Home Blog Page 423

ભારતીય અર્થતંત્રના GDPમાં નોંધપાત્ર ઉછાળોઃ : Qમાં 8.2 ટકાએ

નવી દિલ્હીઃ નેશનલ સ્ટેસ્ટિક્સ ઓફિસે (NSOએ) નાણાકીય વર્ષ 2025-26ની બીજી ત્રિમાસિક (Q2) માટે ભારતમાં GDP વૃદ્ધિ દર જાહેર કર્યો હતો. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર (GDP) 8.2 ટકાના દરે વધ્યો છે. નોંધનીય વાત એ છે કે એ છેલ્લા છ ત્રિમાસિકમાં એ સૌથી વધુ છે.

આ સાથે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક સમયગાળામાં GDPનો વૃદ્ધિ દર 5.6 ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ–જૂન (Q1) ત્રિમાસિકમાં વૃદ્ધિ 7.8 ટકા રહ્યો હતો. GST દરોમાં ઘટાડા બાદ વપરાશ વધવાની આશામાં કારખાનાંઓએ ઉત્પાદન વધારી દીધું, જેને કારણે વૃદ્ધિદરમાં તેજ ઉછાળો જોવા મળ્યો. સત્તાવાર આંકડા મુજબ બીજા ત્રિમાસિક દરમિયાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર 9.1 ટકા વધ્યું. ગયા નાણાકીય વર્ષની સમાન સમયગાળામાં આ વૃદ્ધિ માત્ર 2.2 ટકા હતી. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો દેશની GDPમાં લગભગ 14 ટકા હિસ્સો છે.

ભારતીય અર્થતંત્રના 28 નવેમ્બરે જાહેર થયેલા ડેટા મુજબ સતત ત્રીજા ત્રિમાસિકમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. જુલાઈ–સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો વૃદ્ધિ દર છ ત્રિમાસિકમાં સૌથી વધુ 8.2 ટકા રહ્યો છે. જ્યારે ગયા ત્રિમાસિકમાં GDP વૃદ્ધિ દર 7.8 ટકા હતો. આ ઉપરાંત આજના આંકડા RBI ના 7 ટકા ના અંદાજ કરતાં પણ સારા રહ્યા છે. વૃદ્ધિમાં સતત જોવા મળતી મુવમેન્ટથી આ શક્યતા મજબૂત થાય છે કે FY26માં ભારતનો GDP વૃદ્ધિ દર લગભગ 7 ટકા રહી શકે, જો અર્થતંત્રની આંતરિક મજબૂતી બીજા અર્ધવાર્ષિકમાં પણ યથાવત્ રહે.એક સર્વેમાં અર્થશાસ્ત્રીઓને આશા છે કે આખા વર્ષની સરેરાશ વૃદ્ધિ 6.9 ટકા રહેશે. જ્યારે RBI એ 6.8 ટકા વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે. અનેક નિષ્ણાતોનું માનવું છે કે ત્રીજા ત્રિમાસિક પણ વૃદ્ધિના દ્રષ્ટિકોણે સારો રહેશે. ત્રીજા ત્રિમાસિકને 22 સપ્ટેમ્બરથી લાગુ થયેલા GST રેટમાં ઘટાડા બાદ વધેલા કન્ઝમ્પશનથી સહારો મળશે.

IMFએ રિપોર્ટમાં નાણાકીય પરિસ્થિતિને કાબૂમાં રાખીને ઊંચી વૃદ્ધિ જાળવવા સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ઘરેલું માગ ભારતના વિકાસનો મુખ્ય આધાર બની રહી છે.

કર્ણાટકમાં મુખ્ય મંત્રી બનવા DK શિવકુમાર કરશે બળવો?

બેંગલુરુઃ કર્ણાટકમાં ડી.કે. શિવકુમાર અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વચ્ચે ઘણાં વર્ષોથી રાજકીય તણાવ ચાલે છે. મુખ્ય મંત્રીની ખુરશી અંગે આખા રાજકીય માહોલમાં ગરમાટો આવ્યો છે. એ દરમ્યાન ભાજપે  દાવો કર્યો છે કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર પડી શકે છે. ભાજપના નેતા સુનીલ કુમારે તો અવિશ્વાસ પ્રસ્તાવની વાત પણ કરી છે.

કર્ણાટક વિધાનસભાનું ગણિત

કર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠકો છે, એટલે કોઈ પણ પક્ષને સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર પડે છે. 2023ના ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર પ્રદર્શિત કરી 135 બેઠકો જીતી હતી. ભાજપના તમામ પ્રયાસ છતાં માત્ર 66 બેઠકો મેળવી શકી હતી. જ્યારે JDSના ખાતામાં 19 બેઠકો ગઈ હતી.

હવે જો BJP અને JDS ની બેઠકો જોડીએ તો કુલ 85 બેઠકો થાય છે. એનો અર્થ એ છે કે આ ગઠબંધન બહુમતીથી 28 બેઠકો દૂર છે. જો કોઈ રીતે 28 બેઠકો મળી જાય, તો BJP–JDS ગઠબંધન 113ની બહુમતી સુધી પહોંચી શકે છે.

શું ડી.કે. શિવકુમાર બળવો કરી શકે?

રાજ્યમાં આખું સમીકરણ ત્યારે જ બદલાઈ શકે છે જ્યારે ડી.કે. શિવકુમાર કોંગ્રેસથી નારાજ થઈ બળવો કરે. જો તેઓ આશરે 30 ધારાસભ્યોને પોતાના સાથે કરી લે, તો કર્ણાટકમાં સત્તા પરિવર્તનનો માર્ગ તૈયાર થઈ શકે છે. એવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે કે શિવકુમાર મહારાષ્ટ્રના એકનાથ શિંદેની જેમ, બળવા બાદ મુખ્ય મંત્રીના પદ સુધી પહોંચી શકે છે.

