Home Blog Page 427

બંગાળમાં યાદી સાથે 26 લાખ મતદારોનાં નામ નથી ખાતાં મેળઃ ECનો દાવો

કોલકાતાઃપશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (SIR) પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે એ દરમિયાન બુધવારે ચૂંટણી પંચે મોટો દાવો કર્યો છે કે બંગાળની હાલની મતદાર યાદીમાં લગભગ 26 લાખ મતદારોનાં નામ 2002ની યાદી સાથે મેળ નથી ખાતાં. રાજ્યમાં SIRને લઈને બંગાળની મમતા સરકાર રસ્તા પર ઊતરી આવી છે અને આ મુદ્દે તે ચૂંટણી પંચ અને ભાજપ — બંને સામે આક્રમક છે. આ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલો આ આંકડો TMCની ચિંતા વધારનાર ગણાય છે.

મતદાર યાદીમાં ગેરરીતિ નજરે ચડી — EC

ચૂંટણી પંચના એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે તાજેતરની મતદાર યાદીની તુલના 2002 અને 2006ની વચ્ચે વિવિધ રાજ્યોમાં થયેલી પૂર્વવર્તી SIR પ્રક્રિયામાં તૈયાર થયેલી યાદીઓ સાથે કરતાં ગડબડી બહાર આવી છે. ચૂંટણી પંચનાં સૂત્રોના જણાવ્યા અનુસાર હાલની SIR પ્રક્રિયા હેઠળ બુધવાર બપોર સુધી પશ્ચિમ બંગાળમાં છ કરોડથી વધુ ગણના પ્રોફોર્મા અપલોડ થઈ ચૂક્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે પોર્ટલ પર અપલોડ થયા પછી આ પ્રોફોર્માને ‘મેપિંગ’ પ્રક્રિયા હેઠળ લાવવામાં આવે છે, જ્યાં તેનો મેળ અગાઉની SIR નોંધો સાથે કરવામાં આવે છે. પ્રારંભિક તારણો મુજબ પશ્ચિમ બંગાળમાં લગભગ 26 લાખ મતદારોનાં નામોનું મેળ હજુ સુધી ગયા SIR ચક્રના ડેટા સાથે બેસી શક્યો નથી.

મતદાર યાદીમાં ‘નકલી, શંકાસ્પદ’ નામ ઉમેરવાનો આરોપ

એ દરમિયાન ભાજપે બન્ને આક્ષેપ કર્યા છે કે શાસક તૃણમૂલ કોંગ્રેસના સંકેત પર પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં ‘નકલી અને શંકાસ્પદ’ નામ ઉમેરવામાં આવી રહ્યાં છે. ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરીને માગ કરી છે કે SIR પ્રક્રિયા દરમિયાન મતુઆ સમુદાય સાથે-સાથે બૌદ્ધ, જૈન અને અન્ય ‘હિંદુ જૂથો’નાં નામો મતદાર યાદીમાં સમાવેશ કરાય. પ્રતિનિધિમંડળે પોતાની માગોનું એક મેમોરેન્ડમ પણ અધિકારીઓને સોંપ્યું હતું.

આ પ્રતિનિધિમંડળમાં ભાજપના પશ્ચિમ બંગાળના સહપ્રભારી અમિત માલવીયે જણાવ્યું હતું કે અમે SIRના પ્રથમ તબક્કામાં થયેલી અનિયમિતતાઓને ઉજાગર કરી. અમે ચૂંટણી પંચને જણાવ્યું છે કે તૃણમૂલના કાર્યકરો અને સ્વયં મુખ્યમંત્રી (મમતા બેનર્જી) BLOને ફરજિયાત નકલી અને શંકાસ્પદ એન્ટ્રીઓ સ્વીકારવા દબાણ કરી રહ્યાં છે.

ધર્મેન્દ્રના નિધનના ત્રણ દિવસ પછી હેમા માલિનીની પહેલી પોસ્ટમાં શું લખ્યું?

