Home Blog Page 4

Breaking News: કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

NEET પરીક્ષાના પેપર લીક મામલે ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જૂનમાં પેપર લીક થવાના કારણે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો, જેના કારણે દિલ્હીમાં વિદ્યાર્થીઓ, કાર્યકરો અને વિપક્ષી પક્ષો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે.

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET પેપર લીકને લઈ ચાલી રહેલા વ્યાપક વિરોધ અને દબાણ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે રાજીનામું આપ્યું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. મેડિકલ વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતા આ સંવેદનશીલ મુદ્દા પર સરકારની વ્યાપક ટીકા થઈ હતી અને આ રાજીનામાને પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી સ્થાપિત કરવા તરફના એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે કોકરોચ જનતા પાર્ટી (CJP) એ પેપર લીક થયા બાદ શરૂઆતમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને તે પોતાના નિર્ણય પર અડગ રહી હતી. આજે સરકાર અને CJP વચ્ચે બીજા રાઉન્ડની વાટાઘાટો પહેલા કેન્દ્રીય શિક્ષણ પ્રધાને પોતાનું રાજીનામું સુપરત કર્યું.

ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, ધર્મેન્દ્ર પ્રધાને પોતાનો રાજીનામું પત્ર જાહેર કર્યો. તેમાં તેમણે લખ્યું,”મારા યુવા સાથીઓ, હું ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારા માટે સમર્પિત છું. મેં હંમેશા માન્યું છે કે એક મજબૂત, સમાવેશી અને દૂરંદેશી શિક્ષણ પ્રણાલી એ એક મજબૂત રાષ્ટ્રનો પાયો છે.હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, લાગણીઓ અને ન્યાયી અપેક્ષાઓનો ખૂબ આદર કરું છું. ભારતની યુવા પેઢીના સપનાઓને પૂર્ણ કરવા એ આપણા બધાની રાજકીય અને સામાજિક જીવનમાં નૈતિક પ્રતિબદ્ધતા રહી છે. પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની સેવા કરવાની તક મળવા બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.”

ધર્મેન્દ્ર પ્રધાને NEET પેપર લીક અંગે શું કહ્યું?

તેમણે આગળ લખ્યું,”3 મે, 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં અનિયમિતતાઓ મળી આવી હતી. ભારત સરકારે તાત્કાલિક આ બાબતની નોંધ લીધી, તપાસ CBI ને સોંપી, પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષા તારીખ જાહેર કરી. આવતા વર્ષથી CBT મોડમાં પરીક્ષા લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો.”

CJPનું એલાન: 26 જુલાઈએ દેશભરમાં કાઢવામાં આવશે કેન્ડલ માર્ચ

નવી દિલ્હીઃ CJPએ રવિવાર, 26 જુલાઈએ દેશભરમાં કેન્ડલ માર્ચ યોજવાનું આહવાન કર્યું છે. પાર્ટીના જણાવ્યા મુજબ આ કેન્ડલ માર્ચ સાંજે છ વાગ્યે યોજાશે અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપેક્ષા છે. પાર્ટીએ પોતાના સમર્થકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને આ કાર્યક્રમમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેવા અપીલ કરી છે.પાર્ટીએ જણાવ્યું છે કે માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવશે અને તમામ ભાગ લેનારાઓને કાયદાનું પાલન કરવા તેમ જ શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે. CJP એ દેશનાં વિવિધ શહેરો અને રાજ્યોમાં લોકોને સાંજે છ વાગ્યે યોજાનારા કેન્ડલ માર્ચમાં જોડાઈને પોતાનું સમર્થન વ્યક્ત કરવા અનુરોધ કર્યો છે.

દિલ્હી પોલીસ લોકોને અટકાવવાનું અને ડરાવવાનું બંધ કરે: CJP

CJPએ દિલ્હી પોલીસને તાત્કાલિક અસરથી નાગરિકોને જંતર-મંતર પહોંચતા અટકાવવાનું, તેમને ડરાવવાનું અથવા અટકાયતમાં લેવાનું બંધ કરવાની માગ કરી છે. પાર્ટીનો આરોપ છે કે વિરોધ પ્રદર્શન સ્થળની આસપાસ “ભય અને ઘેરાબંધી” જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. CJPના પ્રવક્તા સૌરવ દાસે X પર શેર કરાયેલી એક પોસ્ટમાં પાર્ટીનું નિવેદન શેર કરતાં જણાવ્યું હતું કે
મહત્વપૂર્ણ નિવેદન: કોકરોચ જનતા પાર્ટી @DelhiPolice ને માગ કરે છે કે તેઓ નાગરિકોને જંતર-મંતર પહોંચતા ગેરકાયદે રીતે અટકાવવાનું, ડરાવવાનું અથવા રોકવાનું તરત બંધ કરે અને જંતર-મંતરની આસપાસ ભય અને ઘેરાબંધીનું વાતાવરણ ઊભું કરવાનું ટાળે.