શિવકુમારના સમર્થનમાં કેટલા ધારાસભ્યો?

ડી.કે. શિવકુમાર કેટલા ધારાસભ્યો પર પ્રભાવ ધરાવે છે તે અંગે કોઈ સત્તાવાર અથવા સ્પષ્ટ આંકડા ઉપલબ્ધ નથી. જોકે શિવકુમારે પોતે દાવો કર્યો છે કે તેમના પાસે આશરે 138 ધારાસભ્યોનું સમર્થન છે. આ દાવો કેટલો સાચો છે, તે આવતા દિવસોની રાજકીય પરિસ્થિતિ નક્કી કરશે.

વન ડે… વન સ્ટેપ…

ગયા રવિવારે મેં `સાફસફાઈ’ કાર્યક્રમ હાથમાં લીધો હતો. મિશન હતું, દસ્તાવેજો, ડાયરીઓ, પુસ્તકોમાંથી શું જોઈએ અને શું નહીં તે જોવાનું. જોઈએ તે વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીને મૂકવી અને નહીં જોઈતી વસ્તુઓ કાઢી નાખવાનું નક્કી કર્યું. છેલ્લાં દસ વર્ષમાં ભેગી થયેલી ઘણી બધી ડાયરીઓ, પુસ્તકો મળ્યાં, તેની પરથી નજર ફેરવતાં અનેક યાદો ઉજાગર થઈ. દરેક ડાયરીમાં અનેક પ્લાન્સ હતા. તેમાંથી અમુક બિઝનેસ સંબંધિત હતા તો અમુક પર્સનલ. દરેક ડાયરીનો પચીસ ટકા ભાગ પ્લાનિંગથી વ્યાપ્ત હતો. હવે સમયાંતરે તે પ્લાનિંગ તરફ જોવાની મજા આવતી હતી. અમુક પ્લાન્સ વાસ્તવમાં ઊતર્યા તો અમુક તે કાગળની આગળ ગયા જ નહીં. ચોક્કસ કેટલા વાગ્યે ઊઠવાનું? ઊઠ્યા પછી વાંચન કરવાનું કે મનન-ચિંતન કે યોગ? મોર્નિંગ વોકમાં ક્યારે જવાનું, કેટલા વાગ્યે અને કેટલો સમય ચાલવાનું? સ્વિમિંગ અઠવાડિયામાં બે વાર કે ત્રણ વાર કે કયા-કયા સમયે કરવા જવાનું? મસલ સ્ટ્રેન્ગ્થ વધારવું તો મસ્ટ છે, જેથી જિમ બે દિવસ જવું જ જોઈએ, પરંતુ તે માટે સમય સવારનો કે સાંજનો? અઠવાડિયામાં એક દિવસ મસાજ સ્પાની જરૂરી છે તે કયો દિવસ રાખવાનો? સવારે જ્યુસ પીવો કે કાઢો કે ગરમ પાણી લીંબુ? કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન્સ અને ફેટ્સમાં આળોટેલાં અનેક પાનાં તે ડાયરીઓમાં હતાં. આ ડાયરીઓ અથવા પુસ્તકો છેલ્લાં દસ- બાર વર્ષનાં હતાં, જે કહેતાં હતાં શું સારું છે અને શું ખરાબ છે. આજે આખી દુનિયા સસ્ટેનેબિલિટીનો ઊહાપોહ કરી રહી છે અથવા અનેક ઠેકાણે તેનો `શો ઓફફ’ દેખાઈ રહ્યો છે. તે સસ્ટેનેબિલિટી માટે જરૂરી કન્ઝિસ્ટન્સી અને કન્ટિન્યુઈટી મારા આ પ્લાનિંગમાં દેખાઈ છતાં વાસ્તવમાં તે પ્લાનિંગની જેમ બધું થયું નહીં. હું સાતત્યતા રાખી નહીં શકું એ માન્ય કરવું જોઈએ. આપણી નિષ્ફળતા સ્વીકારવી જોઈએ કે નહીં. ઉપરાંત સફળતા શું અને નિષ્ફળતા માટે કયો માર્ગ પસંદ કરવો તે કઈ રીતે સમજાશે? આ ડાયરીઓનાં પાનાં પલટાવતી વખતે આ સર્વ મામલો સામે આવ્યો હોવા છતાં અમુક બાબતો આપણે નક્કી કરીએ તે રીતે થતી નથી તે બહુ અગાઉથી ધ્યાનમાં આવ્યું હતું. તેમાં કોવિડે દુનિયાને ગ્રસ્ત કર્યું અને જીવનની ક્ષણ ભંગુરતાનું ભાન થયું. `બહુ દૂરનું બહુ મોટું પ્લાનિંગ નહીં કરવું જોઈએ’ એવી સલાહ જ જાણે તે કોવિડ આપણને આપી ગયો. ટેકનોલોજીમાં થતા બદલાવ તો અનેક બાબતોના અસ્તિત્વને જ શેહ આપી રહ્યા છે. એમેઝોનના જેફ બેસોજને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું, `આગામી દસ વર્ષ માટે શું પ્લાનિંગ છે તમારું?’ તેમણે કહ્યું, ‘ટેકનોલોજી એટલી બદલાઈ રહી છે કે આટલું લોંગ ટર્મ પ્લાનિંગ કરી શકતો નથી. જસ્ટ આગામી ત્રણ વર્ષનો વિચાર કરી રહ્યો છું અને તે પણ સાવધ રહીને.’ આ વિરાટ કંપનીઓ પણ જો આગળનું પ્લાનિંગ કરવા ખચકાટ અનુભવતી હોય તો પછી આપણી બાબતમાં અનેક વાત પ્લાનિંગ પ્રમાણે નહીં બને તો`ઈટ્સ ઓકે’ કહીને મેં પોતાની મનાવી લીધી. જો કે મનથી મને તે ઓકે લાગતું નહોતું.