મુંબઈ: બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી. તેમના મૃત્યુના લગભગ ત્રણ દિવસ પછી તેમના પત્ની હેમા માલિનીએ તેમની પહેલી પોસ્ટ શેર કરી છે. ધર્મેન્દ્રના 24 નવેમ્બરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અવસાનના સમાચાર પર પરિવારની આ પહેલી પ્રતિક્રિયા છે. હેમાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ધર્મેન્દ્ર સાથેના જૂના ફોટા શેર કર્યા. અભિનેત્રીએ પતિને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી. હેમાએ સમજાવ્યું કે ધર્મેન્દ્ર તેમના માટે બધું જ હતા.

હેમા માલિનીની ભાવનાત્મક પોસ્ટ

હેમાજીએ લખ્યું, “ધર્મજી, તે મારા માટે બધું જ હતા. એક પ્રેમાળ પતિ, અમારી બે પુત્રીઓ એશા અને આહનાના પિતા, એક મિત્ર, એક ફિલોસોફર, એક માર્ગદર્શક અને જરૂરિયાતના સમયે હું બીજા વિચાર કર્યા વિના જેમની પાસે જઈ શકું તે વ્યક્તિ. અમે હંમેશા સારા અને ખરાબ સમયમાં જીવ્યા. તેમણે મારા પરિવારમાં તેમના સરળ વર્તન અને મૈત્રીપૂર્ણ અભિગમથી દરેકના દિલ જીતી લીધા. તેમણે દરેકને પ્રેમ આપ્યો. એક જાહેર વ્યક્તિત્વ તરીકે, તેમની પ્રતિભા, તેમની માનવતા, તેમની અપાર લોકપ્રિયતા અને તેમની સાર્વત્રિક અપીલ તેમને અન્ય કોઈ દંતકથાઓથી વિપરીત એક અનોખા આઇકોન બનાવે છે.”

“ફિલ્મ ઉદ્યોગમાં તેમની સિદ્ધિઓ અને ખ્યાતિ હંમેશા જીવંત રહેશે. હું મારું દુઃખ વ્યક્ત કરી શકતી નથી. તેમના નિધનથી મારા જીવનમાં એક ખાલીપણું આવ્યું છે જે ક્યારેય ભરાશે નહીં. આટલા વર્ષો સાથે રહ્યા પછી, હું ફક્ત યાદો પર જીવવા માટે મજબૂર છું. આ ખાસ ક્ષણો મને તે ક્ષણોને ફરીથી જીવંત કરવામાં મદદ કરશે.”

આ ભાવનાત્મક પોસ્ટ સાથે, હેમાજીએ અભિનેતા સાથેના જૂના ફોટા પોસ્ટ કર્યા. તેમણે બીજી પોસ્ટનું કેપ્શન આપ્યું, “સાથેના વર્ષો, હંમેશા સાથે રહેશે.” ફોટામાં હેમા અને ધર્મેન્દ્રની ઘણી નિખાલસ ક્ષણો બતાવવામાં આવી છે. તેમની પુત્રીઓ સાથેની તેમની તસવીરો પણ છે.

હેમાની ધર્મેન્દ્ર સાથેની જોડી હિટ રહી

હેમા માલિનીની પોસ્ટથી ચાહકો ભાવુક થયા. તેમની સુંદર જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી. તેઓએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. ફિલ્મ શોલેમાં તેમની કેમેસ્ટ્રી સૌથી શક્તિશાળી હતી. અહેવાલો અનુસાર, દેઓલ પરિવાર ગુરુવારે ધર્મેન્દ્ર માટે પ્રાર્થના સભાનું આયોજન કરી રહ્યું છે. પરિવાર, મિત્રો અને ઉદ્યોગ જગતના લોકો હી-મેનના યોગદાનને યાદ કરવા માટે હાજર રહેશે.

ધર્મેન્દ્ર લાંબા સમયથી વય સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. ૧૦ નવેમ્બરના રોજ, શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૨ નવેમ્બરના રોજ, અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તબીબી સુવિધા સાથે ઘરે ખસેડવામાં આવ્યા હતા. જો કે, થોડા દિવસની સારવાર પછી, તેમને બચાવી શકાયા નહીં.

