Home Blog Page 4297

ઈન્ડિયા આઈએનએક્સે નવા કો-લોકેશન ડેટા સેન્ટરનો પ્રારંભ કર્યો

મુંબઈ તા.10 નવેમ્બર, 2020: દેશના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા INXએ દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ગિફ્ટ સિટી સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) ખાતે નવા કો-લોકેશન ડેટા સેન્ટ્રનો પ્રારંભ કર્યો છે. આ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના ચેરમેન ઈન્જેતી શ્રીનિવાસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ડિયા INXના ચેરમેન અને BSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણ તેમ જ ઈન્ડિયા INXના MD અને CEO વી. બાલાસુબ્રહ્મણિયમ ઉપસ્થિત રહ્યા હતા.

(ડાબેથી જમણે) ઈન્જેતી શ્રીનિવાસ (ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના ચેરમેન), વી. બાલાસુબ્રહ્મણિયમ (ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ), આશિષકુમાર ચૌહાણ (ઈન્ડિયા આઈએનએક્સના ચેરમેન અને બીએસઈના એમડી અને સીઈઓ) ગોન્ગ વગાડવાની વિધિ વખતે…

આ સાથે એક્સચેન્જની કો-લોકેશન ક્ષમતામાં 150 ટકાથી અધિકનો વધારો થયો છે. આ ડેટા સેન્ટર્સમાં હાઈ ફ્રિક્વન્સી ટ્રેડિંગ થાય છે અને મોટા ભાગની વર્તમાન કો-લોકેશન ક્ષમતાનો વપરાશ થાય છે. આ નવી લોન્ચ કરાયેલી સુવિધા મેમ્બર્સની વધી રહેલી માગને સંતોષી શકશે. વર્તમાન કો-લોકેશન ડેટા સેન્ટરની બાજુમાં આ ત્રણ સ્તરીય કો-લોકેશન ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આમાં જે અતિરિક્ત રેક્સ ઉપલબ્ધ થઈ છે તે મેમ્બર્સ માટે પર્યાપ્ત થઈ પડશે.

સિન્હા પરિવારના 3-સભ્યો બે-વર્ષમાં 3-બેઠક પર હાર્યા

પટનાઃ બિહારમાં ‘બિહારી બાબુ’ શત્રુઘ્ન સિન્હાનો આ એ પરિવાર છે, જેના ત્રણ સભ્યો છેલ્લાં બે વર્ષમાં બે ચૂંટણીમાં હારીને હવે ઘેર બેઠાં છે. ભાજપમાં રહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાથી માંડીને એ પાર્ટીમાંથી નીકળીને કોંગ્રેસનો હાથ ઝાલનાર પીઢ બોલીવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હાની જિંદગીમાં છેલ્લા બે વર્ષમાં અનેક વળાંક આવ્યા છે.

પટનાની બાંકીપુર સીટ પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર લવ સિન્હા ભાજપના ઉમેદવાર નીતિન નવીન કરતાં અડધાથીય ઓછા મતો લાવી શક્યા છે. વર્તમાન વિધાનસભ્ય નીતિન નવીનના 19,920 (65.1%) મતોની તુલનાએ લવ સિન્હાને માત્ર 7784 (25.44%) મતો મળ્યા છે.

લોકસભા ચૂંટણીમાં પણ હારનો સામનો

2019ની લોકકસભાની ચૂંટણી તરફ જોઈએ તો શત્રુઘ્ન સિન્હા પોતે પટના સાહિબ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને તેમનાં પત્ની પૂનમ સિન્હા લખનઉમાં સમાજવાદી પાર્ટીનાં ઉમેદવારના તરીકે ચૂંટણી લડ્યાં હતાં. બંને સીટ પર એમનો ભાજપના કેન્દ્રીય પ્રધાનો સામે પરાજય થયો હતો. શત્રુઘ્ન કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સામે અને પૂનમ સિન્હા રાજનાથ સિંહ સામે હારી ગયાં હતાં. પટના સાહિબમાં શત્રુઘ્ન સિન્હાને 3,22,849 (32.87%) મતો મળ્યા હતા, જ્યારે રવિશંકર પ્રસાદને 6,07,506 (61.85%) મતો મળ્યા હતા. એ જ રીતે લખનઉમાં પૂનમ સિન્હાને 2,85,724 (25.59%), જ્યારે રાજનાથ સિંહને 6,33,026 (56.70%) મત મળ્યા હતા. આ રીતે 2019 લોકસભાની ચૂંટણીથી માંડીને હાલ બિહાર વિધાનસભાની ચૂંટણી સુધીમાં આ પરિવારના ત્રણ સભ્યો ત્રણ અલગ-અલગ સીટ પરથી ચૂંટણી હારી ચૂક્યા છે.

