Home Blog Page 393

શુગર-ફ્રી મીઠાઈ, ઠંડાં પીણાં હેલ્ધી ગણાય?

પ્રશ્ન: ટૂંક સમયમાં મારાં લગ્ન છે. મારી ત્વચા પર ડાઘ તેમ જ ચહેરા પર ખીલ છે. એને હટાવવા તેમ જ ચહેરા પર ગ્લો આવે એ માટે કયા પ્રકારનાં ન્યુટ્રિયન્ટ્સ લેવાં જોઈએ?

શિવાની જૈન (અમદાવાદ)

ઉત્તર: લગ્ન પહેલાંના સ્ટ્રેસ તેમ જ થાકના લીધે ચહેરો નિસ્તેજ ન થઈ જાય તેમ જ ખીલના ડાઘ ન રહે એ માટે નિષ્ણાતો અમુક પ્રકારનાં પોષક તત્ત્વોની ભલામણ કરે છે, જેમ કે…

વિટામિન-એ: આ એક સ-રસ ઍન્ટિ-ઑક્સિડન્ટ છે, જે તમારી ત્વચાને નવયુવાની બક્ષીને એને તંદુરસ્ત રાખે છે. વિટામિન-એ ત્વચામાંથી કચરો ફિલ્ટર કરી એની જગ્યાએ હેલ્ધી સેલ્સ (કોષ) ભરે છે. વિટામિન-એ તમને દૂધ, બટર, ઘી, દહીં, ઈંડાનો પીળો ભાગ, પાલખ, ફુદીનો, કોથમીર, કેરી, પપૈયાં, ગાજર, ઑરેન્જ, વગેરેમાંથી મળશે.

વિટામિન-બી અને સી: આ વિટામિન સમગ્ર શરીર, અને ખાસ તો ત્વચા માટે સારાં ગણાય છે. તમે તમારા આહારની સાથે ખટાશવાળાં ફ્રૂટ્સ, હોલ ગ્રેન્સ (આખાં અનાજ), ફણગાવેલાં કઠોળ તથા નટ્સ (શીંગ, કાજુ, અખરોટ), વગેરે ઉમેરશો તો બી અને સી વિટામિન્સ મળી રહેશે.

ઓમેગા-થ્રી ઑઈલ: ઓલિવ ઑઈલ, અળસીનાં બીજ, સનફ્લાવર સીડ્સ, અખરોટ, ઈંડાં, વગેરેમાંથી મળતું આ ઑઈલ આપણું બ્લડ સર્ક્યુલેશન વધારે છે.

પાણી: શરીરને અંદર તથા બહારથી સ્વચ્છ રાખવાનું કામ પાણી કરે છે. આથી જ બને એટલું પાણી વધુ પીઓ. પાણી શરીરમાંથી કચરો બહાર કાઢશે, બૉડી ડિટોક્સ કરશે.

ત્વચા માટે સૌથી લાભદાયી ફ્રૂટ્સ અને શાકભાજી છે. એનો ભરપૂર ઉપયોગ કરો, એની મદદથી ડેડ સ્કિન સેલ્સ (મૃતપ્રાય થઈ ગયેલા કોષ)ને નવજીવન મળશે. રોજ સવારે તથા રાતે સૂતાં પહેલાં દિવસઆખાના કામથી થાક અનુભવતા ચહેરા તથા શરીરને સ્વચ્છ પાણીથી ધોવાથી તાજગી અનુભવાશે. ચહેરો હંમેશાં ઠંડાં પાણીથી જ સાફ કરવો. એ ચહેરાની સ્કિનને ટાઈટ રાખવામાં મદદ કરશે.

પ્રશ્ન: હૃદયની બીમારી ધરાવતા લોકોને લોહી ઘટ્ટ થઈ જવા (બ્લડ ક્લોટ)ની સમસ્યા હોય છે. આમાં ડૉક્ટર્સ દ્વારા દવા તો આપવામાં આવે જ છે, પરંતુ કયા પ્રકારનો આહાર લોહીને પાતળું કરવામાં મદદ કરી શકે? ઍન્ટિ-કોગ્યુલન્ટ મેડિસિન સાથે ઍન્ટિ-કોગ્યુલન્ટ ફૂડ પણ હોઈ શકે?

