Home Blog Page 4296

ગુજરાતમાં સ્કૂલ-કોલેજો 23 નવેમ્બરથી શરૂ થશે: શિક્ષણપ્રધાન

અમદાવાદઃ ગુજરાત સરકારે દિવાળી પછી રાજ્યમાં શિક્ષણ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી કે દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓ અને કોલેજો શરૂ થશે, પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમત્તિ મેળવવી પડશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણવામાં આવશે નહીં. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થશે. આ પ્રસંગે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણકાર્ય પણ ચાલુ જ રહેશે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.
તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ થશે

શિક્ષણપ્રધાનની જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી રાજ્યમાં ધોરણ-9થી ધોરણ-12 સુધીના વર્ગો શરૂ થશે. કોલેજ અને યુનિવર્સિટીની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાના વર્ગો શરૂ થશે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ થશે. આ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે. ઇજનેરી શાખાની વાત કરીએ તો માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે તેમજ ITI અને પોલિટેકનિકના વર્ગો શરૂ થશે.

ઓડ-ઇવનનો વિકલ્પ

શિક્ષણપ્રધાનની જાહેરાત પ્રમાણે સ્કૂલોને ઓડ-ઇવન ફોર્મ્યુલા અપનાવવાની સૂચના આપવામાં આવી છે. જે પ્રમાણે એક દિવસ એક ધોરણના વિદ્યાર્થીઓને અને બીજા દિવસે બીજા ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શકાય છે. આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. એટલે કે જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા માગે છે તે આવી શકે છે, તેમને ફરજ નહીં પાડવામાં આવે

સરકારની માર્ગદર્શિકાનું પાલન ફરજિયાત

સ્કૂલો શરૂ થયા બાદ કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. સ્કૂલ શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું થર્મલ ગન વડે તાપમાન માપવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ રીતે બેસાડવા પડશે. વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં સાબુથી હાથ ધોવાની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આ તમામ વસ્તુનું ફરજિયાત પાલન થાય છે કે નહીં તેની જવાબદારી સ્કૂલના આચાર્યની રહેશે. ધોરણ 9થી 12ના વર્ગો શરૂ થયા બાદ અન્ય વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ દરમિયાન જો કોઈ બાળક બીમાર પડે તો તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવાનો રહેશે.

વાલીઓએ સહમતીપત્ર આપવું પડશે

જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવીને અભ્યાસ કરવા માગે છે તેમના વાલીઓએ સ્કૂલોને લેખિતમાં સહમતી આપવાનું રહેશે. આ સહમતી પત્ર પર સ્કૂલો અને વિદ્યાર્થીઓના વાલીઓએ કયા-કયા નિયમોનું પાલન કરવાનું રહેશે એ પણ લખેલું હશે. આ સાથે એવી પણ સૂચના છે કે સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવા માટે દબાણ નહીં કરી શકે.

SC દ્વારા અર્ણબ ગોસ્વામીને વચગાળાના જામીન મંજૂર

નવી દિલ્હીઃ 2018ની નોંધાયેલા આત્મહત્યા માટે મજબૂર કરવાને લગતા એક કેસના સંબંધમાં મહારાષ્ટ્ર પોલીસે પકડેલા વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આજે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. મુંબઈ હાઈકોર્ટે ગોસ્વામીની જામીન અરજને નકારી કાઢ્યા બાદ ગોસ્વામીએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, રાજ્ય સરકાર કોઈને ટાર્ગેટ ન બનાવે.

ન્યાયમૂર્તિઓ ડી.વાય. ચંદ્રચુડ અને ઈન્દિરા બેનરજીની બે-જજની બેન્ચે વિડિયો કોન્ફરન્સિંગ મારફત ગોસ્વામીની વચગાળાના જામીન અરજી પર સુનાવણી કરી હતી. ન્યાયાધીશોએ ટીવી એન્કર ગોસ્વામીની ધરપકડ કરવા બદલ મહારાષ્ટ્ર સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટે ગોસ્વામી તથા અન્ય બે આરોપીને વ્યક્તિગત રૂ. 50,000ના બોન્ડ પર વચગાળાના જામીન મંજૂર કર્યા છે અને પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે આદેશનું તત્કાળ પાલન કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે અરજદારોને કહ્યું છે કે એમણે તપાસમાં સહકાર આપવો અને સાક્ષીઓ સાથે કોઈ પ્રકારનો હસ્તક્ષેપ કરવો નહીં.

કોરોનાએ ‘બજરંગી ભાઈજાન’ના અભિનેતાનો જાન લીધો

શિમલાઃ કોરોના વાઈરસે બોલીવૂડને એક વધુ આંચકો આપ્યો છે. એણે ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના અભિનેતા હરીશ બંચટાનો જાન લીધો છે. બંચટાએ ફિલ્મમાં પાકિસ્તાની પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. એમના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. એમનું આજે સવારે નિધન થયું હતું.

