Home Blog Page 414

સરકારી નાણાંથી બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા નેહરુઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ સાચા અર્થમાં એક ધાર્મિક નિષ્પક્ષ નેતા હતા, જેઓ તુષ્ટીકરણના રાજકારણમાં વિશ્વાસ નહોતા રાખતા, પણ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહેરુએ સરકારી ખજાનામાંથી બાબરી મસ્જિદના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે આ માટે સરકારી પૈસા વાપરવાનો વિરોધ કરનાર વ્યક્તિ સરદાર પટેલ હતા, એમ તેમણે જણાવ્યું હતું.

સરકારી પૈસાથી બાબરી મસ્જિદ નહીં બનવા દીધી – રાજનાથ સિંહ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પંડિત જવાહરલાલ નેહરુ બાબરી મસ્જિદને મુદ્દે સરકારી ખજાનામાંથી ખર્ચ કરવાની વાત કરતા હતા, જ્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે તેનો વિરોધ કોણે કર્યો હતો? એ ગુજરાતના લાડલા સરદાર વલ્લભભાઈ પટેલે જ કર્યો હતો. અને તે સમયે સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનવા નહોતી દીધી.

નેહરુએ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે સરદાર પટેલે શાંત પરંતુ દૃઢ સ્વરે સ્પષ્ટ કર્યું હતું કે સોમનાથ મંદિરનો મામલો અલગ છે. જનતાએ લાખો રૂપિયા દાન આપ્યા છે. એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને આ યોજનામાં સરકારનો એક પણ પૈસો ખર્ચાયો નથી. આ ટ્રસ્ટની સ્થાપના પણ સરદાર પટેલે જ કરી હતી.

રામ મંદિરના નિર્માણમાં સરકારી ખજાનાનો પૈસો નહીં – રાજનાથ સિંહ

સિંહે કહ્યું કે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણમાં સરકારી ખજાનામાંથી એક પણ રૂપિયા ખર્ચાયા નથી. “જો કોઈએ (રામ મંદિરનો) આખો ખર્ચ ઉઠાવ્યો હોય તો તે દેશની જનતા છે. એ જ સાચી ધાર્મિક નિષ્પક્ષતાની વ્યાખ્યા છે.

નેહરુએ સરદાર પટેલના સ્મારકના નિર્માણનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના (પટેલના) અવસાન પછી જનતાએ સ્મારક માટે દાન એકત્ર કર્યું હતું. પરંતુ જ્યારે આ વાત નહેરુ સુધી પહોંચી, ત્યારે તેમણે શું કહ્યું? તેમણે કહ્યું કે સરદાર પટેલ ખેડૂતોના નેતા હતા, તેથી આ રકમ ગામોમાં કૂવા અને રસ્તાઓ બનાવવા માટે વાપરવી જોઈએ. પરંતુ કૂવા અને રસ્તાઓ બનાવવાની જવાબદારી તો સરકારની છે.

આ છે ભાજપના સોનિયા ગાંધી! જાણો શું છે નામ પાછળની કહાની!

કેરળ: મુન્નારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક પક્ષો પોતાના ઉમેદવારોને ટિકિટ આપવાની જાહેરાતો કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એવા ઉમેદવારને ટિકિટ આપી છે, જેમનું નામ સાંભળીને નાગરિકોની સાથે ખાસ કરીને કોંગ્રેસ પક્ષના નેતાઓ વિચારમાં પડી ગયા છે. કારણ કે, ભાજપે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જેવું જ નામ ધરાવતા એક મહિલા ઉમેદવારને કેરળથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ નામે રાજ્ય અને દેશભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ભાજપે કેરળના મુન્નારથી પંચાયત ચૂંટણીમાં ‘સોનિયા ગાંધી’ નામની મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે.પિતા કટ્ટર કોંગ્રેસી નેતા

34 વર્ષીય સોનિયા ગાંધી મુન્નાર પંચાયતના 16મા વોર્ડ નલ્લાથન્નીથી ભાજપના ઉમેદવાર છે. રસપ્રદ વાત એ છે કે, તેમના પિતા કટ્ટર કોંગ્રેસી હતા અને તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષાથી પ્રભાવિત  થઈને દીકરીનું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું.