શત્રુઘ્ન સિંહા વિશે ફરિયાદ

2009-2019 સુધી સંસદસભ્ય રહેલા શત્રુઘ્ન સિન્હાની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ બે વાર જીત્યા છતાં પણ એમણે તેમના સંસદીય ક્ષેત્રની કાળજી લીધી નહોતી. એનાથી જનતામાં એવો સંદેશ ગયો હતો કે તેઓ પોતાને કોઈ પણ નેતાથી મહાન સમજે છે. તેઓ ભાજપની બેઠકોમાં પણ સામેલ થતા નહોતા, કાર્યકર્તાઓને મળતા નહોતા અને માત્ર પાર્ટીની મોટી સભાઓમાં જ હિસ્સો લેતા હતા. સિન્હા દ્વારા આ રીતે પારકા વ્યવહારથી ભાજપના કાર્યકર્તાઓની અંદર અસંતોષ ફેલાયો હતો.

 

મહિલાઓની T20 ચેલેન્જઃ ટ્રેલબ્લેઝર્સ વિજેતા; સુપરનોવાસને પરાજય આપ્યો…

શારજાહમાં 9 નવેમ્બરે રમાઈ ગયેલી મહિલા ક્રિકેટરોની T20 ચેલેન્જ સ્પર્ધાની ફાઈનલમાં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટ્રેલબ્લેઝર્સ ટીમે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની સુપરનોવાસ ટીમને 16-રનથી પરાજય આપ્યો હતો. ટૂંકોસ્કોરઃ ટ્રેલબ્લેઝર્સઃ 118-8, 20 ઓવરમાં (સ્મૃતિ મંધાના 68, ડીઆન્ડ્રા ડોટીન 20, ડાબોડી સ્પિનર રાધા યાદવ 16 રનમાં પાંચ). સુપરનોવાસ (હરમનપ્રીત કૌર 30, શશીકલા સિરિવર્દને 19, બાંગ્લાદેશની ઓફ્ફ સ્પિનર સલમા ખાતૂન 18 રનમાં 3, ઓફ્ફ સ્પિનર દીપ્તી શર્મા 9 રનમાં બે વિકેટ). બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહના હસ્તે મંધાનાએ વિજેતા ટ્રોફી સ્વીકારી હતી.

BSEમાં શનિવારે વિક્રમ સંવત-2077ના મુહૂર્તના સોદા થશે

મુંબઈઃ મુંબઈ શેરબજાર (BSE)એ જાહેર કર્યું છે 14 નવેમ્બર, 20220ને શનિવારે સાંજે 6.15 વાગ્યાથી વિક્રમ સંવત 2077ના મૂરતના સોદા થશે. મુહુર્ત ટ્રેડિંગ શરૂ કરવા પૂર્વે સાંજે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન લક્ષ્મી પૂજન કરવામાં આવશે, તે પછી કોવિડ-19 યોદ્ધાઓનું સન્માન કરવામાં આવશે.

જેઓ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવા માગતા હોય તેમણે ફરજિયાત માસ્ક પહેરવા પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે અને તેને પગલે હોલમાં પ્રવેશવા માટે થોડો સમય રાહ પણ જોવી પડી શકે છે. મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો હોવાથી કાર્યક્રમમાં સામેલ થવા માટે એક્સચેન્જને અગાઉથી જાણ કરવાની રહેશે, એમ એક્સચેન્જે જણાવ્યું છે.