– પ્રકાશ કોઠારી (ભાવનગર)

ઉત્તર: આ સ્થિતિમાં મેડિસિન લેવી તો ફરજિયાત છે જ, સાથે સાથે આદર્શ વજન જાળવી રાખવા હેલ્ધી લાઈફસ્ટાઈલને અનુસરવી પણ જરૂરી છે. આ પ્રકારની દવા સાથે પહેલાં તો વિટામિન-કે યુક્ત આહારનો ત્યાગ કરવો જરૂરી બને. વિટામિન-કે લીલાં પાંદડાંવાળી શાકભાજી તેમ જ કાચા સૅલડમાં કોબી, ટમેટાં, બ્રોકોલી, વગેરેમાં હોય છે, જેને તમારા રોજિંદા આહારમાંથી બાકાત રાખવાં. આની સામે લસણ, આદું, હળદર, એલચી, કૅપ્સિકમ, ગ્રીન ટી તેમ જ ઓમેગા-થ્રી ફૅટ્ટી ઍસિડ ધરાવતા આહારનો ઉપયોગ વધારવો, કારણ કે આ પ્રકારનો આહાર લોહી પાતળું કરવામાં મદદરૂપ થાય છે. દવાની સાથે આ પ્રકારનો આહાર હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે.

પ્રશ્ન: મારું વજન વધારે છે. આદર્શ વજન લાવવા માટે ડાયેટને અનુસરી રહી છું, જેમાં હું સવાર-સાંજ બન્ને ટાઈમ ફ્રૂટ્સ લઉં છું. મારો સવાલ એ છે કે મારે ફ્રૂટ્સમાં રહેલી ખાંડની ચિંતા કરવી જોઈએ?

 

– ક્રિષ્ના શાહ (બોરીવલી)

ઉત્તર: ફ્રૂટ્સમાં ફ્રૂક્ટોઝ નામની શર્કરા  હોય છે, જે કાર્બોહાઈડ્રેટ છે. ફ્રૂટ એ તંદુરસ્તીનો એક સુંદર વિકલ્પ છે, જેમાં વિટામિન્સ તેમ જ મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે, જે એક પ્રકારના ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ છે આથી ફ્રૂટ્સની શર્કરાની તમારે ચિંતા કરવાની જરૂર નથી, પણ ફ્રૂટ્સ જ્યુસ ન લેતાં. જ્યુસના બદલે ફ્રૂટ્સ લો, જેથી એમાં રહેલા ફાઈબર્સ પણ તમને પૂરતા પ્રમાણમાં મળી રહે. વજન ઉતારવા માટે ફ્રૂટ્સ તેમ જ સૅલડ એ ઉત્તમ વિકલ્પ છે, જે તમારી ભૂખ તત્કાળ સંતોષવાનું કામ કરશે. હા, જો તમે ડાયાબિટિક હો તો તમારે બધાં ફ્રૂટ્સ ખાતાં પહેલાં ચોક્કસ ડાયેટિશિયનની સલાહ લેવી જરૂરી છે. વધુ ગ્લાયસેમિક ઈન્ડેક્સ (વધુપડતાં ગળ્યાં કે રસાળ-જ્યુસી) ધરાવતાં ફ્રૂટ્સ તમારે અવગણવાં પડે. આ પરિસ્થિતિમાં ફ્રૂટ્સ અમુક જ પ્રકારનાં તેમ જ નિયંત્રિત માત્રામાં લેવાં, નહીં તો ડાયાબિટિક માટે આ પ્રકારની ખાંડ પણ બ્લડ શુગર વધારનારી બનશે.

પ્રશ્ન: શુગર-ફ્રી મીઠાઈ કે શુગર-ફ્રી ઠંડાં પીણામાં શુગર હોતી નથી એટલે એમાં કૅલરી ઓછી હોય એ વાતમાં કેટલું તથ્ય?

