Home Blog Page 4

પંચાંગ 11/06/2026

૧૧ જૂન ૨૦૨૬

દરિયામાં તેલના ટેન્કર પર અમેરિકી મિસાઈલ હુમલો: 3 ભારતીય નાવિકો લાપતા

પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવ હવે દરિયાઈ વેપાર માર્ગો માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો છે. આગામી 10 જૂનના રોજ ઓમાનના દરિયાકાંઠે એક મોટા કમર્શિયલ ઓઇલ અને કેમિકલ ટેન્કર જહાજ પર સૈન્ય હુમલો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે સનસનાટી મચી ગઈ છે. આ જહાજ પર કામ કરતા કુલ 28 સભ્યોમાંથી પ્રચંડ બહુમતી એટલે કે 24 સભ્યો ભારતીય નાગરિકો હતા. આ હુમલામાં જહાજને ભારે નુકસાન થયું છે અને ભારતના 3 નાગરિકો દરિયામાં લાપતા થયા છે, જેના કારણે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.

અહેવાલ મુજબ, બ્રિટિશ મેરિટાઇમ સિક્યુરિટી ગ્રુપ ‘એમ્બ્રે’ (Ambrey) એ આશંકા વ્યક્ત કરી છે કે, આ હુમલો સંભવતઃ ઈરાની બંદરોની ઘેરાબંદી કરવા માટે ચલાવવામાં આવી રહેલા અમેરિકી સૈન્ય ઓપરેશનનું સીધું પરિણામ હોઈ શકે છે. અગાઉ પણ આવા જહાજોના ક્રૂ મેમ્બર્સને સત્તાવાર ચેતવણી આપવામાં આવી હતી કે, હુમલાની સ્થિતિમાં તેઓ જહાજના પાછળના ભાગને બદલે આગળના ભાગ (Bow) પર એકઠા થાય. મેરિટાઇમ સિક્યુરિટી સાથે જોડાયેલા અન્ય સંરક્ષણ સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે જહાજ પર અમેરિકી મિસાઈલથી જ હુમલો કરવામાં આવ્યો હોવાની પૂરેપૂરી સંભાવના છે. જો કે, આ અંગે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ભારતે અમેરિકી રાજદ્વારી જેસન મીક્સને કર્યા તલબ

આ આંતરરાષ્ટ્રીય હુમલામાં ભારતીય નાગરિકોના જીવ જોખમમાં મુકાતા ભારતે અત્યંત આક્રમક રાજદ્વારી વલણ અપનાવ્યું છે. બુધવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી (અમેરિકા વિભાગ) નાગરાજ નાયડુએ તાત્કાલિક ધોરણે ભારતમાં અમેરિકાના ‘ચાર્જ ડી અફેર્સ’ (Charge d’Affaires) જેસન મીક્સને સમન્સ પાઠવીને હાજર થવા આદેશ આપ્યો હતો. ભારતે અમેરિકી રાજદ્વારી સમક્ષ આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરીને સખત વિરોધ પત્ર સોંપ્યો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ભારતના મહાન વડાપ્રધાન

ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહા-રેકોર્ડની ગુંજ હવે છેક અમેરિકા સુધી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારના પ્રમુખ તરીકે સતત સત્તા પર રહીને પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને પાછળ છોડવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પીએમ નરેન્દ્ર મોદીને દિલથી અભિનંદન આપ્યા છે. બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની ગાઢ મિત્રતા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર છતી થઈ છે, જેમાં ટ્રમ્પે પીએમ મોદીની અદભુત રાજકીય ક્ષમતા અને નેતૃત્વના મુક્ત મને વખાણ કર્યા છે.

ટ્રમ્પનો ખાસ સંદેશ: “મારા મિત્ર મોદી એક મહાન વડાપ્રધાન છે”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર એક વિગતવાર અને અત્યંત પ્રભાવશાળી પોસ્ટ શેર કરી છે. ટ્રમ્પે આ પોસ્ટમાં લખ્યું કે, “મારા પરમ મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! તેઓ ખરેખર એક મહાન વડાપ્રધાન છે. તે એક અત્યંત મજબૂત, શારીરિક રીતે સ્વસ્થ અને અદભુત બુદ્ધિમાન વ્યક્તિ છે. મને પૂરો વિશ્વાસ છે કે તેમની સામે હજુ પણ મહાનતા અને અસાધારણ સફળતાના અનેક વર્ષો પડ્યા છે. ટ્રમ્પે પીએમ મોદીની રાજકીય સફર અને લોકપ્રિયતાની પ્રશંસા કરવાની સાથે ભવિષ્યના કાર્યકાળ માટે તેમને નિરંતર સફળતાની અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