થોડા સમય પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામીના શિષ્યોમાંથી જ્ઞાનવત્સલ સ્વામીનું પોડકાસ્ટ સાંભળતી વખતે તેમણે સંભળાવેલો એક વિચાર મનમાં ઘર કરી ગયો. તે હતો,`વધુ કશું કરવાની જરૂર નથી, ફક્ત આજે રાત્રે આવતીકાલે શું કરવાનું છે તે નક્કી કરો. એક કાગળ પર લખી પણ રાખો, પરંતુ  ફક્ત એક દિવસનું – આવતીકાલનું જ પ્લાનિંગ કરો અને તે અનુસાર પ્રથમ કમ સે કમ એકવીસ દિવસ અને મહત્તમ નેઉ દિવસ, ત્રણ મહિના સતત તે બાબત કરો. જીવન બદલાઈ જશે.’ એક જાન્યુઆરીના કરેલું વર્ષનું પ્લાનિંગ એક મહિનો પણ ક્યારેય ટક્યું નહીં. તેના કરતાં આ સારું છે. ફક્ત આવતીકાલે શું કરવાનું તે મને નક્કી કરવાનું છે અને તે મનઃપૂર્વક પૂર્ણ કરીને જ રહેવાનું છે. આ આસાન છે અને કરવા જેવું પણ છે. એક દૂરનો ધ્યેય અથવા લોંગ ટર્મ ગોલ આપણે નક્કી કરેલો જ હોય છે. તે દિશામાં આગળ વધવાનું ચાલુ હોય છે, પરંતુ વચ્ચે આપણો બહુ સમય વેડફાઈ જાય છે તે ધ્યેય તરફ લઈ જતા દરેક દિવસનું યોગ્ય નિયોજન નહીં કરવાથી. તેને વશમાં લેતાં આવડવું જોઈએ.

થોડાં વર્ષ પૂર્વે મેક્સિકોના યુકાતાન પેનિનસુલામાં માયન સામ્રાજ્યનું મહત્ત્વ કહેતા ચિચેન ઈત્ઝામાં ગઈ હતી. ઘણાં બધાં પગથિયાં ચઢીને ઉપર જવાનું હતું. હાંફતી હાંફતી પસીનાથી રેબઝેબ થઈને પગથિયાં ચઢતી હતી અને વચ્ચે જ `અરે બાપ રે હજુ કેટલું બધું ચઢવાનું છે, કેટલું દૂર દેખાઈ રહ્યું છે માથું?’ એવી બડબડ ચાલુ જ હતી. પછી સુધીરે કહ્યું, `વીણા એક વાત જણાવ, તને ક્યાં પહોંચવાનું છે તેની જાણ છે. રસ્તો પણ તારી સામે છે. હવે ઉપર નહીં જો, દરેક પગથિયાં પાસે જો, એક-એક પગથિયું ચઢતી રહે. થાક લાગશે નહીં. વન સ્ટેપ એટ અ ટાઈમ.’ અને ખરેખર મેં ઉપર જોવાનું છોડી દીધું, પગથિયાં ચઢતી રહી અને રીતસર ચિચેન ઈત્ઝાના માથા પર પહોંચી ગઈ. સુધીરની સલાહથી મારો થાક ઓછો થયો હતો. પતિદેવોને પણ ઘણું બધું સમજાય છે!

જીવનમાં આપણે આવા નાના પ્રસંગોમાંથી શીખીએ છીએ, ક્યારેક સાંભળવા મળતા વિચારોમાંથી, અન્યોના અનુભવમાંથી. હવે આજ જુઓ ને, જ્ઞાનવત્સલ સ્વામીની સલાહ કે ચિચેન ઈત્ઝાનો અનુભવ, એક જ વાત કહે છે, `બહુ આગળનો વિચાર કરીને તે વિચારથી થાકી નહીં જાઓ.’

જે વ્યક્તિએ ભારતમાં બિગ બઝાર, પેન્ટાલૂન્સ જેવાં રિવોલ્યુશનરી સાહસો સૌપ્રથમ સફળ કરી બતાવ્યાં તે કિશોર બિયાની નામે એક ગ્રેટ માર્કેટિંગ પર્સનાલિટીની ઘણી બધી મુલાકાતો પોડકાસ્ટ પર ઉપલબ્ધ છે. તેમાંથી એક મુલાકાતમાં પોડકાસ્ટર રાજ શમાનીએ તેમને પ્રશ્ન પૂછ્યો, `આપ ક્યા સલાહ દેના ચાહોગે યંગ જનરેશન કો?’ તેનો ઉત્તર, `બહુત બડા સોચને કી જરૂરત નહીં।’ પોડકાસ્ટર પૂછે છે, `આપ યે બોલ રહે હો?’ તેમણે કહ્યું, `ખુદ કે અનુભવ સે બોલ રહા હૂં.’ તેમના તે પ્રામાણિક અનુભવ પરથી કરવામાં આવેલા વિધાનથી રૂવાડાં ઊભાં થઈ ગયાં. સફળતાના શિખર પર પહોંચેલા એક રિવોલ્યુશનરી અને મોટી નિષ્ફળતાથી ડગમગ્યા વિના ફરી જીવનના ગણિતો ઉકેલનારા આ સેલ્ફ-મેડ વ્યક્તિનાં અનેક સંભાષણો યુટ્યુબ પર ઉપલબ્ધ છે. તે જરૂર સાંભળો. ફ્રોમ ઝીરો ટુ હીરો ટુ ઝીરો ટુ હીરો… અનુભવમાંથી શીખવાનો તે જાણે ખજાનો જ છે.

