હોમબાઉન્ડ” ઓસ્કારની રેસમાં એક ડગલું આગળ વધી ગઈ છે. ઇશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા અભિનીત આ ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ અંતિમ યાદી જાહેર કરવામાં આવશે, જેમાં ખબર પડશે કે આ ફિલ્મ ઓસ્કારમાં જશે કે નહીં.

 

ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર અભિનીત ફિલ્મ “હોમબાઉન્ડ” એ ઓસ્કાર 2026 ની રેસમાં મોટી છલાંગ લગાવી છે. નીરજ ઘાયવાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને 98મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ભારતની સત્તાવાર એન્ટ્રી, “હોમબાઉન્ડ” હવે 15 ફિલ્મોમાં સામેલ છે, જેમાંથી ફક્ત પાંચને જ અંતિમ નોમિનેશન મળશે. મંગળવારે, એકેડેમીએ 12 વિવિધ શ્રેણીઓ માટે શોર્ટલિસ્ટ જાહેર કરી, અને એમાં “હોમબાઉન્ડ” નો સમાવેશ થતાં ભારતીય ફિલ્મ ઉદ્યોગ ખુશ થઈ ગયો. અંતિમ નોમિનેશનની જાહેરાત 22 જાન્યુઆરીએ કરવામાં આવશે.

કરણ જોહરે ખુશી વ્યક્ત કરી

“હોમબાઉન્ડ” ફિલ્મે આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ટોચના 15 માં સ્થાન મેળવ્યું છે. નિર્માતા કરણ જોહર આ સમાચારથી ખૂબ જ પ્રભાવિત થયા. સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું કે તેમના માટે આ સફરને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી લઈને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થવા સુધીની આ સફર તેમની કારકિર્દીની સૌથી ખાસ ક્ષણોમાંની એક છે. કરણ જોહરે દિગ્દર્શક નીરજ ઘાયવાનની પ્રશંસા કરી અને સમગ્ર કાસ્ટ અને ક્રૂનો આભાર માન્યો.

નીરજ ઘાયવાને આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે “હોમબાઉન્ડ” ને વિશ્વભરમાંથી મળેલો પ્રેમ તેની સૌથી મોટી તાકાત છે. તેમના મતે આ ફક્ત એક ફિલ્મ નથી, પરંતુ અસંખ્ય યુવાનોની વાર્તા છે જે સિસ્ટમ અને સમાજની જટિલતાઓ સાથે ઝઝૂમીને પોતાના સપના પૂરા કરવા માટે પ્રયત્નશીલ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

“હોમબાઉન્ડ” ની વાર્તા શું છે?

“હોમબાઉન્ડ” બે બાળપણના મિત્રો, શોએબ અને ચંદનની વાર્તા કહે છે, જેઓ પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન જુએ છે. પરંતુ તેમની સફર સરળ નથી. સામાજિક ભેદભાવ, નાણાકીય દબાણ અને સિસ્ટમની કઠોરતા વારંવાર તેમના માર્ગમાં આવે છે. આ ફિલ્મ મિત્રતા, ફરજ અને યુવાનો પર પડતા સામાજિક દબાણના વિષયોને સંવેદનશીલ રીતે રજૂ કરે છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય સિનેમાની મજબૂત હાજરી

આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું અને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેની પ્રશંસા કરવામાં આવી હતી. “હોમબાઉન્ડ” માં કરણ જોહર સાથે અદાર પૂનાવાલા, અપૂર્વ મહેતા અને સોમન મિશ્રા છે, જ્યારે માર્ટિન સ્કોર્સીસ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. આ ફિલ્મ હાલમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. હવે બધાની નજર 22 જાન્યુઆરી પર છે કે “હોમબાઉન્ડ” અંતિમ ઓસ્કાર નોમિનેશન યાદીમાં સ્થાન મેળવે છે કે નહીં.