કઈ રીતે તૂટ્યો પંડિત નહેરુનો 62 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે, 2014 ના રોજ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. ત્યારથી લઈને આજ દિન સુધી તેમણે કોઈપણ પ્રકારના વિરામ કે અંતરાલ (Gap) વિના દેશની અવિરત સેવા કરી છે. આગામી 10 જૂનના રોજ પીએમ મોદીએ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક પોતાના 4399 દિવસ પૂર્ણ કરી લીધા છે.

ગુજરાતને સિકલ સેલ મુક્ત કરવા લગ્ન પહેલાં ‘મેડિકલ કુંડળી’ મેળવો : પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ‘સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ’ યોજાયો હતો. સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આયોજીત આ કાર્યક્રમ આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર છે. તેમણે આનુવંશિક રોગોને અટકાવવા માટે લગ્ન પહેલાં પરંપરાગત કુંડળીની જેમ જ ‘મેડિકલ કુંડળી’ એટલે કે સિકલ સેલ સ્ટેટસ તપાસવા પર ખાસ ભાર મૂક્યો હતો, જેથી આવનારી પેઢીને આ રોગ વારસામાં ન મળે.વર્ષ ૨૦૦૬થી ગુજરાતમાં શરૂ થયેલી શ્રેષ્ઠ સ્ક્રીનિંગ કામગીરીનો ઉલ્લેખ કરતા મંત્રીએ ઉમેર્યું કે, યોગ્ય કાળજી અને સારવારથી આ રોગ સાથે પણ તંદુરસ્ત જીવન જીવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન સિકલ સેલ પીડિત બાળકોએ પ્રફુલભાઈને ચિત્ર ભેટ આપ્યું હતું.આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ જણાવ્યું કે, વેક્સિન આધારિત રોગો કરતા સિકલ સેલ જેવા જેનેટિક (જનીની) રોગોની નાબૂદી વધુ પડકારજનક છે. ગુજરાતમાં હાલ અંદાજે ૫.૫ લાખ સિકલ સેલ કેરિયર્સ અને ૩૦,૦૦૦ સક્રિય દર્દીઓ છે. જેને રોકવા માટે પોપ્યુલેશન સ્ક્રીનિંગ, જેનેટિક કાઉન્સિલિંગ અને ‘જનભાગીદારી’ જ એકમાત્ર અસરકારક ઉપાય છે. આ કાર્યક્રમમાં નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડૉ. રતનકવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની તમામ ૧૪,૦૦૦ પંચાયતોને ‘આત્મનિર્ભર’ બનાવવાનું આહ્વાન

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને ગ્રામીણ સ્તરે સાકાર કરવા માટે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા એક દિવસીય રાજ્યસ્તરીય ‘આત્મનિર્ભર પંચાયત’ કાર્યક્રમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, હવે પંચાયતોએ માત્ર સરકારી ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે સ્થાનિક પ્રકલ્પો અને સંસાધનો થકી આવકના નવા સ્ત્રોત ઊભા કરીને આર્થિક રીતે સ્વાવલંબી બનવું પડશે. આ માટે મંત્રાલય દ્વારા તમામ તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા ગુજરાતના પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ શરૂઆતમાં આવકના ચોક્કસ માપદંડોના આધારે ગુજરાતની ૭૧ પંચાયતોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આપણો લક્ષ્યાંક માત્ર ૭૧ પંચાયતો પૂરતો સીમિત નથી, બલ્કે રાજ્યની તમામ ૧૪,૦૦૦થી વધુ પંચાયતોને ‘આત્મનિર્ભર’ બનાવવાનો છે. તેમણે ઉમેર્યું કે ૨૦૪૭ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂરું કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ એટલી જ ઉર્જા સાથે ભાગીદાર બનવું પડશે. ગામડાના નાગરિકોને પણ શહેરો જેવી જ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ અને સુવિધાઓ મળવી જોઈએ.અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું કે, શહેરી સ્થાનિક સંસ્થાઓની જેમ જ ગ્રામ પંચાયતોમાં મજબૂત નાણાકીય વ્યવસ્થાપન ઊભું કરવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમમાં નાબાર્ડ (NABARD) અને હુડકો (HUDCO) જેવી સંસ્થાઓ પણ સહયોગી બની છે. નાબાર્ડના રિજિનલ મેનેજરે ગ્રામ હાટ, ગોડાઉન નિર્માણ, ફિલ્ટર પાણીની સુવિધા અને કૃષિ પ્રોસેસિંગ જેવા મોડલ્સ દ્વારા પંચાયતોને સ્વનિર્ભર બનવા માટે ડીપીઆર (DPR) તૈયાર કર્યા હોવાની માહિતી આપી હતી.