આજની તેજ ગતિની, તણાવગ્રસ્ત અને અનિશ્ચિતતાથી ભરચક દુનિયામાં અનેક બાબતો આપણા કંટ્રોલ બહાર છે. અને તેથી જ જે બાબત આપણા હાથમાં છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં શાણપણ છે. એક લીડરશિપ મીટમાં અમે બધાએ મળીને એક મંત્ર લીધો. સવારે ઊઠ્યા પછી પોતાને પૂછવાનું કે, `આજનો દિવસ હું કઈ રીતે વિતાવવાનો છું.’ એક્ચ્યુઅલી વિતાવવા કરતાં અહીં કઇ રીતે ઉપયોગમાં લાવવાના છો તે બાબત મહત્ત્વની છે. કારણ કે આજના દિવસની દરેક પળ ઈન્વેસ્ટમેન્ટ છે મારા ઉજ્જવળ ભવિષ્ય માટેની. અને સાંજે ઓફિસમાંથી નીકળતી વખતે અથવા રાત્રે સૂતી વખતે હું પોતાને પ્રશ્ન પૂછીશ કે, `આજનો દિવસ સારો ગયો કે નહીં?’ કે મારા મનમાં એક સમાધાન હશે, `આજ કા દિન અચ્છા ગયા!’ આ સમાધાન આમ જ મળતું નથી. તે માટે સવારથી રાત સુધી તે દિવસની દરેક પળ પર, મિનિટ પર, કલાક પર આપણે હકારાત્મક રીતે જાગૃત રહીને સાવધતાથી કામ કરવું પડે છે અને તે કર્યા પછી રાત્રે જે કાંઈ સમાધાન મળે છે તેની ખુશી ફક્ત શબ્દાતીત.

સ્ટીવ જોબ્જના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સુપ્રસિદ્ધ ભાષણમાં `સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ’ આપણા ધ્યાનમાં રહી જાય છે પરંતુ સંપૂર્ણ ભાષણનું પારાયણ કર્યા પછી ધ્યાનમાં આવે કે તેમના દરેક નિર્ણયની પાછળ `આજે શું કરવાનું છે’ એ સ્પષ્ટ હતું. તેઓ કહેતા જીવન જીવતી વખતે આગળનું ચિત્ર ક્યારેય સ્પષ્ટ દેખાતું નથી.પરંતુ પાછળ વળીને જોઈએ એટલે દરેક પળ, દરેક નિર્ણય એકબીજા સાથે જોડાયેલો હોય તેવું લાગે છે. તે સમયે જાણે તે નક્કી જ હતું. આથી જ આજની કૃતિ, તે ડોટ મહત્ત્વનો નીવડે છે. આવતીકાલે પાછળ વળીને જોયા પછી સમાધાન આપે છે. દ્રોણાચાર્યએ શિષ્યોની પરીક્ષા લીધી અને તમને સામે શું દેખાય છે એવું પૂછ્યું ત્યારે તેમણે જંગલ, ઝાડ, ડાળખીઓ, પક્ષી, આકાશ એવા ઉત્તરો આપ્યા. અર્જુને કહ્યું, `મારી નજર સામે ફક્ત પક્ષીની આંખ છે.’ યુગયુગથી માર્ગદર્શન કરતા આ દાખલા એ જ કહે છે, `હમણાં શું કરવાનું છે તેની પર ધ્યાન કેન્દ્રિત કરો.’ એકાદ દિવસ, એકાદ વિચાર, એકાદ વાક્ય, એકાદ નિર્ણય આપણા જીવનનો ટર્નિંગ પોઈન્ટ નીવડી શકે છે. ગાંધીજી પોતાને પ્રશ્ન પૂછે છે, `આજે કયા સત્ય માટે ઊભા રહેવાનું છે?’ દાંડી યાત્રાનો દાખલો આપણને કહે છે કે દરરોજનું એક પગલું લાગતું હોય તો પણ તેનું સામર્થ્ય દુનિયાને હચમચાવનારું હતું. જેફ બેસોઝે એમેઝોન શરૂ કરતી વખતે સંપૂર્ણ રોડમેપ નક્કી કર્યો નહોતો, પરંતુ વોલ સ્ટ્રીટ પર એક સ્ટેબલ જોબ કરતી વખતે પોતાને પ્રશ્ન પૂછ્યો. એંશી વર્ષનો થયા પછી મને કઈ બાબત વધુ ત્રાસ આપશે, મને જે કરવાનું મન થાય છે તેમાં આવેલી નિષ્ફળતા કે તે નહીં કર્યાનો અફસોસ? અને તેણે એક પળમાં નિર્ણય લઈને નોકરી છોડી અને એક-એક પગથિયું ચઢીને દુનિયાની સૌથી મોટી કંપની ઊભી કરી. દરેક બાબત પ્લાન નહીં કરી શકાય, પરંતુ તે નિર્ણયની પળ મહત્ત્વની હોય છે અને તે પછી દરેક દિવસે સતત હકારાત્મકતાથી અને આત્મવિશ્વાસથી કરેલી કૃતિ આવશ્યક છે. ચંદ્રયાન જેવા મિશન્સ એક જ દિવસમાં પાર પડતા નથી. વર્ષોવર્ષ પ્રયાસ, ભૂલોમાંથી શીખવું, દરરોજ પોતાને પૂછવું `આજે શું સુધારી શકાશે?’ આ વૃત્તિને લીધે જ અસાધારણ સફળતા મળી શકે છે તે ઈસ્રોએ બતાવી દીધું છે. હજારો વર્ષથી ઋષિ, તપસ્વી કોઈ પણ લોંગ ટર્મ પ્લાન નહીં કરતાં ફક્ત `એક દિવસ, એક મંત્ર, એક ધ્યાન’ના નિત્યક્રમનું  પાલન કરીને `જીવન એટલે તેએક દિવસ ફક્ત, તેની પર ધ્યાન કેન્દ્રિત કરો’ એવો સંદેશ આપી રહ્યા છે.