દાઉદની છ પ્રોપર્ટીની મહારાષ્ટ્રમાં હરાજી કરાઈ

મુંબઈઃ ભારતે જેને ભાગેડૂ માફિયા ડોન ઘોષિત કર્યો છે તે દાઉદ ઈબ્રાહિમ કાસકરની ઓછામાં ઓછી છ પ્રોપર્ટીની મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં હરાજી કરવામાં આવી છે. દાણચોરો અને વિદેશી હુંડિયામણ ચાલબાજો (મિલકત જપ્તી) કાયદા (SAFEMA) અંતર્ગત આ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી હતી જેના રૂ. 23 લાખ ઉપજ્યા છે.

સત્તાવાર વર્તુળોના જણાવ્યાનુસાર, દિલ્હીના બે વકીલે અંડરવર્લ્ડ ડોનની 6 સંપત્તિ ખરીદી છે. દાઉદના પૂર્વજોની હવેલીની 11 લાખમાં હરાજી થઈ છે. આ બે વકીલ છે અજય શ્રીવાસ્તવ અને સુપ્રીમ કોર્ટના વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજ. આ હરાજીનો કાર્યક્રમ નિર્ધારિત સમયે ઓનલાઈન, ઓફ્ફલાઈન અને સીલ કરેલા ટેન્ડરના માધ્યમથી હાથ કરવામાં આવ્યો હતો.

મોટા ભાગની પ્રોપર્ટી નાના બાંધકામો હતા. અમુક તો સાવ બિસ્માર હાલતમાં થઈ ગઈ હતી. આ સંપત્તિમાં રત્નાગીરી જિલ્લાના મુમ્બાકે ગામમાં આવેલા જમીનના પ્લોટનો સમાવેશ થાય છે. કાસકર પરિવાર આ જ ગામનો વતની હતો. આ ઉપરાંત મુંબઈમાં દાઉદના ભૂતપૂર્વ સાગરિત ઈકબાલ મેમણ ઉર્ફે ઈકબાલ મિર્ચીની માલિકીના બે ફ્લેટની પણ હરાજી કરામાં આવી હતી.

નાણાંની તંગીને લીધે માઓવાદી સંગઠનો વેરવિખેર

નવી દિલ્હીઃ દેશમાં જે રીતે રેડ કોરિડોર સંકોચાઈ રહ્યો છે, એમ હવે માઓવાદી પ્રવૃત્તિઓ કરનારાઓ માટે પણ ખરાબ સ્થિતિ ઊભી થઈ છે. સુરક્ષા દળો અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાને લીધે દેશભરમાં માઓવાદી નક્સલવાદી સંગઠનો વેરવિખેર થઈ ગયા છે. દેશમાં કેટલાય વિસ્તારોમાં માઓવાદી ઘટનાઓ લગભગ ખતમ થઈ ગઈ છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ ગયા વર્ષે 90 જિલ્લાઓમાં માઓવાદી ઘટનાઓ સામે આવી હતી, જ્યારે આ વર્ષે માઓવાદી એક્ટિવિટી 46 જિલ્લાઓ સુધી સીમિત રહી છે. માઓવાદી સંગઠનોએ સંપૂર્ણ રીતે પરેશાન અને હતાશ છે. હતાશા અને નિરાશાને કારણે માઓવાદી સંગઠનોએ પોતાના કેડરને પત્ર લખ્યા, જેનાથી માલૂમ પડે છે કે સંગઠન ભારે નાણાકીય સમસ્યાઓથી ત્રસ્ત છે.

હવે એક વાત સ્પષ્ટ છે કે માઓવાદી સંગઠનો નાણાંની તંગીથી બેબાકળા થઈ ગયા છે અને એમનું પૂરું નેટવર્ક સંકોચાઈ રહ્યું છે. પોકળ એવી માઓવાદી વિચારધારાથી તંગ આવીને કેટલાય માઓવાદી નક્સલવાદીઓ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ પણ કરી રહ્યા છે તો અનેક માઓવાદીઓ સુરક્ષા દળો સાથેની અથડામણોમાં માર્યા ગયા છે.