– કાવ્ય પટેલ (સુરત)

ઉત્તર: આ વાત તદ્દન ખોટી છે. યાદ રહે, આવી મીઠાઈ તેમ જ ઠંડાં પીણાંમાં ગળપણ ઓછું હશે, પણ ચરબી તથા કૃત્રિમ મીઠાશનું શું? બન્ને વસ્તુનો અતિરેક શરીરને નુકસાન કરશે. એક વાત સમજી લેવી જરૂરી છે કે શુગર વિનાની મીઠાઈમાં પણ સૅચ્યુરેટેડ ફૅટ્સ, માવો, તેલ, વગેરે તો હોય જ છે. એ ઉપરાંત, શુગર-ફ્રી કોલ્ડ ડ્રિન્કમાં વાપરવામાં આવેલા કૃત્રિમ ગળપણમાં પણ કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, જે નૉર્મલ શુગર કરતાં વધુ નુકસાનકર્તા બની શકે છે, આથી સુગર ફ્રી મીઠાઈ કે અન્ય આહાર કે પીણાં લેતાં પહેલાં ચોક્કસ વિચારજો, એની પર છાપેલું લેબલ વાંચી લેજો.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

જીવનની યાત્રાનો સાચો આનંદ

જ્યારે આપણે કંઈક પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે આપણે એક વિશેષ આનંદ અનુભવીએ છીએ, જેવી રીતે કોઈ બાળકને ચોકલેટ કે રમકડું મળે ત્યારે થાય છે. પરંતુ જ્યારે આપણે કોઈને કંઈક આપીએ છીએ, ત્યારે આપણને તેનાથી મળતો આનંદ વધુ ઊંડો અને સંતોષકારક હોય છે. જ્યારે માતાપિતા અને દાદા-દાદી બાળકોને કંઈક આપે છે, ત્યારે તેમને મળતો આનંદ કોઈપણ ભૌતિક વસ્તુ કરતાં વધુ હોય છે.

જ્યારે આપણે આપણી ખુશી અને અનુભવો બીજાઓ સાથે વહેંચીએ છીએ, ત્યારે આપણને તૃપ્તિ મળે છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે કોઈ સારી ફિલ્મ જોઈએ છીએ અને આપણે બીજાઓને પણ તે જોવા માટે કહીએ. તેવી જ રીતે, એક વૃદ્ધ સ્ત્રી તેના પૌત્ર-પૌત્રીઓ માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે અને તેમને ખવડાવવાનો આનંદ માણે છે.

જે લોકો આપવાની ભાવના ધરાવે છે તેઓ વધુ તૃપ્ત અને આનંદિત હોય છે. જ્યારે આપણે ફક્ત કંઈક મેળવવાની ઇચ્છાથી આગળ વધીએ છીએ અને આપવાની માનસિકતા અપનાવીએ છીએ, ત્યારે આપણું મન શુદ્ધ થાય છે અને આપણે ખરો આનંદ અનુભવીએ છીએ.

મનને શુદ્ધ કરવાની ત્રણ મુખ્ય રીતો છે – યજ્ઞ, દાન અને તપ. યજ્ઞમાં સમૂહ ધ્યાન, ભજન અને મંત્રોચ્ચારનો સમાવેશ થાય છે, જે આપણા શરીર અને મનને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. જ્યારે આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરીએ છીએ, ત્યારે આપણને એક વિશેષ આંતરિક આનંદ મળે છે, જે આપણી ચેતનાને ઉન્નત કરે છે. તપમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ અને ઉપવાસનો સમાવેશ થાય છે, જે માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણમાં મદદ કરે છે.