સોનિયાએ કહ્યું કે, ‘મારા પિતા કોંગ્રેસ અને યુ.ડી.એફ.ના મોટા સમર્થક હતા. તેથી જ તેમણે મારું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું. મારો આખો પરિવાર આજે પણ કોંગ્રેસ સમર્થક છે. જો કે, મારા પતિ ભાજપમાં છે અને હું હંમેશા તેમને સમર્થન કરતી રહી છું. તેથી જ હું હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરી છું.’

સોનિયા ગાંધીના લગ્ન ભાજપ નેતા સાથે

સોનિયા ગાંધીના પતિ સુભાષ, લગભગ દોઢ વર્ષ પહેલા જૂના મુન્નાર મૂલકડઈ વિસ્તારમાં યોજાયેલી પંચાયત પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહી ચૂક્યા છે. આ બેઠક પરથી સોનિયા ગાંધીની ટક્કર કોંગ્રેસના મંજુલા રમેશ અને સી.પી.એમ.ના વલારમતી સાથે થશે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના નામવાળી સોનિયા ગાંધીનો જન્મ સ્વર્ગસ્થ દૂરે રાજના ઘરે થયો હતો, જે એક સ્થાનિક મજૂર અને કોંગ્રેસ નેતા હતા.પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષાના નામથી પ્રભાવિત 

તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષાથી પ્રભાવિત થઈને આ નવજાત દીકરીનું નામ સોનિયા ગાંધી રખાયું હતું. આ નામ વર્ષો સુધી ઈડુક્કીના પહાડીઓમાં એક રસપ્રદ સંયોગ તરીકે ઓળખાતું રહ્યું. કેરળમાં પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 9 અને 11 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે. રાજ્યની 941 ગ્રામ પંચાયતો, 152 બ્લોક પંચાયતો, 14 જિલ્લા પંચાયતો, 87 નગરપાલિકાઓ અને 6 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતદાન થશે.

એ પણ રસપ્રદ છે કે, કોંગ્રેસ અને તેનો પહેલો પરિવાર આ પ્રદેશ માટે સંપૂર્ણ રીતે અજનબી નથી. મુન્નારથી લગભગ 200 કિલોમીટર દૂર  વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રા સાંસદ છે. અગાઉ આ જ બેઠકનું પ્રતિનિધિત્વ તેમના ભાઈ રાહુલ ગાંધી કરી ચૂક્યા છે.

 

પુતિનની ધમકી: યુરોપ યુદ્ધ ઈચ્છે છે તો રશિયા તૈયાર, શાંતિ માટે કોઈ નહીં બચે!

મોસ્કો: રાષ્ટ્રપતિ પુતિન 4 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવવાના છે. તેના બરાબર પહેલા, યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરવા માટે મોસ્કોમાં રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા છે. પુતિને આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે યુએસ રાષ્ટ્રપતિના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ, જેરેડ કોરી કુશનર, સંઘર્ષ પર ચર્ચા કરવા માટે મોસ્કોમાં હતા.વિટકોફ અને કુશનર સાથે મુલાકાત

પુતિને મોસ્કો ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં આ ટિપ્પણી કરી, ત્યારે વિટકોફ અને કુશનર રશિયા-યુક્રેન શાંતિ યોજનાની વિગતો પર ચર્ચા કરવા માટે મોસ્કોના બીજા ભાગમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. ઇન્વેસ્ટમેન્ટ ફોરમને સંબોધિત કર્યા પછી, પુતિન અમેરિકી પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ બેઠક લગભગ 5 કલાક સુધી બંધ બારણે ચાલી હતી.

પુતિને ચેતવણી આપી કે, “જો યુરોપ અચાનક અમારી સાથે યુદ્ધ કરવા માંગે અને શરૂ કરે, તો અમે તરત જ તૈયાર છીએ.” તેમણે આરોપ લગાવ્યો કે યુરોપ શાંતિ પ્રસ્તાવોમાં એવા ફેરફાર કરી રહ્યું છે જે રશિયાને મંજૂર નથી અને પછી શાંતિ પ્રક્રિયા રોકવા માટે રશિયાને દોષી ઠેરવી રહ્યું છે.

બેઠકમાં શું થયું?

બેઠક બાદ, રશિયન અધિકારીઓએ વાતચીતને ‘ઉપયોગી’, ‘રચનાત્મક’ અને ‘ખૂબ જ નક્કર’ ગણાવી હતી. જોકે, ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે સ્પષ્ટ કર્યું કે હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી અને બંને પક્ષોએ હજુ ઘણું કામ કરવાનું બાકી છે. તેમણે કહ્યું કે વાતચીત આગળ પણ ચાલુ રહેશે.