જોકે કેડરના ટોચના નેતાઓ અન્ય ક્ષેત્રોના માલિકો અને ખાણમાલિકો સાથે વાટાઘાટ કરી રહ્યા છે અને માઓવાદી સંગઠન નવા બાતમીદારોને બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. સત્તાવાળાઓ આનાથી વાકેફ છે.

નવેમ્બરમાં નિકાસ 22.47% વધી, અર્થતંત્ર સુધારાના માર્ગે

નવી દિલ્હીઃ દેશના અર્થતંત્ર માટે સુધારાના સંકેત છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં દેશની નિકાસ વાર્ષિક ધોરણે 22.47 ટકકા વધીને 6.75 અબજ ડોલરે પહોંચી છે, જેમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ અને જ્વેલરી અને એન્જિનિયરિંગ સેક્ટરનો નોંધપાત્ર ગ્રોથને પ્રતાપે છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં 5.51 અબજ ડોલર હતી.

ચાલુ વર્ષે 1-7 નવેમ્બરમાં આયાત 13.64 ટકા વધીને 9.30 અબજ ડોલર (8.19 અબજ ડોલર) થઈ ગઈ છે. પેટ્રોલિયમ સિવાયની આયાત સપ્તાહ દરમ્યાન 23.37 ટકા વધી હતી. સપ્તાહ દરમ્યાન વેપાર ખાધ 2.55 અબજ ડોલર રહી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.

ફાર્માસ્યુટિકલ્સ અને જેમ અને જ્વેલરીની નિકાસ 32 ટકા વધીને 13.912 કરોડ ડોલર અને 88.8 ટકા વધીને 336.071 કરોડ ડોલર થઈ છે. એ જ રીતે સપ્તાહ દરમ્યાન એન્જિનિયરિંગ માલસામાનની નિકાસ 16.7 ટકકા વધીને 21.513 કરોડ ડોલર થઈ હતી. જોકે નિકાસમાં નકારાત્મક ગ્રોથ દર્શાવનારાં ક્ષેત્રોમાં પેટ્રોલિયમ, મરિન પ્રોડક્ટ્સ અને લેધર ક્ષેત્ર છે. સમીક્ષા હેઠળના ગાળા દરમ્યાન અમેરિકા, હોંગકોંગ અને સિંગાપુરમાં નિકાસ ક્રમશઃ 53.91 ટકા, 17.62 ટકા અને 90.76 ટકા વધી હતી. દેશની નિકાસ સપ્ટેમ્બરમાં પણ પોઝિટિવ ગ્રોથ નોંધાયો હતો, પણ ઓક્ટોબરમાં નિકાસ 5.4 ટકા ઘટીને 24.82 અબજ ડોલર થઈ હતી.

 

 

તનુશ્રી દત્તા અભિનયક્ષેત્રે કમબેક કરશે

મુંબઈઃ પોતાની જાતીય સતામણી સામે બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ લગભગ બે વર્ષ પહેલાં જે જંગ શરૂ કર્યો હતો એને કારણે ‘મી ટુ’ બિનસત્તાવાર ઝુંબેશનો આરંભ થયો હતો. જાતીય સતામણી અને અન્યાયને કારણે આ અભિનેત્રી મુંબઈ છોડીને અમેરિકા જતી રહી હતી. ત્યાં થોડાક વર્ષ રહ્યાં બાદ એ મુંબઈ પાછી ફરી હતી.

હવે તનુશ્રી અભિનયક્ષેત્રમાં પુનરાગમન કરવાની છે. એણે પોતે જ આ સમાચારાની જાણ એનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર કરી છે. એણે લખ્યું છે કે નજીકના ભવિષ્યમાં આકાર લે એવા કેટલાક મોટા ફિલ્મી પ્રોજેક્ટ વિશે તે હાલ ચર્ચા કરી રહી છે. આ ફિલ્મો દક્ષિણ ભારતીયની હશે. ફિલ્મોમાં કમબેક કરવા માટે તનુશ્રીએ અમેરિકાની સરકારમાં સંરક્ષણ વિભાગના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગમાં પ્રતિષ્ઠાસમી નોકરીની ઓફર પણ એણે ઠુકરાવી દીધી છે, કારણ કે પોતે એક કલાકાર હોવાથી અભિનય પ્રત્યેનો પ્રેમ એને ભારત પાછો લાવ્યો છે. કમબેક કરવા માટે પોતાને બોલીવૂડમાંથી પણ ઘણો ટેકો મળી રહ્યો છે એમ પણ તનુશ્રીએ જણાવ્યું છે.