મોદીજીની રીલ્સ ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓને રોકી શકશે નહીં: CJP

CJPના આશુતોષ રાંકાએ કહ્યું: જો મોદીજી રાત્રે રીલ્સ બનાવી રહ્યા છે, તો તે સ્પષ્ટ દર્શાવે છે કે વ્યવસ્થામાં ઊથલપાથલ ચાલી રહી છે. પહેલા તમે જે ‘કઠોર પગલાં’ લેવાની વાત કરી હતી તે લો અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અપાવો. ત્યાર બાદ રીલ્સ બનાવો, અમે તેને પણ શેર કરીશું.

તાજેતરના એક વિડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે તેમનો અગાઉનો સંદેશ જોયો હતો અને સકારાત્મક સૂચનો આપ્યાં હતાં.

મુંબઈમાં ઠાકરે બંધુઓ દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં તિરંગા યાત્રા યોજાશે

NEET પેપર લીક મામલે જવાબમાં મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે. રાજ ઠાકરેએ પોતે આ અંગે પત્ર લખીને માહિતી આપી છે.

NEET પેપર લીક મામલે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે એટલે કે રવિવારે તિરંગા યાત્રા કાઢવામાં આવશે. રાજ ઠાકરેએ પોસ્ટ કરી છે કે આવતીકાલની કૂચ કોઈપણ રાજકીય પક્ષના ધ્વજ વિના યોજાશે.

રાજ ઠાકરેએ આ યાત્રાને લઈને દરેકને પત્ર પણ લખ્યો છે. રાજ ઠાકરેએ લખ્યું,’મારા તમામ મહારાષ્ટ્રના સૈનિકો અને શિવસૈનિકોના નામે, પ્રેમથી, જય મહારાષ્ટ્ર! આગામી 26મી જુલાઈએ, અમે NEET પરીક્ષામાં ગેરરીતિઓ, વિદ્યાર્થીઓના ચાલી રહેલા આંદોલન અને આ આંદોલનને દબાવવાના સરકારના પ્રયાસોના વિરોધમાં ‘તિરંગા માર્ચ’નું આયોજન કરી રહ્યા છીએ. તમે બંને પક્ષોના કેન્દ્રીય કાર્યાલય અને નેતાઓ પાસેથી આ વિશે માહિતી મેળવી હશે.’

તેમણે ઉમેર્યુ કે,’આ ‘તિરંગા માર્ચ’ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસના વલણ સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવા માટે કાઢવામાં આવી રહી છે. સાથે જ, તેનો ઉદ્દેશ્ય એવો સંદેશ આપવાનો છે કે સમગ્ર મહારાષ્ટ્ર વિદ્યાર્થીઓ, તેમના પરિવારો અને જેઓ પોતાનો વિરોધ નોંધાવવા દિલ્હી જઈ શકતા નથી કે મુંબઈ આવી શકતા નથી તેમની સાથે છે.’

આ સંપૂર્ણ બિનરાજકીય કૂચ હશેઃ રાજ ઠાકરે

તેમણે કહ્યું કે,’આ સંપૂર્ણ બિનરાજકીય કૂચ હશે. તેમાં કોઈ રાજકીય પક્ષનો ઝંડો નહીં હોય, કોઈ પક્ષ કે તેના નેતાઓના સમર્થનમાં કોઈ સૂત્રોચ્ચાર કરવામાં આવશે નહીં. માત્ર સરકાર સામે વિરોધ કરવામાં આવશે અને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવશે. ભલે મેં અને ઉદ્ધવજીએ આ કૂચ માટે હાકલ કરી છે, પરંતુ નારા લગાવવા જોઈએ નહીં અને બધા વિદ્યાર્થીઓના નામથી આ કૂચને સફળ બનાવીશું. સંપૂર્ણ વિશ્વાસ રાખો. કોઈ પણ આ કૂચને વિક્ષેપિત કરવાની હિંમત કરશે નહીં, કારણ કે દરેકને ખબર છે કે અમે શું કરી શકીએ છીએ. જો કે, જો કેટલાક લોકો વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરે છે, ખોટા સૂત્રોચ્ચાર કરે છે અથવા ત્યાં હાજર વાલીઓ સાથે, ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ સાથે દુર્વ્યવહાર કરે છે, તો શાંતિથી તેમને નજીકમાં હાજર પોલીસને સોંપો. જ્યાં પોલીસ હાજર ન હોય, તમે બધા પાસે પરિસ્થિતિનો યોગ્ય રીતે સામનો કરવાનો અનુભવ અને ક્ષમતા છે.’