રશિયન રાષ્ટ્રપતિના રાજદૂત કિરીલ દિમિત્રીવે X પરની એક પોસ્ટમાં વાટાઘાટોને “ઉત્પાદક” ગણાવી, અને ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે પત્રકારોને જણાવ્યું કે “ચર્ચા ખૂબ જ ઉપયોગી, રચનાત્મક અને ખૂબ જ મહત્વપૂર્ણ હતી.” પરંતુ ઉષાકોવે ભારપૂર્વક જણાવ્યું હતું કે વોશિંગ્ટન અને મોસ્કો બંને પાસે હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને હજુ સુધી કોઈ કરાર થયો નથી. તેમણે કહ્યું કે વાટાઘાટો ચાલુ રહેશે.

મોહ પર વિજય – પરમાનંદનો માર્ગ

આપણે મોહ પર કાબુ મેળવીએ એટલે આપણી અંદર આપમેળે સહજતા ઉત્પન્ન થાય છે. જે આપણને અમર્યાદિત આનંદ આપે છે. આ સ્થિતિમાં, આપણે કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ, કારણ કે આપણું મન બંધનોથી મુક્ત છે અને સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરે છે. મોહ પર કાબુ મેળવ્યા પછી પણ, જો આપણે આપણી ક્ષમતાઓ અને સફળતાઓમાં ફસાયેલા રહીએ, તો તે વ્યર્થ છે.

ધારો કે, તમે વીણા વગાડવામાં નિપુણ બની ગયા છો. જો તમે આ વિચારને પકડી રાખશો કે તમારા કરતાં કોઈ વધુ સારી રીતે વીણા વગાડી શકે નહીં, તો તે અહંકારને જન્મ આપશે. અને જો તમે કોઈ એવાને મળો જે તમારા કરતાં વધુ કુશળ હોય, તો ઈર્ષ્યાની લાગણી ઉત્પન્ન થશે. આ તમારી શાંતિને ભંગ કરશે અને આનંદને નષ્ટ કરશે.

મોહ ફક્ત વસ્તુઓ અને ક્ષમતાઓ સુધી મર્યાદિત નથી, તે સંબંધોમાં પણ જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નજીકના વ્યક્તિને હસતા અને બીજા વ્યક્તિ સાથે વાત કરતા જુએ છે, ત્યારે તેને ઈર્ષ્યા થવા લાગે છે. તે અપેક્ષા રાખવા લાગે છે કે તેનો પ્રિય વ્યક્તિ ફક્ત તેની સાથે જ વાત કરે, અને બીજા કોઈ સાથે નહીં. ધીમે ધીમે આ શંકા અને અસુરક્ષામાં ફેરવાઈ જાય છે. અને લોકો એકબીજાના મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે.

પરંતુ શું આપણે પોતાના મનને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકીએ છીએ? નહિ, જ્યારે આવું શક્ય નથી, તો બીજાના મનને શા માટે બાંધવાનો પ્રયાસ કરીએ છીએ? હકીકતમાં, જ્યારે આપણે મોહથી મુક્ત હોઈએ છીએ ત્યારે જ આપણે સાચું સુખ અને સ્વતંત્રતા અનુભવીએ છીએ. મોહ દ્વારા મળતી તૃપ્તિ ક્ષણિક હોય છે, જ્યારે આપણી ચેતના અને ખુશી વિસ્તૃત છે.

જો આપણે મોહથી ઉપર ન ઉઠી શકીએ, તો આપણું માર્યાદિત મન વિચારતું રહેશે – “મારું શું થશે? મારો દીકરો, મારી દીકરી, મારો પરિવાર!” પરંતુ જેમ તમારા પોતાના બાળકો તમને પ્રિય છે, તેમ જો તમે પાડોશીના બાળકોને તમારા પોતાના ગણવાનું શરૂ કરો છો, તો તમારો દ્રષ્ટિકોણ વ્યાપક બનશે.