યજ્ઞ, દાન અને તપ એક વાર કરવા જેવું કર્મ નથી, પરંતુ નિયમિત કરતુ રેહવું જોઈએ. જ્યારે આપણે બીજાના જીવનમાં શાંતિ અને ખુશી લાવવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણું જીવન પણ આનંદમય બને છે. સેવા આપણી ચેતનાનું ઉત્થાન કરે છે અને આપણે જીવનના શાશ્વત સત્યને સમજવાનું શરૂ કરીએ છીએ. જીવનની યાત્રાનો સાચો આનંદ “આપવામાં” જ છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

દેશમાં 4.61 લાખ માર્ગ અકસ્માતો, 1.72 લાખ લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં રસ્તાઓ પરની સુરક્ષા હવે ગંભીર ચિંતા વિષય બની ગઈ છે. રાષ્ટ્રીય માર્ગો હોય, એક્સપ્રેસ-વે હોય—દરેક જગ્યાએ રોજ મોટી સંખ્યામાં લોકો અકસ્માતનો શિકાર બની રહ્યા છે. હંમેશાં એ ભય રહે છે કે ખબર નહીં કઈ ક્ષણે, કયા રસ્તા પર, કોની સાથે અકસ્માત થઈ જાય. સવાલ એ છે કે વાહનોમાં કે પગપાળા ચાલતા મુસાફરો માટે રસ્તા હવે એટલું જોખમી કેમ બની રહ્યા છે?

જોકે રસ્તાઓની આ હકીકતથી સરકાર અને વહીવટી તંત્ર સારી રીતે વાકેફ છે, પરંતુ અકસ્માતો રોકવા માટે કરાયેલા પ્રયત્નો અત્યાર સુધી અસરકારક સાબિત થયા નથી. દેશમાં માર્ગ સુરક્ષાની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. સરકારના આંકડા મુજબ વર્ષ 2023માં દેશભરમાં 4.61 લાખ માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જેમાંથી 1.72 લાખથી વધુ લોકોનાં મોત થયાં હતા. ખાસ વાત એ છે કે દેશના રસ્તા નેટવર્કમાં રાષ્ટ્રીય હાઇવેઝનો હિસ્સો માત્ર બે ટકા છે, છતાં આ માર્ગો 30–35 ટકા મોત માટે જવાબદાર છે.

આ આંકડાઓ દર્શાવે છે કે દેશમાં થતા માર્ગ અકસ્માતોમાં સૌથી વધારે મોત રાષ્ટ્રીય હાઇવે પર થાય છે. ચિંતાની બાબત એ છે કે વિવિધ સુરક્ષા નિયમો, કાયદા અને જાગૃતિ અભિયાનો છતાં રાષ્ટ્રીય માર્ગો પર અકસ્માતોમાં ઘટાડો થતો નથી, પરંતુ સંખ્યા સતત વધી રહી છે.

અકસ્માતોમાં વધારાને લીધે અનેક કારણો જવાબદાર છે. ખરાબ માર્ગ ઈજનેરી—જેમ કે અણધાર્યા વળાંકો, ઢાળ-આડાઅવળા વળાંકો અને જરૂરી સુરક્ષા સંકેતોનો અભાવ—મુખ્ય છે. ઉપરાંત વધું ઝડપ, ડ્રાઈવરનો થાક, ધ્યાન ભટકવું—આ બધું પણ મોટાં કારણો છે.

ટ્રાફિક મેનેજમેન્ટની ખામી અને મર્યાદિત સ્પીડ કેમેરા હોવાને કારણે નિયમોનું પાલન નહીં થવું સામાન્ય બની ગયું છે. એ સાથે જ માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય માર્ગ મંત્રાલયનાં માર્ગદર્શનોની અવગણના, પૂરતી લાઇટિંગનો અભાવ, ધુમ્મસ, બેદરકારીથી ડ્રાઈવિંગ અને અચાનક બ્રેક-ફેલ જેવી સમસ્યાઓ પણ અકસ્માત વધારતી છે. રસ્તા સુરક્ષા માટે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પૂરતો નથી, પરંતુ સમય પ્રમાણે સુરક્ષા નિયમોમાં ફેરફાર અને વિશાળ જનજાગૃતિ પણ જરૂરી છે. છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલય તથા NHAIએ અકસ્માતો ઘટાડવા માટે અનેક પગલાં લીધાં છે, પરંતુ તેનું અસરકારક પરિણામ દેખાતું નથી.