મને ખાતરી છે કે તમે બધા આવશોઃ રાજ

રાજ ઠાકરેએ જણાવ્યુ કે,’મહારાષ્ટ્રના સૈનિકો અને શિવસૈનિકોને મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરવાની જરૂર નથી, કારણ કે મને ખાતરી છે કે તમે બધા આવશો. પરંતુ તમારી સાથે શક્ય તેટલા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને પણ લાવો, સમગ્ર કૂચ દરમિયાન તેમની સંભાળ રાખો અને તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચવામાં મદદ કરો. મને બાકીની સરકારો વિશે ખબર નથી, પરંતુ મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર પોલીસ બાળકોના જીવન અને ભવિષ્ય સાથે જોડાયેલા આ મુદ્દા પર અમારી સાથે છે.તો ચાલો 26 જુલાઈએ સવારે 10 વાગ્યે શિવાજી પાર્કમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે એકઠા થઈએ. અમે તમારી, વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાની રાહ જોઈ રહ્યા છીએ. ચાલો આપણે દિલ્હીને શાંતિપૂર્ણ રીતે બતાવીએ કે દેશના લોકોના મનમાં કેટલો ગુસ્સો છે. તમારા, રાજ ઠાકરે.”

વિદ્યાર્થીઓની ત્રણ માગ પર કોઈ સમાધાન નહીં: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે વિદ્યાર્થીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની ત્રણ મુખ્ય માગ છે અને આ માગ પર કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે પ્રથમ માગ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની છે અને આ મુદ્દે કોઈ ચર્ચા કે સમાધાન સ્વીકાર્ય નથી.

વિદ્યાર્થીઓની ત્રણ માગ એવી છે કે જેના પર કોઈ સમજૂતી થઈ શકે નહીં. પ્રથમ માગ એ છે કે શિક્ષણ મંત્રી, જે ભ્રષ્ટ, અયોગ્ય અને ખોટી વિચારસરણી ધરાવે છે, તેમને પદ પરથી દૂર કરવામાં આવે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સમસ્યાનો ઉકેલ ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયમાંથી હટાવીને અન્ય કોઈ મંત્રાલયમાં મોકલવાનો છે, પરંતુ ભારતના વિદ્યાર્થીઓને આ સ્વીકાર્ય નથી. ધર્મેન્દ્ર પ્રધાન ભ્રષ્ટાચાર અને દેશનાં બાળકોના ભવિષ્ય સાથે થયેલા અન્યાયનું પ્રતીક બની ગયા છે. તેમને એક મંત્રાલયમાંથી બીજા મંત્રાલયમાં ખસેડવાથી કોઈ ફેર પડશે નહીં; તેમને પદ પરથી દૂર કરવા જ પડશે, એમ તેમણે કહ્યું હતું.

બીજી માગ એ છે કે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરનારા દિલ્હી પોલીસના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે. તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા માટે વડા પ્રધાન મોદીએ માફી માંગવી જોઈએ. કોંગ્રેસ નેતાએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે તેમને વિદ્યાર્થીઓ પર ગર્વ છે. વિદ્યાર્થીઓ ડરવાના નથી અને તેઓ દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે, જ્યારે નરેન્દ્ર મોદી ભારતનો ભૂતકાળ છે, એમ તેમણે જણાવ્યું હતું.

અમદાવાદ જિલ્લામાં મેઘતાંડવ, 430 લોકોનું સુરક્ષિત સ્થળાંતર

અમદાવાદ: ધોળકા, વિરમગામ અને ધંધુકા તાલુકામાં શનિવારે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ રહી. જેના કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. વરસાદના કારણે સર્જાયેલી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું છે.