જ્યારે હુડકોના અધિકારીએ પંચાયતોને ટેકનિકલ, નાણાકીય આયોજન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે સંપૂર્ણ તાલીમ અને ફંડિંગ માર્ગદર્શન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ વર્કશોપમાં આત્મનિર્ભર પંચાયત પોર્ટલનું લાઈવ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મોટી સંખ્યામાં જિલ્લા-તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટીઓ અને સરપંચો જોડાયા હતા.

વેકેશનના ધસારાને પગલે ગુજરાત ST બસની 19,200 એક્સ્ટ્રા ટ્રીપ!

અમદાવાદ: ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ભારે ટ્રાફિક અને ધસારાને પગલે એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે 19,200 જેટલી વિશેષ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઉનાળાના વેકેશન 2026માં 9.60 લાખ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો છે. એસ.ટી. નિગમ દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગોધરા જેવા જિલ્લાઓમાં આ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી. સાથે જ ધાર્મિક અને પ્રવાસન સ્થળો જેવાં કે સોમનાથ, દ્વારકા, પાવાગઢ, શામળાજી, અંબાજીમાં પણ વધારાની ટ્રીપનું આયોજન કરાયું હતું.

રાજ્યના નાગરિકોને જાહેર પરિવહનમાં અગવડ ન પડે તે માટે સરકાર દ્વારા ૩૦૦ નવીન બસો તાત્કાલિક અસરથી પ્રજાની સેવામાં મૂકવામાં આવી હતી. તાજેતરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત બસોમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં દૈનિક 15,000 સુધીનો વધારો થયો છે. હાલમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા દૈનિક 7,000થી વધુ શિડ્યુલ અને 33,000 ટ્રીપો મારફતે આશરે ૩૩.૦૦ લાખ કિલોમીટરનું સફળ સંચાલન કરવામાં આવે છે. જેના દ્વારા દરરોજ 27 લાખથી પણ વધુ મુસાફરોને સમયસર અને સલામત પરિવહન સેવા મળી રહી છે.

અમદાવાદના કોટેશ્વર રોડથી એરપોર્ટ વચ્ચેના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

ગાંધીનગર: અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2Aને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળતાં જ હવે અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ સીધું મેટ્રો કનેક્ટિવિટી સાથે જોડાઈ જશે, જેનાથી સ્થાનિક મુસાફરો તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓને મોટી રાહત મળશે.

પાંચ નવા સ્ટેશન બનશે!

આ નવો મેટ્રો કોરિડોર કોટેશ્વરથી શરૂ થઈને સીધો ઍરપૉર્ટ સુધી પહોંચશે. 6 કિલોમીટર લાંબા આ આખા રૂટ પર મુસાફરોની સુવિધા માટે 5 નવા સ્ટેશનો બનાવવામાં આવશે. જેમાં આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી, સરદાર નગર અને ઍરપૉર્ટ સ્ટેશનનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટના આયોજનમાં 4 એલિવેટેડ (જમીનથી ઉપર) સ્ટેશનો બનાવવામાં આવશે, જ્યારે ઍરપૉર્ટની સુરક્ષા અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને 1 અન્ડરગ્રાઉન્ડ (જમીનની અંદર) સ્ટેશન તૈયાર કરવામાં આવશે. આગામી 4 વર્ષની અંદર આ ફેઝની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી લેવામાં આવશે. નોંધનીય છેકે, આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો રેલ નેટવર્ક વિસ્તરીને કુલ 77.63 કિલોમીટરનું થઈ જશે.