જ્યારે તમારી અંદર આ લાગણી ઉદ્ભવે છે કે “આખું વિશ્વ મારું કુટુંબ છે, દરેક વ્યક્તિ મારી પોતાની છે,” ત્યારે જ તમે ખરેખર આસક્તિને દૂર કરી શકો છો અને પરમાનંદનો અનુભવ કરી શકો છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

જુવારના આલૂ પરોઠા

જુવારના આલૂ પરોઠામાં બટેટાનું પૂરણ ભરીને બનાવવાની જરૂર નથી. પરંતુ લોટમાં જ પૂરણ મેળવીને લોટ બાંધીને સહેલાઈથી આ પરોઠા બનાવી શકાય છે!

સામગ્રીઃ

  • જુવારનો લોટ
  • બાફેલા બટેટા 3
  • અજમો ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • સફેદ તલ 1 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
  • હળદર 2 ચપટી
  • પનીર 50 ગ્રામ
  • ચાટ મસાલો અથવા આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • જુવારનો લોટ 1 કપ

રીતઃ બાફેલા બટેટાને મેશ કરી લો. તેમાં સમારેલી કોથમીર, અજમો, આદુ-મરચાંની પેસ્ટ, સફેદ તલ, કાળા મરી પાઉડર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, હળદર, ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું તેમજ પનીરને મેશ કરીને મેળવી લો. હવે તેમાં લોટ બંધાઈ શકે એટલો જુવારનો લોટ અડધો કપ લઈને થોડો થોડો મેળવતા જઈ લોટ બાંધો.

પરોઠા માટે નોન-સ્ટીક તવો ગરમ કરી લો. લોટમાંથી લૂવા લઈ જુવારના સૂકા લોટનું અટામણ દઈને વેલણ વડે હળવે હળવે રોટલા વણી લો. જો સરખા ગોળ જોઈએ તો નાની ડીશ અથવા સ્ટીલના ડબ્બાના ઢાંકણ વડે ગોળાકાર કટ કરી લો. વણેલો રોટલો હળવેથી તવામાં મૂકી ગેસની મધ્યમ આંચે તેલ અથવા ઘી લગાડીને શેકી લો. પરોઠા ઉપર બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન રંગની છાપ પડે તે રીતે શેકી લો.

આ પરોઠા અથાણું, દહીં કે કાકડીના રાઈતા સાથે પીરસી શકાય.

૦૩ ડિસેમ્બર, ૨૦૨૫

પારસી સમુદાયનો ‘ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન’ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ ખાતે ‘ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન’નો ભવ્ય કાર્યક્રમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ અરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યપાલે અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડલનું અનાવરણ કર્યું હતું. આ અભૂતપૂર્વ પ્રોજેક્ટ અમદાવાદ પારસી પંચાયત અને અરીઝ ખંભાતા ટ્રસ્ટના સહયોગથી સાકાર થવાનો છે, જે પારસી સમાજના વરિષ્ઠ નાગરિકો માટે સન્માનસભર જીવન આપે તે હેતુ સાથે નિર્માણ પામશે.

આ કાર્યક્રમમાં સમાજસેવા અને વિવિધ ક્ષેત્રે યાદગાર યોગદાન આપનારા પારસી સમુદાયના પ્રતિભાશાળી લોકોને ‘પારસી રત્ન’ એવોર્ડ દ્વારા રાજ્યપાલશ્રીએ સન્માનિત કર્યા હતા. આ એવોર્ડે પારસી સમુદાયનાં સામાજિક કાર્યો, માનવતાવાદી ભાવ અને રાષ્ટ્રપ્રતિ પ્રતિબદ્ધતાને ઉજાગર કર્યા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે દેશના વિકાસમાં પારસી સમાજનું યોગદાન અમૂલ્ય છે. પારસી સમુદાયે હંમેશા રાષ્ટ્રને વધુ આપવાનો સંકલ્પ જાળવ્યો છે અને સમાજને જોડવાની, સંસ્કારોને જાળવવાની અને લોકકલ્યાણની દિશામાં અડગ કામગીરી કરી છે. તેમણે ઉમેર્યું કે જે વ્યક્તિ બીજાનો બની જાય અથવા બીજાને પોતાનું બનાવી લે તે જ સાચા અર્થમાં સફળ વ્યક્તિ ગણાય.