જિલ્લામાં પૂરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 430 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે જ પાણીમાં ફસાયેલા 40 લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત ખસેડાયા છે, જેમાંથી 6 વ્યક્તિઓની ગંભીર હાલત હોવાના કારણે તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ધોળકામાં સેના મોરચે

નાગરિકોની સુરક્ષા માટે SDRFની ટીમો દ્વારા સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે જળબંબાકારના કારણે ગ્રામ્ય વિસ્તારના કુલ 11 રસ્તાઓ હાલ સુરક્ષા માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ધોળકામાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આર્મી યુનિટ દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આર્મી અને SDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ

ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ શાળા-કોલેજો તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા વાલીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને સુરક્ષિત સ્થાનો પર રહે. વહીવટી તંત્ર દ્વારા દરેક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળી શકાય.

શનિવારે પણ 139 તાલુકા જળબંબાકાર, વાવ-થરાદ અને વલસાડમાં સૌથી વધુ વરસાદ

ગાંધીનગર: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર શુક્રવાર સવારે 6.00થી 10.00 વાગ્યા સુધીના 4 કલાક દરમિયાન કુલ 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બનાસકાંઠા, સરહદી વાવ-થરાદ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વાપી-વલસાડ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

સવારના 4 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, વાવ-થરાદના દિયોદર તાલુકામાં સૌથી વધુ 50 મિ.મી. (આશરે 2 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદ ક્ષેત્રના લાખાણીમાં 47 મિ.મી. (1.85 ઈંચ) અને રહ તાલુકામાં 45 મિ.મી. (1.77 ઈંચ) વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં 44 મિ.મી. અને ઓગડમાં 36 મિ.મી. વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 43 મિ.મી. (1.69 ઈંચ) અને કપરાડામાં 34 મિ.મી. વરસાદ નોંધાયો છે.

અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરા તાલુકામાં સવારે 8 થી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન જ સીધો 30 મિ.મી. (1.18 ઈંચ) વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. નવસારીના ખેરગામમાં 26 મિ.મી., ડાંગના સુબિરમાં 25 મિ.મી. અને પાટણના સાંતલપુરમાં 24 મિ.મી. વરસાદ નોંધાયો છે.

ખેડા, અમદાવાદ ગ્રામ્ય, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં 10 થી 23 મિ.મી. સુધીનો હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

TET પેપર લીક કાંડના માસ્ટરમાઇન્ડની  બિહારથી ધરપકડ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર રહેલા કથિત પેપર લીક માફિયા વિજેન્દ્ર ગુપ્તાની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે અન્ય એક આરોપીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યાનુસાર વિજેન્દ્ર ગુપ્તા ઘણા મહિનાઓથી ધરપકડથી બચતો ફરતો હતો. તેને પકડવા માટે બિહાર સહિત અનેક રાજ્યોમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા હતા.

વિજેન્દ્ર ગુપ્તાનું નામ દેશનાં અનેક ચર્ચિત પેપર લીક કૌભાંડો સાથે જોડાયું છે. વર્ષ 2024માં NEET પેપર લીક વિવાદ બાદ સ્ટિંગ ઓપરેશનમાં તેણે કથિત રીતે પેપર લીક સિન્ડિકેટ કેવી રીતે કામ કરે છે અને NTAની સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ વિશે અનેક દાવા કર્યા હતા.

પોલીસને ચકમો આપી રહ્યો હતો વિજેન્દ્ર ગુપ્તા

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં અગાઉ વિજેન્દ્ર ગુપ્તાની પત્ની સહિત અનેક અન્ય આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હવે મુખ્ય આરોપીની ધરપકડ બાદ મહારાષ્ટ્ર પોલીસને આશા છે કે પેપર લીક નેટવર્ક, તેના સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ અને સમગ્ર સિન્ડિકેટ કેવી રીતે કાર્ય કરે છે તે અંગે અનેક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. પોલીસ હાલમાં તેની પૂછપરછ કરીને કેસની વધુ તપાસ કરી રહી છે.

વિદ્યાર્થી આંદોલન વચ્ચે ધરપકડ મહત્વપૂર્ણ

વિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે દિલ્હીના જંતર-મંતરથી લઈને દેશના અનેક વિસ્તારોમાં NEET પેપર લીક અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓના આંદોલનો ચાલી રહ્યા છે. CJPના બેનર હેઠળ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પેપર લીક સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની સતત માગ કરી રહ્યા છે.