ઇથિયોપિયા સંસદમાં PM મોદીએ કહ્યું, 140 કરોડ લોકોની મિત્રતાનો સંદેશ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇથિયોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતાં કહ્યું હતું કે આ ભવ્ય ઇમારતમાં તમે કાયદાઓ બનાવો છે, અહીં લોકોની ઇચ્છા રાજ્યની ઇચ્છા બને છે અને જ્યારે રાજ્યની ઇચ્છા લોકોની ઇચ્છા સાથે મેળ ખાતી થાય છે, ત્યારે વિકાસ યોજનાઓનું ચક્ર આગળ વધે છે. તમારા માધ્યમથી હું ખેતરોમાં મહેનત કરતા ખેડૂતો, નવા વિચારો સર્જતા ઉદ્યોગકારો, સમુદાયોને નેતૃત્વ આપતી મહિલાઓ અને ભવિષ્યને આકાર આપતા ઇથિઓપિયાના યુવાનો સાથે પણ સંવાદ કરી રહ્યો છું. PM મોદીએ પોતાનું ભાષણ પૂર્ણ કર્યું ત્યારે એક મિનિટ સુધી સતત તાળીઓ વાગતી રહી.

આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇથિયોપિયા પહોંચ્યા બાદ વડા પ્રધાન અબી અહમદ અલી પોતે જ PM મોદીના ભવ્ય સ્વાગત માટે હાજર રહ્યા હતા. PM મોદી વડા પ્રધાન અલીના આમંત્રણ પર ઇથિયોપિયાની મુલાકાતે આવ્યા છે. ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઇથિયોપિયાની આ વડા પ્રધાન મોદીની પ્રથમ યાત્રા છે.

ઇથિયોપિયાની સંસદમાં PM મોદીનુ સંબોધન

ઇથિયોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધતાં PM મોદીએ કહ્યું હતું કે આજે તમારી સામે ઊભા રહેવું મારા માટે અત્યંત ગૌરવની વાત છે. સિંહોની ધરતી ઇથિયોપિયામાં આવીને મને ખૂબ આનંદ થાય છે. અહીં મને પોતીકાપણાનો અનુભવ થાય છે, કારણ કે મારું ગૃહ રાજ્ય ગુજરાત પણ સિંહોનું ઘર છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ઇથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન મળવું ગૌરવની ક્ષણ છે. તેમણે જણાવ્યું કે આ સન્માન મારું નહીં, પરંતુ તમામ ભારતીયોનું સન્માન છે.

ભારત અને ઇથિયોપિયા પોતાની જમીનને ‘મા’ કહે છે

PM મોદીએ કહ્યું હતું કે ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ અને ઇથિયોપિયાનું રાષ્ટ્રગાન—બન્ને અમારી જમીનને મા તરીકે સંબોધે છે. તે અમને અમારી વારસા, સંસ્કૃતિ અને સૌંદર્ય પર ગર્વ કરવાનું તેમ જ માતૃભૂમિની રક્ષા કરવા પ્રેરણા આપે છે.

ભારતીય કંપનીઓએ ઇથિયોપિયામાં સૌથી મોટી રોકાણકર્તા

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતીય કંપનીઓ ઇથિયોપિયામાં સૌથી મોટા રોકાણકારોમાંની એક છે. આ કંપનીઓએ વિવિધ સેક્ટરોમાં પાંચ અબજ ડોલરથી વધુ મૂડીરોકાણ કર્યું છે અને 75,000થી વધુ નોકરીઓ પેદા કરી છે. અમે બંને દેશોના દ્વિપક્ષી સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવાનો નિર્ણય કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે ભારત અને ઇથિપિયામાં હવામાન અને ભાવનાઓ—બન્નેમાં ઉષ્મા છે. તેમણે ઉમેર્યું હતું કે હું તમારી સંસદ, તમારા લોકો અને તમારી લોકશાહી યાત્રા પ્રત્યે ઊંડા સન્માન સાથે અહીં આવ્યો છું. ભારતના 1.4 અબજ લોકો તરફથી હું મિત્રતા, સદભાવના અને ભાઈચારાનો સંદેશ લઈને આવ્યો છું.

ઓપરેશન સિંદૂર પર પૃથ્વીરાજ ચવ્હાણના નિવેદનથી રાજકીય ઘમસાણ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ પોતાના તાજેતરના નિવેદનને લઈને વિવાદોમાં ફસાયા છે. ‘ઓપરેશન સિંદૂર’ અંગે તેમના નિવેદન પર ભાજપે આકરો વિરોધ નોંધાવ્યો છે. જોકે આજે ચવ્હાણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના નિવેદન પર અડગ છે અને માફી નહીં માગે. સવાલના જવાબમાં ચવ્હાણે દલીલ કરી છે કે બંધારણ તેમને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે.