હવે ઈરાનને તેની કિંમત ચૂકવવી પડશેઃ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ઈરાન સામે હુમલાની ચેતવણી આપી છે. ટ્રુથ સોશિયલ પર કરેલી એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે ઈરાનની સૈન્ય શક્તિ લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. તેમની નેવી અને એર ફોર્સ જેવા મોટા ભાગના સૈન્ય વિભાગો હવે અસ્તિત્વમાં જ નથી. તેમણે વધુમાં લખ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે નિરાશ થઈ ચૂક્યા છે. ઈરાન માત્ર વાતો કરે છે, કોઈ કાર્યવાહી કરતું નથી. મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવનાર ઈરાન હવે પહેલાંની સ્થિતિમાં નથી. તેમણે એવી એક ડીલ અંગે વાતચીત કરવામાં ખૂબ જ વધુ સમય બગાડ્યો, જે તેમના માટે જ ફાયદાકારક હતી. હવે તેમને તેની કિંમત ચૂકવવી પડશે.

ટ્રમ્પે અગાઉના દિવસે પણ ઈરાનને ધમકી આપી હતી

ટ્રમ્પે નવ જૂને ઈરાનને ધમકી આપી હતી. તેમણે લખ્યું હતું હતું કે મને અમારી મહાન સેનાએ જાણ કરી છે કે ગઈ રાત્રે ઈરાનીઓએ હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) પાસે પેટ્રોલિંગ દરમિયાન અમારા એક અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું હતું. તેમાં બે પાયલોટ હતા, બંને સુરક્ષિત છે અને તેમને કોઈ ઇજા પહોંચી નથી. તેમ છતાં, યુનાઇટેડ સ્ટેટ્સને આ હુમલાનો જવાબ આપવો જ પડશે.

ટ્રમ્પે અનેક વખત ડીલ થવાનો દાવો કર્યો

ઈરાન સાથેના તણાવ દરમિયાન ટ્રમ્પનાં નિવેદનોમાં એક ખાસ પેટર્ન જોવા મળી છે. તેઓ વારંવાર દાવો કરતા રહ્યા છે કે ઈરાન સાથેનો કરાર અંતિમ તબક્કામાં છે અથવા લગભગ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ હકીકત ઘણી વખત અલગ રહી છે. ઘણા પ્રસંગોએ જ્યારે પરિસ્થિતિ તેમના નિયંત્રણ બહાર જતી દેખાય છે, ત્યારે તેઓ તહેરાનને સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપે છે. ત્યાર બાદ થોડા સમય પછી ફરી શાંતિ અને સમજૂતીની વાતો કરવા લાગે છે.અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઓછામાં ઓછા 38 વખત એવો દાવો કરી ચૂક્યા છે કે ઈરાન સાથેની ડીલ ખૂબ નજીક છે અથવા ઈરાન સમજૂતી માટે આતુર છે. તેમ છતાં તેમના આ દાવાઓ છતાં ઈરાન સાથે કોઈ સ્પષ્ટ અને નક્કર કરાર હજુ સુધી સામે આવ્યો નથી.

સત્તાના સૌથી મોટા ખેલાડીઓ: કોણે કેટલા સમયગાળા માટે કર્યુ શાસન?

નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાનનો રેકોર્ડ બનાવ્યો.આજે એટલે કે 10 જૂનના રોજ તેમણે કેન્દ્ર સરકારના વડા તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા.

નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 10 જૂને વડા પ્રધાન તરીકે 12 વર્ષ (4,399 દિવસ) પૂર્ણ કર્યા. તેમણે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પાછળ છોડી દીધા. ભારતના લોકશાહી ઇતિહાસમાં, ઘણા વડા પ્રધાનોએ દેશનું નેતૃત્વ કર્યું છે, પરંતુ થોડા લોકોએ આટલા લાંબા સમય સુધી સત્તા સંભાળી છે, જેણે દેશની રાજનીતિ, અર્થતંત્ર અને વૈશ્વિક છબી પર ઊંડી અસર કરી છે. સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાનોની યાદી ફક્ત તેમની રાજકીય લોકપ્રિયતા જ નહીં પરંતુ જનતાએ તેમના પર મૂકેલા લાંબા ગાળાના વિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે.