હત્યા અને પેપર લીક કેસમાં અગાઉ પણ થઈ હતી ધરપકડ

પોલીસના જણાવ્યાનુસાર વર્ષ 2003માં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતી વખતે બેગુસરાયમાં થયેલા એક હત્યા કેસમાં વિજેન્દ્ર કુમાર ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. વિજેન્દ્ર કુમાર ગુપ્તાની પત્ની સુમન કુમારીએ પોલીસને જણાવ્યું હતું કે તે કેસમાં વિજેન્દ્ર નિર્દોષ સાબિત થયો હતો. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2011માં મધ્ય પ્રદેશના ભોપાલમાં રાજ્ય સ્તરની ભરતી પરીક્ષાનું પેપર લીક થયાના કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને જામીન મળ્યા હતા.

ગુજરાતમાં જળપ્રલય યથાવત, આજે 7 જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદ: રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં સૌથી વધુ વરસાદ પાટણના સાંતલપુરમાં 15 અને રાધનપુરમાં 13.46 ઇંચ ખાબક્યો છે. જ્યારે વાવ-થરાદના ભાભરમાં 11.30, દિયોદરમાં 10.83 અને ખેડાના નડિયાદમાં 10.31 ઇંચ વરસ્યો છે. તો 10 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સવારના 6થી 8 વાગ્યામાં 106 તાલુકામાં સૌથી વધુ વાવ-થરાદના દિયોદર અને લાખાણીમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ દ્વારા 25 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે અમદાવાદ, વાવ-થરાદ, રાજકોટ સહિતના 15 જિલ્લામાં ઓરેન્જ અને કચ્છ, જામનગર, નર્મદા, વલસાડ સહિતના 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રેડ એલર્ટ: મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર.

ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ

સરકાર સાથેની ત્રીજા તબક્કાની ચર્ચા પહેલાં CJPની ચેતવણી

નવી દિલ્હી: NEET પેપર લીક વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલો કોક્રોચ જનતા પાર્ટી (CJP)નો વિરોધ હવે દેશભરમાં ફેલાઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં આ આંદોલન અંગે સરકારના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સરકાર દ્વારા સતત અનેક પગલાં લેવામાં આવ્યાં છે. શિક્ષણ સચિવને પદ પરથી હટાવવામાં આવ્યા છે, NTAના 47 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે અને પેપર લીક કેસની તપાસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના તરફ પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે.

સરકાર તરફથી મળેલા આશ્વાસન બાદ સોનમ વાંગચુકે ભૂખ હડતાળને ખતમ કરી છે. જોકે CJP અને જંતર-મંતર પર એકત્રિત અન્ય પ્રદર્શનકારીઓ હજુ પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર અડગ છે. એ દરમિયાન સરકાર અને CJPના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચાના અનેક તબક્કા ચાલી રહ્યા છે. આજે બંને પક્ષો વચ્ચે ત્રીજા તબક્કાની બેઠક યોજાવાની છે.બીજી તરફ, વિદ્યાર્થી સંગઠન AISAએ આજે બિહાર બંધનું આહવાન કર્યું છે. ગઈ રાત્રે બિહારમાં CPI (ML)ના ધારાસભ્ય સંદીપ સૌરભની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર પ્રદર્શનની આડમાં હિંસા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પેલેટ ગનથી ઘાયલ થયેલા એક પ્રદર્શનકારીને રજૂ કર્યો હતો.

અભિજિત દીપકેને ટાઇફોઇડ

CJPના સ્થાપક અભિજિત દીપકેને ટાઇફોઇડ થયો છે. તેમણે આ અંગે માહિતી સોશિયલ મિડિયા પર શેર કરી હતી. X પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં તેમણે જણાવ્યું કે તેમને ટાઇફોઇડ થયો છે, છતાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી તેમની લડત ચાલુ રહેશે.

CJP શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ પર અડગ

CJP કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર અડગ છે. પાર્ટીએ કેન્દ્ર સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. CJPએ જણાવ્યું છે કે જો સરકાર શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવશે નહીં અથવા તેઓ રાજીનામું નહીં આપે તો ફરીથી સંસદ તરફ માર્ચ કરવામાં આવશે, પરંતુ સરકાર તરફથી એવા સંકેતો મળી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાનને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવવાની માગ સ્વીકારવામાં નહીં આવે.

પંચાંગ 25/07/2026