માફી માગવાનો પ્રશ્ન જ નથી: ચવ્હાણ

પુણેમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શરૂ થયેલો આ વિવાદ હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. જ્યારે તેમને માફી અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સાફ શબ્દોમાં વાત કરતાં કહ્યું હતું કે હું માફી શા માટે માગું? એનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. બંધારણ મને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે.

એક દિવસ અગાઉ ચવ્હાણે દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને સંઘર્ષ દરમિયાન ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં.

પૃથ્વીરાજ ચવ્હાણે શું કહ્યું હતું?

કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે માત્ર ઓપરેશન સિંદૂરની સફળતા પર જ પ્રશ્ન ઊભા કર્યા નથી, પરંતુ ભારતીય વાયુસેનાની (IAF) સ્થિતિ અંગે પણ આશ્ચર્યજનક દાવા કર્યા. તેમણે કહ્યું હતું કે ઓપરેશનમાં વાયુસેના સંપૂર્ણપણે ગ્રાઉન્ડેડ હતી અને એક પણ વિમાને ઉડાન ભરી નહોતી.

તેમનું કહેવું હતું કે જો ગ્વાલિયર, બઠિંડા અથવા સિરસાથી કોઈ વિમાન ઉડાન ભરે તો પાકિસ્તાન દ્વારા તેને તોડી પાડવાની પ્રબળ શક્યતા હતી. તેમણે સવાલ કર્યો હતો કે શું ખરેખર આપણને 12 લાખ સૈનિકોની સેના જાળવી રાખવાની જરૂર છે કે પછી આપણે તેમને કોઈ બીજું કામ સોંપી શકીએ?

સેનાનું અપમાન કોંગ્રેસની ઓળખ: ભાજપ

ભાજપે ચવ્હાણના આ નિવેદનને ભારતીય સશસ્ત્ર દળોનું અપમાન ગણાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસ ભારતીય સશસ્ત્ર દળોથી નફરત કરે છે.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે સેનાનું અપમાન — કોંગ્રેસની ઓળખ. ભારતીય સેનાએ આ ઓપરેશન સિંદૂર અંતર્ગત 10થી વધુ આતંકી ઠેકાણાં ધ્વસ્ત કર્યા હતા અને સેંકડો આતંકીઓને ઠાર માર્યા હતા.

વીમા ક્ષેત્રમાં 100 ટકા FDI મંજૂર, પ્રીમિયમ અને ક્લેઈમ પર શું અસર પડશે?

ભારતના વીમા ક્ષેત્રમાં મોટા પરિવર્તન આવી રહ્યા છે, જે ભવિષ્યમાં દરેક પોલિસીધારકની સુખાકારી અને સુવિધાને અસર કરી શકે છે. કેન્દ્ર સરકારે વીમા કંપનીઓમાં 100 ટકા વિદેશી સીધા રોકાણ (FDI) ને મંજૂરી આપી છે.

ભારતનું વીમા ક્ષેત્ર નોંધપાત્ર પરિવર્તનના સમયગાળામાં પ્રવેશવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં વીમા કંપનીઓમાં 100 ટકા વિદેશી સીધા રોકાણ (FDI) ને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આ પગલું પહેલી નજરે નીતિઓ અને નિયમો સુધી મર્યાદિત લાગે છે, તે સામાન્ય ગ્રાહકોની નીતિઓ, પ્રીમિયમ અને ક્લેઈમ પ્રક્રિયાઓ પર સીધી અસર કરી શકે છે.

કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી બાદ “સબકા વીમા, સબકી રક્ષા” શીર્ષક ધરાવતું વીમા કાયદા (સુધારા) બિલ 2025 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી કે તેનો ઉદ્દેશ્ય વધુ લોકોને વીમા કવરેજ હેઠળ લાવવા અને ક્ષેત્રને મજબૂત અને મજબૂત બનાવવાનો છે. હાલની વિદેશી શેરહોલ્ડિંગ મર્યાદા 74 ટકા હતી, જે હવે વધારીને 100 ટકા કરવામાં આવી રહી છે.