ફિલ્મોમાં ફરી કામ કરવા માટે તનુશ્રીએ એનાં શરીરનું 15-કિલો વજન ઉતારી દીધું છે.

પેટા-ચૂંટણીનાં પરિણામો ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું ટ્રેલરઃ રૂપાણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8-બેઠકોની પેટા-ચૂંટણીનાં પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીના અહેવાલો અનુસાર, શાસક ભારતીય જનતા પાર્ટી તમામ 8 બેઠકો પર જીત હાંસલ કરવા તરફ અગ્રેસર હતી. રાજ્યમાં આ વર્ષે જૂનમાં થયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના વિધાનસભ્યોએ રાજીનામાં આપ્યાં પછી આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસમાંથી પાંચ વિધાનસભ્યો ભાજપમાં સામેલ થયા હતા અને ભાજપની ટિકિટ પર પેટા-ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણી કમિશનરની વેબસાઇટ પર આ પેટા-ચૂંટણીમાં આઠ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે ભાજપનો વોટ શેર 50 ટકાથી વધુ છે. ECIની વેબસાઇટ અનુસાર આઠ સીટો પર ભાજપનો વોટશેર આશરે 54 ટકા છે. જ્યારે કોંગ્રેસનો 34.51 ટકા છે. જ્યારે નોટાને 2.09 ટકા મત મળ્યા છે.

રાજ્યના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ભાજપ એ માત્ર જીત્યો છે, પણ એ ભાજપે બહુમતીથી જીત્યો છે. આદિવાસી વસતિમાં એ મોટા માર્જિનથી જીત્યો છે. અબડાસામાં અહીં સુધી કોંગ્રેસ કરતાં સ્વતંત્ર ઉમેદવાર આગળ છે. આ પરિણામો રાજ્યની આવનારી ચૂંટણીનું ટ્રેલર છે.

તેમણે જણાવ્યું હતું કે પેટાચૂંટણીનાં આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે, પરંતુ પ્રજાએ કોંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ.

 

 

 

 

‘અમેરિકામાં કોરોના વધુ બે લાખનો ભોગ લઈ શકે છે’

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઈડને કોરોના વાઈરસ રોગચાળા અને તેની રસીના મુદ્દે મહત્ત્વનું નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે આ વૈશ્વિક મહામારીને રોકતી રસી અમેરિકામાં લોકોને ઉપલબ્ધ થાય ત્યાં સુધીમાં દેશમાં આશરે બે લાખ લોકોનું મૃત્યુ થઈ શકે છે.

બાઈડને કહ્યું કે, અમેરિકામાં કોરોનાને કારણે દરરોજ સરેરાશ 1,000 લોકોનાં મરણ થાય છે અને આ બીમારી અત્યાર સુધીમાં 2,40,000 લોકોનો ભોગ લઈ ચૂકી છે. અનુમાન પરથી માલૂમ પડ્યું છે કે કોરોના રસી વ્યાપક રીતે ઉપલબ્ધ થશે ત્યાં સુધીમાં આવનારા મહિનાઓમાં વધારે 2 લાખ લોકોના જાન જઈ શકે છે.

બાઈડને ગયા રવિવારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોના વાઈરસ સામેની લડાઈને એમનું વહીવટીતંત્ર પ્રાથમિક્તા આપશે. નવી સરકાર કોરોના લોકડાઉન, માસ્ક પહેરવા તથા અન્ય ઉપાયો વિશે સલાહ આપવા માટે નિષ્ણાતોની એક ટીમની રચના કરશે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 99,68,015 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 2,37,568 જણ મૃત્યુ પામી ચૂક્યા છે.