રાજ્યપાલે પારસી સમુદાયના આંતરિક સ્વીકાર અને ભારતીય સંસ્કૃતિ સાથે એકરૂપતા વિશે વાત કરતા મહારાજા જયસિંહ અને પારસી આગમનનો ઐતિહાસિક ઉલ્લેખ કર્યો હતો. દૂધમાં સાકર ભળી જાય તેવી તેમની ઉપમા દ્વારા તેમણે જણાવી કે પારસી સમાજ ભારતની વૃદ્ધિમાં ઉમદા રીતે ભળ્યો છે અને દેશના અનેક ક્ષેત્રોને આગળ વધારવામાં યોગદાન આપ્યું છે.

તેમણે ખાસ કરીને ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે પારસી નેતાઓના કાર્યને રેખાંકિત કર્યું. ટાટા ગ્રુપ દ્વારા દેશને મળેલી પહેલી સ્ટીલ ફેક્ટરી, પહેલી આધુનિક હોટલ, પહેલી હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને પ્રથમ ઉચ્ચ ટેક્નિકલ સંસ્થાઓનાં યોગદાનની યાદ અપાવી હતી. સાથે જ કોરોના સમયગાળા દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાના યોગદાનનો પણ આ તકે ઉલ્લેખ કર્યો, જેમણે ઝડપી વેક્સિન ઉપલબ્ધ કરાવીને રાષ્ટ્ર અને વિશ્વ બંનેનું રક્ષણ કર્યું.

દેશની આર્થિક રાજધાની મુંબઈને ઉભી કરવામાં પારસી સમાજની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે એમ જણાવીને રાજ્યપાલે  દાદાભાઈ નવરોજી, ફિલ્ડ માર્શલ સેમ માણેકશા અને અન્ય મહાનુભાવોનું સ્મરણ કર્યું. આ પ્રસંગે રાજ્યપાલે પારસી સિનિયર સિટિઝન હોમને સમાજની સંસ્કૃતિ અને માનવતાના પ્રતીક તરીકે ગણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા સૂત્ર “વિકાસ ભી, વિરાસત ભી”ને ધ્યાનમાં રાખીને પારસી સમાજ આગામી સમયમાં પણ રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિય ભૂમિકા ભજવશે એમ રાજ્યપાલશ્રીએ આશાવાદ વ્યક્ત કર્યો.

પારસી સમુદાયના ધાર્મિક વડા દસ્તુરજી ખુર્શીદ દસ્તુરે ટ્રસ્ટની કામગીરીને આવકારી હતી અને સમાજસેવામાં આપેલા યોગદાનને પ્રશંસિત કર્યા. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી પીરુઝ ખંભાતાએ રાજ્યપાલશ્રીને સોશિયલ રિફોર્મર તરીકે સંબોધ્યા અને રાજ્યપાલશ્રીના માર્ગદર્શનમાં પ્રાકૃતિક કૃષિ અને વૈદિક અભ્યાસ ક્ષેત્રે ચાલી રહેલા અભિયાનોની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં AKBTના ટ્રસ્ટીશ્રીઓ, પારસી ધાર્મિક નેતાઓ અને દેશભરના પારસી પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

CM યોગીની સુરક્ષામાં ખામી: વ્યક્તિએ સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કર્યો

વારાણસીના નમો ઘાટ પર આયોજિત કાશી તમિલ સંગમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સામે એક શંકાસ્પદ યુવકે સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કરતા ગભરાટ ફેલાયો હતો. કાર્યક્રમમાં સુરક્ષા કડક હતી, પરંતુ તે યુવાન હજુ પણ સામેથી સીધો સ્ટેજ પર પહોંચવામાં સફળ રહ્યો. જેમ જેમ તે સ્ટેજની નજીક પહોંચ્યો, સુરક્ષા કર્મચારીઓએ તેને સમયસર અટકાવ્યો અને નીચે ખેંચી લીધો. ત્યારબાદ તેને તાત્કાલિક પોલીસને સોંપવામાં આવ્યો.