48 વર્ષીય બંચટા બોલીવૂડમાં 18-વર્ષથી કામ કરતા હતા. એમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ બજરંગી ભાઈજાનમાં એમણે કરેલા અભિનયની ઘણી પ્રશંસા કરાઈ છે. બંચટાએ સીઆઈડી, ક્રાઈમ પેટ્રોલ જેવી અનેક ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો.

હજી ગયા સોમવારે રાતે જ બંચટાની માતાનું કોરોનાને કારણે નિધન થયું હતું. મંગળવારે સાંજે કોરોના નિયમો અનુસાર બંચટાના પૈતૃક ગામમાં જૂજ લોકોની હાજરીમાં એમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હરીશ બંચટાને તાવ ચડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંચટાને એક દીકરી છે, જે 9મા ધોરણમાં ભણે છે.

ફટાકડા પર પ્રતિબંધનો આદેશ સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં દિવાળી, છઠ પૂજા, કાલી પૂજા વગેરે દરમ્યાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાના કલકત્તા હાઇ કોર્ટના આદેશને જાળવી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે દિવાળી સહિત ચાલી રહેલી તહેવારોની સીઝન દરમ્યાન પશ્ચિમ બંગાળમાં ફટાકડા પર પ્રતિબંધની  વિરુદ્ધની એક અરજી ફગાવી દેતાં એમાં દખલ દેવાનો ઇનકાર કર્યો હતો. બે સભ્યોની ખંડપીઠના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે જ્યાં જીવ સામે જોખમ હોય ત્યારે જીવનના રક્ષણથી મોટું કોઈ મૂલ્ય નથી. આ ખંડપીઠના અન્ય સભ્ય ઇન્દિરા બેનરજી છે. કોર્ટે કહ્યું હતું કે કોરોના રોગચાળા દરમ્યાન જીવનના રક્ષણથી વધુ મહત્ત્વપૂણ કંઈ નથી. હવે ખુદના જીવન જોખમમાં છે અને લોકોની સમસ્યા ઉકેલવા એકજૂટ થવું જોઈએ.

પશ્ચિમ બંગાળમાં દિવાળી, કાલી પૂજા અને છઠપૂજા દરમ્યાન ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ગઈ પાંચમી નવેમ્બરે કલકતા હાઇકોર્ટે એક વિડિયો લિન્કના માધ્યમથી આપેલા આદેશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આ સુનાવણી કરી હતી. કલકત્તા હાઈકોર્ટે આ પ્રતિબંધ કોરોના વાઇરસ રોગચાળાને ધ્યાનમાં લઈને મૂક્યો છે.

હાઇકોર્ટના આદેશ પછી કેટલીય જનહિત અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરવામાં આવી હતી. વળી મમતા સરકારે પણ લોકોને ફટાકડા ન ફોડવાની વિનંતી કરી છે.

ભારત-ચીન સરહદ વિવાદ ઉકેલાઈ જવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ એક મહત્ત્વની ઘટનામાં, ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ ટૂંક સમયમાં કદાચ ઉકેલાઈ જશે, કારણ કે બંને દેશના લશ્કર પૂર્વીય લદાખ ક્ષેત્રના ભાગોમાંથી સૈનિકોને હટાવી લેવા માટે સહમત થયા છે. આ સહમતી અંતર્ગત બંને દેશના સૈનિકો આ વર્ષના એપ્રિલ-મે પહેલાં જે સ્થળોએ તૈનાત હતા ત્યાં પાછા જતા રહેશે. ગઈ 6 નવેમ્બરે ચુશુલમાં યોજાઈ ગયેલી બંને દેશના 8મા કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટ દરમિયાન ડિસએન્ગેજમેન્ટ પ્લાન (સૈન્યને હટાવી લેવાની યોજના) પર ચર્ચા થઈ હતી.

આ પ્લાનને ત્રણ તબક્કામાં વહેંચી દેવામાં આવ્યો છે. એનો અમલ એક અઠવાડિયામાં જ શરૂ કરવાનો રહેશે. પહેલા તબક્કામાં, પોન્ગોન્ગ સરોવર વિસ્તારમાંથી ટેન્કો અને તોપો તથા શસ્ત્રસજ્જ સૈનિકવાહનો સહિત તમામ સૈન્ય વાહનોને સરહદ પર આગળના ભાગમાંથી પાછા હટાવી લેવામાં આવશે. બીજા તબક્કામાં, પેન્ગોન્ગ લેકની ઉત્તર બાજુએથી બંને દેશ પોતપોતાના સૈનિકોને પાછળ હટાવી લેશે. ચીન પોતાના સૈનિકોને ફિંગર-8ની પાછળના ભાગમાં તેના જૂના સ્થાને ખસેડી લેશે અને ભારત પોતાની સેનાને ધ્યાનસિંહ પોસ્ટના પ્રશાસનિક પોસ્ટ નજીક પાછી ખસેડી લેશે. ત્રીજા તબક્કામાં, પેન્ગોન્ગની દક્ષિણ બાજુના વિસ્તારમાં બંને દેશની સેના પાછળ હટાવી લેવામાં આવશે.