પીએમ મોદી 12 વર્ષ (4,399 દિવસ)

નરેન્દ્ર મોદી મે 2014 માં પહેલી વાર ભારતના વડા પ્રધાન બન્યા અને કેન્દ્રમાં સતત ત્રીજા કાર્યકાળમાં સેવા આપી રહ્યા છે. જૂન 2026 સુધીમાં તેઓ 12 વર્ષથી વધુ સમય સુધી કાર્યભાર સંભાળી ચૂક્યા છે. આ સાથે જ તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદીનો ચૂંટાયેલ કાર્યકાળ 4,399 દિવસ (26 મે, 2014 થી 10 જૂન, 2026 સુધી) છે. આનો અર્થ એ થયો કે 10 જૂન, 2026 ના રોજ, મોદીએ ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે નહેરુના રેકોર્ડને એક દિવસ પાછળ છોડી દીધો. તેમના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને G20 સમિટ જેવી મોટી પહેલ જોવા મળી છે.

પંડિત જવાહરલાલ નેહરુ (16 વર્ષ 286 દિવસ)

સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 15 ઓગસ્ટ, 1947 થી 27 મે, 1964 સુધી દેશનું નેતૃત્વ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન, ભારતે લોકશાહી સંસ્થાઓનો પાયો મજબૂત કર્યો, પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી અને બિન-જોડાણવાદી ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી.જવાહરલાલ નહેરુનો ચૂંટાયેલ કાર્યકાળ 4,398 દિવસ (13 મે, 1952 થી 27 મે, 1964 સુધી) હતો.

ઇન્દિરા ગાંધી (15 વર્ષ 350 દિવસ)

ઇન્દિરા ગાંધીએ બે અલગ અલગ કાર્યકાળ માટે ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી. એક 1966 થી 1977 અને બીજો 1980 થી 1984. બેંક રાષ્ટ્રીયકરણ, બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભારતની ભૂમિકા અને કટોકટી જેવી ઘટનાઓ તેમના કાર્યકાળના મુખ્ય હાઇલાઇટ્સ હતા.

મનમોહન સિંહ (3656 દિવસ)

મનમોહન સિંહે 2004 થી 2014 સુધી સતત બે કાર્યકાળ દરમિયાન સેવા આપી. તેમના નેતૃત્વ હેઠળ ભારતમાં ઝડપી આર્થિક વિકાસ થયો, માહિતી અધિકાર કાયદો અને ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેવી સીમાચિહ્નરૂપ નીતિઓનો અમલ થયો. તેઓ દેશના પ્રથમ શીખ વડા પ્રધાન પણ હતા. મનમોહન સિંહનો કાર્યકાળ 3656 દિવસ ચાલ્યો.

અટલ બિહારી વાજપેયી (6 વર્ષ 196 દિવસ)

અટલ બિહારી વાજપેયીને દેશના સૌથી લોકપ્રિય વડા પ્રધાનોમાંના એક ગણવામાં આવે છે. તેમનો પહેલો અને બીજો કાર્યકાળ ટૂંકા ગાળાનો હોવા છતાં, તેમણે 1998 થી 2004 સુધી સંપૂર્ણ કાર્યકાળ સંભાળ્યો. તેમના નેતૃત્વ હેઠળ, ગોલ્ડન ચતુર્ભુજ પ્રોજેક્ટ અને પોખરણ પરમાણુ પરીક્ષણ જેવા સીમાચિહ્નરૂપ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

પાંચેય નેતાઓએ અલગ અલગ ભૂમિકાઓ ભજવી

આ પાંચ નેતાઓએ અલગ અલગ સમયે ભારતની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. નહેરુએ સ્વતંત્ર ભારતનો પાયો નાખ્યો, ઇન્દિરા ગાંધીએ મજબૂત કેન્દ્રીય નેતૃત્વ સ્થાપિત કર્યું, વાજપેયીએ ગઠબંધન રાજકારણને ફરીથી વ્યાખ્યાયિત કર્યું, મનમોહન સિંહે આર્થિક સુધારાઓ માટે દબાણ કર્યું, અને નરેન્દ્ર મોદીએ ભારતના ડિજિટલાઇઝેશન અને વૈશ્વિક હાજરીને મજબૂત બનાવી.