બે વર્ષ પૂર્વે અબુ ધાબીમાં ગઈ હતી. ત્યાંના તે અતિવિશાળ ગેલેરિયા મોલમાં અમે ટાઈમપાસ કરતાં હતાં. માસિમો દુતીના વિંડો ડિસ્પ્લેમાં એક મેકેકનને સફેદ ટી-શર્ટ પહેરાવવામાં આવ્યું હતું. સુધીરે કહ્યું, `કશું પણ થાય તોય આ ટી-શર્ટ મારે પહેરવું જ છે. થોડું મોંઘું હોય તો પણ મારા લાડ મારે જ નહીં કરવા જોઈએ?’. `એવું તે શું છે તેમાં?’ પતિદેવનો સ્વાભાવિક પ્રશ્ન. `અરે તેની પર શું લખ્યું છે જો. મારી હાલની જીવનશૈલી છે તે. આય એમ ફોલોઈંગ ઈટ સક્સેસફુલી.’ `અરે મુંબઈમાં જઈને એકસાદું ટી-શર્ટ લઈ લે અને તેની પર આ મેસેજ પેઈન્ટ કરાવી નાખ. વન ટેન્થમાં કામ થઈ જશે.’ `નો નો, આ મેં પહેલી વાર અહીં જોયું છે અને મને તે ઓરિજિનલ સ્વરૂપમાંજ જોઈએ. સમ થિંગ્સ આર પ્રાઈસલેસ.’ `જો તારો વિચાર આટલો પાક્કો હોય તો વિચાર જ શા માટે કરે છે? પૈસા તારા, ઈચ્છા તારી, વિચાર તારો, કર જે કરવાનું છે તે.’ એકંદરે પતિદેવના કોઈ પણ સંભાષણને આપણને જોઈએ તે દિશામાં વાળવાની આપણે મહિલાઓની અભિજાત હથોટી હોવાથી હું તે શોરૂમમાં ઘૂસી અને તે ટી-શર્ટ લઈને જ બહાર નીકળી. હવે તો ટી-શર્ટ એકાદ દાગીનાની જેમ મારા કબાટમાં બિરાજમાન થયું છે. થોડા દિવસ પછી હું તેને ફ્રેમ કરીને સામે લગાવવાની છું. અને શા માટે નહીં કરવું જોઈએ. મારું જીવન તેણે સુસહ્ય  કર્યું છે. `ઈતના તો ગ્રેટિટ્યુડ બનતા હી હૈ।’ આ મેસેજ સાધારણ લાગે છે, પરંતુ તેમાં પ્રચંડ શક્તિ છે. દરેક પળને સુવર્ણમય કરવાની તાકાત આપનાર, તે ટી-શર્ટ પરનો વિચાર છે, `વન ડે એટ અ ટાઈમ!’

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

સિદ્ધર્થ-કિયારાએ દીકરીનું નામકરણ કર્યુ, જોઈ લો પહેલી ઝલક

અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની પુત્રીના જન્મના 3 મહિના બાદ તેણીની એક ઝલક બતાવી છે. આ સાથે જ દીકરીના નામની પણ જાહેરાત કરી છે. નામ બંને સેલિબ્રિટીના નામનું મિશ્રણ છે. જાણીએ સિદ્ધાર્થ અને કિયારાએ પોતાની લાડલીનું શું નામ રાખ્યું?

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જુલાઈમાં તેમની પુત્રીનું સ્વાગત કર્યું. શુક્રવારે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સમક્ષ તેમની પુત્રીનું નામ જાહેર કર્યું. તેમણે તેમની રાજકુમારીનું નામ “સરાયાહ” રાખ્યું છે. ચાહકો માને છે કે આ નામ તેમના પોતાના નામ જોડીને બનાવવામાં આવ્યું છે. પરંતુ તેનો અર્થ શું છે?

સરાયાહ નામના અનેક અર્થો

કિયારા અને સિદ્ધાર્થની પુત્રી સરાયાહના સંસ્કૃત અને અરબીમાં અલગ અલગ અર્થો છે. સંસ્કૃતમાં, નામનો અર્થ સાર અથવા તત્વ થાય છે. અરબીમાં, સરાયાહનો અર્થ શુદ્ધ અથવા સન્માનથી ભરેલો થાય છે. હિબ્રુમાં, નામનો અર્થ રાજકુમારી થાય છે. આ નામ તેજ અને સૌમ્ય શબ્દો સાથે પણ સંકળાયેલું છે. સૌમ્ય એટલે કોમળ.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

તેઓ પોતાની દીકરીને ભગવાનનો આશીર્વાદ માને છે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પોતાની પોસ્ટમાં પોતાની દીકરી સરાયાહને ભગવાનનો આશીર્વાદ ગણાવી છે. તેમના માટે તેની નાનકડી લાડલી કોઈ રાજકુમારીથી ઓછી નથી. કિયારાએ પોતાની દીકરીને ઉછેરવા માટે કારકિર્દીમાંથી બ્રેક લીધો છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાના કામની વાત કરીએ તો તેતાજેતરમાં ફિલ્મ “પરમ સુંદરી” માં દેખાયો હતો. આવતા વર્ષે તે ફિલ્મ “વન” માં જોવા મળશે. તે હાલમાં આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જે એક હોરર શૈલીની ફિલ્મ છે. સિદ્ધાર્થે તાજેતરમાં જ તેના વાલીપણાની વાત કરતા કહ્યું કે તે પિતા તરીકેની બધી જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે.