હાલ પૂર્વીય લદાખમાં ઊંચા પહાડો પર ભારે હિમવર્ષા થઈ રહી હોવાથી બંને દેશના લશ્કર સમાધાન કરી લેવા સહમત થયા છે. 15-16 હજાર ફૂટની ઊંચાઈના સ્થળોએ હાલ માઈનસ 45 ડિગ્રી ઠંડી પડી રહી છે.

કોરોનાના કેસોની સંખ્યા 86 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 86 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,281 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 512 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 86,36,011 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,27,571  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 80,13,783 લોકો માત આપી ચૂક્યા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,94,657એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

ફાઇઝરની કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 90 ટકા અસરકારક

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની વેક્સિન બનાવવામાં વ્યસ્ત ફાઇઝરે જણાવ્યું હતું કે ત્રીજા તબક્કામાં કોવિડ-19 વેક્સિન 90 ટકા અસરકારક છે. કંપનીએ જણાવ્યું હતું કે વેક્સિન ડેટા પર પ્રારંભિક નજર રાખવાની માલૂમ પડે છે વેક્સિન કોવિડ-19ને અટકાવવા માટે 90 ટકા અસરકારક થઈ શકે છે. કંપનીએ કહ્યું હતું કે કંપની આ મહિનના અંત સુધીમાં અમેરિકી નિયામકોની સાથે વેક્સિનને ઇમર્જન્સીમાં ઉપયોગમાં લેવા માટે અરજી કરવા માટે ટ્રેક પર છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

અઝીમ પ્રેમજી ભારતના સૌથી મોટા દાનવીર

બેંગલુરુઃ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ દિવસ દીઠ રૂ. 22 કરોડ અથવા વર્ષમાં રૂ. 7,904 કરોડ દાનમાં આપ્યા હતા અને એ રીતે તેઓ વર્ષ 2020માં દેશમાં સૌથી મોટા દાનવીર તરીકે ઉભરી આવ્યા છે.

દાનવીરો માટે હુરૂન રિપોર્ટ ઈન્ડિયા અને એડલગિવ ફાઉન્ડેશને તૈયાર કરેલી યાદી-2020માં અઝીમ પ્રેમજી પહેલા નંબર પર છે. એમણે આ સિદ્ધિ હાંસલ કરવામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણીને પણ પાછળ રાખી દીધા છે. ભારતના સૌથી શ્રીમંત મુકેશભાઈ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. એમની કરતાં પ્રેમજીએ 17 ગણું વધારે દાન કર્યું છે. યાદીમાં બીજા નંબર પર છે એચસીએલ ટેક્નોલોજીસના સંસ્થાપક ચેરમેન શિવ નાદર અને એમનો પરિવાર.

નાદર અને એમના પરિવારે ધર્માર્થ કાર્યો માટે 795 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે જ્યારે અંબાણી તથા એમના પરિવારે 458 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ચોથા નંબર પર આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમારમંગલમ બિરલા છે જ્યારે પાંચમા સ્થાને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ છે. આ યાદીમાં મુંબઈ 36 દાનવીરોના નામ સાથે મોખરે છે. તે પછી દિલ્હી, બેંગલુરુ આવે છે.

નીતિશકુમાર સાતમીવાર બનશે બિહારના મુખ્યપ્રધાન

પટનાઃ એક્ઝિટ પોલને ખોટા સાબિત કરતાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએએ જીતની પતાકા લહેરાવી છે. એનડીએ ગઠબંધને 125 સીટો પર જીત હાંસલ કરી છે. હવે નીતીશકુમાર સાતમી વાર બિહારના મુખ્ય પ્રધાનપદનો કાર્યભાર સંભાળશે. નીતીશકુમાર બિહારના 37મા મુખ્ય પ્રધાનના રૂપે શપથ લેશે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જેડીયુની ઓછી સીટો આવશે તો પણ તેમના નેતા નીતીશકુમાર જ હશે. ભાજપને 74 અને જેડીયુને 43 સીટો પર જીત મળી છે.

નીતીશકુમાર ક્યારે-ક્યારે બિહારના મુખ્ય પ્રધાન બન્યા?