હૈદરાબાદ પોલીસે નકલી IPS અધિકારીની કરી ધરપકડ

હૈદરાબાદઃ ફિલ્મનગર પોલીસે એક એવી વ્યક્તિને ધરપકડ કરી છે, જે પોતે IPS અથવા IAS અધિકારી કે પછી કોઈ સરકારી વિભાગનો મોટો અધિકારી હોવાનું કહીને લોકોને ઠગતો હતો. લોકોનો વિશ્વાસ જગાવવા માટે આરોપી પોતાની સાથે ગનમેન રાખતો હતો અને પોતાની ગાડી પર સાયરન લગાવીને ફરતો હતો, જેથી બધાને લાગે કે તે કોઈ મોટો અધિકારી છે.

DCP (વેસ્ટ ઝોન) સી.એચ. શ્રીનિવાસે જણાવ્યું હતું કે 39 વર્ષીય બથિની શશિકાંતની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેના બે સાથી પ્રવીણ અને વિમલ ફરાર છે. આ ધરપકડ એક જિમના માલિકની ફરિયાદ પરથી કરવામાં આવી, જેમાં તેણે આરોપીના પાસે 10 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી અનેક નકલી ઓળખપત્રો જપ્ત કર્યાં છે, જેમાં તેને પોતે IAS અથવા IPS અધિકારી અથવા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારી તરીકે દર્શાવ્યા હતા. તેના સિવાય અન્ય ખોટા દસ્તાવેજો પણ મળ્યા છે.

શશિકાંતે પીડિતના જિમમાં પ્રવેશ કર્યો અને પોતે એક અંડરકવર IPS અધિકારી હોવાનું જણાવીને મફત સેવાઓ લીધી. આ ખોટી ઓળખનો ઉપયોગ કરીને તેણે અનેક લોકો સાથે સંપર્ક સાધ્યો હતો અને તેમને સરકારી જમીન મેળવવામાં અથવા ગુનાહિત કેસોમાં રાહત અપાવવાનું વચન કરીને પૈસા પડાવ્યા હતા.

જિમ માલિકના કેસમાં, શશિકાંતે તેલંગાણા ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (TGIIC)ની જમીન ખરીદાવવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. તેણે એક નકલી પત્ર પણ આપ્યો હતો. જ્યારે પીડિતે TGIIC કચેરી સાથે સંપર્ક કર્યો ત્યારે તેને સમજાયું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. તે પહેલેથી જ 10 લાખ રૂપિયા આપી ચૂક્યો હતો. અન્ય એક કેસમાં બીજા એક પીડિતે 8 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું શ્રીનિવાસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે તેમને શંકા છે કે શશિકાંતે વધુ પીડિતોને પણ ઠગ્યા હશે.

ઇમરાન ખાનના હાલ કેવા છે? અફવાઓ વચ્ચે જેલ પ્રશાસનને શું કહ્યું?

પાકિસ્તાન: પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને લગતી અફવાઓ વચ્ચે એક નવી અપડેટ સામે આવી છે. જીઓ ટીવીના અહેવાલ મુજબ, અદિયાલા જેલ પ્રશાસને બુધવારે અફવાઓને ફગાવી દીધી હતી કે પીટીઆઈના સ્થાપકને જેલમાંથી બહાર ખસેડવામાં આવ્યા છે. જેલ પ્રશાસને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હજુ પણ જેલની અંદર છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.એક નિવેદનમાં, રાવલપિંડી જેલના અધિકારીઓએ કહ્યું, “અદિયાલા જેલમાંથી તેમના ટ્રાન્સફરના અહેવાલોમાં કોઈ સત્ય નથી. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમની સંપૂર્ણ તબીબી સંભાળ લેવામાં આવી રહી છે.” જેલ અધિકારીઓએ તેમના સ્વાસ્થ્ય અંગેની અટકળોને પાયાવિહોણી ગણાવી અને સ્પષ્ટતા કરી કે ઇમરાન ખાનની સંભાળ રાખવામાં આવી રહી છે.

‘ફાઇવ-સ્ટાર’ સુવિધાઓ…

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે દાવો કર્યો કે ઇમરાન ખાનને જેલમાં ‘ફાઇવ-સ્ટાર’ સુવિધાઓ મળી રહી છે. એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી દૂર થયા પછી, તેઓ ઓગસ્ટ 2023થી જેલમાં છે.

સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું, “ઈમરાન ખાનને જેલમાં એવી સુવિધાઓ મળી રહી છે જે તેમને કસ્ટડીમાં પણ મળી ન હતી. તેમને પીરસવામાં આવતા ભોજનનું મેનુ તપાસો; તે ફાઇવ સ્ટાર હોટલમાં પણ ઉપલબ્ધ નથી.” આસિફે દાવો કર્યો હતો કે પીટીઆઈના સ્થાપક પાસે ટેલિવિઝન છે અને તેઓ તેમની પસંદગીની કોઈ પણ ચેનલ જોઈ શકે છે. તેમની પાસે કસરત મશીનો પણ છે.

તેમની અટકાયતની સ્થિતિની તુલના કરતા, આસિફે કહ્યું, “અમે ઠંડા ફ્લોર પર સૂતા હતા, જેલનું ભોજન ખાધું હતું, અને જાન્યુઆરીમાં ફક્ત બે ધાબળા અપાયા હતા અને ગરમ પાણી પણ નહોતું.”

તેમણે યાદ કર્યું કે તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ, અસદ વારૈચે વ્યક્તિગત રીતે ખાતરી કરી હતી કે તેમના સેલમાંથી ગીઝર દૂર કરવામાં આવે. મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે ઈમરાન ખાનને ડબલ બેડ અને મખમલ ગાદલું આપવામાં આવ્યું છે.

ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. તેમને ભ્રષ્ટાચારથી લઈને આતંકવાદ સુધીના અનેક કેસોનો સામનો કરવો પડી રહ્યો છે. એપ્રિલ 2022માં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા, ત્યારથી આ કેસ ચાલુ છે.

કબીરવાણી : સમર્પણ વિના પ્રેમ નહીં

 

પ્રેમ પિયાલા સો પિયે, શીશ દચ્છિના દેય,

લોભી શીશ ન દે સકે, નામ પ્રેમ કા લેય.

 

કબીરજીની સાખીમાં પ્રેમનો ખ્યાલ એટલો વિશાળ છે કે, તેને કોઈ વ્યાખ્યાના ચોગઠામાં સમાવી ન શકાય. સૌ પ્રેમનો ઢોંગ કરી શકે છે, કરે જ છે. જ્યારે એકાકાર થઈ સમર્પણ કરવાનો પ્રસંગ આવે ત્યારે અહમ્-લોભરૂપી બે હાથ પ્રેમને રોકી લે છે.

કબીરજી કહે છે કે, પ્રેમનો પ્યાલો નિઃશુલ્ક નથી મળતો. તે માટે માથું મૂકવાનું છે. પ્રેમની સાચી દક્ષિણા અહરૂપી શીશને ભૂલી જવાની છે. અહમ્ છોડવો છે પણ કાંઈક મેળવી લેવાનો લોભ થાય છે.

આપણે સૌને કાંઈક બનવું છે – સાથે સાથે કાંઈક બનાવવું પણ છે. આ એષણા છૂટે તો પ્રેમનું દ્વાર ખૂલે. કબીરજી સમર્પણની મહત્તા સાથે આપણા કૃપણ મન તરફ અંગૂલિનિર્દેશ કરે છે. જ્યારે મન સંકુચિત થાય, દરેક વસ્તુમાં શંકા કરે – ભેદ પાડે અને સ્વમાં રત રહે ત્યારે અનર્થ થાય છે.

દૈનિક જીવનમાં આપણા સાંકડા થયેલા મનના કારણે આપણે અતિમનસના અવતરણથી વંચિત રહીએ છીએ. પ્રકાશને બદલે અંધકાર, શ્રદ્ધાને બદલે ભય, પરમાર્થને બદલે સ્વાર્થ અને પ્રેમના બદલે હિંસાના વાતાવરણમાં અટવાયા કરીએ છીએ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

વ્હાઈટ હાઉસ પર હુમલો કરનાર અફઘાન શરણાર્થી કોણ છે?