આ નિર્ણયથી સૌથી મોટો ફેરફાર સ્પર્ધાના સ્તરમાં જોવા મળે તેવી અપેક્ષા છે. વૈશ્વિક વીમા કંપનીઓ હવે ભારતમાં સ્વતંત્ર રીતે કાર્ય કરી શકશે. આનાથી નવા ખેલાડીઓનો પ્રવેશ સરળ બનશે અને હાલની કંપનીઓ પર વધુ સારા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા માટે દબાણ વધશે. નિષ્ણાતોના મતે, ગ્રાહકોને વધુ વિકલ્પો, વધુ સારા કવરેજ અને આધુનિક સુવિધાઓના રૂપમાં આનો લાભ મળી શકે છે.

પ્રીમિયમ રાહતની અપેક્ષા

પ્રીમિયમ મોરચે પણ રાહતની અપેક્ષા છે. સ્પર્ધામાં વધારો થવાને કારણે કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે પ્રીમિયમને સસ્તું રાખવાનો પ્રયાસ કરી શકે છે. વધુમાં, આંતરરાષ્ટ્રીય અનુભવ અને ટેકનોલોજીના આગમનથી જોખમ વ્યવસ્થાપનમાં સુધારો થશે, જે લાંબા ગાળે વધુ સંતુલિત પ્રીમિયમ માળખું તરફ દોરી શકે છે.

ક્લેઈમની પ્રક્રિયા સરળ બનશે

ક્લેઈમની પતાવટ માટે પણ આ ફેરફાર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વિદેશી કંપનીઓની મજબૂત મૂડી અને પ્રક્રિયાઓ ક્લેઈમની પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને ડિજિટલ બનાવવા પર ભાર મૂકશે. આનાથી ગ્રાહકોને લાંબી રાહ જોવાની અને વારંવાર કાગળકામમાંથી રાહત મળી શકે છે. વધુમાં, આ નિર્ણયથી ડિજિટલ વીમાને વેગ મળવાની અપેક્ષા છે. તે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વીમા કવરેજ પૂરું પાડવામાં મદદ કરશે, જે 2047 માટે વીમાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.

બેંગલુરુમાં શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં સામે પોલીસ દ્વારા FIR

બેંગલુરુઃ બોલિવુડ અભિનેત્રી અને બિઝનેસ વુમન શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં ‘બાસ્ટિયન’ની સામે બેંગલુરુ પોલીસે FIR નોંધી છે. આરોપ છે કે અહીં મોડી રાત સુધી પાર્ટી ચાલી અને નિયમોનું ઉલ્લંઘન થયું છે. અહેવાલ મુજબ 11 ડિસેમ્બરની રાત્રે બાસ્ટિયન રેસ્ટોરાં લગભગ 1:30 વાગ્યા સુધી ખુલ્લી રહી, જ્યારે નક્કી કરેલી સમયમર્યાદા તે પહેલાંની છે. પોલીસે તેને નિયમોનું ઉલ્લંઘન માન્યું અને કુબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. આ કાર્યવાહી કર્ણાટક પોલીસ એક્ટની કલમ 103 હેઠળ કરવામાં આવી છે.

મેનેજરો અને સ્ટાફ સામે પણ કાર્યવાહી

આ FIR માત્ર રેસ્ટોરાં સામે જ નહીં, પરંતુ તેના મેનેજરો અને સ્ટાફ સામે પણ નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે મોડી રાત સુધી પાર્ટી ચાલુ રહેવા દેવામાં અને નિયમોની અવગણનામાં મેનેજમેન્ટની સીધી જવાબદારી છે. આ કારણે તેમની સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બીજો પબ પણ ફસાયો

રસપ્રદ વાત એ છે કે માત્ર બાસ્ટિયન જ નહીં, પરંતુ ‘સોર બેરી’ પબ સામે પણ કેસ નોંધાયો છે. આ પબ પણ મોડી રાત સુધી ખુલ્લો રહ્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સ્થળેથી આઠ લોકોનાં નિવેદનો નોંધ્યાં છે.

શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ

શિલ્પા શેટ્ટી માત્ર સફળ અભિનેત્રી જ નહીં, પરંતુ ‘બાસ્ટિયન’ નામની રેસ્ટોરાં ચેઇનની માલિક પણ છે, જે મુંબઈ, ગોવા અને બેંગલુરુમાં કાર્યરત છે. બેંગલુરુમાં થયેલા આ વિવાદ બાદ તેમની બિઝનેસ ઈમેજ પર પ્રશ્નો ઊભા થયા છે. જોકે હજી સુધી શિલ્પા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

તાજેતરમાં શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા સામે મુંબઈના બિઝનેસમેન દીપક કોઠારીએ 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. 2015થી 2023 દરમિયાન ‘બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ’માં કરાયેલા રોકાણના પૈસા વ્યક્તિગત ખર્ચમાં વાપરવામાં આવ્યા હોવાનો કેસ પણ નોંધાયો હતો.

કટ્ટર ઇસ્લામ આતંકવાદની સામે વિશ્વને એકસાથે આવવું પડશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન: સિડનીના બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલા મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપી છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં થયેલી સૌથી ભયાનક સામૂહિક ગોળીબારમાંથી એક હતી, જેમાં ઇસ્લામિક આતંકવાદીઓએ 15 લોકોની હત્યા કરી હતી. વ્હાઇટ હાઉસમાં યહૂદી અમેરિકનો માટે યોજાયેલા હનુક્કા ઉત્સવ દરમિયાન ટ્રમ્પે દુનિયાના તમામ દેશોને કટ્ટરપંથી ઇસ્લામ સામે એકસાથે ઉભા રહેવાની અપીલ કરી હતી. આ અવસરે તેમણે યહૂદી સમુદાયને હંમેશાં સમર્થન આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?તેમણે કહ્યું હતું  હું ઓસ્ટ્રેલિયાના લોકો માટે પ્રેમ અને પ્રાર્થનાઓ પાઠવવા માગું છું, ખાસ કરીને તેઓ માટે જે સિડનીમાં હનુક્કા ઉજવણીમાં થયેલા ભયાનક અને યહૂદીવિરોધી આતંકી હુમલાથી અસરગ્રસ્ત થયા છે. તમામ દેશોએ કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદની દુષ્ટ શક્તિઓ સામે એકસાથે ઊભા રહેવું જોઈએ.

સિડનીના બોન્ડી બીચ પર થયો હતો હુમલો

સિડનીના બોન્ડી બીચ પર રવિવારે આ હુમલો થયો હતો, ત્યારે મોટી સંખ્યામાં યહૂદી લોકો હનુક્કા ઉજવણીમાં સામેલ થયા હતા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની આલ્બનીઝે પણ આ ઘટનાને યહૂદી વિરોધી આતંકી કૃત્ય ગણાવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરો ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત હતા. ગોળીબારી કરનારાઓમાં એક પિતા અને તેનો પુત્ર સામેલ હતા.

યહૂદી વિરોધનું પરિણામ હતો હુમલો

ઓસ્ટ્રેલિયાના સૌથી લોકપ્રિય દરિયાકાંઠાઓમાંના એક પર થયેલો આ હુમલો યહૂદીવિરોધી ભાવનાને દર્શાવે છે. છેલ્લા એક વર્ષથી ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓ સામે સતત વિરોધી વલણ જોવા મળી રહ્યું હતું. આ હુમલા અંગે ન્યુ સાઉથ વેલ્સના પોલીસ કમિશનર મેલ લેન્યોએને જણાવ્યું કે એક 50 વર્ષીય બંદૂકધારીને પોલીસે ગોળી મારી હતી. બીજો હુમલાખોર, તેનો 24 વર્ષનો પુત્ર, ઘાયલ થયો છે અને હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે સિડનીના બોન્ડી બીચ પર થયેલા આ આતંકી હુમલામાં મૃત્યુ પામનારાઓની ઉંમર 10થી 87 વર્ષ વચ્ચે હતી. હુમલામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા 42 લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી ઘણા ગંભીર હાલતમાં છે.