કર્ણાટકમાં સાયબર છેતરપિંડીથી રૂ. 5474 કરોડનું નુકસાન

બેંગલુરુઃ કર્ણાટકના રહેવાસીઓને છેલ્લાં ત્રણ વર્ષમાં સાયબર છેતરપિંડીને કારણે રૂ. 5474 કરોડનું નુકસાન થયું છે. માત્ર 2025માં જ રૂ. 2000 કરોડનું નુકસાન થયું છે. એટલે કે સરેરાશ પ્રતિ દિન રૂ. 6 કરોડથી વધુની છેતરપિંડી થઈ રહી છે, જ્યારે પ્રતિ દિન માત્ર રૂ. 60 લાખની જ વસૂલાત થઈ રહી છે. અધિકારીઓ અત્યાર સુધી રૂ. 627 કરોડની વસૂલાત કરી ચૂક્યા છે, એમ ગૃહ મંત્રી જી. પરમેશ્વરે વિધાનસભામાં માહિતી આપી હતી.

સકલેશપુરના ભાજપ વિધાનસભ્ય એસ. મંજુનાથના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તાજેતરના દિવસોમાં સાયબર છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. છેલ્લાં ચાર વર્ષમાં કર્ણાટકમાં 52,000 સાયબર છેતરપિંડીની ઘટનાઓ બની છે અને આ આંકડો પ્રતિ દિન વધી રહ્યો છે. મંત્રીએ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ધરાવતા કોમ્પ્યુટરમાં સરળ ઉપલબ્ધતા, ડિજિટલ સાક્ષરતાની અછત, સોશિયલ મિડિયાનો વધારે ઉપયોગ, આર્થિક લાભનો લાલચ અને અદ્યતન ટેક્નોલોજીનો દુરુપયોગ જેવાં પરિબળોને સાયબર ગુના માટે જવાબદાર ગણાવ્યા હતા.સાયબર ગુનાને અટકાવા રાજ્ય દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને લઈને પણ તેમણે વાત કરી, જેમાં પોલીસ કાયદામાં કરવામાં આવેલા સુધારો પણ સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશને સુધારા પર અદાલતથી રોક કરાવી છે અને કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસની સુનાવણી 19 ડિસેમ્બરે થશે.

નુકસાનનો વિગતવાર ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું  કે 2023માં 22,000થી વધુ સાયબર છેતરપિંડીના કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર મર્યાદિત કેસમાં જ ઓળખ થઈ શકી હતી અને રૂ. 873 કરોડનું નુકસાન થયું હતું, તેમાંથી રૂ. 177 કરોડની વસૂલાત થઈ હતી.

2024માં 22,400 કેસોમાં રૂ. 2500 કરોડથી વધુનું નુકસાન થયું, જેમાંથી અધિકારીઓએ રૂ. 300 કરોડથી વધુ વસૂલ્યા હતા. વર્ષ 2025 સુધીમાં સરકારી પગલાં બાદ સાયબર છેતરપિંડીના કેસ અંદાજે 13,000 સુધી ઘટ્યા છે, છતાં રૂ. 2000 કરોડથી વધુનું નુકસાન થયું છે અને અત્યાર સુધી રૂ. 125 કરોડની વસૂલાત થઈ છે.

વાહ ભાઈ વાહ! ૧૦ ડિસેમ્બર ૨૦૨૫

બાજરીના પૂડલા

શિયાળામાં બાજરી બહુ જ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક ખોરાક છે. જેના પૂડલા પણ બની શકે છે!