પિતા છે કે નહી, તેના કોઈ પુરાવા નથીઃ  ઇમરાન ખાનના પુત્રનો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની તબિયત અંગે સોશિયલ મિડિયા પર ફેલાતી અટકળો વચ્ચે સરકાર અને પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (PTI)ના વરિષ્ઠ નેતાઓનાં નિવેદનો એકબીજાની વિરોધાભાસી રીતે સામે આવ્યાં છે. વડા પ્રધાનના રાજકીય બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહે સ્પષ્ટ કહ્યું છે કે ઇમરાન ખાન સંપૂર્ણ રીતે ઠીક છે. તેમની તબિયત અથવા સુરક્ષા અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમના જણાવ્યા મુજબ જેલ પરિષદ નિયમિત રીતે તેમની તબિયત, દવાઓ, ભોજન અને અન્ય સુવિધાઓનું ધ્યાન રાખી રહી છે.

બીજી તરફ ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને અત્યંત ચિંતાજનક નિવેદન આપતાં જણાવ્યું છે કે ગયા છ અઠવાડિયાથી તેમને તેમના પિતા જીવિત છે કે સુરક્ષિત – તેની કોઈ પણ પુરાવા મળ્યા નથી. કાસિમનો આરોપ છે કે સરકાર તેમના પિતાની હાલત છુપાવવા માટે સંપૂર્ણ બ્લેકઆઉટ અમલમાં મૂકી રહી છે.

કાસિમના જણાવ્યા અનુસાર ઇમરાન ખાનને 845 દિવસથી કેદમાં રાખવામાં આવ્યા છે અને છેલ્લા અનેક અઠવાડિયાથી તેમને અડિયાલા જેલના ડેથ સેલમાં એકાંતવાસમાં રાખવામાં આવ્યા છે, જ્યાં ન તો કુટુંબીજનોને મળવાની પરવાનગી છે, ન ફોન કોલ, અને ન કાનૂની સલાહકારોને મળવા દેવામાં આવે છે. તેમનો દાવો છે કે ઇમરાન ખાનની બહેનોને પણ- સ્પષ્ટ કોર્ટના આદેશ હોવા છતાં સતત મળતા રોકવામાં આવી રહી છે.

કાસિમે X પર લખ્યું હતું કે છ અઠવાડિયાથી ન તો કોઈ ફોન કોલ, ન કોઈ મુલાકાત, ન કોઈ સંદેશ – અમને કંઈ પણ મળ્યું નથી. મને અને મારા ભાઈને પિતાજી સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવી નથી. સરકારે પ્રૂફ ઓફ લાઈફ પૂરું પાડવાનું પણ ટાળ્યું છે.

કાસિમે આ પરિસ્થિતિને સિક્યોરિટી પ્રોટોકોલ નહીં, પરંતુ એક જાણીબૂજીને અપનાવવામાં આવેલી છુપાવાની નીતિ ગણાવી છે.તેમનો આરોપ છે કે આ બધું એ માટે કરવામાં આવી રહ્યું છે જેથી પરિવારને એ જાણ ન થઈ શકે કે ઇમરાન ખાન કઈ હાલતમાં છે અથવા તેઓ સુરક્ષિત છે કે નહીં.

 

TRPને નામે દર્શકોને મૂર્ખ બનાવવાનો ખેલઃ રૂ. 100 કરોડનું કૌભાંડ

નવી દિલ્હીઃ કેરળમાં TRPને નામે દર્શકોની આંખોમાં ધૂળ ઝોકવાની ઘટના સામે આવી છે. ટીવી રેટિંગ વધારવા માટે એક મોટા સ્કેમનો પર્દાફાશ થયો છે. આ સ્કેમમાં કેરળની એક ટીવી ચેનલના માલિક સાથે BARCનો કર્મચારી પણ સામેલ હતો. કેરળમાં TRP હેરાફેરીનો મોટો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં 100 કરોડના TRP સ્કેમનો ખુલાસો થયો છે. તેમાં કેરળ ટીવી ચેનલના માલિક અને BARC કર્મચારી વચ્ચે સાઠગાંઠ હોવાનું બહાર આવ્યું છે.

આ તપાસમાં ખૂલ્યું છે કે BARCનો કર્મચારી પૈસા લઈ રેટિંગ મીટર્સની માહિતી આપી દેતો હતો. મીટર આવેલા વિસ્તારોમાં તે ચેનલને લેન્ડિંગ પેજ પર બતાવવામાં આવતું હતું. આથી ચેનલનું રેટિંગ વધતું અને રેટિંગ વધારીને જાહેરાતો મેળવવાનો ખેલ ચાલુ હતો. કેરળ પોલીસે તપાસમાં પુરાવા પણ મેળવ્યા છે. કેરળ પોલીસે જણાવ્યું છે કે આ 100 કરોડ રૂપિયાનું સ્કેમ છે.

આ સ્કેમમાં વોટ્સએપ ચેટ અને ક્રિપ્ટોની મદદથી પૈસા લેવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. કેરળ ટેલીવિઝન ફેડરેશને તેની ફરિયાદ કરી હતી. ટીવી જાહેરાત ઉદ્યોગ લગભગ 50,000 કરોડ રૂપિયાનો છે. મલેશિયા અને થાઈલેન્ડમાં ફોન ફાર્મિંગનો કેસ પણ સામે આવ્યો છે. ફોન ફાર્મિંગ દ્વારા યુટ્યુબના વ્યૂઝ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

મનમાની રેટિંગના ખેલ પર લગામની તૈયારી

મનમાની રેટિંગને રોકવા માટે સરકારે રેટિંગ સિસ્ટમમાં સુધારા માટે ડ્રાફ્ટ જાહેર કર્યો છે. તેમાં એજન્સીને ઓછામાં ઓછા 1,20,000 મીટર લગાવવાનાં રહેશે. લેન્ડિંગ પેજનું રેટિંગ માન્ય ગણાશે નહીં. કોઈ પણ બ્રોડકાસ્ટર રેટિંગ એજન્સીમાં 20 ટકાથી વધુ હિસ્સેદારી રાખી શકશે નહીં. આ અંગે સરકારે ઈન્ડસ્ટ્રી પાસેથી 5 ડિસેમ્બર સુધી સૂચનો માગ્યાં છે.