બિહારના રાજકારણમાં પોતાની એક અલગ છબિ બનાવનાર નીતીશકુમાર સાતમી વાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. નીતીશકુમાર સૌથી પહેલાં ત્રીજી માર્ચ, 2000માં મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ ત્યારે બહુમત ના હોવાને કારણે સાત દિવસ પછી તેમની સરકાર પડી ગઈ હતી. એ પછી નીતીશકુમાર 24 નવેમ્બર, 2005 બીજી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. ત્યાર બાદ 26 નવેમ્બર, 2010એ ત્રીજી વાર બિહારના શપથ બન્યા. ત્યાર પછી 22 ફેબ્રુઆરી, 2015એ ચોથી વાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા. આરજેડી સાથે ગઠબંધન કર્યા પછી 20 નવેમ્બર, 2015એ પાંચમી વાત મુખ્ય પ્રધાન બન્યા. એ પછી આરજેડી સાથે સંબંધ તોડીને ભાજપની સાથે ગઠબંધન કર્યા પછી 27 જુલાઈ, 2017એ છઠ્ઠી વાર મુખ્ય પ્રધાન બન્યા.

નીતીશકુમાર બિહાર ચૂંટણીમાં કેટલીય સભાઓમાં એ ઘોષણા કરી ચૂક્યા છે કે આ તેમની અંતિમ ચૂંટણી હશે. નીતીશકુમારને લાલુ યાદવના પુત્ર તેજસ્વીથી કાંટાની ટક્કર મળી હતી. હવે વિધાનસભ્યોની બેઠકમાં મુખ્ય પ્રધાનપદ માટે નીતીશકુમારના નામ પર મહોર લાગશે, જેના પછી તેમનો શપથગ્રહણ થશે.

 

 

 

૧૧ નવેમ્બર ૨૦૨૦

૧૧ નવેમ્બર ૨૦૨૦

બેબી નઝમાથી માલા સિંહા

વીતેલા વર્ષોના હિન્દી, બંગાળી અને નેપાળી ફિલ્મોના જાણીતા અભિનેત્રી માલા સિંહાનો જન્મ ૧૧ નવેમ્બર, ૧૯૩૬ના રોજ કોલકાતામાં થયો. પોતાની પ્રતિભા અને ખૂબસૂરતી માટે જાણીતા અને પચાસથી સિત્તેરના દાયકાના હિન્દી ફિલ્મોના ટોચના અભિનેત્રી માલા સિંહાએ સો જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં ‘પ્યાસા’, ‘અનપઢ’, ‘દિલ તેરા દીવાના’, ‘ગુમરાહ’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘આંખે’ કે ‘મર્યાદા’ નો સમાવેશ થાય છે.

નેપાળી મૂળના પરિવારમાં જન્મેલા માલા સિંહાના પિતા આલ્બર્ટ સિંહા નેપાળી ખ્રિસ્તી હતા. માલાનું મૂળ નામ તો ‘અલ્ડા’ હતું અને એમની સ્કૂલ ફ્રેન્ડ્સ એમને ‘ડાલ્ડા’ કહીને ખીજવતી એટલે અભિનયની શરૂઆત કરી ત્યારે એમણે પોતાનું નામ બેબી નઝમા રાખ્યું. એ પછી મોટા થઇને માલા સિંહા નામ રાખ્યું. ૧૯૪૭ થી ૧૯૭૫ સુધી એ સ્ટેજ શો પણ કરતા.

ગીતા બાલીએ માલાનો પરિચય કેદાર શર્મા સાથે કરાવ્યો, જેમણે માલાને ‘રંગીન રાતેં’માં નાયિકા બનાવ્યા. ગુરુ દત્ત સાથેની ‘પ્યાસા’ એમના માટે ટર્નિંગ પોઈન્ટ બની. યશ ચોપ્રા નિર્દેશિત પહેલી ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’માં એમને ખૂબ સફળતા મળી. રાજ કપૂર સાથે ‘પરવરિશ’, ‘મૈ નશેમેં હું’, શમ્મીકપૂર સાથે ‘ઉજાલા’, ‘દિલ તેરા દીવાના’ આવી. માલા સિંહાની કરિયર ટોચ પર હતી ત્યારે ‘બહુરાની’, ‘ગુમરાહ’, ‘ગેહરા દાગ’, ‘અપને હુએ પરાયે’ ‘જહાંનારા’ ‘આંખે’, ‘ગીત’, ‘લલકાર’ અને ‘જિંદગી’ જેવી યાદગાર ફિલ્મો આવી.

માલા સિંહાએ એસ્ટેટ ઓનર સી.પી. લોહાની સાથે લગ્ન કર્યા, પણ લગ્ન પછી એ મુંબઈ જ રહ્યાં. એમની દીકરી પ્રતિભા પણ અભિનેત્રી છે. નેવુંના દાયકા પછી માલાજી પતિ સાથે મુંબઈમાં બાન્દ્રામાં રહે છે.

(નરેશ કાપડીઆ-સુરત)