સામગ્રીઃ

  • બાજરીનો લોટ 1½ કપ
  • ચણાનો લોટ ½ કપ
  • દહીં ½ કપ
  • અજમો 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 કપ
  • આદુ-મરચાંની પેસ્ટ 2 ટી.સ્પૂન
  • તેલ પૂડલા સાંતળવા
  • સફેદ તલ 2 ટે.સ્પૂન

રીતઃ દહીંમાં સૂકા મસાલા. આદુ-મરચાંની પેસ્ટ તેમજ હીંગ અને અજમો તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવો. હવે તેમાં બાજરીનો તેમજ ચણાનો લોટ મેળવીને થોડું થોડું પાણી મેળવીને ખીરું તૈયાર કરી લો અને 10 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રહેવા દો.

10 મિનિટ બાદ એક નાનું પેન ગેસ પર ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે 1 ચમચી તેલ તેમાં નાખીને ઉપરથી તલ ભભરાવીને એક કળછી બાજરીના લોટનું ખીરું રેડીને પૂડલો બનાવો. પૂડલા ફરતે 1 ચમચી તેલ રેડીને 4-5 મિનિટ બાદ ઉથલાવીને ફરીથી બીજી બાજુએ પણ અડધી ચમચી જેટલું તેલ રેડીને 4-5 મિનિટ બાદ પૂડલો શેકાય જાય એટલે ઉતારીને પ્લેટમાં ટોમેટો કેચ-અપ અને લસણની ચટણી સાથે પીરસી દો.

આ પૂડલા ગરમાગરમ જ વધુ સારાં લાગશે.

૧૦ ડિસેમ્બર ૨૦૨૫

પ્રથમ ટી20 મેચમાં ભારતે આફ્રિકાને 101 રને હરાવ્યું

ભારતીય ટીમે ODI ફોર્મેટમાં T20 શ્રેણીમાં પ્રથમ મેચમાં જ દક્ષિણ આફ્રિકાને કચડી નાખ્યું. કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 101 રનના મોટા માર્જિનથી હરાવ્યું. ઈજાને કારણે બે મહિનાથી બહાર રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શાનદાર વાપસી કરી અને ઝડપી અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને 175 રનમાં પહોંચાડી. પછી બોલરોના સંયુક્ત પ્રયાસને કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને ફક્ત 74 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ T20 આંતરરાષ્ટ્રીયમાં દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર છે.

ટોસ હાર્યા પછી, ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી અને 175 રન બનાવ્યા, પરંતુ ત્યાં પહોંચવું સરળ નહોતું કારણ કે ટોચના ક્રમના બેટ્સમેન મુક્તપણે સ્કોર કરવામાં નિષ્ફળ ગયા. ટીમમાં પાછા ફરેલા શુભમન ગિલ પહેલી ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા પણ લાંબો સમય ટકી શક્યા ન હતા. ટીમ ઈન્ડિયાએ માત્ર 78 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને પરિસ્થિતિ મુશ્કેલ બની રહી હતી.

પરંતુ હાર્દિક પંડ્યાએ ક્રીઝ પર આવતાની સાથે જ આક્રમક રમત શરૂ કરી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર ધીમે ધીમે ગતિ પકડવા લાગ્યો. હાર્દિકે ટૂંક સમયમાં જ માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જેનાથી ટીમ 175 રનના વિશાળ સ્કોર પર પહોંચી ગઈ. હાર્દિકે માત્ર 28 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા માટે લુંગી ન્ગીડીએ ત્રણ વિકેટ લીધી.

ભારતની જેમ, દક્ષિણ આફ્રિકાની પણ શરૂઆત નબળી રહી, અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં ક્વિન્ટન ડી કોકને આઉટ કર્યો, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ પણ અર્શદીપના બોલ પર આઉટ થયા. એડન માર્કરામ અને ડેવાલ્ડ બ્રેવિસે કેટલાક મોટા શોટ ફટકાર્યા, પરંતુ એકવાર અક્ષર પટેલે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન માર્કરામને બોલ્ડ કર્યા પછી, વિકેટોનો ધીમે ધીમે પતન શરૂ થયો. ત્યારબાદ હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહએ સંયુક્ત રીતે દક્ષિણ આફ્રિકાને માત્ર 74 રનમાં ઓલઆઉટ કરી દીધું.

ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ, બુમરાહ, અક્ષર અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી. આફ્રિકન ટીમ માત્ર 12.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. આ દક્ષિણ આફ્રિકાનો T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછો સ્કોર છે. તેમનો અગાઉનો સૌથી ઓછો સ્કોર 87 હતો, જે 2022માં ભારત સામે પણ હતો. દરમિયાન, કટકમાં સતત બે T20 મેચ જીતનાર દક્ષિણ આફ્રિકાની ટીમ તેની હેટ્રિક પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ.

પંચાંગ 10/12/2025

લાલો ફિલ્મના આ અભિનેતાની ‘ક્યુંકી સાસ ભી કભી…’ માં એન્ટ્રી

ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની ખુબ જ ચર્ચા થઈ રહી છે અને સાથે જ ફિલ્મના કલાકારોની પણ. દર્શકોને પોતાના અભિનયનથી અભિભૂત કરનાર અભિનેતા શ્રુહદ ગોસ્વામી લોકપ્રિય હિન્દી શૉમાં ચમકવાના છે. આ સીરિયલ છે’ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ . તેમની એન્ટ્રી વાર્તામાં એક મોટો વળાંક લાવશે.

 

સ્ટાર પ્લસની આઇકોનિક સીરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ની વાર્તા એક નવા અને રોમાંચક વળાંક તરફ આગળ વધી રહી છે, જેમાં પ્રખ્યાત ગુજરાતી અભિનેતા શ્રુહદ ગોસ્વામી એક ખાસ એપિસોડ માટે શોમાં જોવા મળશે. ગુજરાતી સિનેમા અને ટેલિવિઝનમાં તેમના શાનદાર અભિનય માટે જાણીતા શ્રુહદ ગોસ્વામીને કલ્ટ હિટ ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’માં કૃષ્ણના પાત્ર માટે ભારોભાર પ્રશંસા મળી છે.એવામાં હવે તે હિન્દી ટેલિવિઝન જગતમાં પ્રવેશ કરી રહ્યા છે. સીરિયલમાં તેમની એન્ટ્રીથી વાર્તામાં નવો રસપ્રદ વળાંક લાવી શકે છે.

શ્રુહદ ગોસ્વામી, જેમણે પોતાના શાનદાર અભિનય અને મજબૂત સ્ક્રીન હાજરીથી પોતાની અલગ ઓળખ બનાવી છે. ‘ક્યુંકી કી સાસ ભી કભી બહુ થી’ના નવા એપિસોડમાં તે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે સીરિયલમાં તેમના પાત્ર વિશેની વધુ વિગતો સામે આવી નથી. પરંતુ અહેવાલ એવા છે કે તેમની એન્ટ્રીથી વાર્તામાં પરિવર્તન આવશે અને તે સ્ટોરીને અલગ દિશામાં લઈ જશે.

‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’માં ડ્રામાં પીક પોઈન્ટ પર ચાલી રહ્યો છે. મિહિર અને નોઈનાનો એક સાથે ફોટો જોયા પછી તુલસી ખૂબ જ પરેશાન છે. આ અચાનક થયેલી શોધે તેને ભાવનાત્મક રીતે હચમચાવી દીધી છે અને આગામી એપિસોડમાં ગેરસમજણો અને તકરાર જોવા મળી શકે એમ છે. દર્શકોને આગામી એપિસોડમાં કઈંક રોમાંચક જોવા મળી શકે છે.

વાર્તાના આવતા નવા ટ્વિસ્ટથી અને શ્રુહદ ગોસ્વામીની એન્ટ્રીએ ચાહકોની આતુરતા વધી છે. હવે જોવું એ રહ્યું કે અભિનેતા શ્રુહદ કેવા પાત્રમાં જોવા મળશે અને તેમના પ્રવેશથી સ્ટોરીમાં કેવો બદલાવ આવશે.