શું OTT, યુટ્યુબ જોવા માટે પણ આધાર કાર્ડ ફરજિયાત બનશે?

નવી દિલ્હીઃ દેશમાં વારંવાર એવો આરોપ થાય છે કે લોકો, ખાસ કરીને બાળકો- OTT પ્લેટફોર્મ્સના ખૂબ વ્યસની થઈ રહ્યા છે. આવા આરોપોની વચ્ચે હવે શંકા વ્યક્ત થઈ રહી છે કે શું સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવેલું માર્ગદર્શન OTT પ્લેટફોર્મ્સ પર નિયંત્રણ વધારવાની દિશામાં એક પગલું ગણાશે? કારણ કે સુપ્રીમ કોર્ટે એવું સૂચન કર્યું છે કે નેટફ્લિક્સ અને યુટ્યુબ જોવા માટે આધાર કાર્ડ જરૂરી બનાવવું જોઈએ.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે નેટફ્લિક્સ, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવાં OTT પ્લેટફોર્મ્સ પર આધાર આધારિત વય-સત્યાપન ફરજિયાત કરવું જોઈએ, જેથી અશ્લીલ અને 18+ સામગ્રી બાળકોની પહોંચથી દૂર રાખી શકાય.

સુપ્રીમ કોર્ટે આધાર-સત્યાપનની સલાહ શા માટે આપી?

આ સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે માત્ર ચેતવણી સંદેશ બતાવીને આગળ વધી જવું પૂરતું નથી. ચેતવણી દેખાય છે અને થોડી જ સેકન્ડમાં સામગ્રી શરૂ થઈ જાય છે. એથી તેમણે સલાહ આપી કે 18+ સામગ્રી જોવા માટે આધાર દ્વારા ઉમર ચકાસણીની વ્યવસ્થા શરૂ થઈ શકે. તેમણે એ પણ કહ્યું કે આને પાયલટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરતાં પહેલાં તેનું પરીક્ષણ થઈ શકે.

ન્યાયમૂર્તિ જ્યોમાલ્યા બાગચીએ ચિંતા વ્યક્ત કરી હતી કે પુસ્તકો કે ફિલ્મોમાં અશ્લીલતા પર નિયંત્રણ છે, પરંતુ મોબાઇલ ફોન પર કોઈ નિયંત્રણ નથી. ફોન ચાલુ કરતાં જ સ્ક્રિન પર અનુકૂળ ન હોય એવી સામગ્રી આવી જાય છે અને બાળકો ભૂલથી આવી વસ્તુઓ જોઈ લેવાની મોટી શક્યતા છે. તેથી તેમણે કહ્યું હતું કે આધાર આધારિત લોક એક સારો ઉપાય બની શકે.

તેમણે આગળ કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ અનિયંત્રિત પ્રવૃત્તિ નથી. કોર્ટે કહ્યું હતું કે ઓનલાઇન સામગ્રીને નિયમિત કરવા માટે એક સ્વતંત્ર અને સ્વાયત્ત નિયમનકારી સંસ્થા હોવી જોઈએ. સ્વનિયમનકારી સંસ્થાઓ પૂરતી નથી. મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું હતું કે આવી સંસ્થા હોવી જોઈએ જે કોઈ બાહ્ય દબાણમાં ન આવે.

ફેસબુક પર મહિલાથી મિત્રતા કરવી પડી ભારે

નવી દિલ્હીઃ નોઇડામાંથી મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અહીં સેક્ટર-43માં રહેતા એક બિલ્ડર સાથે સાયબર આરોપીઓએ ઓનલાઇન સ્ટોર ચેઇનમાં રોકાણ કરાવવાને બહાને 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી લીધી. નફા સાથે સંપૂર્ણ રકમ ન મળતાં પીડિતને છેતરપિંડીની જાણ થઈ. ત્યાર બાદ પીડિતે સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ મામલાની તપાસમાં લાગી છે.

Cybercrime.પીડિતે પોલીસને આપી માહિતી

પીડિત બિલ્ડર મનોજે જણાવ્યું હતું કે 20 ઓગસ્ટે ફેસબુક દ્વારા તેની ઓળખ માહી નામની મહિલાથી થઈ. ત્યાર બાદ બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી. મહિલાએ ઓનલાઇન સ્ટોર સાથે જોડાઈ પોતે વેપાર કરતી હોવાની અને 15–20 ટકાનો નફો થવાની વાત કરી. મહિલાએ મનોજને પણ પોતાની ગેરંટી પર વેપાર કરવા પ્રેરિત કર્યો. મનોજે પોલીસને એ પણ જણાવ્યું હતું કે ઠગોએ RBIના મેલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ “ગેરકાયદે રીતે કમાયેલ કાળી કમાણી” ગણાય છે.

પહેલી વખત 20 ટકા નફો મળ્યો

મહિલાના કહેવા મુજબ પીડિતે ‘વિશ શોપ’ નામના સ્ટોર પરથી બલ્કમાં માલ ખરીદવાનું શરૂ કર્યું અને 24 કલાકની અંદર તે માલ ઓનલાઇન વેચી નાખ્યો. પહેલી જ ડીલમાં મનોજને 20 ટકા નફો થયો. નફો બેંક ખાતામાં આવતાં મનોજનો વિશ્વાસ વધ્યો. જેને કારણે તેણે 24 નવેમ્બર સુધીમાં કુલ 22 ટ્રાન્ઝેક્શનમાં 60 લાખ રૂપિયા રોકાણ કરી દીધા.