અમેરિકા: રાષ્ટ્રીય પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની બહાર બુધવારે થયેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર દેશમાં સનસનાટી ફેલાવી દીધી છે. એક શૂટરે ત્યાં તૈનાત બે નેશનલ ગાર્ડના સભ્યોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. વળતા જવાબમાં સુરક્ષા દળોએ હુમલાખોરને પણ ઘાયલ કરીને કસ્ટડીમાં લઈ લીધો છે. આ ઘટના બાદ  ટ્રમ્પે ગુસ્સો વ્યક્ત કરતા આરોપીને ‘જાનવર’ કહ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આ આતંકી હુમલો જ હતો. શૂટરની ઓળખ 29 વર્ષીય રહેમાનુલ્લાહ લખનવાલ તરીકે થઈ છે, જે અફઘાન મૂળનો છે અને 2021માં અમેરિકા આવ્યો હતો. તેણે 2024માં શરણાર્થીના દરજ્જા માટે અરજી કરી હતી અને તેને આ જ વર્ષે મંજૂરી મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં, એફ.બી.આઈ. (FBI) આ મામલાની તપાસ આતંકવાદી હુમલાના એંગલથી કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર પણ વાયરલ થઈ રહી છે, જે કથિત રીતે વ્હાઇટ હાઉસ ગોળીબારના આરોપીની હોવાનું કહેવાય છે.હુમલો ફેરાગટ વેસ્ટ મેટ્રો સ્ટેશન પાસે થયો, જ્યાં લાકનવાલ થોડા સમય સુધી રાહ જોતો રહ્યો અને પછી અચાનક 2:15 વાગ્યાની આસપાસ તેણે ગોળીબાર શરૂ કરી દીધો. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, તેણે પહેલા એક મહિલા ગાર્ડને છાતીમાં ગોળી મારી અને પછી માથામાં. આ પછી તેણે બીજા ગાર્ડ પર ફાયર કર્યું. તે જ સમયે નજીકમાં હાજર ત્રીજા ગાર્ડે દોડીને હુમલાખોરને કાબૂમાં કરી લીધો. ધરપકડ થતા પહેલા લાકનવાલને ચાર ગોળીઓ વાગી અને તેને લગભગ કપડાં વિના જ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો.

રિપોર્ટ અનુસાર, લાકનવાલ ઓપરેશન એલાઇઝ વેલકમ પ્રોગ્રામ હેઠળ અમેરિકા આવ્યો હતો. તેને વોશિંગ્ટનના બેલિંગહામમાં વસાવવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે લખનવાલે એકલા હાથે આ હુમલો કર્યો હતો અને અત્યાર સુધી તેનો હેતુ સ્પષ્ટ નથી.

વ્હાઇટ હાઉસ પાસે આતંકવાદી હુમલો, ટ્રમ્પે કહ્યું, ભારે કિંમત ચૂકવવી પડશે

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઇટ હાઉસથી થોડા જ અંતરે બુધવારે બપોરે નેશનલ ગાર્ડના બે સભ્યો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. વોશિંગ્ટન DCમાં તહેનાત વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે સભ્યોને વ્હાઇટ હાઉસની નજીક થયેલી હિંસાની ઘટનામાં ગોળી વાગી હતી. DCની મેયર મ્યુરિયલ બાઉઝરે તેને નિશાન બનાવીને કરાયેલો હુમલો ગણાવ્યો છે. આ હુમલા બાદ વ્હાઇટ હાઉસને લોકડાઉન કરવામાં આવ્યું છે.

આ હુમલા સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં હતા. તેમણે આરોપીને “જાનવર” કહીને કહ્યું હતું કે તેને આ માટે બહુ ભારે કિંમત ચૂકવવી પડશે. ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું: જે જાનવરે બે નેશનલ ગાર્ડના જવાનને ગોળી મારી છે, બંને ગંભીર રીતે ઘાયલ છે અને બે અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ છે. આરોપી પણ ગંભીર રીતે ઘાયલ છે, છતાં તેને તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. ઈશ્વર અમારા મહાન નેશનલ ગાર્ડ, અમારી આખી સેના અને કાયદા અમલવાળી એજન્સીઓને આશીર્વાદ આપે. તેઓ ખરેખર મહાન લોકો છે. હું, સંયુક્ત રાજ્યોના રાષ્ટ્રપતિ તરીકે અને રાષ્ટ્રપતિપદ સાથે જોડાયેલા બધા લોકો, તમારી સાથે છીએ.