માહિતી અનુસાર, ધરપકડ કરાયેલ યુવાન જોગીન્દર ગુપ્તા ઉર્ફે બાલા છે, જે વારાણસીના ચૌબેપુર ક્ષેત્રના બાજરિયા વિસ્તારનો રહેવાસી છે. પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે સંપૂર્ણપણે નશામાં હતો. જોગીન્દર વારાણસી સિટી સ્ટેશન પર પાણી વેચે છે. ઘટના સમયે, તે સીધો મુખ્યમંત્રી સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન, જોગીન્દરે જણાવ્યું હતું કે તે તેના ચૌબેપુર વિસ્તારમાં કાદીપુર રેલ્વે સ્ટેશન નજીક દારૂ પીધા પછી રેલ્વે ટ્રેક પર લોકોના મૃત્યુની ઘટનાઓથી પરેશાન હતો. તેણે કહ્યું કે આ વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ થવું જોઈએ અને તે આ મુદ્દે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માંગે છે. જોકે, કાર્યક્રમમાં ભીડ અને સુરક્ષાને કારણે, તે સ્ટેજ પર પહોંચી શક્યો ન હતો અને સુરક્ષા ટીમ દ્વારા તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઘટના બાદ, આદમપુર પોલીસ સ્ટેશન યુવાનને સ્ટેશન લઈ ગયો. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને લિયુ (લિયુ) સહિત અનેક એજન્સીઓ તેની સતત પૂછપરછ કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું તે યુવાન એકલો આવ્યો હતો કે પછી કોઈ અન્ય કારણ હતું. જો કે, અત્યાર સુધીની તપાસ નશાનો કેસ અને મુખ્યમંત્રી સુધી પોતાની સમસ્યા પહોંચાડવાનો પ્રયાસ લાગે છે.

પંચાંગ 03/12/2025

“સંચાર સાથી” મોબાઇલ એપ પર જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ “સંચાર સાથી” મોબાઇલ એપ અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા છે. સંસદમાં મીડિયાના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે જો લોકો “સંચાર સાથી” એપનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તેઓ તેને અનઇન્સ્ટોલ કરી શકે છે. આ મોબાઇલ એપને દરેક માટે સુલભ બનાવવાની સરકારની ફરજ છે, પરંતુ વપરાશકર્તાઓ પાસે તેને તેમના ઉપકરણો પર રાખવી કે નહીં તે પસંદગી છે.

કંપનીઓને એપ્સ પ્રી-લોડ કરવાનો આદેશ

દૂરસંચાર વિભાગે સ્માર્ટફોન ઉત્પાદકોને મોબાઇલ હેન્ડસેટ પર “સંચાર સાથી” મોબાઇલ એપને એવી રીતે પ્રી-લોડ કરવાનો આદેશ આપ્યો છે કે જેથી તે દૂર ન થાય. જોકે, વિપક્ષે આ આદેશનો વિરોધ કર્યો છે, તેને મૂળભૂત અધિકારોનું ઘોર ઉલ્લંઘન અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે. પ્રિયંકા ગાંધી અને ઇમરાન મસૂદે કેન્દ્ર સરકાર પર સરમુખત્યારશાહીનો આશરો લેવાનો અને દેશને ઉત્તર કોરિયામાં ફેરવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ એપ મોબાઇલ યુઝર્સની સલામતી માટે છે

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે જ્યારે વિપક્ષને કોઈ સમસ્યા ન હોય ત્યારે તેઓ કંઈક શોધવાનો પ્રયાસ કરે છે, પરંતુ અમે આમાં તેમને મદદ કરી શકતા નથી. સરકારનું કર્તવ્ય મોબાઇલ યુઝર્સને મદદ કરવાનું અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. સંચાર સાથી એપ દરેક યુઝરને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્ષમ બનાવશે. સંચાર સાથી વેબ પોર્ટલ પર 200 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ છે, અને આ એપ 15 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ છે. જરા જુઓ કે આ એપ કેટલા લોકોને ફાયદો કરાવી રહી છે.

આ એપ દ્વારા 2 મિલિયન ચોરાયેલા ફોન શોધી કાઢવામાં આવ્યા

સંચાર સાથી એપ દ્વારા આશરે 17.5 મિલિયન નકલી મોબાઇલ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. લગભગ 2 મિલિયન ચોરાયેલા ફોન શોધી કાઢવામાં આવ્યા છે, અને આશરે 750,000 ચોરાયેલા ફોન તેમના માલિકોને પરત કરવામાં આવ્યા છે. આ બધું સંચાર સાથીને કારણે શક્ય બન્યું છે. આ એપ જાસૂસી કે કોલ મોનિટરિંગ માટે નથી; તે ગ્રાહકોની સુરક્ષા માટે છે. હું ગેરસમજો દૂર કરવા માંગુ છું અને કહેવા માંગુ છું કે વપરાશકર્તાઓ તેમની ઇચ્છા મુજબ એપને સક્રિય-નિષ્ક્રિય કરી શકે છે.