જ્યારે ઠગોએ ડાઉનલોડ કરાવેલી એપમાં 1.10 કરોડ રૂપિયા દેખાવા લાગ્યા ત્યારે મનોજે નફા સહિત રકમ કાઢવા અરજી કરી. ઠગોએ કરરૂપે 11 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું. મનોજે રકમ જમા ન કરતાં તેમણે અમેરિકન સરકાર દ્વારા એપ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે, તેમ કહી ડરાવવાનો પ્રયાસ કર્યો. મનોદે છેતરપિંડીનો અહેસાસ થતાં NCRP પોર્ટલ અને સાયબર ક્રાઇમ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

આ મસ્જિદમાં કોઈને પણ નમાજ અદા નહીં કરવા દેવાય, જાણો કેમ?

સિમલાઃ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની સંજૌલી મસ્જિદને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. દેવભૂમિ સંઘર્ષ સમિતિના સભ્યો છેલ્લા 10 દિવસથી સંજૌલીમાં ધરણાં કરી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે. આ મસ્જિદને કોર્ટે ગેરકાયદે જાહેર કરી હતી અને તેને ધરાશાયી કરવાનો નિર્ણય યથાવત્ રાખ્યો છે. હવે દેવભૂમિ સંઘર્ષ સમિતિએ ગુરુવારે જાહેરાત કરી છે કે શુક્રવારે સંજૌલીની વિવાદિત મસ્જિદમાં કોઈને પણ નમાજ અદા નહીં કરવામા દેવામાં આવે.

દેવભૂમિ સંઘર્ષ સમિતિએ કરી શસ્ત્રપૂજા

દેવભૂમિ સંઘર્ષ સમિતિના સભ્યોએ ગુરુવારે સંજૌલીમાં તેમના આંદોલન દરમિયાન શસ્ત્રપૂજા પણ કરી હતી. સમિતિએ કહ્યું છે કે વિવાદિત સંજૌલી મસ્જિદમાં શુક્રવારે કોઈને પણ નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. સમિતિએ મુસ્લિમ સમુદાયને અપીલ કરી છે કે તેઓ સાંપ્રદાયિક સૌહાર્દ જળવાઈ રહે એ માટે તે સ્થળે ન જાય.

મિટિંગમાં સકારાત્મક પરિણામ ન મળે તો?

દેવભૂમિ સંઘર્ષ સમિતિના સહ-સંયોજક વિજય શર્માએ માહિતી આપી છે કે તેઓ 29 નવેમ્બરે  પ્રશાસન સાથે થનારી બેઠકની રાહ જોઈ રહ્યા છે. ત્યાર બાદ તેઓ તેમના આગામી પગલાં નક્કી કરશે. તેમણે કહ્યું હતું કે જો બેઠકમાં સકારાત્મક પરિણામ નહીં મળે તો અમે મસ્જિદ વિરુદ્ધ અમારું આંદોલન વધુ તીવ્ર કરીશું. કોર્ટ દ્વારા ઢાંચાને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું છે અને તેને ધરાશાયી કરવાની આજ્ઞા છતાં તેમાં નમાજ અદા થઈ રહી છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

પ્રદર્શન શા માટે?

કોર્ટે આ મસ્જિદના ઢાંચાને ગેરકાયદે ગણાવ્યું છે. તાજેતરમાં શિમલાની જિલ્લા કોર્ટે સંજૌલી મસ્જિદના સમગ્ર માળખાને ધરાશાયી કરવાના કોર્ટના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો. દેવભૂમિ સંઘર્ષ સમિતિએ 21 નવેમ્બરે મસ્જિદને સીલ કરવાની માગ સાથે પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. તેઓ મસ્જિદની વીજળી અને પાણીનો સપ્લાય બંધ કરવાની માગ કરી રહ્યા છે.

અમેરિકામાં આ 19 દેશના વિઝાધારકોની સામે થશે મોટી કાર્યવાહી!

અમેરિકા: વ્હાઇટ હાઉસની બહાર થયેલા ગોળીબાર બાદ ટ્રમ્પ પ્રશાસન સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે. નેશનલ ગાર્ડ પર ગોળીબાર કરનાર આરોપી અફઘાન મૂળનો હોવાથી, ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે જાહેરાત કરી છે કે તેઓ અમેરિકામાં રહેતા 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકો (સ્થાયી નિવાસીઓ)ની ફરીથી તપાસ કરશે.

આ દેશો પહેલાથી જ ‘કન્ટ્રીઝ ઓફ કન્સર્ન’ની યાદીમાં સામેલ

આ એવા દેશો છે જેમને અમેરિકી સરકારે પહેલેથી જ ‘કન્ટ્રીઝ ઓફ કન્સર્ન’ (ચિંતાજનક દેશો)ની યાદીમાં મૂકેલા છે. આ 19 દેશોની યાદીમાં ભારતના બે પાડોશી દેશો – અફઘાનિસ્તાન અને મ્યાનમારનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે, જ્યારે મ્યાનમારમાં સૈન્ય (જુન્ટા) શાસન છે.

ગ્રીન કાર્ડની ફરી થશે તપાસ 

અમેરિકાના ઇમિગ્રેશન અને નાગરિકતા વિભાગના વડા જોસેફ એડલોએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ પર, ચિંતાજનક ગણાતા તમામ દેશોના નાગરિકોના ગ્રીન કાર્ડની ફરીથી તપાસ કરવામાં આવશે.”

આ 19 દેશોના નાગરિકોની થશે તપાસ:

અફઘાનિસ્તાન, બર્મા (મ્યાનમાર), ચાડ, કોંગો ગણરાજ્ય, ઇક્વેટોરિયલ ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન, બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સીએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન, યમન, વેનેઝુએલા

આ નિર્ણય વ્હાઇટ હાઉસની સુરક્ષામાં થયેલી ચૂક બાદ અમેરિકાની ઇમિગ્રેશન નીતિ વધુ કડક બનવાના સંકેત આપી રહ્યો છે.