FBIના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે બંને ગાર્ડ સભ્યો ગંભીર સ્થિતિમાં છે અને FBI તપાસનું નેતૃત્વ કરી રહી છે. આરોપીની ઓળખ 29 વર્ષીય રહમાનુલ્લાહ લક્નવાલ તરીકે થઈ છે, જે અફઘાન નાગરિક છે. તે 2021માં અમેરિકામાં દાખલ થયો હતો.

૧૪ મહિના પછી નિફ્ટીએ રેકોર્ડ તોડ્યો, શેરબજારે રચ્યો ઇતિહાસ

મુંબઈ: શેરબજારે આજે ઇતિહાસ રચ્યો. ગયા વર્ષે સપ્ટેમ્બરથી બજાર તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી નીચે ટ્રેડ કરી રહ્યું હતું, પરંતુ આજે તેણે એક નવો ઉચ્ચતમ સ્તરે રેકોર્ડ બનાવ્યો. નિફ્ટી50 આજે લગભગ 90 પોઈન્ટ વધીને 26,295.55 પર પહોંચ્યો, જે તેનું રેકોર્ડ ઉચ્ચતમ સ્તર છે.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, નિફ્ટી50 ઇન્ડેક્સનું રેકોર્ડ ઉચ્ચતમ સ્તર 26,277.35 પોઈન્ટનું હતું. સેન્સેક્સનું રેકોર્ડ ઉચ્ચતમ સ્તર 85,978.25 પોઈન્ટનું હતું. જો કે, આજે નિફ્ટીએ 26,295.55ના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચીને ઇતિહાસ રચ્યો. જ્યારે સેન્સેક્સ હજુ સુધી તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો નથી, તે ખૂબ નજીક છે. સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 85,912.94 પર ટ્રેડ કરી રહ્યો છે.

BSE પર ટોચના 30 શેરોમાંથી, 11 નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે 19 ઊંચા સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેર ટોચ પરફોર્મર છે. નીચા સ્તરે ટ્રેડ કરી રહેલા શેરોમાં ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે.

ટોપ ગેઇનર્સ
ગણેશ હાઉસિંગના શેર 10 ટકાથી વધુ ઉપર છે. પટેલ એન્જિનિયરિંગના શેર પણ 10 ટકાથી વધુ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ટાટા ટેલી (મહા)ના શેર 5 ટકા અને જિલેટ ઇન્ડિયાના શેર પણ 5 ટકા ઉપર છે. તેજસ નેટવર્ક્સ 4 ટકાથી વધુ ઉપર છે. સ્વાન કોર્પોરેશન 2 ટકા ઉપર છે. તેવી જ રીતે, ટાટા પાવર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સમાં 1.5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.85 શેરોમાં અપર સર્કિટBSE પર 3,321 શેરમાંથી, 1,853 શેરોમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે 1,262 શેરોમાં ઘટાડો થઈ રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન 206 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી. 60 શેર 52-અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા છે, જ્યારે 53 શેર 52-અઠવાડિયાના નીચલા સ્તરને સ્પર્શી ગયા છે. 85 શેરોમાં અપર સર્કિટ અને 60 શેરોમાં નીચલી સર્કિટ લાગી છે.

નોંધનીય છે કે બુધવારે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, લાંબા સમય પછી નિફ્ટીમાં એક જ દિવસમાં 300 પોઈન્ટનો વધારો થયો હતો અને સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો વધારો થયો હતો. રોકાણકારોએ પણ નોંધપાત્ર વધારો કર્યો હતો. BSE માર્કેટ કેપિટલાઈઝેશનમાં એક જ દિવસમાં ₹5.50 લાખ કરોડનો વધારો થયો હતો.

સુવિચાર – ૨૭ નવેમ્બર ૨૦૨૫

૨૭ નવેમ્બર ૨૦૨૫